વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વિડીયો

1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન …..

૮ મી માર્ચ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.

૧.

આઠમી માર્ચ,

વિશ્વ મહિલા દિન 

અભિનંદન.

૨.

અબળા નથી,

સબળા બની આજે,

વિશ્વ નારી.

૩.

પુરુષ સમી

બની આજે આગળ,

મહિલા ધપે .

પ્રગતિશીલ,

મહિલા દર્શનથી,

હૈયું હરખે

કોઈ બંધન,

નથી, નારીને હવે,

પ્રગતી પંથે.

બેટી બચાઓ,

બેટી પઢાઓ મંત્ર,

બધે ફેલાઓ.

૭ .

એક દીકરી,

દસ દીકરા સમી,

એને જાણીએ.

 

દીકરી એતો,

ઘરમાં પ્રકાશતી,

તેજ દિવડી.

૯ .

કરો વંદના,

વિશ્વ નારી શક્તિને,

મહિલા દિને.

વિનોદ પટેલ.

એક કાવ્ય

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક

 

સૌજન્ય શ્રી ગોવિંદ મારૂ સંપાદક ”અભિવ્યક્તિ” બ્લોગ 

આજે મહીલા દીન’ નીમીત્તે,

લેખક શ્રી. જય વસાવડાનો લેખ :

સ્ત્રીઓની મુક્તી… વીજ્ઞાનની શક્તી!

 લેખમાં વીજ્ઞાન અને વીજ્ઞાનની શક્તી દ્વારા સ્ત્રીઓની જીન્દગી ખરેખર કેટલી પ્રેશરમુક્ત અને આસાન બની છે! સાયન્સ સ્ત્રીને સલામી આપતું રહ્યું છેઆવોજયભાઈના દૃષ્ટીકોણથી આ લેખને જોઈએ અને સમજીએ…

આખી પોસ્ટ માણવા માટે લીન્ક નીચે આપી છે

https://govindmaru.com/2020/03/06/jay-vasavda-2/.

 

.એટલે સ્ત્રી | …Atle Stree | Women’s Day Special | Ankit Trivedi

Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi’s hilarious Speech in his inimitable style.
Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.

https://youtu.be/XT8MYjEdHLg

 

1336 -વિશ્વના બીજા નંબરના ધનિક વોરન બફેટની સાદગી અને જીવન સંદેશ

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી  સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે.

કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે :

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

Warren Buffets home

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજ વસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે.

આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

તમે એક ગોલ નક્કી કરો અને તમારા માણસોને ગોલ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી વ્યવસ્થા કરો.

૯) મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.

વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.

સૌજન્ય…શ્રી આનંદરાવ લિંગાયત
કબીર નો દોહો અને વોરન બફેટ …
“Sage of Omaha”- દાન ઉલેચવાનો એક અદ્ભુત પ્રસંગ

Kabir Doha and Warren Buffet -Anand Rao Lingayat

Warren Buffett – The World’s Greatest Money Maker

https://youtu.be/w-eX4sZi-Zs

Warren Buffett-wikipedia

https://en.wikipedia.org/wiki/Warren_Buffett

 

 

 

 

 

 

1325 – દશેરા -વિજયા દશમી ઉત્સવ ૨૦૧૯ – Happy Dussera

દશેરા ઉત્સવ 2019

આજે 8 મી ઓક્ટોબર,૨૦૧૯ મંગળવારે દશેરા એટલે કે વિજયાદશમી,હિંદુઓ માટેનો એક અગત્યનો તહેવાર છે.મહા શક્તિના પર્વ નવરાત્રીના નવ દિવસોની રાસ-ગરબાની રમઝટ અને ધમાલ પૂરી થઈ અને એના અંતે આવતો વિજયાદશમીનો તહેવાર જુદા જ પ્રકારના કાર્યક્રમો લઈને હાજર થઇ ગયો.હવે પછી આવી રહ્યું છે અંધકારથી પ્રકાશ તરફની ઉજવણીનું યાદગાર દીવાળી-નવા વર્ષનું પર્વ.ઉત્સવો જ બસ ઉત્સવો ..!!

વિજયા દશમી એટલે કે રાવણ રૂપી આસુરી તત્વો ઉપર રામ રૂપી દૈવી તત્વોના વિજયની ઉજવણીનું પર્વ મનાય છે .

