કેટલાયે વર્ષો પહેલાં , આપણે નિયતિને એક વચન આપ્યું હતું,અને હવે સમય આવી ગયો છે કે આપણે આપણું વચન નિભાવીએ,ભલે પૂરેપુરૂં નહિં, પણ મહદ અંશે નિભાવીએ. મધરાતને ટકોરે, જ્યારે વિશ્વ સુતું હશે,ભારત જીવન અને સ્વતંત્રતાને માટે જાગી જશે.એવી ક્ષણો આવે છે,જે ઈતિહાસમાં વિરલ હોય છે, જ્યારે આપણે જુનામાંથી બહાર નીકળી નવા યુગમાં કદમ મૂકીએ છીએ, જ્યારે એક યુગ સમાપ્ત થઈ જાય છે,જ્યારે એક દેશનો લાંબા સમયથી દબાયલો આત્મા મુકત થઈ જાય છે. આ એક સંજોગ જ છે કે આ પવિત્ર મોકા પર આપણે ભારત અને એના લોકોની સેવા કરવા,અને સૌથી વધારે તો માનવતાની સેવા કરવા સમર્પિત થવાની પ્રતિજ્ઞા લઈએ છીએ.
ઈતિહાસની શરૂઆતથી જ ભારતે પોતાની અનંત શોધની શરૂઆત કરી દીધી હતી. અગણ્ય સદીઓ, એના સંઘર્ષો અને એની ભવ્ય સફળતાઓ અને એની વિફળતાઓથી ભરી પડી છે.સારા અને ખરાબ, બન્ને સમયમાં ભારતે નતો એની શોધખોળની દૃષ્ટી ખોઈ,ન તો કદી એણે શક્તિ આપવાવાળા સિધ્ધાંતોને ભુલાવ્યા.
આજે આપણા દુર્ભાગ્યના સમયની અવધી પૂરી થઈ છે, અને ભારત પોતાને ફરી શોધી લેશે. આજે આપણે જે ઉપલબ્ધીનો ઉત્સવ મનાવી રહ્યા છીએ એ તો માત્ર એક કદમ ચાલ્યા છીએ, અવસરો અને મોટી મોટી જીત અને ઉપલબ્ધીઓ આપણી વાટ જોઈ રહી છે. શું આપણે એટલા શક્તિશાળી અને બુધ્ધિમાન છીએ કે આપણે આ તકને સમજી શકીએ? અને ભવિષ્યની ચુનોતિઓને સ્વીકારી શકીએ?
સ્વતંત્રતા અને શાસન, જવાબદારીઓ પણ સાથે લઈ આવે છે. એ જવાબદારી, આ સભા, જે એક સ્વાયત્ત સંસ્થા છે, જે ભારતના સ્વાયત્ત લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, એની ઉપર આવે છે. સ્વતંત્રતાના જન્મની પહેલાં આપણે હાડતોડ મહેનતનાં બધાં દુખ સહ્યાં છે, અને એ દુખની યાદથી ખળભળી જઈએ છીએ. એમાંનું કેટલુંક દુખ હજી પણ મોજુદ છે. પણ ભૂતકાળ ખતમ થઈ ગયો છે, અને હવે ભવિષ્ય જ આપણી સામે જોઈ રહ્યું છે.
આ ભવિષ્ય આરામ કરવા કે ચેનથી બેસવા માટે નથી,પણ પ્રયત્ન કરવાના છે કે આપણે વારંવાર કરેલી પ્રતિજ્ઞા, આજે ફરી એ જ પ્રતિજ્ઞા કરીશું, તેને પુરી કરી શકીએ. ભારતની સેવાનો અર્થ, લાખો પીડિત લોકોની સેવા કરવાનો છે. એનો મતલબ ગરીબી, અજ્ઞાનતા,બિમારી અને અવસરની અસમાનતાને દૂર કરવાનો છે.આપણી પેઢીના મહામાનવની મહાત્વાકાંક્ષા હરેક આંખનાં એક એક આંસુ લુંછવાનો છે. શક્ય છે એ કામ આપણા માટે સંભવ ન હોય, પણ જ્યાં સુધી પીડિતોના આંસુ ખતમ ન થાય ત્યાં સુધી આપણું કામ પુરૂં નહિં થાય.
