વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મહાત્મા ગાંધી

1241- બા : મહાત્માનાં અર્ધાંગીની .. લેખક- અરુણ ગાંધી અનુવાદ : સોનલ પરીખ … પુસ્તક પરિચય

મહાત્મા ગાંધીજી વિષે ઘણું લખાયું છે અને હજુ પણ ઘણું લખાતું રહેશે. પરંતુ એમનાં જીવન સાથી અને અર્ધાંગીની કસ્તુરબા વિષે લખાએલું બહુ ઓછું જાણવા મળે છે.ગાંધીજીના જીવનમાં કસ્તુરબા પતિના પડછાયાની જેમ જીવ્યાં હતાં.એમની અંગત મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓને અવગણી એક ત્યાગમૂર્તિની જેમ બાપુને બધી રીતે સાથ આપ્યો હતો.

ગાંધીજી પોરબંદરના એક વણિક મોહનદાસ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા એ માટે ઘણાં કારણો હશે પરંતુ એમાં બાનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે.

અનજાણ પ્રતિભાવાન વ્યક્તિ કસ્તુર બા વિષે એમના પુત્ર મણીલાલના પુત્ર શ્રી અરુણ ગાંધીએ ખંતથી વિગતો એકઠી કરીને લખેલ એક દસ્તાવેજી પુસ્તક ”મહાત્માનાં અર્ધાંગીની ”મારફતે  એક પૌત્ર તરીકેની એમણે સુંદર ફરજ બજાવી છે.

આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કસ્તુરબાનાં પ્રપૌત્રી સોનલ પરીખએ કર્યો છે.આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.

આ બન્ને ગાંધી કુળનાં સંતાનોને આ પુસ્તક માટે જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. 

આ પુસ્તકની જાણવા જેવી વિગતો જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમ ગજ્જર એ એમના બ્લોગમાં અને ફેસબુક પર પોસ્ટ કરેલ છે જે એમના આભાર સાથે આજની આ પોસ્ટમાં પ્રસ્તુત છે… વિનોદ પટેલ 

સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ/ફેસ બુક 

 

હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગીની.’ શીર્ષક સુચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમુર્તી કસ્તુરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.

કસ્તુરબા વીશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતીના પગલાંમાં પગ મુકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વીશેષ કોઈ પ્રતીભા એમનામાં હતી નહીં.

પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગીની હતાં જરુર; અંધ અનુગામીની નહીં, સમજદાર સંગીની હતાં. મહાત્માનાં અર્ધાંગીની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરીમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સુઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.

‘બા : મહાત્માનાં અર્ધાંગીની’ પુસ્તકની વીશેષતા એ છે કે તેને મુળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તુરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તુરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.

અહીં હું આ બન્નેનો થોડો પરીચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :

ડૉ. અરુણ મણીલાલ ગાંધી કસ્તુરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રીલ, 1934માં દક્ષીણ આફ્રીકાના ફીનીક્સ આશ્રમમાં થયો હતો. માતા–પીતા સુશીલા અને મણીલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચીંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં

બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહીના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષીણ આફ્રીકાનો રંગભેદ અને ત્યાંનું હીંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઉકળી ઉઠતું. બાએ તેને, તેના આક્રોશને વીધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરીવર્તન માટેની શક્તી બનાવતાં શીખવ્યું હતું.

કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તી અને અહીંસાની વાત વીશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરીકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવીદાય લીધી.

શાન્તી અને અહીંસાનાં બીજ દુર દુર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તીખેડુત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દીવસ શાન્તીનાં આ બીજ, હરીયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..

સોનલ પરીખના પીતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પીતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વીના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.

પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકીર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વીદ્યાભવન, ગાંધી સ્મારકનીધી(મણીભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભુમી’નાં તંત્રીવીભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભુમી’, ‘જન્મભુમી પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન’, ‘નવચેતન’, ‘કવીતા’, ‘વીચારવલોણું’માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.

હવે આ બન્ને, કસ્તુરબા વીશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :

લેખક અરુણ ગાંધી કહે છે :

‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તીત્વ એવું વીરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તુરબા અને મારા પીતા મણીલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વીચારો અને વ્યક્તીત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.

આધુનીક, પશ્ચીમી મુલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મુકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વીકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટી હતી, વ્યક્તીને પરીવર્તીત કરવાની શક્તી પણ હતી. તેનાં પરીણામે કસ્તુરબા અને મણીલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તીગત પ્રાપ્તી વીશે વીચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પીત કરવાનું વધુ પસંદ કર્યું હતું.

જેમણે કસ્તુરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પુરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પીતા મણીલાલે ત્યારે દક્ષીણ આફ્રીકામાં રહી બાપુએ 1873માં શરુ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહીંસક માર્ગે સામાજીક અને રાજકીય પરીવર્તનોની દીશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરીવારને મળતા. દાદા–દાદીનું હુંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃતીઓનું ધન છે.

બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વીશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સીવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશીક્ષીત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતીને અનુસરતાં; પણ પતી જે વીરાટ કાર્યો કરતા તેના વીશે ભાગ્યે જ કંઈ સમજતાં.

હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપીતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારીક શીક્ષણ ખુબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતી ન હતાં. ઈતીહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નીષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભુમીકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતીતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.

‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહીંસાની મુળભુત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નીષ્ક્રીય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતીની કોઈ વાત ગળે ન ઉતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તીથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહીંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.

પણ બા વીશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પુરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપીતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સીવાય બાના પરીવારના ઈતીહાસ વીશે જાણવાનો કોઈ આધાર નથી.

એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખીક ઈતીહાસ. આ ઈતીહાસ આપનારા તમામની દૃષ્ટી બાપુની પ્રેરક સ્મૃતીઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપુર જરુર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડીંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.

છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરીકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તુરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વીશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતીભાવ મળતા.

અમને આશ્ચર્ય થતું. મહીલાઓના અધીકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વીશે ઉતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હીન્દા ઉન્દ દીલ્માએ તેની જર્મન આવૃત્તી પ્રગટ કરી. 1983માં મેક્સીકો યુનીવર્સીટીએ તેનું સ્પૅનીશ ભાષાન્તર પ્રગટ કર્યું.

પુસ્તકની અંગ્રેજી આવૃત્તીના પ્રકાશનમાં હજુ વીઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું

બા–બાપુ અભીન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહીયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપુર્વક કરેલો અમારો આ પરીશ્રમ સાર્થક થશે.
–અરુણ ગાંધી

અને પ્રાસ્તાવીક ‘કિંચીત્’માં અનુવાદીકા સોનલ પરીખ લખે છે :

‘કસ્તુરબા મારાં દાદીનાં દાદી.’

લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તુરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું.
તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહીના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમીયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલીક પદ્ધતી શોધી, દક્ષીણ આફ્રીકામાં અને હીન્દમાં વીરાટ કાર્યો કર્યાં, દેશને બ્રીટીશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વીશ્વની ગરીબ, શોષીત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નીત્ય પરીવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સીદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટીબદ્ધ મહાત્માનાં અર્ધાંગીની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.

બાપુનાં જીવનકાર્યો અને દેશના ઈતીહાસનાં મહાપરીવર્તનો સાથે, બાનું જીવન અભીન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વીરાટ ઐતીહાસીક ઘટનાઓનાં મુળમાં, પોતાની પ્રાણશક્તી સીંચી છે. કાઠીયાવાડની એક સંસ્કારી પણ નીરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઉથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.

ડૉ. અરુણ ગાંધી–મારા અરુણમામા–નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તુરબાને સમજવાની અને તેમના વ્યક્તીત્વને વીશ્વ સમક્ષ રજુ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઉંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરીત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઉઠાવી છે અને ઉપલબ્ધ માહીતી સાથે કલ્પનાનું સંયમીત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપુર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગીની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વીસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.

અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પુરી મહેનત કરી છે, મહીનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં–તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપુર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતીવાચકોની નવી પેઢીને પણ ગમશે.
–સોનલ પરીખ

(લેખક અને અનુવાદીકાનાં લખાણો સહેસાજ સાભાર ટુંકાવીને..)

તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ.
(કારણ કે આમાં ‘કસ્તુરબા’ વીશે પુસ્તકમાંનું કશું જ મુકી શકાયું નથી!)
– ઉત્તમ ગજ્જર અને સમ્પાદકો..

પુસ્તક પ્રાપ્તિની માહિતી ….

(પુસ્તકના લેખક : અરુણ ગાંધી; અનુવાદ –સોનલ પરીખ : sonalparikh1000@gmail.com

મુલ્ય : બસો રુપીયા; પાન સંખ્યા–270; પ્રથમ આવૃત્તી : ઓક્ટોબર, 2016;

પ્રકાશક અને મુદ્રક : વીવેક જીતેન્દ્ર દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–380 014; ફોન : 079-2754 0635 અને 079-2754 2634;

eMail : sales@navajivantrust.org Website : http://www.navajivantrust.org

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 411 –October 14, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Source- https://www.facebook.com/uttam.gajjar.92/posts/2034840676566140

 

Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel is also seen looking at this memorable scene of love between this great couple !

ગાંધીજી,કસ્તુરબા અને પ્રેમ પત્રો

અગાઉ વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસિદ્ધ કરેલ શ્રી તેજસ વૈદ્ય લિખિત નીચેનો લેખ આજની આ પોસ્ટની પૂર્તિ કરે છે.ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે પ્રેમનું કેવું અતુટ બંધન હતું એ બાપુના બાને લખેલ પ્રેમ પત્રોમાંથી જણાઈ આવે છે.

 ગાંધીજીના કસ્તુર બા ને લખાએલ લવ લેટર્સ !…તેજસ વૈદ્ય

1113 – આવા સીધા સાદા હતા ગરીબોના બેલી ગાંધી બાપુ …. સ્મરણાંજલિ

આજે બીજી ઓક્ટોબરે  રાષ્ટ્રપિતા   મહાત્મા ગાંધીજી નો  જન્મ દિવસ છે.આ દિવસે લોકો અને ખાસ કરીને રાજનેતાઓ ગાંધીને યાદ કરશે અને વિવિધ કાર્યક્રમો યોજી અને પ્રવચનો કરી  ગાંધી જયંતીનો દિવસ મનાવશે.

ગાંધીનું નામ વટાવી રહેલા આજના રાજકીય નેતાઓ ગાંધીના આદર્શોથી વિરુદ્ધ વર્તન કરતા આજે નજરે પડે છે.ગાંધીની સાદગી તો આજે ક્યાંય વિસરાઈ ગઈ છે અને ગરીબ દેશને પોષાય  નહી એવા ખોટા ભભકા અને આંધળા ખર્ચાઓમાં લોક પ્રતિનિધિઓ રાચે છે.

ગરીબોના બેલી મહાત્મા ગાંધીના જીવનની સાદગી  વિષે અગાઉ મેં લખેલું કે લોકો એમને મહાત્મા કહે એ ગાંધીજીને પસંદ ન હતું.એ કહેતા
”હું તો અલ્પ પ્રાણી છું.તમે મને મહાત્મા માનો છો એનું કારણ ગરીબમાં ગરીબ માટે રહેલો મારો અગાધ પ્રેમ છે. ગમે તે થાય તો પણ ચીંથરેહાલનો તો મારાથી કદી ત્યાગ ન જ થઇ શકે .તેથી જ તમને લાગે છે કે ગાંધી કઈક કામનો માણસ છે.ત્યારે મને ચાહનારા સૌની પાસે હું એ માગું છું કે તમે મારા માટે પ્રેમ ધરાવો છો તો જેમને માટે હું પ્રેમ ધરાવું છું તે ગામડાંના લોકોને અન્નવસ્ત્ર મળ્યાં વિના ન રહે એવી કોશિશ કરો.”

