આપણને એવો સમય મળે અને ત્યારે મળે જ્યારે આપણે પ્રવૃત્ત હોઈએ કે ખરેખર આપણી સ્થિતિ શું છે તો એની મઝા જુદી છે. આની શરૂઆત બહુ ઉપરના માળેથી કરવાની જરૂર નથી.
શિયાળો શરૂ થયો છે ને સામેના રસ્તાના કિનારે એક માજી મીઠાં મધુરા બોર વેચવા બેઠા છે. બોરનો ઢગલો જાણે લાલ ચટ્ટાક માણેકની મહોલાત ! એમના રામ તો આવનારા ગ્રાહકના સ્વાંગમાં છે. એમણે આ જિંદગીના વરસો પસાર કર્યા હોય. તડકા-છાંયા જોયા હોય.પણ છાંયો એમની સાથે નથી રહ્યો. તડકો જ તડકો છે. બોર વીણતા હશે ત્યારે જે એકાદ કંટક વાગે એનાથી અધિક તો એને જિંદગીએ જ દંશ આપ્યા હશે. આનાથી વિપરીત પણ હોય. બે છોકરાઓને પરણાવીને ઘર વહુઓને સોંપીને એયને સવારે વગડામાં એકલા જ નીકળી પડતા હોય. એ એમનો આનંદ હોય. અને બોર વીણી-વેચીને જે બે પૈસા મળે એ સંતાનોના સંતાનોને માટે વાપરતા હોય. વહુદીકરાને આધીન થવાને બદલે પોતાનું ચપટીક કમાઈ લેવાનું ગૌરવ એમને પ્રિય હોય. તેઓ જ્યાં છે ત્યાં પોતે ઠીક જ છે એમ માનતા હોય તો એના જેવું તો બીજું સુખ શું હોય ! અને કદાચ સુખ ન હોય તો પણ કંઈ દુઃખ નથી – નું સુખ પણ એક મોટું સુખ છે.
જે કાફલામાં નીકળીએ એની સાથે તો ચાહો તો પણ ન રહી શકાય, સહુનો આગળ-પાછળનો ક્રમ થાય. ક્યારેક ક્યાંક રોકાઈ જવાય ને કાફલો તો આગળ નીકળી જાય. પગમાં તાન ચડે તો વળી ખુદ અધિક આગળ નીકળે. આ આગે-પીછે પણ સ્થળ અને કાળને સાપેક્ષ. ફૂટપટ્ટી બદલાવો તો માપ ન બદલાય પણ જિંદગીમાં તો દરેક અલગ કે નવી ફૂટપટ્ટીએ માપ જુદા જુદા આવે. એમાંય માપનાર પ્રમાણે પણ માપ બદલાય. કોને માનીને ચાલશો ? એકવાર જેને પોતાની જિંદગી પારકી ફૂટપટ્ટીએથી તોળતા રહેવાની ટેવ પડી ગઈ એને તો આ ભવમાં પોતાનું ખરું માપ કદી હાથ ન લાગે. પોતાની જિંદગીને બીજાઓના ત્રાજવે જેઓ માપતા રહે છે તેમને પોતાનું વજન તો ભલે ન મળે પણ આ મહાન અને રળિયામણી વ્યક્તિગત જિંદગીની આનંદલ્હાણ પણ પ્રાપ્ત થતી નથી; તેમને મળે છે અકારણનો અસંતોષ.
અસંતોષ આપણા મનને ‘જે નથી’ તેના પર કેન્દ્રિત કરીને ‘જે છે’ એનો આનંદ પણ ઉડાડી દે છે. સરવાળે જિંદગી નથી-નથી-થી ઉભરાઈ જાય છે. ‘છે’ થી છલકાતી જિંદગી જ માણવા જેવી હોય છે. કેટલાક લોકો બીજાઓની લાઈફને પોતાની લાઈફમાં જીવવા ચાહતા હોય છે જે અસંભવ અને ભ્રામક છે. આ પ્રવૃત્તિ તમને પાષાણ યુગમાં લઈ જાય છે. ઉપાસના ચાહે દેવોની હોય કે કોઈ સત્ વિચારની – એ તો જ તપ બને જો એ ભવિષ્યને અજવાળી આપે.
જિંદગી એક ઉપાસના છે, આનંદોપાસના. બધા જ દોડે છે તો સુખ પાછળ, તેમાંના કેટલાક શાંતિને સુખ માને છે ને કેટલાક માત્ર સમૃદ્ધિને જ સુખ માને છે.શાંતિનું સુખ વર્તમાનનું સુખ છે અને સમૃદ્ધિનું સુખ ભવિષ્યનું સુખ છે. શાંતિ માધ્યમ પણ છે, સમૃદ્ધિ સુધી પહોંચવાનું કારણ કે સંપત્તિ સહિતના કોઈ પણ સર્જનમાં શાંતિ ઉદ્દીપક વિભાવના છે. શરૂઆત સુખથી ન હોય, શાંતિથી જ હોય. આપણે ત્યાં ગુજરાત અને ગુજરાતીમાં સુખાકારીનું જે ત્રિપદીય લોકસૂત્ર છે તે સુખ, શાંતિ અને સમૃદ્ધિનું છે, પણ એનો ક્રમ ખોટો છે. ક્રમ ખરેખર તો શાંતિ, સમૃદ્ધિ અને સુખ – એમ હોવો જોઈએ.
પહેલા પદ દ્વારા બીજા અને બીજા પદ દ્વારા ત્રીજા પદ સુધી પહોંચવાનું છે જે સ્વભાવે મનુષ્ય અને જીવમાત્રનું મનથી ઘડાયેલું લક્ષ્ય હોય છે. પરંતુ વિદ્વાનોએ એના પછીનું ચતુર્થ પદ પણ ઉમેર્યું તે છે આનંદ. સુખ આલંબિત છે, આનંદ નિરાલંબિત છે. સુખને આધાર અને કારણ જોઈએ, આનંદ સહજાનુભવ છે. સહજાનંદ અતિશય મધુર અને પરમ શબ્દ છે.બીજાઓને પોતાના જીવનના નમૂનેદાર રોલ મોડેલ તરીકે સ્વીકારવાની વાત મોટિવેશનલ વક્તાઓ કરે છે તે સામાન્યતામાંથી માણસને ઊભો કરવા માટે છે.
માત્ર એક રન વે છે પછી એ છોડીને તમારે ઊંચી ઉડાન આરંભવાની હોય છે. જે છે તે સ્વયંમાં જ છે એને બાહ્યાધારો એ સ્વત્ત્વને અનાવરણિત કરવામાં મદદ કરે એટલું જ. જ્ઞાન વૃક્ષ પાસે નથી, એ તો બુદ્ધમાં અને પ્રબુદ્ધમાં હોય છે. પરંતુ બુદ્ધને પિપ્પલક વૃક્ષનું આલંબન ક્ષણ માત્ર માટે ઠીક લાગ્યું એનાથી વૃક્ષ બોધિવૃક્ષ થયું. બુદ્ધ તો બુદ્ધ જ છે. બુદ્ધને વૃક્ષતળે પવનની એક આછી અમથી લહેર જ બસ થઈ રહે. એથી વધુ આલંબનની એને શી તમા ?
