વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: અમેરિકન સમાજ દર્પણ

1169- ” સમજપૂર્વકનું અંતર ”… સ્વ.અવંતિકા ગુણવંત ….શ્રધાંજલિ… વાર્તામાળા …મણકો..૧૧

સ્વ.અવંતિકા ગુણવંત … શ્રધાંજલિ … વાર્તાઓની સાપ્તાહિક શ્રેણી …મણકો..૧૧

Avantika Gunvant

અમેરિકામાં જન્મેલ કાજોલ પોતાની જાતને અમેરિકન તરીકે ઓળખાવે છે.એ અમેરિકન સિટિઝન છે. એના પતિ ડીક સાથે વિચારોનો મેળ ના મળતાં કાજોલ એનાથી છૂટી પડે છે.

કાજોલ કહે છે કે ”અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો.અમે બન્ને એ પ્રેમને જાળવવા માગતાં હતાં, તેથી જ છૂટાં પડ્યાં હતાં.
પતિપત્ની મટી ગયાં હતાં, પણ મિત્રો તો રહ્યાં જ હતાં.!”

અમેરિકામાં વસતાં પતી-પત્નીના સંબંધો પર પ્રકાશ પાડતી સ્વ. અવંતિકા ગુણવંતની આ વાર્તા આપને જરૂર ગમશે.

વિનોદ પટેલ

સમજપૂર્વકનું અંતર … વાર્તા  …અવંતિકા ગુણવંત

કાજોલનો જન્મ અમેરિકામાં થયો, પણ એના ઘરનું વાતાવરણ, જીવનશૈલી લગભગ ભારતીય હતાં. કાજોલ પોતાની જાતને અમેરિકન તરીકે ઓળખાવે છે, એ અમેરિકન સિટિઝન છે, એણે ભારત જોયું જ નથી, છતાં મને એવું લાગ્યા કરે કે ઊંડેઊંડે એનામાં પરંપરાગત ભારતીય સંસ્કારો છે. તેથી જ અમે જીવન વિશે ઘણી બધી બાબતોની ચર્ચા કરી શકતાં ને અન્યોન્યનું દષ્ટિબિંદુ સમજી શકતાં. કશુક છુપાવ્યા વગર હૃદયમનના ભાવ નિખાલસતાથી બેધડક પ્રગટ કરી શકતાં. અમારી વાતોનો પ્રવાહ અસ્ખલિત વહ્યા કરતો.

રસ્તમાં કાજોલે કહ્યું : ‘આપણે બર્લિંગ્ટન મૉલમાં જઈએ છીએ, પ્રેઝન્ટ ખરીદવા. ડીક માટે પ્રેઝન્ટ.’

‘ડીક માટે ?’ આટલા શબ્દો મારા મોંમાંથી સરી પડ્યાં, પણ પછી હું અટકી ગઈ, કારણ કે આજ સુધી એક ડીકનું નામ મેં એના મોંએ સાંભળ્યું છે અને એ છે એનાથી છૂટા પડેલા એના પતિનું.એ સિવાય બીજા કોઈ ડીક વિશે મેં સાંભળ્યું નથી, તો એના એ છૂટાછેડાવાળા પતિ માટે પ્રેઝન્ટ લેવા એ જતી હતી ? ડીકથી છૂટા પડ્યે પાંચેક વરસ થયાં છે. આ ડીકની વર્ષગાંઠ કે એવું કંઈ હશે, એની ઉજવણી થવાની હશે. એક સેકન્ડમાં મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉપસ્થિત થયા. મારા ચહેરા પર આલેખાઈ ગયેલા એ પ્રશ્નો એણે વાંચી લીધા હોય એમ કાજોલ બોલી : ‘ડીકનાં લગ્ન છે, કાલે આમંત્રણ આપવા આવ્યો હતો.’

મેં જોવા પ્રયત્ન કર્યો, એ દુ:ખી તો નથી ને ! અમેરિકામાં છૂટાછેડા લીધા પછી પણ પતિ-પત્ની એકબીજાને સદભાવથી મળે છે. તેઓ વચ્ચે મૈત્રી ટકી રહે છે, એમના એ સંબંધનું એક ગૌરવ હોય છે. કાજોલ જ્યારે જ્યારે ડીક વિશે વાત કરે ત્યારે માનપૂર્વક ઉલ્લેખ કરતી, એને ડીકમાં વિશ્વાસ હતો, તેઓ એકબીજાનું ધ્યાન રાખતાં, કાળજી લેતાં, તેઓ ઉત્સાહપૂર્વક એકબીજાને મળતાં. કાજોલના મોંએ એની વાતો સાંભળી ક્યારેક તો મને થતું કે આ લોકોએ શું કામ છૂટાછેડા લીધા હશે !

એક વાર તો મારાથી બોલાઈ ગયું હતું કે આટલી સારી રીતે મેળ બેસતો હોય તો ભારતમાં કોઈ છૂટાં ન પડે.

‘છૂટાં પડવા માટે ઝઘડવું જ પડે ?’ કંઈક અકળામણભર્યા સૂરે એણે પૂછ્યું.

‘અરે, ત્યાં તો ઝઘડા થતા હોય તોય થોડી બાંધછોડ કરીને નિભાવી લેવાની જ સલાહ અપાય.’ મેં કહ્યું.

‘નિભાવવું એટલું આસાન છે ? પતિ-પત્નીનો સંબંધ, ત્યાં જરાય કૃત્રિમતાને અવકાશ નથી ત્યાં બાંધછોડ કરો, મન ન હોય છતાં અણગમતી વાત ચલાવી લો, તો એક પ્રકારની ખેંચ ન લાગે ? સ્ટ્રેસ ન અનુભવાય ?’ એણે પૂછ્યું.

‘સ્ટ્રેસ નથી અનુભવવો એવો નિર્ણય કરો તો સ્ટ્રેસ ન અનુભવાય. આપણું મન ધારે તો આવી અસરમાંથી મુક્ત રહી શકે અને થોડા સમય પછી બધું બરાબર થઈ જતું હોય છે.’

‘એવું ખેંચી તાણીને જીવવાનો શો અર્થ ? હું તને કહું, લગ્ન પહેલાં હું ને ડીક સારાં મિત્રો હતાં. વર્ષો જૂની અમારી મૈત્રી હતી, કલાકો સુધી અમે વાતો કરતાં. જંગલમાં સાથે ફરતાં, પહાડોમાં ઘૂમતાં. એ ઈતિહાસ અને માનવજાતની વાતો કરતો ને હું સાંભળતી, ક્યારેક એ આદિમાનવ વિશે વાત કરે, દુનિયાભરના દેશોની, ત્યાંની પ્રજાની, એમની ચડતીપડતીની, એમની સભ્યતા અને સંસ્કૃતિની વાતો કરે, ધર્મની વાતો કરે ત્યારે એ વાતો સાંભળવી મને ગમતી, બહુ ગમતી. મુગ્ધ હૈયે હું સાંભળ્યા કરતી. અમે કદી રેસ્ટોરાં કે નાચગાનની પાર્ટીમાં નથી ગયાં. મિત્રોના સમૂહમાં ઊછળકૂદ કરવી કે ધાંધલ ધમાલ અમને પસંદ નહોતાં. ઝાકઝમાળથી દૂર રહેવું અમને ગમતું.