ગાંધીજી માનતા હતા કે તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં મોટા ભાગના માણસો ગરીબ છે.એટલા માટે જ તેઓ ગોળમેજી પરીષદમાં લંડન ગયા ત્યારે એમના હંમેશ મુજબના સાદગી ભર્યા પોષક ધારણ કરવાની એમને કોઈ નાનમ રાખી ન હતી.એ વખતે વિન્સ્ટન ચર્ચિલે “નેકેડ ફકીર ઓફ ઈન્ડિયા” એમ કહીને એમની ટીકા કરી હતી.

ગાંધીજી ગરીબો માટે પોતાના દિલમાં કેટલે દરજ્જે ખ્યાલ રાખતા હતા એનો એક પ્રસંગ વાંચેલો યાદ આવે છે .આજના નેતાઓએ એમાંથી પ્રેરણા લેવા જેવી છે.

એક વખત મહાત્મા ગાંધી એમના અનુયાયીઓ અને સાથીઓ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનમાં ચડતી વખતે એમનું એક ચમ્પલ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં પડી ગયું.ગાડી ઉપડવાની તૈયારી હતી.પડી ગયેલું ચમ્પલ પાછું મળે એમ ન હતું.આ સંજોગોમાં એક ઘડીનો પણ વિલંબ કર્યા વગર જે જગાએ ચમ્પલ પડી ગયું હતું તે જ જગાએ ગાંધીજીએ એમનું બીજું બચી ગયેલું ચમ્પલ હાથમાં પકડીને ફેંકી દીધું. આશ્ચર્યમાં ગરકાવ થયેલા એમના સાથીઓને એમણે સમજાવ્યું “કોઈ ગરીબ માણસને જો એક ચમ્પલ હાથમાં આવે તો એના કોઈ કામમાં ન આવે પણ જો બે ચંપલની જોડ એના હાથમાં આવશે તો એનો ઉપયોગ કરીને એ કેવો રાજી થશે !”

ભારતને સ્વરાજ્ય મળ્યાને આજે ૭૦ વર્ષનાં વહાણાં વહી ગયાં છે અને છતાં હજુ દેશમાંથી ગરીબીના શરમજનક દ્રશ્યો દુર થયા નથી.ગાંધીજીની ટ્રસ્ટી શિપની ભાવનાનો લોપ થયો છે.ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ વધતી જાય છે.ફક્ત એકસો માણસો પાસે દેશની ૫૫% સંપતિ કેન્દ્રિત થઇ છે.ગાંધીજીનો સેવાનો મંત્ર આજે ભૂલાઈ ગયો છે.ગાંધીજીના જેવી દરિદ્રોની ચિંતા કરતા હોય એવા નેતાઓ આજે દેશમાં દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે એમ છે ?મહેલોમાં મ્હાલતા અને વિમાનોમાં ઉડતા આજના કહેવાતા નેતાઓ,દુરાચારો અને ભ્રષ્ટાચાર આચરીને ગાંધીના રૂડા નામને લજવી રહ્યા છે.પોતાનાં ખિસ્સાં ભરવામાં પડેલા નેતાઓને ગરીબોની ચિંતા કરવાનો સમય ક્યાં છે ?

ગઝલકાર શેખાદમ આબુવાલાએ આજના નેતાઓ માટે કટાક્ષ કરતાં સરસ કહ્યું છે કે “ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું ?ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો !કેવો તું કિંમતી હતો,સસ્તો બની ગયો !.”

એમના કર્મયોગી જીવનથી તેઓ વિશ્વ વિખ્યાત બન્યા હોવા છતાં ગાંધીજીમાં ભારોભાર નમ્રતા ભરી હતી.એમની આત્મકથા સત્યના પ્રયોગોમાં એમણે કહ્યું છે :”મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત જુજ છે.એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક ક્ષણ મને યાદ નથી .જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું ,મારા ભૂતકાળના જીવન ઉપર દ્રષ્ટિ નાખતો જાઉં છું ,તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. “

સંદેશ.કોમમાં પ્રગટ ગાંધીજીની સાદગી વિશેનો નીચેનો શ્રી દેવેન્દ્ર પટેલનો સ્વ.મનુબેનની ડાયરી આધારિત લેખ આજે ગાંધી જયંતીને દિવસે આજના રાજકીય નેતાઓને અર્પણ છે.આશા છે એમાંથી તેઓ કોઈ ધડો લેશે અને ગાંધી મુલ્યોને સમજી એ પ્રમાણે પોતાનું કામકાજ ગરીબોને યાદ રાખીને કરશે.

વિનોદ પટેલ 

===============

સૌજન્ય- શ્રી દેવેન્દ્ર પટેલ , સંદેશ.કોમ

સાભાર – Mr. Prabhulal H. Bharadia -ઈ-મેલ માંથી 

આવા નિર્મોહી પ્રાતઃસ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીને એમની જન્મ જયંતીના આજના દિવસે અંતરથી પ્રણામ અને આ પોસ્ટ મારફતે એમને ભાવભરી સ્મરણાંજલિ.

(સ્કેચ – વિનોદ પટેલ )

1079 – ગાંધીજી વિષે અવનવું …… શ્રી હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા એવોર્ડ વિજેતા હાસ્ય લેખક મિત્ર શ્રી હરનીશ જાની ના લેખો સુરતના અખબાર ‘ગુજરાત મિત્ર’ માં દર બુધવારે કોલમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ માં નિયમિત પ્રગટ થતા હોય છે.

