વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ઓક્ટોબર 2016

( 967 ) દિલમાં દીવો કરવાનું પર્વ …. દીપોત્સવી પર્વ ….

વાઘ બારશ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .

અજ્ઞાનનો અંધકાર દુર કરી અંતરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીએ નહી ત્યાં સુધી દિવાળીમાં ફક્ત દીવા પ્રગટાવીને ખુશ થવાથી કામ નથી પતી જતું નથી.

દીપોત્સવી પર્વમાં અનેક મિત્રો તરફથી ઈ-મેલ, સ્માર્ટ ફોન અને વોટ્સએપ મારફતે ઘણા સરસ વિચારવા જેવા ચિત્રાંકિત દિવાળી સંદેશાઓ મળતા હોય છે. એવા મને ગમેલા કેટલાક સંદેશાઓ આ પોસ્ટમાં રજુ કર્યા છે.

વિનોદ વિહારના આજના દીપોત્સવી અંકમાં દિવાળી તથા નુતન વર્ષ અંગેની આવી નીચેની ચિત્રાંકિત સાહિત્ય સામગ્રી માણો. 

સુરતના મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલેલ આ ચિત્રમાં દિવાળી ખરેખર શું છે એ સરસ રીતે સમજાવ્યું છે.

diwali-chiman

આ ચિત્રમાંનો દિવાળીનો સદેશ ગાંઠે બાંધવા જેવો છે.દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે જો તમારા હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.

જે લોકો એમના જીવનની  સફરમાં એકલા પડી ગયા છે એમને મળો, એમની સાથે પ્રેમથી વાત કરો,એમની આંખોની ઉદાસી  દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરો,જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરો.

જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામો તો ખરી દિવાળી-નવું વર્ષ  ઉજવ્યું કહેવાય .

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક  જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય. 

નીચેના બે ચિત્રોમાં પણ બે મહાન આધ્યાત્મિક આત્માઓ- ઓશો અને આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ પણ સૌને   ભીતરમાં અજવાળું કરવાની શીખ આપી છે .

diwali-osho

 (ચિત્ર સૌજન્ય- શ્રી શરદ શાહ ,અમદાવાદ)

ગુજરાતીમાં અનુવાદ

દિવાળીનો દીપક 
અને એનો બહારનો પ્રકાશ
કેટલો મનોહર લાગે છે !
પરંતુ 
મનુષ્યની અંદર પડેલું અંધારું 
એ દુર કરી શકતો નથી !
ભીતરમાં ધ્યાનની
રોશની જો પ્રગટે તો 
જિંદગીનો હરેક દિવસ 
દિવાળી, દિવાળી જ છે.

ઓશો

અનુવાદ વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકરજી નો ચિત્ર-સંદેશ

diwali-quote-sri-sri

ગુજરાતીમાં અનુવાદ

દિવાળી આવે એટલે

માત્ર દિવાઓ પ્રગટાવ્યા

એટલે દિવાળી ઉજવાઈ ગઈ

એમ રખે માનતા !

મુદ્દાની વાત તો એ છે કે

તમારી ભીતર જ્ઞાનના

દીપકના પ્રકાશથી

તમે જાતે પ્રકાશિત થવા જોઈએ

કે જેથી તમે જીંદગીમાં

બીજા ઘણા માણસોના

જીવન માર્ગમાં

પ્રકાશ પાથરી શકો.

 

શ્રી શ્રી રવિશંકરજી

(આર્ટ ઓફ લાઈફ ના પ્રણેતા)

sri-sri-ravishankar-jpg

 

નવું વિક્રમ સંવત વર્ષ ૨૦૭૩  

ન્યુ જર્સીના શ્રી વિપુલ દેસાઈ એ મોકલેલ નીચેના ચિત્ર પર ક્લિક કરી દિવાળી-નવા વર્ષ અંગેના વિવિધ ચિત્ર- સંદેશ માણો.

diwali-sal-mubaarak-vipul

નવા વર્ષ વિશેની મારી એક કાવ્ય રચના

નવા વરસે ….

new-year

 

દિવાળીમાં ગૃહ-ગાયત્રી પૂજનનું ચિત્ર  

gayatri-chiman

ऊँ भू:  भुव :स्व: तत् सवितु वरेण्यं

भर्ग: देवस्य धियो यो : प्रचोदयात् 

અર્થ- તે પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

diwali-taramandal-new

આપણી આ જિંદગી એક સતત લખાતું પુસ્તક છે.હિંદુ કેલેન્ડર-પંચાંગ મુજબ સંવત વર્ષ  ૨૦૭૩ના પહેલા દિવસે આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું પ્રથમ કોરું પાનું ખુલે છે. આ શુભ દિવસે એમાં વર્ષભર સારું કાર્ય કરવાના મનોભાવની નોધ લખીને એની શુભ શરૂઆત કરીએ કે જેથી વર્ષાન્તે જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે સંતોષની અનુભૂતિ થાય.

