વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: કાવ્ય/ગઝલ

1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

૮ મી માર્ચ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.

૧.

આઠમી માર્ચ,

વિશ્વ મહિલા દિન 

અભિનંદન.

૨.

અબળા નથી,

સબળા બની આજે,

વિશ્વ નારી.

૩.

પુરુષ સમી

બની આજે આગળ,

મહિલા ધપે .

પ્રગતિશીલ,

મહિલા દર્શનથી,

હૈયું હરખે

કોઈ બંધન,

નથી, નારીને હવે,

પ્રગતી પંથે.

બેટી બચાઓ,

બેટી પઢાઓ મંત્ર,

બધે ફેલાઓ.

૭ .

એક દીકરી,

દસ દીકરા સમી,

એને જાણીએ.

 

દીકરી એતો,

ઘરમાં પ્રકાશતી,

તેજ દિવડી.

૯ .

કરો વંદના,

વિશ્વ નારી શક્તિને,

મહિલા દિને.

વિનોદ પટેલ.

એક કાવ્ય

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક

 

સૌજન્ય શ્રી ગોવિંદ મારૂ સંપાદક ”અભિવ્યક્તિ” બ્લોગ 

આજે મહીલા દીન’ નીમીત્તે,

લેખક શ્રી. જય વસાવડાનો લેખ :

સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!

 લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છેઆવોજયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…

આખી પોસ્ટ માણવા માટે લીન્ક નીચે આપી છે

https://govindmaru.com/2020/03/06/jay-vasavda-2/.

 

.એટલે સ્ત્રી | …Atle Stree | Women’s Day Special | Ankit Trivedi

Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi’s hilarious Speech in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.

https://youtu.be/XT8MYjEdHLg

 

1334 -મૃત્યુ અંગે કવિઓના વિવિધ વિચારોનો આસ્વાદ ….સંકલિત

મૃત્યુ અંગે કવિઓના વિવિધ વિચારોનો આસ્વાદ ….

The prison of life and the bondage of sorrow are one and the same

Why should man be free of sorrow before dying?

જહાં કે ગુલકદે સે ઐ કઝા મુઝે લે ચલ,
મેરા વજૂદ યહાં ખાર-સા ખટકતા હૈ.

મર મર કે મુસાફિર ને બસાયા હૈ તુઝે,
રૂખ સબ સે ફિરા કે મુંહ દિખાયા હૈ તુઝે.
ક્યોં કર ન લપટ કે તુઝ સે સોઉં એ કબ્ર,
મૈં ને ભી તો જાન દે કે પાયા હૈ તુઝે.

તમામ ઉમ્ર જો કી હમ સે બેરૂખી સબ ને,
કફન મેં હમ ભી અઝીઝોં સે મુંહ છુપા કે ચલે.
કરીબે કબ્ર હમ આયે કહાં કહાં ફિર કર,
તમામ ઉમ્ર હુઇ જબ તો અપના ઘર દેખા

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટ દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,

કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,

-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!

મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,

ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?

જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,

નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;

જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,

ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.

– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું

મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે

– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે

હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક

બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.

-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,

થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.

– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?

સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,

ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,

તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?

મારું આખું જીવન બહાનું છે

– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,

કોઈ એમ સમજે દવા યાદ આવી.

– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,

હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.

– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,

કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.

– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,

આ છે છેવટના શ્વાસ, હાય નથી.

– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,

આત્મહત્યા વિના ઉપાય નથી.

– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;

જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,

ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.

– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,

હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,

વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.

– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,

મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.

– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,

મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.

– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,

એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?

– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?

પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!

– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,

ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું

– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,

કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,

એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.

– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,

આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.

– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,

હક છે મરણનો એટલે રાખી છે જિંદગી

-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,

જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.

-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,

મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે

-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,

કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે

-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,

પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.

– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,

મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે

-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,

આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.

-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,

ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.

– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?

ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.

– અકબરઅલી જસદણવાળા

 કાં

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,

હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.

– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા

જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો

– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે

આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ

– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,

છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.

– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,

ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,

ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;

સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,

મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,

હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?

– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,

તો આ મરવું થાય મુશળધાર પણ !

-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,

બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;

જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,

એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,

હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;

કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,

આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,

મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !

– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –

કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.

– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,

મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!

-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,

મૃત્યુ રાહત વચગાળાની.

-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,

મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.

– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,

જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.

‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,

જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.

-હસનઅલી

હે મરણ !

હે મરણ !
જિંદગીને એક બસ તારું શરણ…હે મરણ.

જન્મ લીધો ત્યારથી એક જ દિશામાં
આજીવન   દોડ્યાં   કર્યું જિજીવિષામાં,
આખરે તારી કને  રુક્યાં ચરણ  …….હે.

સૂર્ય ઉગ્યો આથમે એ તો નકી,
આથમ્યાને ઊગવાની પણ વકી;
બે અંતિમોને સાંધતું તું  ઉપકરણ……..હે

ખેતરો ખેડ્યાં, મબલક પાક લીધો;
‘ત્રણેઋતુ’નો મજાનો લાભ લીધો;
ખળાં ટાણે હાથ ના’વ્યો એક કણ ! …..હે.

