ગુજરાતી બ્લોગ વિશ્વ સાથે જેઓ પરિચિત છે તેઓ કેલીફોર્નીયામાં સાન ફ્રાંસીસ્કો ,બે એરીયામાં “બેઠક “ની સભાઓ મારફતે ચાલતી સુંદર સાહિત્ય પ્રવૃતિઓથી વાકેફ હશે જ.
Smt. Pragna Dadbhavala
આવી પ્રસંશનીય પ્રવૃતિઓના મુખ્ય કર્તા હર્તા ખુબ જ ઉત્સાહી સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાલા (પ્રજ્ઞાજી) અને એમના અન્ય સાહિત્ય પ્રેમી સહયોગીઓ જેવાં કે કલ્પના રઘુ “બેઠક ” માં ખુબ રસથી ભાગ લઇ રહ્યાં છે.એંસી વર્ષના મારા સહૃદયી મિત્ર શ્રી પી.કે.દાવડાજી , જેઓ એમની દીકરી સાથે સાન ડિયેગોમાં મારા નિવાસ સ્થાને આવીને મને મળી ગયા છે, તેઓ પણ ખુબ રસથી બેઠકની પ્રવૃતિઓમાં ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.
બેઠકની સભાઓમાં સભ્યો એમની રચનાઓ વાંચે છે અને બહારથી કોઈ સારા વક્તાને આમંત્રિત કરી સભાઓ પણ ગોઠવે છે.પુસ્તક પરબ દ્વારા સાહિત્યનો પ્રસાર કરવાની પ્રવૃત્તિ પણ ચાલે છે.આ રહી બેઠકના કેટલાક ઉત્સાહી સભ્યોની એક તસ્વીર .
“બેઠક”(Bethak Gujarati 019 at ICC, Milpitas, CA)ની તારીખ 2015-11-27 ની સભાનો આ વિડીયો જોવાથી એનો ખ્યાલ આવી જશે. આ વિડીયોમાં લેખિકા Kalpana Raghu એમની “સ્વરચિત રચના” વાંચી રહ્યાં છે.બાજુમાં પ્રજ્ઞાજી છે.
“બેઠક”ની સુંદર સાહિત્ય પ્રવૃતિઓમાંની એક સૌને ગમતી પ્રવૃત્તિ દર મહીને કોઈ એક વિષય નક્કી કરી એમના પર કોઈ ધારા વાહી વાર્તા , વાર્તા, નિબંધ , કાવ્ય રચના દ્વારા લેખકોને લખવા માટે આમંત્રિત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.પછી આ બધી કૃતિઓનું ચયન કરી એને ઈ- બુકમાં ગ્રંથસ્થ કરવામાં આવે છે.
સુ.શ્રી પ્રજ્ઞાબેને એમના ફોનમાં આજે મને વાત કરી એ ઉપરથી એ જાણીને ખુબ આનંદ થયો કે અત્યારે હાલ તેઓ અમેરિકાના લેખકોની ચૂંટેલી સાહિત્ય રચનાઓને સમાવીને એક “મહા ગ્રંથ “ટૂંક સમયમાં બહાર પાડી રહ્યાં છે અને એના માટે ભારતની મુલાકાત માટે જઈ રહ્યાં છે.આવો બૃહદ મહા ગ્રંથ ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે જરૂર એક સુંદર માધ્યમ બનશે .આવી પ્રવૃતિ હાથ ધરવા માટે પ્રજ્ઞાજી અને બેઠકના અન્ય ઉત્સાહી મિત્રોને અભિનંદન.
અગાઉ “બેઠક”દ્વારા નિશ્ચિત થયેલા ઘણા વિષયો ઉપર મેં મારા ગદ્ય નિબંધો, વાર્તાઓ,કાવ્ય રચનાઓ વી. લખી મોકલ્યા છે જે એમની પ્રકાશિત ઈ-બુકોમાં ગ્રંથસ્થ પણ થયેલ છે.પ્રજ્ઞાજી મને ફોનમાં અવાર નવાર લખવા માટે પ્રોત્સાહિત કરે છે એ માટે એમનો આભાર માનું છું.
આ વિષય ઉપર મેં પણ મારો લેખ લખી મોકલ્યો હતો જે પ્રજ્ઞાજીએ એમના બ્લોગ “શબ્દોનું સર્જન ” માં પ્રકાશિત કર્યો છે.
આ લેખને વિનોદ વિહાર ના વાચકો માટે નીચે પ્રસ્તુત કરું છું.
જીવનની જીવંત વાત …….(7)……વિનોદ પટેલ
એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …
અમેરિકાના આ ઝાકમઝોળ અને વૈભવી વાતાવરણમાં જિંદગીનો બાકીનો નિવૃત્તિકાળ હું માણી રહ્યો છું ત્યારે મારા અમદાવાદના રહેવાશ દરમ્યાન મારા ચિત્તના ચોપડામાં જડાઈ ગયેલું નજરે જોએલું ગરીબાઈનું એ વરવું ચિત્ર હજુ એવું ને એવું મને સ્પષ્ટ યાદ છે.
આજથી લગભગ ૨૩ વર્ષ પહેલાં મારી જોબમાંથી નિવૃત્તિ લઈને મને વ્હાલા અમદાવાદને રામ રામ કરી હું કાયમ માટે અમેરિકામાં વસવાટ કરવાના ઈરાદા સાથે કેલીફોર્નીયામાં આવી સ્થાયી થયો એ પહેલાંની આ વાત છે…
આ વાત સુ.શ્રી પ્રજ્ઞાબેનના બ્લોગ “શબ્દોનું સર્જન ” ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
“બેઠક ” જેવું જ અગત્યનું ગુજરાતી સાહિત્યના પ્રચારઅને પ્રસાર નું સુંદર કાર્ય સહિયારા સાહિત્યના બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય”મારફતે હ્યુસ્ટન,ટેક્સાસ,નિવાસી જાણીતા લેખક શ્રી વિજયભાઈ શાહ,અન્ય લેખક મિત્રોના સહયોગમાં કરી રહ્યા છે .એમની પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન ધરાવે છે.
