વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: સપ્ટેમ્બર 1, 2014

( 520 ) વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક- વિનોદ પટેલ/ ઘડપણનાં ગીતો ….

પ્રસંગે કહ્યું હતું કે-

 

old man with stick

 વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા …..લેખક-  વિનોદ પટેલ

વૃધ્ધાવસ્થા યા ઘડપણ એ દરેક મનુષ્યના મરણ પહેલાંનો જીવનનો આખરી તબક્કો છે.જીવનની મુસાફરીનું એ આખરી સ્ટેશન છે . જુવાનીની વસંત ભોગવ્યા પછી આવતી વૃદ્ધાવસ્થા એટલે કે જીવનની પાનખરમાં જીવન વૃક્ષ ઉપરથી પાકેલાં પીળાં પાન એક પછી એક એમ ખરતાં જાય છે .એટલે તો આપણા આદ્ય કવિ નરસિંહ મેહતાએ દુખી હૃદયે ગાયું છે કે  –  “ઘડપણ કેણે મોકલ્યું ? ઉમરા તો ડુંગરા થયા , પાદર થયા પરદેશ ! “

સો વરસનું આરોગ્યમય સાદું,સાત્વિક અને સેવામય જીવન ભોગવીને વિદાય થયેલ કર્મયોગી રવિશંકર મહારાજે સાચું કહ્યું છે કે “ જે ઘરડમાં ચાલે તે ઘરડો “. વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો છે. ઘડપણ આવે એ પહેલાંથી જ માણસ સતત વિચારોની વૃદ્ધિથી સમૃદ્ધ થતો રહે છે એટલે એ વૃદ્ધ કહેવાય છે . શરીરથી એ ભલે વૃદ્ધ દેખાતો હોય પણ મનથી તો એ યુવાન હોય છે .

વૃધ્ધાવસ્થામાં આરોગ્યના ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સાઠ વર્ષ કે એની આજુબાજુની ઉમરે બ્લડ–સુગર, કૉલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, આરથ્રાઈટીસ,હૃદય રોગ –બાયપાસ સર્જરી અને છેલ્લે તબક્કે સ્મૃતિ નાશ એટલે કે અલ્ઝાઈમર જેવા ડરામણા લાગે એવા રોગોના લીસ્ટમાંથી એક કે વધુ રોગો સામે ટકવાનું હોય છે . આવા વખતે વૃદ્ધ માણસ ઘણીવાર મનથી ભાંગી પડતો જોવામાં આવે છે અને ડીપ્રેશનનો ભોગ બનીને દુખી થતો અને બીજાંને પણ દુખી કરતો હોય છે. ઘડપણમાં દુખો ભોગવીને , રીબાઈને મૃત્યુ પામવાનો ભય ઘણાંને સતાવતો હોય છે.આવા બધા જીવનના અંતિમ સમયે મન ઉપર કાબુ રાખવા માટે વૃદ્ધોએ સકારાત્મક  વલણ અપનાવવાની ખાસ જરૂર ઉભી થાય છે.

જેનું શરીર અને મન છેક સુધી સાથ આપે છે એવા જુજ સદભાગી માણસો જીવનની બાજી જીતી લઈને વિદાય થાય છે .જે માણસો યુવાનીનો સમય ભવિષ્યના કોઈ પણ પ્રકારના આયોજન વિના વેડફી મારે છે , પુર આવવાનું છે એમ જાણ્યા છતાં વહેલાસર પાળ નથી બાંધતા ત્યારે પાઘડીનો વળ છેડે એમ વૃધાવાસ્થામાં દુખી થતા હોય છે .આપણે ત્યાં રવિશંકર મહારાજ , મોરારજીભાઈ દેસાઈ , વિદ્યા વાચસ્પતિ કે,કા .શાસ્ત્રી જેવાં અનેક ઉદાહરણો છે જેમાં આવા મહાનુભાવોએ જીવનની છેલ્લી પળ સુધી શારીરીક માનસિક અને આત્મિક સુખ ભોગવી, લોકો માટે કામ કરતાં કરતાં એમનું જીવન દીપાવીને વિદાય થયા છે અને અમર થઇ ગયા છે . પૂજ્ય મહાત્મા ગાંધીની જો કરુણ હત્યા થઇ ના હોત તો ૧૨૫ વર્ષ જીવવા માટેનું એમનું પૂરેપૂરું આયોજન હતું.