આપણે જે મહાકાય મંદિરો અને તીર્થો વિકસાવ્યા તે છે તો ભીતરના આનંદને પ્રગટાવવાના આલંબન જ. એ સર્વસ્થળે જનારાઓમાં હજારોમાં કોઈ એકને હોય છે આનંદની તરસ, બાકી તો બધા સુખની યાચના માટે જ ટોળે વળેલા હોય છે. સંસારના સર્વ ધર્મમાં આ જ સ્થિતિ છે. ધર્મ ખરેખર તો ધર્મથીય વધુ ઊંચે જતા શીખવે છે પણ એ તો બધાને ન શીખવું હોય. તેઓ માને છે કે દુઃખ નિરુપાય નથી ને ધર્મ એક માત્ર એનો ઉપાય છે. અને એમ માનનારાઓનો તો કોઈ ઉપાય નથી.આ સંસારમાં કેટલા બધા લોકો એવા છે જેને કોઈ દુઃખ નથી. તેઓ જ ખરેખર તો સુખની પાઠશાળા છે.
આ મનુષ્યત્વની ઊંચી અવતારી જાતિ છે. તેઓ કંઈ એકલ-દોકલ નથી. આખી પૃથ્વી પર પ્રચ્છન્ન રીતે ફેલાયેલા છે. તેઓ દેખાવે પણ દરિદ્ર ન લાગે કારણ કે તેમના ચહેરા પર પરિતોષની આભા હોય છે. એક પ્રકારનો ઉજાસ જે આપણા જન્મના પ્રથમ સપ્તાહે માતાના ચહેરા પર હોય છે. અથવા એવો રંગ જે કેસૂડા ખિલે એ પહેલાં પલાશની ડાળીઓમાં છૂપાયેલો હોય છે. કોઈ મુગ્ધાની કેશલતાની અમસ્તા જ લહેરાતી લટનો લય તેમની વાણીમાં હોય છે. આપણે છેલ્લા બસો વરસમાં મનુષ્ય તરીકે વ્યક્તિગત જરૂરિયાતોની અભિવૃદ્ધિ જ કરતા આવ્યા છીએ. એને કારણે સુખના આલંબનો જ એટલા વધતા રહ્યા છે કે હવે તો મનુષ્ય એમાં નિત્યનૂતન ઉમેરણ કરતા જ રહે છે.
દુઃખ આગંતુક હોય તે હોય પણ ઊભા કરેલા દુઃખ ટકાઉ હોય છે. જેનું આગમન હોય એનું નિર્ગમન પણ હોય એ સંજોગોનો ઉપકાર છે. એટલે આવનારા દુઃખ તો આવે ને જાય પણ ઊભા કરેલા દુઃખને દૂર કરવામાં તો એક વિરાટ સૈન્યની શક્તિ પણ ઓછી પડે.
મહાત્મા ગાંધીજી વિષે ઘણું લખાયું છે અને હજુ પણ ઘણું લખાતું રહેશે. પરંતુ એમનાં જીવન સાથી અને અર્ધાંગીની કસ્તુરબા વિષે લખાએલું બહુ ઓછું જાણવા મળે છે.ગાંધીજીના જીવનમાં કસ્તુરબા પતિના પડછાયાની જેમ જીવ્યાં હતાં.એમની અંગત મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓને અવગણી એક ત્યાગમૂર્તિની જેમ બાપુને બધી રીતે સાથ આપ્યો હતો.
ગાંધીજી પોરબંદરના એક વણિક મોહનદાસ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા એ માટે ઘણાં કારણો હશે પરંતુ એમાં બાનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે.
અનજાણ પ્રતિભાવાન વ્યક્તિ કસ્તુર બા વિષે એમના પુત્ર મણીલાલના પુત્ર શ્રી અરુણ ગાંધીએ ખંતથી વિગતો એકઠી કરીને લખેલ એક દસ્તાવેજી પુસ્તક ”મહાત્માનાં અર્ધાંગીની ”મારફતે એક પૌત્ર તરીકેની એમણે સુંદર ફરજ બજાવી છે.
આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કસ્તુરબાનાં પ્રપૌત્રી સોનલ પરીખએ કર્યો છે.આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.
આ બન્ને ગાંધી કુળનાં સંતાનોને આ પુસ્તક માટે જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
આ પુસ્તકની જાણવા જેવી વિગતો જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમ ગજ્જર એ એમના બ્લોગમાં અને ફેસબુક પર પોસ્ટ કરેલ છે જે એમના આભાર સાથે આજની આ પોસ્ટમાં પ્રસ્તુત છે… વિનોદ પટેલ
સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ/ફેસ બુક
હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગીની.’ શીર્ષક સુચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમુર્તી કસ્તુરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.
કસ્તુરબા વીશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતીના પગલાંમાં પગ મુકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વીશેષ કોઈ પ્રતીભા એમનામાં હતી નહીં.
પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગીની હતાં જરુર; અંધ અનુગામીની નહીં, સમજદાર સંગીની હતાં. મહાત્માનાં અર્ધાંગીની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરીમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સુઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.
‘બા : મહાત્માનાં અર્ધાંગીની’ પુસ્તકની વીશેષતા એ છે કે તેને મુળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તુરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તુરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.
અહીં હું આ બન્નેનો થોડો પરીચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :
ડૉ. અરુણ મણીલાલ ગાંધી કસ્તુરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રીલ, 1934માં દક્ષીણ આફ્રીકાના ફીનીક્સ આશ્રમમાં થયો હતો. માતા–પીતા સુશીલા અને મણીલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચીંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં
બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહીના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષીણ આફ્રીકાનો રંગભેદ અને ત્યાંનું હીંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઉકળી ઉઠતું. બાએ તેને, તેના આક્રોશને વીધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરીવર્તન માટેની શક્તી બનાવતાં શીખવ્યું હતું.
કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તી અને અહીંસાની વાત વીશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરીકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવીદાય લીધી.
શાન્તી અને અહીંસાનાં બીજ દુર દુર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તીખેડુત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દીવસ શાન્તીનાં આ બીજ, હરીયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..
સોનલ પરીખના પીતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પીતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વીના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.
પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકીર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વીદ્યાભવન, ગાંધી સ્મારકનીધી(મણીભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભુમી’નાં તંત્રીવીભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભુમી’, ‘જન્મભુમી પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન’, ‘નવચેતન’, ‘કવીતા’, ‘વીચારવલોણું’માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.
હવે આ બન્ને, કસ્તુરબા વીશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :
લેખક અરુણ ગાંધી કહે છે :
‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તીત્વ એવું વીરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તુરબા અને મારા પીતા મણીલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વીચારો અને વ્યક્તીત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.
આધુનીક, પશ્ચીમી મુલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મુકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વીકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટી હતી, વ્યક્તીને પરીવર્તીત કરવાની શક્તી પણ હતી. તેનાં પરીણામે કસ્તુરબા અને મણીલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તીગત પ્રાપ્તી વીશે વીચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પીત કરવાનું વધુ પસંદ કર્યું હતું.
