વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2011

દિપાવલીના પૂણ્ય પર્વ પ્રસંગે વિનોદ વિહાર બ્લોગનો ” દીપોત્સવી અંક “

દિપાવલી એટલે તમસ ઉપર પ્રકાશના વિજયનું પર્વ

આ વિક્રમ સંવત ૨૦૬૭ના વર્ષનું ચક્ર વિરામ લેશે આસો માસની અંધકાર ભરી વદ અમાસે, અને એજ દિવસે આગમન થશે દિવાળીના પુણ્ય પર્વનું.દિવાળીના દિવસોમાં દીપમાળાઓ  પ્રગટાવીને લોકો અમાસના અંધકારને પ્રકાશના પર્વમાં પલટાવી દેશે.આમ દિવાળીનો ઉત્સવ તમસમાંથી જ્યોતિ તરફ પ્રયાણ કરવા માટેની આરાધના કરવાનો દિવસ છે.આપણા જીવનનો ધ્યેય અંધકારભરી અમાસથી પ્રકાશથી પૂર્ણ પૂનમ ભણી આગળ વધવાનો હોવો જોઈએ.

દિવાળી એક નહી પણ પાંચ દિવસોનો તહેવાર મનાય છે- ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી ,બેસતું વર્ષ અને ભાઈ બીજ.આ દરેક  દિવસ અંગે એક દંત કથા પ્રચલિત છે.આ બધી દંત કથાઓ અને સાપ ગયા ને લીસોટા રહ્યા એવી આ દિવસોની ઉજવણીની રીતોને એક બાજુએ  રાખીએ તો પણ પ્રતિકાત્મક રીતે જોતાં દીપાવલી એટલે અનિષ્ટ તત્વો સામે સત્યનો અને અંધકાર સામે પ્રકાશના વિજયને મનાવવાનો ઉત્સવ છે. આપણા મનમાંના અંધકારને દુર કરી એમાં સદબુદ્ધિ અને સુસંસ્કારોના દીપકથી અજવાળવાનો આ દિવસ છે.

દીપોત્સવીના આ અનેરા પર્વમાં,હૈયેથી હતાશાને હંફાવી આશાની દિવેટ સંકોરીને માનવતાનો દીપ જ્લાવીએ.દુર્ગુણો અને વિકારોના ફટાકડા ફોડી દિવ્ય ગુણોના સુગંધિત ધૂપથી ચોમેર પવિત્રતાની સુગંધ પ્રસરાવીએ.કર્મ અને કુકર્મના  ચોપડાનો હિસાબ માંડી જીવનના વર્ષોનું સરવૈયું કાઢીએ.આત્માના દીપકની જ્યોત જલાવી ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરી નવા વર્ષનું નવા ઉમંગથી સ્વાગત કરીએ. 

દિવાળીના આ મંગલ પર્વે  પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ” ઊંડા અંધારેથી પરમ તેજે તું લઇ જા,તું હીણો હું છું તો ,તુજ દરશનના દાન દઈ જા “ .અમારા મનના ઓરડામાં રોજે રોજ ભરાતા કુડા કચરાને તારી પ્રાર્થના રૂપી સાવરણીથી સાફ કરી અમારા મન મંદિરને પવિત્ર રાખીએ એવી સદબુદ્ધિ આપજે હે પ્રભુ!.  અંતે ઉપનિષદની આ  ઋચાને  ગાઈએ કે —

ઓમ, અસતો મા સદ ગમય ,તમસો મા જ્યોતિર  ગમય , મૃત્યુ: માં અમૃતમ ગમય 

મારા બ્લોગના સૌ પ્રિય વાચકોને

શુભ દિપાવલી તથા નુતન વર્ષાભિનંદન.

વિક્રમ સંવત ૨૦૬૮નુ નવું વર્ષ આપ સૌને માટે સર્વ પ્રકારે સુખદાયી, આરોગ્યદાયી, ફળદાયી અને યશસ્વી નીવડો એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના..

સાન ડિયાગો.

તા-૨૩મી ઓક્ટોબર ,૨૦૧૧.                           વિનોદ આર. પટેલ   

___________________________________________________________________

દિપાવલીના શુભ દિવસોમાં પ્રગટ થતી આજની પોસ્ટને દીપોત્સવી અંક તરીકે પ્રકાશિત કરતાં આનંદ થાય છે.આ અંક પ્રસંગોચિત કાવ્યો, દિવાળી લેખો અને મનનીય સુવાક્ય સંગ્રહ વી. રસપ્રદ વાચન સામગ્રીથી સભર છે.આ અંક આપને વાંચવો ગમશે એવી આશા છે.

હવે, ડીસેમ્બર ૨૦૦૮માં ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલ મારું એક કાવ્ય /પ્રાર્થના

અહી નીચે મુકેલ છે.

પ્રભુ લેશે સંભાળ તારી……

શિરે તારે જ્યારે આપદા આવી પડશે ,

મુન્ઝાએલો અને દુખી જોઈને તને ,

જરાએ ભ્રમમાં  ન રહેતો ,

દીનદયાળ પ્રભુ લેશે સંભાળ તારી.

લઇ લેશે એની પ્રેમાળ ભેટમાં તને. 

સંસારની વિવિધ જંજાળો વચ્ચે ,

અનેક મુસીબતો રાહમાં આવી ખડકાશે,

હૃદય તારું ભાંગી પડશે,

ઘોર નિરાશાની ગર્તામાં આખડતો હોઈશ એ વેળા,

જીવનની અનેક કસોટીઓ વચ્ચે ,

જરૂરી હશે એ આપી, પાર ઉતારશે તને. 

જીવનપથ પર તારો હાથ ગ્રહી દોરીને,

એ દિવ્યાત્મા સર્વવ્યાપી દયાળુ પ્રભુ,

નવા વરસે કે હરહંમેશે લેશે સંભાળ તારી.   

                —— વિનોદ આર. પટેલ     

દિવાળી -કાવ્ય -ચીમન પટેલ(ચમન )

આ મઝાના દિવાળી કાવ્યના કવિ છે આ બ્લોગમાં જેમની એક સામાજિક વાર્તા બાગબાન કા બસેરા લેવામાં આવી હતી એ હુસ્ટન નિવાસી શ્રી ચીમન પટેલ,એમણે મારા બ્લોગ માટે આ   કાવ્ય મોકલી આપ્યું છે.એમનો આભારી છું. આ કાવ્યમાં એમનાં દિવાળી પ્રસંગનાં સુંદર અવલોકનો રજુ કરવામાં આવ્યાં છે જે ખરેખર દિલચસ્પ છે . 

નવા વર્ષના શુભ સંકલ્પો — વિનોદ આર. પટેલ 

 અગાઉ ઓગસ્ટ ,૨૦૦૮ માં અમદાવાદથી પ્રકાશિત માસિક ધરતીમાં પ્રગટ થયેલ મારો  આ  લેખ  નવા વરસમાં લેવા લાયક કેટલાક શુભ સંકલ્પો વિષેનો છે .આમાંથી બધા નહી તો  થોડા  ગણા  પણ  સંકલ્પો  જો જીવનમાં  અપનાવવામાં આવશે  તો એ ઘણું છે. મેગેઝીનના રફ   પાનાની  પી.ડી એફ.ફાઈલની ઈમેજ જરા ઝાંખી છે પરંતુ એને વાંચી શકાશે.      

ઘરના ટોડલે દિવાળીના દીવા અને અંતરના ટોડલે સમજણના –અભિવ્યક્તિ લેખ

સુરતના શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનો અભિવ્યક્તિ  બ્લોગમાં અગાઉ પ્રગટ થયેલ આ સુંદર લેખ એમના અને અભિવ્યક્તિ બ્લોગના શ્રી ગોવિંદ મારુંના આભાર સાથે અહિ મુક્યો છે.આ લેખ દિવાળીના આ પર્વ ટાણે વાંચવો સમયને અનુરૂપ થઇ રહેશે.

નવા વરસે મનન કરવા જેવાં અને આચરવા જેવાં સુવાક્યો- રત્નકણીકાઓ 

મારા  વાચન દરમ્યાન મને ગમેલાં અને નોટબુકમાં ટપકાવી લીધેલાં સુવાક્યોમાંથી    કેટલાંક ચૂંટેલા સુવાક્યો  અહી મુક્યાં છે. તમને એ નવા વરસમાં મમળાવવા કામ લાગશે.ઉપરની ફાઈલ ઓપન કરી આપ એને માણી શકશો. 

 

          

એપલ કમ્પનીના જન્મદાતા સ્ટીવ જોબ્સની ચિર વિદાય- એમના પ્રેરણાત્મક જીવનની ઝલક

બુધવાર,૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ માત્ર ૫૬ વર્ષની ઉમરે એપલ કમ્પનીના પ્રણેતા સ્ટીવજોબ્સનું અકાળે  દુખદ અવસાન થયું.વિશ્વનો કોમ્પ્યુટર ટેકનોલોજી જગતનો એક સિતારો એની જિંદગીના મધ્યાહને જ ખરી પડ્યો.દુનિયાભરમાં બાળકોથી માંડી  વૃદ્ધજનોમાં લોકપ્રિય અનેક  ઉપયોગી પેદાશો જેવી  કે  i-Mac, i-Pad, i-Pod,અને i-Phone આજે  ઘેર ઘેર પહોંચી ગયેલ છે. આવાં ખિસ્સામાં રાખીને ઉપયોગ કરી શકાય એવા નાજુક સાધનોની શોધ કરીને સ્ટીવ જોબ્સે કોમ્પ્યુટર અને કોમ્યુનીકેશન ટેકનોલોજીમાં ક્રાંતિ  સર્જિ  છે.એમની વિદાયથી એપલ કંપનીને એક બૌધિક વિઝનરીની મોટી ખોટ પડશે.દુનિયાભરનાં સમાચાર માધ્યમોએ અને જોબ્સના કરોડો પ્રસંશકોએ એમના મૃત્યુના દુખદ સમાચાર સાંભળીને આંચકો અનુભવ્યો અને એમની ચમત્કારિક સિદ્ધિઓને યાદ કરીને ભવ્ય અંજલિઓ આપી..

Bill-Gtes and Steve Jobs

સ્ટીવ પોલ જોબ્સના જન્મથી મૃત્યુ  સુધીના જીવનનો ચડાવ-ઉતારનો આલેખ  દર્શાવતી એમની સાલવાર ટૂંકી જીવન કથા આ પ્રમાણે છે.

જન્મ – ફેબ્રુઆરી ૨૪, ૧૯૫૫ ,સાન ફ્રાન્સિસ્કોમાં .