ગુજરાત મિત્રની આ કોલમમાં તારીખ  ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી  હરનીશભાઈનો લેખ ‘ગાંધીજી વિષે અવનવું ‘ પ્રસિદ્ધ થયો છે એ મને ગમી ગયો.

આ લેખમાં ગાંધીજી વિષે અગાઉ વાંચી કે સાંભળી નહોતી એવી કેટલીક વાતો તેઓએ રજુ કરી છે.એમાં તેઓએ ગાંધીજીને મહાત્મા બનાવનાર કેટલાક મૂળભૂત ગુણોનું સરસ વિશ્લેષણ કર્યું છે.

ગાંધીજી એમના જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે કેવી રીતે દોડાવતા હતા એની હરનીશભાઈએ એમની આગવી રીતે રજુ કરેલ રસિક વાતો વિનોદ વિહારના વાચકોને મારી જેમ જરૂર ગમશે.

વિનોદ પટેલ

‘ગાંધીજી વિષે અવનવું ‘ …. શ્રી હરનીશ જાની ‘

અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધી બાપુ વિષેની વાત સાંભળી,જે મેં અગાઉ કદી સાંભળી નહોતી . બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે. ૧૯૦૩માં સાઉથઆફ્રિકા( આફ્રિકાના એક દેશનું નામ) માં ગાંધીજી ફુટબોલ ( અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફુટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફુટબોલ ક્લબની સ્થાપના કરી હતી. ડરબનમાં, પ્રિટોરીયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેના નામ અહિંસક સત્યાગ્રહ ફુટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફુટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ– ફુટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા. કાગળિયાં–પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુઝિયમના ફોટાઓ પુરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.

વાત એમ છે કે ઈંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફુટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફુટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિધ્ધાંત ગમતો. આ ફુટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગૂણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથઆફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો.

ગાંધીજીના ઘણા ગુણ મને ગમે છે પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદભૂત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે.પરંતુ ગાંધી બાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.

તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો ફર્સ્ટક્લાસ ની ટિકીટ લઈ અને ડરબનથી પ્રિટોરીયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકીટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઉતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાવ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી ,આફ્રિકા આવ્યા હતા.અને માટે આ ટિકીટ ચેકર સાથે માથાકુટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીઝબર્ગના સ્ટેશને ફેંકાય જવાનું પસંદ કર્યું અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતાં માર ખાધો. પણ પોતાના સિધ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરાય ઉતરતી નથી. એ સિધ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે.

અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈપણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત.

ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી કે નાતાલ (સાઉથઆફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મુકી દીધુ અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક્ક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનું અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મુકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરીત નિર્ણય લઈ શકે?

જગતમાં કોઈપણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.

કેટલાને ખબર હશે કે આફ્રિકાના “ એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટીશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯ થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના બન્ને પક્ષના ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો.

ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય. ગાંધીજીનું આ ચારિત્ર સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે ગાંધીજી ,જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા.સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી ,પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભારતીય  ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટીશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.

ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજુદ હતું. નહેરુ સરદાર પટેલ, મૌલાના, ક્રિપ્લાની જેવા કેટલા ય મહારથીઓ તેમની ફૂટબોલના સિધ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.

છેલ્લી વાત–

એક વખતે પંડિત નહેરુ એક માનસિક રોગોની હોસ્પિટલની વિઝિટે ગયા હતા. ડોક્ટોરો જોડે અંદર ફરતા હતા. ત્યાં તેમની પાસે એક બોળકા માથાવાળો દર્દી આવ્યો. તેણે પંડિતજીને પૂછ્યું કે “ભાઈ તમે કોણ છો?” પંડિતજી બોલ્યા કે “ હું પંડિત નહેરુ છું.” તો તે દર્દી બોલ્યો, “ ચિંતા ન કરો. તમે પણ સારા થઈ જશો. હું અહીં આવ્યો ત્યારે મહાત્મા ગાંધી હતો.”

===========================

શ્રી હરનીશ જાનીનો તારીખ ૧૯ મી જુલાઈએ ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો એક બીજો લેખ ‘ગદ્દાર બને તે ખૂંખાર પણ બને ‘વાંચવા માટે નીચેની લીંક પર કલીક કરો.

http://gujaratmitra.in/Portals/6/Supplements/drp12.pdf

Image may contain: 3 people, people smiling, people standing

  હરનીશ જાની 

સંપર્ક –

E Mail-harnishjani5@gmail.com

(843 ) ગાંધી નિર્વાણ દિને શ્રધાંજલિ….એમના જીવનના પ્રસંગો, ચિત્ર અને કાવ્યાંજલિ …….

Gandhi-artistic૩૦મી જાન્યુઆરી ૨૦૧૬ એટલે મહાત્મા ગાંધીએ દેશ માટે આપેલી શહીદીની ૬૮મી સંવત્સરી .

આજથી ૬૮ વર્ષ પહેલાં ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ ની એ ગોઝારી સાંજે દિલ્હીમાં બિરલા હાઉસના પ્રાર્થના  સભાના સ્થળે એક ધર્મ ઝનૂની હિંદુ ગોડસેના હાથે ગોળીબારનો શિકાર બની ગાંધી દેશ માટે શહીદ થઇ ગયા .

એમની શહીદીના દિવસે એમને યાદ કરીએ અને વંદન સાથે શ્રધાંજલિ આપીએ.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી  માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

ગાંધી ખરેખર કોઈ નોખી માટીથી બનેલી વિભૂતિ હતા.પોરબંદરમાં જન્મેલ  મોહનદાસ કરમચંદ  ગાંધી નામના સામાન્ય માનવીમાંથી જીવન ભર સત્યના પ્રયોગો કરતા કરતા તેઓ   મહાત્મા ગાંધી બની ગયા હતા. 