અંતહીન મુસાફરી ચાલ્યાં કરે,
સ્ટેશને   કોઈ  ચડે,  કો’   ઊતરે;
અધવચાળે રોકી દે તું એક ક્ષણ…….હે

ક્યાં હશે ગંગોત્રી જીવનની,અહો !
કયા સાગરમાં જઈ   ઠરશે,  કહો-
ક્યાં સુધી વહેતું રહેશે આ ઝરણ?!….હે

કેટલાં   વીત્યાં,  વીતશે   કેટલાં ?
આયખાં તો પાર ના’વે એટલાં!
ગણતરીને  નડે  તારું આવરણ !!……..હે

– જુગલકીશોર

–––––––––––––––––

મરણપથારીએ

હાડપીંજરમાં  શ્વસે   છે જિદગી;
નસનસોમાં શી લસે છે જિંદગી !

આટલાં વરસોનાં  જે   સંભારણાં;
સાથમાં લઈને ખસે   છે  જિંદગી.

દર્દને લાગુ  પડે એવી  દવા શી ?!
દર્દને   ખુદને  ડસે   છે  જિંદગી !

આજુબાજુ   વીંટળાઈ   જે  ઉભાં
લાગણી  સૌની   કસે  છે  જિંદગી.

ગામ,ફળિયું, ડેલી,  ને  આ  ઓરડે
બાકી  સંબંધો  ઘસે   છે   જિંદગી.

સૌના વ્યવહારો કર્યા,ને સાચવ્યા;
ખુદનો આ છેલ્લો  રચે છે જિંદગી !

આટલો  રસ્તો  વીત્યો ધીમે  ભલે;
મોતને   રસ્તે   ધસે   છે   જીંદગી !

–જુગલકિશોર.

===000===

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર, એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.

ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.

ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.

હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

વિનોદ આર. પટેલ

સાન ડિયાગો

1331 – સ્વાગત નવા વર્ષનું ..૨૦૨૦… / સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં …

 

NY2020-1

મારું નવા વર્ષનું એક કાવ્ય,થોડું મઠારીને ..

સ્વાગત નવા વર્ષનું.- ૨૦૨૦

 

સમય સરિતા વહેતી જ રહેતી હંમેશ,

યાદો પાછળ મૂકી,વર્ષ એક થયું પસાર,

નવા અરમાનો,અનેક સંકલ્પો મનમાં ધરી,  

આવી ઉભા એક નવા વર્ષને પગથાર.

સ્વાગત કરીએ આ નવલા વર્ષનું પ્રેમથી.

જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,

એમાં ઊગેલ ઘાસ નીદામણ દુર કરીને,

નવા વરસે પ્રેમનો નવ પાક ઉગાડીએ.

નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,

નવલા વરસે નવલા બનીને,નવેસરથી,

નવી આશાનો દીપ જલાવીએ,પ્રકાશીએ.

કૃપાળુ પ્રભુને હંમેશાં હર પળ સમરીએ,

નવ વરસે, બે કર જોડી એને પ્રાર્થીએ કે ,

રિદ્ધિ, સિદ્ધિ,લક્ષ્મી અને સરસ્વતી માતા ,

સૌ પર રીઝે ,સુખ શાંતિ સૌ પ્રાપ્ત કરે ,

એવું ઉત્તમ નવું વર્ષ બનાવજે, હે પ્રભુ.

વિનોદ પટેલ

 

NY2020-2

નવા વરસે…..એક પ્રાર્થના…..

કુન્દનિકા કાપડીઆ

હે પ્રભુ,

અમારી વાણી તારા ગુણોનું સ્તવન કરો,

અમારા કાન તારી કથાઓનું શ્રવણ કરો,

અમારા હાથ તારાં સેવા કર્મ કરો,

અમારૂં મન તારાં ચરણોના ચિંતનમાં રહો,

અમારૂં શિર તારા નિવાસ સ્થાન રૂપ જગતને પ્રણામ કરવામાં રહો,

અમારી દ્રષ્ટિ તારી મૂર્તિરૂપ સંતોનાં દર્શનમાં રહો.

ભાગવત

[કુન્દનિકા કાપડીઆ લિખિત “પરમ સમીપે” માંથી સાભાર]

સતત પ્રયત્નશીલ રહેજો આ નવા વર્ષમાં…

હૅપી ન્યુ યર. કૅલેન્ડરનું પાનું ફેરવાયું અને લો નવું વર્ષ હાજર. કૅલેન્ડરનાં ફેરવાતાં પાનાંની સાથે આપણી જિંદગીનાં પાનાં પણ ફેરવાતાં જાય છે. કૅલેન્ડરની છપાયેલી તારીખમાં ફેરબદલ શક્ય નથી. જિંદગી જીવવાની ફિલસૂફીમાં ફેરબદલને સતત અવકાશ છે.

સતત એટલે કાયમી, નિરંતર, લગાતાર, હંમેશાં. આ બધા જ શબ્દો આપણી રોજબરોજની જિંદગી સાથે વણાઈ ગયા છે. શબ્દોની સાથે પ્રયત્ન પણ વણાઈ જતો હોય છે. કોઈ પણ કામ પાછળ થતા સતત પ્રયત્નો માણસને થકવી નાખે છે. સતત પ્રયત્ન છતાં ઘણી વાર પરિણામ ન મળતું હોય ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે.

