કેલીફોર્નીયાના લોસ એન્જેલસ શહેરમાં એક રૂઢીચુસ્ત અને ધાર્મિક માતા-પિતા અને અને એમનો કોલેજમાં અભ્યાસ કરતો એકનો એક પુત્ર દિપક સાંજે સાથે ડાઈનીંગ ટેબલ પર ડીનર લઇ રહ્યા હતા.દીપકના લગ્ન બાબતે તેઓ વચ્ચે અવાર નવાર વાતચીત થતી હતી.પુત્ર અને પિતા એ બાબતમાં વિચારોમાં એકમત ન હતા.
એ દિવસે વાતચીતમાં પિતાએ પુત્રને કહ્યું :” બેટા, તું એક વાર કહેતો હતો કે તારી સાથે કોલેજમાં અભ્યાસ કરતી તારી અમેરિકન મિત્ર કેથેરીન સાથે તારે લગ્ન કરવાની ઈચ્છા છે ,ખરું ને !”
દિપક બોલ્યો :”હા ડેડી પણ એ માટે તો તમે અને મમ્મી બન્નેએ મને ઘસીને ના પાડી હતી.”
પિતા કહે :”એ વાત ભૂલી જા, હવે અમે બન્ને એને માટે તને રજા આપીએ છીએ.”
અંદરથી ખુશ થતો દિપક કહે :”પણ તમે બન્ને તો કહેતાં હતાં કે મારે આપણી બ્રાહમણ જ્ઞાતિની છોકરી સિવાય કોઈ અન્ય જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવાનાં નથી અને જો અમારી મરજી વિરુદ્ધ લગ્ન કરીશ તો અમને બન્નેને જીવતાં નહી જોઈશ,હવે એકાએક એવું તો શું થયું કે તમે તમારો વિચાર બદલ્યો અને હવે મને પસંદ અમેરિકન છોકરી સાથે લગ્ન કરવાની સંમતિ આપો છો ?”
પિતા કહે :”દીકરા હવે અહીં અમેરિકામાં ગોળ કે જ્ઞાતિ જેવું ક્યાં રહ્યું છે. જમાના સાથે તાલ મિલાવી મા -બાપે પણ બદલાવું જોઈએ.તું અમારો એકનો એક આંખના રતન જેવો દીકરો છે.અમે તો હવે પાકું પાન છીએ. તારી સામે તો આખી જિંદગી પડી છે,એને કેવી રીતે જીવવી એ તારે જ નક્કી કરવાનું છે.”
વાતમાં જોડાતાં દીપકની મમ્મી પણ બોલ્યાં :” હા બેટા,તારા ડેડીની વાત સાચી છે.તું તને ગમતી એ અમેરિકન છોકરી કેથેરીન સાથે કે તને ગમે એ અન્ય કોઈ પણ જ્ઞાતિની તને યોગ્ય લાગે એ પાત્ર સાથે ખુશીથી લગ્ન કર, એમાં મને પણ કોઈ વાંધો નથી .”
એક વારનાં ખુબ જ રૂઢીચુસ્ત માનસ ધરાવતાં ધાર્મિક સ્વભાવનાં ડેડી-મમ્મીમાં એકાએક થયેલ હૃદય પલટો જોઇને એમના આ કોલેજીયન નવ યુવાન પુત્ર દીપકના અચંબાનો કોઈ પાર ના રહ્યો !
સાંજનું ભોજન લઇ રહેલ પિતાની નજીક ટેબલ પર પડેલ આજના લોસ એન્જેલસ ટાઈમ્સ અખબારમાં દીપકની નજર પડી.એમાં લોસ એન્જેલસ શહેરમાં જ રહેતા બે દક્ષિણ ભારતીય બ્રાહ્નણ યુવાનોના સજાતીય લગ્નના એમના ફોટાઓ સાથે પહેલે જ પાને છપાયેલા સમાચારો હતા.દીપકને મમ્મી-ડેડીમાં એકાએક આવેલ હૃદય પલટાનું કારણ એને મળી ગયું !
–વિનોદ પટેલ
સંદીપ અને કાર્તિક -લગ્ન પ્રસંગે
કથા બીજ ..
આ લઘુ કથા લખવાની પ્રેરણાનું કથા બીજ, કેલીફોર્નીયા,અમેરિકામાં બે ભારતીય નવ યુવકો સંદીપ અને કાર્તિકના હિંદુ વિધિથી થયેલ સજાતીય લગ્ન (same sex marriage)ના નેટ સમાચાર અને એ લગ્નનો યુ-ટ્યુબ વિડીયો છે.
