આપણે એક સાથે ચાલીએ; એક સાથે બોલીએ; આપણું મન એક બને.‘યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. ચાલો, આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”
યોગ મૂળભૂત રીતે એક આધ્યાત્મિક શાખા છે. જે એક અત્યંત સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત છે. તેનો મુખ્ય હેતુ શરીર અને મન વચ્ચે સમન્વય લાવવાનો છે. તે સ્વસ્થ જીવન જીવવા માટેની એક કલા તથા વિજ્ઞાન છે. યોગ શબ્દ સંસ્કૃતની મૂળ ‘યુગ ધાતુ માંથી મળે છે. જેનો અર્થ જોડવું, બાંધવું કે સંગઠિત કરવું એવો થાય છે. યોગ-શાસ્ત્રો અનુસાર યોગના અભ્યાસ દ્વારા વ્યક્તિગત ચેતનાનું સર્વવ્યાપક ચૈતન્ય સાથે સંમિલન થાય છે. આધુનિક વૈજ્ઞાનિકો અનુસાર બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ એક જ આકાશ પરિમાણની અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ આ અસ્તિત્વના ઐક્યનો અનુભવ કરે છે, તે યોગી છે અને યોગી એ કહેવાય કે જેણે એક્યતાની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી છે અને તે સ્થિતિને મુક્તિ, નિર્વાણ, કેવલ્ય અથવા મોક્ષ કહે છે. ‘
યોગ’ આાંતરિક વિજ્ઞાન પણ છે. જેમાં એવી વિભિન પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેના દ્વારા મનુષ્ય શરીર અને મન વચ્ચે સામંજસ્ય/સંવાદિતા મેળવીને આત્મસાક્ષાત્કાર કરી શકે છે. યોગસાધનાનું લક્ષ્ય તમામ પ્રકારની પીડાઓ અને કષ્ટો દૂર કરવાનો છે. જેથી જીવનના દરેક સ્થળે સ્વતંત્રતાનો અનુભવ, સુખ અને સંવાદિતા પ્રાપ્ત થાય છે.
તાજેતરમાં થયેલ તબીબી અભ્યાસ જણાવે છે કે યોગ દ્વારા શારીરિક માનસિક ઘણા ફાયદા થાય છે. અને આ ફાયદા નિયમિત યોગાભ્યાસ કરનારામાં જણાયા છે.
આવા જ અમુક તબીબી અભ્યાસ જણાવે છે કે…
યોગ શારીરિક તંદુરસ્તી, સ્નાયુની મજબૂતી અને હૃદયની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે.
યોગ ડાયાબિટીસ, શ્વસનતંત્રના રોગ, લોહીનું ઊંચું-નીચું દબાણ તથા જીવનચર્યાને લગતા રોગોમાં લાભદાયી છે.
યોગ તનાવ, થાક, ચિંતા વગેરે ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.
યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે; જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
યોગ વ્યક્તિના શરીર, મન, લાગણી તથા ઉર્જાના સ્તરો પર કામ કરે છે. આથી યોગના ચાર મુખ્ય વર્ગીકરણો થયા છે : કર્મયોગ, જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાનયોગ, જ્યાં આપણે મન/બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિયોગ, જ્યાં આપણે લાગણીનો ઉપયોગ કરીએ છીએ. ક્રિયાયોગ, જ્યાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આપણે યોગની જે કોઇ પદ્ધતિ અનુસરીએ છીએ તે આમાંથી કોઇપણ એક વગીકરણમાં જ સમાવિષ્ટ થાય છે.પ્રત્યેક વ્યક્તિ આ ચાર પરિબળોનું એક અનન્ય સંયોજન હોય છે. માત્ર એક ગુરુ જ જિજ્ઞાસુ માટે આવશ્યક એવા આ ચાર માર્ગોના યોગ્ય સંયોજન/શિક્ષણની હિમાયત કરી શકે છે. યોગ પરનાં તમામ પ્રાચીન ભાષ્યોએ ગુરુના માર્ગદર્શન નીચે કામ કરવાની જરૂરિઆત પર ભાર મૂક્યો છે.
યોગાસનોના અભ્યાસ માટે વિશેષ સૂચનો
અભ્યાસની શરૂઆત ઇષ્ટદેવ અથવા ગુરુદેવનું સ્મરણ કરી પ્રાર્થનાથી કરવી જોઇએ.
આસનોનો અભ્યાસ શ્વાસના વિશિષ્ટ ક્રમ અનુસાર વિધિમાં દર્શાવ્યા મુજબ કરવો જોઇએ.
ખોટી ઉતાવળ ન કરવી જોઇએ. ઉતાવળ અથવા બળજબરી કરવાથી શરીરને નુકશાન થવાથી પૂરી સંભાવના છે.
સામાન્ય રીતે યોગાસનોના અભ્યાસ દરમ્યાન આાંખો બંધ રાખવી જોઇએ. આાંખો બંધ હોય ત્યારે પણ વિધિમાં દર્શાવ્યા મુજબ દષ્ટિને સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઇએ. કેટલાંક આસનોમાં આંખ ખૂલ્લી રાખવાની પણ સૂચના હશે, તે આસનોમાં સમતોલન જાળવવાનું હોય તેમાં જો દષ્ટિ બંધ રાખવાની સૂચના હોય તો પણ શરૂઆતમાં અભ્યાસ દરમ્યાન દષ્ટિ ખૂલ્લી રાખી શકાય, જેથી સમતોલન ગુમાવી પડી જવાનો ભય ન રહે.અભ્યાસ દરમ્યાન ચોક્કસ સમય અને નિયમિતતા જાળવવાં જોઇએ.
અભ્યાસ પૂરો કર્યા પછી થોડી મિનિટ સુધી શવાસનમાં શિથિલીકરણ કરીને આરામ કરવો જોઇએ એનાથી થાક દૂર થાય છે.અભ્યાસ શાંતિપાઠ કરીને પૂર્ણ કરવો જોઇએ.
યોગ વિષયક પારિભાષિક શબ્દો
યોગનો અભ્યાસ કરતાં પૂર્વે કેટલાક પરિભાષિક શબ્દો સમજવા જોઇએ. એવા શબ્દો અને તેમનાં અર્થો નીચે દર્શાવ્યા મુજબ છે.
બાહ્યકુંભક : રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા.
પ્રણવ મુદ્રા : કુંભક કરવા માટે જમણા હાથની પ્રથમ બે આંગળીઓને હથેળી તરફ વાળીને જમણા અંગૂઠાથી જમણું નાસાપુટ બંધ કરવાથી બનતી મુદ્રાને ‘પ્રણવ અથવા ઓમકાર મુદ્રા’ કહેવામાં આવે છે.
સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ પ્રથમ આાંગળીને ‘તર્જની’, બીજી આંગળીને ‘મધ્યમા’ , ત્રીજી આાંગળીને ‘અનામિકા’ અને ચોથી આાંગળીને ‘કનિષ્ઠકા કહેવામાં આવે છે. જ્ઞાનમુદ્રા : હાથની તર્જનીનું અને અંગૂઠાનું ટેરવું પરસ્પર અડકાડીને બાકીની આંગળીઓ સીધી રાખવાથી જ્ઞાનમુદ્ર બને છે. આ જ્ઞાનમુદ્રા જમણા હાથ વડે કે બનને હાથ વડે પણ થઇ શકે છે.
આસન-પ્રાણાયામના અભ્યાસ દરમ્યાન વસ્ત્રો પહોળાં, ઢીલાં અને ઓછાં પહેરવા જોઇએ, જેથી મુક્ત રીતે હલનચલન થઇ શકે.અભ્યાસ દરમ્યાન પસીનો થાય તો સ્વચ્છ વસ્ત્ર અથવા રૂમાલથી લૂછી નાખવો જોઇએ.અભ્યાસ પૂરો કર્યા પછી લગભગ ૨૦-૩૦ મિનીટ પછી, સહેજ હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઇએ.
કવિયત્રી યામિની વ્યાસ ગુજરાતી બ્લોગ વિશ્વનાં જાણીતાં બ્લોગર ,ભાવક અને નીરવ રવે બ્લોગનાં સંપાદક મારાં પરમ વિદુષી મિત્ર સુ.શ્રી પ્રજ્ઞા જુ. વ્યાસનાં દીકરી છે.
પ્રજ્ઞાબેન તરફથી મને ઈ-મેલમાં પ્રાપ્ત યામિનીબેનનું ગુજરાતી કાવ્ય, ”રોટલીના લોટમાં” એનો આસ્વાદ અને વિડીયો મને ખુબ ગમી ગયાં.આ ત્રણ સાહિત્ય પ્રિય પ્રતિભાઓના આભાર સાથે આજની પોસ્ટમાં એને નીચે પ્રસ્તુત છે.
આશા છે આપને એ ગમશે.આપનો પ્રતીસાત જરૂર જણાવશો.
વિનોદ પટેલ
કવિયત્રી યામિની વ્યાસનો પરિચય ..
ફોટો સૌજન્ય .. ફેસબુક
અગાઉ વિનોદ વિહારની તારીખ 2015/09/08 ની પોસ્ટમાં ..
સૂરતના કવિયત્રી યામિનીબેન વ્યાસની આ ગઝલ આજે ફેસબુક પર વાંચી, તો પહેલાં તો મનમાં થયું, કોમેન્ટરૂપે “વાહ” લખીને, લાઇક કરીને આગળ વધી જઉં. પણ, મારે તો એવું છે ને કે, મન કહે એથી કાયમ ઉલ્ટું જ હું કરું.! કેમ કે, હું મનમોજી નહીં પણ દિલખુશ માણસ છું.! એટલે બહુધા હું દિલનો દોર્યો જ ચાલુ, એટલે આ ગઝલને ત્યારે મારાં lappyમાં લીંપી લીધી ‘ને હવે અત્યારે આ આસ્વાદ લખવા બેઠો છું.