સતત પ્રયત્નશીલતાનો થાક ઘણી વાર શરીર કરતાં મગજ પર વધારે સવાર થઈ જતો હોય છે. એક વાર મગજમાં ઘૂસી જાય કે હવે આ કામ નહીં થાય મારાથી. હવે આ સંબંધ નહીં સચવાય. પછી મગજ આ વિચાર પર પોતાનો કબજો જમાવીને બેસી જાય છે. આ વિચાર આપણી પર એટલો બધો હાવી થઈ જાય કે આપણે વધુ પ્રયત્ન કરતા રોકાઈ જઈએ છીએ. પ્રયત્નનાં હથિયાર આપણે હેઠાં મૂકી દઈએ છીએ.

માણસનું જીવન સતત વહેતું રહે છે. જિવાતી જિંદગીમાં સતત પ્રયત્નશીલ રહેવું આવશ્યક છે. સંબંધ બંધાઈ ગયા પછી એને ટકાવી રાખવા આપણે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. જીવનમાં કશી ગૅરન્ટી નથી કે કશું સ્થાયી નથી. જીવન પરિવર્તનશીલ છે.

 સંબંધમાં બંધાયા પછી એ કેટલા ટકશે એ કોઈ કહી ન શકે. પણ આપણા સતત પ્રયત્નો સંબંધને ટકાવી રાખે છે. આપણે કાયમી સંબંધમાં બંધાઈએ છીએ એ છતાં એ સંબંધ જેમ-જેમ જૂનો થતો જાય એમ વાસી બનતો જાય છે અને આપણે તાજગી શોધવા ફાંફાં મારીએ છીએ.

 એકધારા કામનો આપણને કંટાળો આવવા લાગે છે એવા સમયે મગજને આરામની જરૂર હોય છે. મગજને કંઈક જુદો અનુભવ આપવાની જરૂર હોય છે. અમુક લોકો સતત કામ કરવામાં એટલા બધા પૅશનેટ હોય છે કે પ્રયત્નશીલ રહેવાનું તેમનું જોમ હંમેશાં તીવ્ર હોય છે. એવી જ રીતે સંબંધોની બાબતે આવા લોકો ખૂબ જોમ લગાડીને એને ટકાવી રાખવાની જહેમત કરતા રહે છે.

 આ પ્રકારના લોકો જીવનને અને કામને સામાન્ય લોકો કરતાં જુદી રીતે જુએ છે અને મૂલવે છે. આ પ્રકારના લોકો નક્કી કરેલા લક્ષ્‍ય સુધી પહોંચવા તનતોડ મહેનત કરે છે. એમાં સફળતા ન મળે તો ફરી પોતાની એનર્જી કામે લગાડી દોડવા લાગે છે. હાર શબ્દ કદાચ તેમની જીવન ડિક્શનરીમાં નથી હોતો. હારને આ લોકો પોતાના મગજ પર હાવી નથી થવા દેતા. એવું નથી કે તેમને હાર મળતા આ લાકો નિરાશ કે હતાશ નથી થતા, પણ આ પ્રકારના લોકો હતાશાને ખંખેરીને ફરી હિંમત ભેગી કરે છે.

 સતતનું સાતત્ય જાળવવું ખૂબ કઠિન હોય છે. દીવાને અખંડ રાખવો હોય તો એમાં સતત ઘી પૂરવું પડે. આપણા પ્રયત્નને અખંડ રાખવા હોય તો જાત હોમી દેવી પડે. ઘણી વાર છેલ્લો પ્રયત્ન દરવાજાની ખુલ જા સિમ સિમ જેવી ચાવી સમાન સાબિત થતો હોય છે.

સંબંધની માયાજાળ પણ ગજબની છે. જે આપણી પાસે છે એની સાથે આપણે ખુશ નથી અને જે આપણી પાસે નથી એની સાથે આપણે ખુશ રહેવાનાં સપનાં જોઈએ છીએ. કાયમી અને જૂના થયેલા સંબંધોમાં આપણે પ્રયત્ન છોડી દઈએ છીએ અને નવા સંબંધ તરફ ઘસડાયા કરીએ છીએ. થોડા વખત પછી એ નવો સંબંધ પણ વાસી થઈ જશે અને આપણે ફરી કોઈ નવા સંબંધ તરફ દોટ મૂકીશું. આ દોટ નિરંતર ચાલુ રહે છે. આવી નિરંતરતા જોખમી સાબિત થાય છે. જીવનમાં એક વાત નક્કી છે કે નક્કી કશું જ નથી. અને જ્યારે કશું નક્કી ન હોય ત્યારે નક્કી પ્રયત્ન તો કરી જ લેવો જોઈએ.