વોટ્સેપમાંથી પ્રાપ્ત….

આ દિવસે જુદાજુદા શહેરોમાં વિજયા દશમીના તહેવાર ઉપર રાવણ દહનનો એટલે કે રાવણના પુતળાને સળગાવવાનો અનોખો પ્રોગ્રામ રાખવામાં આવે છે.

વિજયાદશમીએ દર વર્ષે રાવણ દહનના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અચૂક હાજરી આપે છે અને વિધિપૂર્વક પૂજન કરી રાવણ દહન ના કાર્યક્રમમાં સામેલ થાય છે.નીચેના વિડીયોમાં શ્રી નરેન્દ્ર મોદીને દિલ્હીમાં રાવણ દહનના કાર્યક્રમમાં ભાગ લેતા જોઈ શકાય છે.

Vijaya Dashami પર Delhiમાં Ravan Dahan કાર્યક્રમમાં પહોંચ્યા PM Modi. ત્રણ નહીં ચાર પૂતળાનું કર્યું દહન. વિશેષ છે ગ્રાઉન્ડ પરનું મંચ.Oct 8, 2019.

દશેરા અને ફાફડા જલેબી

દશેરાના દિવસને ફાફડા જલેબી ખરીદી-આરોગીને ઉજવવાની એક ચીલા ચાલુ પ્રથા પડી ગઈ છે.આ દિવસ આવે એટલે અમદાવાદમાં ફાફડા જલેબી ખરીદવા લાંબી કતારના દ્રશ્યો નજર સમક્ષ સમક્ષ ખડા થઇ જાય છે.આ લખનાર જીવ પણ અમદાવાદી છે અને ઘણા વર્ષો અમદાવાદમાં રહેલો છે એ એમાંથી બાકાત નથી. આજે અમેરિકામાં રહ્યા રહ્યા યાદ આવે છે ઈન્કમટેક્સ ચાર રસ્તા ઉપર આવેલી ફરસાણની એક જાણીતી દુકાને આ લખનાર પણ થેલી લઈને લાઈનમાં ઉભો રહી ફાફડા-જલેબી ચહેરા ઉપર એક વિજયનો ભાવ ધારણ કરી ખરીદી લાવતો અને સપરિવાર વિજય દશમીની ઉજવણી કરવાનો એ અદ્ભુત અનુભવની યાદ તાજી થઇ આવે છે .

દશેરા ઉત્સવ પર થોડુંક   હળવું…

દશેરા સ્પેશ્યલ || સાંઈરામ દવે || SAIRAM DAVE

દશેરા -વિજયા દશમી ૨૦૧૯ ની શુભેચ્છાઓ

વિજયાદશમીના આજના શુભ પ્રસંગે,વિનોદ વિહારના (આજનો 832,730 મુલાકાતીઓનો અંક) સહિત અનેક ભાવિ વાચક મિત્રોને પણ અનેક શુભ કામનાઓ .

May this Dussera bring you loads of joy, success and prosperity,and may your worries burn away with the effigy of Ravana. Wishing you a year full of smiles and happiness.

May Lord Rama keep lighting your path of success and may you achieve victory in every phase of life.

Happy Dussera.

વિનોદ પટેલ, વિજયા દશમી 

1323- સંગીત સમ્રાટ ઓમકારનાથ ઠાકુરના સંગીતથી ઇટાલીનો સરમુખત્યાર મુસોલીની જ્યારે પ્રભાવિત થયો …એક રસિક કિસ્સો …

“પંડિત ઓમકારનાથજી એક ગીત ગાઈને જે હાંસલ કરી શકે છે તે હું સંખ્યાબંધ ભાષણો આપીને પણ મેળવી શકતો નથી.”
મહાત્મા ગાંધી

વિશ્વભરમાં સંગીતની દુનિયામાં એમના શાસ્ત્રીય સંગીતથી સફળતાનાં ઉચ્ચ શિખરો સર કરનાર પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ નામના નાનકડા ગામમાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે.