અભ્યાસ- ૧૯૭૨માં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ.રીડ કોલેજ,પોર્ટલેન્ડમાં દાખલ થયા પણ ફક્ત એક જ સેમીસ્ટર પછી ટ્યુશન ફી ન પોસાતાં ડ્રોપ આઉટ થયા.

એમના કોલેજ કાળ અંગે ૨૦૦૫માં સ્ટીવ જોબ્સે  સ્ટેનફોર્ડ યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓ

 સમક્ષ આપેલ એક ભાષણમાં આ પ્રમાણે કહ્યું હતું:

“ It was not all romantic. I did not have a dorm room, so I slept on the floor in friend’s rooms,I returned coke bottles for the 5 cent deposits to buy food with and I would walk the seven miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple.”

કારકિર્દી–એપલની શરૂઆત કરી એ પહેલાં,વિડીયો ગેમ્સ બનાવતી કંપનીમાં જોબ કરી.

–૧૯૭૬મા એમના પાર્ટનર સ્ટીવ વોઝ્નીયાકની ભાગીદારીમાં ગરાજમાં એપલ કમ્પનીની નો પાયો નાખ્યો.અને પછી એને  વિકસાવી.

–૧૯૮૪માં I-Mac પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કર્યું.પરંતુ એક વર્ષ પછી એપલના ચેરમેને એમણે જ સ્થાપેલ એપલ કમ્પનીમાંથી સ્ટીવ જોબ્સને છુટા કરી દીધા. 

–૧૮૮૬ માં એમની કમ્પની પીક્સારનું  ડીઝની કમ્પની સાથે જોડાણ કર્યું.

–૧૯૯૬ માં એપલમાં એડવાઈઝર તરીકે ફરી જોડાયા અને થોડા સમય પછી  વચગાળાના  CEO બન્યા.

—૨૦૦૦માં કાયમી CEO તરીકે એપલ કમ્પનીની પુરેપુરી જવાબદારી સંભાળી.અને એમની નીગાહ્બાનીમાં  બઝારની માંગ મુજબ બનાવેલ લોકપ્રિય પ્રોડક્ટ્સ i-Pod,i-Phone & i.Pad એ વિશ્વના બઝારમાં ધૂમ મચાવી અને એપલ કમ્પની માટે નાણાંની ટંકશાળ ખડી કરી દીધી.

—સ્ટીવે ૨૦૦૪માં પેન્ક્રિયેટીક કેન્સર માટે સર્જરી કરાવી હતી.૨૦૦૯માં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ   કરાવ્યું હતું.     

—૨૦૧૧ ના  જાન્યુઆરીમાં નબળી તબિયતને લીધે તેઓ મેડીકલ લીવ ઉપર ઉતરી ગયા.

ઓગસ્ટ ૨૦૧૧માં CEO તરીકે રાજીનામું આપ્યું અને એપલ કમ્પનીના ચેરમેન ચૂંટાયા.

અવસાન- બુધવાર,૫મી  ઓક્ટોબર,૨૦૧૧ના રોજ. એપલ કમ્પનીએ એમના મૃત્યુનું કોઈ પણ કારણ બતાવ્યા સિવાય એમના અવસાનની જાહેરાત કરી.જો કે બધા જાણે છે એ મુજબ પેન્ક્રીયાટીક કેન્સરના લીધે એમનું અવસાન થયું હતું.

ભૂતકાળમાં જીવનની શરૂઆતમાં જે વ્યક્તિ પાસે કોલેજની ફી માટે પૈસા ન હતા અને સારું ખાવા મળે એ માટે માઈલો ચાલીને દર રવિવારે હરે કૃષ્ણના મંદિરે જતી હતી એજ વ્યક્તિ મૃત્યુ પછી ૮.૩ બિલિયન ડોલર જેટલી જંગી સંપતિ પાછળ મુકીને જાય એ જેવી તેવી સિદ્ધિ નગણાય.ફોર્બ્સ મેગેજીનના જણાવ્યા પ્રમાણે  વિશ્વના સૌથી મોટા ૫૦૦ ધનવાનોની યાદીમાં સ્ટીવ જોબ્સ ૧૧૦મા ક્રમે હતા.૧૮૮૫માં એમણે એપલ છોડ્યું ત્યારે એમણે જો એપલના શેરો વેચ્યા ન હોત તો આજે જગતના ધનવાનોની યાદીમાં એમનો નંબર ૫ મો હોત !કેવી કમાલની એમની આ સિદ્ધિ કહેવાય!. 

એક ભારતીય તરીકે આપણને સ્ટીવ જોબ્સના ઇન્ડિયા કનેક્શનની વિગતો આનંદ આપે  એવી  છે . ભૂતકાળમાં સ્ટીવ જોબ્સે ભારત જઈને એક જાણીતા આશ્રમની મુલાકાત લીધી હતી અને જ્યારે એ અમેરિકા પાછા આવ્યા ત્યારે એક પાકા ઝેન બુદ્ધિસ્ટ બનીને આવ્યા હતા.1992 માં લોરેન્સ પોવેલ સાથે Yashomite National Park ખાતે એમના લગ્ન ઝેન બુદ્ધિસ્ટ સાધુને હસ્તેથયા હતા. તેઓ મીટ અને પ્રાણીજન્ય ચીજો ખાતા ન હતા પણ ફક્ત ફીશનું સેવન કરતા.ભારતની આયુર્વેદિક ચિકિત્સા અને Eastern Medicines ઉપર અને ભગવાન પર એમને ઊંડી શ્રધ્ધા હતી.એ માનતા હતા કે એમની સફળતામાં ભારતીય ધ્યાન-યોગાસનોનો અમુલ્ય ફાળો છે. 

“જીન્દગી તમારી શરતો પર જીવો”,”સપનાં જુઓ “” સ્ટે-હન્ગરી”એટલે કે જ્ઞાનની પિપાસા હંમેશા રાખો અને ઈશ્વર પર શ્રધ્ધા રાખો એમ સૌને પોતાનાં પ્રવચનોમાં  અવારનવાર કહેનાર rags to richesસુધીનું અચંબો પમાડે એવું ગજબનું  સફળ જીવન જીવીને વિદાય લેનાર સ્ટીવ જોબ્સનું જીવનવિશ્વના  કરોડો નવજુવાનો માટે એક પ્રેરક ઉદાહરણ છે.પરમ કૃપાલુ પરમાત્મા, એમની પાસે આવેલ આવી વિરલ વ્યક્તિ સ્ટીવ જોબ્સના આત્માને ચીર શાંતિ અર્પે એવી હૃદયથી પ્રાર્થના કરીએ.  

                                                                         લેખક-  વિનોદ આર. પટેલ   

_________________________________________________________

સ્ટીવ પોલ જોબ્સની અંગત અને કૌટુંબિક જીવનની કેટલીક વાતો એના જાહેર જીવન જેટલી જ રસિક છે.આ બધી જાણીને નવાઈ લાગે એવી સ્ટીવ જોબ્સના ખાનગી જીવનની વિગતો આપતો શ્રી દેવેન્દ્ર પટેલનો લેખ મેં સંદેશ અખબારની ઈન્ટરનેટ આવૃત્તિમાં વાચ્યો જે મને ગમ્યો .દેવેન્દ્ર પટેલનો  સ્ટીવ જોબ્સ અંગેનો મને ગમેલ આ લેખ  જે નીચે સાભાર મુક્યો છે.આપને પણ એ લેખ જરૂર ગમશે. 

દુનિયાને બદલી દેનારા બહુ ઓછું જીવે છે. આદિ શંકરાચાર્યે ઘણા અલ્પ આયુમાં મહાન ગ્રંથોની રચના કરી અને ઓછી વયે જ મૃત્યુ પામ્યા. સ્વામી રામતીર્થ માંડ ૩૩ વર્ષ જ જીવ્યા. પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડી ભર યુવાનીમાં મૃત્યુ પામ્યા. મેરેલિન મનરો યુવાવસ્થામાં જ મોતને ભેટી. મધુબાલા બહુ ના જીવી. કલાપી યુવાનીમાં જ મૃત્યુ પામ્યા. રાજીવ ગાંધી પણ લાંબું આયુષ્ય ભોગવી ના શક્યા. હવે આ તેજસ્વી સ્ટાર્સની યાદીમાં સ્ટીવ જોબ્સ એ છેલ્લા સિતારા હતા.

લોકોના હાથમાં આઈ-મેક, આઈ-પેડ, આઈ-પોડ અને આઈ-ફોનને હાથમાં રમતાં કરી મૂકનાર સ્ટીવ જોબ્સ માત્ર ૫૬ વર્ષની વયે જ તા.૫મી ઓક્ટોબર,૨૦૧૧ના રોજ  મૃત્યુ પામ્યા. તા. ૨૯મી ફેબ્રુઆરી, ૧૯૫૫ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા સ્ટીવ જોબ્સ એક બળવાખોર બાળક હતા. તેમના પિતા ઇજિપ્શીયન-આરબ (સિરિયા) અને માતા અમેરિકન મહિલા હતાં. માતા-પિતા ગરીબ અને મજૂરી કરનારા હોઈ બાળક પોલ અને જોબ્સ નામના યુગલને દત્તક આપી દેવાયું હતું. જેમણે બાળકને સ્ટીવન પોલ એવું નામ આપ્યું. તેમને અમેરિકામાં ઓરેગાવની પોર્ટલેન્ડ ખાતે આવેલી ટીડ્સ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ એ ભણતર ઉપયોગી ના લાગતાં તેમણે સ્વયં ભણવાનું છોડી દીધું. ૧૯૭૬માં ‘એપ્રિલ ફૂલ’ના દિવસે”એક ગેરેજમાં તેમણે એક મિત્ર સાથે ‘એપલ’ કંપનીની શરૂઆત કરી. તે પછી એમણે કદીયે પાછું વળીને જોયું નહીં. ફેબ્રુઆરી, ૨૦૧૦ સુધીમાં આ કંપનીની કુલ સંપત્તિ ૭૫.૧૮ અબજ ડોલર પર પહોંચી. સ્ટીવ જોબની અંગત સંપત્તિ ૮.૮ અબજ ડોલર સુધી પહોંચી.

સ્ટીવ જોબ્સના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા. તેમને જન્મ આપનાર માતાનું નામ જોઆન કેરોલ સ્કીબલ હતું. જ્યારે અસલી પિતાનું નામ અબ્દુલ ફત્તાહ જિંદાલી હતું. અબ્દુલ ફત્તાહ સિરિયાથી સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ હેઠળ અમેરિકામાં ભણવા આવ્યા હતા. તેઓ કુંવારી માતાના પેટે જન્મ્યા હતા. લોકોની મજાકથી બચવા જ બાળક પોલ અને કલારા જોબ્સને સોંપી દેવામાં આવ્યું હતું. કહેવાય છે કે, સ્ટીવ જોબ્સ કદી તેમનાં અરબી માતા-પિતાને મળી શક્યા નહોતા. કહેવાય છે કે, તેમના અસલી પિતા અબ્દુલ ફત્તાહ જિંદાલીએ પુત્ર સ્ટીવ જોબ્સને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે શક્ય બન્યું નહોતું. સ્ટીવ જોબ્સને લાગ્યું હતું કે, “મારા પિતાની નજર મારી સંપત્તિ પર છે.”

