“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….” Harnis Jani
ન્યુ જર્સી નિવાસી મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીના ઓગસ્ટ ૨૦,૨૦૧૮ ની સાંજે થયેલ અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ અને આઘાતની લાગણી થઇ.
મારા જેવા એમના અનેક સાહિત્ય મિત્રો અને પ્રસંશકો એમના જવાથી ખોટ અનુભવશે.His LOVE, LAUGHTER and LITERATURE will be greatly missed.
આજે જ્યારે લોકોના મો પરથી હાસ્ય વીલાતું જાય છે ત્યારે હરનીશભાઈ જેવા સદા હસતા અને એમના લેખો અને પ્રવચનો દ્વારા હસાવતા હાસ્ય લેખકની વિદાયથી મોટી ખોટ વર્તાય એ સ્વાભાવિક છે.સદેહે ભલે તેઓ નથી પણ એમના શબ્દ દેહે એ હંમેશાં પ્રેરણા આપતા રહેશે.
ગુજરાતી સાહિત્યમાં હાસ્ય નિબંધો લખાયા છે. પરંતુ હરનિશભાઇએ હાસ્ય વાર્તાઓ લખી નવી ભાત પાડી છે,જેની ગુજરાતના વિવેચકોએ નોંધ લીધી છે.
સન્નિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી રમેશ તન્નાએ હરનીશભાઈને અંજલિ આપતો સરસ લેખ દિવ્ય ભાસ્કરની એમની કોલમ ”ગુડ મોર્નિંગ ગુજરાત”માં પ્રગટ થયો છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
હરનીશભાઈને મારી હાર્દિક શ્રધાંજલિ.
વિનોદ પટેલ
==============
હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક … રમેશ તન્ના
Shri Harnish Jani with family
હાસ્યલેખક અને સિદ્ધ સર્જક હરનિશ જાની 77મે ગયા. આ વખતે તેમણે પોતાનાં પરિવારજનો અને સગાં-વહાલાંઓને ખોટા પાડ્યા. તેઓ હૃદય રોગના આઠ-આઠ હુમલાને પચાવી ગયા હતા. પાંચેક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, બાપપાસ સર્જરીને એવું ના થાય કે અહીં તો રહી ગઈ, એટલે બાપપાસ પણ કરાવી હતી. દર વખતે હૉસ્પિટલમાં જાય, હમણાં જશે એવા સંજોગોય સર્જાય, પણ હરનિશ જાની પાછા સાજા થઈ જાય અને પાછા ઘરે આવે.
ગુજરાતના ઘણા પ્રદેશમાં મૃત્યુ પામ્યા માટે પાછા થયા એમ બોલાય છે, હરનિશ જાની પાછા થવાને બદલે ઘરે પાછા આવતા. અનેક વખત આવતા.
દરિયાપાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખકો એક આંગળીના વેઢે ગણાય એટલાય નથી. એ મહેણું હરનિશ જાનીએ ભાગ્યું. હાસ્ય ઉપર તેમની હથોટી હતી. સહજ રીતે તેમને હાસ્ય સ્ફૂરતું. તેઓ પોતાની કૃતિઓમાં અમેરિકાના વેશ-પરિવેશને લઈ આવ્યા તે તેમની ખૂબી હતી.
દરિયાપાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખકો એક આંગળીના વેઢે ગણાય એટલાય નથી. એ મહેણું હરનિશ જાનીએ ભાગ્યું. હાસ્ય ઉપર તેમની હથોટી હતી. સહજ રીતે તેમને હાસ્ય સ્ફૂરતું. તેઓ પોતાની કૃતિઓમાં અમેરિકાના વેશ-પરિવેશને લઈ આવ્યા તે તેમની ખૂબી હતી. હાસ્યલેખક રતિલાલ બોરીસાગર કહે કે અમેરિકામાં વસતા કોઈ લેખક ભારતીયતાને પકડી રાખીને, અહીંના સમાજ કે જીવનને વિષય બનાવીને હાસ્ય સર્જે એને હું સાચા હાસ્યલેખક ના કહું. હરનિશ જાનીએ ત્યાંની આબોહવાને પકડીને લખ્યું. તેઓ સમર્થ હાસ્યલેખક હતા.
હરનિશ જાની જીવતા માણસ હતા. માણસોના. માણસ હતા. ખૂબ વાતોડિયા. મહેફિલોમાં ખૂલતા અને ખીલતા. તેમની હાજરી હોય એટલે હાસ્યના જામ પર જામ ભરાય અને ખાલી થાય. ખૂબ અભ્યાસી. અઠંગ વાચક. આખી સ્થિતિને, કોઈ પણ સ્થિતિને તટસ્થ રીતે જોઈ અને મૂલવી શકતા. તેમનાં નિરીક્ષણો પૂર્વગ્રહ વિનાનાં. અહોભાવ તો ક્યારેય તેમને અભડાવી શકતો નહીં. તેઓ કહેતા, અમેરિકામાં જો ભણેલા હશો તો સુખી થશો અને નહીં ભણેલા હોવ તો પૈસાવાળા થશો. તેઓ એમ પણ કહેતા કે ગીતા વાંચ્યા પછી મને બીજા લેખો બકવાસ લાગે છે.
હરનીશ જાનીએ રોકડાં ત્રણ પુસ્તકો આપ્યાંઃ ‘સુધન’, ‘સુશીલા’ અને ‘તીરછી નજરે અમેરિકા’. ત્રણેય પુસ્તકો ઉત્તમ. તેમણે વતનને યાદ કર્યું છે. સ્મરણોની કેડી પર પોતાની સાથે વાચકોને પણ ચલાવ્યા છે તો તેમણે આજનું અમેરિકા પણ સુલભ કરી આપ્યું છે. આપણને ગુજરાતી સાહિત્યકાર પાસેથી આ રીતનું અને આ પ્રીતનું અમેરિકા પ્રથમ વખત મળી રહ્યું છે.