આપની જીવન નવલકથાના બાકીના બધાં જ પ્રકરણો આકર્ષક અને સંતોષપૂર્ણ,સુંદર અને પ્રેરક બને એવી શુભ કામનાઓ.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રો, સ્નેહી જનોને સંવત ૨૦૭૩નું નવું વર્ષ સર્વ પ્રકારે સુખ-શાંતિ-સમૃદ્ધિ સભર અને નિરામય નીવડે એવી મારી હાર્દિક શુભ ભાવનાઓ.

ૐ સર્વે ભવન્તુ સુખિન:।

સર્વે સન્તુ નિરામયા:।

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।

મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।

શાંતીમંત્ર

ॐ सहनाववतु,
सह नौ भुनक्तु ,
सहवीर्यम् करवावहै
तेजस्विना वधितमस्तु,
मा विद्विषावहै!

 ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:।।

 

( 966 ) દરેક પિતાએ પુત્રને વંચાવવા જેવો પત્ર …. દિવ્યાશા દોશી

દરેક પિતાએ પુત્રને વંચાવવા જેવો પત્ર
વરણાગી રાજા – દિવ્યાશા દોશી

Father's letter

આપણે ત્યાં પહેલાં કોઈ આવા ડે નહોતા ઉજવાતા. ફાધર્સ ડે આવે એટલે પિતા માટેના ક્વોટ, સુવાક્યો સાથે પિતાની કોઈ કદર નથી થતી એવા સંદેશાઓથી સોશિયલ મીડિયા ગાજી ઊઠે છે. પિતા અને પુત્રીના સંબંધોમાં જ પિતા એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે દેખાય છે બાકી પુત્ર માટે તે સતત અપેક્ષાઓનો બોજ બનીને રહી જાય છે. જે પરંપરા પુરુષપ્રધાન સમાજે ઘડી છે તેને તોડીને જુદી રીતે ભાગ્યે જ કોઈ વિચારશે.

પુરુષને પોતાનો વંશ ચલાવવા માટે દીકરો જોઈતો હોય છે કારણ કે નામ અને અટક તેને અમર બનાવી દેતી હોય છે તેવી માન્યતા ઘર કરી ગઈ છે. નામ, અટક અને વંશવેલો પુરુષને એટલો બદ્ધ બનાવી દે છે કે તે જોઈ શકતો નથી કે પુરુષ જાતિને કેટલું નુકસાન કરી રહી છે. પિતા તરીકે દીકરીને અને અન્યની દીકરીઓને જોવાના કાટલા જુદાં.પુરુષ પિતા પોતાના પુત્રને સારો માણસ બનાવી શકતો નથી. સમાજમાં જે વ્યક્તિઓ અને બદીઓ જોવા મળે છે તેમાં પિતા તરીકે શું પુરુષની કોઈ જવાબદારી નહીં? પિતા ભ્રષ્ટાચાર કરતા હોય. લાંચ લેતા કે આપતા હોય. સંસ્કાર કરતાં મોઘું શિક્ષણ મહત્ત્વનું હોય કારણ કે ડિગ્રી હશે તો જ સારી નોકરી મળશે અને નોકરી હશે તો સારા પૈસા મળશે. જીવન ધોરણ સગવડોથી જ મપાઈ રહ્યું છે. પૈસાદાર પિતાનો દીકરો પુખ્તવયનો ન હોય તો પણ લાઈસન્સ વિના ગાડી પુરપાટ ચલાવીને કોઈને કચડી નાખે ત્યારે પૈસા વેરીને તેને છોડાવી લેવાનો. પૈસાદાર પિતાનો પુખ્તવયનો દીકરો આલ્કોહોલ કે ડ્રગના નશા હેઠળ રાતના ફુટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડી નાખે તો પણ તેને સજા ન થાય તેવા બધા જ પ્રયત્નો થાય તો એ છોકરો પિતા બનીને પોતાના દીકરાને શું શીખવાડશે?

આ લખવાનું કારણ આપ્યું બે પત્રોએ. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જાન્યુઆરી ૨૦૧૫માં એક છોકરી પર થયેલા બળાત્કારનો ગુનો કરનાર છોકરાના પિતાએ જ્જને લખેલો પત્ર અને બળાત્કારનો ભોગ બનેલી છોકરીએ લખેલો પત્ર વાંચીને. આ બન્ને પત્રો દરેક પિતાએ વાંચવા જોઈએ અને પોતાના પુત્ર, પુત્રીને વંચાવવા જોઈએ. જેમને આ કેસની જાણ નથી તેમને માટે ટૂંકમાં અહીં આલેખું.