મહાત્મા ગાંધીનું વ્યક્તિત્ત્વ કેવું અનોખું હતું એ એમના જીવન ના નીચેના ત્રણ પ્રસંગોમાંથી જોઈ શકાય છે.

ગાંધીજી ના શબ્દોની એમના અનુયાયીઓ પર કેવી સચોટ અસર થતી હતી એ કાકા સાહેબ કાલેલકર લિખિત એમના અનુભવનો  આ પ્રસંગ કહી જાય છે .

હું એક માળી છું — ગાંધીજી

એકવાર ગાંધીજીને મેં પૂછ્યું,”આપ,અમ સાધકોના સાથી જ નહી, પણ માર્ગદર્શક પણ છો.અમારા દોષ સહન કેમ કરો છો ?અમને દોષ બતાવતા કેમ નથી?”

ત્યારે ગાંધીજીએ કહ્યું કે,”હું એક માળી છું માળી શું કરે છે?એ એક છોડ વાવે છે એટલે એમાં ખાતર,અને પાણી આપે છે.હવે એ છોડની આસપાસ ઘાસ પણ ઉગે,એ ઘાસને પણ પેલા ખાતર-પાણી મળે છે.છોડની દ્રષ્ટિએ ઘાસ અનિષ્ટ છે,છતાંય માળી એને તરત ઉખેડી નાખતો નથી.એને ખબર છે કે જો ઘાસ ઉખેડવા જઈશ તો કદાચ પેલો કુમળો છોડ પણ ઉખડી જશે.તેથી એ ધીરજ રાખે છે.પછી જયારે તેને ખાતરી થાય છે કે, હવે છોડના મૂળિયાં બરાબર મજબૂત થયાં છે ત્યારે જ તે કુશળતા પૂર્વક ઘાસ ઉખેડી નાખે છે.”

ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું મારા આચાર વિચારમાં તેમને ન ગમતા દોષ કયા કયા છે તે શોધવા લાગી ગયો.

દોષો શોધવા અઘરા ન હતા .પરંતુ નજરે ચડેલા દોષોને ઉખાડીને ફેકી દેવા એ કેટલું અઘરું છે તેની તે દિવસથી જ મને ખબર પડવા માંડી.

-કાકા કાલેલકર

માલિશ કરવા મળે ને ! – નારાયણભાઈ દેસાઈ

એક વખત ગાંધીજી સાબરમતી આશ્રમમાં રેંટિયો કાંતવામાં મશગૂલ હતા. એવામાં કોઈકે આવીને સાવ હળવેથી એમને કહ્યું : ‘બાપુ ! બહાર કોઈ સાવ ગરીબ માણસ તમને મળવા માગે છે.’

‘ગરીબ છે ? તો, તો હું જરૂર મળીશ.’ બાપુએ પ્રત્યુત્તર વાળ્યો અને બાપુ એને મળવા બહાર ગયા.

‘ઓ…હો….હો…. પરચૂર દેવ શાસ્ત્રી, તમે !? પણ આમ કેમ ?’ ગાંધીજી એમને જોઈ બોલી ઊઠ્યા.

‘મને રક્તપિત્ત થયો છે, એટલે દિકરાએ કાઢી મૂક્યો. હવે બહુ ઓછા દિવસો બચ્યા છે મારી પાસે, એટલે બે ઈચ્છાઓ પૂરી કરવા આવ્યો છું. એક તો, તમારા આશ્રમમાં રહેવાની અને બીજી તમારા જ આશ્રમમાં મરવાની !’ બાપુએ વળતો જવાબ વાળ્યો, ‘પહેલી ઈચ્છા પૂર્ણ થશે, બીજી નહિ થાય. તમને હું મરવા નહિ દઈશ.’

એ પછી સાબરમતી આશ્રમમાં એક વાંસની ઝૂંપડી બાંધી એમને માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી અને જે રોગ માણસને અછૂત બનાવતો હતો એ જ રોગના રોગીને ગાંધીજી સતત 45 મિનિટ રોજ માલિશ કરી આપતા. વખત જતાં, એમની હાલત સુધરવા માંડી અને એ સિમલા ગયા. થોડા મહિના પછી, ગાંધીજીને પણ વાઈસરોય સાથે મુલાકાત અર્થે સિમલા જવાનું બન્યું. એમણે તરત જ ‘હા’ પાડી. કારણ, વાઈસરોયની મુલાકાત તો ઠીક, પણ ત્રણ દિવસ સતત એમને પરચૂરદેવ શાસ્ત્રીને માલિશ કરવા મળે ને, એટલે !

મને જ લોકો ગાંધીજી કહે છે ! 

જનરલ કરીઅપ્પાના  ભાઈ કુમારપ્પા પહેલીવાર ગાંધીજીને મળવા સાબરમતી આશ્રમે આવી પહોંચ્યા .ત્યાં માથે ફાળિયું બાંધેલો એક ડોસો સાવરણાથી સાફસુફીનું કામ કરી રહ્મો હતો. કુમારપ્પાએ તેમને પૂછ્યું “ગાંધીજીને  જણાવો કે જનરલ કરીઅપ્પાના ભાઈ તેમને મળવા આવ્યા છે.’

એ ડોસાએ તેમને સામે પ્રશ્ન કર્યો : ‘ગાંધીજીએ તમને કેટલા વાગ્યાનો સમય આપ્યો છે?”

કુમારપ્પાએ એ પુછપરસ પ્રત્યે  અણગમો પ્રગટ કરતા કહ્યું ,”એનું તારે શું કામ છે ? તું તારે અંદર જઈને ખબર આપ. જો કે એમણે ચાર વાગ્યે મળવાનો સમય આપ્યો છે.”

‘પણ હજી તો સાડા ત્રણ જ વાગ્યા  છે!’ ડોસાએ તેમને જણાવ્યું .