***
દરિયાપારના 65 કે 70 લાખ ગુજરાતીઓના નસીબમાં પહેલાં સંઘર્ષ અને પછી ડોલર હોય છે. ભારત છોડ્યાનો આનંદ શમે એ પહેલાં પ્રારંભિક સંઘર્ષ તેને ઊંચકીને ફેંકી દે છે મહેનતના મહાસાગરમાં. ડૂબે કોઇ નહીં, પણ તરતાં તો શીખવું જ પડે. બધા શીખે અને પછી બે નહીં, પાંચ-સાત પાંદડે થાય અને ‘ટેસથી જીવે’. મોટાં અને વિશાળ કપાળ હોય તેને ઝટ સમૃદ્ધિ વરે. દરિયાપારના દરેક ગુજરાતીના ભાલ પ્રદેશ પર ડોલર અંકિત હોય. હોય, હોય ને હોય જ. ના દેખાય તો ય હોય જ. હરનિશ જાની નામનો એક જણસ જેવો જણ એવો હતો જેણે પોતાના કપાળ પર અંકિત ડોલર જોર કરીને ભૂસ્યો. દૂર ઊભાં ઊભાં સરસ્વતીદેવી તેની આ બધી ચેષ્ટાઓ, હસી હસીને જોયા કરે. હરનિશભાઇને તો તેની ખબર નહીં. ડોલર થોડો ઝાંખો કરીને હરનિશભાઇએ પોતાના ભાલ પર હાસ્યનું તિલક કર્યું અને સરસ્વતીદેવી ખડખડાટ કરતાં હસ્યાં. સરસ્વતીદેવી હસતાં જાયને આશીર્વાદ દેતાં જાય. એમ કરતાં કરતાં ત્રણ સંગ્રહો થયા. યમરાજા તેમને લેવા આવે ને પાછા જાય, આવે અને પાછા. તેય ધક્કા ખાઈ ખાઈને કંટાળ્યા. લઈ જવાનું કન્ફર્મ હોય ત્યાં હરનીશ જાની સાજા થઈને ઘરે જાય અને લખવા માંડે. સુરતથી ફોન કરી કરીને બકુલ ટેલર ગુજરાત મિત્રમાં લખાવે. વાચકો ફેસબુક પર વાંચી વાંચીને હસે અને કોમેન્ટ કરે કે હજી વધુ લખો અને પેલા યમરાજાના પેટમાં ફાળ પડે.
છેવટે યમરાજાના દયામણા મોઢાને જોઈને આ વખતે હરનિશભાઈ કહે, ચલો, ત્યારે, આ વખતે આવું છું.
20મી ઓગસ્ટ, 2018ના રોજ હરનિશ જાનીએ વિદાય લીધી ત્યારે દરિયાપારના એક સશક્ત હાસ્યલેખક, વક્તા, અભ્યાસી, સર્જક અને ઉમદા માણસે આવજો કહ્યું.
***
પાંચમી એપ્રિલ, 1941ના રોજ ગુજરાત મધ્યેના મુકામ પોસ્ટ રાજપીપળામાં જન્મેલા હરનિશ જાનીએ જેવું માતા-પિતાને તર્પણ કર્યું તેવું બીજા કોઇએ કર્યું નહીં હોય.
કોઇ લેખક કે કવિ કે સર્જક પોતાનું પ્રથમ પુસ્તક લખે તો મોટાભાગે માતા-પિતાને જ અર્પણ કરે. હરનિશ જાનીએ 2003માં પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ માતા-પિતાને જ અર્પણ કર્યો છે, પરંતુ તેમણે જે માતૃ અને પિતૃ તર્પણ કર્યું છે તે કદાચ કોઇ વિચારી પણ ના શકે.
એમાં થયેલું એવું કે 1961માં ‘ચાંદની’માં હરનિશ જાનીની પ્રથમ વાર્તા પ્રકાશિત થઈ. તેમાં નામ લખાયેલું હરનિશ જાની. તેમના બાપુજીએ પૂછ્યું કે કેમ હરનિશ સુધનભાઈ જાની એમ નથી લખ્યું. હરનીશભાઈ કહે, એવું લખવાનો રિવાજ નથી. તેમના પિતાજી કહે કે નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા, રમણલાલ વસંતલાલ દેસાઈ તો લખાય છે. હરનિશભાઈ કહે કે સાક્ષરનું નામ ત્રણ શબ્દોનું હોય, લેખકનું બે શબ્દોનું હોય. પિતા સાથેની એ વાત તેમણે યાદ રાખી હશે.
2003માં પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ (તેને હાસ્યસંગ્રહ પણ કહી શકાય તેમ છે)નું નામ તેમણે રાખ્યું ‘સુધન’. (42 વર્ષે તેમણે પિતાની ઈચ્છાને જુદી રીતે પૂરી કરી.) પિતાનું નામ પોતાના પ્રથમ પુસ્તકને આપનાર કદાચ હરનીશભાઇ પહેલા હશે. એ પછી બીજા સંગ્રહને પોતાની માતાનું નામ આપ્યુંઃ સુશીલા. સુધનલાલ કે સુશીલાબહેનને તો કલ્પના પણ નહીં હોય કે તેમનો દીકરો તેમને ‘પુસ્તક’ બનાવી દેશે ! ‘સુધન’ને ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇનામ આપ્યું હતું તો ‘સુશીલા’ને તો અકાદમીના પ્રથમ પારિતોષિક ઉપરાંત પરિષદનું ‘શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ પણ મળ્યું હતું. ગુજરાતી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ પણ તેમને શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી નવાજ્યા હતા.
બે પુસ્તકને ટોચનાં ચાર-ચાર ઇનામો મળે એ બહુ સારું કહેવાય, પણ એનાથી પણ વધારે સારું તો એ હતું કે હરનિશ જાની મૂળ વંચાતા લેખક હતા. સરસ લખતા. ઇવન, ડાયાબિટીસના દરદી પણ તેમનું પુસ્તક વાંચવા બેસે તો વોશરૂમ જવાનું ટાળીને એકીબેઠકે પુસ્તક પૂરું કરે તેવું ઇન્ટરેસ્ટિંગ લખતા. ઘણા વાચકો તેમનાં પુસ્તકો વાંચતાં વાંચતાં હસતા, તો વળી ઘણા તો એવાય હતા કે હસતાં હસતાં વાંચતા. મધુ રાય જેવા શબ્દકસબી અને ભાષાના કીમિયાગર તેમની વાર્તાઓ વાંચીને, અમેરિકામાં એવું અટ્ટહાસ્ય કરતા કે ગુજરાતમાં બધાને તે ચોખ્ખુ સંભળાતું. હરનિશ જાનીની કલમ મસ્ત હતી, જબરજસ્ત હતી. સ્મરણો, યાદો, અતીતના ઓવારેથી, તળાવના આરેથી, ભારતના કિનારેથી પવનો વા’તા ને તેની વાતો બનાવી બનાવીને હરનીશ જાની લખતા. દરિયાપાર વસતા ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓને તેઓ પકડતા. અમેરિકાની ભૂમિને, ત્યાંના આવરણ અને વાતાવરણને સૂંઘીને, જોઇ-જાણીને, ચાખીને, જરૂર પડે ત્યારે ખોતરીને તેઓ સમજતા અને પછી અભ્યાસની શાહીમાં બોળીને લખતા. વચ્ચે વચ્ચે હરનિશીય શૈલીનું હાસ્ય ભરતા. દરિયાપાર વસતા ઉત્તમ કવિઓ, સર્વશ્રેષ્ઠ વાર્તાકારો, કલમનવેશો, અને કલમકસબીઓ, નિબંધકારો અને નવલકથાકારોમાં હરનિશ જાની પહેલી પંગતમાં ઊભા રહ્યા. વટથી ટટ્ટાર ઊભા રહ્યા. દરિયાપારના શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે તેઓ 2003માં જન્મ્યા અને 2015 સુધીમાં ત્રણ પુસ્તકોની ભેટ ધરીને, પોતાના શબ્દનો ઉજળો અને ઝળહળતો હિસાબ આપીને ગયા.