જેમણે કસ્તુરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પુરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પીતા મણીલાલે ત્યારે દક્ષીણ આફ્રીકામાં રહી બાપુએ 1873માં શરુ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહીંસક માર્ગે સામાજીક અને રાજકીય પરીવર્તનોની દીશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરીવારને મળતા. દાદા–દાદીનું હુંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃતીઓનું ધન છે.
બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વીશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સીવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશીક્ષીત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતીને અનુસરતાં; પણ પતી જે વીરાટ કાર્યો કરતા તેના વીશે ભાગ્યે જ કંઈ સમજતાં.
હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપીતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારીક શીક્ષણ ખુબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતી ન હતાં. ઈતીહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નીષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભુમીકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતીતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.
‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહીંસાની મુળભુત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નીષ્ક્રીય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતીની કોઈ વાત ગળે ન ઉતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તીથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહીંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.
પણ બા વીશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પુરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપીતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સીવાય બાના પરીવારના ઈતીહાસ વીશે જાણવાનો કોઈ આધાર નથી.
એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખીક ઈતીહાસ. આ ઈતીહાસ આપનારા તમામની દૃષ્ટી બાપુની પ્રેરક સ્મૃતીઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપુર જરુર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડીંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.
છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરીકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તુરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વીશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતીભાવ મળતા.
અમને આશ્ચર્ય થતું. મહીલાઓના અધીકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વીશે ઉતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હીન્દા ઉન્દ દીલ્માએ તેની જર્મન આવૃત્તી પ્રગટ કરી. 1983માં મેક્સીકો યુનીવર્સીટીએ તેનું સ્પૅનીશ ભાષાન્તર પ્રગટ કર્યું.
પુસ્તકની અંગ્રેજી આવૃત્તીના પ્રકાશનમાં હજુ વીઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું
બા–બાપુ અભીન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહીયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપુર્વક કરેલો અમારો આ પરીશ્રમ સાર્થક થશે. –અરુણ ગાંધી
અને પ્રાસ્તાવીક ‘કિંચીત્’માં અનુવાદીકા સોનલ પરીખ લખે છે :
‘કસ્તુરબા મારાં દાદીનાં દાદી.’
લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તુરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું. તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહીના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમીયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલીક પદ્ધતી શોધી, દક્ષીણ આફ્રીકામાં અને હીન્દમાં વીરાટ કાર્યો કર્યાં, દેશને બ્રીટીશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વીશ્વની ગરીબ, શોષીત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નીત્ય પરીવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સીદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટીબદ્ધ મહાત્માનાં અર્ધાંગીની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.
બાપુનાં જીવનકાર્યો અને દેશના ઈતીહાસનાં મહાપરીવર્તનો સાથે, બાનું જીવન અભીન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વીરાટ ઐતીહાસીક ઘટનાઓનાં મુળમાં, પોતાની પ્રાણશક્તી સીંચી છે. કાઠીયાવાડની એક સંસ્કારી પણ નીરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઉથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.
ડૉ. અરુણ ગાંધી–મારા અરુણમામા–નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તુરબાને સમજવાની અને તેમના વ્યક્તીત્વને વીશ્વ સમક્ષ રજુ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઉંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરીત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઉઠાવી છે અને ઉપલબ્ધ માહીતી સાથે કલ્પનાનું સંયમીત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપુર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગીની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વીસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.
અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પુરી મહેનત કરી છે, મહીનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં–તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપુર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતીવાચકોની નવી પેઢીને પણ ગમશે. –સોનલ પરીખ
(લેખક અને અનુવાદીકાનાં લખાણો સહેસાજ સાભાર ટુંકાવીને..)
તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ. (કારણ કે આમાં ‘કસ્તુરબા’ વીશે પુસ્તકમાંનું કશું જ મુકી શકાયું નથી!) – ઉત્તમ ગજ્જર અને સમ્પાદકો..
Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel is also seen looking at this memorable scene of love between this great couple !
ગાંધીજી,કસ્તુરબા અને પ્રેમ પત્રો
અગાઉ વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસિદ્ધ કરેલ શ્રી તેજસ વૈદ્ય લિખિત નીચેનો લેખ આજની આ પોસ્ટની પૂર્તિ કરે છે.ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે પ્રેમનું કેવું અતુટ બંધન હતું એ બાપુના બાને લખેલ પ્રેમ પત્રોમાંથી જણાઈ આવે છે.
વિનોદ ભટ્ટના અવસાન બાદ ઘણા લેખકોએ એમને અંજલિ રૂપે એમના વિષે જુદા જુદા સમાચાર માધ્યમોમાં લખ્યું છે.જાણીતા લેખક શ્રી રમેશ તન્નાએ એમના ફેસ બુક પેજ પોઝિટિવ મિડિયા માટે વિનોદ ભટ્ટની જ શૈલીમાં એક લેખ” વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં” લખ્યો છે અને એ રીતે એમના માનીતા હાસ્ય લેખકને અનોખી રીતે અંજલિ આપી છે.
શ્રી રમેશભાઈ ના આભાર સાથે વિનોદ વિહારની આજની શ્રધાંજલિ પોસ્ટમાં આ લેખ નીચે પ્રસ્તુત છે.આ લેખ પછી સ્વ.વિનોદ ભટ્ટ વિષેના બીજા બે લેખોની પી.ડી.એફ.પણ જરૂરથી વાંચશો.
વિનોદ પટેલ
વિનોદ ભટ્ટઃ સ્વર્ગ લોકમાં…આલેખનઃ રમેશ તન્ના
ગઈ કાલે યમરાજ પોતે વિનોદ ભટ્ટને લેવા આવ્યા. તેમના નિવાસસ્થાને પહોંચ્યા. મનોમન બોલ્યા, ઘોર કળિયુગમાં આ માણસ ‘ધર્મયુગ‘માં રહે છે. કમાલનો માણસ લાગે છે !
વિનોદભટ્ટ તો જવા તૈયાર જ હતા. યમરાજાએ ધર્મયુગ કોલોની બહાર પાડો પાર્ક કરેલો. બન્ને ચાલતા ચાલતા સોસાયટીના ઝાંપે આવ્યા.
વિનોદ ભટ્ટ સોસાયટીના મુખ્ય ઝાંપે પાછા ફરીને ઊભા રહ્યા. પોતાનું ઘર, સોસાયટીની શેરી, અન્ય બંગલાઓ જોતા રહ્યા.
યમરાજા બોલ્યાઃ રહેવું છે હજી થોડાં વર્ષ ?
ના, ભઇલા ના, હવે બહું થયું, કૈલાસ ગઇ, હમણાં નલિની ગઇ,તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને જો યમરાજભાઈ, અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. પછી વિનોદભાઇ કહે,” ચાલો,તમતમારે… આપણે રેડી છીએ.”
યમરાજા કહે, ઊભા રહો, માવો ખાઇ લઉં.
