[૧ ]…”કંપની “

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટમાં અજયનો આલીશાન બંગલો હતો.શહેર ના અતિ ધનિક લોકોમાં એની ગણતરી થતી.
અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા *પિતા હસમુખરાય* સાથે ભવ્ય વીલામાં રહેતો હતો.
એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે *હસમુખરાયે* કહ્યું *”બેટા મને ઘરડા ઘરમાં મૂકી આવને !!”*
અજય અને રીટા બંને એકદમ ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજતમાં કોઈ ખામી રહી ગઈ કે શું ?
અજયે કહ્યું *”કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ?*
*હસમુખરાયે* હંસતા હંસતા કહ્યું-: *”ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ?* પણ *હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે.*
અજયે તરત જ કહ્યું-: *”પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે, ૫-૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ .*
*હસમુખરાય* પણ માની ગયા.વાત વિસરાઈ ગઈ.
અજયે *વિલા* ની બાજુમાં જ એક *નાનું આઉટ હાઉસ* બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું *આઉટ હાઉસ* તૈયાર થઇ ગયું.
*હસમુખરાયે* પૂછ્યું ; *બેટા, આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને !!*
અજયે કહ્યું કે *મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે.*
રવિવાર આવી ગયો.ફેમિલી મેમ્બર્સ* અને થોડા *મિત્રો* ને બોલાવવામાં આવ્યા હતા, *આઉટ હાઉસ* પર રીબીન બાંધવામાં આવી હતી,
*હસમુખરાયે* તાળીઓનાં ગડગડાટ સાથે રીબીન કાપી.
અજયે કહ્યું-: *”પપ્પા દરવાજો પણ તમે જ ખોલો.*
*હસમુખરાયે* બારણું ખોલ્યું,
સામે ખુરશી પર તેમના *ત્રણ મિત્રો* બેઠા હતા, *હસમુખરાય* ખુશી થી ઝૂમી ઉઠ્યા અને *ત્રણે મિત્રો* ને ગળે લગાડી દીધા. અજય રૂમમાં દાખલ થયો તો *ચારે વડીલો* એને ભેંટી પડ્યા. અજયે કહ્યું કે *પપ્પાની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું તમને ઘરડા ઘરમાંથી અહીં લઇ આવ્યો,* આજ થી આ *ઘર* તમારૂ જ છે અને તમારે મોજથી અહીં જ રહેવાનું છે, અને હા, મેં એક કેર ટેકર *શંભુકાકા* ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે.
ચારે *વડીલોની સાથે સાથે અજયની આંખમાંથી અશ્રુઓ* વહી ગયા.
અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમમાંથી *ખડખડાટ હાસ્ય* નાં અવાજો આવવા લાગ્યા.
અજય મનોમન બોલી ઉઠ્યો “મિત્રો ની *”કંપની “* સ્ટીરોઈડ જેવી હોય છે” !!!
*મિત્રતા* થી ઉત્તમ કોઈ ટોનીક નથી. *હસતા રહો* અને *હસાવતા રહો.*
સૌજન્ય ..વોટ્સેપ /સુરેશ જાની
🙏🏻💐 🙏🏻 💐🙏🏻
[૨ ]…’પહેલી નજરે પ્રેમ

હવે સામાજિક સિક્કાની બીજી બાજુ ,
નીચેની સત્ય ઘટનાત્મક વાર્તામાં વાંચો.
લેખક ..ભાર્ગવ પરીખ,સૌજન્ય ..બીબીસી ગુજરાતી
સુખઃ હક પણ, ફરજ પણ! ……દીપક સોલિયા
જેટલા ટિખળી અને ચટાકેદાર એટલા જ ગંભીર અને અભ્યાસુ એવા લેખક ખુશવંત સિંઘે ૯૫ની ઉંમરે એક પુસ્તક લખેલું, ‘એબ્સોલ્યુટ ખુશવંત’. એમાં એક જગ્યાએ એમણે સુખી થવા વિશે કેટલીક સીધીસાદી સલાહો આપેલી.
સાડા નવ દાયકાના જીવનના નિચોડ જેવી એમની આ ‘વડીલસહજ’ સલાહો ખૂબ વખણાઈ છે. તમે કદાચ એ વાંચી હોય તો પણ ફરી એક વાર એ વાંચી જવા જેવી છે, કારણ કે આજે છે દિવાળી અને કાલથી શરૂ થાય છે નવું વર્ષ. આવા મસ્ત મજાના માહોલમાં ખુશીની ચાવી ચીંધતી આ ખુશવંતી સલાહો વિશે શાંતિથી બેસીને થોડું વિચારશો અને એનો યથાશક્તિ અમલ કરશો તો ફાયદામાં રહેશો.
૧) સૌથી પહેલી તબિયત.
તમારી તબિયત સારી નહીં હોય તો તમે સુખી નહીં જ થઈ શકો. બીમારી ગમે તેટલી નાનકડી હશે તો પણ એ તમારા સુખમાંથી થોડી બાદબાકી કરશે જ.