પણે માત્ર જીવીએ છીએ. આપણે સતત જીવતા નથી હોતા. જીવવાના આપણા પ્રયત્ન અમુક સમય પછી ફીકા પડી જાય છે. એ સમયે આપણે આપણી જાતને સતત જીવવા માટે, સતત પ્રયત્નશીલ રહેવા માટે, સતત સંબંધ ટકાવી રાખવા માટે હૅપી ન્યુ યર કહેવું પડે. જીવનમાં નવીનતા આવે એટલે એક્સાઇટમેન્ટ, ઉત્સાહ વધી જાય. અને આપણે દિલોજાનથી કામ કરવા લાગીએ. દિલોજાનથી બધું ટકાવી રાખવા પ્રયત્ન કરીએ. નવીનતા બહાર નહીં, આપણી અંદર જ હોય છે. નવીનતા જૂના સંબંધને છેતરી નવા સંબંધમાં શોધવાની નથી. નવીનતા જૂના સંબંધ રિવાઇન્ડ કરીને શોધવાની છે.

 જૂનું વર્ષ જરા રિવાઇન્ડ કરી બધી જ હતાશાને ખંખેરી સતત પ્રયત્નશીલ રહેવાના નિર્ધાર સાથે જાતને હૅપી ન્યુ યર કહીએ.

 મલ્ટિટાસ્કિંગમાં પુરુષો પણ છે પાવરધા

મલ્ટિટાસ્કિંગ એટલે કે એકસાથે અનેક કામ કરવામાં મહિલાઓની મૉનોપોલી રહી છે. વહેલી સવારે ઊઠીને સંતાનોને સ્કૂલમાં મોકલવાં, હસબન્ડનું ટિફિન બનાવવું, રસોઈ, વડીલોની દેખભાળ, બહાર જઈને કામ કરવું અને ઍાફિસમાંથી પરત ફર્યા બાદ બાળકોને હોમવર્ક કરાવવું. ઓછા સમયમાં વધુ કામ કરવામાં મહિલાઓની તોલે કોઈ ન આવે એવું અત્યાર સુધી માનવામાં આવતું હતું. તાજેતરમાં આ માન્યતાને ખોટી ઠેરવતો રિપોર્ટ સામે આવ્યો છે.

 

પબ્લિક લાઇબ્રેરી ઑફ સાયન્સ વન જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મહિલાઓ મલ્ટિટાસ્કર નથી, હાર્ડ વર્કિંગ છે. મહિલાઓની કાર્યક્ષમતા વિશે રિસર્ચ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે તેઓ ઘણાંબધાં કામ કરવામાં પાવરધી છે, પરંતુ તેને મલ્ટિટાસ્કર ન કહી શકાય. મલ્ટિટાસ્કિંગની વ્યાખ્યા જુદી છે. એમાં જગલિંગ કરી કામો પતાવવાનાં નથી હોતાં. મલ્ટિટાસ્કિંગમાં ફોકસ, ડેડલાઇન અને સક્સેસનો રોલ મહત્ત્વનો છે. દાખલા તરીકે કોઈ પુરુષ ડ્રાઇવિંગ કરતાં-કરતાં તેના હાથ નીચે કામ કરતી વ્યક્તિને ફોનના માધ્યમથી ઇન્સ્ટ્રક્શન આપે, ઑફિસ પહોંચતાં સુધીમાં ટેબલ પર રિપોર્ટ તૈયાર હોય એને મલ્ટિટાસ્ક કહેવાય. અહીં ફોકસ (રોડ પર અને ફોન પર), ડેડલાઇન અને સક્સેસ ત્રણેય જોવા મળે છે. સ્ટડી કહે છે કે મલ્ટિટાસ્કિંગમાં મહિલાઓ નહીં, પણ પુરુષો એક્સપર્ટ છે.

સૌજન્ય ..Dailyhunt

વિનોદ વિહારના સૌ સુજ્ઞ વાચક મિત્રો,સ્નેહી જનો નવા વર્ષ 2020 માં તન,મન,ધનથી ખુશ રહે એવી અનેક પ્રેમભરી શુભેચ્છાઓ.

 વિનોદ પટેલ ,

સાન ડીયેગો , કેલીફોર્નીયા

તા. જાન્યુઆરી ૧,૨૦૨૦

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;

સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.

વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,

વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.

કવી ઉશનસ 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1311 – કવિયત્રી યામિની વ્યાસ રચિત કાવ્ય/ગઝલ …”રોટલીના લોટમાં”…..રસાસ્વાદ …. ઇલિયાસ શેખ

કવિયત્રી યામિની વ્યાસ ગુજરાતી બ્લોગ વિશ્વનાં જાણીતાં બ્લોગર ,ભાવક અને નીરવ રવે બ્લોગનાં સંપાદક મારાં પરમ વિદુષી મિત્ર સુ.શ્રી પ્રજ્ઞા જુ. વ્યાસનાં દીકરી છે.

પ્રજ્ઞાબેન તરફથી મને ઈ-મેલમાં પ્રાપ્ત યામિનીબેનનું ગુજરાતી કાવ્ય, ”રોટલીના લોટમાં” એનો આસ્વાદ અને વિડીયો મને ખુબ ગમી ગયાં.આ ત્રણ સાહિત્ય પ્રિય પ્રતિભાઓના આભાર સાથે  આજની પોસ્ટમાં  એને નીચે પ્રસ્તુત છે.

આશા છે આપને એ ગમશે.આપનો પ્રતીસાત જરૂર જણાવશો.

વિનોદ પટેલ

કવિયત્રી યામિની વ્યાસનો પરિચય ..

ફોટો સૌજન્ય .. ફેસબુક 

અગાઉ વિનોદ વિહારની તારીખ 2015/09/08 ની પોસ્ટમાં ..