ઘડપણમાં જુની આંખે ઘણા નવા તમાશા જોવાના હોય છે. આજની દુનિયામાં બધું ઝડપભેર બદલાઈ રહ્યું છે.જે સરતો રહે છે તેનું જ નામ તો સંસાર છે .”આ દુનિયા હવે પહેલાં જેવી રહી નથી “ એવી ફરિયાદ ઘણા ઘરડાઓ કરતા હોય છે. પરંતુ પરિવર્તનને પચાવવાની અશક્તિ દુખો ઉત્પન્ન કરે છે .ઘડપણ જેટલી શરીરની છે એટલી જ મનની અવસ્થા છે .

યુવાન પેઢીની પૈસા ખર્ચવાની અને બીજી લાપરવાઈઓ વૃદ્ધ મા -બાપને ઘણીવાર અકળાવતી હોય છે. ઘણા વૃદ્ધો એમના પરિવારો સાથે રહે છે એ બધાં જ કઈ સુખી નથી હોતાં . આ અવસ્થામાં ઘણા પ્રશ્નો ઉભા થાય છે .ગમશે, ચાલશે , ફાવશે અને ભાવશે એવી મનોવૃત્તિ જો રાખવામાં ના આવે તો દુખી થવાના દહાડા આવે છે .વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી જૂની માન્યતાઓ અને આગ્રહો છોડવાનો અને એની સાથે સમાધાન કરી લેવાનો આ સમય છે .

બધા જ અણગમતા સંજોગોમાં મનનું સંતોલન રાખીને સકારાત્મક અભિગમ રાખવો એ જ સુખી થવાની ચાવી છે .આજે ઘણા વૃધ્ધો ભારતમાં તેમ જ વિદેશોમાં રહીને ત્યાંના જુદા પ્રકારના માહોલમાં પણ મન સાથે સમાધાન –સુમેળ સાધીને બ્લોગો અને અનેક પ્રકાશનોમાં લેખન વિગેરે સર્જન પ્રવૃતિઓ દ્વારા ઉમદા સાહિત્ય સેવા કરી રહ્યા છે તેમ જ એમની અન્ય મનગમતી પ્રવૃતિમાં પ્રવૃત્ત રહીને એમની જીવન સંધ્યામાં રંગો ભરી રહ્યા છે , ઘડપણના દિવસોને દીપાવી રહ્યા છે એ કેટલું શુભગ દ્રશ્ય છે ! એટલા માટે તો વૃદ્ધાવસ્થાને જીવનનો સોનેરી સમય કહેવામાં આવે છે .

જીવનના વિપરીત સંજોગોમાં પણ મળે ત્યાંથી હાસ્ય શોધી મનને રંજીત રાખવાની કળા જે વૃદ્ધ જાણે છે અને મનને પ્રફુલ્લિત રાખે છે એને સુખની પ્રાપ્તિથી બહુ છેટું પડતું નથી . તનનું બહુ સુખ ના હોય ત્યારે મનની સુખ સમૃદ્ધી જીવનને નવો આયામ આપવા માટે ખુબ કામ લાગે છે . નિયમિત ચાલવું, શરીરને માફક આવે કસરત કરવી, આધ્યાત્મિક ગ્રંથોનું વાચન , સત્સંગ અને મેડીટેશન વિગેરે વૃદ્ધાવસ્થામાં તન.મન અને આત્મા માટેનો પૌષ્ટિક ખોરાક બની શકે છે.

આના સંદર્ભમાં જાણીતા સાહિત્યકાર અને વિચારક ડો- ગુણવંત શાહ ના પુસ્તક  ‘વૃક્ષમંદિરની છાયામાં’ પુસ્તકમાંના એક પ્રેરક લેખ “ઘડપણ સડવા માટે નથી” માંથી કેટલાક અંશો એમના આભાર સાથે નીચે આપવાનું મન કરે છે .તેઓ લખે છે –

“ જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે. .પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી. ઘરના સંતાનો એમનાથી કંટાળતા નથી. પુત્રવધુને એમની હાજરી ખટકતી નથી.શંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે ચર્ચમાં જનારા લોકો લાંબું જીવે છે. ભગવાન નામનું ટ્રાન્ક્વિલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી. પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછી પાની કરતું નથી. હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે. ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

અમેરિકાના બનોર્ડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર

હું આજે છું એના

પંદર વર્ષ પછીની જ હોય છે. 