“હા, એ પહેલું હો.. માવો ખાધા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે. બાય ધ વે, હમણાં સૌરાષ્ટ્ર બાજુ કામ બહું રહેતું લાગે છે.”
યમરાજા આંખો પહોળી કરીને કહે, અરે, તમને કેવી રીતે ખબર પડી.
” ખબર તો પડી જ જાય ને. આ માવાની લત ત્યાંથી જ લાગે, અને તમારા દાંત પણ લાલ થઇ ગયા છે. આ તમારા પાડાને નથી ખવડાવતા ને ! “
યમરાજા હસી પડ્યા, ના, ના, પાડો તો નિર્વ્યસની છે. લીલા ઘાસ વિના બીજું કશું ખાતો નથી. વિનોદભાઈ કહે, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતો થઈ જશે.
એયને પછી તો વિનોદ ભટ્ટ પાડા પર, યમરાજાની પાછળ બેસીને પહોંચ્ચા યમલોકમાં. યમરાજાએ વિનોદ ભટ્ટને ચિત્રગુપ્તને સોંપતાં કહ્યું- આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.
*
ચિત્રગુપ્તે મોટો ચોપડો કાઢ્યો.
પૂછ્યું, નામ ?
“વિનોદ”
“કેવા ? “
“એવા રે અમે એવા”
“એમ નહીં, જ્ઞાતિએ કેવા ?”
” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
“ભાઇ, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ67,583 છે.”
“વિનોદ ભટ્ટ હસીને કહે છે, હવે 67,582 થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રગુપ્તે ચોપડો ફંફોસવા માંડ્યો.
બોલ્યો,” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
“વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રગુપ્ત થોડો અકડાયો, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં,પણ ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટે ચિત્રગુપ્તના ખભા પર હાથ મૂકીને કહ્યું, જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રગુપ્ત ગળગળો થઇ ગયાઃ સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે.
આંખ મીંચકારીને વિનોદભાઈ કહે તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
અચ્છા તો તું ગુણવંત શાહને પણ વાંચે છે એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરતો. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો તેમને તકલીફ પડે.
સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબનો માણસ. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો. ચિત્રગુપ્ત (પોતાના) નાક પર આંગળી મૂકીને કહે છે હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
ચિત્રગુપ્તને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે વિનોદભાઇ કહે, તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રગુપ્તે ચશ્માં સરખાં કરતાં કહ્યું,”જીવભાઈ, એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ હસતાં હસતાં કહે,”એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રગુપ્ત હસતાં હસતાં કહે,” નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી?
“ના, અહીં અકાદમી-પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”
“તો ભઇલા, ત્યાં લઇ લે. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
“તમે કહેતા હોય તો, તેમને અહીં બોલાવી લઇએ.”
“ના, ના. “
બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રગુપ્ત પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,”તમને જ્યોતિન્દ્ર દવે વગેરે યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
*
ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે,લતાઓ અને વનલતાઓ, અનેક પ્રકારના છોડ, નાનાં-નાનાં પ્રકારનાં પુષ્પો, ફૂલ-ઝાડથી વાતાવરણ છલકાઇ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે.
બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. વિનોદ ભટ્ કહે છે.
” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”
“નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ અમને હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” જ્યોતિન્દ્ર દવે બોલ્યા.
“વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ” બકુલ ત્રિપાઠીએ વિનોદભાઇના દેહ પર નજર કરતાં કહ્યું.
“બકુલભાઇ, સૂકાઇ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”
વચ્ચે થોડી વધી હતી, પણ પછી તમે અહીં આવવાના હતા એટલે ઓછી કરી નાખી.. બકુલ ત્રિપાઠીએ હસતાં હસતાં જવાબ આપ્યો.
તારક મહેતાએ વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી કહ્યું,” સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”
“તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં તો પરમેનેન્ટ મજા નથી હોતી ?”
“પહેલા એવું હતું, પણ ટીવીનાં કનેકન્શન લીધા પછી સ્થિતિ બદલાઇ છે.”જ્યોતિન્દ્રભાઇ બોલ્યા.
તારક મહેતા કહે, બોરીસાગર કેમ છે ?
“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. ડોક્ટર રમેશ કાપડિયાએ શીખવાડેલું શવાસન દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં 30-35 વર્ષ અહીં આવે તેમ લાગતું નથી!” વિનોદભાઇએ જવાબ આપ્યો.
એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ. જ્યોતિન્દ્ર બોલ્યા. પછી કહે, જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, નિરંજન ત્રિવેદી, લલિત લાડ, ઉર્વિશ કોઠારી, અક્ષય અંતાણી, ડો. નલિની ગણાત્રા, જગદીશ ત્રિવેદી, મંગલ દેસાઈ આ બધા લખી રહ્યા છે.
જ્યોતિન્દ્ર દવે બોલ્યા, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું 78એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા 87માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી 77મેં આવ્યા. મધુસુધન પારેખ 85 વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને 80 થઇ ગયાં છે;પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.
” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો” બકુલ ત્રિપાઠી બોલ્યા.
ત્યાં એક છોકરો દોડતો-દોડતો આવ્યો, વિનોદ ભટ્ટ કોઈ કૈલાસબહેન અને નલિનીબહેન તમને યાદ કરે છે.
વિનોદ ભટ્ટ ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે, ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.
—————————— —————————–
પોઝિટિવ મિડિયા માટે આલેખન.. રમેશ તન્ના 9824034475.
(નલિનીબહેન અને વિનોદભાઈની આ તસવીર, વિનોદભાઈના જન્મદિવસે, 14મી જાન્યુઆરી, 2018ના રોજ, અમદાવાદમાં તેમના નિવાસસ્થાનના આંગણામાં, આલાપ તન્નાએ લીધી હતી. આ વર્ષે આપણે આ બન્નેને ગુમાવ્યાં.)
સ્વ.વિનોદ ભટ્ટ વિશેના બીજા શ્રધાંજલિ લેખોની પી.ડી.એફ. …
૧. “કલમમાં વેદના ઘૂંટાઈને આવે ત્યારે લેખનનો સંતોષ થાય” વિનોદ ભટ્ટ સાથેની મુલાકાતના અંશો….. (મુલાકાત રમેશ તન્ના અને અનિતા તન્ના) /હાસ્ય લેખક વિનોદ ભટ્ટ ને શબ્દાંજલિ.
૨ વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર ‘વિનોદ’ હતો….24 મે 2018..સૌજન્ય …www.bbc.com/gujarati
ઉપરના લેખોની પી.ડી.એફ. વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
સાભાર – શ્રી ઉત્તમ ગજ્જર – એમના ફેસ બુક પેજ પરથી …
કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું –યશવન્ત મહેતા
એક વાર સ્વામી વીવેકાનન્દ(અથવા સ્વામી રામતીર્થ અથવા કોઈ અન્ય સ્વામી : કારણ કે આવી કથાઓ સાથે સૌ કોઈ મનગમતા સ્વામીને જોડી દે છે !) અમેરીકા જઈ રહ્યા હતા. એમના જમાનામાં અમેરીકા જવા માટે ઘણાખરા લોકો પુર્વ તરફનો દરીયામાર્ગ લેતા. એટલે કે બર્મા, મલાયા, સીંગાપોર, ચીન, જપાન પછી પ્રશાન્ત મહાસાગર વીંધીને અમેરીકા જવાતું. પ્રવાસ આગબોટથી થતો.