કોલેજમાંથી જાતે જ બહાર નીકળી ગયા બાદ સ્ટીવ જોબ્સનું જીવન આરામદાયક નહોતું. તેઓ એક મિત્રના ઘરના લિવિંગ રૂમની ફર્શ પર જ સૂઈ જતા હતા. કોકાકોલા પી લીધા બાદ તેની બોટલ દુકાનદારને પાછી આપવા જતા જેના તેમને પાંચ સેન્ટ મળતા હતા અને એ પાંચ-પાંચ સેન્ટ ભેગા કરી તેઓ તેમના માટે ફૂડ ખરીદતા. તેઓ જ્યાં રહેતા હતા ત્યાંથી ૭ માઈલ દૂર હરેકૃષ્ણ મંદિર હતું અને ત્યાં સારું જમવાનું મળતું. સારા ફૂડ માટે તેઓ દર રવિવારે સાત માઈલ ચાલીને હરેકૃષ્ણ મંદિરે જતા હતા. આધ્યાત્મિકતાની ખોજમાં તેઓ ભારત આવ્યા અને નશીલી દવાઓની સાથે કેટલાક પ્રયોગ પણ કર્યા. બૌદ્ધ ધર્મથી તેઓ ભારે પ્રભાવિત થયા. તેઓ હિપ્પી સંસ્કૃતિ સાથે જ મોટા થયા હોવા છતાં પાછળથી બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.

વિશ્વભરનાં બાળકોમાં લોકપ્રિય એનિમેશન ફિલ્મ્સ જેવી કે ‘ટોય સ્ટોરી’ અને ‘ફાઇન્ડિંગ નેમો’ બનાવનાર કોમ્પ્યુટર એનિમેશન કંપની- ‘પિક્સર’ પણ તેમનું જ સર્જન હતું.”અબજોની સંપત્તિના માલિક હોવા છતાં સ્ટીવ જોબ્સ જીન્સ અને બંધ ગળાનું બ્લેક ટીશર્ટ જ પહેરતા. માથા પર ટૂંકા વાળ રાખતા. સ્ટીવને ભાગ્યે જ કોઈએ સૂટમાં જોયા હશે. યુનિર્વિસટીમાં પ્રવચન આપવા ગયા ત્યારે પણ જીન્સ અને ટી-શર્ટમાં જ. તેઓ વસ્ત્રો અને ઠાઠમાઠ કે દેખાડાના બદલે પોતાની બુદ્ધિ, કલ્પનાશક્તિ અને સમજદારીમાં વધુ ભરોસો કરતા હતા. કોમ્પ્યુટરને ‘પર્સનલ’ બનાવનાર અને ઇન્ટરનેટને લોકોના ખિસ્સા સુધી પહોંચાડનાર સ્ટીવ જોબ્સ માર્કેટ સર્વે જેવી પરંપરાગત બિઝનેસ પ્રણાલી પર બહુ આધાર રાખવાના બદલે પોતાની કલ્પનાશક્તિ પર બહુ વિશ્વાસ રાખતા હતા અને પોતાની સમજદારી પર જ નવાં નવાં સંશોધનો કરતા હતા. તેમણે જાતે કોઈ નવા કોમ્પ્યુટરની શોધ કરી નહોતી. બલકે ઉપલબ્ધ સંશોધનોને લોકો માટે વધુ સુવિધાજનક અને વ્યવહારુ બનાવી દીધા હતા. એક નાનકડા આઈપોડમાં તેમણે સેંકડો ગીતો ભરી દેવાની કમાલ કરી બતાવી હતી.”તેઓ એક દૃષ્ટા હતા. તેઓએ ચીલાચાલુ અને રૂઢિગત પરંપરાથી ઊલટું વિચારવા માંડયું. મધ્યમવર્ગ પરિવારમાંથી આવતા હોઈ બીજા અનેક સંઘર્ષોનો સામનો કરવો પડયો. તેમણે પોતાના આગવા ખ્યાલોથી નવા રસ્તા શોધ્યા અને પરંપરાગત વ્યાપાર અને ઉદ્યોગ જગતની શિકલ જ બદલી નાખી. નવા સમય માટે નવા પડકારો તેમની સામે હતા. તેમના માટે ભારે મોટા મૂડીરોકાણ અને ભારે મોટા બજારના નેટવર્ક કરતાં નવી કલ્પનાશક્તિઓનું મહત્ત્વ વધુ હતું અને તેમાં જ તેઓ સફળ નીવડયા. તેમની આ સફળતાના કારણે વિશ્વ વિખ્યાત ફિલ્મકાર સ્ટીવન સ્પિલબર્ગે પણ કહેવું પડયું કે, “સ્ટીવ જોબ્સ એ થોમસ આલ્વા એડિસન પછીની મહાન પ્રતિભા હતા.” ઘણાએ તેમને નવા સમયના ‘હીરો’- નાયક કહ્યા.

એક નાનકડા ગેરેજમાં શરૂ કરાયેલી કંપનીમાં આજે ૪૦૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે. છેલ્લાં ૧૧ વર્ષમાં એપલ કંપનીના શેરોની કિંમત ૧૨ ગણી વધી છે. ૧૯૮૦માં જેની કિંમત ૩.૫૯ ડોલર હતી તેની કિંમત ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૧ના રોજ ૪૧૩.૪૫ ડોલર સુધી પહોંચી છે. વિશ્વમાં આજે ૩૫૭ જેટલા‘એપલ’ના સ્ટોર્સ છે. અબજોનું ટર્નઓવર ધરાવતા સ્ટીવ જોબ્સની વિશ્વના લોકોને સલાહ છે કે, “ડિઝાઈનનો મતલબ એ નથી કે તે કેવી દેખાય છે. ડિઝાઈનનો મતલબ એ છે કે, તે કેવી રીતે કામ કરે છે તે પણ સમજવું જોઈએ. એ જ રીતે વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ બનવાનો કોઈ અર્થ જ નથી. રાત્રે સૂતી વખતે તમને મનમાં થવું જોઈએ કે, આજે મેં કોઈ અર્થપૂર્ણ અને શાનદાર કામ કર્યું છે. બીજા લોકોના વિચારો સાંભળી તમે તમારા અંતરાત્માના અવાજને ગૂંગળાવશો નહીં. એ એમની સોચ હતી. તમે તમારી રીતે”વિચારો. આપણે આપણા દિલનો અને અંતરાત્માનો જ અવાજ સાંભળવો જોઈએ. તેનું જ મહત્ત્વ છે. તમારે શું બનવું તે તમારે જ નક્કી કરવાનું છે. મારા માટે તો બિઝનેસનું મોડેલ છે ‘ધી બીટલ્સ.’ એ ચાર જણે એક બીજાની નકારાત્મક પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવ્યો હતો. તે પછી એકબીજાને સહારો આપ્યો. એ ચારેય જણે મળીને કોઈ એક કે બે જણના મુકાબલે તેઓ વધુ ‘મહાન’ બન્યા.

સ્ટીવ જોબ્સ તમામ બાબતોમાં બંડખોર હતા.”તેમના ધંધાદારી હરીફોની સામે પણ તેઓ આક્રમક અને સ્વાભિમાની હતા. તેઓ એપલના હેડક્વાર્ટર પર જાય ત્યારે તેમની ર્મિસડિઝ કાર અપંગો માટેના પાર્કિંગ સ્લોટમાં જ પાર્ક કરતા હતા. તેઓ અપંગ નહોતા છતાં બંડ કરવું તે તેમનો સ્વભાવ હતો. છેલ્લે છેલ્લે સ્ટેનફોર્ડ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહેલી વાતો ચિરસ્મરણીય રહેશે. તેમણે કહ્યું હતું : “માનવીએ હંમેશાં કર્મ, ભાગ્ય અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવી જોઈએ. આમ કરવાથી તમારી દરેક ઇચ્છા પૂરી થઈ શકે છે. હું ભણવાનું કદી પૂરું કરી ના શક્યો, પરંતુ હિંમત હાર્યો નહીં. મેં દિલનો અવાજ સાંભળ્યો અને સિદ્ધિઓ”હાંસલ કરી. જીવન બહુ ટૂંકું છે. બીજાની વાતો સાંભળી તેમનું અનુકરણ ના કરો. સ્ટે હંગરી- સ્ટે ફુલીશ. અર્થાત્ જ્ઞાનની પિપાસા હંમેશાં રાખો અને અભિમાન કદી કરશો નહીં. મારું મૃત્યુ નજીક છે. હું બીજા કોઈ માટે જગા કરતો જાઉં છું.”

સ્ટીવ જોબ્સ વિશ્વનાં કરોડો બાળકો માટે એક પ્રેરણા છે. તેમણે જે વાત શબ્દોમાં કહી નથી તે એ છે કે “જિંદગી તમારી શરતો પર જીવો.”

                                         લેખક-  દેવેન્દ્ર  પટેલ, કભી કભી વિભાગ, સંદેશ

Source- https://gujaratiindianblog.wordpress.com/2012/12/05/jindagi-tamari-sharto-par-jivo-ne-juo-kamal/

 

 

            આજનો  સુવિચાર-
                       જીવંત માણસોનો આદર

પાષાણમાંથી બનેલી મૂર્તિમાં ભગવાનનાં દર્શન કરવાનું સમજાવવામાં ધર્મ સફળ થયો ખરો, પરંતુ  જીવંત મનુષ્યમાં ભગવાનને ભાળવાની વૃતિ કેળવવામાં એ નિષ્ફળ ગયો છે. આ  નિષ્ફળતા માનવ જાતને ખુબ મોંઘી પડી છે.કવિ ઓડેને આ વાત જરા જુદી રીતે પ્રગટ કરી છે.હોરિઝોન્ટલ અને વર્ટીકલ માણસોની વાત કરીને ઓડેન કહે છે :“ આપણે કબરમાં આડા પોઢેલા માણસોનો આદર  કરીએ  છીએ ,પરંતુ ઉભેલા (જીવંત )માણસોનો આદર કરવાનું ચુકી જઈએ છીએ.”

  ( અખંડ આનંદ માંથી સાભાર )                                    ——ગુણવંત શાહ

સાન ડિયાગો ,                                                  વિનોદ આર. પટેલ

તા- ૧૯મી ઓક્ટોબર ,૨૦૧૧ .