કુમારપ્પા  ખીજાઈ ગયા  : “ડહાપણ કર્યા વગર હું કહું  છું એમ કર !’

આથી એ ડોસો  અંદરના ખંડમાં ચાલ્યો ગયો અને થોડીવારે પાછો આવીને બોલ્યો:  ‘સાહેબ ! આપ બેસો. ગાંધીજી આપને ઠીક ચાર વાગ્ર્યે મળશે.’

કુમારપ્પા બેઠક ખંડની ગાદી પર બેસી ગયા .

બરાબર ચાર વાગ્ર્યે એ ડોસાએ પોતાના માથેથી ફાળિયું કાઢી નાખ્યું અને

કુમારપ્પાને પૂછ્યું :‘બોલો સાહેબ ! શું કામ છે ? મને જ લોકો ગાંધીજી કહે છે ! “

(સંકલિત)

 

ગાંધી અને આઝાદી …અછાંદસ રચના 

Gandhi -color

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭, ભારત બન્યો આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે ખુબ જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં હતા મગ્ન ,

પણ આઝાદીની લડતમાં આગેવાની લેનાર,

દેશ માટે જીવન ખપાવનાર દુખી રાષ્ટ્રપિતા ,

અલિપ્ત રહ્યા, ગેરહાજર રહ્યા એ ઉજવણીમાં,

ક્યાં હતા આ જશન ટાણે, અને શું કરતા હતા ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામડામાં અનશન કરતા હતા ,

એવા નિસ્પૃહી હતા આ દીન દુખિયા મહાત્મા ગાંધી !

કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થઇ ગયા .

દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,

શહીદીની ૬૮મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ . 

–વિનોદ પટેલ

The Last Hours Of Mahatma Gandhi

http://www.mkgandhi.org/last%20days/last%20hours.htm

LAST PHOTO OF GANDHIJI – Courtesy- P.K.Davda 

Gandhi -Last Photo

( 787 ) ગાંધી જયંતી … શ્રધાંજલિ

Gandhi -message

(આ પેઈન્ટીગ -ચિત્ર પૂ. મહાત્મા ગાંધીજીએ એમના 79 સાથીઓ સાથે અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનીજે ઐતિહાસિક દાંડી કુચ યોજી મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો એ પ્રસંગનું છે. )

આજે ૨ જી ઓક્ટોબર ૨૦૧૫ એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની 146મી જન્મ જયંતી છે.આ દિવસે ઠેર ઠેર અનેક લોકો અને સરકારી તંત્ર પણ પૂ. બાપુને યાદ કરી તેમની જન્મ જયંતીને ઉજવશે .

આ દિવસે જ નહીં પણ હમ્મેશાં ગાંધીજીના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવા એમને સ્મરણમાં રાખવા જોઈએ.

આજે લાગે છે કે ગાંધી અને એમણે એમના જીવનમાં અપનાવેલાં મુલ્યો વિસરાઈ રહ્યાં છે. અહિંસાને બદલે હિંસા ચારે કોર જોવામાં આવે છે . સ્વ-શાયર શેખાદમ આબુવાલાની આ પંક્તિઓ થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે.

ગાંધી …

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા

ગાંધી સમાધિ પર

ગાંધી સમાધિ પર તમારી ફૂલ તો મૂકે વતન
માથું નમાવીને તમારી સામે તો ઝૂકે વતન
અફસોસની છે વાત આ દેખાવ છે વાસ્તવ નથી
દેખાય જો રસ્તે અહિંસા મોં ઉપર થૂંકે વતન

– શેખાદમ આબુવાલા

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ગાંધી યુગના જાણીતા સાહિત્યકાર-કવિ  સુંદરમની ગાંધી પરની એક સુંદર સોનેટ રચનાને મારા એક ગાંધી સ્કેચ ચિત્ર સાથે જોડીને નીચે પ્રસ્તુત કરેલ છે, એ આપને ગમશે.

Gandhi -Sonet

ગાંધીજીનું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે. એમનું જીવન એ જ એમનો સંદેશ છે.

ગાંધીજીએ કહેલું કે “મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી, સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યાં આવે છે .”

મહાત્મા ગાંધી એક વિશ્વ માનવ હતા.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખા માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

અમેરિકામાં આફ્રિકન અમેરિકનોને સામાજિક ન્યાય મળે એ માટે લડતની આગેવાની લેનાર અને ગાંધીની માફક પોતાના ધ્યેય માટે શહીદ થનાર માર્ટીન લ્યુથર કિંગ જુનીયર, મહાત્મા ગાંધીને એમની અહિંસક લડતના એક પ્રેરણામૂર્તિ માનતા હતા.એમણે લખ્યું છે :

“God gave me message , Gandhi gave me method “

વિશ્વ વિખ્યાત વિચારક ‘ટોફલરે’ પણ ગાંધીજીની આવી વિશ્વ વ્યાપી અસર ને અંજલિ આપતાં કહ્યું છે :

“21 મી સદી ટેકનોલોજીની દૃષ્ટિએ સેટેલાઈટનો ઉપયોગ કરતી હશે અને માનવમૂલ્યોની દૃષ્ટિએ ગાંધીને અનુસરતી હશે.”

૨ જી ઓક્ટોબર,૧૮૬૯ (ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫) ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલ એક બાળક ,મોહન કરમચંદ ગાંધી એક એવા પ્રકારનું ઉન્નત જીવન જીવી ગયો કે વિશ્વમાં એ મહાત્મા ગાંધીના નામે  અમર બની ગયો .ગાંધીએ ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે .

આવા વિશ્વ નેતા ગાંધીજીના જીવન અને કાર્યોની વિગતે ઝાંખી કરવા “સ્વચ્છ ભારત ” નો સંદેશ આપતી સ્વચ્છતાના આગ્રહી ગાંધીની નીચેની તસ્વીર ઉપર ક્લિક કરીને વિકિપીડીયામાં પહોંચી જાઓ.