સ્વામીજીએ જોયું કે રંગુનથી એક જપાની વૃદ્ધ આગબોટ પર ચડ્યા છે. દેખીતી જ એમની ઉમ્મર ૮૫–૮૭ વરસ જેટલી હતી. સ્વામીજીએ એ પણ જોયું કે વડીલ દરરોજ સાંજે આગબોટના તુતક પરની ખુરસીમાં પાટી–પેન લઈને બેસે છે. સાથે નાનકડી પોથી રાખે છે. તે પોથીમાં જોઈને પાટીમાં લખે છે. ઘણા દીવસ આ જ ક્રમ જોવા મળ્યો. એટલે સ્વામીજીને કુતુહલ થયું કે વડીલ દરરોજ આ શી મહેનત કરતા હશે?
એક દહાડો કુતુહલ પ્રગટ થઈ જ ગયું. વૃદ્ધ સમક્ષ જઈને તેમને પ્રણામ કર્યાં અને પુછ્યું : ‘વડીલ, તમે દરરોજ આ પાટી–પેન અને પોથી લઈને બેસો છો; તે શું છે ?’
‘આ ચીની ભાષાની બાળપોથી છે. હું ચીની ભાષા શીખું છું.’
વીવેકાનંદનું કુતુહલ હવે આશ્ચર્યમાં ફેલાઈ ગયું. આ વડીલ, આ ઉમ્મરે ચીની ભાષા શીખે છે! ચીની ભાષા જગતની અઘરામાં અઘરી ભાષાઓમાંની એક છે. એની ચીત્રલીપીની 50,000 જેટલી અલગ અલગ આકૃતીઓ શક્ય છે. આપણને માત્ર આકૃતી લાગે એવા એક આકારમાં તો આખું વાક્ય સમાઈ ગયું હોય !
‘પણ વડીલ!’ વીવેકાનન્દ પુછ્યા વીના ન રહી શક્યા, ‘આવી અઘરી ભાષા આ ઉમ્મરે શીખવાની શી જરુર? એથી શું હાંસલ થશે?’ વૃદ્ધે ફરી વાર હુંફાળું મીઠું સ્મીત કરતાં કહ્યું, ‘ભાઈ, કોઈ પણ ઉમ્મર, કશું નવું શીખવા માટે વધારે પડતી નથી. માનવી જ્યાં સુધી કાંઈક નવું શીખવા માટે ઉત્સાહી છે, ત્યાં સુધી જ જીવન્ત છે. જો એ ઉત્સાહ ન રહ્યો તો તો પછી શ્વાસ–પ્રાણ ભલે ચાલતા હોય, તોયે માનવી મરેલો જ છે.’
તે દીવસે સ્વામીજીને સમજાયું કે કશુંય નવું કામ કરવા માટે માનવી ‘અતીવૃદ્ધ’ હોતો જ નથી. દરેક દેશનાં આગવાં કેટલાંક મહાકાવ્ય હોય છે. અંગ્રેજી ભાષા અને ગ્રેટ બ્રીટન માટે આવાં બે મહાકાવ્યો ‘પેરેડાઈઝ લોસ્ટ’ (ગુમાવેલું સ્વર્ગ) અને ‘પેરેડાઈઝ રીગેઈન્ડ’(પુન:પ્રાપ્ત સ્વર્ગ) છે. આ બન્નેના રચનાર મહા કવી જૉન મીલ્ટન છે. એ ૪૮ની વયે પુરેપુરા અન્ધ બની ગયા. એ પછી બાર વર્ષ લગી એમની બન્ધ આંખોની પાછળના દીમાગમાં એક કાવ્ય ઘુંટાતું રહ્યું. છેક સાઠની ઉમ્મર પછી એમણે દીકરીઓને એ કાવ્યનું શ્રુતલેખન કરાવવા માંડ્યું. આ વયે મીલ્ટને, નહોતો પોતાની ઉમ્મરનો ખ્યાલ કર્યો કે નહોતા અપંગાવસ્થાથી નીરાશ થયા.
સાહીત્યની દુનીયામાં આવું જ એક ગૌરવશાળી ઉદાહરણ ‘લે મીઝરેબલ’ અને ‘વીક્ટર હ્યુગો’નું છે. અઢાર–ઓગણીસમી સદીના ફ્રાન્સના શ્રેષ્ઠ લેખકોમાં એક વીક્ટર હ્યુગો છે. પોતાના યુગના એ સાહીત્યસમ્રાટ હતા. અસંખ્ય લેખકોના પ્રેરક હતા. પુરી ફ્રેન્ચ પ્રજાના માનીતા લેખક હતા. એમનાં લોકલક્ષી લખાણોને કારણે સત્તાધારીઓને ખુંચતાય ખરા. શાસકો એમની કદર કરે; પણ એ તો શાસકોનીય ધુળ કાઢતા! જ્યારે ફ્રેન્ચ ક્રાન્તી પડી ભાંગી અને નેપોલીયન બોનાપાર્ટ ‘શહેનશાહ’ બની ગયો, ત્યારે અમલદારો તરફથી આ ‘નાફરમાન લેખક’ વીક્ટર હ્યુગોની ધરપકડની દરખાસ્ત આવી. નેપોલીયને અમલદારોને ધમકાવી કાઢ્યા હતા. એણે કહેલું કે, ‘હ્યુગો ફ્રાન્સ છે અને ફ્રાન્સ હ્યુગો છે, તમે ફ્રાન્સની ધરપકડ કેવી રીતે કરી શકો?’
આ હ્યુગો પોતે પણ પોતાની લોકપ્રીયતા અને મહત્તા જાણતા હતા. આથી એક વાર તો ગુમાની લાગે તેવું વીધાન તેમણે કરેલું કે : ‘હવે પેરીસ નગરનું નામ બદલીને ‘હ્યુગો’ નગર રાખવું જોઈએ!’ જે વ્યક્તી પોતાને વીશે આટલું બધું ગૌરવ ધરાવવા અને વ્યક્ત કરવા તૈયાર થાય તે કેટલી બધી માનસીક અને નૈતીક તાકાત ધરાવતી હોય! હ્યુગો એ તાકાત ધરાવતા હતા.
અને એ તાકાત એમણે જીન્દગીની ઉત્તરાવસ્થા સુધી કેવી જાળવી રાખી હતી એનું જીવન્ત ઉદાહરણ ‘લે મીઝરેબલ’ છે. હ્યુગોની ફ્રેન્ચ ભાષાની જ નહીં; સમગ્ર વીશ્વની શ્રેષ્ઠ દસ–વીસ નવલકથાઓમાં સ્થાન પામે એવી આ નવલકથા લખવાનું કાર્ય, હ્યુગોએ ૭૮ વર્ષની વયે શરુ કર્યું હતું.