યુદ્ધને અમે બેઉ ધિક્કારીએ. માણસમાત્ર માટે અમને બેઉને સમભાવ. હું કહું, આપણે એવો વ્યવસાય પસંદ કરવો જોઈએ જેથી સામાન્ય માણસનાં દુ:ખ દૂર થાય. હું નર્સ બની અને એ શિક્ષણક્ષેત્રે દાખલ થયો. એ શિક્ષક બન્યો અને સાથે સાથે આગળ ભણતો હતો. હું વિચારું એક શિક્ષક ધારે તો એના વિદ્યાર્થીઓને કેટકેટલું આપી શકે. વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર કરે, જીવનની વિષમતા સામે લડવાનું બળ આપે, જીવનમાં ઊંચે જવાની પ્રેરણા આપે, શિક્ષકનું જીવન તો આદર્શ જીવન કહેવાય. અમે બેઉએ લગ્ન કર્યાં. થોડા મહિના તો અમે આકાશમાં ઊડ્યાં, પણ પછી મને એની જીવનશૈલી ન ગમી, એનું જીવન ખામીયુક્ત દેખાવા માંડ્યું. એ આખો દિવસ વાંચ્યા જ કરે. કૉલેજ લાઈબ્રેરી વચ્ચે ફરતો જ હોય. ઈતિહાસ અને સંસ્કૃતિ એના વિષય હતા. મારી કલ્પના મુજબ એ એના વિદ્યાર્થીઓથી ઘેરાયેલો ન હોય, ભાવુક, જ્ઞાનઘેલા, થનગનાટવાળા વિદ્યાર્થીઓ એની પાછળ દોડતા નહિ, વિદ્યાર્થીઓનો એ પ્રિય ટીચર ન બની શક્યો.

વિદ્યાર્થીઓમાં એને રસ જ નહોતો. જીવંત માણસોમાં નહિ, પણ નિર્જીવ થોથાઓમાં એને રસ હતો. આ જોઈને હું અકળાઈ ઊઠું. હું કહું, ”ડીક, તું બહાર નીકળ, તારી રૂમમાંથી બહાર નીકળ. તારાં આ ખુરશી ટેબલ છોડ. ખુલ્લી જગ્યામાં જા. રમતના મેદાનમાં જા. તારા વિદ્યાર્થીઓમાં ભળ. એમનાં આકાંક્ષા, અરમાન અને સ્વપ્નાં વિશે સાંભળ. એમના ચહેરા વાંચ, એમના હૃદયની ભાષા ઉકેલ, એમનાં પ્રગતિ અને ઉત્કર્ષનો વિચાર કર. એમને માર્ગદર્શન આપ, પ્રોત્સાહન આપ.”

પણ ના, એને મારા શબ્દો સંભળાય જ નહિ, મારું કહેવું એના મનમાં ઊતરે નહિ. એને તો અભ્યાસ કરવાથી, ગંભીર ચર્ચા કરવાથી, લેકચર કરવાથી સંતોષ થાય, મને એ પૂરતું ન લાગે. મને એની જીવનપદ્ધતિમાં દંભ લાગે, નિરર્થકતા લાગે, એની એ ભ્રમણામાંથી બહાર કાઢવા મેં પ્રયત્ન કર્યા, પણ કંઈ વળ્યું નહિ, પરિણામે મારી નજરમાંથી એ ઊતરતો ગયો. મને થાય એ સાવ બેઠાડું છે, આળસુ છે, નિરુદ્યમી છે. શું આવી જિંદગીનાં આપણે સ્વપ્નાં સેવ્યાં હતાં.’

‘નર્સ તરીકે તો તારી કામગીરીથી તને સંતોષ હતો ને ?’ મેં પૂછ્યું.

‘હા, હું મારા દર્દીઓમાં પ્રિય હતી. ડૉક્ટરો પણ મને માનથી જોતા હતા, પણ ડીક સામે મારા મનમાં ફરિયાદો જ ઊઠતી. દિવસના અંતે સાંજે અમે મળીએ ત્યારે જીભાજોડી કે વાદવિવાદ જ હોય. એમાંય રજા આવે ત્યારે તો નાની વાતમાંથીય એવી ઉગ્રતા પ્રગટે કે વાતાવરણમાં અશાંતિ પ્રવર્તી જાય. અમારાં હૃદયમન કડવાં કડવાં થઈ જાય, અમે એકબીજાથી દૂર જવા માંડ્યાં. પતિ-પત્નીના સંબંધમાં આકર્ષણ, માધુર્ય, તીવ્રતા, રોમાંચ નાશ પામ્યાં. અમે બેઉ અવશપણે ઉદાસીનતાના ખાડામાં ડૂબી ગયાં. અમે બેઉ ચોંકી ઊઠ્યાં. જીવનને આમ નષ્ટ તો ન જ થવા દેવાય. અમે બેઉએ સાથે બેસીને વિચાર્યું કે સાથે જીવવામાં કોઈ લાભ નથી. સહવાસથી કશું સારું નીપજતું નથી. તો લગ્નના નામે એકબીજાને બાંધી રાખવામાં ડહાપણ નથી, બંધાઈ રહેવું ઈષ્ટ નથી.

અમે નક્કી કર્યું કે છૂટાં પડીએ. આવી રીતે અમે છૂટાં પડ્યાં. અંત:કરણપૂર્વક શુભેચ્છા પાઠવી છૂટાં પડ્યાં. અમને એકબીજામાં ખૂબ વિશ્વાસ હતો, સ્નેહ હતો, તેથી અમારી મૈત્રી અતૂટ રહી. અમે છૂટાં પડ્યાં તોય એકબીજાને અમે છોડી નહોતાં દીધાં, અમારી વચ્ચેનો પ્રેમ મર્યો જ નહોતો, એ પ્રેમને જાળવવા અમે માગતાં હતાં, તેથી જ અમે છૂટાં પડ્યાં હતાં. પતિપત્ની મટી ગયાં હતાં, પણ મિત્રો તો રહ્યાં જ હતાં. કોઈ અટપટો, પડકારરૂપ પેશન્ટને મેં ટ્રીટ કર્યો હોય તો એની વાત ડીકને કહેવા હું અધીરી બનતી તો ડીક પણ એના અભ્યાસના અંતે કોઈ તારાતમ્ય પર પહોંચ્યો હોય તો સૌથી પહેલાં મને કહેતો. અમારા સારા કે ખોટા સમાચાર અમે એકબીજાને તરત કહેતાં. ક્યારેક લૉંગડ્રાઈવ પર સાથે જતાં.’

કાજોલ વાત કર્યે જતી હતી, હજી એ ડીકના પ્રેમમાં હતી, પણ હવે શું ? હવે તો ડીક પરણી જાય છે. કાલે જ એનાં લગ્ન છે. ડીકને જીવનસંગિની મળી છે. હવે એ એકલો નહિ હોય. હવે કંઈક કહેવા એ કાજોલ પાસે દોડી નહિ આવે અને કાજોલ પણ પોતાની કોઈ વાત કહેવા એને બોલાવી નહિ શકે. હૃદયમનની વાત કહેવા હવે કાજોલ ક્યાં જશે ? હવે કાજોલ ખરેખર એકલી પડશે. મેં વિચાર્યું એવું કાજોલે વિચાર્યું જ હશે. એના હૈયામાં આવનારી એ એકલતાની વેદના હશે જ. ડીકને ગુમાવી દીધો એનું દુ:ખ હશે જ. છતાં એ ડીક માટે પ્રેઝન્ટ લેવા જાય છે. મધુર દાંપત્યજીવનની શુભેચ્છાઓ સાથે એ ડીકને પ્રેઝન્ટ આપશે. સસ્મિત વદને પ્રેઝન્ટ આપશે અને પછી… એ દૂર દૂર ચાલી જશે. આવી કલ્પના આવતાં મારું હૈયું કાજોલ માટે સમભાવથી આર્દ્ર બની ગયું.

મેં કાજોલ સામે જોયું, એના ચહેરાને વાંચવા પ્રયત્ન કર્યો. પણ નવાઈ ! કાજોલ સ્વસ્થ છે. હા, એના અવાજમાં વ્યથા વરતાતી હતી. આંખ કદાચ ભીંજાયેલી હતી, પણ આંસુની ધાર નહોતી વહેતી. એ પૂરા સંયમથી વર્તતી હતી. એની જાત પર એનો અંકુશ હતો. કોઈ પણ પ્રકારની લાગણીમાં એ વહી નહોતી ગઈ. એ પોતાની સ્વામિની હતી.