યામિનીબેન વ્યાસનો મારો પ્રથમ પરિચય એટલે એ મારાં લેખક–અનુવાદક અને કટારલેખક મિત્ર પરેશ વ્યાસના સગા બેન થાય, એ નાતો, પણ યામિનીબેનનો યાદગાર પરિચય તો ગત અસ્મિતાપર્વ–18માં કાવ્યાયનની બેઠકમાં, ભરબપોરે, સાત સુંદર કવિયિત્રીઓનું સપ્તરંગી મેઘધનુષ જે ખીલ્યું હતું, એ મેઘધનુષમાંના એક રંગ લિસોટા એટલે યામિનીબેન. અસ્મિતાપર્વ-18ની કાવ્યાયનની એ બેઠક આંખોથી નિહાળવી અને કાનથી સાંભળવી ગમે એવી અન્નન્ય બેઠક હતી.!
આ ગઝલ અને આ અગાઉ પણ અનેક કાવ્યોમાં સર્જક સ્વયં જ્યારે માદા હોય, ત્યારે જે નારીભાવ સંવેદન અભિવ્યક્ત થાય છે, એવાં નારીભાવોનું પ્રકટીકરણ કદી નર સર્જક દ્વારા નથી થઇ શક્યું. કવિઓ દ્વારા નારીભાવોને વ્યક્ત કરતા અનેક ગીતો આપણને ગુજરાતી કવિતામાં મળે, પણ જે ભાવો એક સર્જક તરીકે નારી પોતે જ રજુ કરે, એ મને વધારે ઊર્મિસભર અને અધિકૃત લાગ્યા છે. કેમ કે, એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. કેટલાંક ઇલાકા મા કા ઇલાકા હોય છે. આ ગઝલમાં પણ “રોટલીના લોટમાં” એવાં નવ્ય રદીફ સાથે કવિયિત્રી એના ભાવપ્રદેશને અને જીવનબોધને આઠ શેરો દ્વારા આપણી સમક્ષ ખુલ્લો મૂકી દે છે. રોટલીના લોટનું પ્રત્યેક શેરમાં અલગ-અલગ રૂપક આ ગઝલનું ઉદ્દીપક બની રહે છે. એટલે એ અર્થમાં આ ગઝલને મુસલસલ ગઝલ કહી શકાય.
જો કે, આ ગઝલમાં આઠને બદલે નવ અથવા તો આઠને બદલે સાત શેર હોત તો આ ગઝલને મુક્કમ્મલ ગઝલ પણ કહી શકાઇ હોત. ખૈર, આ તો ગઝલના છંદશાસ્ત્રનો મુદ્દો છે. પણ ઊર્મિ અને ભાવનો મુદ્દો તો શાસ્ત્રથી જુદો છે. શાસ્ત્રની સીમારેખા જ્યાં થંભે છે, ત્યાંથી જ તો ભાવનો પ્રદેશ આરંભાય છે. તો ચાલો ગઝલના એક પછી એક શેરને તપાસીએ.
પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં
મત્લાના શેરના પહેલા મિસરામાં જ નારીના ભાવોનું સર્જનાત્મક પ્રકટીકરણ જોવા મળે છે. અહીં “પરખાવી દીધી” શબ્દો મહત્વના છે. એક કુશળ કસબી તસ્બીહ ફેરવતા-ફેરવતા આપણને રોશન-નૂરના દર્શન કરાવી દે, એવી વાત અહીં સરળ શબ્દોમાં કરવામાં આવી છે. “પરખાવી દીધી” એટલે કે “જેની મને ઓલરેડી પરખ છે, એ પરખને અન્ય કોઇને બોધ કરાવવાની, પરખાવવાની અહીં વાત છે. “પારખવા” માટે સમજણ જોઈએ, પણ “પરખાવવા” માટે તો કૌશલ્ય જોઈએ. જે અહીં સફળતાપૂર્વક વ્યક્ત થયેલું જોવા મળે છે. પરખાવવાની આ બિના પણ કોઇ નાની સુની નથી. અહીં તો પ્રીત પરખાવી દીધાની વાત છે. આ સૌથી કઠીન કામ છે. કોઇને પ્રેમ કરવો એકદમ સરળ છે. પણ એને પણ પ્રેમ કરતો કરી દેવો એકદમ કઠીન છે. ત્યારે પ્રથમ મિસરામાં જ “પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં” એમ બોલીને નાયિકા અહીં પોતાના પ્રેમસભર હાથોનો સ્પર્શ પામીને તૈયાર થઇ રહેલો રોટલીનો લોટ, નાયકને યાર અને પ્યાર બનાવી મુકે છે, એ સુપેરે રજુ થાય છે. પણ પ્રીત પરખાવવાની આ મથામણમાં નાયિકા કેટલું સહન કરે છે? એનો ક્યાસ આપણને શેરના બીજા મિસરામાં મળે છે. “જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં.” અહીં લોટના પ્રતીક દ્વારા નાયિકા, પોતે રોટલીનો લોટ ગુંદવામાં કેટલી ઓતપ્રોત બની ગઇ છે, એની વાત છે. એક-એક રોટલી વણતી વખતે રોટલી ઉપર જે લોટ ભભરાવવામાં આવે છે, એ અહીં લોટ ન રહેતાં સ્વયં નાયિકા બની જાય છે. આખી જાત, આયખું, સમગ્ર અસ્તિત્વને પ્રેમની ચક્કીમાં પીસી-પીસીને લોટ બનાવી નાખીને, જ્યારે રોટલી બનાવવામાં આવે ત્યારે ખરાં અર્થમાં પ્રીતની સ્વયંને પરખ અને પ્રીતને, પ્રિયને પરખાવી શકાય છે. અહીં પ્રેમના માર્ગે જો ઓચિંતું અંધારું થાય તો હાથ સળગાવીને અજવાળું કરવાની તૈયારી રાખવી પડે એની વાત છે.
જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલના આ પ્રથમ શેરમાં કવિયિત્રી તત્વચિંતકની અદાથી વર્તનમાં પરિવર્તન લઇ આવો, તો એના લાભાલાભની વાત સરળ બાનીમાં કરે છે. સાથે-સાથે એ વાતનો સંકેત પણ આપી દે છે, કે નાયકનો મિજાજ ગરમ છે. એણે એના વાણી-વર્તનમાં સુધારો લાવવાની જરૂર છે. અહીં “તો તું ખીલી શકે” એવી શરત મૂકીને કવિયત્રી એ હકીકત સાબિત કરે છે, કે જે “ખુલી શકે” એ જ ખીલી શકે, અને ખુલી જવા માટે નરમ બનવું પહેલી શરત છે. આ વાત રોટલીના નાના-શા ગોળ પીંડાને વેલણ દ્વારા ગોળ આકાર આપીને, ખીલતા પુષ્પની ઉપમા દ્વારા કાવ્યમય રીતે કવિયિત્રી જોડી આપે છે. કાંટાઓના નસીબમાં કદી ખીલવાનું નથી લખેલું હોતું. એ જ રીતે કઠણ લોટના નસીબમાં સુરેખ ગોળ ફૂલકા રોટલી બનવાનું નથી લખેલું હોતું. એટલે પ્રેમભાવ માટે સ્વભાવ નરમ રાખવો એ પૂર્વશરત છે.
આવશે હમણાં અને ‘એ’ પૂછશે કે “કેમ છે?” યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલના આ બીજા શેરમાં નાયિકાનો અપેક્ષાભાવ નિરૂપાયો છે. નાયિકાના મનની મુરાદ વ્યક્ત કરવામાં આવી છે. પણ આગળના શેરમાં જ નાયકના ગરમ મિજાજનો નિર્દેશ કરીને કવિયિત્રી આપણને વિચારતા કરી મુકે છે કે, શું ખરેખર નાયક આવીને નાયિકાના હાલ-હવાલ અને વહાલનો હવાલો લેશે? નાયિકાના ખબર અંતર પૂછશે? આવા અરમાન અને ભૂતકાળમાં માણેલી કોઇ સુખદ યાદને મમળાવતા, નાયિકા રોટલી વણવામાં મશગુલ છે. એને હવે નાયકના વર્તનમાં પરિવર્તનની ઉમેદ છે. પણ આ ઉમેદની સાથે “યાદ મમળાવવાની” વાત કરીને કવિયિત્રી અહીં સર્જનાત્મક રહસ્ય ખડું કરે છે.
એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા ! આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલના આ ત્રીજા શેરમાં એ રહસ્ય છતું થાય છે. નાયક સાવ ક્ષુલ્લક વાતમાં નાયિકાને તતડાવી નાખે છે, એવાં કોઇ દુખદ પ્રસંગની યાદ, નાયિકાને લોટ બાંધતા યાદ આવી જાય છે. એટલે એ નાયકને સન્મુખ તો નહીં, પણ એકલી-એકલી ફરિયાદ કરે છે કે, તેં દિવસે સાવ નાની અમથી વાતમાં મને એ કેટલું વઢયા હતાં. એમ યાદ કરીને આંખો છલકાવી દે છે. અહીં નાયિકાનો ભીતરી ભાવ એવો છે કે, નાયકના આગમન પહેલા હું જ મને એકલી-એકલી ફરિયાદ કરીને મારાં રોષને ઓસરી જવા દઉં. નાયક જયારે આવે ત્યારે ચહુંઓર ચાહત અને મહોબ્બત જ હોય, કોઇ ગિલા-શિકવામાં આ વખતે સમયને બરબાદ નથી કરવો. એટલે લાવ હું જાતે જ આંખ છલકાવી હૈયું હળવું કરી લઉં.