૨) બીજી વાત છે, હેલ્ધી બેન્ક બેલેન્સ.
જરૂરી નથી કે તમારી પાસે કરોડો રૂપિયા હોવા જોઈએ, પરંતુ કમસે કમ એટલા રૂપિયા તો હોવા જોઈએ જેથી તમારી મૂળભૂત સગવડો સચવાઈ જાય. આ ઉપરાંત, બહાર જમવા જવું, ફ્લ્મિો જોવા જવું, પર્વતોમાં કે દરિયાકાંઠે ફરવા જવું… આવા મનોરંજનો માટેના પૈસા હોવા પણ જરૂરી છે. નાણાંભીડ બૂરી ચીજ છે. એ માણસને ભાંગી નાખે છે. ઉધારી પર જીવવું એ અપમાનજનક છે. ઉછીના પૈસે જીવવાથી લોકોની તો ઠીક, આપણી ખુદની નજરમાંથી પણ આપણે ઉતરી જઈએ છીએ.
૩) ત્રીજી વાત, તમારું પોતાનું ઘર
ભાડાના ઘરમાં તમને આરામ અને સુરક્ષાનો એ અનુભવ નહીં થાય જે પોતાની માલિકીના ઘરમાં થશે. ઘરમાં એક બગીચો પણ હોય તો ઉત્તમ. જાતે જ ઝાડ ઉગાડો, ફૂલવાળા છોડ ઉગાડો અને એમને ઉગતાં નિહાળો. એ ઝાડ-પાન સાથે એક પ્રકારની દોસ્તી કેળવો.
૪) ચોથી વાત છે, સમજુ સાથી.
એ જીવનસાથી પણ હોઈ શકે કે મિત્ર પણ હોઈ શકે. જો તમારા સંબંધમાં બહુ બધા વાંધા વચકા હશે તો એ તમારી માનસિક શાંતિ હણી લેશે. સતત ઝઘડવા કરતાં તો છૂટાછેડા લઈ લેવા સારા.
૫) પાંચમી વાત,તમારાથી આગળ નીકળી ગયેલા લોકોથી જલવાનું બંધ કરો.
તમારાથી વધુ સફ્ળતા, વધુ પૈસો, વધુ ખ્યાતિ મેળવનારાઓ સાથે તમારી જાતને સરખાવો નહીં. ઇર્ષ્યા માણસને કોરી ખાનારી ચીજ છે.
૬) છઠ્ઠી વાત એ કે કુથલીખોરોને છેટા રાખો.
આવા લોકો તમારા મગજમાં ઝેર ભરે છે. તમે એનાથી પીંડ છોડાવો ત્યાં સુધીમાં એ લુચ્ચી-ટુચ્ચી વાતો સંભળાવી-સંભળાવીને તમને થકવી નાખે છે.
૭) સાતમી વાત એ કે એકાદ-બે શોખ કેળવો.
એવા શોખ, જે તમને આંતરિક સમૃદ્ધિનો અહેસાસ કરાવે, જેમ કે, બાગકામ, વાંચવું, લખવું, ચિત્રો દોરવા, રમવું કે સંગીત સાંભળવું. બાકી, ક્લબો કે પાર્ટીઓમાં જવું, મફ્તનું ખાવું-પીવું, મોટા મોટા માણસોને મળવું… આ બધામાં સમય બગાડવો એ તો અપરાધ છે, અપરાધ. (એને બદલે) એવી કશીક પ્રવૃત્તિ પર ધ્યાન આપો જેમાં ગાળેલો સમય લેખે લાગે, સાર્થક બની રહે. મારા કેટલાંક પરિવારજનો અને મિત્રો એમનો આખો દિવસ રખડતાં કૂતરાંઓની કાળજી લેવામાં ગાળે છે. એમને ખાવાનું આપે છે, દવાઓ આપે છે. બીજા કેટલાંક મોબાઈલ ક્લિનિક ચલાવે છે. એમાં તેઓ માંદા માણસો તેમ જ પશુઓને મફ્તમાં સારવાર આપે છે.
૮) આઠમી વાત એ કે રોજ સવારે અને સાંજે ૧૫ મિનિટ આત્મનિરીક્ષણ માટે ફળવો.
સવારના આત્મનિરીક્ષણ વખતે દસ મિનિટ મગજ એકદમ સ્થિર રાખવું અને બાકીની પાંચ મિનિટોમાં દિવસ દરમિયાન કરવાના કામો વિશે વિચારવું. સાંજે (આનાથી ઊલટું) પાંચ મિનિટ મગજ સ્થિર કરવા પર ધ્યાન આપવું અને પછી દિવસમાં કરવા ધારેલા કામો વિશે દસ મિનિટ વિચારવું.
૯) નવમી વાત, ભડકો નહીં (ડોન્ટ લૂઝ યોર ટેમ્પર).
વાતે વાતે મગજ ફટકવું, મનમાં ડંખ રાખવો… આ બધાથી બચવાની કોશિશ કરો. કોઈ મિત્ર તમારી સાથે તોછડાઈથી વર્તે તો પણ એ આખી વાતને અવગણીને આગળ વધી જાવ.