કેટલાક લોકો અમુક ઉમ્મર થતાં જ કશાંયે સર્જનાત્મક કે ઉપજાઉ કામ છોડી દે છે. ઘણાખરા તો સમાજ માટે ભારરુપ બનવા લાગે છે. કેટલાક વળી, અર્થહીન ક્રીયાકાંડો, પોથીપાઠો અને યંત્રવત્ પ્રવૃત્તીઓમાં ખોવાઈ જાય છે. ‘હવે તો મારાથી શું થાય!’ એવા પ્રશ્નો પુછતા થઈ જાય છે. એવા લોકોએ વીક્ટર હ્યુગોની તસ્વીર ઘરમાં લટકાવી રાખવી જોઈએ. તમને સ્વર્ગની કલ્પીત (માયારુપ) સીડી બતાવનાર ‘ગુરુ’ની તસ્વીર કરતાં; હ્યુગોની તસ્વીર વધુ સાર્થક બનશે.
અને તમને હ્યુગોની તસ્વીર ન મળે તો ‘મહાભારત’વાળા ‘વેદ વ્યાસજી’ની તસ્વીર રાખજો. પ્રાચીન વીશ્વની એમની સૌથી મોટી એ કૃતી એમણે રચવા માંડી ત્યારે તે એંશી ઉપરની વયના હતા.
કેટલાક લોકો વળી અમુક વય પછી એમ કહીને રચનાત્મક કામોમાંથી ફારેગ થઈ જાય છે કે, ‘હવે કોને માટે કશુંય કરવું?’ એવા લોકોને માટે ચીનના મહાન ફીલસુફ કન્ફ્યુશીયસની એક પ્રસંગકથા ઉપયોગી બને એમ છે. લો, સાંભળો :
ચીનના એક સમ્રાટ ઘણા ભલા, ઉદાર, દાની અને પરગજુ હતા. એ જરુરતમંદોને સદાય ઉદાર હાથે દાન આપતા, વડીલોની ઉત્તરક્રીયા કે સન્તાનોનાં લગ્ન કે જમીન–મકાનની ખરીદી જેવા હેતુ માટે ધન યાચતાં જે કોઈ આવે એને સમ્રાટ કદી નીરાશ ન કરતા.
ઉદાર અને સમજુ હતા એટલે ચીન્તકો, કવીઓ વગેરેના પણ પ્રશંસક હતા. કન્ફ્યુશીયસ જ્યારે એમના રાજ્યમાંથી પસાર થતા હોય ત્યારે એમને, પોતાને મહેલે રહેવાનો અચુક આગ્રહ કરતા. દીવસો સુધી એમના સત્સંગનો લાભ લેતા. વળી, પોતે કેવાં દાન અને સત્કાર્ય કરે છે એ કન્ફ્યુશીયસ જુએ, એવી ખાસ જોગવાઈ કરતા. સમ્રાટને આશા હતી કે સંતશીરોમણી પોતાના ઉપદેશમાં કે કાવ્યોમાં મારી યશગાથા વણી લે તો હું અમર બની જાઉં.
આવી મનોદશા વચ્ચે એક દીવસે સમ્રાટથી સંતને પુછાઈ ગયું, ‘પંડીતવર્ય, આ જગતમાં સૌથી મોટો દાની તમને કોણ લાગે છે?’
આવો પ્રશ્ન કરીને સમ્રાટ આતુરતાથી સંતના ચહેરા સામે તાકી રહ્યા. એમને પુરી આશા હતી કે સંત મને જ મોટામાં મોટો દાની ગણશે. હું એમની પરોણાગત ખુબ ભાવથી કરું છું. મારાં દાન પણ તેઓ પ્રત્યક્ષપણે જુએ જ છે.
પણ કન્ફ્યુશીયસે તો જવાબ આપવાને બદલે સમ્રાટને સુચવ્યું કે મારી સાથે મહેલની છત પર ચાલો.
બન્ને ચાલ્યા. રાજમહેલ એક ઉંચી ટેકરી પર હતો એની છત ઉપરથી સમગ્ર નગર જ નહીં; ફરતી ખેતરાઉ અને વાડીમય જમીન અને ગોચર વગેરે પણ દેખાતાં હતાં. એમાં એક બાજુ ખરાબાની વગડાઉ જમીન પણ હતી. કન્ફ્યુશીયસે આ ખરાબા ભણી આગળી ચીંધીને સમ્રાટને પુછ્યું, ‘આ તરફ જુઓ : તમને શું દેખાય છે? થોડીક વાર જોયા કરો અને પછી મને કહો.’
સમ્રાટે નજર ખેંચી. ‘અં… ખરાબાની જમીન સાવ બંજર છે. ઘાસનું તણખલુંયે ઉગેલું જણાતું નથી… આ જમીન પર કોઈ માણસ કામ કરતો દેખાય છે. એ વાંકો વળીને, કોદાળી વડે જમીન ખોદી રહ્યો જણાય છે… બરાબર, એ કશોક ખાડો કરતો લાગે છે… અં… ઓહો! એણે આવા તો ઘણા બધા મોટામોટા ખાડા કર્યા છે..! અચ્છા, એક બીજો ખાડો કરીને એ ટટાર થયો… ચાલ્યો… ખરાબાને છેડે એક મોટો ઢગલો અને એની બાજુમાં એક નાની ઢગલી છે.. એ શું હશે ?’
‘મોટો ઢગલો ખાતરનો છે, સમ્રાટ’, કન્ફ્યુશીયસે જણાવ્યું ‘અને નાની ઢગલી કેરીના ગોટલાની છે. એ માણસ ગોટલા વાવી રહ્યો છે.’
‘ઓ… હો… ભારે રુડું કામ કહેવાય!’
‘એ માણસ તમને કેવો દેખાય છે ?’
‘ગરીબ લાગે છે… ઘરડો છે… કમરેથી વાંકો વળી ગયો છે…’
‘સમ્રાટ, આટલે દુરથી એની ઉમ્મર નહીં કળાય; પરન્તુ એ પંચાણું વર્ષનો છે.’ ‘પંચાણું….?’
‘હા, આજે સવારે વગડામાં આંટા મારતો મેં પોતે એને જોયો. મેં એની ઉમ્મર પુછી. એ પંચાણુંનો છે.’
‘તો તો હવે તે થોડા જ સમયમાં જ મરણ પામશે, ખરું ને ?
‘હા ખરું, મરણ પામશે, અને છતાં એ આંબા વાવી રહ્યો છે ! સેંકડો આંબા વાવી રહ્યો છે ! ‘શું આ આંબાની કેરી તે ખાવા પામશે કે?’
‘ના, બનવાજોગ તો નથી અને છતાં એ આંબા વાવી રહ્યો છે. મારા ભલા સમ્રાટ ! મારે મતે જગતનો શ્રેષ્ઠ દાનવીર આ વૃદ્ધ માણસ છે.’
ઉપરના લેખ-કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું– ના લેખક શ્રી યશવંત મહેતા પોતે આજે ૮૦ વર્ષના છે પણ ખુબ જ સક્રિય છે.