લોટ, પાણી, મોણ, ‘મા’નું વ્હાલ…આ છે રેસિપી, રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલનો આ ચોથો શેર વ્હાલની રેસિપી બતાવે છે. શતરૂપા નારીના ૧૦૦ રૂપમાંથી એક રૂપ “અન્નપૂર્ણા”નું છે. જે નારી રસોઇ બનાવે છે, એ બહેન, ભાભી, દીકરી, મા કે પત્ની – ગમે તે હોય, પણ એ જેટલો સમય રસોડામાં હોય છે – એટલો સમય તો એ “માનું વ્હાલ” હોય છે. એ મા-સ્વરૂપા હોય છે. જે રીતે લોટ-પાણી અને મોણ, ગુંદાય-ગુંદાયને એકમેકમાં ઓતપ્રોત બનીને સમાઇ જાય છે એ જ રીતે માનું વ્હાલ પણ પ્રત્યેક રોટલીમાં એકરસ, એકરૂપ બનીને સમાઇ જતું હોય છે. એને જીવનપર્યંત પછી જુદું નથી પાડી શકાતું. અહીં નાયિકા આ વખતે એવી રોટલી બનાવવાની મથામણમાં છે કે, જેવી રોટલી નાયકની મા બનાવીને નાયકને ખવડાવતી હતી. માના વ્હાલની આ રેસિપી, આજે નાયક આવે તો એને બતાવી દેવી છે, એવાં આત્મવિશ્વાસ સાથે એ રોટલી વણી રહી છે.
ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો ! હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલનો આ પાંચમો શેર ચોથા શેરના અનુસંધાન રૂપે હોય એવું તરત જણાય આવે છે. સ્ત્રી જયારે કોઇને દિલથી ચાહતી હોય છે, ત્યારે એ એની મા બની જતી હોય છે. જ્યારે કોઇ સ્ત્રી તમને વાત-વાતમાં “જમી લીધું” “શું જમ્યાં?” એવાં તમારાં ભોજન વિષયક સવાલો કરે તો સમજી લેવું કે, એ સ્ત્રી તમારાં પ્રેમમાં છે. અહીં નાયિકા પણ રોટલી વણતા-વણતા, રોટલીને તાવડીમાં શેકતા-શેકતા, મમતાળુ માવડી બનીને, નાયકની ચિંતા કરે છે કે, આ બહાર ધોધમાર મેહુલો વરસે છે. આવા ઠંડા વાતાવરણમાં નાયકને કકડીને ભૂખ લાગી હશે. તો લાઉં મારાં હેતની હુંફ આ ગરમ-ગરમ રોટલીમાં ઉમેરી દઉં.! અહીં ભૂખ, ધોધમાર વરસાદ, રોટલીના લોટમાં સરકતી હુંફ જેવા પ્રતીકો શૃંગારરસનો પણ નિર્દેશ કરે છે. અહીં માત્ર હોજરીની ભૂખ ભાંગવાની વાત નથી. પણ નાયકની આવા રોમાન્ટિક માહોલમાં હાજરી સાંપડે એટલે શરીરની ભૂખ પણ ભાંગવાની વાત છે. રોટલીનું ટોનિક જાણે કે પ્લેટોનિક લવની પણ ઔષધિ અને લવની અવધિ બની જાય – એવા ભાવ સાથે નાયિકા એક-એક રોટલીમાં હુંફની ફૂંક મારતી જાય છે.!
હેડકી આવે સતત જયારે કણક બાંધું છું હું ‘રાહ’ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલનો આ છઠ્ઠો શેર પ્રમાણમાં નબળો અને સમગ્ર ગઝલના ભાવનિરૂપણમાં આગંતુક હોય એવો લાગે છે. કણક એટલે જાડો, ભરભરીયો લાપસી-ભાખરીમાં વપરાય એવો લોટ. અહીં રોટલીનો લોટ બાંધતી વખતે, કણક બાંધવાની વાત અને કણક સાથે જોડાયેલી કોઇની યાદનું હેડકીના રૂપે પુનઃસ્મરણ, અને એને લઈને કોઇ દિશા સુચનની વાત. આ શેરનો સાની મિસરા તો હજી પણ ચાલી જાય એવો છે. પણ ઉલા મિસરા તો સાવ નબળો છે. “રાહ જન્માવી દીધી મેં રોટલીના લોટમાં” એ તો તદ્દન અતાર્કિક અને સમગ્ર ગઝલના ટેમ્પોમાં વગર ટીકીટે ચડી બેઠો હોય એવો પ્રવાસી શેર છે.!
આમ તો છે રોજનું આ કામ ‘યામિની’ છતાં સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં
ગઝલનો આ છેલ્લો મક્તાનો શેર સમગ્ર ગઝલમાં શિરમોર શેર છે. અહીં રોજ-રોજ રોટલી વણવાની ક્રિયા એના પુનરાવર્તનથી પણ નાયિકાને કંટાળો નથી આપતી. અહીં પ્રત્યેક પુનરાવર્તન, પ્રેમનું એક નવ્ય આવર્તન બનીને આવે છે. જેને કારણે નાયિકાની પ્રત્યેક સાંજ હરખની હેલી બની જાય છે. રોટલીનો લોટ બાંધવાની પ્રકિયામાં એકવિધતા ભલે હોય, પણ નાયિકાના મનોજગતમાં દરેક વખતે ભાવોની વિવિધતા છે. એટલે નાયિકા નિરંતર નવ્ય ભાવ સંવેદનને રોટલી સાથે વણી જાણે છે.
નારીના હાથનો સ્પર્શ પુરુષને ચોવીસ કલાકમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક રૂપે મળે છે. પુરુષના જીવનનું ચાલક અને સંચાલકબળ જ સ્ત્રીના આ સ્પર્શની હાજરી છે. રોટલીથી માંડીને, નારીની પ્રેમાળ હથેળીઓમાં ધોવાતાં આંતરવસ્ત્રો, તૂટી ગયેલા ગાજ-બટનને સોઇથી સાંધતી આંગળીઓ, દોરાને દાંતમાં દબાવીને રસભીનો કરતા ટેરવાં અને રોજ સંકેલાતા વસ્ત્રો – જીવનના અનેક રહસ્યોને ઉકેલી નાખતા હોય છે. આજે તો હવે ઘરમાં ઘરઘંટીથી માંડીને આટામેકર, વોશિગ-મશીનથી માંડીને સિલાઈ મશીન અને વેક્યુમક્લીનરથી માંડીને ડીશવોશર જેવા ઉપકરણો આવી ગયા છે – એટલે હવે તો રોટી-કપડાં ઔર મકાન અને બરતનમાં અને વર્તનમાં દિવસે ને દિવસે નારીનો સ્પર્શ દુર્લભ બનતો જાય છે – ત્યારે યામિનીબેન આવી સરસ ગઝલ લઈને આવે છે – એ જગતમાં પ્રેમ અને હુંફ હજી સાબૂત છે એની સાબિતી આપે છે. યામિનીબેનને અનેક-અનેક ધન્યવાદ.
આ સાથે મારાં હમઉમ્ર મિત્રોને મને કહેવાનું મન થાય કે, અઠવાડિયે એકવાર લોટ ગુંદીને વાંકીચુકી રોટલી ન બનાવો તો કાંઈ નહીં, પણ અઠવાડિયામાં એકવાર તમારી પત્નીની સાડી, ચૂડીદાર, બ્લાઉઝ, પેટીકોટ અને અન્ડર વિયર્સને તમારા પ્રેમાળ હાથે સંકેલીને કબાટમાં ગોઠવવાનો પ્રયોગ કરવા જેવો છે. એમાં આનાભારેય નુકસાન નથી. ફાયદા હી ફાયદા હૈ.!!!
– ઇલિયાસ શેખ
વિડીયોમાં કાવ્ય પઠન .. યામિની વ્યાસ
યામિનીબેન એક યશસ્વી કવિયત્રી અને નાટ્ય કલાકાર તો છે જ એની સાથે એક આદર્શ ગૃહિણી છે. આ વિડીયોમાં યામિનીબેનને એમના રસોડામાં રોટલી બનાવતાં બનાવતાં એમના કાવ્ય ‘રોટલીના લોટમાં’ ની રજૂઆત કરતાં જોઈ શકાય છે.ગૃહિણી તરીકેની ફરજો બજાવે છે પણ મુખે તો કવિતા રમે છે !ગૃહિણી પદ અને કવિતા જાણે સાથે વણાઈ ગયાં છે !
વિડીયો સૌજન્ય … સાહિત્ય દર્શન Published on May 10, 2019 ગુજરાતી કવિતા – કવિયત્રી – યામિની વ્યાસ
છે.તેઓ ‘ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ નામની સેવા સંસ્થાના ચેર પરશન છે.
આ લેખ શ્રીમતી સુધા મુર્તીના મુળ અંગ્રેજી પુસ્તક ‘WISE AND OTHERWISE – A SALUTE
TO LIFE’ નો ભાવાનુવાદ મનની વાત.. (–ઝીંદાદીલીને સલામ–)માંથી લેવામાં આવ્યો છે.
ઈન્ફોસીસ ફાઉન્ડેશન’ સંસ્થાના અનુભવે સુધા મુર્તી ભારતભરના અસંખ્ય જરુરતમંદોના પરીચયમાં આવ્યાં. ભાતીગળ અનુભવોની રસલ્હાણ એમણે ‘મનની વાત’ પુસ્તકમાં વહેંચી અને એનો રસાળ ગુજરાતી અનુવાદ સોનલ મોદીની કસાયેલી કલમે કરવામાં આવ્યો છે. ડીસેમ્બર ૨૦૦૨માં પ્રગટેલા આ માનવસમ્વેદના જગાડતાં અદ્ભુત પુસ્તકની પાંચ આવૃત્તીઓ થઈ છે અને ત્યાર પછીયે એનાં પાંચ પુનર્મુદ્રણો થયાં છે.