૧૦) સૌથી મહત્ત્વની વાત એ કે
જ્યારે જવાનો સમય આવી પહોંચે ત્યારે તમને કોઈ અફ્સોસ ન હોવો જોઈએ કે કોઈની સામે કશી ફરિયાદ ન હોવી જોઈએ. ઇકબાલે એક શેરમાં કહેલું કે સાચો ભક્ત એ છે જેના ચહેરા પર મરતી વખતે સ્મિત હોય.
આ લખ્યાના ત્રણેક વર્ષ પછી, ૯૮ પૂરા થવા આવ્યા ત્યારે ખુશવંત સિંઘે ‘ડેક્કન હેરાલ્ડ’ અખબારમાંની એમની કોલમમાં ફરી સુખની દસ ચાવીઓ આપી, જેનો સાર આ પ્રમાણે છેઃ
▪રોજ મસાજ કરાવો. ઝાઝા તેલની જરૂર નથી. બસ, મજબૂત હાથ તમારા આખા શરીર પર ફરી વળે…
▪ખાવા-પીવાનું ઘટાડો…
▪ખાવા બાબતે ચુસ્ત રૂટિનનું પાલન કરો…
▪અન્ય ફ્ળો કરતાં જામફળનો રસ શ્રેષ્ઠ છે…
▪રાતે જમતા પહેલાં તમારી જાતને કહોઃ ઓછું ખાજે, ઓછું ખાજે…
▪થોડું ચૂર્ણ લેવાનું રાખો…
▪એકલા જમો, શાંતિથી જમો…
ઇડલી-ડોસા આરોગ્ય માટે સારાં છે અને પચવામાં હલકાં છે…
કબજિયાતથી કોઈપણ ભોગે બચો. રેચક દવા, એનિમા, ગ્લિસરીન વગેરે કોઈપણ ઉપાય અજમાવીને પણ કબજિયાતથી બચો…
▪મનની શાંતિ માટે હેલ્ધી બેન્ક બેલેન્સ જાળવો…
▪વાતે વાતે ખીજાઈ ન જાવ…
▪જૂઠું ન બોલો…
▪આત્માને એકદમ સ્વચ્છ રાખો અને ઉદારતાથી આપી છૂટો. તમારી પાસે જે છે તે સંતાનોને, નોકરોને કે દાનરૂપે આપો, પણ બસ, આપો…
▪પ્રાર્થનામાં ડૂબેલા રહેવા કરતાં બાગકામ કરો, બાળકોને મદદરૂપ બનો.
તો, બીજી વારની આ સલાહોમાં, વધુ વૃદ્ધ થયેલા ખુશવંત સિંઘે આરોગ્ય અને આહાર પર વધુ ભાર મૂક્યો. બરાબર છે. ઉંમર સાથે માણસની અગ્રિમતાઓ બદલાય.
ખેર, ખુશવંત સિંહની આ ઠરેલ અને દુન્યવી સલાહો વિશે વિચારજો. આ ઉપરાંત, મારું પણ એક સૂચન એ છે કે જીવનમાં સુખી થવું હોય તો જાત સાથે ઝઘડા ન કરવા. આ લેખ શ્રેણીમાં આપણી વાત એ ચાલી રહી હતી કે પ્રેમમાં લોચા શા માટે પડે છે? સંબંધોમાંથી જોઈએ તેટલું સુખ શા માટે નથી મળતું? આ મામલે છેલ્લે એ વાત કરેલી કે જે માણસ પોતાને નથી ખમી શકતો એ અન્યને ક્યારેય નહીં ખમી શકે. જે માણસ પોતાની જાતને સાચી રીતે ચાહી નથી શકતો એ અન્યને ક્યારેય ચાહી ન શકે. આ નિયમ ન્યુટનના નિયમો જેવો જ એક અફર નિયમ છે. ટૂંકમાં, સુખની એક મહત્ત્વની શરત આ છેઃ જાતનો સ્વીકાર, જાત સાથે દોસ્તી.
એક વાત ખાસ સમજી લો કે સુખી થવું એ આપણો હક તો ઠીક, ફરજ પણ છે. આપણે પોતાની જાતને જ સુખી ન રાખી શકીએ તો બીજાને શું ધૂળ સુખી કરવાના? જે માણસ પોતે અંદરથી સુખ-સંતોષનો અનુભવ નહીં કરે એને જીવનમાં ક્યારેય સાચો પ્રેમ, સાચી દોસ્તી નહીં મળે. લખી રાખો.
–-દીપક સોલિયા
શ્રી દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.તેઓ ‘દિવ્ય ભાસ્કર’માં ’અંતર્યાત્રા’, ’સો વાતની એક વાત’ તથા અત્યારે ’કળશ’ પૂર્તિમાં આવતી ’ક્લાસિક’ કોલમથી વધુ જાણીતા છે. અઘરામાં અઘરી વાતને એકદમ સરળતાથી, સોંસરવી રીતે રજૂ કરી શકવાની આ લેખકની ક્ષમતા કાબિલેદાદ છે.
વાચકોના પ્રતિભાવ