Gandhi -svchha Bharat

મહાત્મા ગાંધી

યુ-ટ્યુબ ચેનલ પર ગાંધીજી ના જીવન ઉપરનો આ સુંદર વિડીયો જોવા લાયક છે .

Mahatma Gandhi-Documentary

ગાંધીની જન્મ જયંતીએ આપણે આ મહાન આત્માને યાદ કરી એમણે ચરિતાર્થ કરેલ જીવન મુલ્યોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એ જ એમને સાચી શ્રધાંજલિ આપી ગણાશે .

આ વિશ્વમાનવ – યુગવિભૂતિ ગાંધીને દેશસેવા, માનવસેવા અને એમના ત્યાગ અને સમર્પણ માટે વંદન કરી વિનોદ વિહારની આ પોસ્ટથી એમને હાર્દિક શ્રધાંજલિ આપતાં આનંદ થાય છે.

Lal bahaadur

ગાંધી જયંતીની ઉજવણીમાં આપણે એ ના ભૂલીએ કે ૨જી ઓકટોબર એટલે દેશને જય જવાન ,જય કિશાનનો મંત્ર આપનાર અને ટૂંકા સમયમાં પણ દેશની સુરક્ષા અને સન્માન માટે મૃત્યુ પર્યંત અભિનંદનીય કાર્ય કરી દેશને જાગૃત કરનાર દેશ નેતા લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે.

દેશ ભક્ત શાસ્ત્રીજી ના જન્મ દિવસે એમને પણ વંદન સાથે સ્મરણાંજલિ .

મારા પૌત્ર ચી. અર્જુનનો જન્મ દિવસ.

૨ જી ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતીના દિવસે જ મારા પૌત્ર અર્જુન નો પણ જન્મ દિવસ છે.આ શુભ દિવસે પૌત્ર અર્જુનને ગ્રાન્ડ પા નાં હાર્દિક અભિનંદન અને ઉજ્જળ ભાવી માટે અનેક શુભેચ્છાઓ .

આ જન્મ દિવસના પ્રસંગે ,અર્જુન અને મારાં પોતરાંઓનાં ચિત્રોને મઢી લઈને એમના ગ્રાન્ડ પા વિનોદભાઈ એ બનાવેલું એક ગ્રીટિંગ કાર્ડ …

HAPPY BD-ARJUN

 HAPPY BIRTH DAY DEAR ARJUN,

MANY HAPPY RETURNS OF THE DAY 
 

ભારતનો ૬૮મો સ્વાતંત્ર્ય દિવસ/…..ગાંધીજીના સ્વપ્નનું સ્વરાજ આજે છે ખરું? …. એક ચિંતન લેખ

 Ramesh Patel poem final

૧૫મી ઓગસ્ટ ૨૦૧૫, એટલે ભારતનો ૬૮ મો સ્વાતંત્ર્ય દિવસ

આજથી ૬૮ વર્ષ પહેલાં રાષ્ટ્રપિતા ગાંધીની આગેવાની નીચે ચાલેલી અહિંસક લડત બાદ ભારત અંગ્રેજી રાજ્યની ચુંગાલમાંથી મુક્ત બની એક આઝાદ દેશ બન્યો હતો .જન માનસમાં નવી આશાઓ અને આકાંક્ષાઓ  સાથે એ દિવસથી એક નવા સ્વતંત્ર ભારતના ઇતિહાસનું નવું પ્રકરણ શરુ થયું હતું .

હવે ૬૮ વર્ષની સ્વતંત્રતા બાદ આજે એક પ્રશ્ન જન માનસમાં ઉભો થાય છે કે શું ભારત દેશની ગામડાઓમાં રહેતી છેવાડાની પ્રજાને સ્વાતંત્ર્યનાં મીઠાં ફળ ચાખવા મળ્યાં છે ખરાં ? અત્યાર સુધી રાજ્ય કરી ગયેલી સરકારોના નેતાઓના દેશમાંથી ગરીબી દુર કરવાના બોદા હાકલા  પડકારા છતાં હજુ ગરીબી ખરેખર દુર થઇ છે ખરી. ?હકીકત તો એ છે કે આજે ગરીબો અને ધનિકોની આવક વચ્ચેની ખાઈ રોજ બરોજ વધતી જ જાય છે .

ચીલા ચાલુ રીતે આ સ્વાતંત્ર્ય દિવસના દિવસે ગાંધીજીના નામને નેતાઓ યાદ કરશે.એમનાં ગુણ ગાવામાં કોઈ કચાસ નહી રાખે.ગાંધીનાં બાવલાંનું ઉદઘાટન કરશે .પરંતુ એમના બોધેલ સીધાંતોના અમલનું શું ? એ પ્રશ્ન હજુ વણ ઉકલ્યો જ રહ્યો છે.ગાંધીજી કહેતા હતા કે જ્યાં સુધી સ્વતંત્રતાનાં ફળ સમાજના છેવાડાના ગરીબ માણસ સુધીના પહોંચે ત્યાં સુધી ખરી આઝાદી મળી ના કહેવાય .

પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે સાત મહાપાતકો ગણાવેલાં એ યાદ આવે  છે:

૧. કાર્ય વગરની કમાણી

૨. વિવેક વગરનું સુખ

૩ ચારિત્ર્ય વગરનું જ્ઞાન

૪. નીતિ વગરનો વહેવાર

૫. માનવતા વગરનું વિજ્ઞાન

૬. ત્યાગ વગરનો ધર્મ અને

૭. મૂલ્યો વગરનું રાજકારણ. 

આજનીરિસ્થિતિમાં આ ગાંધી મુલ્યો ઉપર વિચાર કરવા જેવો છે.હકીકત તો એ છે કે આજે ગાંધી કથિત આ મુલ્યો વિસરાઈ ગયાં છે.