આ લેખ શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના જાણીતા બ્લોગ ‘સન્ડે ઈ–મહેફીલ’ (અંકઃ 311 – December 14, 2014) માં પ્રસિદ્ધ થયો છે .
લેખીકાએ એમના સામાજિક જીવનમાં અનુભવેલી એક સત્ય ઘટના ઉપર આધારિત આ લેખ મને ખુબ ગમી ગયો.વિનોદ વિહારમાં આ પ્રેરક લેખને પ્રગટ કરવાની સંમતી આપવા માટે શ્રી ઉત્તમભાઈ નો હું આભારી છું.
વિનોદ પટેલ
‘સૌ મેં સે નીન્યાન્વે બેઈમાન,ફીર ભી મેરા ભારત મહાન !’
…સુધા મુર્તી અનુવાદ: સોનલ મોદી
સોમવાર એટલે બધી ઑફીસ માટે કટોકટીનો દીવસ. બે દીવસનું ચડેલું કામ, ઢગલો ઈ.મેલ જોવાના, એટલી જ ટપાલ–છાપાંના ઢગલા, મીટીંગો. હુલ્લડ જેવી પરીસ્થીતી સર્જાઈ જાય. રવીવાર સુધી પહોંચવા માટે પણ સોમવાર પસાર કરવો જરુરી તો છે જ ને ?
આવો જ એક સોમવાર હતો. હું ઑફીસમાં ગળાડુબ કામમાં હતી. એકાએક સેક્રેટરીએ આવીને મને કહ્યું, ‘બહેન, બહાર બે ભાઈઓ આવ્યા છે. તમને મળવા માગે છે. એપૉઈન્ટમેન્ટ લીધેલી નથી; પણ ક્યારના ઉભા છે. વળી, તેમાંના એક તો બહુ જ ઘરડા છે. અંદર બોલાવું ?’ મારી સેક્રેટરી મમતા એટલે ખુબ જ હોશીયાર. ફાલતુ લોકોને તો જોતામાં જ ઓળખી જાય. તેથી મેં કહ્યું, ‘હા, એમને અંદર આવવા દે.’
એક પચાસેક વરસના ભાઈ અંદર આવ્યા. તેમની સાથે એક પંચોતર–એંશી વર્ષની ઉમ્મરના વડીલ હતા. વડીલ શરીરે અત્યન્ત કૃશ અને થોડા વાંકા વળી ગયેલા હતા. તેમણે જુનાં કપડાં પહેરેલાં અને ખભે જર્જરીત થેલો લટકાવેલો હતો. પેલા આધેડ ઉમ્મરના ભાઈને મેં પુછ્યું, ‘બોલો ભાઈ, શી બાબત આવવું થયું ? અમારી સંસ્થા તમારી કેવી રીતે મદદ કરી શકે?’
પેલા વૃદ્ધ તો ચુપ જ રહ્યા; પણ આધેડ ઉમ્મરના ભાઈ કહે, ‘બહેન, મારે તો કંઈ જરુર નથી; પણ આ વડીલ સામે બસસ્ટૉપ પર બેઠેલા. સારા ઘરના લાગે છે. પુછપરછ કરતાં જાણવા મળ્યું કે બીચારાનું કોઈ નથી અને પૈસા પણ નથી. રહેવા માટે છાપરુંયે નથી.’ વગેરે વગેરે.. ભાઈને આગળ ઘણુંબધું કહેવું હતું; પણ આટલાં વર્ષોના સંસ્થાના અનુભવે હું થોડી ધીટ થઈ ગઈ છું. કદાચ થોડી તોછડાઈ પણ આવી જાય છે. લોકો મુદ્દાસર વાત કરતા નથી અને ગોળગોળ વાત ફેરવીને અન્તે તો પૈસાની જ માગણી કરતા હોય છે. ‘ગરજવાનને અક્કલ નહીં’ – તે કહેવત સાર્થક થતી મેં અનેક વાર નજરે જોઈ છે.
મેં આડીઅવળી પ્રસ્તાવના વગર પુછ્યું, ‘તમે આ વડીલને મારી પાસે શી આશાએ લાવ્યા છો ?’
પેલા ભાઈ કહે, ‘તમારી સંસ્થા(ઈન્ફોસીસ ફાઉન્ડેશન) વીશે મેં ઘણું સાંભળ્યું છે. આ કાકા મને ખરેખર મદદને લાયક લાગ્યા એટલે હું તેમને સીધો જ અહીં લઈ આવ્યો.’
મેં કાકાને પુછ્યું, ‘તમારું ખરેખર કોઈ નથી ?’
વડીલની આંખો ભરાઈ ગઈ. ગળામાં ડુમો ભરાઈ ગયો હશે કે કેમ; પણ ખુબ જ ધીમેથી ફક્ત એટલું જ બોલી શક્યા : ના…. બહેન, મારું કોઈ નથી.’
મેં આગળ ચલાવ્યું, ‘બીજા કોઈ કુટુમ્બીજનો ?’ વડીલ કહે, ‘ના’. મેં તેમની નોકરી, પુર્વજીવન અંગે પણ પ્રશ્નો પુછ્યા. કાકા ખરેખર ખાનદાન, ની:સહાય અને જરુરીયાતમંદ લાગ્યા. બેંગ્લોર નજીકના જ એક વૃદ્ધાશ્રમ સાથે અમારે કાયમી સમ્પર્ક છે. મેં ત્યાં ફોન કરી, સંચાલીકાબહેનની મદદ માગી. ‘બીજી કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ વૃદ્ધને ત્યાં રાખવાની સગવડ થશે ? બધો ખર્ચ અમારી સંસ્થા ભોગવશે.’
બધું નક્કી થઈ ગયું. પેલા ભાઈ વડીલની સાથે જ ઉભા થયા. મને કહે, ‘આ વડીલને હું જ વૃદ્ધાશ્રમ મુકી દઈશ. તમે આટલું કરો છો, તો મારી એટલી ફરજ તો છે જ કે તેમને ત્યાં સુધી મુકી આવું. ત્યાંથી જ મારી ઑફીસ જવા નીકળી જઈશ.’
બન્ને ઉભા થયા. ગયા. હું મારી ફાઈલો, ઈ.મેલ, પત્રો, મુલાકાતીઓ, વાવચર્સ અને પ્લાનીંગની દુનીયામાં વ્યસ્ત થઈ ગઈ. વચ્ચે–વચ્ચે બે–ત્રણ વાર મારી ઑફીસમાંથી ફોન કરીને મેં વડીલની ખબર પુછી હતી; પણ જવાનો સમય નહોતો મળ્યો. અમારી સંસ્થા તરફથી એમનાં ખર્ચા–પાણીનો ચેક નીયમીતરુપે વૃદ્ધાશ્રમને પહોંચી જતો.
એક દીવસ વૃદ્ધાશ્રમનાં સંચાલીકાબહેનનો મારા પર ફોન આવ્યો. ‘સુધાબહેન, તમે મોકલ્યા હતા તે વડીલ ખુબ જ બીમાર છે. અંતીમ ઘડીઓ ગણાય છે. તમને ખુબ યાદ કરે છે. સમય મળે તો સાંજે ઘરે જતાં અહીં થઈને ઘરે જશો ?’
સાંજે થોડાં ફળો લઈને હું વૃદ્ધાશ્રમ પહોંચી. દાદા ખરેખર છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. મને થયું, વડીલને પુછું, તેમને કોઈ સગાં–સમ્બન્ધી, ભાણીયા, ભત્રીજા, પૌત્રી કોઈ જ નથી ? કોઈને પણ તેઓ મળવા માંગે છે ? છેલ્લે–છેલ્લે કાંઈ કહેવા માંગે છે ? મેં તેમને પુછ્યું, ‘દાદા, તમારી કોઈ પણ ઈચ્છા હોય તો વીનાસંકોચે જણાવો. કોઈને બોલાવવા છે ? કોઈને કંઈ કહેવું છે ? તમારી પાસે કોઈનો ફોન નંબર હોય તો હું જઈને ફોન પણ કરી આવીશ.’
ધ્રુજતા હાથે દાદાએ ચબરખીમાં એક નંબર લખી આપ્યો. હું બહાર દોડી. પબ્લીક ફોનમાંથી નંબર જોડી વડીલની તબીયતના સમાચાર અને વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું. થોડી જ વારમાં એક ભાઈ આવી પહોંચ્યા. લાગણી અને ચીંતાના ભાવ સાથે દાદાને ખાટલે ધસી પહોંચ્યા ! તેમને જોઈને મને લાગ્યું કે, મેં આ ભાઈને ક્યાંક જોયા છે. જરુર જોયા છે. રોજ હું એટલા બધા લોકોને મળું છું કે ઘણી વાર ભુલ થઈ જાય. કદાચ આ ભાઈ જેવા જ બીજા કોઈને જોયા હોય. મારી કંઈક ભુલ હશે. કંઈ યાદ આવતું ન હતું.
થોડી વારમાં ડૉક્ટર આવ્યા. દાદાના મૃત્યુના સમાચાર આપ્યા. મને ખરેખર દુ:ખ થયું. ન તો મારા સગા હતા, ન સમ્બન્ધી; છતાંય મનમાં ભારોભાર ગ્લાની વ્યાપી. આ રીતે એકલા–અટુલા દુનીયામાંથી વીદાય લેવી તે પણ કેવી નીષ્ફળતા છે !