આ લેખના વિષયની પૂર્તિ કરતી મારી નીચેની કાવ્ય રચના પ્રસ્તુત કરું છું જે આપને વાંચવી ગમશે.

ghadapan

આવીને ઉભો રહ્યો દ્વારે, અડીયલ આ બુઢાપો !

આયુ વૃક્ષની વિવિધ ડાળીઓ ઉપરથી ,

ખરી રહ્યાં પર્ણો આજે જીવનની પાનખરમાં .

એક વણનોતર્યા મહેમાન સરીખો,

આવીને ઉભો રહ્યો દ્વારે, આ અડીયલ બુઢાપો.

હતો એક સમો જ્યારે ગર્જતા’તા સિંહ સમા

વૃધ્ધાવસ્થાના એક થપાટે, બની ગયા આજે,

એક  દુર્બલ લાચાર મેઢા ઘેટા સમા .

શરીર, ઇન્દ્રિઓમાં ભલે ન રહ્યો એ જોમ ને જુસ્સો

કરી મનને મક્કમ,બાકી સમય અને શક્તિઓ વડે,

જીવનનો ખરો આનંદ માણવાની છે આ વેળા.

જીવન-ચાદરને ઉજળી રાખી, શ્રધ્ધા અને ભાવથી,

પ્રભુ ચરણે એને અર્પણ કરવાની છે આ વેળા.

વીતેલ કાળની  ખેતીમાં વાવેલ સૌ પાકોને,

હોંશથી લણીને સૌમાં વહેંચવાની છે આ વેળા.

જીવનની સંધ્યાએ ગણેલા શ્વાસો બાકી છે ત્યારે

હૃદય મન મક્કમ કરીને કરીએ આ પ્રાર્થના કે,

મારા આ બુઝાતા દીપકની વાટ સંકોરી આપી,

મારા ડગમગતા ચરણોને સ્થિર રાખી .

મારો હાથ ગ્રહી,મારી પડખે રહીને ,

તારા એ મંગલ મંદિરના દ્વાર સુધી મને,

સુખેથી પહોંચાડવાની પરમ કૃપા કરજે, હે પ્રભુ !

—- વિનોદ પટેલ, સાન ડીયેગો, કેલીફોર્નીયા

 

 

 શ્રી પી.કે. દાવડા એ એમના ઈ-મેલમાં મોકલેલ  શ્રી ભગવતીકુમાર

પાઠક ની કાવ્ય રચના ઘડપણનું ગીત  અને પાઠકજીના આ ગીતનો શ્રી દાવડાજીએ

આપેલ જવાબ નો પણ આસ્વાદ લો.

ઘડપણનું ગીત 

વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?

રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !

ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?

થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?

દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !

તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !

સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;

મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.

તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,

સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;

ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.

ભગવતીકુમાર પાઠક 

પાઠકજીના ઉપરના ઘડપણના ગીતનો આ રહ્યો શ્રી દાવડાજીનો  જવાબ

વાળ અને ભ્રમરની ફાસ્ટ ડાય મળતી પાઠકજી,

જોબનનો ઉતરે નહિં ફાંકો !

શીંગ છોડીને ટોબ્લર ખાસું પાઠકજી,

અને અંગેર્જી હોઠેથી હાંકો,

વેણીનો પ્રશ્ન નહિં ઉપજે પાઠકજી,

બેબીના બોબ કટ રાખો,

દાદરની વાતો કાં કરતા પાઠકજી,

અમે તો લીફટમાં જાશું,

મુગ્ધા જો અંકલ કહીને બોલાવે,

પ્રેમથી ભેટવા જાશું,

ફાકોથી મોતિયા કઢાવી પાઠકજી

લેંસ બેસાડીને જોશું,

વાતો સાંભળવાના નાના મશીનને

કાનમાં બેસાડી દેશું,

ફ્લેક્ષી પેન્ટ પેરીને ફરસું પાઠકજી,

હાય-હલોના ગાણાં ગાશું,

ધોડે ચડીને કોણ પરણે પાઠકજી,

અમે તો મોટરમાં જાશું.