જતાં પહેલાં હૃદય રોગના આઠ હુમલા, પાંચ એન્જિયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, પોતાના જ હૃદય પર કરાવીને ગયા. ગુજરાતમાં લેખકો એવું લખે છે કે આવું બધું બીજાને કરાવવું પડે છે જ્યારે આ જાનીસાહેબે આટલું બધું કરાવીને પછી પણ વાચકોને હસાવ્યા.
બાય ધ વે, કહેવું પડે નહીં? સંવેદનશીલ માણસ અને સર્જકનું હૃદય આટલું બધું ખમી શકે તેવું મજબૂત હોય છે?
જતાં પહેલાં હરનિશ જાની હૃદય રોગના આઠ હુમલા, પાંચ એન્જિયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, પોતાના જ હૃદય પર કરાવીને ગયા. ગુજરાતમાં લેખકો એવું લખે છે કે આવું બધું બીજાને કરાવવું પડે છે જ્યારે આ જાનીસાહેબે આટલું બધું કરાવીને પછી પણ વાચકોને હસાવ્યા.
કોઈ તેમને કહેશે કે, હરનિશ જાની કોઇ વૈજ્ઞાનિકોનું મગજ સાચવી રખાય છે, તમારું હૃદય સાચવી રાખવું જોઇએ.
તેમનાં નિરીક્ષણોમાં ત્યાંનો સમાજ દેખાય છેઃ લેખક લખે છે, પરદેશના ગુજરાતીઓની જીવનશૈલી, એમની ચિંતાઓ, એમના લક્ષ્યો બધું ગુજરાત કરતાં સહેજ જુદું છે. ફર્સ્ટ જનરેશનના ગુજરાતી સેટલ થવાની, વેજ ખાવાની કે નોનવેજ ચલાવી લેવાની ઇમિગ્રેશનની, જોબની બિઝનેસની, ઇન્ડિયા પૈસા મોકલવાની, બાળકોને સંસ્કાર આપવાની, બેબી સિટિંગની, એલ્ડર સિસ્ટરને સ્પોન્સર કરવાની ફિકરમાં હોય છે. કાંઇક સ્થિર થયા બાદ હાઉસનાં પેમેન્ટ, સંતાનોનાં ડેટિંગ, સાધુસંતોના સત્કારની વાતો થાય છે. પછી ફાધર મધરને બોલાવવાની અને અહીંના સમાજમાં આગળ આવવાની તજવીજ હોય છે અને પરદેશ વસેલી ગુજરાતી નારી મોટર હાંકે છે, જોબ પર જાય છે. ચિલ્ડ્રનને બેબી સિટર પાસે મૂકે છે, અઠવાડિયાની રસોઇ એકસાથે બનાવી રાખે છે. સેકન્ડ જનરેશનની પ્રજા ડબલ રોલમાં હોય ચે. વિચારે અમેરિકન અને સંસ્કારે ગુજરાતી હોવાનો અનુભવ કેવો હશે તે આપણે કદી નહીં જાણી શકીએ. આપણે એમની સાથે અંગ્રેજીમાં બોલીએ છીએ ત્યારે એક ગુપ્ત રીતે એમના કરતાં અંગ્રેજી ઓછું આવડતું હોવાનું કબૂલ કરીએ છીએ. આપણાં સંતાનો સાથેનો આપણો વહેવાર ગુજરાતી માતાપિતા કરતાં બહુ જદો છે. એ બાળકો મોટાં થઇ અમેરિકન મુખ્ય પ્રવાહમાં જોડાશે, અને એમનાં સંતાન અને તેમનાં સંતાનોનાં સંતાન આખરે પૂરેપૂરા અમેરિકન ઘડામાં ઘોળાઇ જશે. પચીસ-પચાસ વર્ષમાં આપણું આપણાપણું અહીં લુપ્ત થવાનું છે તે આપણે જોઇએ છીએ અને એટલે બમણા મમતથી તેને આપણે બાથ ભીડી બેઠાં છીએ.
હરનિશ જાનીએ દરિયાપારના જ નહીં, બૃહદ ગુજરાતી સાહિત્યને સુધન કર્યું છે. તેઓ 60 પછી લખતા થયા, જો અમેરિકા ગયા ત્યારથી જ લખતા થયા હોત તો ત્રણને બદલે 30 પુસ્તકો હોત અને દરિયાપારના સાહિત્યની અનેક છટાઓ આપણે પામી શક્યા હોત.
હરનીશ જાનીની 76 મા જન્મ દિવસની ભેટ …”સુધન” ઈ-પુસ્તક
હરનીશભાઈ નો પ્રથમ ‘હાસ્ય વાર્તાઓ’નો સંગ્રહ ”સુધન” છેક 2003માં પ્રકાશીત થયેલો જે અપ્રાપ્ય હતો. વાચકો ” સુધન -ઈ બુક “ના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ અપ્રાપ્ય પુસ્તકના બધા જ લેખો વાંચી શકશે.
ટ્રમ્પ સાહેબ જે વાત ઈલેક્શન પહેલાં કરતા હતા .તે વાત હવે અમલમાં મુકવાના છે. વાત છે ઈમિગ્રેશન ઓછું કરવાની. અમેરિકનો ખુશ છે. તેમના જોબ તેમનાથી વધુ હોશિયાર ઈમિગ્રન્ટસ્ લઈ લેતા હતા. તે હવે તેમના માટે રહેશે. હાલ દર વરસે દસ લાખ ઈમિગ્રંટસ્ આખી દુનિયામાંથી અમેરિકા આવે છે. હવે પછીના દસ વરસમાં ધીમે ધીમે તે સંખ્યા ઘટીને પાંચ લાખ થશે. અને આ પાંચ લાખમાં ભણેલા અને કોઈ હુન્નર જાણકાર લોકોને જ લેવામાં આવશે. અભણ અને સિનીયોરોને નહીં, જે ગવર્મેંટના વેલફેર ચેક ,કોઈ પણ જાતનુ કામ કર્યા સિવાય, લેતા થઈ જાય છે.
૧૯૬૫ પછી ઈમિગ્રેશનની નીતિ હતી. તેમાં ભણેલા કે અભણ ઈમિગ્રંટસ્ કાયદાઓ પ્રમાણે આવતા હતા. આમાં ભારતીયોએ ચિંતા કરવા જેવું નથી. જો તમારા લોહી– સંબંધવાળા સગા અમેરિકામાં રહેતા હોય તેને માટે કોઈ બંધી નથી. એટલે કે ભારતીય મૂળના અમેરિકન સિટીઝન પોતાના મા બાપ, બાળકો અને ભાઈ બ્હેનને સ્પોન્સર કરીને ગ્રિન કાર્ડ અપાવી શકે છે. તે ચાલુ રહેશે. પણ નવા ઈમિગ્રંટસ્ ને બરાબર ચકાસીને લેવામાં આવશે. મતલબ કે અમેરિકાને મજૂરોની જરૂર નથી કે નથી જરુર એવા લોકોની કે જે કામ કર્યા સિવાય વેલફેરના ચેક લેવા માંડે. એટલે ભવિષ્યમાં એવું બની શકે કે જે વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા આવવું હોય તેને માટે દરવાજા ખુલી ગયા છે. કારણ કે ભારતનો કોટા ઓછો થઈ ગયો પણ અભણ અને સિનીયરોને લેવામાં નહીં આવે તો એમાં યંગ છોકરા છોકરીઓને તે લાભ મળશે.