 

 

પ્રેરણાની પરબ – ચિંતનાત્મક અને પ્રેરણાત્મક લેખોનું આચમન

આજની પોસ્ટથી મારા બ્લોગમાં પ્રેરણાની પરબ નામનો નવો વિભાગ શરુ કરું છું. આ વિભાગમાં મારા પુસ્તક સંગ્રહમાંનાં પુસ્તકોમાંથી કે ઇન્ટરનેટના વાંચન દરમ્યાન મને ગમેલા મારી પસંદગીના પ્રેરણાત્મક અને આધ્યાત્મિક લેખો અહી મુકવામાં આવશે.આજના નીચેના બે પ્રેરણાત્મક લેખો વાંચવા તમને ગમશે.

 

તેજ લિસોટા 

મને એક વૃદ્ધની વાત યાદ આવેછે.

એંસી વર્ષની ઉમરના આ વૃદ્ધ રસ્તાની પડખે ખાડો ખોદીને એક આંબો વાવી રહ્યા હતા.

કોઈકે એમની નજીક જઈને પૂછ્યું :”દાદા,તમે આ શું કરો છો ?”

દાદાએ કહ્યું :”હું આંબો વાવું છું. ”

કોઈએક ટીખળી માણસે મશ્કરી કરી :”અરે દાદા ,તમને તે આ કેવી માયા લાગી છે!આ આંબો વાવો ક્યારે,એ ઉગે ક્યારે,એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે?”

પેલા વૃધ્ધે કહ્યું :”રસ્તા ઉપર આ જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે.તેની છાયા આજે હું માણું છું,એની કેરી હું ખાઉં છું,ત્યારે મને થયું કે હું પણ એકાદો આંબો વાવતો જાઉં કે જેથી ભાવિમાં આવનારી  જે પેઢી છે એને છાયા મળે, ફળ ખાવા  મળે. આપણને જે લાભ મળ્યો છે એ લાભ બીજાને પણ આપવાનો છે. “

વૃદ્ધની આવી ઉમદા વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે આપણે તો સમાજને કઈંક આપવાનું છે.લેવામાં મહત્તા નથી,મહત્તા તો કઈંક આપી જવામાં છે.લેવાનું કામ તો બધાંય કરી શકે છે ,આપનાર જ દુનિયામાં કોઈ વિરલ હોય છે,એટલે માનવીમાં રહેલી આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ.

આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે.પરંતુ હું તમને વિનવું છું કે તમે આકાશના સુર્ય અગર ચંદ્ર ન બની શકો તો કંઈ વાંધો નહી ,અમાસની અંધારી રાતના તારા જેવા તો જરૂર બનજો.

અમાસની રાતે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે તો તે તેજનો  લિસોટો મૂકી જાય છે,એ રીતે તમે ભલે ખુબ મહાન માનવી ન બની શકો ,પરંતુ તમારા વર્તુળમાં,તમારા સમાજમાં ,તમારા મિત્ર મંડળમાં એક તેજનો  લિસોટો મુકીને જાઓ કે જે માનવ-હૃદયમાં પ્રકાશ પાથરે.

(  પંચામૃત પુસ્તીકામાંથી )                                   —- ચિત્રભાનુ   

એક અપંગ પ્રેસિડન્ટનાં ઓજસ   

અમેરિકાના ઇતિહાસમાં ફ્રેન્કલીન ડીલાનો રૂઝવેલ્ટ (FDR) જ એક એવા પ્રેસિડન્ટ થઇ ગયા જેને અમેરિકાની પ્રજાએ કોઈ પણ ઉમેદવાર વધારેમાં વધારે ફક્ત બે ટર્મ જ પ્રેસીડન્ટ બની શકે એવો બસો વર્ષ જુનો રિવાજ તોડીને ૧૯૩૨ થી ૧૯૪૪ એમ સતત ચાર ટર્મ માટે જંગી બહુમતીથી ચૂંટી કાઢ્યા હતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે રુઝવેલ્ટ જ્યારે ૧૯૩૨માં પ્રેસીડન્ટ તરીકે ચૂંટાયા ત્યારે ૧૯૨૧ માં એમની ૩૮ વર્ષની ઉમરે આવેલ પક્ષાઘાત –પોલીઓની ભયંકર  બીમારીમાં કમરથી નીચે એમનું અર્ધું અંગ ખોટું પડી ગયું હતું ,એમના બન્ને પગ નકામા થઇ ગયા હતા.એમને વ્હીલચેરમાં જ હરવું-ફરવું પડતું હતું.આવી અપંગ હાલતમાં રુઝવેલ્ટે ચૂંટણીઓ લડવાનું શરુ કરેલું અને એક પછી એક ઊંચાં પદ સર કરતાં કરતાં છેક મોટા લોકશાહી દેશ અમેરિકાના પ્રેસિડન્ટના સર્વોચ્ચ પદે પહોંચેલા એટલું જ નહી ચાર ચાર વાર મોટી બહુમતીથી ચૂંટાઈ આવીને અમેરિકાના એક દૂરંદેશી પ્રેસિડેન્ટ તરીકે ઇતિહાસમાં એમનું નામ અમર કરી ગયા છે.આવી વિરલ  અને વિક્રમી કારકિર્દી ધરાવતા પ્રેસીડન્ટ રૂઝવેલ્ટની રાજકીય કારકિર્દી ઉપર  એક અલપઝલપ નજર નાખી લઈએ.

૧૯૧૯મા પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું એ પછી અમેરિકાની પ્રેસિડન્ટ-વાઈસ પ્રેસિડન્ટની ચૂંટણી આવી તેમાં ડેમોક્રેટીક પક્ષે રૂઝવેલ્ટને વાઈસ પ્રેસિડન્ટના પદ માટે ઉભા રાખ્યા.પરંતુ રીપબ્લીકન પક્ષના ઉમેદવારો સામે એમને હાર મળી.આ ચૂંટણી વખતે એ શારીરિક રીતે સક્ષમ હતા .પરંતુ ઉપર કહ્યું એમ ૧૯૨૧માં એકાએક એમના બન્ને પગ કમર નીચેથી નકામા થઇ જતાં અપંગ બની ગયા.એક વાઘ જેવા મજબુત રૂઝવેલ્ટ બુરી દશામાં આવી ગયા.લોકોએ માન્યું કે હવે એમની ભાવી કારકિર્દી ખલાસ થઇ જશે.અચાનક આવી પડેલી આવી દારુણ અપન્ગાવસ્થા એમની જીન્દગી માટે એક મોટો પડકાર હતો.રુઝવેલ્ટે આ પડકારને હિંમતપૂર્વક ઝીલી લીધો.આવા કસોટીના કાળમાં જ એમનું આંતરિક ખમીર જાગી ઉઠ્યું અને એમણે બમણા જોશથી ફરી રાજકારણમાં ઝંપલાવ્યું.૧૯૨૮માં એ ન્યુયોર્ક રાજ્યના ગવર્નર તરીકે ચૂંટાઈ આવ્યા.ગવર્નર તરીકે એમણે રાજ્યનો સુંદર વહીવટ કરી બતાવ્યો.

ન્યુયોર્ક રાજ્યના ગવર્નર તરીકેની એમની કામગીરી સૌને એટલી ગમી ગઈ હતી કે ડેમોક્રેટીક પક્ષે ૧૯૩૨ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં રૂઝવેલ્ટને ઉભા કર્યા .પહેલા વિશ્વ યુદ્ધની વિપરીત અસરોને લીધે એ વખતે દેશમાં અત્યારે છે એના કરતાં અનેક ગણી બદતર ઈતિહાસની સૌથી ખરાબ આર્થિક મંદી શરુ થઇ હતી.કરોડો લોકો બેકાર બની ગયા હતા.ઉદ્યોગો ઠબ થઇ ગયા હતા, હિંસાખોરી વધી રહી હતી.આવા સમયે દેશના પ્રેસિડન્ટ બનવું અને દેશને મંદીના કુવામાંથી બહાર કાઢવો એ મોટું જોખમ અને એમની જિંદગીનો મોટામાં મોટા પડકાર હતો. રુઝવેલ્ટએ બહાદુરીથી આ પડકાર ઝીલી લીધો.આવા સમયે બાહોશી બતાવીને રુઝવેલ્ટે તત્કાલીન પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે એમનો જાણીતો “ન્યુ ડીલ”નામનો નવીન કાર્યક્રમ પ્રજા સમક્ષ રજુ કર્યો.દેશની પ્રજાને આ વિચાર એટલો ગમી ગયો કે એ ચૂંટણીમાં રુઝવેલ્ટ એમના હરીફ કરતા આઠ ગણા વધુ મતે પ્રેસિડન્ટની ચૂંટણી વ્હીલચેરમાં બેઠાં જીતી ગયા.પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી એમનો ન્યુ ડીલ કાર્યક્રમ દેશભરમાંથી ચૂંટેલા અર્થશાસ્ત્રીઓ ,વિદ્વાનો,વૈજ્ઞાનિકો વિગેરેની સેવાઓ લઈને અમલમાં મુક્યો. ગરીબ અને માધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે સેંકડો કાયદા પસાર કરાવ્યા.ત્યાર પછીની ૧૯૩૬ની  ચુંટણીમાં પણ વિરોધ પક્ષના ભયંકર વિરોધ અને અપ્રચાર છતાં એમના હરીફ કરતા સિત્તેર ગણા વધુ મત મેળવી એ જીતી ગયા હતા. 

ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ વખતે આ પ્રેસિડન્ટે એમનું સાચું ખમીર બતાવીને અમેરિકાના એક શ્રેષ્ઠ સર સેનાપતિ-commander-in-chief-સાબિત થયા અને મિત્ર દેશોની સાથમાં રહીને વિશ્વને જીતી લેવા નીકળેલા હિટલર જેવા સરમુખત્યારોને ભોંય ચાટતા કરી દીધા.૧૯૩૨ થી ૧૨મી અપ્રિલ,૧૯૪૫માં એમનું અવસાન થયું ત્યાં સુધીના ૧૩ વર્ષ દરમ્યાન અમેરિકાની પ્રજાએ ચાર વખત એમનામાં વિશ્વાસ મુકીને મોટી બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે રૂઝવેલ્ટને ચૂંટી કાઢ્યા હતા.જે દેશ ૧૯૩૧-૩૨ની કારમી મંદી,બેકારી અને ભૂખમરાનો શિકાર બની ગયો હતો એ દેશ રૂઝવેલ્ટના કાર્યદક્ષ વહીવટ નીચે ૧૯૪૪ સુધીમાં તો વિશ્વનો સૌથી શક્તિશાળી( સુપર પાવર ) બની ગયો હતો. આ બધું શક્ય બન્યું એની પાછળ પોલીઓની બીમારીમાં જેનું અડધું અંગ કામ કરતું ન હતું એવા એક અપંગ પણ કોઈ પણ રીતે નહીં અશક્ત એવા અમેરીકાના ઇતિહાસમાં અમર બની ગયેલ બાહોશ પ્રેસિડન્ટ રુઝવેલ્ટના દુરંદેશી ભર્યા કામની કમાલ હતી.એમના જીવનનો એક જ મન્ત્ર હતો “જો આપણે ભય ઉપર વિજય મેળવી લઈએ તો પછી આપણે બીજા કશાનો ભય રાખવાનો હોય નહી.—We have nothing else to fear but fear itself”.