કવિયત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … વિ. સાથેનો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો.

 ફેસબુક  પર યામિની બેનની  સાહિત્ય પ્રવૃતિઓની ફોટાઓ સાથેની ઝલક 

કાવ્ય ..’રોટલીના લોટમાં’… યામિની વ્યાસ

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

~ યામિની વ્યાસ

આસ્વાદ: કાવ્ય ..રોટલીના લોટમાં ~ઇલિયાસ શેખ

સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચી, તો પહેલાં તો મનમાં થયું, કોમેન્ટરૂપે “વાહ” લખીને, લાઇક કરીને આગળ વધી જઉં. પણ, મારે તો એવું છે ને કે, મન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું.! કેમ કે, હું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુ, એટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.

યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાય, એ નાતો, પણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાં, ભરબપોરે, સાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતું, એ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!

આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોય, ત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છે, એવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળે, પણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરે, એ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કે, એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.

જો કે, આ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈર, આ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છે, ત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

મત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દે, એવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છે, એ પરખને અન્ય કોઇને બોધ કરાવવાની, પરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએ, પણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટ, નાયકને યાર અને પ્યાર બનાવી મુકે છે, એ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છે? એનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકા, પોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છે, એની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છે, એ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાત, આયખું, સમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીને, જ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતને, પ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવો, તો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છે, કે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છે, કે જે “ખુલી શકે” એ જ ખીલી શકે, અને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીને, ખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કે, શું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશે? નાયિકાના ખબર અંતર પૂછશે? આવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતા, નાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છે, એવાં કોઇ દુખદ પ્રસંગની યાદ, નાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીં, પણ એકલી-એકલી ફરિયાદ કરે છે કે, તેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કે, નાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોય, કોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છે, એ બહેન, ભાભી, દીકરી, મા કે પત્ની – ગમે તે હોય, પણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણ, ગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસ, એકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કે, જેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપી, આજે નાયક આવે તો એને બતાવી દેવી છે, એવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છે, ત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કે, એ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતા, રોટલીને તાવડીમાં શેકતા-શેકતા, મમતાળુ માવડી બનીને, નાયકની ચિંતા કરે છે કે, આ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખ, ધોધમાર વરસાદ, રોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!

હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડો, ભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતે, કણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણ, અને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તન, પ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોય, પણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.

નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીને, નારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રો, તૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓ, દોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકર, વોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.

આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કે, અઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડી, ચૂડીદાર, બ્લાઉઝ, પેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!! 

 – ઇલિયાસ શેખ

વિડીયોમાં કાવ્ય પઠન .. યામિની વ્યાસ

યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં  રોટલી  બનાવતાં બનાવતાં એમના કાવ્ય  ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે. ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !

વિડીયો સૌજન્ય … સાહિત્ય દર્શન
Published on May 10, 2019
ગુજરાતી કવિતા –
કવિયત્રી – યામિની વ્યાસ

કાવ્ય – ‘રોટલીના લોટમાં’


સૌજન્ય … સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ, નીરવ રવે બ્લોગ.

(આ.પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫મા વર્ષમાં પ્રવેશ વેળાની વિનોદ વિહારની ખાસ પોસ્ટમાં એમનો પરિચય વાંચવા માટે અહીં ક્લિક કરો.)

વિનોદ વિહારમાં આ અગાઉ પોસ્ટ થયેલ કવિયત્રી યામિની વ્યાસની પોસ્ટ કરવામાં આવેલી સાહિત્ય રચનાઓ -પરિચય સાથે અહીં ક્લિક કરીને વાંચો .

1287 – બે ગમતીલી ગુજરાતી ગઝલો અને એનું રસસ્પદ ગઝલાવલોકન … સુરેશ જાની

Suresh Jani

બ્લોગ વિશ્વમાં જાણીતા મારા સહૃદયી મિત્ર અને આ બ્લોગના સહ સંપાદક શ્રી સુરેશ જાનીની પસંદગીની બે ગઝલ રચનાઓ અને એનું સુંદર ગઝલાવલોકન જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી”ની બે પોસ્ટમાં પ્રકાશિત થયું છે .મને એ વાંચતાં જ ગમી ગયું.

વેબ ગુર્જરી અને અવલોકનકાર સુરેશભાઈના આભાર સાથે એને વિ.વિ.ના વાચકો માટે અત્રે પુનઃ પ્રગટ કરેલ છે.

આમે ય શ્રી સુરેશભાઈ આંખો ઉઘાડી રાખી અવલોકન કરવાનો કુદરતી શોખ ધરાવનાર જાગૃત વ્યક્તિ છે એ એમની  ”મારાં અવલોકનો ” ની ઈ-બુકો  ના લેખો વાંચવાથી સહેજે ખ્યાલ આવી  જશે.

વિનોદ પટેલ

બે ગમતીલી ગઝલો અને એનું સુંદર ગઝલાવલોકન … સુરેશ જાની

સૌજન્ય/સાભાર … વેબ ગુર્જરી …

ગઝલાવલોકન – ૧ : 

ગઝલ ..”ગમતાંનો કરીએ ગુલાલ”….  મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય
આ તો વરસે ગગનભરી વ્હાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી
આવે તે આપ કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં
રણકી ઊઠે કરતાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

–મકરંદ દવે

આગળ રસાસ્વાદ …. 