ટ્રમ્પસાહેબની વાતમાં વજુદ છે. સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં અમેરિકામાં યુરોપના ગોરા લોકો ઈમિગ્રન્ટ તરીકે આવતા હતા. તેમનો રંગ ગોરો હતો. અને ધર્મ અમેરિકનોના જેવો જ હતો. અને તે લોકોને ઈંગ્લિશ નહોતુ આવડતું પણ ધીમે ધીમે તેમણે ભાષા શીખી લીધી. કોઈએ પણ અમેરિકનોને ઈંગ્લિશની સાથે ઈટાલિયન કે ફ્રેંચમાં એરપોર્ટના સાઈન બોર્ડ કે ગવર્મેંટના ફોર્મ બનાવવાની ઝુંબેશ નથી ઉપાડી, અને તે અમેરિકન કલ્ચરમાં ભળી ગયા.આથી અમેરિકાને “મેલ્ટીંગ પોટ” કહેવાય છે. આજે સ્પેનિશ બોલતા મેક્સિકન અને બીજા લેટિન અમેરિકાના દેશોએ અમેરિકામાં ફરજિયાત સ્પેનિશ ઘુસાડ્યું છે. સ્કુલોમાં બધા વિષય સ્પનિશમાં શિખવાઠવાની માંગણી છે. એટલું ઓછું હોય તેમ એડિસન ન્યૂ જર્સીની સ્કુલોમાં ગુજરાતી શિખવાડોની ઝુંબેશ ચાલુ થઈ છે. પછી બંગાળી અને તામિલની વાતો થશે, પછી અમેરિકનોને ઈમિગ્રંટસ્ ગમે ખરા? આપણું કલ્ચર ? જ્યાં ત્યાં પાન ખાઈને થુંકવાનું અને મોટે મોટેથી વાતો કરી ઘોંઘાટ કરવાનું.
૧૯૮૬માં એડિસનના ઓક ટ્રી રોડ પર તુટી ગયેલા મકાનો સાથે ભેંકાર સ્લમ એરિયા હતો. ઈમિગ્રંટસ્ નો આભાર કે આજે ત્યાં સેંકડો સ્ટોર્સનું બજાર થઈ ગયું છે. ઈમિગ્રંટસ્ જોબ લાવ્યા અને ઈકોનોમીને બચાવી. જ્યારે અભણ મેક્સિકનો અને બીજી પ્રજા રેસ્ટોરાં અને હોસ્પિટલોમાં મજુરીના કામ કરવા લાગી. શરુઆતમાં અમેરિકન લોકોને ગ્રિનકાર્ડની ખબર જ નહોતી. તમારી પાસે સોશિયલ સિક્યુરીટી નંબર હોય તો નોકરી મળી જતી. અને સોશિયલ સિક્યુરીટીની આફિસમાં જાવ તો ત્યાં તે નંબર મળી જતો. ૭૦ના દાયકાના પાછળના ભાગમાં અમેરિકન લોકો ગ્રિનકાર્ડ ચેક કરતા થયા. અને સોશિયલ સિક્યુરીટીવાળા પણ વિઝા ચેક કરતા થયા.
૧૯૬૫ના કાયદાથી દુનિયા આખીના લોકો અમેરિકા આવતા ગયા છે. જો ભારતીય ઈમિગ્રંટસ્ ની વાત કરું તો શરુઆતના વરસોમાં સ્ટુડન્ટસ્ આવતા હતા. તેમને માન મળતું હતું. ૧૯૬૯ના વરસે વિલીયમ્સબર્ગ ,વર્જિનીયાની કોલેજમાં હતો ત્યારે થેન્કસ્ ગિવીંગને દિવસે મને અને બીજા સ્ટુડન્ટ ગાંધીને ડિનરના બે બે ત્રણ ત્રણ આમંત્રણ આવ્યા હતા. લોકો ડિનરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ્ હોય તો સારું. એમ માનતા હતા.લોકો ફોરેન સ્ટુડન્ટને માન આપતા.
આજે ન્યૂ જર્સીની રટગર્સ યુનિ.ને હું પ્રેમથી ગુજરાત યુનિ. કહું છું. ત્યારે સાડી પહેરેલ ભારતીય સ્ત્રીને અને ફેંટાવાળા સરદાજીને જો કોઈ અમેરિકન જોતા તો તેમને રસ્તામાં જ ઉભા રાખી તેમના ફોટા પાડતા. આજે અમેરિકનો સરદારજીઓને ગોળી મારે છે. તેમને ખબર જ નથી કે તાલિબાન કોણ અને સરદારજી કોણ. આજે એક નહીં પણ સેંકડો સાડી પહેરેલ સ્ત્રીઓ શેરી ગરબા ગાય છે. મોડી રાત સુધી અવાજ કરી અને સામાન્ય અમેરિકનને સુવા નથી દેતા. તે તેમને ક્યાંથી ગમે?
ગોરા કે કાળા અમેરિકનોમાં હાલ બેકારી પ્રવર્તે છે. ઈમિગ્રેશનના આ નવા કાયદા મુખ્યત્વે મેક્સિકનોને આવતા અટકાવવા માટે બન્યા છે. મુસ્લીમોને અટકાવવાના બધા પ્રયત્નો સુપ્રિમ કોર્ટની મહેરબાનીથી નિષ્ફળ ગયા છે. હવે વાત મુશ્લીમની કરો તો અમેરિકનો મુશ્લીમ અને ઈન્ડિયન વચ્ચેનો ભેદ ક્યાંથી સમજવાના છે? અને આમ જોઈએ તો જરાય ભેદ નથી. માનવું અઘરું છે પણ એવા મેક્સિકનો છે જે રહે છે મેક્સિકોમાં પણ જોબ કરવા અપડાઉન કરે છે. મતલબ કે છુપી રીતે આવે જાય છે. અમેરિકનો બોર્ડર પર વોલ બાંધે તો મેક્સિકનો ટનલો બાંધશે.
જે ભારતીયો વરસોથી ટેક્ષ ભરીને અહીં જીવે છે . તેઓને પણ, કદી કામ ન કર્યું હોય અને મફતમાં વેલફેરના લાભ લેતા હોય એવા ઈમિગ્રંટસ્ ક્યાંથી ગમે?