-પી. કે. દાવડા

================

છેલ્લે ,આ અગાઉની પોસ્ટ નમ્બર ૫૧૯ માં જેમનો પરિચય આપ્યો છે એ શ્રી નવીનભાઈ બેન્કરની આ કેફિયત પણ વાચી લો.

દેવઆનંદ ને જવાબ-’અહેસાસ કૈસે ના હો ?

દેવ આનંદ ‘દાદા‘ એ તેમની ૮૬મી વર્ષગાંઠને પ્રસંગે કહ્યું  હતું કે-

                                              ઉમ્ર બઢના તો એક દસ્તુર હૈ

                                         અહેસાસ ન કરો તો બૂઢાપા કહાં હૈ ?

લેકિન , અહેસાસ કૈસે ના હો ?

ઘૂટને દુઃખને લગે,

પ્રોસ્ટેટ પીડા કરને લગે,

આંખેં કમજોર હો જાયેં,

દાંત ગીરને લગે,

ઔર થકાન મહેસુસ હોને લગે..

નવરાત્રિકે ડાંડીયા એવોઈડ કરના પડે,

ઔર ખૂબસુરત લડકીયાં ‘દાદા‘ કહને લગે

તો…બૂઢાપેકા અહેસાસ કૈસે ન હો ?

આપકો તો સબ મુંહ પર  ‘દેવસા‘બ..દેવસા‘બ‘  કહતેં હૈ  ઇસલિયે આપકો યે અહેસાસ ન હો..લેકિન હમેં તો ‘નવીનદાદા..નવીનદાદા‘ કહતેં હૈ.

હમ ઇસ અહેસાસકો કૈસે રોક સકતેં હૈં ?

નવીન બેન્કર

૬ ઓક્ટોબર ૨૦૧૧

( એમના બ્લોગ એક અનુભૂતિ એક અહેસાસ માંથી સાભાર )

 

Old man - laughing

 

 

 

 

( 519 ) મળવા જેવા માણસ …શ્રી નવીન બેંકર…પરિચયકાર… શ્રી પી. કે. દાવડા

વિનોદ વિહારના આજથી શરુ થતા ચોથા વર્ષની પ્રથમ પોસ્ટમાં ,હ્યુસ્ટન નિવાસી ૭૩ વર્ષના મારા મિત્ર શ્રી નવીન બેન્કર નો પરિચય કરાવતો શ્રી પી.કે.દાવડા લિખિત એક લેખ ” મળવા જેવા માણસ ..શ્રી નવીન બેન્કર ” વાચકો માટે નીચે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે .

એમના નાનાં બહેન અને જાણીતાં કવી અને ગઝલકાર  દેવિકા રાહુલ ધ્રુવએ એમના ભાઈ શ્રી નવીન બેન્કર” નો પરિચય કરાવતો સુંદર શૈલીમાં લખેલો એક લેખ-

નવીન બેન્કર- એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ …દેવિકા ધ્રુવ ..

અગાઉ વી.વી.ની આ પોસ્ટમાં પણ પ્રગટ થઇ ચુક્યો છે એ પણ વાચવા જેવો છે .

આ બન્ને લેખો વાંચવાથી આપણને શ્રી બેન્કરના આકર્ષક અને પ્રેરક વ્યક્તિત્વની સરસ  ઓળખ મળે છે .

એક સામાન્ય મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલ શ્રી બેન્કરએ એમના જીવનના શરૂઆતના કાળમાં ખુબ સંઘર્ષ કર્યો છે .આ લેખમાં તેઓ કહે છે.

 “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશ’માં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છે. રસ્તા પર બુમો પાડીને છાપાં વેચ્યાં છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોને, ઉઘાડા પગે, છાપાં પહોંચાડ્યા છે. સ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના વધારા ભરબપોરે વેચ્યા છે, એટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો. .”

આવા સંઘર્ષમય જીવનના તાપમાં તપીને શ્રી બેન્કરે સ્વ-બળે પ્રગતી કરતાં કરતાં એમના જીવનને આપેલ સુવર્ણનો ઓપ આપણને એમના વિશેના આ પરિચય લેખમાંથી અનુભવાય છે .આવાં પ્રેરક જીવન ચરિત્રો જેટલાં વધુ લખાય અને વંચાય એ સારું છે.