”વેબ ગુર્જરી ”બ્લોગની આ લિંક પર ક્લિક કરીને વાચો.

ગઝલાવલોકન – ૨ :

ગઝલ – ”મોહતાજ ના કશાનો હતો.” ..– ‘રૂસવા’

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો, કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન–મરણ,
ઝગડો એ હા ને ના નો હતો, કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
– ‘રૂસવા’
(પરિચય અહીં) 

‘રૂસવા’ની( ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ) આ બહુ જાણીતી ગઝલ છે.

આગળ રસાસ્વાદ ”વેબ ગુર્જરી” બ્લોગની આ લીંક પર ક્લિક કરીને વાચો.

અગાઉ વિનોદ વિહારમાં પણ સુરેશભાઈને ગમતી અન્ય ઘણી ગઝલોનું રસાસ્વાદ કરાવતા લેખો પ્રસિદ્ધ થયા છે .આ બધા લેખો નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

સુરેશ જાનીનાં ગઝલાવલોકનો 

1279 ‘’અદ્દલ મારા જેવી જ છે’’ … વાર્તા …સ્નેહા પટેલ … એક નવો પરિચય

વાચક મિત્રો,

મહિલા ગૌરવ એવોર્ડ -2016 ‘ સાથે સ્નેહા પટેલ

વિનોદ વિહાર માટે એ આનંદના સમાચાર છે કે અમદાવાદમાં રહેતાં  જાણીતાં લેખિકા અને કવયિત્રી સુ.શ્રી. સ્નેહા પટેલ‘’અક્ષિતારક’’ એ એમની સાહિત્ય રચનાઓ સાથે સૌ પ્રથમ વાર પધારી રહ્યાં છે.વિનોદ વિહારમાં એમનું હાર્દિક સ્વાગત છે.

વિનોદ વિહાર માટે એમણે ખાસ બે લેખો અને એક કાવ્ય મોકલેલ છે એટલું જ નહિ પણ એમના બ્લોગ અક્ષિતારક  માંથી જે કોઈ સાહિત્ય રચના ગમે એને વિ.વિ.ના વાચકો માટે પોસ્ટ કરવાની સંમતી આપી છે એ બદલ એમનો આભારી છું.

સુ.શ્રી સ્નેહા પટેલનો પરિચય

અમદાવાદમાં રહેતાં સ્નેહા પટેલ એક પ્રોફેશનલ લેખિકા છે.નીચેનાં પ્રકાશનોમાં એમની નિયમિત કોલમમાં તેઓ લખે છે.

૧.ફૂલછાબ દૈનિક પેપર, રાજકોટમાં ‘નવરાશની પળ’

૨.ખેતીની વાત, માસિક મેગેઝિન, રાજકોટમાં ‘મારી હયાતી તારી આસ – પાસ

૩ .શ્રી ખોડલધામ સ્મૃતિ મેગેઝિન, રાજકોટમાં ‘આચમન’

૪. પટેલ સુવાસ, અમદાવાદ

૫.ગુજરાત ગાર્ડી ‘ મહિલા ગૌરવ એવોર્ડ -2016 ‘ યન દૈનિક પેપર, સુરતમાં ‘સ્માઈલ પ્લીઝ”

તેઓ કહે છે ..

”મારા વિશે બે જ લાઇનનો પરિચય બહુ થઈ પડે આમ તો કે,

‘નદી જેવી બિન્દાસ વહુ છું

હા પણ

વળાંકોને અનુરૂપ થઈ જઊં છું..’

સ્નેહાબેનનાં છાપાઓની કૉલમનાં 6 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. (૧) વાત થોડી હૂંફની (૨) વાત બે પળની અને (૩) વાત દીકરીની – દીકરીએ જ સાસરે કેમ જવાનું ? (4) વાત@હ્રદયકોમ પ્રથમ (5) વાત ચપટી’ક સુખની અને (6) આક્ષિતારક (કાવ્ય સંગ્રહ).આ બધા પુસ્તકોની બીજી આવૃત્તિ ટૂંકા ગાળામાં જ થઈ ચૂકી છે.

સ્નેહાબેનનો વધુ વિગતે પરિચય એમના જ શબ્દોમાં એમના બ્લોગ અક્ષીતારકમાં ”મારા વિષે થોડુંક ”લીંક પર ક્લિક કરીને વાંચો.

https://akshitarak.wordpress.com/about-me/

આજની પોસ્ટમાં સ્નેહાબેનએ મોકલેલ એમની વાર્તા ” અદ્દલ મારા જેવી જ છે ‘’  એમના આભાર સાથે પ્રસ્તુત છે.

સ્નેહાબેન પટેલ એક સમાજ અભિમુખ લેખિકા છે.સ્નેહાબેનની વાર્તાઓ એટલે સામાજિક સંબંધોના તાણાવાણાઓથી ગુન્થાએલી એક રંગીન ખુબસુરત જાજમ.એમની વાર્તાઓમાં સમાજ માટે કોઈ ને કોઈ પ્રેરક સંદેશ છુપાએલો જોવા મળે છે.