Sandeep + Karthik – South Indian Same Sex Wedding in Los Angeles California, US
Venues:
Golden Peacock Banquet, Hayward CA
Canyon View Banquet, San Ramon CA
નીચેની લિંક પર સાઉથ ઇન્ડિયન યુવાનો સંદીપ-કાર્તિકના કેલિફોર્નિયા ખાતે ઉજવાયેલ સજાતીય લગ્ન પ્રસંગના ઘણા ફોટાઓ જોઈ શકાશે.
દેશ વિદેશમાં અને પોતાના અંગત જીવનમાં પણ બની ગયેલા ઘણા સારા માઠા બનાવોની યાદોને પાછળ છોડીને અગાઉના વર્ષોની જેમ વર્ષ ૨૦૧૮ પણ પસાર થઇ ગયું. નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ સાથે આવેલ નવા વર્ષ ૨૦૧૯નું હૃદયથી સ્વાગત કરીએ.
સમયની સાથે મનુષ્યના જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જુનું વર્ષ જાય છે અને એક નવું વર્ષ આપણી ઉંમરમાં ઉમેરાઈ જાય છે.ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે અને વર્ષ દરમ્યાન દર મહીને એ કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી.નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ સ્વાભાવિક રીતે જ માણસને કૈક નવું હોય એ મૂળભૂત રીતે જ ગમે છે.
નવા વર્ષે,નવેસરથી, નવલા થઈએ
નવા વરસે કેલેન્ડર તો બદલાઈ ગયું પણ વર્ષ બદલાતાં તમે બદલાયા છો ખરા !તમારામાં રહેલી ખામીઓ જો દુર ના થાય તો સાચા અર્થમાં નવું વર્ષ કેમ કહેવાય !
નીચેની મારી પ્રસંગોચિત અછાંદસ કાવ્ય રચના નવા વર્ષના સ્પીરીટને ઉજાગર કરે છે.
નવા વરસે નવા બનીએ
ગમતી, ન ગમતી જૂની યાદોને પાછળ મૂકી,
જોતજોતામાં પસાર થઇ ગયું એક જુનું વરસ,
આવીને ઉભા એક નવા વર્ષને પગથાર.
ગત બાર મહિનાની જીવનની ખાતાવહીમાં,
કેટલુક જમા થયું કેટલુક ઉધાર પણ થયું.
નવા વરસે નવ નિર્માણનો સંકલ્પ કરીને,
નવલા વરસે નવલા બનીને ,નવેસરથી,
નવું વર્ષ હળીમળી સૌ પ્રેમથી ઉજવીએ,
નવો આશાદીપ જલાવી જાતને પ્રકાશીએ.
નકારાત્મકતા ત્યજી સકારાત્મક બનીએ,
જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર,
એમાં જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ,
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી,
૨૦૧૯ ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.
વિનોદ પટેલ
નવું વર્ષ એક કોરા પુસ્તક જેવું છે .
નવા વર્ષના શુભ સંકલ્પો …
ઓક્ટોબર ૨૦૦૮ ના ”ધરતી” માસિકમાં પ્રકાશિત મારો લેખ નીચેની લીંક પર ક્લિક કરી વાંચો.
આપ સૌ મિત્રોએ ગત વર્ષો દરમ્યાન વિનોદ વિહારને જે સહકાર આપ્યો છે એ માટે હું દિલી આભાર વ્યક્ત કરું છું.આજથી શરુ થતા ૨૦૧૯ના નવા વર્ષ દરમ્યાન પણ એથી વધુ આપનો સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું.
આ નવું વર્ષ આપને તથા આપના કુટુંબીજનોને સુખ, સફળતા, આરોગ્ય,આનંદ તેમ જ શારીરિક માનસિક અને આર્થિક રીતે સમૃદ્ધિ સભર બને એવી મારી હાર્દિક શુભ કામનાઓ વ્યક્ત કરું છું..
દિવાળી પર્વ – વાક બારસ,ધન તેરશ.કાળી ચૌદશ અને દિવાળી -ના દિવસોના ઉત્સાહી દિવસો પછી હિંદુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત ૨૦૭૫ નું નવું વર્ષ શરુ થઇ ચુક્યું છે.
નવા વર્ષ વિશેની મારી અછાંદસ કાવ્ય રચના ‘‘નવા વરસે ” નીચે પ્રસ્તુત છે.
એમાં નુતન વર્ષ વિશે મારા વિચારો રજુ કર્યા છે.