પેલા ભાઈ બહાર આવ્યા. તેમની આંખોમાં આંસુ હતાં. શાન્તીથી બાજુની બૅંચ પર બેસીને કંઈક વીચારમાં ખોવાઈ ગયા. આખુંયે વાતાવરણ દુ:ખદ–ભારેખમ લાગતું હતું. વૃદ્ધાશ્રમનાં બહેન, હું અને આ ભાઈ, અંતીમવીધીની રાહ જોતાં બેઠાં હતાં.
એકદમ પેલા ભાઈ કહે, ‘ડોસા અહીં આવ્યા ત્યારે તેમની પાસે એક ઝોળી–થેલી હતી ને, તે ક્યાં છે ?’
સંચાલીકાબહેન કહે, ‘કઈ થેલી ?
પેલા ભાઈ, ‘કેમ ? તે જોડે લાવ્યા હતા તે !’
હવે મારા કાન સરવા થયા. આ થેલીની વાત તો ફક્ત મને જ ખબર હતી. કેમ કે મેં જ એમને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હતા. મેં પટાવાળાને દાદાના રુમમાં મોકલ્યા. થેલી આવતાંની સાથે જ પેલા ભાઈ ઝુંટવવા ગયા. હું વચ્ચે પડી. મેં કહ્યું, ‘તમને શો હક્ક છે આ થેલીની ગાંઠ ખોલવાનો ? તમે છો કોણ ? દાદા જોડે તમારે શો સમ્બન્ધ છે ? તમને આ થેલીની ખબર જ કેવી રીતે પડી ?’
પેલા ભાઈને આ બધી પડપુછ ગમી નહીં; પણ તેમણે જવાબ આપવો જ પડે તેમ હતો. સંચાલીકાબહેન તો ફક્ત મને જ ઓળખતાં હતાં. આમેય, ભારતદેશમાં પુરુષોને, સ્ત્રીઓને જવાબ આપવો જરા ઓછો ગમતો હોય છે. પૌરુષ અને અહંકારના સદીઓ જુના ખ્યાલો જલદી દુર નહીં થાય. હવે જો કે સ્થીતી બદલાતી જાય છે.
પેલા ભાઈ કહે, ‘હું જ એમને(દાદાને) અહીં મુકી ગયો હતો.’
મેં કહ્યું, ‘પણ તમે છો કોણ ?’
ભાઈ કહે, ‘હું એમનો પુત્ર છું.’
મને ભયંકર શૉક લાગ્યો. હવે આ ભાઈને મેં બરાબર ઓળખ્યા. અરે, આ તો પેલા જ ભાઈ છે, જે આ વૃદ્ધને લઈને ફાઉન્ડેશનની ઑફીસે આવ્યા હતા અને મારી સામે હડહડતું જુઠ્ઠું બોલ્યા હતા કે વૃદ્ધ તેમને બસસ્ટૉપ પર મળ્યા હતા. અરેરે.. શો જમાનો આવ્યો છે ! થોડી વાર તો હું સ્તબ્ધ થઈ ગઈ. આવા માણસને કહેવું પણ શું ? મને સ્વસ્થ થતાં જરા વખત લાગ્યો, ‘અરે ભાઈ, તમે આટલું મોટું જુઠાણું કેમ ચલાવ્યું ?’
ભાઈ કહે, ‘મારે ઘરે એમને રાખવાનો પ્રૉબ્લેમ હતો. મારી પત્નીને ને તેમને રોજ કજીયો–કંકાસ થાય. એક દીવસ મારી પત્નીએ કહી દીધું, ‘આ ઘરમાં ક્યાં હું નહીં; ક્યાં એ નહીં.’ એવામાં જ તમારી સંસ્થા વીશે ક્યાંક વાંચ્યું. અમે નક્કી કર્યું કે બાપુજીને તમારે આશરે મુકી દઈએ. પૈસા વગર અમારો તો પ્રૉબ્લેમ સોલ્વ થઈ ગયો.’
‘અરે ભાઈ, શો તમારો આઈડીયા છે ! ખરેખર, મેં આજ સુધી અનાથ બાળકો જોયાં છે; પણ અનાથ બાપ નથી જોયા. તમે તો ખરેખર ‘જીનીયસ’ છો. ભાઈ, તમારા બાપુજીને ખરી અવ્વલ મંજીલે પહોંચાડ્યા તમે તો…’
થેલી હું જ પકડીને બેઠી હતી. હવે હું ખુબ જ ગુસ્સે થઈ ગઈ હતી. આ માણસ પ્રપંચી, જુઠ્ઠો અને શઠ તો હતો જ; પણ તેણે મને મુર્ખ બનાવીને પોતાનું કામ કાઢ્યું હતું. થેલીની ગાંઠ મેં ખોલી. અંદર બેત્રણ ફાટેલાં પહેરણ, થોડી દવાઓ, બેત્રણ ફોટા અને જર્જરીત થઈ ગયેલી એક બૅંકની પાસબુક હતી. મેં પાસબુક ઉઘાડી. બેલેન્સ જોઈને મારી આંખો ચાર થઈ ગઈ ! દોઢ લાખ રુપીયા ! માની શકો છો ? ખાતામાં બીજું નામ તેમના આ ‘પનોતા’ પુત્રનું હતું, જેણે તેમને ઘરમાંથી તડીપાર કર્યા હતા.
મને પુત્ર પર તો ગુસ્સો આવ્યો જ હતો; પણ આ દીવંગત વૃદ્ધ પર વધારે ગુસ્સો આવ્યો. આ નપાવટ, નગુણા છોકરાને દોઢ લાખ રુપીયા અને જે વૃદ્ધાશ્રમે તેમને અંતીમ દીવસમાં આશરો આપ્યો તેને દોઢીયુંય નહીં ! દુનીયામાં ‘આભાર’ જેવો કોઈ શબ્દ રહ્યો છે ખરો ?
છેલ્લાં થોડાં વર્ષોમાં મેં ઘણી દુનીયા જોઈ છે. પશ્ચીમના દેશોમાં વૃદ્ધોને વર્ષોનાં વર્ષો ક્લીનીકમાં, આશ્રમોમાં રહેતાં જોયા છે. જ્યારે આ વૃદ્ધો ગુજરી જાય છે ત્યારે તેમની સમ્પત્તીનો મોટો ભાગ, ઘણી વાર તો બધી જ સમ્પત્તી વૃદ્ધાશ્રમો કે હૉસ્પીટલોને આપતા જાય છે. તેમાંથી હૉસ્પીટલો અદ્યતન સાધનો વસાવે, નવી સગવડો ઉભી કરે. આ વૃદ્ધો તેમનાં છોકરાંઓને રાતી પાઈ પણ પરખાવતાં નથી. જો કે, છોકરાંઓ મા–બાપની સમ્પત્તીની અપેક્ષા પણ રાખતાં નથી હોતાં.
પણ આપણે અહીં ભારતમાં પરીસ્થીતી તદ્દન ઉંધી છે. છોકરાં મા–બાપની સંભાળ રાખે કે ન રાખે, સમ્પત્તીની તો સમ્પુર્ણ આશા રાખે છે.
પેલા ભાઈને મારાથી કહ્યા વીના ન રહેવાયું, ‘તમે અને તમારા બાપુજીએ મારી ઑફીસમાં, થોડા હજાર રુપીયા બચાવવા જે નાટક કર્યું, તે કરતાં તમને સહેજે શરમ ન આવી ? હવે સાચી જરુરીયાતમંદ વ્યક્તીને પણ હું શંકાની નજરે જોતી થઈ જઈશ. નજર સામે તમે જ આવશો.’
ભાઈ શરમના માર્યા નીચું જોઈ ગયા. એક ટ્રક પાછળ થોડા વખત પહેલાં મેં વાંચેલું તે યાદ આવી ગયું : ‘સૌ મેં સે નીન્યાનબે બેઈમાન; ફીર ભી મેરા ભારત મહાન !’
ઈન્ટરનેટની આંટીઘૂંટીને સરળ ભાષામાં સમજાવતી તેમની ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ ‘સાયબર સફર’ હવે અલાયદા મેગેઝિન સ્વરૂપે વિસ્તરી છે.
ભાષાપ્રેમી છો? ….હિમાંશુ કીકાણી
આ વખતે ફરી એક વાર, પહેલાં કેટલાક પ્રશ્નોનો મારો! પણ ચિંતા ન કરશો, આ વખતે આ દરેક સવાલના જવાબ ક્યાંથી મળશે એ પણ કહીશું.
⚫ ‘I feel bad’ એમ કહેવું જોઈએ કે પછી ‘I feed badly?’
⚫ ‘who’ને બદલે ‘whom’નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?
⚫ વાક્યમાં ‘that’ અને ‘which’નો ક્યારે ઉપયોગ કરાય અને બંનેમાં ફેર શું?
⚫ આ બંનેમાંથી શું સાચું? ‘taller than I’ કે પછી ‘taller than me?’
⚫ ઇંગ્લિશના ઘણા બધા શબ્દોમાં ગૂંચવણ કેમ છે? ‘daughter’ અને ‘laughter’ બંનેના સ્પેલિંગ લગભગ સરખા હોવા છતાં ઉચ્ચાર કેમ જુદા છે?
⚫ ‘should’ અને ‘would’ ના સ્પેલિંગમાં ‘l’ કેમ ઘૂસી ગયો?
આ બધા સવાલો વાંચીને તમારાં બે રિએક્શન હોઈ શકે. એક, ‘જવા દો, આપણા કામની વાત લાગતી નથી.’ અને બીજું, તમને જાણે તમારી દુખતી રગ દબાઈ ગઈ હોય એવું લાગે!