જાન્યુઆરી ૨૦૧૫ની એક રાત્રે ૨૩ વરસની એક યુવતી જે આલ્કોહોલના નશામાં બેભાન હતી તેના પર ૨૦ વરસના અમેરિકન સ્વિમિંગ ચેમ્પિયન છોકરા બ્રોક ટર્નરે ખૂબ જ ખરાબ રીતે બળાત્કાર કર્યો. તે જ સમયે બે સ્વીડિશ છોકરાઓ બાઈસિકલ પર ત્યાંથી જઈ રહ્યા હતા. તેમણે જોયું કે એક છોકરો જરાય હલનચલન ન કરતી છોકરીની ઉપર સવાર હતો. તેમણે બૂમ પાડી તો બ્રોક ત્યાંથી ભાગ્યો. પેલા છોકરાઓએ બાઈસિકલ પર પીછો કરી તેને પકડીને પોલીસને હવાલે કર્યો. એ સ્વીડિશ છોકરાઓમાંથી એક છોકરો પેલી છોકરીની હાલત જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પેલી છોકરી બેભાન હતી. લગભગ નગ્ન હતી. તેનું આખુંય શરીર કાંટા અને ઝાંખરાઓમાં ઘસડાવાને કારણે ઊઝરડાયેલું હતું. બળાત્કારી બ્રોક અમેરિકાનો શ્રેષ્ઠ તરવૈયો છે. અને ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે તેવી શક્યતા હતી.

અમેરિકાની અદાલતમાં જ્યુરી સિસ્ટમ છે.જ્યુરીએ છોકરાને બળાત્કારી જાહેર કરી ૧૪ વરસ સુધીની સજાને પાત્ર ગણ્યો. પણ બળાત્કારીના પિતાએ જ્જને વિનંતી કરતો પત્ર લખ્યો કે ફક્ત વીસ મિનિટના કૃત્યને કારણે તેને જેલમાં જવાની જરૂર નથી.આ કેસને કારણે તેના પર ઘણી અસર થઈ છે.મારા દીકરાની જીંદગી બરબાદ થઈ ગઈ છે. તે ખાતો નથી, સૂઈ નથી શકતો, આગળ કારર્કિદી નહીં ઘડી શકે.મારો દીકરો ક્યારેય હિંસક નથી બન્યો. બળાત્કારનો ગુનો બન્યો તે રાત્રે પણ તે હિંસક નહોતો બન્યો.હવે તે શાળા-કોલેજમાં જઈને યુવાનોને જાગૃત કરવા માગે છે કે આલ્કોહોલ તમારી જિંદગી બરબાદ કરી શકે છે. વગેરે વગેરે.

વરસ સુધી કેસ ચાલ્યા બાદ બળાત્કારી છોકરા બ્રોકે કહ્યું કે પેલી યુવતીએ મને સેક્સ માટે હા પાડી હતી એટલે જ … પેલી યુવતીએ બ્રોકને સંબોધીને ૧૨ પાનાનો પત્ર લખ્યો તેમાં દોઢ વરસમાં તેનું જીવન કેટલું બદલાઈ ગયું અને તેણે શું વેઠ્યું તે લખ્યું. બળાત્કાર પહેલાં તે કેવી આત્મ વિશ્વાસથી ભરપૂર છોકરી હતી. બળાત્કાર બાદ તે શરીરને પણ કપડાંની જેમ બદલી નાખવા માગતી હતી. રાત્રે એકલી સૂઈ નહોતી શકતી. રડી રડીને આંખો સૂઝી જતી હતી. મારા પગ પહોળા કરીને ફોટા લેવાયા. કોર્ટમાં અનેક અંગત પ્રશ્ર્નો પુછાયા જે જખમોને સતત ખોતરીને તાજા કરતા હતા. વગેરે વગેરે…