ઇટાલીનો સરમુખત્યાર મુસોલીની પણ એમના સંગીતથી કેવો પ્રભાવિત થયો હતો એને ઉજાગર કરતો પ્રસંગ એક મિત્રના વોટ્સેપ સંદેશમાં વાંચ્યો .મને ગમેલ આ કિસ્સો મિત્રના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

*કાના તારી મોરલીએ મારું મન મોહ્યું ( એક સત્ય ઘટના) …*

*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે.*

*ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા. *

*ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ. *

*આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા..*

*સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર જૂની સંસ્કૃતિની મજાક કરતાં  બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, ‘મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી,શું તમે આ વાતને માનો છો?’*

*ઇટાલીના સરમુખત્યારને ભારતના એ સપૂતે ભોજન સમારંભમાં બધાની વચ્ચે જે કરી બતાવ્યું તે જાણીને પ્રત્યેક ભારતીયનું મસ્તક ગૌરવથી ઊંચું થઈ જશે… *

*ઠાકુરે કહ્યું, ‘કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. *

*સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. *

*પરંતુ, સંગીતનું જે થોડું ઘણુ જ્ઞાન મને છે, તે તમે કહો તો તમને કહું અથવા કરી બતાવું…’*

*મુસોલિનીએ મજાકમાં જ કહ્યું કે, ‘જો કે સંગીતના કોઈ સાધનો અહીં ઉપલબ્ધ નથી છતાં પણ જો શક્ય હોય તો કંઈક કરી બતાવો તો અહીં ઉપસ્થિત મહાનુભાવોને પણ ભારતીય સંસ્કૃતિનો પરિચય મળે.’*

*ઓમકારનાથ ઠાકુરે ડાઈનીંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. *

*વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. વાતાવરણમાં એક પ્રકારનો નશો છવાવા લાગ્યો. *

*મદારી બીન વગાડે અને અવસ થઈને જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલીની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.*

*બંધ કરો… બંધ કરો… મુસોલિની બૂમ પાડી ઉઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. *

;*બધા લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં ફૂટ પડી હતી અને તેમાંથી લોહી વહેતું હતું.*

*મુસોલિનીએ આત્મકથામાં લખાવ્યું છે કે ભારતની સંસ્કૃતિ માટે મેં કરેલ મજાક માટે હું ભારતની જનતાની માફી માંગું છું. *

*ફક્ત છરીકાંટા વડે પાણી ભરેલા કાચના વાસણોમાંથી ઉદભવેલા એ અદભૂત સંગીતથી જો આ સભ્ય સમાજનો મારા જેવો મજબૂત મનનો માનવી પણ ડોલવા લાગે તો હું જરૂર માનું છું કે એ જમાનામાં કૃષ્ણની વાંસળી સાંભળીને જંગલના જાનવરો પણ શાંત થઈ જતાં હશે અને માનવીઓ પણ સૂધબૂધ ખોઈને ભેળા થઈ જતાં હશે.*

*ભારતના ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે ધ્વનિશાસ્ત્ર – નાદબ્રહ્મની સાધના કરી અને મંત્રયોગ દ્વારા માનવીના ચિત્તના તરંગોને અનેક પ્રકારે રૂપાંતરિત કરવાની પ્રક્રિયાઓ શોધેલ. *

*ધ્વનિ અને મંત્રોમાં એવી અદભૂત શક્તિઓ ભરી પડી છે કે તે જડ તત્વોને ચૈતન્યમય બનાવી શકે છે. *

*ઓમકારનાથ ઠાકુરે તેનો એક નાનકડો પ્રયોગ ઇટાલીમાં કરીને ત્યાં ઉપસ્થિત બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા*

બીજો એક કિસ્સો જે અનેક ઠેકાણે નોંધાયેલો છે તે એવો છે કે પંડિતજી યુરોપના પ્રવાસે હતા ત્યારે તેમણે ઈટાલિના સરમુખત્યાર બેનિટો એમિક્લેર એન્ડ્રિયા મુસોલિનીના અનિદ્રાના રોગને સંગીતના સૂરો વડે દૂર કર્યો હતો. મુસોલિનીને પંડિતજીનાં ગાયન પ્રત્યે એવો લગાવ થયો કે તેણે તેમના ગાયનને સ્વરલિપિબદ્ધ કરવા રોમની સંગીત રોયલ એકેડેમીના પ્રિન્સિપલને રીતસરની આજ્ઞા કરી હતી.