છેલ્લી વાત–
મારી બાયપાસ સર્જરી પછી મને રૂમમાં લાવવામાં આવ્યો. ત્યાં મેં જોયું કે ટેબલ પર એક ફૂલદાનીમાં મોટો ગુલદસ્તો મુક્યો હતો. જોઈને આશ્ચર્ય થયું, મેં નર્સને કહ્યું કે, મારા માટે ફુલ? મારા ગુજરાતી મિત્ર તો ન મોકલે. તો નર્સ બોલી , “હોસ્પિટલની બાજુમાં આવેલા ફ્યુનરલ હોમવાળા હ્રદય રોગના દર્દીઓને ગુડ લક માટે મોકલે છે. સાથે એમનું બિઝનેસ કાર્ડ પણ મુક્યું છે.”
ન્યુ જર્સી નિવાસી જાણીતા એવોર્ડ વિજેતા હાસ્ય લેખક મિત્ર શ્રી હરનીશ જાની ના લેખો સુરતના અખબાર ‘ગુજરાત મિત્ર’ માં દર બુધવારે કોલમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ માં નિયમિત પ્રગટ થતા હોય છે.
ગુજરાત મિત્રની આ કોલમમાં તારીખ ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી હરનીશભાઈનો લેખ ‘ગાંધીજી વિષે અવનવું ‘ પ્રસિદ્ધ થયો છે એ મને ગમી ગયો.
આ લેખમાં ગાંધીજી વિષે અગાઉ વાંચી કે સાંભળી નહોતી એવી કેટલીક વાતો તેઓએ રજુ કરી છે.એમાં તેઓએ ગાંધીજીને મહાત્મા બનાવનાર કેટલાક મૂળભૂત ગુણોનું સરસ વિશ્લેષણ કર્યું છે.
ગાંધીજી એમના જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે કેવી રીતે દોડાવતા હતા એની હરનીશભાઈએ એમની આગવી રીતે રજુ કરેલ રસિક વાતો વિનોદ વિહારના વાચકોને મારી જેમ જરૂર ગમશે.
વિનોદ પટેલ
‘ગાંધીજી વિષે અવનવું ‘ …. શ્રી હરનીશ જાની ‘
અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધી બાપુ વિષેની વાત સાંભળી,જે મેં અગાઉ કદી સાંભળી નહોતી . બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે. ૧૯૦૩માં સાઉથઆફ્રિકા( આફ્રિકાના એક દેશનું નામ) માં ગાંધીજી ફુટબોલ ( અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફુટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફુટબોલ ક્લબની સ્થાપના કરી હતી. ડરબનમાં, પ્રિટોરીયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેના નામ અહિંસક સત્યાગ્રહ ફુટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફુટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ– ફુટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા. કાગળિયાં–પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુઝિયમના ફોટાઓ પુરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.
વાત એમ છે કે ઈંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફુટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફુટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિધ્ધાંત ગમતો. આ ફુટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગૂણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથઆફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો.
ગાંધીજીના ઘણા ગુણ મને ગમે છે પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદભૂત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે.પરંતુ ગાંધી બાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.
તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો ફર્સ્ટક્લાસ ની ટિકીટ લઈ અને ડરબનથી પ્રિટોરીયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકીટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઉતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાવ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી ,આફ્રિકા આવ્યા હતા.અને માટે આ ટિકીટ ચેકર સાથે માથાકુટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીઝબર્ગના સ્ટેશને ફેંકાય જવાનું પસંદ કર્યું અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતાં માર ખાધો. પણ પોતાના સિધ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરાય ઉતરતી નથી. એ સિધ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે.
અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈપણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત.
ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી કે નાતાલ (સાઉથઆફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મુકી દીધુ અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક્ક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનું અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મુકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરીત નિર્ણય લઈ શકે?
જગતમાં કોઈપણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.
કેટલાને ખબર હશે કે આફ્રિકાના “ એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટીશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯ થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના બન્ને પક્ષના ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો.
ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય. ગાંધીજીનું આ ચારિત્ર સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે ગાંધીજી ,જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા.સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી ,પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભારતીય ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટીશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.
ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજુદ હતું. નહેરુ સરદાર પટેલ, મૌલાના, ક્રિપ્લાની જેવા કેટલા ય મહારથીઓ તેમની ફૂટબોલના સિધ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.
છેલ્લી વાત–
એક વખતે પંડિત નહેરુ એક માનસિક રોગોની હોસ્પિટલની વિઝિટે ગયા હતા. ડોક્ટોરો જોડે અંદર ફરતા હતા. ત્યાં તેમની પાસે એક બોળકા માથાવાળો દર્દી આવ્યો. તેણે પંડિતજીને પૂછ્યું કે “ભાઈ તમે કોણ છો?” પંડિતજી બોલ્યા કે “ હું પંડિત નહેરુ છું.” તો તે દર્દી બોલ્યો, “ ચિંતા ન કરો. તમે પણ સારા થઈ જશો. હું અહીં આવ્યો ત્યારે મહાત્મા ગાંધી હતો.”
===========================
શ્રી હરનીશ જાનીનો તારીખ ૧૯ મી જુલાઈએ ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો એક બીજો લેખ ‘ગદ્દાર બને તે ખૂંખાર પણ બને ‘વાંચવા માટે નીચેની લીંક પર કલીક કરો.
અમેરિકામાં ગયા વરસે લગભગ ૩૦૦૦૦ માણસો એકલા બંદુક કે પિસ્તોલના ઉપયોગથી માર્યા ગયા છે. અમેરિકામાં માણસો દરરોજ કોઈને કોઈ જગાએ ગનથી મરતા હોય એ એક સામાન્ય વાત થઇ ગઈ છે.લોકોને આ જાણે કે હવે પચી ગયું છે ,કોઈને નવાઈ લાગતી નથી .સામાન્ય લોકો એમ વિચારતા હોય એમ લાગે છે કે એ તો એમ જ હોય ,આવું તો બન્યા કરે.
જ્યારે કોઈ બનાવ બને છે અને જ્યારે એક સામટા ૧૦ કે વીસ માણસો એક જ બનાવમાં મરે છે ત્યારે જન સમાજમાં થોડા દિવસ એની ચર્ચાઓ થાય છે, ગનના ઉપયોગનો કન્ટ્રોલ કરવા કંઈક કરવું જોઈએ ,એના માટે કોંગ્રેસએ બંધારણની જોગવાઈઓમાં ફેરફાર લાવવો જોઈએ વિગેરે વિગેરે ચર્ચાઓમાં અને ખબરોમાં જોવા મળે છે પણ થોડા દિવસો પછી લોકોની ઉશ્કેરાયેલી લાગણીઓનો ઉભરો શમી જતાં જન જીવન હતું એમને એમ થાળે પડી જાય છે.
