”સુખનું એક દ્વાર બંધ થતાં જ બીજું દ્વાર ઉઘડી જાય છે, પરંતુ પેલા બંધ થયેલ દ્વાર તરફ આપણે એટલો બધો વખત તાકી રહીએ છીએ કે આપણી નજર પેલા બીજા ઊઘડેલા દ્વાર તરફ જતી જ નથી.”-હેલન કેલર
બે ઘડી કલ્પના કરો કે બન્ને આંખોથી તમે જોઈ શકતા નથી.બન્ને કાનથી કંઈ સાંભળી શકતા નથી,કોઈ ઈચ્છે તો પણ કોઈ તમને મદદ કરી શકે એમ નથી,તો તમારી દુનિયા કેવી અંધકારમય અને મૂંઝવણ ભરી બની જાય !
હેલન કેલર 19 મહિનાની હતી ત્યારે તેને કોઈ ભેદી બીમારી લાગુ પડી. તેનાથી તેની જોવા-સાંભળવાની શક્તિ ચાલી ગઈ.હેલન કેલરની બે મહત્વની જ્ઞાનેન્દ્રિયો આંખ અને કાન બાળપણમાં જ છીનવાઈ જતાં હેલન કેલર અંધ અને બહેરાં બની ગયાં. હેલન કેલરના કમનશીબે એને આવા અંધકારમય સંજોગોમાં એનું જીવન વિતાવવાનું આવી પડ્યું હતું.
હેલન ખૂબ બુદ્ધિશાળી હતી. દરેક ચીજને સ્પર્શીને, સૂંઘીને અને ચાખીને કહી આપતી.તેના હાથ જાતજાતની ચીજોને અડતા અને તે પરથી તે શીખતી જતી. દરેક વસ્તુની ગંધ તેને આત્મસાત્ થતી ગઈ. આંખ ને કાનનો સહારો ન હોવા છતાં, તેની જ્ઞાન મેળવવાની અદમ્ય ભુખ તે સંતોષી લેતી હતી.
આવી બેવડી અપંગાવસ્થા ભોગવતાં હોવા છતાં હેલન કેલર જીવનમાં કદી નાસીપાસ ન થયાં.આવા શારીરિક પડકારો વચ્ચે જિંદગીનો જંગ સફળતાથી જીવી બતાવી તેઓએ લાખો દિવ્યાંગ જનોને પોતાના જીવનનો રાહ પોતાના પુરુષાર્થ અને હિંમતથી સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી.
હેલન કેલરે પોતાની અપંગાવસ્થા અંગે આ પ્રમાણે લખ્યું છે.
“I thank God for my handicaps, for through them, I have found myself ,my work and my God.”
વધુમાં તેઓ કહે છે ..
“Character cannot be developed in ease and quite.Only through experience of trial and suffering can the soul be strengthened ,ambition inspired and success achieved .”
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી પ્રેરણાદાયી પ્રતિભા હેલનનો પરિચય આપતો “ વિકલાંગોની દીવાદાંડી –હેલન કેલર “એ નામનો મારો એક લેખ જાન્યુઆરી ૯, ૨૦૧૨ ના રોજ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ છે.સૌ પ્રથમ આ લેખ અમદાવાદના માસિક ”ધરતી”માં પ્રકાશિત થયો હતો.
કુદરતે પોતાના માર્ગમાં મૂકેલી બધી ય આડખીલીને હટાવીને કે બીજી રીતે પાર કરીને વિકાસની શક્ય એવી સીમા આંબવી એ માનવીની સિદ્ધિ છે તો સાથે સાથે એ જ, એના માટેનો પુરુષાર્થ એ જ, માનવીનું પરમ સૌભાગ્ય પણ હોય છે. એ પુરુષાર્થનો ખરો આનંદ એ પરમ લક્ષ્યે પહોંચવા કરતાંય એ પંથે હસતે મોંએ, ઉલ્લાસભર્યા દિલે, આપત્તિઓ સહી લેતાં, વાવંટોળ અને ખાડાટેકરા સહુને ખમી લેતાં આગળ અને આગળ જવામાં છે.
હેલન કેલરની જીવનકથા એ પુરુષાર્થમાં શ્રદ્ધા પ્રેરે એવી કથા છે. સિંહ સાથે બાથ ભીડવાનું જાહેર કર્યા પછી સિંહ હાડમાંસને બદલે ઘાસનો ભરેલો હોવો જોઈએ, સિંહના પંજામાં નહોર ન હોવા જોઈએ, સિંહના મોંમાં દાંત ન હોવા જોઈએ, એવું કહેનાર માગનારની એ પુરુષાર્થકથા નથી. જીવનને જીવનરૂપે જ યથાર્થ જોઈ-જાણીને પણ આત્મવિકાસ માટે સતત યત્નશીલ રહીને મક્સદે પહોંચનારની એ કથા છે.
માત્ર હેલન કેલરને અપંગ કહેવામાં સાથ આપવામાં દિલ ના પાડે છે.વાયુમંડળમાંથી શ્વાસ લઈને, હવાને સૂંઘીને જ, આવતી વસંતના વધામણાં કરવા નીકળી પડનારને અપંગ કેમ કરીને કહેવાય? કુદરતની અર્થહીન ફાંટાબાજી, યથાર્થતાનો અંચળો, ’છે’અને ‘નહીં’ના ગુમાનને ઢાંકતો હોય ’ એમ આંગળી ચિંધતો હોય, એવું એમાં લાગે છે. અને એટલું ખટકે છે.
પોતાના મનોબળ,હિંમત અને પરિશ્રમથી એના અંધકારમય જીવનને પ્રકાશિત કરનાર હેલન કેલર ના સંઘર્ષમય જીવનમાંથી પ્રેરણા લઈને ૨૦૦૫ માં જાણીતા ડાયરેક્ટર સંજય ભણસાલીએ એક હિન્દી મુવી”બ્લેક” બનાવ્યું હતું. એમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ યાદગાર અભિનય આપ્યો હતો.
યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં આ હિન્દી મુવી ”બ્લેક”ને માણો.
Black (2005)– Amitabh Bachchan And Rani Mukerji-Sanjay Leela Bhansali
વાચકોના પ્રતિભાવ