પ્રેસિડન્ટ રુઝવેલ્ટ એક યુવાનને પણ શરમાવે એટલો પરિશ્રમ કરતા.થાકને તો એ ઓળખતા જ નહી.એમના આ ગુણને ઉજાગર કરતો નીચેનો એમના જીવનનો એક પ્રસંગ આપણને વિચાર કરતા કરી દે એવો છે.

એકવાર સેંકડો માઈલનો પ્રવાસ કરીને આવ્યા પછી એમણે પોતાના સેક્રેટરી પાસે બાકી રહેલા કામની ફાઈલો માગી.સેક્રેટરીએ લાગણીથી કહ્યું “મિસ્ટર પ્રેસિડન્ટ,જરાક તો આરામ કરો!આમ સતત કામ કરવાનું તમારાથી કેવી રીતે બની શકે છે?”

પ્રેસિડન્ટ રુઝવેલ્ટે કહ્યું :”ભાઈ,એમ થાકી જવાનું મને ન પાલવે.તમને ખબર નહીં હોય કે મને પક્ષાઘાત થયો તે પછી સતત બે વર્ષ મહેનત કરીને મેં મારો અંગુઠો હાલતો-ચાલતો કર્યો હતો.એક અંગુઠો હલાવવા માટે બે વરસ લાગે તો મારે તો આખું અમેરિકા ચલાવવાનું છે !”            

પોતાની અપન્ગાવસ્થા ઉપર હિમ્મતપૂર્વક વિજય મેળવનાર પ્રેસિડન્ટ રુઝવેલ્ટના જીવનની આવી અનોખી દાસ્તાન,પોતાની શારીરિક ક્ષતિઓથી નિરાશા અને હીનભાવ(inferiority complex ) અનુભવતી અનેક વિકલાંગ વ્યક્તિઓ અને અન્ય સૌ કોઈને માટે એક મોટી પ્રેરણા પૂરી પાડે છે. 

(સૌજન્ય –શ્રી યશવંત મહેતા કૃત પુસ્તિકા                ( સંકલન – વિનોદ પટેલ )

           અપંગ નહિ અશક્ત )  

જ્યાં આનંદ છે ત્યાં મહાશક્તિ છે.

 “તે“ આનંદમય છે.

તો આનંદને લક્ષ્ય બનાવી લ્યો.

સર્વ સમયે આનંદ આપો, લ્યો ,જુઓ ,સાંભળો.

નિરાનંદ એ મૃત્યુંનું લક્ષણ !

એવા ભાવ આવે તો ભગાડી દો.

બોલો :”હું તો આનંદનું સંતાન છું.એનો ગર્વ કરો.

ધનવાનનો પુત્ર કદી પોતાને ગરીબનો દીકરો ગણાવશે ખરો કે ?

તમારી પાસે સર્વ કાંઈ હોવા છતાં –

ભિખારીની જેમ શું કામ જીવો છો?

ભય, ઉદ્વેગ ,હતાશા –એમને હંમેશા દુર રાખો

જ્યાં આનંદ છે ત્યાં મહા શક્તિ છે.

                         ——- મા આનંદમયી 

વીણેલાં મોતી- સુવાક્ય સંગ્રહમાંથી

૧.  સુખનું એક દ્વાર બંધ થાય છે તો બીજું દ્વાર ખુલી જાય છે.પરંતુ હંમેશા આપણે   બંધ દ્વારને  જ જોતા રહીએ છીએ કે જેથી જે નવું દ્વાર ખુલી ગયું છે તેને જોઈ શકતા નથી.                                                     ——– હેલન કેલર               

૨.માણસ જિંદગીમાં બે વખત બદલાઈ જતો હોય છે-એક,જ્યારે કોઈ એની જિંદગીમાં આવે છે અને બીજું,જ્યારે કોઈ એની જિંદગીમાંથી જતું રહે છે.   —-અજ્ઞાત                                                                                                       

૩.  ચિંતા  એટલે મુસીબતની થાપણ પાકે તે પહેલાં તેની ઉપર આપણે ચૂકવેલું વ્યાજ અને આજનો સુરજ કાલના વાદળ પાછળ ઢાંકી દેવો તે.          — અજ્ઞાત 

I am grateful for all my problems.After each one was overcome, I became stronger and more able to meet those that were still to come. I grew in all my difficulties.              —– James Cash Penny (Founder of J.C.Penny

_______________________________________________________________________

સાન ડિયાગો ,ઓક્ટોબર ૧૫,૨૦૧૧.                          વિનોદ આર. પટેલ

                                                                                  

 

               

 

મારું ગામ ડાંગરવા- વતનપ્રેમી શ્રી કેન પટેલનો લેખ

આ પહેલાની તા-૭મી ઓક્ટોબરની પોસ્ટમાં મેં જણાવ્યું હતું એ પ્રમાણે આજની પોસ્ટમાં શ્રી કેન પટેલનો ન્યૂયોર્કથી પ્રકાશિત થતા સાપ્તાહિક ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલો લેખ “મારું ગામ ડાંગરવા “ મુકેલ છે. આ લેખમાં અમારા વતનના ગામનું આબેહુબ વર્ણન એમણે કર્યું છે, જે તમને વાંચવું ગમશે.

શ્રી કેન પટેલ એમની લગભગ ૮૦ વર્ષની જૈઈફ ઉમરે નોર્થ બર્ગન,ન્યુ જર્સી માં   એમનાં ધર્મપત્ની મેનાબેન સાથે રહીને  ઉત્સાહપૂર્વક સીનીયર સીટીઝનોના પ્રશ્નો ઉકેલવામાં મદદ અને ત્યાંના સ્વામીનારાયણ મંદિરમાં નિયમિત સેવા આપી રહ્યા છે.હમણાં આ મંદિરે સોંપેલ સત્સંગની કેટલીક ગુજરાતી પુસ્તિકાઓનું અંગ્રેજી માં ભાષાંતર કરવાનું કામ વિના મુલ્યે કરી રહ્યા છે.ગુજરાત ટાઈમ્સમાં અવારનવાર ગુજરાતી લેખ અને કાવ્યો મોકલતા રહે છે. એ જાણીને નવાઈ લાગે એવું છે કે ન્યુ જર્સીના જાણીતા અંગ્રેજી અખબાર Hudson Reporter માં એમનાં અત્યાર સુધીમાં લગભગ ૧૩૦ અંગ્રેજી કાવ્યો પ્રગટ થયાં છે. એમાંથી ૧૦૦ અંગ્રેજી કાવ્યોની એમણે બે બુકો OVER THE SEA અને THE WEST HORIZON છપાવીને બહાર પાડી છે.આ બુકોની પ્રસ્તાવનામાં હડસન રિપોર્ટર અખબારના Editor-IN- Chief નો કેન પટેલનાં કાવ્યોની પ્રસંશા કરતો જે  લાંબો અભિપ્રાય સામેલ છે એમાંના કેટલાક વાક્યો આ છે:”Poet Ken Patel sees the world in a special way.. .Mr. Patel’s poems are an oasis of beauty and life..His unique talent has allowed him to pen lively ,insightful poems about everything…With his rare eloquence and ability to rhyme abuot any subject ,he has pleased and astounded our readers of The Hudson Reporter.”શ્રી કેન પટેલ સીનીયર સીટીઝનો માટે એક  ઉદાહરણ રૂપ છે.

મારું  ગામ ડાંગરવા                                      લેખક કેન પટેલ (કાન્તીભાઈ એન. પટેલ ) 

મારા ગામ ડાંગરવાની આ બધી વિગતો હુ સમજણો થયો એ સમય એટલે કે આજથી લગભગ  ૭૦-૭૫ વર્ષ પહેલાની છે.

“ડાંડ ગામ ડાંગરવા  ને

ચૌટા વચ્ચે ચોરો

વાણીયા બ્રાહ્મણ મરી પરવાર્યા

ને વેપાર કરે વ્હોરો.”

ઉપરોક્ત લોકોક્તિ એક સમયે સો ટકા સાચી હતી.

ડાગરવા ગામ વચ્ચો વચ્ચવહોરાજીનીદુકાનહતી.તેઓ લોખંડનાં તગારાં,સાંકળો ,ખીલી તથા મિજાગરાનો વેપાર કરતા .ગામમાં તેમનું જ માત્ર એક જ મુસલમાન કુટુંબ હતું અને બઘા સાથે પ્રેમ ભાવથી હળીમળીને રહેતું હતું.

ડાંગરવા અમદાવાદથી મહેસાણા જતી રેલ્વે લાઈન પર લગભગ ત્રીસ માઈલના અંતરે આવેલું છે. અમદાવાદથી ઉપડેલી મહેસાણા જતી રેલ્વે ગાડી જ્યારે બોરડીઓના ઝુંડમાં પ્રવેશે ત્યારે સમજી લેવું કે ડાંગરવા ગામ આવી ગયું. ડાંગરવાનાં મોટાં મજાનાં રા બોર બધે વખણાય.

ડાંગરવાના રેલ્વે સ્ટેશનેથી બહાર નીકળો કે ગાયકવાડ સરકારનું મહેમાન ગૃહ આવે.ગાયકવાડ સરકાર જ્યારે ગામડાંની મુલાકાતે આવે ત્યારે તેમનો રસાલો અહીં પડાવ નાખતો.આજુબાજુનાં ગામોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ થતા.મહારાજા ત્યાંથી જ વિધવાઓ,ત્યકતાઓ તેમ જ અનાથ બાળકોને ગુપ્ત દાન આપતા.ગ્રામ જનોનો દરબાર પણ ત્યાં જ ભરાતો અને રૈયતનો રાજા સાથેનો સંપર્ક જળવાઈ રહેતો. આમ એ ઈમારતનો ભૂતકાળ ભવ્ય છે.