 આ લેખ ઈ-મેલમાં મોકલતાં દાવડા સાહેબ લખે છે :

” આ બેંકરની બેંકના ખજાનામાં મેં જેટલું જોયું છે એના કરતાં અનેક ઘણું છે, જે તમે જાતે શોધી કાઢજો. મારો પ્રયત્ન માત્ર આવા મળવા જેવા માણસોની એક ઝલક આપવાની છે. “

શ્રી દાવડાજી એમની મળવા જેવા માણસની પરિચય શ્રેણી દ્વારા આવી જુદી જુદી વ્યક્તિઓના જીવનની ઝાંખી કરાવવાનું  જે એક પુણ્ય કાર્ય કરી રહ્યા છે એ અભિનંદનીય છે .

શ્રી નવીન બેન્કર વિશેનો પરિચય લેખ લખી મોકલવા માટે હું એમનો આભારી છું.

વિનોદ પટેલ

=============================================

મળવા જેવા માણસ …શ્રી નવીન બેંકર… પરિચય ….શ્રી પી ,કે.દાવડા

Navin Banker

Navin Banker

નવીનભાઈનો જન્મ ૧૯૪૧માં અમદાવાદ નજીકના ભુડાસણ ગામમાં થયેલો.પિતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો અને એક મીલમાં નોકરી કરતા હતા.માતા ચાર ધોરણ સુધી ભણેલા હતા. આ એક મધ્યમવર્ગી કુટુંબ હતું.નવીનભાઈનું શાળા કોલેજનું ભણતર અમદાવાદમાં જ થયેલું.

કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલા. એમના જ શબ્દોમાં લખું તો, “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશ’માં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છે. રસ્તા પર બુમો પાડીને છાપાં વેચ્યાં છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોને, ઉઘાડા પગે, છાપાં પહોંચાડ્યા છે. સ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના વધારા ભરબપોરે વેચ્યા છે, એટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો. આ સમય દરમ્યાન, ફેરિયાઓ સાથે મારામારી પણ થતી. મફતિયા પોલીસોનો માર પણ ખાધો છે.”

૧૯૫૮ માં નવીનભાઈએ S.S.C. ની પરીક્ષા પસાર કરી. ૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વર્ષ અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી અમદાવાદની એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન લો કોલેજ ગાર્ડનમાં એ વખતે ચાલતી બીઝી બી રેસ્ટોરન્ટમાં ૫૦ રુપિયાના પગારે વેઇટરની પાર્ટ ટાઈમ નોકરી પણ કરી હતી.

નવીનભાઈએ ૧૯૬૨ માં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડીટીંગ સાથે બી. કોમ.ની ડીગ્રી મેળવી.

સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે નવીનભાઈને  લેખનનો છંદ લગાડ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ,રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકા લેખન અંગેમાર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, અને’દિલ એક મંદિર’ ‘ વાર્તા ચાંદની’ માં પ્રગટ થઈ. ત્યારથી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગડાયજેસ્ટ, આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતનવગેરેમાં છપાતી રહી. તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં. ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટ બુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી.

૧૯૬૨ માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં, ઓડીટરતરીકે નોકરી મળી.

નવીનભાઈ અને કોકિલાબહેન લગ્ન સમયે

નવીનભાઈ અને કોકિલાબહેન લગ્ન સમયે

     ૧૯૬૩માં નવીનભાઈનાં કોકિલાબહેન સાથે લગ્ન થયાં. પોતાના લગ્ન વિશે નવીનભાઈ કહે છે, “એ એક ગરીબ માણસના લગ્ન હતા, ન બેન્ડ ન બાજા, ન બારાત ન રીસેપ્શન, ન ભોજન સમારંભ, સોનું દાગીના કંઈ જ નહીં ! લગ્નના માત્ર છ બ્લેક એન્ડ વાઈટ ફોટા મિત્રોએ પાડેલા. ચાર  છ દોસ્તોંને બે બે રૂપિયા ચાંલ્લામાં  આપેલા. પત્ની કોકિલા સીધી સાદી, ભલી ભોળી, દસ ચોપડી ભણેલી, મા વગરની, લોકોને આશરે , ઘરના કામ કરીને, હડસેલા ખાઇને મોટી થયેલી  ગરીબ છોકરી હતી.”  એ વખતે પોતાની પરિસ્થિતિ વિશે તેઓ કહે છે, “હું બહોળા કુટુંબમાં, એકમાત્ર કમાનાર, ૧૬૧ રુપિયા અને ૬૨ પૈસા નો માસિક પગાર લાવતો માણસ હતો. ભાડાના ઘરમાં  ચોકડીમાં સ્નાન કરતા. એક જ ખાટલો હતો જે દાદીમા વાપરતાં . બીજા ફર્શ પર પથારીઓ નાંખીને સૂઇ જતા અને સવારે ડામચીયા પર ગોદડાં  નાંખી દેતા.” 