આમાં પિતા તરીકે પુત્રની ચિંતા કરનાર પુરુષ સામેની યુવતી પણ કોઈની દીકરી છે તે ભૂલી જાય છે. પિતાએ પુત્રને જવાબદાર પુરુષ બનવાના સંસ્કાર આપવાના હોય. બેભાન યુવતી પર બળાત્કારને એક ભૂલ ગણીને પોતાના દીકરાના બરબાદ ભવિષ્ય માટે રડતાં પિતાએ હકીકતમાં તો તેને એવી સજાનો હકદાર ગણવો જોઈએ કે બીજો કોઈ છોકરો બળાત્કાર કરવાની હિંમત ન કરી શકે. પેલી યુવતીની માફી માગીને પસ્તાવો કરવાનું પિતા શીખવાડતા નથી પણ વકીલ રોકીને તેની પાસે યુવતીને ખરાબ ચરિત્રની હોવાનું સાબિત કરાવડાવે છે. શું એ પિતાની દીકરી પર બળાત્કાર થાય તો પણ એ પિતા બળાત્કારીનું જીવન બરબાદ ન થાય તેવું ઈચ્છશે? પુરુષત્વ અને પૈસાના જોરે કંઈપણ ગુનો કરી શકાય તેવું કોઈ છોકરો વિચારી શકે તો તેમાં એના પિતા શું વિચારે છે તે પણ મહત્ત્વનું છે. પિતા તરીકે પુત્રને જવાબદાર નાગરિક બનાવવો, સારો માનવ બનાવવાની ફરજ બજાવવાની હોય છે. તેને ગુનાઓ કરીને મુક્ત થઈ જવાય એવું શીખવાડવાનું ન હોય. નાના નાના ગુનાઓ ક્યારેક મોટા ગુનામાં ફેરવાઈ શકે તે કહેવાય નહીં.

સૌજન્ય-મુંબઈ સમાચાર.કોમ 

( 965 ) કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાનાં પ્રેરક પ્રવચનો

શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય અને શ્રી જય વસાવડા એ આધુનિક યુગના યુવકો-યુવતીઓના લોક પ્રિય લેખકો અને વક્તાઓ છે.આ બન્ને ય ગુજરાતી પ્રતિભાઓનાં આધુનિક વિચારો ધરાવતાં પ્રેરક પ્રવચનો સાંભળવાની વિદેશોમાં પણ ખુબ માગ હોય છે.

અખાતી દેશ મસ્કતમાં ઘણાં વર્ષોથી અનેક ગુજરાતીઓ વસ્યા છે અને ત્યાં જઈને ખુબ નામ અને દામ કમાયા છે.મસ્કત ગુજરાતી સમાજ-ઓમાન યોજિત એક અમારંભ પ્રસંગે આમંત્રિત આ બન્ને વક્તાઓ કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડાએ જે પ્રેરક પ્રવચન કર્યું હતું એના યુ-ટ્યુબ પર ઓક્ટોબર ૭,૨૦૧૬ ના રોજ મુકેલ વિડીયો સાંભળ્યા અને મને એ ખુબ જ ગમી ગયા.

આ વિડીયોની લીંક મોકલવા માટે યુ.કે.નિવાસી બેન હિરલનો હું આભારી છું.વિનોદ વિહારના વાચકો માટે આ ચારેય રસસ્પદ વિડીયો  શેર કરતાં આનંદ થાય છે.

કાજલ ઓઝા વૈદ્યએ એમના પ્રવચનમાં સ્ત્રી-પુરુષો વચ્ચેના લગ્ન જીવનના પ્રશ્નો વિષે સુંદર ચર્ચા કરી છે અને દાખલા દલીલો સાથે લગ્ન જીવનની વાસ્તવિક વાતો ખુબ જ પ્રભાવિત કરે એવી એમની રમુજી જબાનમાં રજુ કરી છે. એવી જ રીતે જય વસાવડાએ પણ એમની પ્રભાવિત કરે એવી કાઠીયાવાડી રસીલી જબાનમાં જીવન માટે પોષક અને પ્રેરક વાતો કરી છે જે માણવા જેવી છે.

દરેક પરિણીત યુગલે સાથે બેસીને કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડાના પ્રેરક વક્તવ્યોના આ ચારેય પ્રેરક વિડીયો આરંભ થી અંત સુધી માણવા જેવા છે .

Kajal Oza Vaidya  At Oman Part 1

Kajal Oza Vaidya  At Oman Part 2

Jay Vasavda At Oman … Part -1

Jay Vasavda at Oman Part -2

કાજલ ઓઝા-વૈદ્ય ના ઉપરના વિડીયો જો તમોને ગમ્યા હોય તો નીચેની લીંક ઉપર ક્લિક કરીને આવા બીજા ઘણા રસિક અને પ્રેરક વિડીયો સાંભળવાની મજા માણો.
https://www.youtube.com/channel/UCavDtqy5q1bTKEBPPFcW14w

કાજલ ઓઝા-વૈદ્ય અને જય વસાવડા નો પરિચય

( નીચે ક્લિક  કરીને વાંચો )

કાજલ ઓઝા-વૈદ્ય  (સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય )

જય વસાવડા … (સૌજન્ય-વીકીપીડીયા )

( 964 ) વિરહીની વેદના અને મૂંઝવણ ….. કાવ્ય રચના …… ચીમન પટેલ

જિંદગીના આ મેળામાં કોઈ દૈવ યોગે જ જીવન સાથી મળે છે અને સાથે આ મેળાનો આનંદ માણે છે અને કુટુંબની જવાબદારીઓ સાથે સંભાળે છે.કમનશીબે  એવા સંજોગો સર્જાય  છે કે બેમાંથી કોઈ એક સાથી વિદાય લઇ લે છે.પ્રિય પાત્રની વિદાયથી એકલો બની ગયેલ સાથી જીવનમાં એકલતા અને એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે.શરીરમાં ઘર કરી ગયેલ કોઈ એક રોગની માફક દિલમાંથી યાદો પુરેપુરી જતી નથી.સમય સાથે કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય છે.પેલા હિન્દી ગીતમાં આવે છે ને કે “જાને વાલે કભી નહિ આતે ,પર જાને વાલેકી યાદ તો જરૂર આતી હૈ !”

આજની  પોસ્ટમાં પ્રસ્તુત શ્રી ચીમનભાઈના કાવ્ય “મૂંઝવણ “માં એમનાં જીવન સાથીની વિદાયની વિરહ વેદના અને એમના દિલની મૂંઝવણ છતી થાય છે એ સમજી શકાય એમ છે.જેને રામ બાણ વાગ્યાં હોય એ જ એને બરાબર જાણી શકે !કાવ્યને અંતે તેઓ કહે છે :

સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!

chiman -niyantika

સ્વ.નિયંતિકાબેન સાથેની ચીમનભાઈની એક યાદગાર તસ્વીર  

હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ હાલ ૮૨ વર્ષની ઉંમરના છે પણ એક યુવાનની જેમ સક્રિય છે.ચીમનભાઈનો પરિચય અને એમની અન્ય સાહિત્ય રચનાઓ એમના બ્લોગ “ચમન કે ફૂલ ” ની આ લીંક  પર ક્લિક કરવાથી વાંચી શકાશે.

મૂંઝવણ ….. ચીમન પટેલ

અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!

તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?

સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!

ચીમન પટેલ “ચમન “

ચીમનભાઈ નું આ કાવ્ય ગુજરાતી ભાષાના જાણીતા બ્લોગ  ” વેબ ગુર્જરી ” માં  પણ પ્રગટ થયું છે.

આજની આ પોસ્ટના સંદર્ભમાં,વિનોદ વિહારની પોસ્ટ નંબર (859 )” એકલતા જ મારે માટે સ્વર્ગ છે.” માં મુકેલ કિશોર કુમાર રચિત હિન્દી ફિલ્મના મનપસંદ હિન્દી ગીતનો ગુજરાતીમાં કરેલ નીચેના કાવ્યાનુવાદનો આસ્વાદ પણ માણો.

હિન્દી ગીતનો અનુવાદ

આંખની પલકો પર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે,
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .

જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે,
દુનિયા આગમન અને ગમનની જ કથા છે,
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે,
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે,
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.

ભાગતી જિંદગી તું જરા થોભી જા,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં,
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.

કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે,
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ,
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.

અનુવાદ- વિનોદ પટેલ,૨-૨૭-૨૦૧૬

જે હિન્દી ગીતનો અનુવાદ ઉપર છે એ હિન્દી ગીતને નીચેના વિડીયોમાં કિશોરકુમાર ના કંઠે સાંભળો અને માણો .

( 963) શ્રી નરેન્દ્ર મોદી શા માટે અભિનવ ‘ચાણક્ય’ કહેવાય છે.?

( 962 ) મધ્યમાં રહેવું અને કોઈપણ અતિ પર જતાં અટકવું એનું નામ માધ્યસ્થ ભાવના…. જિનદર્શન …. મહેન્દ્ર પુનાતર