નવા વર્ષના શુભ સંકલ્પો.. મારો એક લેખ
નવું વર્ષ આવે એટલે નવા વર્ષ માટે મનમાં સંકલ્પો લેવાનો એક સામાન્ય નિયમ થઇ ગયો છે,પછી ભલે એને થોડા સમય પછી જીવનના અન્ય પ્રશ્નો વચ્ચે ભૂલી જવાય.આમ છતાં નવા વર્ષે કેટલાક લેવા જેવા સંકલ્પો મનમાં યાદ રાખીને વર્ષ દરમ્યાન એ પ્રમાણે અમલ કરવાનો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.
અગાઉ અમદાવાદના ગુજરાતી માસિક ” ધરતી” માં પ્રગટ મારો લેખ ” નવા વર્ષના શુભ સંકલ્પો” નીચે પ્રસ્તુત છે.
મારી માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય,કડીના સહાધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જર લિખિત નીચેની સુંદર પ્રાર્થનાથી નવા વર્ષની શરૂઆત કરીએ તો કેવું !
આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ મિત્રએ ઘણાં પ્રેરણાદાયી-Motivational –સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે.
”સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદા સર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષા કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર?
હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.”
પારસ-પ્રાર્થના, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૩૩
ગુજરાતી સુવિચારો
નીચેના વિડીયોમાં રજુ કરેલ ઉત્તમ ગુજરાતી સુવિચારો આપને જરૂર ગમશે.
“What counts in life is not the mere fact that we have lived. It is what difference we have made to the lives of others that will determine the significance of the life we lead.”
– Nelson Mandela
૧૮ જુલાઈ ૧૯૧૮ – ૫ ડિસેમ્બર ૨૦૧૩
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાની ગોરી સરકાર સામે સવિનય વિરોધ અને અહિંસક સત્યાગ્રહ કર્યો હતો એ સાઉથ આફ્રિકામાં જ ગાંધીજીના પગલે ચાલીને નેલ્સન મંડેલાએ પણ ગોરી હકુમત સામે અહિંસક લડત ચલાવી હતી અને ૨૭ વર્ષનો લાંબો કારમો કારાવાસ ભોગવવો પડ્યો હતો. ગોરી હકુમતની રંગભેદની નીતિ અને અન્યાય સામે સંઘર્ષની આગેવાની લઈને છેવટે દક્ષિણ અફ્રિકાને વિદેશીઓની ગુલામીમાંથી સ્વતંત્રતા અપાવવામાં તેઓ સફળ રહ્યા હતા.નેલ્સન મંડેલાને એટલે જ ‘દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી ‘તરીકે પણ સંબોધવામાં આવે છે.
એમનું પુરૂ નામ નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા (Nelson Rolihlahla Mandela) છે.નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ મી જુલાઈ ૧૯૧૮ ના રોજ દક્ષીણ આફ્રિકાના ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. એમના પિતા હેનરી જગાડલા મંડલા ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતા.તેઓ જ્યારે ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ૨૧ વર્ષની ઉંમર થતાં તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી એટલે તેઓ ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા હતા .
મંડેલાએ સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું . મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોડિંગ સ્કૂલમાં રહીને પાસ કરી. બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો. નેલ્સન મંડેલાએ ત્યાં ફોર્ટ હેર વિશ્વ વિદ્યાલય અને વિટવોટર સ્ટ્રાન્ડ વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું.
કોલેજ જીવનના દિવસોથી તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતા. જહાનિસબર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ સન ૧૯૪૨માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એ.એન.સી.)ના સદસ્ય બન્યા.તેઓ આ દળની યુવા પાંખના સ્થાપક સભ્ય હતા .
નેલ્સન મંડેલાએ એ.એન.સી .પક્ષના યુવા પાંખના વડા તરીકે શરૂઆતમાં ત્યાંની લઘુમતી ગોરી હકુમતના બહુમતી અશ્વેત પ્રજા માટેના અન્યાયી કાયદાઓ સામેની લડત મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને અહિંસક ચળવળથી શરૂઆત કરી હતી.પરંતુ જ્યારે આને નબળાઈ માનીને ગોરી હકુમતે અશ્વેત અહિંસક સરઘસો ઉપર ગોળીબાર કરીને સો ઉપરાંત માણસોને મોતને શરણ કર્યા ત્યારે અંગ્રેજોની આંખ ઉઘાડવા માટે અંગ્રેજ સરકારના હિતોની જગાઓ ઉપર બોમ્બ નાખેલા ભૂગર્ભમાં રહીને નેલ્સન મંડેલા અને એમના સાથીઓએ કામચલાઉ સમય માટે હિંસાનો રસ્તો અપનાવેલો.