૫૦૦થી વધુ પુસ્તકોના લેખક, બાળ સાહિત્યમાં લેખન ઉપરાંત એકલવીર કર્મશીલ બનીને તેઓ કેવું નોંધપાત્ર કામ કરી રહ્યા છે એ શબ્દોનું સર્જન બ્લોગમાંના શ્રી રમેશ તન્નાના નીચેના લેખ ઉપરથી તમને જાણવા મળશે.
ન્યુ જર્સી નિવાસી મારા સહૃદયી મિત્ર અને જાણીતા વાર્તા લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીએ ફાધર્સ ડે નિમિત્તે એમના પૂજ્ય સ્વ. પિતાશ્રી મગનલાલ શાસ્ત્રીને હૃદય દ્રાવક શબ્દોમાં શ્રધાંજલિ આપી છે.
મારા ફેસ બુક પેજ પર મુકેલ આ શ્રધાંજલિ એમના આભાર સાથે અત્રે વિ.વિ. ના વાચકોને શેર કરું છું.– વિનોદ પટેલ
સ્વ. મગનલાલ શાસ્ત્રી
“ફાધર્સ ડે” …. પ્રવીણ શાસ્ત્રી
જાણ્યે અજાણ્યે ઘણાં ફાધર્સ ડે ને દિવસે એની કાર શૂક ફ્યુનરલ હોમ સામેના પાર્કિંગ લોટમાં પહોંચી જતી. એ અવકાશ પ્રમાણે રોકાતો. અતીતને વાગોળતો અને સ્મરણાંજલી સાથે વિદાય લેતો. એ મધ્યમ વર્ગના પિતા મગનલાલનો એક માત્ર જીવીત પુત્ર હતો. હા, એક મોટીબહેન હતી. જ્યારે તે છ માસનો હતો ત્યારે પંદરવર્ષની બહેનના લગ્ન થઈ ગયા હતા. મગનલાલે એનો એક પુત્ર ગુમાવ્યો હતો.એમના ભાઈએ ત્રણ સંતાનો ગુમાવ્યા હતા. એ બાપ કાકા વચ્ચે એકનો એક કુળદિપક હતો.
મગનલાલ પ્રાથમિક શાળાના આદર્શવાદી શિક્ષક હતા. આર્થિક ક્ષમતાની હદબહાર જઈને પણ માબાપ દીકરાની માંગ પુરી કરતા.
એકનો એક હોવાને કારણે પિતા મગનલાલ પ્રોટેકટિવ ફાધર બની ગયા હતા. ‘બાબા! દોડતો નહીં, પડી જશે. ‘ અને બાબો પતંગ પકડવા છાપરે છાપરે કૂદતો હતો.
બાબા! પાણીમાં ન જતો. દીકરો નદી-તળાવમાં ડૂબકી મારતો અને તરતાં તરતાં ખૂબ આઘે નીકળી જતો. માતા પિતાનો જીવ અધ્ધર થઈ જતો. રખડેલ ન્હોતો પણ રખડવાનો શોખ હતો.
બાબાએ કોલેજ પુરી કરી. બીજા શહેરોમાં નોકરીની તકો સારી હતી. પણ ‘ના. તારે તો અમારી નજર સામે જ રહેવાનું છે. બાબાએ સ્થાનિક નોકરી સ્વીકારી લીધી.
બાબાના લગ્ન થયા. બાબો બે બાળકોનો બાપ બન્યો. હવે તે જવાબદારી અને માંબાપની પ્રોટેક્ટિવ ફિલિંગ્સ સમજતો હતો. એટલે જ્યારે યુ.કેનું એમ્પ્લોયમેન્ટ વાઉચર મળ્યું ત્યારે ઘરમાં વાત પણ ન્હોતી કરી. કોઈક મિત્રે ઘરમાં જણાવ્યું. આ વખતે કાકાએ ભાઈ ભાભીને સમજાવ્યા. બાબો યુ.કે. ગયો. યુ.કે થી અમેરિકા આવ્યો.
બાએ ટૂંકી માંદગી ભોગવી વિદાય લીધી. બાબો સમજાવીને પિતાને અમેરિકા લઈ આવ્યો. ત્યાર પછી બહેન ભાણજા અને સાસરાના સગાઓ પણ આવી ગયા. સુખદ પરિવારનો સાક્ષાતકાર અનુભવ્યો.
આખી જિંદગી સાંધેલું ધોતિયું લાંબો કોટ અને માથે કાળી ટોપી પહેરીને ફર્યા હતા. ‘બાપુજી તમે પાયજામો કફની પહેરોતો તમને વધારે અનુકૂળ રહેશે.’
‘આટલા વર્ષે હવે વસ્ત્ર પરિવર્તન? ભલે! તમે કહો છો તો પહેરી જોઈશ.’ અને તેમનેફાવી ગયું.
એમને પારકિન્સન હતો. હાથ ધ્રુજતા. હાથે કોઈ પણ વસ્તુ પકડવાની તકલીફ હતી.
પુત્રવધૂએ કહ્યું, ‘હું નોકરી છોડી દઉં.‘
‘ના તમારે બાળકો મોટા કરવાના છે. મારી ચિંતા કરશો નહીં.’
એમને માટે એક મોટી કથળોટમાં લંચ રખાતું. પકડાય એવા થર્મોસમા ચ્હા રખાતી. મોટા બાઉલમાં તેઓ ચ્હા રેડતા અને પી લેતા. છોકરા વહુને જરાયે અગવડ કે મુંઝવણ ન થાય તેની સતત કાળજી રાખતા. સાંજે રસોઈ કરતી વહુને કિચનમા બેસીને કંપની આપતા. સવારે એકલા હોય ત્યારે રૂદ્રાભિષેકના વેદોક્ત મંત્રો બોલતા. પૌરાણિક મંત્રોથી પ્રાર્થનાઓ કરતા.
પુત્રને કહેતા: ‘ સઘળા વેદ અને ગીતાનો સાર ઈશોપનિષદ્માં છે. સમય મળે સમજીને પઠન કરતો રહેજે. પિતામહ પાસે તેઓ શુક્લ યજુર્વેદની સંહિતા ભણ્યા હતા.
ઈશોપનિષદ્ યજુર્વેદ સંહિતાનો ચાળીસમો અધ્યાય છે. આજ્ઞા ન હતી. માત્ર સુચનજ હતું.
સંતોષથી સમય પસાર કરતા હતા. એમને ઘરમાં દરેકે દરેકની બર્થ-ડે ઉજવાય તે ગમતું. એમની પણ બર્થ-ડે ઉજવાતી.
પુત્ર કહેતો ‘એંસી રન થયા છે. હજુ સેન્ચ્યુરીમા વીસ બાકી છે. સાચવીને રમત ચાલુ રાખજો.’
એ હસીને કહેતા. ‘હવે બાઉન્ડ્રી મારવાની તાકાત નથી. એક એક રન માટે દોડવું પડશે.’
વાર્તાલાપ ચાલુ રહેતો.
‘હવે ઓગણીસ બાકી છે.’