અને એટલે આપણાં સપનાં સાકાર કરવા માટે આપણે સખત મહેનત અને કાર્ય કરવાં પડશે. જે સપનાં ભારત માટે છે, એ વિશ્વ માટે પણ છે. બધાં રાષ્ટ્રો અને એના લોકો આજે એક બીજા સાથે નજદીકથી સંકળાયલાં છે,કોઈ પણ પોતાને અલગ રાખવાનો વિચાર પણ ન કરી શકે. શાંતિને અવિભાજ્ય કહેવાય છે; એમ જ આઝાદીનું પણ છે, એવું જ સમૃધ્ધિનું છે અને વિનાશનું પણ એવું જ છે. આ દુનિયા એક છે, એને અલગ અલગ ટુકડામાં બાંટી શકાય નહિં.
ભારતાના લોકો માટે, જેના આપણે પ્રતિનિધિઓ છીએ,આપણે આ મહાન ઉપલબ્ધીઓ પર સૌને આસ્થા અને વિશ્વાસની સાથે આપણી સાથે શામીલ થવાની અપીલ કરીએ છીએ. આજે હલકી અને વિનાશકારી ટીકાનો સમય નથી, અને દુર્ભાવના રાખવાનો અને દોષારોપણ કરવાનો પણ સમય નથી. આપણે મુક્ત ભારતનું એવું મહાન નિર્માણ કરવું છે કે જ્યાં બધાં બાળકો રહી શકે.
નિયત દિવસ આવી ગયો છે–એ દિવસ જે નિયતિ દ્વારા નિયત હતો– અને લાંબી નિદ્રા અને સંઘર્ષ પછી; આગળ જવા ફરી જાગૃત, જીવંત, મુકત અને સ્વતંત્ર ઊભું છે.કેટલેક અંશે આપણો ભૂતકાળ હજી પણ આપણને જકડી રહ્યું છે,આપણે જે પહેલાં પ્રતિજ્ઞા કરી છે એને નિભાવવા, ઘણું બધું કરવું પડશે. હવે નિર્ણાયક બિન્દુ પણ ભૂતકાળ થઈ ગયું છે.
આપણા માટે ઈતિહાસની નવેસરથી શરૂઆત થઈ ચૂકી છે,જે ઈતિહાસને આપણે બનાવશું અને એના વિષે અન્ય લોકો લખશે.
આ ભારતવાસીઓ માટે, પૂરા એશિયા માટે અને વિશ્વ માટે એક સૌભાગ્યપૂર્ણ ક્ષણ છે. એક નવા સિતારાનો ઉદય થયો છે, પૂર્વમાં સ્વતંત્રતાનો સિતારો એક નવી આશા લઈને આવ્યો છે, અને એ એક પરિપૂર્ણ દૃષ્ટીને મુર્હત સ્વરૂપ આપશે. આ સિતારો ક્યારે પણ અસ્ત નહીં થાય, અને આશા ક્યારે પણ ધૂંધળી નહિં થાય.
આપણે આ સવતંત્રતાનો આનંદ લઈશું, જ્યારે આપણી ચારે કોર વાદળા ઘેરાયલા છે અને આપણા લોકો અનેક દુખોથી પીડિત છે, અને આપણે કઠણ સમસ્યાઓ થી ઘેરાયલા છીએ. આઝાદીની સાથે જવાબદારીઓ અને સમસ્યાઓ આવે છે, અને એનો આપણે શિસ્ત સાથે સામનો કરવો પડશે.
આ દિવસે આપણે સર્વપ્રથમ આ સ્વતંત્રતાના વાસ્તુકાર,આપણા રાષ્ટ્રપિતા મહાત્માને નમન કરીએ છીએ, જેમણે સ્વતંત્રતાની મશાલ ઉપાડી અને આપણા ઉપર છવાયલા અંધકારને દૂર કર્યો, અને ભારતાના પુરાણાગૌરવને સ્થાપિત કર્યો.