પત્ની વિશે તેઓ કહે છે, “પત્ની ખુબ સારા સ્વભાવની અને હરહંમેશ સુખદુખમાં સાથ આપનાર મળી છે. ક્યારેય સાડીઓ કે ઘરેણા માંગ્યા નથી. અત્યારે ૭૨ વર્ષની વયે શ્રી નાથજીના સત્સંગ અને ભજન સિવાય ક્યાંયે જતી નથી.”

લગ્નના ૫૦ વર્ષ બાદ-નવીનભાઈ અને કોકિલાબહેન

લગ્નના ૫૦ વર્ષ બાદ-નવીનભાઈ અને કોકિલાબહેન

        ૧૯૬૪થી ૧૯૭૭ સુધી નવીનભાઈએ  ડઝનેક એકાંકીઓ અને  કેટલાંક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા.

૧૯૭૯ માં નવીનભાઈના અમેરિકા સ્થિત બહેન ડો. કોકિલા પરીખની સ્પોન્સોરશીપ મળતાં નવીનભાઇ અને પત્ની કોકિલા બહેનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું. ભારતની નોકરી ચાલુ રાખીને ગ્રીન કાર્ડના નિયમ અનુસાર ૧૯૭૯ અને ૧૯૮૬ વચ્ચે ત્રણ ચાર વાર અમેરિકા આવવું પડેલું. પ્રત્યેક વખતે આવીને તરત જ કોઇ દેશીના સ્ટોર પર કે અમેરિકન ફેક્ટરીમાં કામ મળી જતું. ઇન્ડિયન વિસ્તારમાં એક સ્ટુડીયો અપાર્ટમેન્ટ ભાડે રાખી લેતા અને દસ-બાર મહિના કાઢી નાંખતા. ઓફીસમાંથી નોટીસો આવે એટલે પાછા અમદાવાદ અને ડ્યુટી જોઇન કરી લેતા. પાછા અગિયારમે મહિને ત્રણ માસની રજા લઈને અમેરિકા ભેગો થતા. આખરે ૧૯૮૬ માં સ્વેછીક નિવૃતિ લઈને કાયમ માટે અમેરિકા આવી ગયા.

૧૯૮૬થી અમેરિકા આવીને ડોક્ટર કોકિલાબેનની ઓફીસમાં જ એકાઉન્ટ્સ મેનેજરની નોકરી કરી.  અમેરિકા આવીને એમની ઇતર પ્રવૃતિઓ વધારે ખીલી ઊઠી. ફિલ્મો, ગુજરાતી નાટકો વગેરેના અહેવાલ અને અવલોકનો વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યા . ૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલીએક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. જૂની રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.

બેંકર દંપતિ જયા ભાદુરી સાથે

        (બેંકર દંપતિ જયા ભાદુરી સાથે)

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ નવીનભાઈ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. ભારતથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટની મુલાકાતે આવેલા સિનેમા અને નાટકો અથવા સંગીત જગતના કલાકારોમાંથી ભાગ્યે જ કોઇ એવું હશે કે જેમની મુલાકાત નવીનભાઈએ ન લીધી હોય.

આટલી બહોળી પ્રસિધ્ધી હોવા છતાં નવીનભાઈ કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર  ન બને. પોઝીશનનો જરા યે મોહ નહિ, માત્ર મૂક સેવક રહેવાનું વધારે પસંદ કરે. ૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન-પત્રથી નવાજ્યું. ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  ભારતના કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતો

તેમનો  ‘  એક અનૂભુતિ : એક અહેસાસ’ નામનો એક બ્લોગ પણ છે જેમાં  ‘મારાં સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં એમણે ખુલ્લાં કર્યા છે.કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યાં છે.

બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ કર્યા વગર,નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો એ એમનો જીવન મંત્ર છે.

-પી. કે. દાવડા