વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જાન્યુઆરી 30, 2013

(174) ૩૦મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિને હાર્દિક શ્રધાંજલિ

GANDHI AND DEATH

૩૦મી  જાન્યુઆરી, ૧૯૪૮ નો દિવસ એટલે દેશ માટે એક મહાત્માએ આપેલ પોતાના જીવનની આહુતિનો -શહીદીનો દિવસ.  

આ એ ગોઝારા શુક્રવારનો દિવસ હતો જે દિવસે લોકોના લાડીલા નેતા મહાત્મા ગાંધીએ એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની દેશ માટે પ્રાણ આપી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી.

આ સત્ય અને અહિંસાના પુજારી ,એક નાના જંતુની પણ હિંસા સાંખી ન શકે એવા શાંતિના દૂતનો પ્રાણ એક દેશવાસી અને સહધર્મી વ્યક્તિ લે એ વિધિની કેવી વિચિત્રતા કહેવાય !દુનિયાના કરોડો લોકોએ આ ૭૮ વર્ષના ફકીરની વિદાયથી આંસુ ભરી શોકાંજલિ અર્પી હતી.

ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું અનેક લેખકો દ્વારા લખાયું છે અને લખાતું રહેશે .એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક  છે.ડો.માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળ લડાયેલ અમેરિકાની અહિંસક સામાજિક ક્રાંતિમાં અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની સ્વતંત્રતાની  લડતમાં ગાંધી વિચારોની અસર ચોખ્ખી જણાઈ આવે છે

આ કર્મયોગી  પૂજ્ય બાપુ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં  એમનામાં ભારોભાર નમ્રતા ભરી હતી.એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે :

”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી .જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું ,મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું ,તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. “  

આવા નિર્મોહી દેશનેતા એવા પ્રાતઃસ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથીના આજના દિવસે એમને કોટિ કોટિ અંતરના પ્રણામ

છેલ્લે,ગાંધીજીને અતિપ્રિય એવી આ ધૂન —  

રઘુપતિ રાઘવ રાજા રામ ,પતિત પાવન સીતારામ,  

ઈશ્વર અલ્લા એક હિ નામ,સબકો સન્મતિ દે ભગવાન

   પૂજ્ય બાપુને  ભાવભરી શ્રદ્ધાંજલિ

 

જાન્યુઆરી ૩૦,૨૦૧૩ .                                                  -વિનોદ આર. પટેલ

_______________________________________________________________________________________

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે ત્રણ ગાંધી ગીતો

રડો ન મુજ મૃત્યુને  

“રડો ન મુજ મૃત્યુને ,

હરખ માય આ છાતીમાં   ન રે!-

ક્યમ તમેય તો હરખતાં ન હૈયાં મહી?  

વિંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,  

અરે નહીં શું પ્રેમધાર ઉછળી ઉરે ! કે રડો ?    

હતું શું બલિદાન આ મુજ પવિત્ર પુરું ન કે,  

અધૂરપ દીઠી શું કૈ મુજ અક્ષમ્ય તેથી રડો ?  

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા  

અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને.      

શ્વશ્યા કરત ભૂતલે?મરણથી છૂટ્યો સત્યને  

ગળે વિષમ જે હતો કઈંક કાળ ડૂમો !થયું,  

સુણો પ્રગટ સત્ય :વૈર પ્રતિ પ્રેમ ,પ્રેમ ને પ્રેમ જ!  

હસે ઈશુ ,હસે જુઓ સુક્રતુ ,સૌમ્ય સંતો હસે.”      

અમે ન રડીએ ,પિતા,મરણ આપણું પાવન ,  

કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન .  

— ઉમાશંકર જોશી  

_________________________________  

મૃત્યુંદંડ  

ફાંસી દીધી ગોડસેને અમોએ  

ગાંધીજીના દેહના મારનારને.  

ગાંધીજીના જીવ-ને જીવતાં ને  

મુઆ કેડે મારતું જે ક્ષણેક્ષણે  

પડ્યું અમોમાં : સહુમાં કંઇક  

તેને હશે કે કદી મૃત્યુંદંડ ?  

—- ઉમાશંકર જોશી  

_____________________________________

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!

તમે ચાહ્યું તેવું તો નથી કંઈ આજે, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ

તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી!

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું

રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી!

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું

ત્યારે વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી!

કદી આદમ સમાધિ પર જઈને આ તો કહેવું છે :

તમે એક જ હતા ને છો વતનની લાજ, ગાંધીજી!

– શેખાદમ આબુવાલા

______________________________________________________________________________

ગાંધીજીના જીવનનો છેલ્લો દિવસ -૩૦મી જાન્યુઆરી ૧૯૪૮નો સંપૂર્ણ નો અહેવાલ અને એ દિવસ પહેલાં એમના ખુન માટે ગોડસે અને એના સાથીદારોના ષડ્યંત્રની વિગતો નિહાળો નીચેના વિડીયોમાં .

January 30, 1948: Martyrs Day in Memory Of Mahatma Gandhi