દાંપત્યજીવન એને મન જિંદગીનો એક ભાગ છે, જિંદગી સમગ્ર નહિ, પ્રેમ કરતાં જિંદગીનો આદર્શ એને મન વધારે છે. એ એની રીતે જીવવા ઈચ્છે છે. ગૌરવથી રહેવા ઈચ્છે છે.

— અવંતિકા ગુણવંત 

 

1168 – અમેરિકામાં વસતા ભારતીયો ….. લેખક શ્રી નટવર ગાંધી

P.K.DAVDA

ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી ૮૩ વર્ષીય મિત્ર શ્રી પી.કે.દાવડા ગુજરાતી બ્લોગ જગતમાં સંપાદક તરીકે જો કે મોડા પ્રવેશ્યા છે એમ છતાં થોડા વખતમાં જ એમનો  બ્લોગ ‘’દાવડાનું આંગણું ‘’ વાચકોમાં સારી સ્વીકૃતિ મેળવી રહ્યો છે.

આ બ્લોગમાં વાચકોને ગમે એવી ઉત્તમ પ્રકારની સાહિત્ય સામગ્રી અને અન્ય જાણવા લાયક માહિતીનું પ્રકાશન થઇ રહ્યું છે.જાણીતા લેખકોના ઉચ્ચ કક્ષાના લેખોનું સંપાદન “દાવડાનું આગણું” દ્વારા થતુ રહે છે.

આ બ્લોગની આજની પોસ્ટમાં શ્રી નટવર ગાંધી સાહેબનો લેખ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘’ પ્રકાશિત થયો છે એ મને ખુબ ગમ્યો.

ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે વિનોદ વિહારની આજની પોસ્ટમાં લેખક શ્રી નટવર ગાંધી અને સંપાદક શ્રી દાવડાજીના આભાર સાથે એને રી-બ્લોગ કરેલ છે.

શ્રી નટવર ગાંધી અમેરિકામાં ઘણાં વર્ષોથી છે અને ખુબ જ પ્રવૃતિશીલ છે.એમના અમેરિકાના અનુભવો અને અભ્યાસના પરિપાક રૂપે એમણે આ લેખ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘એમના પુસ્તકની પ્રસ્તાવના રૂપે લખ્યો છે.

જો કે લેખ થોડો લાંબો છે તેમ છતાં થોડી ધીરજ રાખી દરેક વાચકે એ વાંચવા જેવો રસસ્પદ અને માહિતી સભર લેખ છે.

 આ લેખ જેમ મને ગમ્યો છે તેમ વિનોદ વિહારના વાચકોને પણ ગમશે એવી મને ખાત્રી છે.

શ્રી નટવર ગાંધી લિખિત આ લેખ’ ‘’ અમેરિકામાં વસતા ભારતીયો ‘’ વાંચવા માટે નીચેની લીંક  પર ક્લિક કરીને ‘’દાવડાનું આંગણું ‘’ બ્લોગમાં પહોચી જાઓ.

https://davdanuangnu.wordpress.com/category/%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AB%80/

‘’એક અજાણ્યા ગાંધીની આત્મકથા’’

 શ્રી નટવર ગાંધી

  

વધુમાં, શ્રી નટવર ગાંધીના જીવનની ખુબ જ રસિક  વાતો એમની આત્મ કથા રૂપે દરેક સપ્તાહે ‘’દાવડાનું આંગણું’’ ની ધારાવાહી શ્રેણીમાં  ‘’એક અજાણ્યા ગાંધીની આત્મકથા’’ ના નામે પ્રગટ થાય છે એ પણ વાંચવા જેવી રસસ્પદ અને માહિતી સભર વાચન સામગ્રી છે.

આ ધારાવાહિક આત્મ કથાના આજ સુધીના હપ્તા 

આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

1167- કોલમ્બસના હીન્દુસ્તાનમાં …. ડો.ગુણવંત શાહ

જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી ગુજરાતી સાહિત્યના લોકપ્રિય લેખક પદ્મશ્રી ડો.ગુણવંત શાહના પ્રસીદ્ધ પુસ્તક ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’માંથી બીજું અને છેલ્લું અઠ્ઠાવીસમું પ્રકરણ વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં સાભાર અને સહર્ષ પ્રસ્તુત છે.

આ બે પ્રકરણોમાંથી વાચકોને અમેરિકા વિશેની ઘણી જાણવા જેવી માહિતી લેખકની આગવી શૈલીમાં વાંચવાની મજા પડશે એવી આશા છે.

વિનોદ પટેલ

કોલમ્બસના હીન્દુસ્તાનમાં.. ડો. ગુણવન્ત શાહ

(પૃથ્વીનું પાદર અમેરીકા : અમેરીકાને હું પૃથ્વીનું પાદર કહું છું. અમેરીકાને ‘મેલ્ટીંગ પૉટ’ કહેવામાં આવે તે યોગ્ય છે. સમગ્ર વીશ્વની પ્રજાઓ અહીં આવીને રહી પડી છે અને સુખી થઈ છે. દુનીયાનાં અનેક ગામોમાં અમેરીકન ડૉલર પહોંચ્યા છે. આવી ઉદારતા અન્ય કોઈ દેશે બતાવી નથી.

(અમેરીકાને અબ્રાહમ લીંકન જેવા લીબરલ મહામાનવનો વૈચારીક વારસો મળ્યો છે. પરીણામે અમેરીકન પ્રજાને ખુલ્લા મનનો લોકતાંત્રીક મીજાજ પ્રાપ્ત થયો છે. સવારે ફરવા નીકળેલી અમેરીકન યુવતી, સામે મળેલા અજાણ્યા પરદેશીને સ્મીતપુર્વક ‘ગુડ મોર્નીંગ’ કહે છે. એવું સ્મીત અન્ય કોઈ દેશમાં જોવા ના મળે.

(અમેરીકામાં સમૃદ્ધીનાં દુષણો એવાં કે ગરીબીનાં દુષણોને પણ વટાવી જાય. ગરીબી અને સરમુખત્યારીનાં દુષણોથી ઘેરાયેલા દેશોની પ્રજાને, અમેરીકા ખેંચે છે અને ખેંચાયેલા અસંખ્ય લોકો ત્યાં કાયમી ધોરણે રહી પડે છે.

(આ પુસ્તક ચીલાચાલુ અર્થમાં પ્રવાસવર્ણન નથી. એમાં ‘તરણા ઓથે ડુંગર’ની માફક દરેક ઘટનાની પાછળ સંતાયેલી સમસ્યા કે વીશ્વની સંકુલ પરીસ્થીતીનું વીવરણ સહજ રીતે નીમીત્ત બનતું રહે છે. આવા ખાસ અર્થમાં આ પુસ્તકને ‘પ્રવાસ સમ્વેદન’ કહેવાની ગુસ્તાખી કરી છે. વાચકોને અમેરીકા સદેહે જઈને બધું જોવાની જરુર નથી. ત્યાં ગયા વીના પણ અમેરીકાને સમજી શકાય છે. આ પુસ્તક એવી સમજણને સંકોરે એવા આશયથી લખાયું છે.

૧૯૬૯માં ત્રીસ હજાર જેટલી ગ્રાહક સંખ્યા ધરાવતા ‘ભુમીપુત્ર’ સામયીકના તંત્રી સ્વ. કાંતીભાઈ શાહે જ આ લેખમાળાને ‘કોલમ્બસના હીન્દુસ્તાનમાં’ એવું આ શીર્ષક આપેલું.
– ગુણવન્ત શાહ)

માણસ બધે સરખા ….પ્રકરણ : બે

ભારત છોડ્યું ત્યારે માળો છોડીને નીરવધી અને નીરાલમ્બ વીશ્વમાં ઉડવાનાં અરમાનવાળા પંખીના બચ્ચાને થાય એવો રોમાંચ અનુભવેલો. પાછા ફરતી વખતે માની મૃદુલ ગોદમાં લપાવા ઈચ્છતા જળકુકડીના બચ્ચાની ઝંખના પણ અનુભવેલી. પહેલા વીદેશપ્રવાસનો રોમહર્ષ જ કંઈ ઓર છે. મારો આ બીજો વીદેશપ્રવાસ હતો; પણ અમેરીકાની ધરતી પર પ્રથમ વાર પગ મુક્યાનો રોમાંચ હજી આજેયે યાદ છે.