મહેમાનગૃહથી પૂર્વ દિશામાં લીમડાનાં વિશાળ વૃક્ષોથી આચ્છાદિત રાજમાર્ગ ગામ તરફ જાય છે.એ રાજમાર્ગની ડાબી બાજુ બસ સ્ટેન્ડ,બે ત્રણ હોટલો,હાઈસ્કુલ, હોસ્પિટલ,પશુ ચિકિત્સાલય,કન્યા શાળા,કુમાર શાળા ,પોસ્ટ ઓફીસ,બાળ મંદિર અને અંતે પંચાયત કચેરી આવેલા છે.ગામ વચ્ચે દેના બેંક ,દુધની ડેરી અને બઝાર આવેલાં છે.

આમ તો ડાંગરવા ગામ જાણે વટનો કટકો !એક સમયે વટમાં ને વટમાં ગાયકવાડ સરકાર સામે શિંગડાં ભીડાવેલાં,પરંતુ પછી સમાધાન થયેલું.ગામ લોકોએ એકવાર બહારવટિયા મીરખાનને પણ ભીડાવેલો.

સામાન્યપણે ગામમાં અઢારે વર્ણના લોકો વાસ કરે છે,પરંતુ મુખ્ય વસ્તી રજપૂતો અને પાટીદારોની છે. રજપૂતોની અટક ડાભી છે એટલે ગામ ડાભીના ડાંગરવા તરીકે પણ જાણીતું છે.ગામમાં લોકોનો મુખ્ય વ્યવશાય ખેતી અને પશુપાલન છે .કેટલાક લોકો નજીકમાં આવેલા કલોલ શહેરમાં કામે જાય છે.વાણીયા–બ્રાહ્મણોનાં કુટુંબો આજીવિકા માટે સ્થળાંતર કરી ગયાં છે.

મારા ગામ ડાંગરવાની આબાદી લગભગ સાત હજારની હશે,અને એ કડીને બાદ કરતાં તાલુકાનું સૌથી મોટું ગામ છે.આજુબાજુ આવેલાં નાનાં અનેક ગામોનું એ કેન્દ્ર છે.વળી બસસેવા તેમ જ પોસ્ટનું પણ કેન્દ્ર છે.ગામમાં ૧૯૩૯થી સહકારી મંડળી સુંદર કામ કરી રહી છે.

હા, ડાંગરવા ગામનાં બે વાનાં પ્રખ્યાત,એક બોર અને બીજાં મરચાં.એક જમાનામાં ડાંગરવામાં પાકેલાં મરચાંનો અમદાવાદના માધુપુરાના માર્કેટમાં સિક્કો વાગતો અને એ બોર ગાયકવાડ મહારાજા આરોગતા.એટલે ગામના માણસો સ્વભાવે તીખા મરચાં જેવા, છતાં અનુભવે મીઠા બોર જેવા!

મારું ગામ ડાંગરવા આઝાદી પહેલાંથી જ ભારે પ્રગતિશીલ હતું.ગામમાં અંગ્રેજી શાળા ૧૯૪૫માં શરુ થયેલી.કડી શહેરને બાદ કરતાં એ વખતે તાલુકામાં માત્ર તે એક જ અંગ્રેજી શાળા હતી જે ગામના સેવાભાવી સજ્જન રેવાભાઈ પટેલ અને અર્જુનસિંહ ડાભીએ ભાડાના મકાનમાં એ જમાનામાં શરુ કરેલી જે પછી વિકસીને પોતાના સ્વતંત્ર મકાનમાં શિક્ષણ આપતી થઇ હતી.સ્ટેશન નજીક શાળાના સ્વતંત્ર મકાનના બાંધકામ વખતે રેવાભાઈના મોટાભાઈ ભાઈચંદભાઈએ સાઈટ ઉપર જાતે દેખરેખ રાખીને અમુલ્ય સેવા આપી હતી.અહી ભણેલા વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં ઠરીઠામ થઇ સુખી થયા છે.વિસુભાઈ પટેલ ૧૯૫૫માં અમેરિકા આવેલા.એ સમયે સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ભાગ્યે જ કોઈ અહી આવેલું.વળી,ગામના બીજા સેવાભાવી નારાયણભાઈ,સ્વ.વર્સાજી કાકા તથા સરદારજી સાહેબ જેવા ગ્રહ્સ્થોએ ગામના વિકાસમાં સારો એવો રસ લીધો હતો.

સોનામાં સુગંધરૂપે આઝાદી પહેલાં કરાંચી મેલ ડાંગરવાથી પસાર થતો.લોકોમોટીવ ત્યાંના વોટર કોલમ પરથી પાણી લેતું અને કરાંચી ભણી રવાના થતું.અમારા ગામનાં કેટલાંક કુટુંબો કરાચીમાં રહેતાં હતાં.દેશનું વિભાજન થયું એટલે ત્યાંથી વતન પરત આવી ગયાં હતાં.

એ જમાનામાં ગામની સૌથી સુખી વ્યક્તિ પટેલ કાનદાસ અમીચંદદાસ હતા.આ કાનાભાનો ગામમાં ડંકો વાગે.ગોળ કપાસનો ભારે વેપાર અને ઘરે ઘોડી તથા સેવામાં નોકર ચાકરો હમેશા હાજર. એમને ત્રણ પત્ની હતી.એ વખતે સુખી માણસો એક કરતા વધુ પત્નીઓ સાથે લગ્ન કરી શકતા .બીજી સુખી વ્યક્તિમાં મારા પિતાજી પટેલ નારણદાસ ધન્શાહ હતા.ઘરે સારી એવી જમીન અને સેવામાં નોકર ચાકરો પણ હાજર હતા.વળી ગામના મુખીને નાતે સારો એવો ગાયકવાડ સરકાર બક્ષિત   મોભો હતો.બીજી અગત્યની સુખી વ્યક્તિમાં એક સંત જેવા પવિત્ર અને સદાચારની મૂર્તિ જેવા ગામના સ્વામીનારાયણ મંદિરમાં કોઠારી તરીકે પ્રમાણીકતાથી પાઈ પાઈનો હિસાબ રાખતા શિવદાસ માધવદાસ પટેલ હતા.એમને સારી એવી ખેતીવાડી અને કાપડની દુકાન હતી.એમના ત્રણ પુત્રો ભાઈચંદભાઈ ,રેવાભાઈ અને પ્રહલાદભાઈ નો વિશાળ પરિવાર ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી આજે અમેરિકામાં વર્ષોથી સારી રીતે સેટ થઈને સપરિવાર સુખી છે જે એમની નિસ્વાર્થ સેવાના સંસ્કારો  અને  નેકદિલ ભક્તિનું ફળ છે એમ હું માનું છું.

ગામમાં ગ્રામસેવક જેવા એક મોહનદાસ “ઢાઘો” તરીકે જાણીતા ગામની સેવા કરવાનું કાર્ય કરતા .ગામની ગાયોનાં ઘાસ તથા કુતરાંના રોટલાની વ્યવસ્થા કરતા હતા.પોતે વિધુર હતા અને હાથે રાંધી ખાતા.આ માહોલમાં ગામ લોકોએ એક જોડકણું રચેલું ” કાનાભાને ત્રણ બૈરાં ને મોહન ઢાઘો હાથે રાંધે”.  વળી રજપૂતોમાં વરસાજીકાકા અને    સરદારજી સાહેબ ભારે પ્રગતિશીલ હતા અને ગામનાં બાળકોની કેળવણીમાં સારો એવો રસ લેતા.હરિજન કુટુંબોમાં ખુશાલભાઈનો ચાંદ સોળે કળાએ ખીલ્યો હતો.ચામડાનો વેપાર અને ઘરને બારણે રાણી છાપ રૂપિયા જડેલા તે આજુબાજુના ગામોના લોકો જોવા આવતા હતા.ગામનાં વણિક કુટુંબોમાં કાલિદાસ,મનસુખલાલ અને શાંતિલાલ શેઠ હતા. તેઓ વેપાર અને ધીરધારનો ધંધો કરતા.ગામના છોકરાઓ પરણીને આવે ત્યારે પહેલો ઉતારો તેમને ત્યાં કરતા.આમ ધંધા માટેના સંબંધો જાળવી રાખતા હતા.

બ્રાહ્મણોમાં લક્ષ્મીચંદ ગોરપદુ કરતા અને રક્ષા બંધનના દિવસે ગામના છોકરાઓને રાખડીઓ બાંધતા અને એમને  રાજી   કરતા  અને  ગામ લોકોના  લગ્ન  પ્રસંગો  , મૂહર્ત જોઇને પતાવતા.         ગામના નરશીહ ભા બ્રિટીશ ફોજમાં આર્મર  હતા .ગામના લોકોને તમંચા બનાવી આપતા . હાલતા ચાલતા રેડીઓ ઘર સમાન સોમાભાઈ નાઈ અવિસ્મરણીય પાત્ર છે .ગામને ઓટલે બેસી બીડીના ધુમાડા કાઢતા જાય અને તાજા સમાચાર રીલે કરતા જાય.રસ્તે જતા છોકરાને પકડી બાળ કાપી લેતા.આ રીતે ગામની અઢારેવર્ણ એકબીજા સાથે વારસાગત રીતે સબંધો જાળવી સુખશાંતિથી રહેતી હતી.

હા, ગામ પર ખરો પ્રભાવ તો સ્વામી નારાયણ સંપ્રદાયનો વર્તાય છે.ભગવાન શ્રીસહજાનંદ સ્વામી ગામમાં બત્રીસ વખત પધારેલા.ગામના અગ્રોજી અને અમરોજી રજપૂત મહારાજના પાર્ષદ હતા.આજીવન મહારાજની સેવામાં હાજર રહેતા.વળી રતનબા અને જતનબા મહારાજનાં પરમ ભક્ત હતાં.ભગવાનને ભાવથી જ્માડેલા તે પાત્રો હાલ પણ મોજુદ છે જે આ ભવ્ય ઈતિહાસની સાક્ષી પુરે છે.આજે પણ ભગવાન સ્વામીનારાયણનાં બે વિશાળ મંદિરો ગામની શોભામાં અને સંસ્કારોમાં અભિવૃદ્ધિ કરી રહ્યાં છે.

ખરી રંગત તો દિવાળીના ગરબામાં જામતી હતી.ફૂલોથી શણગારેલા અને આકાશને આંબવા જતા એ ગરબાની ફરતે ઘૂમતી ગામની મા-બહેનો અને નવી નવેલી વહુવારુઓનું એ દ્રશ્ય જોવાની ઓર મજા આવતી.”ચાંદો ઉગ્યો દાડમ તારા ચોકમાં રે” જેવાં લોક્ગીતોની રમઝટથી સવાર પડી જતી.ગરબાને વળાવી ખેડૂતો રવી પાકના વાવેતરમાં પડી જતા.માગશર પોષમાં ખેતરો લહેરાઈ જતાં.મહા માસ આવતાં સોનાવર્ણાં બની જતાં.ફાગણમાં કાપણી શરુ થતી અને ખળાં પડી જતાં.હોળી આવતાં ખેડૂતો ફાગ ખેલવા નવરા પડી જતા.વળી પાછા ઉનાળુ જુવાર બાજરીના વાવેતર થઇ  જતાં અને ખેતરો હરિયાળીથી લહેરાઈ જતાં.આમ બારે માસ ઋતુ ચક્ર પ્રમાણે ખેતી કામ ચાલ્યા કરતું. આજે એ જ ખેતરો પાણીના અભાવે વેરાન-વગડા જેવાં થઈ ગયાં છે એ જોઈને હૈયું દુઃખથી હચમચી જાય છે.