શ્રી વિજયભાઈ શાહના આ બ્લોગ “સહિયારું સર્જન – ગદ્ય”માં પણ એમણે મારી ઉપરની સ્વ-રચના “જીવનની જીવંત વાત -એક બહુમાળી ઇમારતની નજીક જીવતી એક ગરીબ વસાહતની વાત …”પ્રકાશિત કરી છે એ બદલ એમનો આભારી છું.
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને બેઠક માટે લખેલી મારી આ સ્વ-રચના અહીં પણ વાંચી શકશો.
આજ સવારની ખુશનુમા શીયાળાની સવારે મારા કક્ષમાં મારા સદાના આકાશી મિત્ર કમ્પ્યુટરને ખોલી નેટ યાત્રા શરુ કરી ત્યારે ઉપરનું ચિત્ર જોયું.એમાં લખેલું આ અંગ્રેજી વાક્ય મને ગમી ગયું.
One of the happiest moments in life is when you find the courage to let go of what you can’t change.
આ વાંચીને મારા મનમાં જાગેલા વિચારોના મંથનમાંથી નીપજેલા નવનીત(માખણ)નો આસ્વાદ એટલે જ વિનોદ વિહારની આજની આ પોસ્ટ. સંજોગો એ જીવનની પ્રયોગ શાળા છે.
માણસને એના જીવન દરયાન ઘણા સારા અને ઘણા બુરા સંજોગોમાંથી પસાર થવાનું હોય છે.ઘણીવાર સંજોગો એને એકલતામાં મૂકી દે છે.એને મનથી ભાંગી નાખે છે.નિરાશાના વાદળો વચ્ચે એની આશાનો સુરજ દબાઈ જતો લાગે છે.
જીવન યાત્રામાં ઘણી વાર સુખના સંજોગોમાં હૃદયમાં આનંદનો ઓઘ ઉછળતો હોય છે તો ઘણીવાર એ જ હૃદયમાં કોઈ અણધાર્યા આવી પડેલ દુઃખના સંજોગોમાં એ ભારે થઇ જાય છે.
વિશ્વમાં ચારે બાજુ બનતા હિંસાના અને માનવ હત્યાના બનાવો પણ મનની શાંતિને ડહોળી નાખે છે.માનવી એક માનવ થઈને આવું ગાંડપણ કેમ કરતો હશે , પશુઓ પણ એવું નથી કરતાં, એવા ઘણા બધા સવાલો મનમાં ઉઠે છે.
આમ માણસ એની આજુબાજુ બનતા ગમતા કે ના ગમતા સંજોગોનો ગુલામ છે ,માલિક નથી.
ઘણીવાર તો કોઈએ કરેલ કાર્ય કે કહેલ શબ્દો માનવ મનને બેચેન બનાવે છે. ખાસ કરીને જેને પોતાનાં માનતા હોઈએ છીએ એમના તરફથી જ્યારે એમના વાણી અને વર્તનમાં અપમાન કે અવમાનની અનુભૂતિ કરીએ છીએ ત્યારે હૃદય ખુબ દુખી થઇ ભારે થાય છે .જો કે હૃદયમાં પડેલા એ ઘા સમય જતાં રૂઝાય પણ છે.
એક કુશળ કારીગર કુંભાર જેમ માટીમાં ટપલા મારી મારીને એક સરસ માટલીનું સર્જન કરે છે એમ જ જીવનના આવા રંગ બેરંગી અનુભવો જ માનવીના ચારિત્ર્યનું સાચું ઘડતર કરે છે. નીભાડાના અગ્નિમાં તવાઈને જ કાળી માટીમાંથી બનેલી માટલી રતુમડી બની એક રણકાર કરતી પાકેલી માટલી બને છે. આ માટલીમાં રાખેલું ઠંડુ પાણી ઉનાળામાં આપણી તરસ છીપાવીને મનને શાતા બક્ષે છે.
જ્યારે જ્યારે અણ ગમતા સંજોગો તમારા જીવનમાં સર્જાય ,તમારા મનનો કબજો લઇ લે ત્યારે મારો એક જ સંદેશ છે ..કે ….
સંજોગોનું વાવાઝોડું જે કામ ચલાઉ આવ્યું છે એ થોડા સમયમાં જ ઉપરથી ચાલ્યું જશે, ફરી એક નવી સવાર થશે ,ફરી એક નવો સૂર્ય જેમ રોજ નિયમિત ઉગે છે એમ ઉગશે અને સાંજે આથમી જશે .વૃક્ષો, રંગીન પુષ્પો,પક્ષીઓ, પ્રાણીઓ એમ કુદરતમાં જુઓ કેટલું નીરખવાનું અને આનદ લેવાનું પડ્યું છે એનો વિચાર કરો.
એક કોશેટામાંથી બનેલું પતંગિયું પણ તમને આનંદમાં રહેવાનું શીખવે છે.જીવન પુષ્પોમાંથી રસ કસ ચૂસીને તમારા જીવનને સમૃદ્ધ કરવાનું શીખવે છે.આવાં ઉડતાં પતંગિયાં અને એના અજબ કલાકાર ની લીલાઓ ને જુઓ અને સાંભળો અને એમાંથી જીવનના પાઠ શીખો .
વાચકોના પ્રતિભાવ