અમેરીકામાં જે કંઈ જોયું, જાણ્યું અને માણ્યું તે પરથી વીશ્વની સમસ્યાઓ અંગેની સમજ પણ વધુ ઉંડી બની. એવીયે પ્રતીતી થઈ કે ભારતનું તટસ્થ–દર્શન પણ ભારત બહારથી વધુ સારી રીતે થઈ શકે છે. પોતાની માતા કેવી છે તે જાણવા માટે પણ બાળકે માતાના ગર્ભની બહાર આવવું પડે છે.

દુનીયામાં ગમે ત્યાં જાઓ, માનવની મર્યાદાઓનો તેમ જ માનવની સુજનતાનો પરચો બધે મળવાનો. જીવવાની ઢબ–છબમાં અને રીતરીવાજોમાં તફાવત દેખાય, તે ઉપરછલ્લો. પોપડો ઉખેડીને જોઈએ તો ઘણું બધું સરખું દેખાય. વળી કેટલીક વૃત્તીઓ દેશની આર્થીક અને સામાજીક પરીસ્થીતી સાથે પણ સંકળાયેલી છે. ખલીલ જીબ્રાને કહ્યું હતું તેમ, તમે ગીત ગાઓ તે ભુખ્યો માણસ પેટથી સાંભળે છે. પ્રામાણીકતાનાં ધોરણો પણ ગરીબી અને અમીરી સાથે સંકળાયેલાં છે. બાકી, માનવમન તો બધે જ સરખું. એટલે જ મોટા ભાગની આજની સમસ્યાઓ આંતરરાષ્ટ્રીય છે. ભુખ અને ભડકા વગરના વીશ્વ માટેની આધારશીલા પણ આ જ છે ને!

● માનવમન જો એક ન હોત તો આપણાં જાહેર પાયખાનાંઓમાં નજરે પડે તેવું, મનના મેલને વાચા આપતું ગંદું લખાણ, અમેરીકાનાં પાયખાનાંઓમાં પણ કેમ જોવા મળત?

● જો એમ ન હોત, તો સોરઠનો કોઈ ગામડીયો મહોબતથી કોઈ અજાણ્યા આગંતુકને દુધ–રોટલાનું શીરામણ કરાવે, તેમ કોઈ અમેરીકન, અગાઉ પોતે કદીયે ન જોયેલા પરદેશીને મોટરમાં ફેરવવાની અને ઘરે રાખવાની તસ્દી શા માટે લે?

● જો એમ ન હોત, તો ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની સાંજે ગાંધીજીને ગોળી વાગી એ જાણી આંચકો અનુભવી પેલી અમેરીકન બાળકી, ભુખી શા માટે રહે ? અને ‘ગાંધી’ ફીલ્મ જોઈને અમેરીકન સ્ત્રીપુરષોની આંખમાં આંસુ શા માટે આવે ?

● જો એમ ન હોત, તો પસ્તી ખરીદનારો આપણને ત્રાજવાનો કસબ બતાવે તે જ રીતે, વૉશીંગ્ટનનો પેલો મીઠાબોલો દુકાનદાર બે વરસની ગૅરંટી સાથે બાર ડૉલરમાં જે ઘડીયાળ આપણને વળગાડે તેને બે મહીનામાં જ હાર્ટ એટેક કેમ આવે ?

● જો એમ ન હોત, તો માર્ટીન લ્યુથર કીંગનો રંગભેદ સામેનો અહીંસક સત્યાગ્રહ સફળ થાય ખરો ?

ટુંકમાં, એમ લાગ્યા વીના રહેતું નથી કે દેશપરદેશના સેઢા–સીમાડા ભુલી જઈએ તો અડધો જંગ જીતી ગયા જાણવો. ડૉ. ફાર્મરે કહેલી મજાક યાદ આવે છે. તેમણે કોઈ અમેરીકનને પુછ્યું, ‘તું તારી જાતને અમેરીકન કેમ ગણે છે ? પેલાએ જવાબ વાળ્યો, ‘હું અમેરીકામાં જનમ્યો છું માટે.’ ડૉ ફાર્મરે તરત સામે પુછ્યું : ‘બીલાડીનાં બચ્ચાં ઓવન(ભઠ્ઠી)માં જન્મે, તો તેને બીસ્કીટ કહેવાય કે ?’

પરીસ્થીતી જ એવી સર્જાતી જાય છે કે આખી માણસજાતને એક માનીને ચાલ્યા વગર હવે છુટકો નથી. શ્રીવરે કહેલું કે : ‘ભુખમરો એશીયાનો પ્રશ્ન છે, નીરક્ષરતા લેટીન અમેરીકાનો પ્રશ્ન છે અને ગરીબી આફ્રીકાનો પ્રશ્ન છે એવું કહી શકાય તેમ નથી. હકીકતમાં એ ‘આપણા’ પ્રશ્નો છે; કારણ કે તે માણસના પ્રશ્નો છે.’ ભુમીતી અને ગણીતના કોયડાઓ કોઈ એક રાષ્ટ્રના ન હો હોઈ શકે. વીજ્ઞાનના નીયમો કોઈ એક ભુખંડના ન હોઈ શકે.

સાપેક્ષતાનું સમીકરણ ‘E=mc2’ કોઈ એક દેશનું જ હોઈ શકે ? બળાત્કાર કોઈ એક દેશની સમસ્યા નથી. બધી જ પાયાની સમસ્યા મુળે માનવીય સમસ્યાઓ છે. પાયાની સમસ્યાઓના ઉકેલ સાવ છાપરીયા ન હોઈ શકે.

એકંદરે અમેરીકન પ્રજા ઘણી ઉમદા પ્રજા છે. સ્વભાવે જ એ લોકશાહી અને માનવ–સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા રાખનારી છે. સામાન્ય અમેરીકન બીજાને મદદ કરવા તત્પર હોય છે. નીખાલસતા એની સંસ્કારમુડી છે. અમેરીકન સમાજનો સ્થાયીભાવ છે : ‘મુક્ત હરીફાઈ.’ એને એ લોકો સફળતાની ચાવી ગણે છે. આજે તો એ વીશાળ ઉપખંડ તથા તેની એકંદરે સમૃદ્ધ અને ખુલ્લા મનની પ્રજાને જોઈને જરુર થાય કે કોલમ્બસની મથામણ એળે નથી ગઈ.

અહીં એક બીજી લાગણી પણ સાથે જ નોંધી લેવી ઘટે. ત્યાંના સમાજમાં આપણને કંઈક અડવું અડવું પણ લાગે. ડેવીડ રીસમેને એક મઝાનું પુસ્તક લખ્યું. જેનું નામ છે : ‘ધ લોન્લી ક્રાઉડ’(એકલવાયું ટોળું). આ પુસ્તકમાં અમેરીકન સમાજના કેટલાક વીશીષ્ટ પ્રશ્નોની સમાજશાસ્ત્રીય છણાવટ થઈ છે. આજે મહાનગરોની ભરચક વસ્તીમાં માણસ સાવ એકલો છે. રમેશ પારેખ કહે છે તેમ : ‘પોતાની કડકડતી એકલતા લઈ, સૌ બેઠા છે ટોળાને તાપણે.’ થોડો વખત પણ ત્યાં રહેનારને આવો અનુભવ થયા વીના રહેતો નથી.