 

પંડિત ઓમકારનાથ ઠાકુરનો  પરિચય…

.Pandit Omkarnath Thakur

ગુજરાતના આ પ્રતિભાવંત વિશ્વ વિખ્યાત સંગીતજ્ઞનો જન્મ તારીખ ૨૪ જૂન ૧૮૯૭ ના રોજ ગુજરાતના આણંદ જિલ્લાના જહાજ નામના નાનકડા ગામમાં થયો હતો.

તેઓ સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાના વિષ્ણું દિગંબર પુલસ્કર પાસેથી મેળવી હતી.તેઓ ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ના સંગીત વિભાગ ના પ્રથમ કુલપતિ હતા.

સન્માન

-૧૯૫૫ માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી

-નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય

-કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી

-૧૯૪૩ માં ગુજરાત સાહિત્ય સભા તરફથી રણજિતરામ સુવર્ણચંદ્રક

-૧૯૬૩ માં વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડૉક્ટર ઓફ લેટર્સ ની પદવી.

-૧૯૯૭માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ બહાર પાડવામા આવી.

પંડિતજીનો વધુ વિગતે પરિચય  વિકિપીડિયાની આ લીંક પર ક્લિક કરીને વાંચો…

શાસ્ત્રીય સંગીતમાં રસ ધરાવતા વાચકો માટે …

પંડિત ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાએલ સદા સુહાગન ભૈરવી રાગમાં “મત જા, મત જા જોગી”, કે માલકૌંસમાં ગવાએલ “પગ ઘૂઘરૂ બાંધ મીરા નાચી રે” કે “પછી મૈ નહિ માખન ખાયો” અને “વંદેમાતરમ” જેવાં અનેક ગીતો એક વાર સાંભળવા છતાં ફરી ફરી સાંભળવાનું મન થાય એવાં બળુકાં છે.

ઉદાહરણ તરીકે …સાંભળો….

”મત જા ઓ જોગી -રાગ ભૈરવી -પંડિત ઓમકારનાથ ઠાકુર
Pt Omkarnath Thakur- Raag Bhairavi,’Jogi Mat Ja’

ઓરેગોન-યુ.એસ.એ. નિવાસી સંગીત પ્રેમી મિત્ર ડો. કનકભાઈ (કલાગુરુ રવિશંકર રાવળના સુપુત્ર )એ અગાઉ મને ઈ-મેલમાં મોકલી આપેલ નીચેની લીંક ઉપર પંડિત ઓમકારનાથ ઠાકુરને વિવિધ રાગ ઉપર ગાતા સાંભળી શકાશે.શાસ્ત્રીય સંગીતના રસિયાઓને  ઠાકુરની આ સંગીત પ્રસાદીનો આસ્વાદ કરવાનું  જરૂર ગમશે.

https://www.bing.com/videos/search?q=pt.omkarnath+thakur&FORM=HDRSC3

વિનોદ વિહારની તારીખ ડિસેમ્બર 26, 2014 ની નીચેની લીંક પર શ્રી પરેશ શાહના મુંબઈ સમાચારમાં પ્રગટ એક સરસ પરિચય લેખ …

(621) સંગીત સમ્રાટ પંડિત ઓમકારનાથ ઠાકુર …પરેશ શાહ  

1314 – ગુજરાતીઓ ખાવા માટે જ જીવે છે !

એ એક જાણીતી હકીકત છે કે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે.ગુજરાતીઓની મુખ્ય બે ચિંતાઓ હોય છે. એક તો વજન વધી ગયું છે એને કેવી રીતે ઉતારવું અને બીજી ચિંતા હોય છે કે આજે ખાવામાં શું નવું છે !ખાવાની વાનગીઓની નવીનતામાં ગુજરાતી માનતો હોય છે.પરદેશી વાનગી પીઝા જેવી ખાવાની વાનગીઓમાં અલગ સ્વાદ ઉમેરીને ખાવાની કમાલ તો ગુજરાતીઓમાં જ જોવા મળે !

આજે કોઈ પણ પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરંટની ગુજરાતી થાળીની વાનગીઓની વિવિધતામાં  ગુજરાતીઓનો ખાવાનો શોખ જોઈ શકાય છે.જુઓ આ વિડીયો.