૧૯૬૦માં સરકાર સામેની હિસક લડત માટે મંડેલાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા. ધરપકડની બીક તથા પોલિસથી બચવા તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા પણ અંતે પકડાયા.એમની સામે દેશદ્રોહનો આરોપ લગાડી તેમને મૃત્યુદંડની સજા કરવામાં આવી. એમના બચાવ માટે પોતે જ વકીલાત નામું દાખલ કર્યું. નેલ્સન મંડેલાએ કોર્ટમાં કહ્યું હતું કે ‘’મને જાણ છે કે આ સ્વાતંત્ર્ય લડત માટે મૃત્યુદંડ અપાય છે પણ સ્વાતંત્ર્ય ચળવળ એ જ અમારા માટે આદર્શ આશા છે. આ માટે જ મારે જીવવું છે ને અમારે જીવવાનો અધિકાર હાંસલ કરવો છે. ટૂંકમાં આ આદર્શ માટે જ મારે જીવનમાં જીવવું કે મરવું છે.’’
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ વિરુદ્ધ ચળવળ શરૂ કરનાર મંડેલાને ૨૭ વર્ષ જેલમાં વીતાવવાં પડ્યાં હતાં જેમાંનાં ૧૮ વર્ષ કુખ્યાત ગણાતી રોબેન આયલેન્ડ પીનલ કોલોની જેલમાં પસાર કરવાં પડ્યાં હતાં.આ જેલમાં પણ રંગભેદની નીતિ ચાલુ હતી . જેલમાં મંડેલાને નાની કોટડી આપવામાં આવી હતી. છ ફૂટ લાંબી હતી. જેથી પગ અને માથું દિવાલે અડી જતાં હતાં. વળી, તે ઓરડી સતત ભીની રહેતી હતી અને નીચે પાથરવા માટે કંતાન કે કોથળા અપાતા હતા.મંડેલાની કોટડીની બહાર નામ અને કેદી નંબર 466/46 લખવામાં આવ્યું હતું.
Nelson Mandela’s prison cell on Robben Island
આ જેલમાં કેદીઓને આખો દિવસ તાપમાં પથ્થર તોડવાની મજુરી કરવી પડતી હતીઆ કારાવાસમાં રાજકીય કેદીઓનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવામાં આવતું. જેલમાં કેદીઓને દર છ મહિને ફક્ત એક જ પત્ર મળતો. મંડેલાએ ગોરી હકુમત તરફથી અપાતો ત્રાસ સહન કરી લીધો હતો.મંડેલા આશાવાદી હતા કે એક દિવસ સૂર્યના પ્રકાશમાં ઊંચું માથું રાખીને ચાલવાનો સ્વતંત્ર દિવસ આવશે અને એ આશાએ જ તેઓ જીવતા હતા.
મંડેલાએ એમની આત્મકથા ‘લૉન્ગ વૉક ટુ ફ્રીડમ’ માં એમના ૨૭ વર્ષના કારાવાસની આપવીતી વિષે સવિસ્તાર લખ્યું છે.આ આત્મકથામાં એક જગાએ એમણે લખ્યું છે કે ‘’ મારી દીકરી ઝીડ્ઝીને એ ત્રણ વર્ષની હતી એ પછી મેં એને જોઈ જ ન હતી.એના પિતાને સ્મૃતિથી નહિ, પણ જૂના ફોટાઓ પરથી જ ઓળખતી હતી.(નેલ્સન મંડેલા : લૉન્ગ વૉક ટુ ફ્રીડમ : પૃષ્ઠ 471)
નેલ્સન મંડેલા ૧૯૬૨માં જ્યારે જેલમાં ગયા ત્યારે તેઓ ૪૫ વર્ષના એક તરવરીયા યુવાન હતા અને ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં જ્યારે તેમને જેલમુક્ત કરાયા ત્યારે તેઓ ૭૨ વર્ષના વૃદ્ધ બનીને મુક્ત બની જેલ બહાર ની મુક્ત હવામાં સ્વતંત્રતનો અહેસાસ કરી કુટુંબીજનો વચ્ચે રહી શક્યા હતા.દેશની સ્વતંત્રતા માટે અને વર્ષો જૂની રંગભેદની ગોરી લઘુમતી સરકારની અન્યાયી અને ક્રૂર નીતિ દુર કરવા માટે પોતાના જીવનનો આ કેટલો બધો મહાન ત્યાગ કહેવાય !
નેલ્સન મંડેલાને જે જેલમાં રાખવામાં હતા એ
Victor Verster Prison, emmershoek સામે
એમનું સ્ટેચ્યુ એમના પ્રમુખ બન્યા બાદ
ઉભું કરવામાં આવ્યું હતું એની એક તસ્વીર.