મધ્યમાં રહેવું અને કોઈપણ અતિ પર જતાં અટકવું એનું નામ માધ્યસ્થ ભાવના
જિનદર્શન – મહેન્દ્ર પુનાતર

mumbai-samachar-articleમૈત્રી, પ્રમોદ અને કુરુણાનો આપણે વિચાર કર્યો. હવે આપણે માધ્યસ્થ ભાવના અંગે ખ્યાલ કરીએ. આ ચાર પરાભાવના આપણા જીવનમાં વણાઈ જાય તો બીજી બાર ભાવનાઓને સમજવાનું સરળ બની જશે. આપણું ભાવ જગત આપણા જીવનનું કુરુક્ષેત્ર છે. આમાં આપણે જ અર્જુન, આપણે જ દુર્યોધન અને આપણે જ યુધિષ્ઠિર અને કૃષ્ણ છીએ. આપણે જ આપણી સામે લડી રહ્યા છીએ. ઘડીક આપણે જીતીએ છીએ તો ઘડીક હારીએ છીએ. આપણા મનમાં જેવા ભાવ ઊભા થતા જાય તેમ ચહેરાઓ બદલાતા જાય છે. અંદર જે ઘમસાણ ચાલી રહ્યું છે તેની આપણને ખબર પડતી નથી. આ ભાવનાઓનું ચિંતન આપણને સારા ભાવો અને સકારાત્મકતા તરફ લઈ જાય છે. આ જીવન જીવવાની કલા છે. માધ્યસ્થ ભાવનાના ઘણા અર્થો છે. માધ્યસ્થ ભાવના એટલે રાગ-દ્વેષમાં વિચલિત ન થવું અને આત્મામાં સ્થિર થવું. બીજો તેનો અર્થ છે સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો. પ્રિય અને અપ્રિયમાં ભેદભાવ ન રાખવો. ત્રીજો તેનો અર્થ છે કેટલાય જીવો જે આડા પાટે ચડ્યા હોય, ધર્મ વિમુખ અને હિંસક હોય તેમને માધસ્ય ભાવ રાખીને સહી માર્ગે વાળવા, તેમને સુધારવાનો પ્રયાસ કરવો. પણ આમાં સામો માણસ આપણું અપમાન કરે, સામે થાય તો પણ ધીરજ ગુમાવવી નહીં. જેવા સાથે તેવા થવું નહીં. આવા ભટકેલા માણસો પ્રત્યે પણ રાગ-દ્વેષ રાખવો નહીં.

જીવનમાં કેટલાક બનાવો એવા છે એમાં આપણું કાંઈ ચાલતું નથી. સમય અને સંજોગો પ્રમાણે બધું થતું રહે છે. કેટલાક માણસોનું વર્તન અને વહેવાર ત્રાસ ઉપજાવે તેવો હોય છે પણ આપણે સમતા અને શાંતિ ધારણ કરવી. ઉકળાટ કરવો નહીં, ગુસ્સે થવું નહીં. બીજાની ભૂલના કારણે આપણને પોતાને સજા આપવી નહીં અને કોઈ પણ જાતનો રંજ, દ્વેષ રાખવો નહીં. બીજાને સુધારવાનો પ્રયાસ કરીએ ત્યારે થોડું આત્મનિરીક્ષણ પણ કરી લેવું કે આપણે જે માર્ગે જઈ રહ્યા છીએ તે બરાબર છે ને? ઉપદેશ કરતા આચરણ વધુ અસરકારક બને છે. કોઈને પણ સુધારવા જતા પહેલાં આપણે સુધરવું પડે. હું કહું એ જ સાચું એવું અભિમાન ચાલે નહીં. આપણે આમાં કશું મેળવવાનું નથી. જશના બદલે જૂતિયાં મળે તો પણ વાંધો નથી. મારે મારું કર્તવ્ય બજાવવાનું છે. બીજો શું કરે છે અને નથી કરતો તેની પીંજણમાં પડ્યા વગર સામા માણસને સન્માર્ગે વાળવાનો છે.

કોઈપણ માણસને ખરાબ થવું કે ખરાબ દેખાવું ગમતું નથી. પોતે જે રાહ પર ચાલી રહ્યો છે તે સારો નથી એવી પ્રતીતિ પણ તેને થતી હોય છે. પણ તે સમય અને સંજોગોમાં સપડાયો હોય છે. તેના માટે પાછા વળવાનું મુશ્કેલ હોય છે. આ એક કળણ છે તેમાં માણસ ઊંડોને ઊંડો ઊતરતો જાય છે. માધ્યસ્થ ભાવનાનો અર્થ તેને ઊંડા ખાડામાંથી બહાર કાઢવાનો છે. આ જગતમાં સારા-સજ્જન થવું કોને ન ગમે? આપણે ભટકેલા, દિશા ભૂલેલા માણસને તેનું માન ન ઘવાય તે રીતે સાંપ્રત પ્રવાહમાં પાછો વાળવા પ્રયાસ કરવાના છે અને તેને આ અંગે મોકો આપવાનો છે.