ગુજરાતીઓ  રૂપિયા કમાવાના માહિર તો હોય જ છે એની સાથે એમનો ખાવાનો શોખ  ખૂબ જાણીતો છે.રજાઓમાં ફરવા જાય ત્યારે પણ સાથે આખા કુટુંબ માટે ખૂબ બધા નાસ્તા લઈને જતા હોય છે.ડબ્બાઓ  ભરીને સેવ મમરા, ઢેબરાં,ગાંઠિયાં,સુખડી,પૂરીઓ, અથાણાં વિ.સાથે લઈને નીકળે છે.ટ્રેન ઉપડવાના અડધા કલાકમાં જ આખું કુટુંબ લહેજતથી નાસ્તાઓ ઝાપટવા માંડે છે.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત

ગુજરાતીઓના એક બીજા ફરવાના શોખના કારણે તેઓ પરદેશની ટૂરમાં જાય તો ત્યાં પણ એમને ગુજરાતી થાળી અને અન્ય વાનગીઓ ખાવા માટે ઉપલબ્ધ બને છે.

અમેરિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય એવા ન્યુ જર્સી ,ન્યુયોર્ક,શિકાગો,લોસ એન્જેલસ,સાન ફ્રાંસીસ્કો જેવા શહેરોમાં ગુજરાતીઓની રેસ્ટોરન્ટો ધૂમ કમાણી કરતી હોય છે.આની પાછળ ગુજરાતીઓનો ખાવાનો શોખ કારણભૂત હોય છે.

ગુજરાતીઓ પરદેશના પ્રવાસે જાય ત્યારે પણ વિમાનમાં ડબ્બા ખોલીને ઘેરથી લાવેલો નાસ્તો કરતા જોવા મળે છે.એ વખતે વિમાનમાં એમની ઢેબરાં અથાણાં જેવી વાનગીઓની સુગંધ (કે ગંધ !)પ્રસરી જતી હોય છે અને અન્ય પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચે છે.!છતાં ખાવાના શોખ પાછળ ગુજરાતીઓ લાચાર હોઈ એને તેઓ નજર અંદાજ કરે છે.

લગ્નના જમણવારમાં ગુજરાતીઓનો ખાવાનો શોખ નજરે પડે છે.આજકાલ થતાં ગુજરાતીઓના લગ્ન પ્રસંગોએ એટલી બધી વિવિધતા ગુજરાતી વાનગીઓમાં હોય છે એટલી કદાચ બીજે જોવા નહિ મળે.

 મારા એક વોટ્સેપી મિત્રે મને હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસના હાસ્ય પ્રોગ્રામનો એક કોમેડી વિડીયો મોકલ્યો છે એમાં ડો. અવનીએ ગુજરાતીઓના ખાવાના શીખને એમની આગવી રીતે સરસ રજુ કર્યો છે.

આ કોમેડી વિડીયો ડો. અવની વ્યાસ અને રામ ઓડિયોના આભાર સાથે

નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર ગમશે.

ખાવા માટે તો જીવી છીએ

Gujarati Comedy Video 2019 – Ram Audio

Artist:Dr.Avani Vyas .Script:Jitendra Vyas…

 

ડો.અવની વ્યાસના આવા બીજા કોમેડી વિડીયો જોવા માટે એમની

યુ-ટ્યુબની ચેનલની આ લીંક પર ક્લિક કરીને માણો .

1311 – કવિયત્રી યામિની વ્યાસ રચિત કાવ્ય/ગઝલ …”રોટલીના લોટમાં”…..રસાસ્વાદ …. ઇલિયાસ શેખ

કવિયત્રી યામિની વ્યાસ ગુજરાતી બ્લોગ વિશ્વનાં જાણીતાં બ્લોગર ,ભાવક અને નીરવ રવે બ્લોગનાં સંપાદક મારાં પરમ વિદુષી મિત્ર સુ.શ્રી પ્રજ્ઞા જુ. વ્યાસનાં દીકરી છે.

પ્રજ્ઞાબેન તરફથી મને ઈ-મેલમાં પ્રાપ્ત યામિનીબેનનું ગુજરાતી કાવ્ય, ”રોટલીના લોટમાં” એનો આસ્વાદ અને વિડીયો મને ખુબ ગમી ગયાં.આ ત્રણ સાહિત્ય પ્રિય પ્રતિભાઓના આભાર સાથે  આજની પોસ્ટમાં  એને નીચે પ્રસ્તુત છે.