વિનોદ વિહારના સુજ્ઞ વાચકો માટે સ્નેહાબેનની અન્ય ગમતી સાહિત્ય રચનાઓનો આસ્વાદ અવાર નવાર કરાવતા રહીશું.

વિનોદ પટેલ    

અદ્દલ મારા જેવી જ છે ….વાર્તા … સ્નેહા પટેલ 

આરોહી આજે ખૂબ ખુશખુશાલ હતી. એની દીકરી અન્વેષા આજે સ્કુલમાં વાર્ષિક ફંકશનમાં યોજાયેલ દોડની સ્પર્ધામાં ૮૬ સ્પર્ધકોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવી શકેલી. એ બદલ એને સ્કુલ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. અન્વેષાના સફેદ ઝગ ફ્રોક ઉપર એના ગળામાં લાલ સાટીનની રીબીનમાં પીળો ચંદ્રક વીંટીમાં જડેલા હીરા જેવો ચમકી રહયો હતો. બે ગાલ પર હાથ મૂકીને આંખો અહોભાવમાં પહોળી કરીને આરોહી એકીટશે એની લાડકવાયીને જોઇ રહી હતી. આમ જ ભાવાવેશમાં એની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા એની પણ એને ખબર નહતી રહી.

અન્વેષા અચાનક હસી પડી અને એની મમ્મીના આંસુ પોતાની તર્જની પર લઈને રાજકુમારની જેમ ફિલ્મી અદામાં બોલી,

‘ આ બહુ જ મૂલ્યવાન મોતી છે માતા, એને જમીન પર ના પાડો.’

અને આરોહી ભફ્ફાક.. દેતાં’કને હસી પડી. પ્રેમથી અન્વેષાનો કાન ખેંચીને બોલી,

‘ચાલ હવે ચિબાવલી, ચૂપ થઈ જા તો. એ તો તું જ્યારે મા બનીશ અને તારું સંતાન આવી સિધ્ધી પ્રાપ્ત કરશે ત્યારે તને આ લાગણી સમજાશે.’

અને અન્વેષાનું કપાળ પ્રેમથી ચૂમતાં બોલી,

‘સાવ મારી પર જ ગઈ છે, હું પણ સ્કુલમાં કાયમ આમ જ પ્રથમ નંબર લાવતી હતી.’

અને વળતી પળે જ માતાના પ્રેમ ઝરણમાં નહાતી અન્વેષાના મોઢામાં કાંકરો આવી ગયો હોય એવી લાગણી ઉભરાઈ. જો કે એણે પોતાની લાગણી બહુ જ સફળતાથી છુપાવી લીધી એથી આરોહીને એના વિશે કશું જાણ ના થઈ.

થોડા સમય પછી,

અન્વેષા એના મિત્રો સાથે કાશ્મીર બાજુમ ટ્રેકીંગ પર નીકળી પડી હતી. નેટ પર જોઇ જોઇને બધી જ જગ્યાનું પૂરેપૂરું એનાલીસીસ કરીને જોઇતા પૈસા, સામાન અને બધી જ સાવધાનીનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. માત્ર એક ખભા પર પાછળ લટકાવવાની બેગ લઈને એ સાહસયાત્રા પર નીકળી પડી. લગભગ આઠ દિવસનો પ્રોગ્રામ હતો અને એનું પૂરું સંચાલન અન્વેષાના હાથમાં. મુસાફરીમાં અનેક જગ્યાએ એની અનેક વખત કસોટી થઈ અને આપસૂઝથી અન્વેષા એમાંથી આસાનીથી બહાર પણ નીકળી ગઈ.

સાહસયાત્રા પરથી પાછી આવ્યા પછી થાક ઉતારીને બીજા દિવસે અન્વેષા પૂરાં ઉત્સાહથી પોતાની કહાની મમ્મી પપ્પાને સંભળાવી રહી હતી. કેવી કેવી મુશ્કેલીઓ આવી એનો એ લોકોએ કેવી રીતે સામનો કર્યો, ક્યાં ક્યાં કેવી અગવડ પડી – કેટલી ય જરુરિયાતની વસ્તુઓ વગર પણ ચલાવ્યું અને એ બધી જગ્યાને કેવી રીતે પોતાના એસ. એલ. આરમાં યાદગીરીરુપે કંડાર્યુ એ બધાની માહિતી આપતી હતી અને અચાનક એના પપ્પા અશ્વીન બોલી ઉઠ્યો,

‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. અમે પણ આવી યાત્રાઓ બહુ જ કરતાં હતાં. અસ્સલ મારી પર જ ગઈ છે મારી ઢીંગલી.’

અને અન્વેષાના મોઢામાં ફરીથી ક્વીનાઈનની ટીક્ડી ઘોળાઈ ગઈ. આજે એની સહનશક્તિ એનો સાથ છોડતી જણાઈ અને એના મોઢામાંથી શબ્દો ફૂટી નીકળ્યાં,

‘મમ્મી – પપ્પા, નાનપણથી મારી દરેક સફળતા, હોંશિયારીમાં તમે લોકો તમારી જ સફળતા અને સ્માર્ટનેસ કેમ શોધો છો?’