જગતના શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા દેશના વર્તમાન હિસક ગન કલ્ચરથી ખુબ દુખી છે પરંતુ તેઓ અમેરિકાની એન.આર.એ.ની પાવરફુલ ગન લોબી સામે અને એને વેચાઈ ગયેલ રાજકારણીઓ -કોન્ગ્રેસ સભ્યો -સામે કશું કરવા અસમર્થ છે.બંધારણના સેકન્ડ એમેન્ડમેન્ટ પ્રમાણે અમેરીકાના દરેક નાગરીકને ગન રાખવાનો અબાધિત અધિકાર આપવામાં આવ્યો છે.આને લીધે દુકાનોમાં કે ગન વેચવા માટે ભરાતા મેળાઓમાં જઈને લોકો રમકડાની જેમ ગન ખરીદી શકે છે .એના વિષે કોઈ પુછપરછ થતી નથી.અસ્થિર મગજના અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા રીઢા ગુનેગારો પણ કોઈ પણ જાતની બીક વગર બેરોકટોક ગન ખરીદે છે અને મન ફાવે એમ એનો ઉપયોગ કરતા હોય છે.
વિનોદ પટેલ
ગન કંટ્રોલ અમેરિકા… ગુજરાત મિત્ર લેખ…. હરનિશ જાની
જાણીતા ડાયાસ્પોરા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાની અમેરિકામાં છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંત વરસોથી રહે છે એટલે એને નજીકથી બરાબર ઓળખી ગયા છે.અમેરિકાના જાત અનુભવથી તેઓ એના સળગતા પ્રશ્નોથી પુરેપુરા વાકેફ છે.
સુરતના ગુજરાત મિત્ર દૈનિક ગુજરાત મિત્રની બુધવારીય પુર્તી ‘દર્પણ’ની”‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’માં દર બુધવારે પ્રગટ થતા એમના અભ્યાસપૂર્ણ લેખોમાં અમેરિકાના એમના જાત અનુભવોને એમની આગવી હાસ્ય મિશ્રિત લેખન શૈલીમાં નિયમિત રીતે પીરસતા રહે છે.
અમેરિકાના ગન કલ્ચર વિશેનો ગુજરાત મિત્રમાં, તારીખ ૬ ઠી જાનુઆરી ૨૦૧૬નો એમનો લેખ વાંચવા જેવો છે.આ લેખમાં એમણે એમના અનુભવો અને અભ્યાસ આધારિત જે માહિતી આપી છે એ પરથી અમેરીકામાં આજે ગન કંટ્રોલનું જે કોકડું ગૂંચવાઈ ગયું છે એનો ખ્યાલ તમને આવી જશે.
શ્રી હરનીશભાઈ આ લેખમાં જણાવે છે …
ઘણાં વખતથી મુઝવતા વિષય પર લખવું છે. તે છે અમેરીકામાં ગન કંટ્રોલ. જો હું એમ કહું કે સાત વરસના ઈરાક વોરમાં જેટલા અમેરિકન મર્યા છે. તેનાથી વધુ અમેરિકનો અમેરિકાની ધરતી પર બીજા અમેરિકનોના હાથે, એક જ વરસમાં મર્યા છે. ૨૦૧૪માં ગન શોટથી ૧૧૨૦૮ અમેરિકનો મર્યા છે. જ્યારે ઈરાક વોરના સાત વરસમાં ૪૫૦૦ અમેરીકનો અને ૪૦૦ મિત્ર દેશના સોલ્જર્સ મર્યા છે. ઈરાક વોરમાં તો મરતાં અટક્યા. પણ ૨૦૧૫માં પણ હજારો મર્યા હશે. આમ કહી શકાય કારણકે ૧૯૭૦ થી ૨૦૧૪ સુધીમાં ૧૩ લાખ અને ૫૦૦ અમેરિકનો અમેરિકાની ધરતી પર અમેરિકનોની ગનથી મર્યા છે. ૨૦૧૪ માં જ ૨૧૦૦૦ લોકો એ તો આપઘાત કરવામાં ગન વાપરી છે. તે જુદી. હવે તમે જ હિસાબ કરો!
ગયા અઠવાડિયે બિચારા પ્રેસિડન્ટ બારાક ઓબામાએ ટી.વી. પર પેલા બે મુશ્લીમ આતંકવાદીઓને હાથે ૧૪ જણના મુત્યુનો ખરખરો કર્યો. અને મુઠ્ઠી ઉગામી ઉગામીને જાહેર કર્યું કે આ દેશમાં સ્ટ્રોંગ કાયદો લાવી ગન કંટ્રોલ લાવવો જોઈએ. જયાં સુધી ગન કંટ્રોલનો સવાલ છે. ત્યાં સુધી ,એમનું કોઈ સાંભળતું નથી. પ્રેસિડન્ટને કોઈ ગણકારતા નથી. કારણકે કોંગ્રેસમાં તેમના ગન કંટ્રોલનો કાયદો પસાર કરવા બહુમતિ જોઈએ. જે તેમને મળવાની નથી. આજ સુધી ગન કંટ્રોલ માટે મળી નથી. આ પહેલો બનાવ નથી.
મારી દ્રષ્ટિએ ,અમેરિકાનું રાજકારણ જુઓ તો સામાન્ય માણસનું માથું ફરી જાય. અને પેલા મિડલ ઈસ્ટના ટેરરીસ્ટોમાં પણ સ્હેજે કોમન સેન્સ નથી. સાદો હિસાબ માંડીએ, બે ટેરરિસ્ટ પોતે મર્યા અને ૧૪ને માર્યા. ૧૯ ટેરરિસ્ટોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ તોડ્યા. અને ૩૦૦૦ લોકોને માર્યા. તેમણે શું કાંદા કાઢ્યા ! તે જ વરસે હજારો અમેરિકનો અંદરો અંદર ગોળીઓ મારીને મરી ગયા હતા. ટેરરિસ્ટોએ તો અમેરિકનોનો ગન શોટનો ખેલ ઘેર બેઠાં બેઠાં જોવો જોઈએ. આ ખૂનામરકી જોઈએ તો સોનાની દ્વારકામાં યાદવાસ્થળી થઈ હશે એ વાત સાચી.(બે ચાર બચેલા યાદવો હાલ બિહારમાં હજુ છે,) અમેરિકનો ગનને હરણ અને કાળા રિંછના શિકાર માટે ગન વાપરે છે.
મને કહેતાં આનંદ થાય છે કે હું ભારત દેશમાં હિન્દુને ત્યાં જનમ્યો છું જે ધર્મ માને છે કે પ્રાણી માત્રમાં જીવ છે. અને પશુઓને પણ આત્મા છે. ક્રિશ્ચિયન અને ઈસ્લામ ધર્મમાં તેમને આત્માવિહીન એક વસ્તુ તરીકે જોવાય છે. જેમ ધરતીમાં ધાન્ય ઉગે તે ખવાય.તેમ આ પશુઓ ખવાય.
ગુજરાત મિત્રમાં પ્રકાશીત શ્રી હરનીશ જાનીનો આ આખો મજાનો પૂરો લેખ નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
હરનીશભાઈ ગુ,મીમાં ઘણીવાર એમના લેખોના અંતે કોઈ એક રમુજી વાત કે જોકની છેલ્લી વાત મૂકી લેખનું સમાપન કરે છે. આ લેખને અંતે મુકાએલી એમની છેલ્લી વાત મજાની છે.