આશા છે આપને એ ગમશે.આપનો પ્રતીસાત જરૂર જણાવશો.

વિનોદ પટેલ

કવિયત્રી યામિની વ્યાસનો પરિચય ..

ફોટો સૌજન્ય .. ફેસબુક 

અગાઉ વિનોદ વિહારની તારીખ 2015/09/08 ની પોસ્ટમાં ..

કવિયત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … વિ. સાથેનો પરિચય

અહીં ક્લિક કરીને વાંચો.

 ફેસબુક  પર યામિની બેનની  સાહિત્ય પ્રવૃતિઓની ફોટાઓ સાથેની ઝલક 

કાવ્ય ..’રોટલીના લોટમાં’… યામિની વ્યાસ

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

~ યામિની વ્યાસ

આસ્વાદ: કાવ્ય ..રોટલીના લોટમાં ~ઇલિયાસ શેખ

સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચી, તો પહેલાં તો મનમાં થયું, કોમેન્ટરૂપે “વાહ” લખીને, લાઇક કરીને આગળ વધી જઉં. પણ, મારે તો એવું છે ને કે, મન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું.! કેમ કે, હું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુ, એટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.

યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાય, એ નાતો, પણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાં, ભરબપોરે, સાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતું, એ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!

આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોય, ત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છે, એવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળે, પણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરે, એ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કે, એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.

જો કે, આ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈર, આ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છે, ત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

મત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દે, એવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છે, એ પરખને અન્ય કોઇને બોધ કરાવવાની, પરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએ, પણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટ, નાયકને યાર અને પ્યાર બનાવી મુકે છે, એ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છે? એનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકા, પોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છે, એની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છે, એ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાત, આયખું, સમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીને, જ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતને, પ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવો, તો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છે, કે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છે, કે જે “ખુલી શકે” એ જ ખીલી શકે, અને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીને, ખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.

આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?”
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કે, શું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશે? નાયિકાના ખબર અંતર પૂછશે? આવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતા, નાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છે, એવાં કોઇ દુખદ પ્રસંગની યાદ, નાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીં, પણ એકલી-એકલી ફરિયાદ કરે છે કે, તેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કે, નાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોય, કોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.

લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છે, એ બહેન, ભાભી, દીકરી, મા કે પત્ની – ગમે તે હોય, પણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણ, ગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસ, એકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કે, જેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપી, આજે નાયક આવે તો એને બતાવી દેવી છે, એવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છે, ત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કે, એ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતા, રોટલીને તાવડીમાં શેકતા-શેકતા, મમતાળુ માવડી બનીને, નાયકની ચિંતા કરે છે કે, આ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખ, ધોધમાર વરસાદ, રોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!

હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું
‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડો, ભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતે, કણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણ, અને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!

આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

ગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તન, પ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોય, પણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.

નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીને, નારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રો, તૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓ, દોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકર, વોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.

આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કે, અઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડી, ચૂડીદાર, બ્લાઉઝ, પેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!! 

 – ઇલિયાસ શેખ

વિડીયોમાં કાવ્ય પઠન .. યામિની વ્યાસ

યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં  રોટલી  બનાવતાં બનાવતાં એમના કાવ્ય  ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે. ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !

વિડીયો સૌજન્ય … સાહિત્ય દર્શન
Published on May 10, 2019
ગુજરાતી કવિતા –
કવિયત્રી – યામિની વ્યાસ

કાવ્ય – ‘રોટલીના લોટમાં’


સૌજન્ય … સુ.શ્રી પ્રજ્ઞા વ્યાસ, નીરવ રવે બ્લોગ.

(આ.પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫મા વર્ષમાં પ્રવેશ વેળાની વિનોદ વિહારની ખાસ પોસ્ટમાં એમનો પરિચય વાંચવા માટે અહીં ક્લિક કરો.)

વિનોદ વિહારમાં આ અગાઉ પોસ્ટ થયેલ કવિયત્રી યામિની વ્યાસની પોસ્ટ કરવામાં આવેલી સાહિત્ય રચનાઓ -પરિચય સાથે અહીં ક્લિક કરીને વાંચો .