કેટલાક એવા પ્રકારના લોકો હોય છે જેઓ ગરીબી, કંગાલિયાતમાં સપડાયા હોય, જીવવાનું તેમના માટે મુશ્કેલ હોય, આના કારણે તેઓ એક યા બીજી રીતે હિંસામાં પ્રવૃત હોય તેમને સહાયરૂપ થઈએ અને માર્ગદર્શન આપીએ ત્યારે આપણામાં એવો ભાવ પણ ઊભો નહીં થવો જોઈએ કે આપણે તેના કરતાં ઊંચા છીએ, વધારે ડાહ્યા છીએ, બુદ્ધિમાન છીએ. આવો ભાવ અહંકાર ઊભો કરે છે. સાધકે માત્ર એટલો ખ્યાલ કરવાનો છે આ મારા જેવો આત્મા છે મારે તેને સત્વરે ધર્મના પંથે ચડાવવાનો છે. આમાં ગમે તે અંતરાયો આવે સમતાભાવ ધારણ કરીને અન્ય પ્રત્યે શુભેચ્છાનો ભાવ રાખવાનો છે. વૈયાવૃત એટલે સેવાની ભાવના રાખવાની છે.

કોઈ દુ:ખી, પીડિત માણસ કે જીવને જોઈએ ત્યારે તેના કારણમાં ઊતર્યા વગર અને તેના હૃદયને ખોતર્યા વગર તેને સહાય કરીને ચૂપચાપ ચાલ્યા જવાનું છે. કામ પૂરું થયા પછી આભારના શબ્દો સાંભળવા માટે પણ ઊભા રહેવાનું નથી. કોઈ પણ જાતની અપેક્ષા રાખીએ તો દોષ લાગે.

માધ્યસ્થ ભાવના એટલે તટસ્થા અર્થાત સમતા. આમાં રાગ પણ ન હોય, દ્વેષ પણ ન હોય. આ મારું પ્રિયજન છે, આનો મારી સાથેનો સંબંધ છે એટલે તેની વહારે જવું જોઈએ અને આ મારો દુશ્મન છે, વિરોધી છે એટલે તેને મદદ કરવાની જરૂર નથી એવો ભાવ રાખવાનો નથી. અન્યના દોષોની ઉપેક્ષા કરવી, તેના પ્રત્યે ધ્યાન આપવું નહીં. કોઈક સારું તત્ત્વ એનામાં શોધીને તેને સારા બનવા પ્રોત્સાહન આપવું એ આ ભાવનાનો સાર છે. સમાજમાં સજ્જનો કરતાં દુર્જનોની સંખ્યા વધારે છે પણ આપણે તે અંગે દુર્લક્ષ સેવીએ છીએ. સજ્જનો આગળ આવતા નથી. એટલે દુર્જનો પોતાની જગ્યા કરી લે છે અને આપણે તેમને મહત્ત્વ આપીને તેમના અહંકારનો પારો ઊંચો ચડાવીએ છીએ. તેમની ઉપેક્ષા કરીને તેમને સાચે માર્ગે વાળવાના છે. ખરાબ માણસોની જેટલી પ્રશંસા થાય છે એટલી સારા માણસોની થતી હોત તો સારા-સજ્જન માણસોની સંખ્યા વધારે હોત. ખરાબ માણસોને સુધારવા માટે પણ સારા માણસોએ આગળ આવવું જોઈએ.

માણસના મૂળભૂત તત્ત્વમાં વિશ્વાસ અને માનવીય ગુણો વિકસે અને દરેક માણસને સારા થવા પ્રોત્સાહન મળે એવા પ્રયાસો એટલે માધ્યસ્થ ભાવના. લોકો વાતવાતમાં કહેતા હોય છે મેં તેને સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા છે પણ તેને સુધરવું નથી એમાં આપણે શું કરીએ? કેટલાક લોકો કહેશે મેં તેને સુખી બનાવવા ઘણા પ્રયાસો કર્યા પણ તેને કદર નથી. આપણું સુખ બીજા સુધી નથી પહોંચતું તો પ્રથમ વિચાર કરવો કે આપણી પાસે ખરેખર સુખ છે કે? જે વસ્તુ આપણી પાસે હોય તે જ બીજાને આપી શકીએ. આપણી પાસે જે નથી તે બીજાને આપી શકાતું નથી. આપણે કોઈ સારું કામ કરીએ અને કદરની અપેક્ષા રાખીએ તો તેનો કોઈ અર્થ રહે નહીં. કાંઈક કરીને બદલામાં કાંઈક મેળવવું હોય તો એ સ્વાર્થ ગણાય.