જો તમને ભાષા પ્રત્યે (પછી વાત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ગમે તે ભાષાની હોય) પૂરો લગાવ હોય તો એની બારીક ખૂબીઓ જાણવામાં તમને ચોક્કસ રસ હશે. એ જ કારણે, ઇંગ્લિશના સંદર્ભે વાત કરીએ તો ઉપર આપેલા થોડા સવાલો જેવા સંખ્યાબંધ સવાલો તમારા મનમાં રમતા રહેતા હશે અને તેના ઊંડાણભર્યા જવાબો મળવા મુશ્કેલ પણ લાગતા હશે.
યાદ રહે, અહીંથી આગળની વાત માત્ર એવા જ લોકો માટે કામની છે, જેઓ અંગ્રેજી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. એટલું પ્રભુત્વ કે ઉપર લખ્યા એવા સવાલો તેમને થઈ શકે છે!
આ બ્લોગ પેટ્રિશિયા ટી. ઓ’કોનર અને સ્ટુઅર્ટ કેલરમેન નામના બે ભાષાનિષ્ણાતો લાંબા સમયથી લખે છે. બંને મૂળભૂત રીતે પત્રકાર છે. 1971માં ગ્રેજ્યુએટ થયેલ પેટ્રિશિયાએ વિવિધ અખબારો ઉપરાંત ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પંદરેક વર્ષ કામ કર્યું છે. જ્યારે સ્ટુઅર્ટે 1965થી ડિપ્લોમેટિક કોરસપોન્ડન્ટ અને ફોરેન કોરસપોન્ડન્ટ તરીકે સાઉથ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ, લેટિન અમેરિકા વગેરેમાં કામ કર્યું છે. લાંબો સમય તેમણે દુનિયાનાં યુદ્ધો પણ કવર કર્યાં છે.
છેવટે પેટ્રિશિયા અને સ્ટુઅર્ટ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં ભેગા થઈ ગયા. બંનેએ સાથે મળીને આ બ્લોગ લખવાનું શરૂ કર્યું. બ્લોગ પર ઓગસ્ટ, 2006થી અત્યાર સુધીના જુદા જુદા અનેક લેખો વાંચી શકાય છે, જેમાં ઇંગ્લિશ ભાષાની ખરેખર બારીક ખૂબીઓ વિશે, એથી પણ વધુ ઊંડાણભરી સમજ આપવામાં આવી છે. જુદા જુદા શબ્દો કેવી રીતે જન્મ્યા એ જાણવામાં રસ હોય તો પણ આ બ્લોગ તમને કામ લાગશે.
આપણી ભાષામાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી, સ્વામી આનંદ (‘જૂની મૂડી’), હરિવલ્લભ ભાયાણી (‘શબ્દકથા’)થી માંડીને રતિલાલ ચંદરિયા (gujaratilexicon.com) વગેરેએ આ દિશામાં જુદી જુદી રીતે સરસ કામ કર્યું છે. અલબત્ત, તેમનું ફોકસ શબ્દો પર વધુ રહ્યું છે.
ગ્રામરફોબિયા જેવો કોઈ બ્લોગ આપણી ભાષા માટે પણ શરૂ થાય એવી અભિલાષા!
મહાદેવભાઈ સાથે પહેલો પરિચય ક્યારે થયો તે તો આજે મને યાદ નથી. લાંબા વખતની ગાઢ મૈત્રીના થરની નીચે એ તિથિ એ ભૂલાઈ ગઈ છે, પણ જ્યારે હું તેમનાં મધુર સંસ્મરણો ઉપર દૃષ્ટિપાત કરું છું, ત્યારે મને એમ લાગતું જ નથી કે તેઓ મૃત્યુ પામ્યા છે. છતાં જ્યારે વિચારું છું કે તેઓ આપણા સારું સદાયને માટે અપ્રાપ્ય બની ગયા છે, ત્યારે એક ઊંડો નિશ્વાસ નીકળી જાય છે. મૃત્યુ આ જીવનનો નૈસર્ગિક અંત છે, અને મૃત્યુને અંતે જીવન જ હશે એમ સમજવું જોઈએ. તો પણ સ્વજનનું મૃત્યુ – અને તે પણ સુજનનું મૃત્યુ – ઊછળતા હૃદયને મૂર્ચ્છિત બનાવી દે છે, તેથી જ તો ભર્તુહરિએ કહ્યું છે કે,
‘સમજાતું નથી કે આ જગત વિષ છે કે અમૃત!’
મહાદેવભાઈનાં સંસ્મરણો લખવાનું મારે માટે સહેલું છે તેટલું જ મુશ્કેલ પણ છે. એટલાં અસંખ્ય સંસ્મરણો છે કે ક્યાંથી આરંભ કરું અને ક્યાં તેનો અંત લાવું? બધાં જ સંસ્મરણો અત્યંત સુખદાયી છે. મહાદેવભાઈ ચિડાયા હોય કે ક્રોધમાં હોય એવું જોયાનું મને યાદ નથી. હાસ્ય તો તેના ચહેરા ઉપર આઠે પ્રહર રમ્યા કરતું. મહાદેવભાઈ ભાવુક શ્રદ્ધાળુ હોવાં છતાં પણ વ્યવહારિક હતા. તેઓ દરેક ક્ષણ કામમાં મગ્ન રહેતા હતા. આળસનું તો તેમનામાં નામ પણ ન હતું. જ્ઞાનના તેઓ ભંડારરૂપ હતા. ગંભીર હોવા છતાં પણ વિનોદવૃત્તિ ઓછી ન હતી. બાપુના મંત્રીપદને તેઓએ ગૌરવપૂર્વક શોભાવ્યું. અને અંતે બાપુની સેવા કરતા મૃત્યુ પામ્યા. રાજાજીએ સાચું જ કહ્યું છે કે, ‘મહાદેવભાઈના મૃત્યુથી બાપુ અનાથ બની ગયા છે.’
કોઈ એક માનનીય વ્યક્તિને પત્ર લખતાં મહાદેવભાઈએ લખ્યું હતું કે, ‘હું બાપુના મંત્રી, સેવક અને પુત્રસમુચ્યયરૂપ છું.’ મેં મહાદેવભાઈને ત્રણે સ્વરૂપમાં જોયા છે. મારે તો મહાદેવભાઈ સાથે ગાઢ મૈત્રી હતી, તેથી એમના મંત્રીપદનો મારે માટે કશો વિશેષ અર્થ ન હતો, છતાં તેઓ મારી પાસે બાપુના મંત્રી બની આવી શકે તેવો એકવાર આકર્ષક અનુભવ થયો છે, ત્યારથી તેમના ગુણોનો હું વધુ પ્રશંસક બન્યો.
ઘણાં વર્ષો પૂર્વેની વાત છે. ગાંધીજી દિલ્હી આવ્યા હતા અને હરિજનનિવાસમાં ઊતર્યા હતા. આ જ સમયમાં કવિ સમ્રાટ ટાગોર પણ ‘વિશ્વભારતી’ માટે ફંડ કરવા નીકળ્યા હતા. તેઓ પણ દિલ્હી આવી પહોંચ્યા. કવિ સમ્રાટનો કાર્યક્રમ એ હતો કે સ્થળે સ્થળે પોતાની નાટ્યકળા લોકોને બતાવે અને પછી લોકો પાસે પૈસાની માગણી કરે. આ વસ્તુએ ગાંધીજીનું હૃદય વીંધી નાખ્યું. ગુરુદેવ જેવી મહાન વિભૂતિ વૃદ્ધાવસ્થામાં પૈસા એકઠા કરવા ફરે, અને તે પણ કેવળ સાઠ હજાર રૂપિયા માટે, અને પોતાની નાટ્યકલા અને નૃત્યનું પ્રદશન કરે, એ વાત ગાંધીજીને અસહ્ય લાગી. હું તો ગાંધીજીને હંમેશાં મળતો હતો, પણ તેઓએ મને આ સંબંધી કશું કીધેલું નહિ, તેમની વેદના વધતી જતી હતી. જ્યારે તેમને આ વેદના અસહ્ય થઈ ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાનું બધું દર્દ કહી સંભળાવ્યું.
રાતનો એક પહોર વીત્યો હશે. હું હજી નિદ્રાવશ થયો ન હતો. નિદ્રાની રાહ જોતો પથારીમાં સૂતો પડ્યો હતો. બત્તી બુઝાવી દીધી હતી. અચાનક કોઈના પગરવથી હું જાગી ઊઠ્યો : ‘કોણ છે?’ મેં પૂછ્યું તો મહાદેવભાઈ ઓરડામાં આવીને પલંગ પાસે બેઠા. ‘મહાદેવભાઈ, તમે! રાત્રે કેમ? છે તો બધું કુશળ ને?’ ‘હા, બધું કુશળ મંગળ છે. થોડી વાતચીત કરવી છે.’ હું પલંગમાંથી ઊઠવા જતો હતો ત્યાં તો મહાદેવભાઈએ કહ્યું, ‘સૂઇ રહો. સૂતાં સૂતાં જ વાત કરી લઈએ, ઊઠવાની કંઈ જરૂર નથી.’ વળી, હું ઊઠવા ગયો, પણ અંતે મહાદેવભાઈના આગ્રહથી સૂઈ રહ્યો. ‘કહો, શું વાત છે?’ મેં કહ્યું.