અમે બાળ ગોઠીયા ઉનાળાની રજાઓમાં ખેતરો ખુંદી વળતા.બાપુજીના આંબાવાડીયાની મીઠી સાખો, ગુંદા ,ખોખાં, રાયણા અને પેપાં ખાવાની મજા માણતા.ટેટી,તરબુચ અને કાકડી ખાવાના જલસા કરતા અને પછી કુવામાં ભર બપોરે ડબુકીયાં મારી ઠંડા થતા.આજે પણ એ કોયલોના ટહુકા અને સાપોના સળવળાટ મારી ઊંઘ હરામ કરી રહ્યા છે. એ કાબરોનો કલરવ અને મોરલાની ટેહુક સાદ દઈ રહ્યાં છે. ગોધૂલી સમયે ભાગોળે આવતાં ગાડાં અને ભેસોનાં લાંબાં પૂંછડે લટકવાની લિજ્જત કઈંક ઓર જ હતી! એ કિચુડ કિચુડ કરતાં ગાડાં અને ખેડૂતોના ડચકારાના ભણકારા આટલાં વર્ષો પછી પણ મારે કાને વાગી રહયા છે.

થાકીને લોથ થયા બાદ ગામ કુવાના હવાડે હાથ-પગ ધોઈ સાંજે આરતી સમયે મંદિરે ઝાલર-નગારાં વગાડવા દોડી જતા .પ્રસાદ લઈને વાળું કરવા ઘરે આવી જતા.

પાદરેથી વહેતો એ વાંકળો,ઘેઘુર વડ,અને વગડાનાં રાયણ,આંબા અને મહુડાનાં વૃક્ષ આજે પણ મારા શમણામાં આવી રહ્યાં છે.એ કોશીયાનો કોલાહલ અને હળ-સાંતી હાંકનારના હોંકાટા હવે ભવ્ય ભૂતકાળના લીસોટા સમાન થઇ ગયા છે.જે ગામની ધૂળમાં હું આળોટ્યો એ ધૂળ,અને જ્યાંના પાકેલાં ધાન ખાધાં છે અને પાણી પીધાં છે એ મારા ગામ ડાંગરવાની માયા અને મમતા આજ પણ મારા હૈયામાં એવીને એવી અકબંધ છે.મારા ગામની એ ધરતીની ધૂળ અને માટીની મહેંકને મારા હાર્દિક પ્રણામ  અને મારા ગોકુળીયા ગામને સો સો સલામ. અંતે આંખમાં આંસું સાથે એટલું જ કહું કે –ઊંટ મરશે તો પણ એનું મુખ તો મારવાડ સામું જ રાખશે!.

                                                                              ——–કેન પટેલ

___________________________________________________________

એક નોધ

શ્રી કેન પટેલે એમની  બાળપણની સ્મૃતિથી એમના ઉપરના લેખમાં એ સમયના ગામનું વર્ણન કર્યું છે.એ પછી હાલમાં સમયના બદલાવાની સાથે પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે.ગામમાંથી ઘણા ખેતીવાડી મુકીને અમેરિકા કે અન્યત્ર કમાવા જતા રહ્યા છે.ગામમાંથી સામાન્ય સ્થિતિના માણસો આજે અમેરિકા જઈ સારું કમાઈને મોકલેલ ડોલર ગામમાં પગરવ કરતાં ઘરોમાં અને બીજે રોનક દેખાય છે પરંતુ દારૂ અને અન્ય વ્યસનોએ અને બદીઓએ પણ ડોલરની સાથે ગામમાં પગ પેસારો કર્યો છે.ખાસ કરીને યુવાનો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની અવળી અસર પડી છે. કેન પટેલે એમના એક પત્રમાં લખ્યું હતું કે :”૨૦૦૫માં હું ઇન્ડિયા ગયો ત્યારે મારા જુના ઘરની મુલાકાત લીધી.એક વખત જ્યાં પગ મુકવાની જગ્યા ન હતી તેવા ૭૦ ઘરના મહોલ્લામાં ફક્ત ૭ ઘર ખુલ્લાં હતાં.બાકીનાં બધાં હિજરત કરી ગયાં હતાં. આ ડરામણા ચિત્રે મારા મનનનો કબજો લઇ લીધો.મન વિચારે ચડ્યું કે શું થઇ ગયું આ મારા  ગોકુળીયા ગામનું ? ”

આવી પરિસ્થિતિ આજુબાજુનાં  લગભગ બધાં  જ ગામોની થઇ છે.આજે ગામડાં ભાંગી રહ્યા છે. એક વખતની આદર્શ ગ્રામ્ય વ્યવસ્થાનો અને સંસ્કૃતિનો જાણે કે આજે હ્રાસ થઇ રહ્યો છે.

                                                                                            —— વિનોદ પટેલ

      મનનીય  સુવાકયો 

“ જન્મ થાય ત્યારે આપણને પહેરાવેલા ઝભલામાં ગજવું નથી હોતું. મરણ પામીએ ત્યારે પણ કફનમાં ગજવું નથી હોતું. અને આપણે માનવી ગજવામાં ભરવા ધન કમાવામાં આખી જીન્દગી ખર્ચી નાખીએ છીએ.”    —અજ્ઞાત

                               કરજદાર છીએ

“ ન બોલે તેને બોલાવજો, જે ન આવે તેને ઘેર જજો,રિસાય તેને રીઝવજો. ને આ બધું  તેમના ભલાના માટે નહી પણ તમારા ભલાને સારું કરજો ! જગત લેણદાર છે,આપણે એના કરજદાર છીએ.”         —મોહનદાસ કે. ગાંધી

_______________________________—-_______________________________

સાન ડિયાગો

તા-ઓક્ટોબર,૧૦,૨૦૧૧                       વિનોદ આર. પટેલ

માદરે વતનની ધરતીની ધૂળને અને એ માટીની મ્હેકને પ્રણામ—વતનપ્રેમ

સપ્ટેમ્બર ૨, ૨૦૧૧ ના રોજ  મેં મારા ગુજરાતી બ્લોગ વિનોદ વિહારની શરૂઆત કરી તે પછી એક  મહિનાના અંત સુધીમાં કુલ સાત પોસ્ટ મેં એમાં મૂકી હતી જેને સારો એવો પ્રતિભાવ મળ્યો છે. જેમ જેમ આ બ્લોગની જાણ બધાંને  થતી જશે એમ એમ વાચકોના આંકમાં વધારો થતો રહેશે.મારા બ્લોગની મુલાકાત લેનાર સૌ વાચકોનો આભાર માનું છું .

સપ્ટેમ્બરમાં મારા બ્લોગની પહેલી પોસ્ટમાં મેં મારા બ્લોગની શરૂઆત થયાનું જાહેર કર્યું ,તે પછી મને ઘણા મિત્રો/સ્નેહીઓના ઈ-મેલ મળ્યા હતા. એમાં તા-૩જી સપ્ટેમ્બર,૨૦૧૧ ના અમારા શિ.મા. ફેમિલીના એક સભ્ય, કઝીન ભાઈ નટુભાઈ પટેલે એમના ઈ-મેલમાં આ પ્રમાણે જણાવ્યું હતું:

“ Dear  Vinodbhai, I am very delighted that you are writing this blog so that we can also enjoy reading it.

Please publish as much as possible on what you already have written in your note books.Also it would be very much of our interest if you can write some of our family history or about certain family events or about Dangarwa. Thanks, Natu.”  

હ્યુસ્ટનથી મારા માસીના દીકરા બીજા એક કઝીન ભાઈ ચીમનભાઈ પટેલે એમના ઈ-મેલમાં મને સૂચન કર્યું હતું કે મારા બ્લોગમાં મારા જીવનના યાદગાર પ્રસંગો અને મેં જીવનમાં જે કંઈ પણ સંઘર્ષ વેઠ્યો હોય એ વિષે પણ લખવું.ઈ-મેલના અંતે એમણે એમની આગવી રીતે ઉમેર્યું કે “ ચમને તમને ચિનગારી ચાંપી છે, એને બુઝાવા ન દેતા.” અમદાવાદમાં રહેતાં લેખિકા શ્રીમતી અવંતિકાબેનએ પણ ફોન ઉપર આવા જ મતલબનું  સૂચન કર્યું હતું.  

આ બન્ને ભાઈઓનાં અને અવંતિકાબેનના આ વિચારવા જેવાં સુચનો માટે આભારી છું. એમના સૂચનોનો  શક્ય હશે એટલો અમલ કરવાને માટે પ્રયત્ન કરવાનો મનમાં વિચાર તો છે.

આ સૂચનોના અનુસંધાનમાં આજની પોસ્ટમાં મારો વતનપ્રેમ વિશેનો “વ્હાલું લાગે મને મારું વતન “ નામનો એક લેખ જે આ અગાઉ ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલો એમાં થોડા સુધારા વધારા કરીને મુક્યો છે.

હવે પછીની પોસ્ટમાં મારા મૂળ વતનના ગામ ડાંગરવા ઉપર મારા એક કુટુંબી કાકા શ્રી કાન્તીભાઈ એન પટેલ (કેન પટેલ )એ લખેલ અને ગુજરાત ટાઈમ્સમાં પ્રગટ થયેલ એક સુંદર લેખ મુકવામાં આવશે.
___________________________________________________________________

વ્હાલું લાગે મને મારું વતન                                     લેખક-   વિનોદ આર. પટેલ

સંસ્કૃતમાં એક સરસ વાક્ય છે કે “જનની જન્મભૂમિસ્ચ સ્વર્ગાદપિ  ગરીયસી” એટલે કે જન્મદાતા મા અને જ્યાં જન્મ થયો હોય એ વતનની ધરતી સ્વર્ગ કરતાં ય ચડિયાતાં છે.

સારા ભવિષ્ય માટે અને સારી કમાણી કરી જીવન ધોરણને બહેતર બનાવવા માટે માટે વતનનો મોહ મુકીને વતન બહાર નીકળવું પડે છે અને માદરે વતનથી હજારો માઈલ દુર અમેરિકા ,યુ .કે.,યુરોપ,આફ્રિકા વગેરે દુનિયાના અનેક દેશોમાં આવીને વસવાટ કરવો પડે છે.આમ છતાં વતનથી દુર આવીને વસેલ દરેક ભારતીયને એ કહે યા ન કહે ,પોતાના અંતરમાં પોતાના વતન માટે થોડા વત્તા અંશે પણ આકર્ષણ તો રહેતું જ હોય છે.