ન્યુ યૉર્કમાં વર્ષો પહેલાં વીજળીનો પ્રવાહ ખોટકાયો ત્યારે બનેલો પ્રસંગ છે. બહુમાળી મકાનના કોઈ મજલા પર રહેતા પાડોશીઓ એકબીજાને ક્યારેય મળ્યા ન હતા. અચાનક ગૃહીણીને ખ્યાલ આવે છે કે પડોશણને ત્યાં નવજાત શીશુ માટે કદાચ દુધ નહીં હોય. અંધારું પ્રગાઢ છે; પરન્તુ એક હાથમાં મીણબત્તી અને બીજા હાથમાં દુધની વાટકી લઈને એ અજાણી પાડોશણને દરવાજે જઈ હળવા ટકોરા મારે છે. દરવાજો ખુલે છે અને નવજાત શીશુની માતા ગળગળી થઈને કહે છે : ‘આપણે અજવાળામાં ન મળી શક્યા; અધારામાં તો મળ્યાં!’

ન્યુ યૉર્કમાં આવો અંધારપટ છવાયો ત્યારે બીજો પ્રસંગ પણ બનેલો. એક આંધળી સ્ત્રી ફળીયામાં ચાલતી લુંટફાટ વચ્ચે સૌને મીણબત્તીઓ વહેંચતી રહી હતી અને કહેતી હતી : ‘મારે આ મીણબત્તીઓની જરુર નથી.’

મોટાઈના અણસાર વગર સામી વ્યક્તીનું અભીવાદન કરવાનું, અજાણ્યાનો કોઈક રીતે ભેટો થાય પછી તેને આત્મીય ગણવાનું અને સામેની વ્યક્તીતાને માન આપવાનું અમેરીકનોને ગમે છે. એમની નીખાલસતા અને ઋજુતા આપણને સ્પર્શે જ. અમેરીકા વીસ્તારમાં મોટો હોવા છતાં વસ્તારી ન ગણાય. વીસ્તારના પ્રમાણમાં વસતી ઘણી ઓછી. અહીંની પ્રજા અજાણ્યાને સ્મીત કરી બોલાવે; ફાંફાં મારનારને ‘હું તમને મદદ કરી શકું?’ – કહી સહાય કરે; સામાવાળાની વાત સાથે અસમ્મત થાય તોય મોં નહીં બગાડે; પરદેશીને પ્રેમથી જમાડે અને ફેરવે.

મારો મીત્ર કીમ સીબલી હાલ ઓહાયો યુનીવર્સીટીમાં છે. એન આર્બરમાં એને ત્યાં જમવા ગયેલો ત્યારે એણે કનૈયાલાલ મુનશીની ‘તપસ્વીની’ નવલકથાનો અંગ્રેજી અનુવાદ વાંચવા આપેલો. એ અનુવાદ શ્રી એચ. એમ. પટેલે કર્યો હતો. કીમની દીકરીનું નામ છે આનંદી. કીમને હીન્દી આવડે છે અને એને ભારતમાં ખુબ રસ છે.

અમુક કામ કરવાને કારણે કોઈ માણસ ઉંચો કે નીચો બનતો નથી. પુરુષાર્થથી તદ્દન છેવાડેનો માનવી પણ ટોચ સુધી પહોંચી શકે છે એવાં અનેક ઉદાહરણો છે. પ્રમુખ લીંકનનો જન્મ લાકડાની કોટડીમાં થયેલો અને એનું બાળપણ લાકડાં ફાડવામાં અને ગામેગામ ભટકવામાં વીતેલું. બેન્જામીન ફ્રેન્ક્લીન ફેરીયો હતો. થોમસ જેફરસન બીબાં બનાવતો હતો. પ્રમુખ જ્હોન એડમ્સ ખેડુતનો દીકરો હતો. હર્બર્ટ હુવર અને પ્રમુખ આઈઝનહોવર લુહારના દીકરા હતા. જાણીતી ફાઈવ–સ્ટાર હૉટલોની આંતરરાષ્ટ્રીય ચેઈન ‘હીલ્ટન હૉટલ’નો માલીક સાવ સામાન્ય કક્ષાએથી શરુ કરીને પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલો. હીલ્ટન હૉટલોમાં દરેક રુમમાં એની આત્મકથા રાખેલી હોય છે; ગ્રાહકોને મફત લઈ જવાની છુટ સાથે. પ્રમુખ ટ્રુમેન ખેડુતનો દીકરો હતો. પ્રમુખ જોન્સન ખેડુતનો દીકરો હતો અને એક જમાનામાં એમણે વાળંદની દુકાનમાં નોકરી કરેલી. આમ, અમેરીકન મુડીવાદ સમાજવાદનો સાવકો ભાઈ છે; શત્રુ નથી.

દુનીયા નાની થતી જાય છે અને માણસો નજીક આવતા જાય છે. ભૌગોલીક રીતે જુદા રહેનારાઓ પણ ઈલેક્ટ્રોનીક્સને કારણે એક થઈ રહ્યા છે. ટેલીફોન, ટીવી, રેડીયો, વીડીયો અને ઈન્ટરનેટ દ્વારા માણસો નજીક આવી રહ્યા છે. જીન્સનાં જાડાં ખરબચડાં અને થીંગડાંવાળાં પાટલુનો જગતભરના માલદાર તથા ગરીબ યુવકયુવતીઓને એકસુત્રે બાંધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય યુવાસંસ્કૃતીનો ઉદય થઈ રહ્યો છે.

અને છતાં; ત્રીજા વીશ્વના દેશોમાં ગરીબી, ભુખમરો, નીરક્ષરતા અને રોગ દુર થતાં નથી. દુનીયાની માત્ર છ ટકા વસતી ધરાવનાર અમેરીકા કુલ વૈશ્વીક ઉર્જાના છત્રીસ ટકા વાપરી ખાય છે. સામ્રાજ્યવાદી શોષણને હવે રાજકીય સામ્રાજ્યની જરુર નથી; કોકા કોલા જેવી મલ્ટીનેશનલ પેઢીઓ જ પુરતી છે. ગરીબ દેશો અમેરીકાને રવાડે ચડે છે અને ખુવાર થાય છે. માણસનાં અરમાન ઓછાં નથી અને એની સમસ્યાઓ પણ અપાર છે.

NRI મીત્રોને …છેલ્લું પ્રકરણ : ૨૮

અમેરીકા વારંવાર જવાનું થયું. કેટલાં ઘરોની રસોઈ જમ્યો ? કેટલાં ઘરોનું પાણી પીધું? કેટલાં ઘરોના બાથરુમ્સમાં સ્નાન કર્યું? કેટલા યજમાને પ્રેમથી રાખ્યો? લગભગ બધાં રાજ્યોમાં ફર્યો. કેટલાંક ઘર તો મને મન્દીર જેટલાં પવીત્ર જણાયાં! સંસ્કૃતમાં મન્દીર એટલે જ ઘર !

એન.આર.આઈ. મીત્રો અતી સ્નેહાળ અને ક્યારેક અતી શ્રદ્ધાળુ જણાયા. કેટલાક દેશી મહેમાનો એમને લાગણીમાં તાણીને છેતરે પણ છે. એ સૌમાં સાહીત્યકારો મોખરે છે. મારી ટેવ જુદી હતી. હું મીત્રોના ફોન પરથી મારા ઘરે ફોન કરી શકું તે માટે પ્રી–પેઈડ કાર્ડ કાયમ રાખતો. મારાં પુસ્તકોનાં વેચાણમાંથી મળેલા ડૉલર મોજથી ખર્ચતો. પુરસ્કારમાં મળતો એક પણ ડૉલર મારા ઘરમાં પ્રવેશ પામ્યો નથી. હજારો ડૉલર્સ મીત્રો સીધા જ ત્યાંથી કોઈ આદીવાસી સેવાસંસ્થાને મોકલી આપતા. એ કામ મીત્ર પોપટભાઈ સાવલા કરતા અને તેનો હીસાબ પણ રાખતા. ભગવાનની કૃપાથી મારી આર્થીક સ્થીતી એવી હતી કે અન્યની ઉદારતા પ્રત્યે ઉદારભાવ થાય.