બસ, પછી તો મહાદેવભાઈની વાગ્ધારા ચાલી. એને શબ્દબદ્ધ કરવાની મારી શક્તિ નથી. જે ઓજ અને કળાથી તેમણે ગાંધીજીની મર્મવેદનાનું ચિત્ર દોર્યુ હતું, તે ખરેખર જોવા લાયક હતું. આખુંયે દૃશ્ય મારી આંખ સામે રમી રહ્યું. મહાદેવભાઈની વાણીમાં ભાવુકતા હતી, મૃદુતા હતી અને તેજસ્વિતા હતી. ગુરુદેવનાં ગુણગાન, ગુરુદેવને આ વૃદ્ધાવસ્થામાં થોડા એવા પૈસા માટે નાચવું પડે એ આપણું દુર્ભાગ્ય અને બાપુની અંતરવેદના – આ બધી વસ્તુઓનું મર્મસ્પર્શી ચિત્ર મારા હૃદય ઉપર અંકિત થતાં મને રડવું આવી ગયું. ‘બાપુએ કહ્યું કે, ઘનશ્યામદાસને કહો કે તેઓ પોતાના શ્રીમંત મિત્રોને લખે અને છ જણ મળીને દશ દશ હજારની રકમ ગુરૂદેવને આપી હિન્દુસ્તાનને આ શરમમાંથી બચાવી લે. અને ગુરુદેવને નિશ્ચિંત કરીને શાંતિનિકેતન પાછા મોકલી આપે.’ મહાદેવભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કરતાં આ શબ્દો કહ્યા.
‘મહાદેવભાઈ, બાપુની વ્યથા હું બરાબર સમજી શકું છું; પણ તમે આટલી મોડી રાતે આવી કડકડતી ઠંડીમાં શું કામ આવ્યા? બાપુ પોતે જ નિર્ણય કરી શકતા હતા. હું કોની પાસે ભિક્ષા માગવા જાઉં? બાપુને કહો કે જે કાંઈ આપવાનું હોય તે મારી પાસેથી માગી લે અને ગુરુદેવને આપી દે.’ મેં એમ કહ્યું તો ખરું, પણ એનું શ્રેય તો મહાદેવભાઈને હતું, કેમ કે એમના શાંત પરંતુ માર્મિક વ્યક્તવ્યે મારા માટે બીજો કોઈ નિર્ણય જ રહેવા દીધો ન હતો.
એક ચતુર કલાકારના માટીના પિંડાને પોતાની આંગળીઓની કરામતથી જે રીતે મનમાન્યું રૂપ આપે છે તે રીતે મહાદેવભાઈએ લોકોના મન ઉપર મનમાની અસર ઉપજાવીને પોતાને અનુકૂળ બનાવી લેવાની શક્તિ હસ્તગત કરી હતી, અને તે શક્તિ અદ્ભુત હતી. તેની કલમમાં પણ એવું જ ઓજસ હતું અને વાણીમાં પણ કાંઈ ઓછી કળા નહોતી. પારંગત મંત્રીને કોઈ વાર વિનમ્ર, કોઈ વાર ઉદાસીન, કોઈ વાર સહનશીલ, કોઈ વાર અસહિષ્ણુ, કોઈ વાર ભાવુક તો કોઈ વાર વ્યવહારિક બનવાની જરૂર પડે છે. મહાદેવભાઈ જરૂરિયાત અનુસાર આ ભાવોને પ્રદર્શિત કરી શકતા હતા.
ઠક્કરબાપાએ સિત્તરમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેના કેટલાક મિત્રોએ તેમની સિત્તેરમી જયંતી ઊજવવાનો નિર્ણય કર્યો. તે નિર્ણય તો સાવ દમ વિનાનો હતો. સિત્તેરમી વર્ષગાંઠને લક્ષ્યમાં રાખીને સિત્તેરસો એટલે સાત હજાર રૂપિયા એકઠા કરવા એટલો જ એ નિર્ણય હતો. ગાંધીજીએ આ વાત સાંભળી ત્યારે કહ્યું કે, ‘ઠક્કરબાપાની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે માત્ર સિત્તેરસો! સિત્તેર હજાર કે સિત્તેર લાખ નહિ? ઓછામાં ઓછા સિત્તેર હજાર તો એકઠા કરવાના જ.’ પણ આ સિત્તેર હજારની રકમ પણ યોજકોને પહાડ જેવી લાગી. જયંતીના દિવસો નજીક આવવા લાગ્યા પણ ધારેલી રકમ એકઠી થઈ શકી નહિ. છેવટે ગાંધીજીએ મહાદેવભાઈને મુંબઈ મોકલ્યા. ત્યાં તો પૈસાનો વરસાદ વરસવા લાગ્યો અને બે દિવસમાં એક લાખ વીસ હજાર એકઠા થઈ ગયા. થોડા વર્ષ બાદ ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે ફરી ગાંધીજીએ મહાદેવભાઈને પૈસા લેવા માટે મુંબઈ મોકલ્યા. નિર્ણય એવો હતો કે ત્રણેક લાખ એકઠા કરવા, પણ સાત-આઠ લાખ એકઠા થઈ ગયા. સૌથી વિશેષ આશ્ચર્યની વાત તો એ હતી કે ‘ચમડી તૂટે, પણ દમડી ન છૂટે’ એવા કેટલાક લોકો પાસેથી પણ મહાદેવભાઈને સારી એવી રકમ મળી હતી.
સાચોસાચ મહાદેવભાઈ ગાંધીજીના માત્ર મંત્રી જ નહિ પણ તેમની બીજી કાયા બની ગયા હતા, ગાંધીજીના વિચારો તેઓ એટલે સુધી પીને પચાવી ગયા હતા કે તેઓ માત્ર ગાંધીજીના મંત્રી જ નહિ પણ સમય આવ્યે ગાંધીજીના સલાહકાર અને સંચાલક સુદ્ધાં બની બેસતા.
થોડા સમય પહેલાં એક અંગ્રેજી વર્તમાનપત્રનો પ્રતિનિધિ ચાલુ પરિસ્થિતિ ઉપર ગાંધીજીનું નિવેદન લેવા આવ્યો. ગાંધીજીએ જમતાં જમતાં નિવેદન લખાવવા માંડ્યું. હું જોતો હતો કે મહાદેવભાઈની કલમ એવી સફાઈથી ચાલતી હતી કે જાણે તેમના વિચારોને રોમેરોમમાં ઉતારી તેઓ બાપુથી અભિન્ન થઈ ગયા હતા.
છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કેટલીયે વાર મહાદેવભાઈએ ગાંધીજી સાથે ચર્ચા કરીને તેમના ઉપવાસ સંબંધી વિચારો ઉપર પ્રહાર કર્યા હતા – કેટલીયે વાર ઉપવાસ સંબંધી નિર્ણયોને ફેરવ્યા હતા. આજે એવું કોણ છે કે જે ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરે? એવા મંત્રી ક્યાં હોય છે કે જે મંત્રી પણ હોય અને સલાહકાર પણ હોય, જે સેવક પણ હોય અને પુત્ર પણ હોય?
કદાચ બધાને ખબર પણ નહિ હોય કે મહાદેવભાઈએ કેટલાંક વર્ષ પહેલાં ‘ગીતા’નો અંગ્રેજીમાં ટીકા સાથે પ્રમાણિત અનુવાદ કર્યો હતો. મહાદેવભાઈનો જ્ઞાનનો ભંડાર અનુપમ હતો. પાશ્ચાત્ય તત્વજ્ઞાન વિશે તેમને જેવું જ્ઞાન હતું તેટલું જ તેમને આપણાં શાસ્ત્રોનું જ્ઞાન હતું, અને તેથી જ તેઓ ‘ગીતા’નો અનુવાદ કરવાના શાસ્ત્રીય અધિકારી બન્યા હતા. પોતે કરેલ અનુવાદમાંથી કેટલાક ભાગ કોઈ કોઈ વાર મને તેઓ સંભળાવતા હતા, અને તે મને અત્યંત આકર્ષક લાગ્યા હતા. એ અનુવાદ આજ સુધી પ્રગટ થયો નથી. કેટલીયે વાર છપાવવા માટે મેં તેમને આગ્રહ કર્યો, પણ મૂળ વાત એ હતી કે ગાંધીજીની સેવા-ચાકરીમાંથી અનુવાદ છપાવવાની ફુરસદ ન મળી. ગાંધીજીના સંબંધમાં જુદે જુદે સમયે લખેલી એટલી બધી નોંધો તેમની પાસે હતી કે ગાંધીજીની વિસ્તૃત જીવનકથા માટે એ એક અત્યંત ઉપયોગી સામગ્રી બને. હું તેમને કહ્યા કરતો હતો કે, ‘મહાદેવભાઈ, ગાંધીજીની વિસ્તૃત જીવનકથા ક્યારેક પણ તમારે જ લખવાની છે.’ અને તેઓ ઉલ્લાસથી હામ પણ ભીડતા. પણ એ દિવસ આવ્યો નહિ. ‘મન કી મન હી માંહી રહી.’
(તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૨ના રોજ મહાદેવભાઈ દેસાઈના થયેલા નિધન પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ આપવા લખાયેલો લેખ)
જ્યોતીન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા, વિનોદ ભટ્ટ અને ડાયાસ્પોરા હાસ્ય લેખક હરનીશ જાની જેવા ગુજરાતી સાહિત્યના જાણીતા અને માનીતા હાસ્ય લેખકો આજે સદેહે વિદાય થયા છે.
ગુજરાતી સાહિત્યમાં હવે જે થોડા આંગળીને વેઢે ગણી શકાય એટલા જુના નવા હાસ્ય લેખકો છે એમાં શ્રી રતિલાલ બોરીસાગર મોખરે છે.
વાચકને મરક મરક હસાવે તેવું હાસ્ય-સર્જન કરનાર શ્રી રતિલાલ બોરીસાગરનો એક હાસ્ય લેખ માણો .