આપણે ના સમજીમાં ઘણી વાર એમના સંદેશથી દૂર ભટકી જઈએ છીએ, માત્ર આપણે જ નહિં, પણ આવનારી પેઢીઓ પણ એમના સંદેશને યાદ રાખશે અને ભારતના આ મહાન સપૂતના અદ્વિતીય વિશ્વાસ અને શક્તિ તથા સાહસ અને વિનમ્રતાને દિલમાં સજાવી રાખશે. આપણે ક્યારેય પણ આ સ્વતંત્રતાની મશાલને બુઝાવા નહિં દઈએ, ભલે ગમે તેટલો પવન, તોફાન કે આંધી આવે.
આપણે એ અજ્ઞાત સ્વયંસેવકો અને સૈનિકોને પણ નમન કરીએ છીએ, જે લોકોએ પ્રસંશા કે ઈનામની ઇચ્છા વગર, જીવનભર ભારતની સેવા કરી છે.
આપણે આપણાં એ ભાઈ–બહેનો માટે ચિંતીત છીએ કે જે લોકો રાજનિતીક સીમાઓને લઈને આપણાથી દૂર થઈ ગયા છે, અને દુર્ભાગ્યવશ વર્તમાન સમયમાં મળેલી સ્વતંત્રતાને સુધારી નહિં શકીએ. ભલે ગમે તે થાય, એ લોકો આપણાં છે અને આપણાં રહેશે, આપણે એમના સારા–માઠા સમયમાં ભાગીદાર રહીશું.
ભવિષ્ય આપણી સામે તાકી રહ્યું છે. આપણે ક્યાં જવું છે અને આપણા પ્રયત્નો કયા હોવા જોઈએ? ભારતના સામાન્ય નાગરિક, ખેડૂતો અને મજૂરો માટે સ્વતંત્રતાનો અવસર લાવવા માટે, ગરીબી અને અજ્ઞાનતા તથા બિમારીથી લડવા અને એને સમાપ્ત કરવા; એક સમૃધ્ધ, લોકતાંત્રિક અને પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવા, સામાજીક, આર્થિક અને રાજનૈતિક સંસ્થા બનાવીએ જે દરેક પુરૂષ અને સ્ત્રીને માટે ન્યાય અને જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરે.
આપણું આગળનું કામ મુશ્કેલ છે. આપણાંમાંથી કોઈ આરામ નહિં કરી શકે, જ્યાં સુધી આપણી પ્રતિજ્ઞા પુરી ન કરીએ ત્યાં સુધી, આપણે ભારતના બધા લોકોને એમની ભાગ્યરેખા સુધી ન પહોંચાડી દઈએ ત્યાં સુધી.
આપણે હિમ્મતવાળા પ્રથમ પંક્તિના મહાન દેશના નાગરિક છીએ, અને આપણે ઉચ્ચ માપદંડ ઉપર ખરા ઉતરવાનું છે. આપણે બધા, ભલે કોઈપણ ધર્મથી સંબંધિત હોઈએ,સમાનરૂપથી, સમાન અધિકાર,વિશેષાધિકાર અને દાયિત્વ સાથે ભારતના સંતાન છીએ.આપણે સાંપ્રદાયિકતા અને સાંકળી મનોવૃતિને પ્રોત્સાહિત ન કરી શકીએ. કોઈ પણ દેશ, જેના લોકોના વિચારો સંકુચિત હોય, તે મહાન ન બની શકે.
આપણે વિશ્વના દેશો અને પ્રજા માટે શુભકામનાઓ કરીએ છીએ અને આપણે એમની સાથે સહયોગ કરીને શાંતિ સ્વતંત્રતા અને લોકતંત્રને આગળ વધારવા કૃતનિશ્ચયી છીએ.
અને ભારતની પ્રાચીન, શાશ્વત અને હંમેશાં નવી સ્ફૂર્તિ આપવાવાળી આપણી અત્યંત પ્રિય માતૄભૂમિને શ્રધાથી નમન કરીએ છીએ, અને ફરીથી એની સેવા કરવાનો સંકલ્પ લઈએ છીએ.
જયહિન્દ
(ભાષાંતર- પી. કે. દાવડા)
વાચકોના પ્રતિભાવ