જ્યાં જન્મ થયો હોય ,બાળપણ અને  સૈશવ કાળ વિતાવ્યો હોય,ગીલ્લી દંડા રમ્યા હોઈએ, ખેતરોમાં હર્યા ફર્યા હોય,બોરડીના બોર ખાધા હોય એ વતનને જલ્દી કેમ કરીને ભુલાય.?માટીના ચુલા પર ધીમા તાપે શેકાયેલ પોતાના જ ખેતરની લીલીછમ બાજરીના પૂર્ણ ચંદ્રમા જેવા ગોળ ગોળ બાજરીના રોટલા પર બાએ હેતથી તાજા વલોણામાંથી તારવેલ તરબર માખણ લગાડ્યું હોય એની સાથે ખેતરનાં  આથેલાં મરચાં સાથે ખાવાનો એ અનોખો સ્વાદ અને લિજ્જત ,એવાં બધાં મનમાં ઊંડે સચવાયેલાં વતનનાં  સંસ્મરણોને કેમ કરીને ભૂલી શકાય ?આ બાજરીના રોટલાના સ્વાદ આગળ તો મેક્સિકન પિત્ઝાનો સ્વાદ પણ   ઘણો ફિક્કો લાગે !

વતનની ધરતી પર પહેલા વરસાદ નાં ફોરા પડતાની સાથે જન્મતી ભીની માટીની  એ સુગંધ અમેરિકાના આસ્ફાલ્ટના રસ્તાઓ અને ગગનચુમ્બી કોન્ક્રીટ પોલાદના જંગલો ક્યાંથી આપી શકે !

વતનનો પ્રેમ છું ચીજ છે એ વાત વતનથી દુર રહેનાર ખુબ સારી રીતે જાણે છે.મશહુર ગઝલકાર અને ગાયક પંકજ ઉધ્હાસ અમેરિકામાં એમના પ્રોગ્રામમાં જ્યારે વતનસે ચિઠ્ઠી આઈ હૈ એ ગીત લલકારે છે ત્યારે ઘણા વર્ષોથી  અહી રહેતા હોવા છતાં ઘણા ભારતીય અમેરિકનોની આંખોમાં આંસુ ડોકાય છે એ શું બતાવે છે?

બાબર હિન્દુસ્તાનનો શહેનશાહ બન્યો પણ  એના હૈયે વતનપ્રેમ જ્વલંત હતો .તેને હમેશાં મધ્ય એશિયાનાં તરબુચ યાદ આવતાં હતાં.જગવિખ્યાત લેખક અને પ્રખર વિચારક રશિયાના મહાત્મા લિયો ટોલસ્ટોય એક વખત એમના વતનના ગામ યાસ્નાયા પોલ્યાનાની મુલાકાતે ગયા ત્યારે ગામના અભણ અને બરછટ રીતભાતના ખેડૂત પડોશીઓએ એમને પૂછ્યું,”મહાશય ,તમે તો દેશ પરદેશમાં ખુબ ફર્યા છો.વિદેશોમાં બધું આપણા આ ગામ કરતા ઘણું જ બહેતર હશે ખરું ને ?”ટોલસ્ટોયે જવાબ આપ્યો,” બિલકુલ નહી,પોતાના વતન કરતાં સારું કોઈ સ્થળ હોઈ જ ન શકે.મારે મન મારું આ નાનું ગામ યાસ્નાયા પોલિયાના વિશ્વ ઉપરનું સુંદરમાં સુંદર સ્થળ છે.

“અમેરિકામાં રહેતા ઘણા ભારતીયોને અમેરિકા આવ્યા પછી અમેરિકાનું બધું જ સારું લાગે છે અને વતનની અને ભારત દેશની ભીડ,ગંદકી,દારુણ ગરીબી, બેરોજગારી,શોષણ , ભ્રષ્ટાચાર,પ્રદુષણ વિગેરે અંગે ઘણીવાર ટીકા કરતા હોય છે.આની સામે બીજા કેટલાક વતનપ્રેમીયો પણ હોય છે જેમને અવારનવાર વતનની મુલાકાત લીધા વગર ચાલતું નથી.

ગુજરાત ટાઈમ્સમાં એકવાર એક ફિરોજ કાઝી નામના ભાઈએ લખ્યું હતું કે” છેલ્લા ૨૫ વર્ષથી અમદાવાદનું આકર્ષણ દર વર્ષે ઓછામાં ઓછા એક મહિના માટે મને  ત્યાં ખેંચી જાય છે.ભલેને અમદાવાદ એક પ્રદુષિત શહેર ગણાતું હોય પણ મારા માટે તો એ મારો પ્રાણવાયુ છે.મારા ફેફસામાં આ પ્રાણવાયુ ભરીને હું મારા કાર્ય ક્ષેત્ર  અમેરકામાં પાછો ફરું છું.”શ્રી કાઝી જેવા વતનપ્રેમીઓની આવી ઉમદા વતનપરસ્તી સરાહનીય છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે એમના એક કાવ્યમાં સુંદરવાત કરી છે કે :“સ્વર્ગે રહીએ કે જઈએ, સ્વર્ગને કૈં પડી નથી,કારણકે આ તો સ્વર્ગ છે.હૃદય પોકારી ઉઠે છે. અહી બધું સુખ છે પણ ક્યા છે મારી માવડી ?ભલે દીન,હીન,મલિન પણ મારી માતૃભુમી ક્યા છે.?”

ઉપર જેમનો ઉલ્લેખ કર્યો છે એ મારા એક ન્યુ જર્સીમાં રહેતા ૮૦ ઉપરની ઉમરના એક  કૌટુંબિક કાકા શ્રી કાન્તીભાઈ( કેન પટેલ) એમનું મોટા ભાગનું જીવન વતનમાં વિતાવ્યા પછી અમેરિકામાં આવીને સારી રીતે ઠરી ઠામ થવા પ્રયત્ન કરી રહેલ અનેક  સીનીયર સીટીઝનોની માફક એમના જીવનનો આખરી સમય પોતાના સ્વજનો સાથે સારી રીતે વીતી શકે એ આશયથી છેલ્લા ઘણા વર્ષોથી એમની એક દીકરીની નજીક નોર્થ બર્ગન, ન્યુ જર્સીમાં વસીને પ્રવૃતિશીલ રહે છે.મારા ઉપરના એમના એક પત્રમાં એમણે જે લખ્યું હતું એના આ અંશો વાંચવા જેવા છે, જેમાં એમનો વતનપ્રેમ અને વતન ઝુરાપો જણાઈ આવે છે.

“પ્રિય ભાઈ વિનોદભાઈ, સમયના પ્રવાહ સાથે નાવ કિનારે આવી ગયું છે.ભૂતકાળનાં ડાંગરવાના  ભવ્ય જીવનનાં સંસ્મરણો સતાવે છે અને કેટલીક વાર મનને અનોખો આનંદ પણ આપે છે.

એ પીમ્પર અને ગુંદી નીચેના માન્ચડાઓ ઉપરથી કરેલા ગોફણના ઘા,એ ગુંદા અને ખોખાં,એ બળદ અને ભેંસોના પૂંછડા,એ ખડખડતાં ગાડાં અને કોશિયા મારી ઊંઘ હરામ કરી દે છે.એ ફૂંફાડા મારતા સાપ અને ડોટો કાઢતાં ઘો અને નોળિયા હવે ક્યારે જોવા મળે ?

મોર,પોપટ અને કાંગલા ઉડી ગયા અને  હવે આપણો વારો! એ ડાંગરવા જેવા નાનકડા ગામમાં વીતાવેલા દિવસોનું વર્ણન કરવા કાગળો અને પેનમાં શાહી પણ ખૂટી પડે એમ છે.એ બાળ ગોઠીયાઓની મંડળી,ભાગોળ અને વગડાની વાટનો નૈસર્ગિક આનંદ અને એ ભવની ભવાઈનું પ્રાકૃતિક સુખ અહી ડોલરના ભાવે પણ પાછું મળી શકે એમ નથી.હશે ત્યારે.શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે દેશ કાળને અનુરૂપ થઈને આનંદથી શેષ જીવન જીવી લઈએ. એજ લી. કાકા અને કાકીના જય સ્વામીનારાયણ”

ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ગઝલો-કાવ્યો રચીને નામ અમર કરી જનાર  આદીલ મન્સૂરી ૧૯૮૫માં વતન અમદાવાદની વિદાય લઈને તેઓ નવેમ્બર ૨૦૦૮ માં  અવસાન પામ્યા ત્યાં સુધી અમેરિકામાં,હોબોક્ન,   ન્યુ જર્શીમાં રહ્યા.આ આદીલ મન્સુરીએ આપણી ગુજરાતી ભાષામાં એમના વતનપ્રેમ અને વતન ઝૂરાપા ને ઉજાગર કરતી કેટલીક સુંદર ગઝલો લખી છે એમાંની કેટલીક પક્તિઓ અહી રજુ કરીને મારો લેખ પુરો કરું.

વતનની ધરતી માટેનો તલસાટ વ્યક્ત કરતા એમણે લખ્યું:

 વતનની ધૂળથી માથું ભરી લઉં  આદિલ,

 અરે આ ધૂળ, પછી ઉમ્રભર મળે ન મળે .

કાલે પાછા ચાલ્યા જાશું ,નક્કી કાલે પાછા, 

 કાલે કાલે કરતાં કરતાં જર્શીમાં વર્ષો કાઢ્યાં.

આદિલને મળવું હોય તો મુશ્કિલ નથી કે એ

જર્શીમાં જો ન હોય તો સરખેજ હોય છે.

મૃત્યુ પણ આદિલ અચાનક આવશે

જન્મવું પણ જ્યારે અણધાર્યું હતું. ——-આદિલ  મન્સૂરી

________________________________________________________________________                 

(“મારું ગામ ડાંગરવા “એ નામના શ્રી કેન પટેલના લેખ માટે હવે પછીની પોસ્ટની રાહ જુઓ )

A THOUGHT FOR TO DAY

“ If you are feeling low, don’t despair. The sun has a sinking spell every

  night, but it comes back up every morning. The way I see it, if you want

  the rainbow, you gotta put up with the rain.”

                                —Dolly Parton,( Author and Song Writer)

પોસ્ટ કર્યા તા- ઓક્ટોબર, ૭,૨૦૧૧ ,

સાન ડિયાગો ,                                                                     વિનોદ આર. પટેલ