બે-ત્રણ મહિના પહેલાં, કાળઝાળ ઉનાળાની એક સવારે અગિયાર વાગ્યાના સુમારે એક મિત્ર પરસેવો લૂછતાં-લૂછતાં પધાર્યા : કહે, ‘આજે મલાઈ વગરના દૂધની ચા નહિ, પણ મલાઈથી ભરપૂર આઇસક્રીમ ખાવો છે મગાવો.’ મિત્ર હકપૂર્વક આઇસક્રીમ માગી શકે એટલા નિકટના મિત્ર છે. એમના પૈસા મારા પૈસા હોય. તે જ રીતે મેં વાપર્યા છે અને એમણે અત્યંત ઉમળકાથી વાપરવા દીધા પણ છે; પરંતુ, વજન ઓછું કરવા કડક પરેજી પાળતા ડાયેટિંગ માટે લગભગ ‘ડાઈ’ થવા સુધી ‘ઇટિંગ’ તજનાર આ મિત્ર આજે આઇસક્રીમ માગી રહ્યા હતા તેથી મને નવાઈ લાગી.
‘નવાઈ ન પામશો. મારા મગજને કશું નુકસાન થયું નથી ઊલટું મારા મગજમાં ઇચ્છવાયોગ્ય સુધારો થયો છે. આજથી ડાયેટિંગ-બાયેટિંગ બંધ! બસ, ખાવ, પીવો અને જલસા કરો.’ મિત્રએ કહ્યું.
‘પણ કેમ? કેમ?’ પાકિસ્તાન ત્રાસવાદી પ્રવૃત્તિ બંધ કરે એ જેટલું અશક્ય છે એટલું જ મિત્ર ડાયેટિંગ બંધ કરે એ અશક્ય છે એમ હું માનતો હતો.
‘જુઓ, વાંચો!’ કહી મિત્રે એક અંગ્રેજી સાપ્તાહિક મારા હાથમાં પકડાવ્યું.
‘ત્યારે તમે જ વાંચી દો ને! મારાં ચશ્માં બે દિવસથી જડતાં નથી!’ મેં કહ્યું.
‘જુઓ,’ મિત્રે સાપ્તાહિકમાં જોઈને કહ્યું, ‘ઇંગ્લૅન્ડમાં એક માણસ મોટી ફાંદને કારણે બચી ગયો કંઈક લાકડાનો અણીદાર ટુકડો એના પેટમાં ઘૂસી ગયો. પણ મોટા ઘેરાવાવાળી ફાંદને કારણે અંદરના અવયવોને કશું નુકસાન ન થયું. બોલો! આ વાંચીને મને થયું કે હું નાહક્ધાો આવી જીવરક્ષક ફાંદ ઘટાડવા ભૂખે મરીને જીવ કાઢી નાખવા તૈયાર થયો છું. નહિ! નહિ! આજથી ડાયેટિંગ બંધ ચાલો, મગાવો આઇસક્રીમ.’
‘આઇસક્રીમ તો મગાવું પણ ખરેખર તો આ ખુશીના મોકે તમારે ત્યાં આઇસક્રીમ પાર્ટી જ નહિ, રસપુરીનાં જમણ અને ઉપરથી બે ત્રણ કચોળાં આઇસક્રીમ એવું રાખવું જોઈએ.’ મેં કહ્યું.
‘રાખીશું, ભાઈ! રાખીશું. પણ એ પહેલાં મારે ઘરનાંઓનો મત કેળવવો પડે. તમે જાણો છે કે આ કામ થોડું અઘરું છે. એટલે હમણાં તો આ રીતે ‘આઉટડોર શૂટિંગ’ જ રાખવું પડે તેમ છે. આજે સાંજે આપણે, વાત ખાનગી રાખી શકે તેવા બે-ચાર મિત્રો સાથે હોટેલમાં જઈશું ને બિલ હું ચૂકવીશ.’
આ મિત્ર મારા બાળપણના સાથી છે. અમે સાથે મોટા થયા. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સાથે ભણ્યા અને વર્ષો પછી ફરી અમદાવાદમાં ભેગા થઈ ગયા. ઘણાં વરસ પછી અમદાવાદમાં એમને પહેલવહેલી વાર મળવાનું થયું ત્યારે એમની શારીરિક સમૃદ્ધિ જોઈ હું આભો બની ગયો હતો. એ ગોળમટોળ તો નાનપણથી જ હતા, પણ હવે તો એ એટલા બધા ગોળમટોળ થઈ ગયા છે કે માત્ર મોઢા પરથી જ ખબર પડે કે કઈ બાજુથી ચત્તા છે! પહેલવહેલી વાર મળ્યા ત્યારે મેં એમને હસતાં હસતાં કહેલું કે ‘તમે એલિસબ્રીજ પરથી ન નીકળશો.’
‘કેમ? એ પુલ તો બહુ મજબૂત ગણાય છે.’
‘એ ખરું, પણ એ પુલ પરથી ભારે વાહનો લઈ જવાની મનાઈ છે.’ આ સાંભળી એ મોકળે મને હસી પડેલા.
જ્યોતીન્દ્ર દવેએ એમના એક લેખમાં એક મહાશયના વિશાળ પેટનું વર્ણન કરતાં લખ્યું છે કે ‘પેટ એમના શરીરનો ભાગ નહિ, પણ એમનું શરીર એમના પેટનો પેટા ભાગ હોય એમ મને લાગ્યું.’ અમારા મિત્રનું પેટ પણ આવું જ વિશાળ છે. એમને મળનાર દરેક વ્યક્તિની પહેલી નજર એમના પેટ પર જ પડે છે, એટલું જ નહિ, પેટ પર થોડીવાર સ્થિર પણ થઈ જાય છે. મિત્ર આનંદી બહુ છે. બાળકો સાથે બાળકો જેવા બની જાય છે. તેઓ જમીન પર ઊંધા સૂએ છે (જોકે બહુ થોડી વાર માટે જ ઊંધા સૂઈ શકે છે) ત્યારે પેટ જાણે ધરી હોય એમ એમનું શરીર જમીનથી અધ્ધર રહે છે. એમનાં પૌત્ર-પૌત્રી પગ વડે એમને ગોળગોળ ફેરવી આનંદનો ખજાનો લૂંટે છે.
પણ ઉંમર વધવા સાથે ડૉક્ટરો એમને ચેતવણી આપવા માંડ્યા કે ‘શરીર ઘટાડો, શરીર ઘટાડો!’ એ બિચારા ડૉક્ટરોની વાતમાં આવી ગયા. કડક ડાયેટિંગ કરતાં કરતાં બિચારા અધમૂઆ થઈ ગયા. બિચારા કહેતા, ‘આ ડાયેટિંગને કારણે આઇ વીલ ડાઇ વિધાઉટ ઇટિંગ’. પણ ડૉક્ટરોની ચેતવણી એવી ભારે હતી કે ઘરનાંઓ ડાયેટિંગ બંધ કરવાનું જોખમ લેવા તૈયાર ન હતાં. આ બધાં પછી પણ એમનું શરીર ઘટવાનું નામ નહોતું લેતું. એમણે વજન કાંટો પણ ખરીદ્યો ને સવાર-બપોર-સાંજ વજન કરવા માંડ્યું. પણ કાંટો હાંફતો હાંફતો મૂળ આંક પર જ જઈને ઊભો રહે ને આ બિચારા જીવ નિરાશ થઈ જાય. વજનકાંટાને ઊંચકીને બહાર ફેંકી દેવાનો વિચાર દરેક વખતે આવે પણ વજનકાંટાની કિંમત યાદ આવે એટલે ઢીલા પડી જાય. એમણે મેજર ટેપ પણ ખરીદી છે. દિવસમાં એકાદવાર મેજર ટેપ લઈને પેટની ગોળાઈ માપે જ માપે. સંસ્કૃત કવિઓને અર્ધી માત્રા મળી જતી તોય એમને પુત્ર જન્મ જેટલો આનંદ થતો એમ કહેવાય છે. અમારા મિત્રના પેટની ગોળાઈ અર્ધો ઇંચ પણ ઓછી થાય તો એમને પણ પુત્રજન્મ જેટલો આનંદ થાય પણ આવો આનંદ એમના નસીબમાં નહોતો. એમને થતું આ તો બાવાના બેય બગડે છે. ખવાતું-પિવાતુંય નથી ને શરીરમાં ઘટાડો પણ થતો નથી. એમાં વિશાળ ફાંદને કારણે બચી ગયેલા માણસની વાત એમના વાંચવામાં આવી અને ડાયેટિંગ બંધ કરવાનું સજ્જડ બહાનું એમને મળી ગયું.
અત્યારે મિત્રના હિસાબે ને જોખમે ખાનગી પાર્ટીઓ ચાલી રહી છે. ઘરનાંઓનો મત કેળવવા તેઓ પ્રયત્નશીલ છે. ભારત જેમ વિશ્ર્વના વગદાર દેશો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવવાનો પ્રયત્ન કરે છે તેમ અમારા મિત્ર મારા જેવા એમના મિત્રો દ્વારા ડાયેટિંગ છોડી દેવા પોતાના પર સખત દબાણ થઈ રહ્યું છે તેવું ઘરનાંઓને લાગે તેવો તખ્તો ગોઠવી રહ્યા છે. જુદા જુદા મિત્રો એમને ઘેર જઈ, ઘરનાંઓની હાજરીમાં, ડાયેટિંગ છોડી દેવા એમના પર દબાણ કરે એવું ટાઇમટેબલ એમણે ગોઠવ્યું છે. ‘મિત્રોના દબાણ આગળ ઝૂક્યા વગર છૂટકો નથી.’ એવું મિત્ર ઘરનાંઓ સમક્ષ કહ્યાં કરે છે. ઘરનાંઓ પણ ઢીલાં પડ્યાં છે, એમ મિત્ર કહે છે, અથવા તો એમને એવું લાગે છે. થોડા જ વખતમાં મિત્રના ઘેર ‘ડાયેટિંગ સમાપ્તિ’ના માનમાં એક ભવ્ય પાર્ટી યોજાશે એવી આશા અમે મિત્રો સેવી રહ્યા છીએ.
વાચકોના પ્રતિભાવ