ગાંધી ચિત્ર - ચિત્રાંકન વિનોદ પટેલ

ગાંધી ચિત્ર
– ચિત્રાંકન વિનોદ પટેલ

સ્વ. શેખાદમ આબુવાલાની ગાંધી વિશેની એક ગઝલની આ પંક્તિઓ યાદ આવી જાય છે.

ગાંધી કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો

બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો

ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?

ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

– શેખાદમ આબુવાલા.

સંદર્ભમાં,આજના ૬૮મા સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે   અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ મારી આ કાવ્ય રચના અત્રે ફરી રજુ કરું છું જે આજની દેશની હાલત વિષે ઘણું કહી જાય છે . 

ફરી જન્મ લઇ ક્યારે આવશો, પ્રભુ ?

અધર્મ ચોમેર ફેલાઈ રહ્યો છે આજે

વેરઝેર,યુદ્ધો ને આતંકવાદ જોર કરે આજે

નવી યાદવાસ્થળી વિનાશ નોતરે ત્યારે

ગીતામાં દીધેલ વચન પુરું કરવાને કાજે

અધર્મ મિટાવી ધર્મનું સંસ્થાપન કરવા

કેમ ફરી અવતરતા નથી દેવકીનંદન ?

 

એક ગાંધીને મોકલ્યો તમે ભારત દેશે

સ્વરાજ્ય આવ્યું ,નાચ્યા ,કુદયા,જશન મનાવ્યો

જુઓ પછી શું કર્યું અમે એ સત્યવાદી ફકીરનું ?

ગોળી મારીને ઢાળી દીધો, ન શરમાયા અમે !

 

ગાંધી જતાં જુઓ કેવી આંધી ફેલાઈ છે આજે

રૂડું નામ વટાવી એનું સેવાના નામે મેવા આરોગતા

શ્રીમંત બની રહ્યા નીર્લજ્જ ભ્રષ્ટ સત્તામદ લોકસેવકો

ગોચર ચરી પુષ્ટ બનેલ જાણે મદમસ્ત આખલાઓ !

 

સ્વરાજ્યનાં મીઠાં ફળ ખાઈ રહ્યા નેતાઓ,શ્રીમંતો

ભૂલી ગયા બિલકુલ ગાંધી હૃદયમાં વસતા દરિદ્રોને

એટલા માટે જ વિનવીએ છીએ તમોને ફરી ફરી

અધર્મ મિટાવી,ધર્મ સ્થાપી, આમ જનોના રક્ષણ કાજે

ભારતમાં જન્મ લઇ ફરી ક્યારે આવશો પ્રભુ ?

ગીતામાં આપેલ વચન ક્યારે પૂર્ણ કરશો ,યોગેશ્વર ?

 –વિનોદ પટેલ, સાન ડિયાગો ,કેલીફોર્નિયા 

(મારા લેખ “ભારતમાં વકરી રહેલો ભ્રષ્ટાચાર , ભુલાતાં ગાંધી મુલ્યો.”માંથી)      

=======================

આજની આ ગાંધી મુલ્યોને સ્પર્શતી પોસ્ટના સંદર્ભમાં મને ગમેલો જાણીતા કટાર લેખક શ્રી દેવેન્દ્ર પટેલનો સંદેશની રેડ રોઝ કોલમમાં પ્રકાશિત એક લેખ  “ ગાંધીજીએ કેવા સ્વરાજની કલ્પના કરી હતી?” વાંચવા જેવો છે.

આ લેખમાં ગાંધીજી જણાવે છે કે ….

ગામડાંનો નાશ તો હિન્દુસ્તાનનો નાશ

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્તિ

મારા સપનાનું સ્વરાજ તે ગરીબનું સ્વરાજ છે

ગાંધીજીના સ્વપ્નના સ્વરાજ વિશેના વિચારો કેવા હતા એ જાણવા માટે નીચેના ગાંધીજીના આ ચિત્ર ઉપર ક્લિક કરી આ આખો પ્રેરક લેખ વાચો.

Gandhi -color

 સૌજન્ય- સંદેશ.કોમ 

================

આ પોસ્ટના મથાળે કુચ કરતા ગાંધીજીનું ચિત્ર મુક્યું છે એમાં મારા કવિ મિત્ર શ્રી રમેશ પટેલ નું પ્રસંગોચિત એક કાવ્ય અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ કાવ્ય ઝીણા અક્ષરમાં  છે એટલે કદાચ વાંચી ના શકાય તો આ આખું આ સરસ કાવ્ય નીચે આપું છું.

ફરફર ફરક ત્રિરંગા…રમેશ પટેલ(આકાશદીપ)

જોમ હામ સમર્પણ લહરે
ફરફર ફરક ત્રિરંગા
જશ્ન ગૌરવ તું આઝાદીનું
ગાય હિમાલય ગંગા

પુણ્ય સ્મરણીય વંદન અમારા
ક્રાન્તિકારી લડવૈયા
લોકશાહી જનશક્તિ જ્યોતિ
કોટિ બાહુ રખવૈયા

પર્વત સરીતા સાગર ધીંગા
નવયુગ દર્શને ઝૂમે
તીર્થ ભૂમિ જ મા જગકલ્યાણી
સબરસ થઈ એ ઝૂમે

ગાંધી પથ છે માનવતાનો
સર્વધર્મ સરવાળો
શ્રમ આદર એ સૌરભ જગે
દેશ ઝૂમે નિરાળો

ચંદ્ર મંગલની વાત જ કહી
ફરફર ફરક ત્રિરંગા
સાત સૂરોની સંગમ ભૂમિ
જન જન ઉર ઉમંગા

સાભાર- સૌજન્ય- શ્રી રમેશ પટેલ, આકાશ દીપ