‘હવે અઢાર બાકી છે.’
હવે કેલેન્ડરના પાના ફાડવામાં શ્રમ વર્તાતો હતો.
મગનલાલ બિમાર પડ્યા. શરીર ગળાતું ગયું. નિદાન થયુ “મલ્ટિપલ માયલોમા”…. કેન્સર…. ઈન્ડિયન ડોકટરે અંગત સલાહ આપી. ‘હોસ્પિટલને બદલે ઘર લઈ જાવ. એમને માટે બહુ સમય રહ્યો નથી. એમને રાહત રહે અને આન્ંદ થાય એ રીતે દિવસો પસાર કરો.’ પેટ અને પીઠ એક થઈ ગયા હતા. લોહીની ઉલટી થઈ હતી. ખોરાક બંધ થયો હતો. ચમચીથી પાણી પવાતું હતું.
નિર્વસ્ત્ર શરીર પર એક માત્ર એડલ્ટ ડાયપર જ હતું. બહાર જુનની ગરમીનો આંક સેન્ચ્યુરી પર પહોંચવા પ્રયાસ કરતો હતો. પણ બાપુજીને ત્રણ બ્લેંકેટ ઓઢાળવા પડ્યા હતા.
બાપુજી હજુ સત્તર બાકી છે………
દર્દની પીડા થોડી ક્ષણ માટે અદ્રશ્ય થઈ ગઈ. એઓ હસ્યા.
તને એ ન દેખાય… સામે પાડા પર બેઠેલો બોલર વિકેટ પાડીને જ રહેશે.
પુત્ર અને પૌત્ર સામે જોયા કર્યું.
“તમારે કાંઈ કહેવું છે?”
“બાબા સાચવીને ડ્રાઈવ કરજે… અને તારા એકના એક દીકરાની કાળજી રાખજે.” પ્રોટેક્ટિવ ફાધરના એ છેલ્લા શબ્દો હતા.
એ ૧૯૮૬ના જુન મહિનાનો ‘ફ્રાઈ-ડે ધી થરટીન હતો.
એ રવિવાર……૧૫ જુન ૧૯૮૬ નો ફાધર્સ ડે.
રવિવારે ફાધર્સ ડે ને દિવસે એઓ ક્લિફટનના ‘શૂક ફ્યુનરલ હોમ’માં સૂતા હતા.
ત્યાર પછી દીકરા પ્રવીણે ૨૦૦૨મા ૨૫મી નવેમ્બરે, બેન્ક્વેટ હોલમાં સ્વજનો સાથે એમની જન્મ શતાબ્દી ઉજવી હતી. * પિતાશ્રી મગનલાલ શાસ્ત્રીને હાર્દિક શ્રદ્ધાંજલી
સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયો… માંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં.
આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ જ હેતથી રમણિકલાલના હાથ પકડી લીધા.જ્યોતિ સિસ્ટરે ડોકું ધીમેથી હલાવીને ‘હવે વધુ સમય નથી…’ નો મૌન સંદેશો દીકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો.
રમણિકલાલના મોં પર આજે દસ દિવસે કંઈક નવો સંતોષ હતો. લગભગ બે કલાક સુધી આમ ને આમ દીકરા અને બાપ વચ્ચે એક પણ શબ્દ વગરની ઘણી બધી ચર્ચા થઈ. બંનેમાંથી કોઈ હાલ્યું નહીં. હવે રાતના અગિયાર થયા હતા. વોર્ડમાં છૂટા છવાયા ઉંહકારા અને ઉધરસ સિવાય શાંતિ હતી.
ઘણા સમયથી પિતાનો હાથ પકડીને બેઠેલા દીકરાને જોઈને સિસ્ટરે દીકરાને બહાર બાંકડે જઈને આરામ કરવાની સલાહ આપી. દીકરાએ ફક્ત ડોકું ધુણાવ્યું અને ફરીથી એક હાથે પકડેલા પિતાના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.
લગભગ બે કલાક બાદ અચાનક જ એક નાનકડો પરંતુ કંઈક જુદો જ અવાજ સંભળાયો અને દીકરાના હાથમાં પકડેલ બાપનો હાથ નિર્જીવ બની ગયો. દીકરાએ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી. કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણિકલાલના અચેત શરીર પરથી ઑક્સિજન માસ્ક અને બીજા યંત્રો દૂર કરવા માંડ્યા.
જ્યોતિ સિસ્ટરે માનવતા બતાવતા દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું :‘ઈશ્વર જે કરે છે તે ભલા માટે જ કરે છે. ઘણા વખતથી બિચારા એકલા એકલા રિબાતા હતા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આમ તો ઘણા સારા માણસ હતા…
’તે પાછળ ફરીને બોલ્યો : ‘હા, લાગ્યું જ કે કોઈ સારા માણસ હતા. પરંતુ તેઓ કોણ હતા ?
સિસ્ટર આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યાં : ‘અરે ! શું વાત કરો છો ? હોશમાં તો છો ને ? આ તમારા પિતા હતા.’
ખૂબ સ્વસ્થતાથી તેણે જવાબ આપ્યો : ‘ના, હું એમનો દીકરો નથી. મારા પિતાજી તો મારી ઘરે છે. હા, કદાચ હું આ કાકાના દીકરા જેવો થોડો દેખાતો હોઈશ. હું તો અહીં હોસ્પિટલના ઑપરેશન થિયેટરનું જનરેટર ઈમરજન્સીમાં ઠીક કરવા માટે રાત્રે આવ્યો હતો. હું કામ પતાવીને રિસેપ્શન પર આવ્યો અને મારું નામ કહ્યું તો આપ મને અહીં લઈ આવ્યા.
પહેલાં તો મને લાગ્યું કે આપ મને ચેક અપાવવા માટે ડૉકટર સાહેબ પાસે લઈ જાઓ છો. પરંતુ તમે તો મારી ઓળખાણ આ કાકાના દીકરા તરીકે કરાવી ! ખબર નહીં કેમ, પરંતુ મને થયું કે મને જેટલી ચેકની જરૂર છે તે કરતાં આ કાકાને મારી વધારે જરૂર છે.
ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ એમણે મને પોતાનો દીકરો માની લીધો. તમે નહીં માનો સિસ્ટર, પણ છેલ્લા ચાર-પાંચ કલાકમાં મેં એમની સાથે કંઈ કેટલીયે વાતો મૌનથી કરી. ચાલો, કંઈ નહીં તો મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય તો ઈશ્વરે મને આપ્યું.
ડૉકટર સાહેબને કહેજો કે મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાંથી આ કાકાનું બિલ ભરી દે.’
આમ કહીને બે હાથ જોડીને રમણિકલાલના શબને પ્રણામ કરી તે યુવાન ચાલતો થયો.એક અજબ આશ્ચર્ય સાથે જ્યોતિ સિસ્ટર એને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નિર્જીવ શરીર પર પડી.
ત્યાં બધું જ મૃત્યુ પામેલું હતું. ફક્ત જીવંત હતું તો પેલું સંતોષનું સ્મિત…
વાચકોના પ્રતિભાવ