બરાબર યાદ છે, હું પ્રથમ વાર લોસ એંજલ્સ જઈ રહ્યો હતો. ડૉ. વીક્રમ વકીલ મારા યજમાન(Host) હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા. એમની ભદ્રતા મને ગમી ગયેલી. એરપોર્ટની બહાર આવ્યા ત્યાં એમની સાથે જ આવેલા વલ્લભભાઈ ભક્તને બતાવીને બોલ્યા : ‘ગુણવન્તભાઈ, આજનો દીવસ તમારે મારા આ મીત્ર વલ્લભભાઈને ત્યાં રહેવાનું છે. કાલે હું તમને લેવા આવીશ. આટલું સાંભળીને હું તો નીરાશ થઈ ગયો ! આવા ગામડીયા સુરતીને ત્યાં મારો વખત કેમ જશે? કારમાં બેઠા ત્યારે વલ્લભભાઈએ બોલવાનું શરુ કર્યું : ‘ગુણવન્તભાઈ, હું વર્ષોથી ‘નવનીત– સમર્પણ’ વાંચું છું. એમાં તમારી લેખમાળા ‘આપણે પ્રવાસી પારાવારના’ કાયમ વાંચું છું. મને વાંચવાનું બહુ ગમે હોં !’ મારી અડધી નીરાશા ખરી પડી. અમે એમની મોટેલ પર પહોંચ્યા. મોટેલ નાની; પણ દીલ મોટું! અમે કાયમી મીત્રો બની ગયા! ગુજરાતના ઘણાખરા સાહીત્યકારો એમને ત્યાં જ ઉતરે છે; લાભશંકર ઠાકર, સીતાંશુ યશશ્ચન્દ્ર, ભગવતીકુમાર શર્મા ઈત્યાદી. આવો પેટછુટો અને દીલછુટો અસ્સલ સુરતી મળવો મુશ્કેલ!

જે મીત્રો વાંચવાનું ચાલુ રાખે છે તે સૌ જુદા પડી આવે છે. વળી, આદરણીય મોરારીબાપુના ભક્તો પણ જુદા પડી આવે છે. અમેરીકાનાં હજારો ઘરોમાં બાપુને કારણે માતૃભાષા, નીર્વ્યસનીપણું અને રામાયણની સુગન્ધ ટકી રહી છે. આવાં કેટલાં ઘરો અમેરીકામાં હશે? એમની ભલમનસાઈનો ગેરલાભ લેનારા લોકોને હું બરાબર ઓળખું છું. આવા શ્રદ્ધાળુ લોકોને હોંશે હોંશે છેતરાતા જોયા છે. ભલા અને શ્રદ્ધાળુ યજમાનને છેતરતા દુષ્ટ લોકોને હું માફ નથી કરી શકતો. જય સીયારામ!

NRIની મારી મૌલીક વ્યાખ્યા આવી છે.

NRI એટલે ‘એવો મનુષ્ય, જે સહજપણે ઈન્ડીયા પાછો ફરે છે.’(One who ‘Naturally Returns to India’) આવું પાછા ફરવાનું શારીરીક કે ભૌગોલીક નથી હોતું. એવું પાછા ફરવાનું મનોવૈજ્ઞાનીક અને ક્યારેક મનો–આધ્યાત્મીક હોય છે. આવા વહાલા અને ઉમળકે ભરેલા, સૌ NRIઓને હું વંદન પાઠવું છું.

તેઓ ભારતમાં ઘરે મળવા આવે ત્યારે મને મામા કે માસી મળવા આવ્યાં હોય એવું લાગે છે. આ લખું છું ત્યારે મનમાં કોઈ મેલ નથી. હું સ્વભાવે સુરતી છું તેથી મનમાં મેલ રાખવાનું મને નહીં ફાવે!

અન્તે આ પ્રવાસ–સમ્વેદન મારી એક કવીતા દ્વારા પ્રગટ કરું ? સાંભળો :

નથી કશુંય અષ્ટંપષ્ટં,
નથી કશુંયે ગોળ ગોળ,
નથી કોઈની શેહશરમ,
નથી રે કોઈ ભેદભરમ!
હૈયું તેવું હોઠે રે મનવા,
લાગ્યું તેવું લખ્યું રે મનવા,
માહ્યલો જેમાં બનતો રે કાજી,
રામજી એમાં રાજી રે રાજી,

ગરવા ગુણવન્તા ગુજરાતી રે ભૈ,
સદાય રહેજે ઉજળો થૈ,
પૃથ્વી પર તું જ્યાં જ્યાં વસે,
મુખડું તારું મીઠું હસે!

ડો.ગુણવન્ત શાહ

લેખક સમ્પર્ક :
ડો. ગુણવન્ત શાહ
 ‘ટહુકો’–139–વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા–390 020

લેખકનો બ્લોગ : https://gunvantshah.wordpress.com/

સૌજન્ય/સાભાર …

પુસ્તક પ્રાપ્તિ અને અન્ય વિગતો ..

સન્ડે-ઈ-મહેફીલ ..વર્ષ તેરમું…અંક ૩૯૬ ..માર્ચ ૧૮, ૨૦૧૮ 

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

ગુણવંત શાહ, Gunavant Shah નો પરિચય 

                  Dr. Gunvant Shah

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય-શ્રી  સુરેશ જાની 

1140 -અમેરિકામાં વસતા ભારતીય ડાયાસ્પોરાની રસસ્પદ કથા

અમેરિકામાં આવીને એમનાં સ્વપ્ન સાકાર કરી રહેલા ભારતીયોની રસસ્પદ માહિતી આ વિષયના કેટલાક વિડીયોની મદદથી આજની પોસ્ટમાં રજુ કરવામાં આવી છે એ જાણવી તમને ગમશે.

અમેરિકા અનેક દેશોમાંથી આવીને વસેલા વસાહતીઓથી બનેલો સ્વાતંત્ર્યને વરેલો દેશ છે.એટલે તો અમેરિકાને એક ”મેલ્ટીંગ પોટ ”ની ઉપમા આપવામાં આવી છે.

સૌ પ્રથમ ૧૯ મી સદીથી થોડી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરુ કર્યું હતું .ત્યારબાદ બાદ આજ સુધીમાં તેઓ અહી મેડીસીન,ટેકનોલોજી,વ્યાપાર,રાજકારણ,મોટેલ-હોટેલ,યોગથી શરુ કરી અવકાસ વિજ્ઞાન જેવા અનેક ક્ષેત્રોમાં પ્રગતી કરીને  છવાઈ ગયા છે.આજે અમેરિકામાં લગભગ ૩૦ લાખ ભારતીયો જુદા જુદા ક્ષેત્રોમાં એમણે સેવેલાં સ્વપ્ન સાકાર કરી સારી કમાણી કરી રહ્યા છે .

અમેરિકામાં ભારતીય ડાયાસ્પોરા-વસાહતીઓની વસ્તીમાં થયેલ પ્રગતિનો ખ્યાલ નીચેના ચિત્રથી સ્પષ્ટ થશે.

અમેરિકામાં આવીને આજે છવાઈ ગયેલ ભારતીય ડાયાસ્પોરા વિશે નીચેના વિડીયોમાં જે હકીકતો કહેવામાં આવી છે એ ખુબ જ રસિક અને જાણવા જેવી છે.

Bridging Worlds: The Story of Indians in the United States of America; A Place in The Sun

Independent Sources: Indians in America

Indians v/s General Population in USA

Why Do Indian-Americans Own So Many Hotels?
Indian-Americans run about 40% of America’s hospitality industry – and 70% of those Indian-Americans have the last name “Patel.” While the name Patel has become synonymous with business, especially in the South Asian community, that reputation hasn’t come easy, and hasn’t always come with a lot of rewards.

Why Indians are successful in america?

અમેરિકા વિષે વધુ જાણવામાં જેમને રસ હોય એમને માટે નીચેની લીંક પર આપેલી માહિતી ઉપયોગી થશે.