છેલ્લી વાત–
એક માણસ કાંગારુને લઈને શોપીંગ મૉલમાં ગયો. તો એક ડાહ્યા માણસે તેને રોકીને કહ્યું કે “કાંગારુને ઝુમાં લઈ જા ને” તો પેલો બોલ્યો કે “બહુ સરસ આઈડિયા છે.” પછી બીજે દિવસે પેલા ડાહ્યા માણસને, તે જ માણસ પાછો કાંગારુને લઈને મૉલમાં ફરતો દેખાયો. પેલા ડાહ્યા માણસે કહ્યું,” તું આ કાંગારુને ઝુમાં નથી લઈ ગયો? તને કહ્યું હતુંને!”
પેલો કહે “હા , ગઈકાલે અમે ઝુમાં ગયા હતા. આજે સિનેમા જોવા જઈએ છીએ.”
(મતલબ કે કોઈ ફેરફાર નહિ … બધું એમનું એમ … આ કાંગારુવાળા માણસ જેવું …ડાહ્યા માણસની વાત ગઈ તેલ લેવા !..)
ચિત્રલેખા.કોમમાં પ્રગટ આ અહેવાલ અને વિડીયો ઉપરથી તમને ખ્યાલ આવી શકશે કે અમેરિકાના ગન કલ્ચરથી વિશ્વના શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ કેટલા દુખી છે છતાં પાવરફુલ એન.આર.એ .સંસ્થાને વેચાઈ ગયેલ ખંધા રાજકારણીઓ આગળ આવા બનાવો બનતા અટકાવવા માટે કેટલા લાચાર છે. !
તારીખ ૫ મી જાન્યુઆરીના રોજ,અગાઉ ગનથી સેન્ડી હિલ ,ન્યુ ટાઉનમાં મૃત ૨૦ બાળકોનાં માતા પિતાની હાજરીમાં વાઈટ હાઉસના પરિસરમાં ખુબ દુખી બરાક ઓબામાએ આપેલ પ્રવચનમાં પ્રેસીડન્ટ તરીકેના એમના એક્ઝીક્યુટીવ પાવરનો ઉપયોગ કરીને બંધારણની કેટલીક જોગવાઈઓમાં સુધારા કરવાનો એક હિમત ભર્યો પ્રયત્ન કર્યો છે .રીપબ્લીકન પક્ષ અને ગન લોબી એમના આ સુધારાઓ પર હાલ માછલાં ધોઈ રહ્યો છે.ઓબામાને કોર્ટમાં સામનો કરવાનો પણ આવે એવી વાતો થઇ રહી છે.
આ પ્રવચનમાં એમણે દેશની હાલની ગનથી થતી દુર્દશા બતાવી છે. આ પ્રવચનમાં જ તેઓ ૨૦ વિદ્યાર્થીઓના ગનથી થયેલ મોતને યાદ કરીને રડી પડ્યા હતા.
અમેરિકામાં હાલ નવેમ્બરમાં આવી રહેલ પ્રમુખ પદ માટેનો પુરજોશમાં ચુંટણી જંગ ખેલાઈ રહ્યો છે, એમાં ગન કન્ટ્રોલ એક અગત્યનો મુદ્દો બનવાનો જ છે. રીપબ્લીકનો ગનના હાલના કાયદામાં કોઈ ફેરફાર કરવાની બિલકુલ વિરુદ્ધ છે જ્યારે ઓબામાનો ડેમોક્રેટ પક્ષ ગન કન્ટ્રોલ કરવા માટે જરૂરી ફરફારો થવા જોઈએ એમ માને છે. જોઈએ છેવટે શું થશે એ તો પાઘડીનો વળ છેડે આવે ત્યારે જ ખબર પડશે .
An emotional President Barack Obama pauses to wipe away tears as he recalled the 20 first-graders killed in 2012 at Sandy Hook Elementary School, while speaking in the East Room of the White House in Washington, Tuesday, Jan. 5, 2016, about steps his administration is taking to reduce gun violence. (AP Photo/Jacquelyn Martin)
દર વર્ષની જેમ સન ૨૦૧૫ નું વર્ષ પણ એમાં બનેલા દેશ-વિદેશના અનેક ગમતા અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .
હવે આવી પહોંચ્યા ૨૦૧૫ના વર્ષના અંતે ક્રિસમસની ઉજવણી કરીને નવા વર્ષ ૨૦૧૬ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા માટે.
હિન્દુઓ જેવી રીતે કૃષ્ણ જન્મને જન્માષ્ટમી ,રામના જન્મને રામ નવમી દ્વારા ઉજવીને આ આરાધ્ય દેવો પ્રત્યે એમનો ભક્તિ ભાવ વ્યક્ત કરે છે એવી જ ભાવનાથી વિશ્વમાં ખ્રિસ્તીઓ ભગવાન ઈશુના (ક્રાઈસ્ટના)જન્મદિન ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવે છે.
અમેરિકામાં લોકો ક્રિસમસ કેવી રીતે ઉજવે છે એ વિશે હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીનો એક સુંદર માહિતીપૂર્ણ લેખ“મેરી ક્રીસમસ અમેરીકા’ ,સુરતના દૈનિક ‘ગુજરાતમીત્ર’ ની બુધવારીય પુર્તી ‘દર્પણ’ ની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’ માં પ્રકાશિત થયો છે એને લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કર્યો છે .
ચાલો, ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં આપણે પણ જોડાઈ હળવા બનીએ અને નવી આશાઓ અને નવા સંકલ્પોની ભાવના સાથે નવા વર્ષ ૨૦૧૬ નું સ્વાગત કરીએ .
૨૦૧૬ ના નવા વર્ષનું સ્વાગત
પસાર થઇ ગયું એક ઓર ૨૦૧૫નું વરસ ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી આવ્યા એક નવા વર્ષ ૨૦૧૬ના પગથાર.
નવા વરસે નવલા બનીને નવેસરથી, નવી આશા-આકાંક્ષાઓનો દીપ જલાવી ૨૦૧૬ ના નુતન વર્ષનું સ્વાગત કરીએ.
હળીમળી દિલથી કરીએ સૌ પ્રાર્થના કે- ગત વર્ષો કરતાં આવતું ૨૦૧૬ નું વર્ષ સૌને માટે સુખ શાંતિ અને આરોગ્યભર્યું સર્વ રીતે સર્વોત્તમ વર્ષ,બનાવજે હે પ્રભુ .
નવા વર્ષ માટેનો અપનાવવા જેવો અંગ્રેજીમાં એક સંદેશ
ક્રિસમસ ટ્રી ના આકારમાં
વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પ્રસંગે વિનોદ વિહાર સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને ઉલ્લાસમય અને આનંદમય ક્રિસમસ માટે અને સુખદ નવા વર્ષ ૨૦૧૬ માટેની અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે .
‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં પ્રકાશીત થતી અમેરીકાના હાસ્ય–લેખક શ્રી. હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’નો આજનો લેખ વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને ગુજરાત મિત્ર પહોંચી જાઓ.