‘મતલબ ?’ આરોહી અને અશ્વીન અચાનક જ આવા વિચિત્ર અને અણધાર્યા પ્રશ્નથી ચોંકી ગયા.

‘મતલબ એ જ કે મારી કોઇ પણ સિધ્ધી હોય ભલે દોડવાની હોય કે આવી રીતે ટ્રેકીંગની હોય કે પછી કપડાંની પસંદગી હોય કે મેથ્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાની – દરેક વાતનો અંત તો ‘અસ્સલ મારી પર ગઈ છે’થી જ હોય છે. માન્યું કે સંતાનોમાં એમના માતા પિતાના અનેક ગુણ હોય જન્મજાત જ હોય પણ એની પાછળ તમે મારી હોંશિયારીની કોઇ કદર ના કરો કાં તો નજરઅંદાજ કરીને બધો જશ પોતાના માથે જ લઈ લો છો એ વાતની તમને ખબર જ નથી હોતી. મારે તમારા મોઢે સાંભળવું હોય છે કે,

‘અન્વેષા બેટા, તું બહુ જ સાહસી છો, હોંશિયાર છું, તાકાતવાન છું. તારી સાથે આટલા બધા મજબૂત હરીફો હોય છે એનાથી ગભરાયા વિના હિંમત રાખીને તું એમનાથી આગળ નીકળી જાય છે એ ખરેખર કાબિલે તારીફ કામ છે, આટલી નાની ઉંમરમાં તેં તારામાં આટલા બધા ગુણ વિક્સાવ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. એના બદલે કાયમ મને તમારા તરફથી ‘તું તો અસ્સલ મારા પર જ ગઈ છું’ જેવી એકની એક રેકોર્ડ જ સાંભળવા મળે છે.માન્યું કે તમારા જીન્સ મને મળ્યાં છે પણે બધાંને સમજીને મેં મારી રીતે મારામાં એ બધાને ડેવલોપ કરવામાં બહુ મહેનત કરી છે.તમારા જેવી ભલે ને વીસ વીસ ટકા માનો અને મને મારી પોતાની જેવી બાકીના સાઈઠ ટકા તો માનો. કાયમ સરખામણી કરવાનો આ સ્વભાવ ત્યજી દો પ્લીઝ.’

‘હા દીકરા , તારી વાત સાચી જ છે. નાનપણથી અમે અમારા સંતાનોમાં અમારા અંશ અને ગુણ જ શોધતા ફરીએ છીએ અને બીજાંઓ અમારી કમજોરી અમારા સંતાનોમાં શોધીને એક વિચિત્ર આનંદ મેળવે છે. પણ આજે તેં જે વાત કહી એ વાત તો અમારા હરખઘેલાં વાલીઓને ખ્યાલ જ માં નથી આવતી કે,’અમારું સંતાન ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, એના આજુબાજુના વાતાવરણમાંથી જાતે બધું શીખતું થયું છે, એની પોતાની પણ એક આઈન્ડેટીટી છે. અમને માફ કરજે દીકરાં. આજે તેં અમારી આંખો ખોલી દીધી.વી આર રીઅલી પ્રાઉડ ઓફ યુ. અમારું સંતાન આટલું વિચારશીલ છે એનો અમને ખૂબ જ આનંદ છે.’

અને અશ્વીને અન્વેષાના કપાળ પર ચુંબન અંકીત કરી દીધું.

અન્વેષાની આંખમાંથી એની જાણ બહાર આંસુ વહી રહ્યાં હતાં.

-સ્નેહા પટેલ

 

સ્નેહાબેન –કવયિત્રી તરીકે

નીચેના વિડીયોમાં જાણીતા કવિ શ્રી તુષાર શુક્લા સાથે લેખિકા/કવયિત્રી સ્નેહા એચ.પટેલ ડીડી-૧ પર કાવ્ય પઠન કરતા જોઈ /સાંભળી શકાશે.

સ્નેહાબેનએ ઈ-મેલમાં મોકલેલ એમની એક સુંદર કાવ્ય રચના  

પ્રથમ જાતને એ પજવવાનું હોય,

પછી ભીતરે ક્યાંક ઠરવાનું હોય !

 

પ્રથમ બારણાંએ ઊઘડવાનું હોય,

પછી બહાર એણે નીકળવાનું હોય !

 

ઉપર એક પગથિયું જ ચડવાનું હોય,

પછી બે પગથિયાં ઉતરવાનું હોય !

 

સ્વયંને સમર્પિત કરવાનું હોય,

ન બનવાનું ક્યારેક બનવાનું હોય !

 

લખીને ભૂંસી પાછું લખવાનું હોય,

પ્રથમ નિજ આંખે ઊકલવાનું હોય !

 

ઘૂંટણ સુધી આવી જતા બેઉ પગ,

આ ઠંડીમાં એવું થથરવાનું હોય !

 

કશું આપણી બે ય વચ્ચે નથી,

અને હોય છે તે સમજવાનું હોય !

 

છૂટીને ય છૂટી શકાતું નથી,

ન મળવાનું જાણે કે મળવાનું હોય !

 

તમોને જે દુ:ખ્યા કરે છે ભીતર,

એ મારામાં આવી વિકસવાનું હોય !

 

-સ્નેહા પટેલ

‘અક્ષિતારક’ પુસ્તક – પેજ :9