માધ્યસ્થ ભાવના એટલે સફળતા અને નિષ્ફળતામાં સમભાવ રાખવો. સફળતા મળે તો ફુલાવું નહીં અને નિષ્ફળતા મળે તો મૂંઝાવું નહીં. માણસનો સ્વભાવ છે સફળતા મળે તો બધો જશ પોતાનો અને નિષ્ફળતા મળે તો બધો દોષ બીજાનો. આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે બીજાનો ખ્યાલ કરવાનો છે. આપણે આપણું પોતાનું જ વિચારવાનું નથી.બીજાને મદદ કરવાની છે. બીજાનું જીવન સુધારવાનું છે પણ આ અંગે નિરાશ થવાનું નથી. શ્રી ચિત્રભાનુજીએ બહુ યથાર્થ રીતે કહ્યું છે કે

‘માર્ગ’ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું

કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું.

મહાવીરનો સંયમનો અર્થ છે મધ્યમાં રહેવું અને સાક્ષી ભાવે જીવવું અને પોતાની શક્તિથી પરિચિત થવું. આ માટે પ્રભુએ એક માર્ગ બતાવ્યો છે તે છે સમ્યક્માર્ગ. કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. માધ્યસ્થ ભાવનાનો અર્થ છે કોઈપણ અતિ પર જતા અટકવું. માણસનું સમગ્ર જીવન બે અતિઓ પર અટવાયેલું છે. મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. માણસ ઘડીક દોસ્તી કરે છે. ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ તો ઘડીક ઘૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમા. આમ બે અતિઓ પર જીવનની ધારા અવલંબિત છે. જીવનમાં કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. મન એક આયામમાંથી બીજા આયામ પર ભટક્યા કરે છે. કોઈને તે શિખર પર ચડાવી દે છે તો કોઈને નીચે ગબડાવી મૂકે છે.

માધ્યસ્થ ભાવનાનો અર્થ છે જીવનના તમામ વ્યવહારોમાં સંતુલન જાળવવું. આપણે મોટે ભાગે કાં તો કાંઈ કરતા નથી અને કાં તો વધુ પડતું કરી નાખીએ છીએ. વધુ પડતું કરી નાખવાનું માણસનું જે વલણ છે તેનું મુખ્ય કારણ એ છે કે કાંઈક વધુ કરી નાખીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે છીએ અને બીજાને પણ આપણી હસ્તીનો ખ્યાલ આવે છે. આપણે ભભકા કરીએ તો જ બહાર દેખાઈએ. આપણે આગળ આવવું છે, બહાર દેખાવું છે એટલે અતિ પર જવું પડે છે. કાંઈક અસાધારણ કરીએ તો જ બીજાની નજર આપણા તરફ ખેંચાય. જગતને સુધારવું સહેલું છે પણ પોતાની જાતને સુધારવી મુશ્કેલ છે. બીજાનું કલ્યાણ કરવાનું સહેલું પણ પોતાનું કલ્યાણ કરવાનું કઠિન. બીજાને સુધારવા માટે પરિણામની કશી ચિંતા કરવી પડતી નથી. દોષનો ટોપલો બીજા પર ઢોળી શકાય છે પણ પોતાને સુધારવાની નિષ્ફળતામાં કોઈને જવાબદાર ગણી શકાતું નથી. બીજાને બદલાવામાં અને બીજાને પોતાના જેવા કરવામાં માણસને અનહદ આનંદ થતો હોય છે. પોતાનું કહ્યું બીજા માને, બીજા પોતાનું અનુસરણ કરે એવું દરેક માણસને ગમતું હોય છે. બાપ દીકરાને, ગુરુ શિષ્યને, શિક્ષક વિદ્યાર્થીને પોતાના ઢાંચામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. આમાં અહંકારની તૃપ્તિ છે. માધ્યસ્થ ભાવનાનો અર્થ છે આપણે બીજાને સુધારવાના છે, પણ તેમની પર હકૂમત જમાવવાની નથી. આપણે ઢળી જવાનું છે, પણ બીજાને આપણા મત મુજબ ઢાળવાના નથી. આ ભાવનામાં જીવનનો સમગ્ર સાર છે. આપણે તેને સાચી રીતે સમજીએ તો આમાં આપણું અને સર્વેનું કલ્યાણ રહેલું છે. કોઈ રચનાકારે કહ્યું છે તેમ…

“ગુણીજન વિશે પ્રીતિ ધરું

નિર્ગુણ વિશે મધ્યસ્થતા

આપત્તી હો, સંમતિ હો

રાખુ હૃદયમાં સ્વસ્થતા

સુખમાં રહું વૈરાગ્યથી

દુ:ખમાં રહું સમતા ધરી

પ્રભુ આટલું ભવોભવ

મને તું આપજે કરુણા કરી.

સૌજન્ય– મુંબઈ સમાચાર.કોમ