વાચકોનો આભાર
વિનોદ વિહારની શરૂઆત ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ થી થઇ ત્યારથી શરુ કરી ડીસેમ્બર ૨૦૧૫ ના આજ દિન સુધી મુલાકાતીઓની કુલ સંખ્યાનો આંકડો 247,212 સુધી પહોંચ્યો છે .બ્લોગને નિયમિત રીતે ફોલો કરતા માનવંતા સભ્યોની સંખ્યા પણ 302 સુધી પહોંચી ગઈ છે.
મારા બ્લોગીંગ કાર્ય માટે મને પ્રોત્સાહિત કરે એવો પ્રતિસાત અને આવકાર આપવા બદલ હું સૌ સુજ્ઞ વાચક મિત્રોનો હું અત્યંત આભારી છું..
નવા વર્ષ ૨૦૧૬ માં પણ વાચક મિત્રો આવો જ સુંદર પ્રતિસાત અને પ્રેમભાવ બતાવી મને આનાથી વધુ પ્રગતી કરવા માટે પ્રોત્સાહિત કરતા રહેશે એવી આશા રાખું છું .
થોડા દિવસો પહેલાં એક મિત્રએ મને ખબર આપ્યા કે શ્રી હરનીશભાઈની તબિયત એકાએક બગડતાં એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા .
મારા ફેસબુક મિત્ર, હરનીશભાઈના ખાસ નજીકના મિત્ર અને જાણીતા કાર્ટુનિષ્ટ શ્રી મહેન્દ્રભાઈ શાહે તો શ્રી હરનીશભાઈનું એમની માંદગીના સમાચાર આપતું એક ચિત્ર એમના ફેસબુક પેજ ઉપર મુક્યું હતું જે મારી સાથે પણ એમણે શેર કર્યું હતું .શ્રી મહેન્દ્રભાઈના આભાર સાથે નીચે પ્રસ્તુત છે એ ચિત્ર.
(ચિત્રને મોટી સાઈઝમાં જોવા એના ઉપર ક્લિક કરો ).
ચિત્રમાં શ્રીમતી હંસાબેન હરનીશભાઈને કહે છે :”તમારા લિટરરી ફ્રેન્ડઝ ખબર કાઢવા આવે છે .. જરા સીરીયસ રહેજો .પાછા જોક મારવા ના બેસી જતા !”
મારા જેવા હરનીશભાઈના અનેક પ્રસંશકો માટે એ આનંદના સમાચાર છે કે હરનીશભાઈ હવે હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈને ન્યુ જર્સીના એમના નિવાસ સ્થાને આવી ગયા છે.
શ્રી હરનીશભાઈ સાથે મારે ગઈકાલે સોમવારે ફોન ઉપર વાત થઇ હતી.એમની સાથેની વાત ઉપર એ જાણીને ખુશી થઇ કે હોસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી હવે એમની તબિયત સુધારા ઉપર છે અને તેઓ હવે પૂર્વવત સ્વસ્થ થતા જાય છે .
મને એ નવાઈ લાગી કે ફોનમાં તેઓએ ગુજરાત મિત્રમાં નિયમિત પ્રગટ થતા એમના લેખોની વાત કરી અને છેલ્લે મારા બ્લોગમાં પ્રગટ લેખો ઈ-મેલથી એમને વાંચવા માટે મોકલવા મને જણાવ્યું જે મેં એમને મોકલી આપ્યા . આ ઈ-મેલમાં મેં શુભેચ્છાઓ પાઠવવાની સાથે એમને હમણાં પૂરો આરામ કરવા માટે મિત્ર ભાવે નમ્ર સૂચન કર્યું .
હોસ્પિટલનો આ અનુભવ એ શ્રી હરનીશભાઈ માટે માટે કોઈ નવાઈની વાત નથી.અગાઉ એમના હાસ્ય લેખોમાં એમણે જણાવ્યું છે એમ હરનીશભાઈ દિલના-હૃદયના દરદી છે. આ અગાઉ એમને પાંચ વાર એન્જીયોપ્લાસ્ટી અને એક વાર બાય પાસ સર્જરી કરાવવી પડી છે.તેઓ ડાયાબીટીસના પણ દર્દી છે. એમને એક વાર હાર્ટ એટેક પણ આવી ગયો છે.આમ એમના જીવનમાં એમને હોસ્પીટલના ઘણા ફેરા થયા છે.
સૌના માટે એમનામાંથી પ્રેરણા લેવા જેવી વાત એ છે કે શરીરમાં અનેક વ્યાધિઓ વચ્ચે પણ તેઓ જીવનમાંથી હાસ્ય શોધીને એમના લેખો મારફતે દુખોને હસી નાખે છે એટલું જ નહી એના ઉપર હાસ્ય લેખ લખી દુખ હળવું કરી બધાંને હસાવે છે .
અગાઉના એમના હોસ્પિટલના અનુભવો ઉપર આધારિત એમણે જે બે હાસ્ય લેખો લખેલા –(૧ )દિલ હૈ કી માનતા નહિ અને (૨ )એક દિલ સો અફસાને -એ બન્ને લેખો આજની પોસ્ટમાં નીચેની પિ.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરીને માણો.
આ બે લેખોની ફાઈલો મને મોકલવા બદલ મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો હું આભારી છું.
આ લેખો વાંચ્યા પછી તમને પ્રતીતિ થશે કે દિલ-હૃદય-ના દર્દને ગણકાર્યા વિના એમણે એમના દિલની વાતો દિલથી લખી વાચકોના દિલોને કેવું બહેલાવ્યું છે !દુઃખ દર્દમાંથી હાસ્ય નિપજાવવાની કળાના તેઓ માહિર છે.
હરનીશભાઈની માંદગીના સમયે એમનો લેખ –દિલ હૈ કી માનતા નહિ–સુરતના પ્રસિદ્ધ અખબાર ગુજરાત મિત્રની એમની લોકપ્રિય કોલમ” ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની “માંએપ્રિલ ૧૫, ના અંકમાં આ અખબારમાં પ્રગટ થયો છેએ કેટલું સૂચક છે !
હરનીશભાઈની હાલની માંદગી અને હોસ્પીટલના અનુભવ ઉપર તેઓ એક નવો હાસ્ય લેખ લખી પ્રસિદ્ધ કરે તો નવાઈ નહિ !
ગુજરાત મિત્રના માર્ચ ૨૫, ૨૦૧૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલો હરનીશભાઈનો એક બીજો ગમતીલો લેખ ” દુનિયા રંગ રંગીલી -અમેરિકા “ પણ સાથે સાથે નીચે ક્લિક કરીને આસ્વાદો.
શ્રી હરનીશભાઈ અને શ્રીમતી હંસાબેનને પ્રભુ તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુ બક્ષે અને સૌના પ્રિય હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ પૂર્વવત અહર્નિશ હાસ્ય રેલાવતા રહે એવી પ્રભુ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે.
વાચકોના પ્રતિભાવ