1. Indian Immigrants in the  United States

 

2. Indian Americans 

( 901 ) મા-દીકરીનો સંવાદ-વિસંવાદ ….એક ટૂંકી વાર્તા ……..વિનોદ પટેલ

નીચેની ટૂંકી વાર્તાનું વિષય-વસ્તુ અમેરિકન સામાજિક કલ્ચરમાં  લગ્ન સંસ્થા અંગેનું છે.

અમેરિકન કલ્ચર વિશેની એક જોક ક્યાંક વાચેલી યાદ આવે છે.પતિ પત્ની એમની બેડ રૂમમાં સુતાં હોય છે.પત્ની ઊંઘમાં બબડે છે ભાગ,ભાગ મારો પતિ આવે છે.બાજુમાં સૂતેલો પતિ ઊંઘમાંથી ઉઠી,અડધી ઊંઘમાં,બીકનો માર્યો  બેડરૂમની બારીમાંથી ભાગે છે!

મા-દીકરીના ફોન પરના સંવાદમાંથી સર્જાતી વાર્તાનો આ નુતન પ્રયોગ આપને ગમશે.એક માતાનો દીકરી પ્રત્યેનો પ્રેમ પણ આ વાર્તાના અંતે ઉજાગર થતો જણાશે.

વિનોદ પટેલ

મા-દીકરીનો સંવાદ-વિસંવાદ   ….ટૂંકી વાર્તા ……..વિનોદ પટેલ 

રૂઢીચુસ્ત વિચારો ધરાવતી જૂની પેઢીની એક અમેરિકન વિધવા માતાની એક માત્ર જ આધુનિક યુવાન દીકરી એના પતિથી ડાયવોર્સ લઇ બે બાળકો સાથે એકલી રહેતી હતી.મા-દીકરી બન્ને એક જ શહેરમાં પણ એકબીજાથી થોડાં દુર રહેતાં હતાં.એના બે દીકરાઓ બીજા શહેરોમાં રહેતા હતા.

એક વાર આ મા-દીકરી વચ્ચે ફોનમાં આ પ્રમાણે સંવાદ થયો.

દીકરી મધર,આજે હું મારા એક મિત્ર સાથે ડેટ પર બહાર જવા વિચારું છું.બે છોકરાંને તારે ત્યાં એક રાત માટે મૂકી જાઉં ?

માતા- તેં તારા પતિને કેમ છોડી દીધો એ મને ખબર નથી પડતી.એ કેટલો સરસ છોકરો હતો.આ દિવસ તારે જોવાનો આવ્યો એ ના  આવ્યો હોત.

દીકરી -મધર મેં એને નહોતો છોડ્યો પણ એણે મને તરછોડી કાઢી હતી.તને તો હંમેશાં તારી દીકરીનો જ વાંક દેખાય છે?એ કઈ દુધે ધોએલો ન હતો.

માતા-તેં એને જવા દીધો ત્યારે જ એ તને છોડી ગયો ને! હવે આલતુ ફાલતું છોકરાઓ સાથે ફરવાનું તેં શરુ કરી દીધું છે.તું જેની સાથે જાય છે એ છોકરો પણ એના જેવો નહી નીકળે એની શી ખાતરી? હું મારી જીંદગીમાં તારા પિતા સિવાય મારાં બાળકોને કોઈને હવાલે સોપીને કદી એકલી બહાર ગઈ હોય એવું મને યાદ નથી આવતું,

દીકરી- એવી ઘણી બાબતો છે જે તેં કરી એ હું કદી ના કરી શકું.તારી વાત જુદી હતી.

માતા- એટલે તું શું કહેવા માગે છે ?

દીકરી- કઈ નહિ, તને ફરી પૂછું છું,બે છોકરાંને આજે તારે ત્યાં મુકવા આવું કે નહિ ?

માતા- અમે અમારાં સંતાનોને મુશ્કેલીઓ વેઠીને મોટાં કર્યા અને અમારી બધી જવાબદારીઓ પૂરી કરી.સંતાનો પરણીને એમનો સંસાર શરુ કરે એટલે ઘરડાં મા-બાપ સ્વાભાવિક રીતે જ રાહતનો દમ લઇ એમની પાછલી જિંદગીમાં એમને ગમે એવી રીતે જીવવાની આશા રાખે.અમારે હવે આ ઉંમરે સંતાનોનાં બાળકો ઉછેરી એકડે એકથી શું ફરી શરુ કરવાનું!આ તારા નવા મવાલી મિત્રના ઘેર તું આખી રાત રોકાવાની છે એ તારો હસબંડ એટલે કે તારા  છોકરાંઓનો બાયોલોજીકલ બાપ જાણશે તો એ શું કહેશે ?

દીકરી-(ત્રાડ પાડીને મોટા અવાજે)- મધર તું સમજતી કેમ નથી કે એ મારો હસબંડ નથી પણ એક્સ-હસબંડ છે.મને નથી લાગતું કે એને આ બાબતમાં કોઈ વાંધો કે તકરાર હોય.તને સાચી વાત કહું, જે દિવસથી એ મને છોડી ગયો છે ત્યારથી એક દિવસ માટે પણ એની બેડમાં એ એકલો સુઈ ગયો નહી હોય!હું હાલ જેની સાથે જાઉં છું એ કોઈ મવાલી નથી.તારી સાથે હું કોઈ દલીલ કરવા નથી માગતી.હું છોકરાંઓને મૂકી જાઉં કે નહિ એનો જવાબ આપ. 

માતા-મારી સાથે બરાડા પાડીને આમ વાત ના કરીશ.પેલા મવાલી સાથે પણ આવા બરાડા પાડવાની છે કે ?જે માણસ બે છોકરાંવાળી ત્યકતા સ્ત્રી સાથે રખડી એનો ખોટો લાભ ઉઠાવે એ મવાલી નહી તો બીજું કોણ કહેવાય?મને બિચારાં આ બે નિર્દોષ બાળકોની દયા આવે છે કે એને આવી મા મળી છે.તારો હસબંડ તને છોડી ગયો એની મને નવાઈ નથી લાગતી નથી.કદાચ એને જ તું લાયક છે.

દીકરી(ગુસ્સાથી બરાડીને) -બસ મા બહુ થયું.મારે તારું ભાષણ નથી સાંભળવું.ચાલ ફોન મૂકી દે.બાય ….

માતા- છોકરી ઉભી રહે,ફોન મૂકી ના દઈશ.છોકરાંને ક્યારે મુકવા આવે છે એ કહે ?

દીકરી- હું તારી પાસે છોકરાંને મુકવા આવવાની નથી કે કોઈ મવાલીસાથે બહાર પણ જવાની નથી.હું મારું મારી જાતે  ફોડી લઈશ.

માતા- દીકરી,જો કોઈની સાથે બહાર નહિ જાય તો તને કોઈ સારો છોકરો લગ્ન કરવા માટે ક્યાંથી મળવાનો છે.બે છોકરાં સાથે તારી આખી જિંદગી એકલી તું કેવી રીતે કાઢવાની છે.છોકરાંને મારી પાસે મૂકીને કોઈની પણ સાથે તારે જ્યાં પણ જવું હોય ત્યાં જજે !

( 850 ) વેલેન્ટાઇન ડે …..પ્રેમ શું છે ?( કાવ્ય )……બે અજનબી પ્રેમીઓની પ્રેમ કથા

૧૪મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે એ પ્રેમી જનો માટેનો અગત્યનો દિવસ ગણાય છે.વસંત ઋતુ આવતાં જેમ કુદરત પુર બહારમાં ખીલી ઉઠે છે એમ વેલેન્ટાઇન પ્રસંગે યુવાન પ્રેમીજનોમાં યૌવન સહજ પ્રેમ ખીલી ઉઠે છે.વેલેન્ટાઇન એ પ્રેમીઓ માટેની વસંત ઋતુ છે.

વેલેન્ટાઈન ડે એ પ્રેમીજનો વચ્ચેની પ્રેમની લાગણીઓની  અનેક રીતે અભિવ્યક્તિ કરવાનો દિવસ .

સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે એક સાથે આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !

વસંત એટલે પ્રકૃતીનું યૌવન .વેલેન્ટાઇન ડે એટલે યુવાનીની વસંત .

વેલેન્ટાઇન ડે ઉપરની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક અછાંદસ રચના

નીચેની લીંક પર વાંચો.

વેલેન્ટાઇન ડે ….. અછાંદસ રચના 

પ્રેમનાં અનેક સ્વરૂપો  છે. આ ભાવને વ્યક્ત કરતી પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક  બીજી કાવ્ય રચના ” પ્રેમ છું છે ?” નીચે પ્રસ્તુત છે.

પ્રેમ શુ છે ? … કાવ્ય…વિનોદ પટેલ  

પ્રેમ ખરેખર શુ છે એ બહું જ ગહન સવાલ છે,

પ્રેમ કહેવાની નહી પણ અનુભૂતિની વાત છે,

પ્રેમમાં પડવાનું નહી, ઊભા થવાનું હોય છે,

પ્રેમમાં પંખી જેમ ગગનમાં ઉડવાનું હોય છે ,

પ્રેમ એ મન ગમતી એક ઉત્તમ લાગણી છે,

પ્રેમ એ દિલના દર્દોની એક અકસીર દવા છે,

પ્રેમ એ છોડવું ન ગમે એવું એક બંધન છે,

પ્રેમ અનેક રૂપે સર્વત્ર વિહરતો જોવાય છે,

મા-બાપનો સંતાનો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે,

પ્રેમ વશ થઇ બહેની વીરાને રાખી બાંધે છે,

પતિ-પત્નીનો પ્રેમ સંસારનો સાચો પાયો છે,

દેશ પ્રેમ માટે માનવો બલિદાનો આપે છે,

સાહિત્ય પ્રેમ એ જીવન ઉત્કર્ષની ચાવી છે,

ચલચિત્રોમાંનો પ્રેમ એક ધંધાદારી પ્રેમ છે,

લયલા-મજનું ,શીરી-ફરહાદ પ્રેમ પ્રતીકો છે,

તિરસ્કાર નહીં પણ પ્રેમ જ સદા એક સત્ય છે,

પ્રેમ આંધળો હોય છે, એમ લોકોમાં કહેવાય છે

પ્રેમાંધ સંત સાપને રસ્સી માની છેતરાય છે,

બધાં જ ધર્મોમાં પ્રેમનો મહિમા ગવાયો છે,

મોહન ઘેલી મીરાંનો પ્રેમ કેવો અદભૂત છે!

વાગી કટારી પ્રેમની એમ મીરાં જ ગાય છે,

રામ ઘેલી શબરી પ્રભુને એંઠા બોર ચખાડે છે,

રસોઈમાં જેમ નમક એમ જીવનમાં પ્રેમ છે,

જેણે પ્રેમ કર્યો નથી એનું જીવન બેકાર છે,

પ્રેમ વિહીન કોઈ પણ જીવન ક્લ્પવું મુશ્કેલ છે.

સૌ પ્રેમી મિત્રોને હેપ્પી વેલેન્ટાઇન ડે .

વિનોદ પટેલ , સાન ડિયેગો ,કેલીફોર્નીયા 

બે અજનબી પ્રેમી પંખીડાંની ગજબની  લવ સ્ટોરી

 

 અમેરિકાના ન્યુ મેક્ષિકો સ્ટેટમાં આવેલ મૂક્ય શહેર આલ્બુકર્ક માં રહેતા ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત એક યુવાન ટીમ હેરીસ Tim Harris ની વેલેન્ટાઈન ડે ને અનુરૂપ આ પ્રેમ કથા જાણવા જેવી છે.

 આખા અમેરિકામાં ડાઉન સિન્ડ્રોમ સાથે આલ્બુકર્કમાં રેસ્ટોરંટ ચલાવતો ટીમ હેરીસ Tim Harris એક માત્ર પ્રથમ જ માલિક હતો .એની રેસ્ટોરંટનું  નામ Tim’s Place હતું.પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી એના આ ધંધામાં એના પ્રાણ રેડીને એને સધ્ધર કર્યો હતો.

પરંતુ એક દિવસે એના રેગ્યુલર ગ્રાહકો સમક્ષ એણે જાહેર કર્યું કે એ ટૂંક સમયમાં જ રેસ્ટોરંટ બંધ કરે છે અને બીજા સ્ટેટમાં ડેનવર શહેરમાં મુવ થાય છે. એના ગ્રાહકોને આ સમાચાર જાણીને ખુબ નવાઈ લાગી કે ટીમ એનો આવો જામેલો ધંધો કેમ બંધ કરતો હશે .

રેસ્ટોરન્ટના ગ્રાહકોએ જ્યારે એનું કારણ  જાણ્યું ત્યારે એમને એથી ય વધુ નવાઈ લાગી.

કારણ એ હતું કે ડાઉન સિન્ડ્રોમ લોકોની એક કન્વેન્શનમાં ટીમને એક ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતી સાથે પરિચય થયો. પરિચય પાંગરીને પ્રેમમાં પરિણમ્યો .ટીફની કહે છે “I think I got hit by the love bug.”

ટીમની પણ ટીફની જેવી જ માનસિક પરિસ્થિતિ હતી .ટીમે એક દિવસ ટીફની આગળ ઘૂંટણીએ પડીને એના વેલેન્ટાઇન થવાની ઓફર કરી. ટીફ્નીએ ખુશીથી સ્વીકારી. એને તો એ જ જોઈતું હતું. પરંતુ એક મુશ્કેલી એ હતી કે ટીફની દુર ડેનવર માં રહેતી હતી અને ટીમ સાથે રહેવા આવી શકે એમ નહોતી.

ટીફની સાથે રહી શકે એ માટે ટીમે એની જામેલી રેસ્ટોરન્ટ બંધ કરીને ડેનવર મુવ થવાનો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો. ડેનવરમાં જઈને નવેસરથી ત્યાં ધંધો કરે પણ એ જામે કે ના જામે એની એને પરવા નહોતી. ટીફની માટેના એના પ્રેમ ખાતર એણે એક મોટું જોખમ માથે વહોરી લીધું.

આલ્બુકર્કમાં એના ગ્રાહકોને એ પ્રિય બની ગયો હતો. રેસ્ટોરન્ટ બંધ કરવાના ટીમના નિર્ણયથી ઘણા ગ્રાહકો તો એને બાથમાં લઈને રડવા લાગ્યા હતા.પ્રેમને ખાતર ટીમ આટલો મહાન ત્યાગ કરવા તૈયાર થઇ ગયો હતો એ એમને સમજાતું નહોતું.

પરંતુ ટીમ એમને સમજાવતો હતો “Every time I feel sad, my girlfriend makes me feel a lot happier, When I look into her eyes, I see love. I see joy. And I see that I have a future here.”

ટીમના ફાધર કહે છે કે ટીમ એનો જામેલો ધંધો સમેટી આલ્બુકર્કથી ડેનવર મુવ થવાના વિચારથી મનથી દુખી તો છે પણ એની પ્રિયતમા ટીફની સાથે રહેવા માટે જવાનું થશે એ કારણથી એને આવો ઉત્તેજિત અને ઉત્સાહી થતો મેં એને કદી ય જોયો નથી.

આવાં અજનબી પ્રેમી પંખીડાંની ગજબની પ્રેમ કથા નીચેના બે વિડીયોમાં તમે નીહાળશો ત્યારે તમને પણ થશે કે પ્રેમ એ ખરેખર શું છે અને માનવી પાસે એ શું શું કરાવે છે ?પ્રેમ માણસના શરીરને નહી પણ એમાં ધબકતા હૃદયને ઓળખે છે.

Tim’s Place set to close, Couple opens up about decision to leave

Recipe for a perfect love story

 

Why on earth do we call such people disabled, when on the important things of life they can be so much more able than the rest of us.