જેલમાંથી મુકત થયા બાદ નેલ્સન મંડેલાએ જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારૂ લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે. એના માટેઅમારી લડત ચાલુ રહેશે.’
મંડેલાની ગેરહાજરીમાં એમનાં પત્ની વીની મંડેલાએ અહિંસક લડતની આગેવાની સંભાળી લીધી હતી . મંડેલા એક હિંસક ચળવળના નેતા તરીકે જેલમાં ગયેલા અને ૨૭ વર્ષ પછી જ્યારે બહાર આવ્યા ત્યારે આંતરિક મનોમંથનોએ એમને સમ્પૂર્ણ રીતે અહિંસામાં માનતા ગાંધીવાદી બનાવી દીધા હતા.સરકારે આપેલ અસહ્ય ત્રાસ માટે એમણે એને માફ કર્યા હતા.જેલ બહાર આવી ગોરી હકુમત સાથે વાતચીતનો દોર ચાલુ રાખી ગોરી સરકારનું હૃદય પરિવર્તન કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી.
1990માં ફ્રેડરીક વિલિયન દ’કલાર્ક દક્ષિણ આફ્રિકાની રંગભેદવાળી સરકારના પ્રમુખ બન્યા તેમણે 1990માં મંડેલાને જેલમાંથી છોડવાની જાહેરાત કરી. આફ્રિકી નેશનલ કોંગ્રેસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાયો. રંગભેદી પગલાં દૂર કરવાની પણ જાહેરાત કરી.
નેલ્સન મંડેલાના એમના આવા મહાન વ્યક્તિત્વ, ત્યાગ અને રંગભેદ દુર કરવાના એમના પુરુષાર્થની કદર તરીકે ૧૯૯૩ માં એમને શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .
મંડેલા ૧૯૯૧ થી ૧૯૯૭ દરમ્યાન આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રમુખ તરીકેની સેવા બજાવી હતી.૧૯૯૪ માં યોજાએલી ચૂંટણીમાં એમની એ.એન.સી, પાર્ટી વિજયી બનતાં મે, ૧૦ ૧૯૯૪ ના દિવસે તેઓ દક્ષીણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ બન્યા .
સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા પછી દેશને અને વિશ્વને સંબોધીને નેલ્સન મંડેલાએ જે પ્રથમ ઐતિહાસિક પ્રવચન કરેલું એ નીચેના વિડીઓમાં સાંભળો .
Nelson Mandela’s Inauguration Speech (Full) – May 10, 1994
૧૯૯૪ થી ૧૯૯૯ સુધી દક્ષિણ આફ્રિકાના પ્રમુખપદે રહીને આઝાદ બનેલા દેશમાં જરૂરી સુધારા શરુ કરી દીધા હતા.નેલ્સન મંડેલા વધુ સમય માટે પ્રમુખ પદે રહી શક્યા હોત પરંતુ દેશની બાગડોર નવી પેઢીને સાંપીને 1999માં સ્વેચ્છાએ સત્તા ત્યાગ કરી બહાર રહીને દેશને માટે આજીવન કામ કરતા રહ્યા હતા.
આવા દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ અને પ્રખર ગાંધીવાદી વિચારસરણી ધરાવનાર નેતા નેલ્સન માંડેલાનું તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૧૩ના રોજ, તેમના નિવાસસ્થાન હૌગટન, જહાનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે,પરીવારજનોની ઉપસ્થિતિમાં અવસાન થયું.હતું .ફેફસાંના ચેપને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી તેઓ હૉસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ હતા
નેલ્સન મંડેલાના અવસાનના સમાચારથી આખું દક્ષિણ આફ્રિકા જ નહી પણ સમસ્ત વિશ્વ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.૧૦ ડિસેંબરે જોહનિસબર્ગ સ્ટેડિયમમાં મંડેલાની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી . આ સભામાં દુનીયાભરમાંથી લગભગ ૧૦૦ દેશોના સર્વોચ્ચ હોદ્દાધારીઓએ હાજરી આપી હતી .વરસતા વરસાદમાં લોકોની જંગી મદનીએ ગૌરવ પૂર્વક મંડેલાના જીવન અને કાર્યોને ભવ્ય અંજલિઓ આપી હતી.
દુનિયાભરના ટોચના નેતાઓ પણ દક્ષીણ આફ્રિકાના “ગાંધી ” મંડેલાના જીવન અને કાર્યોને યાદ કરીને દુઃખની લાગણી સાથે સુંદર શબ્દોમાં એમને શ્રધાંજલિ આપી હતી.અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બરાક ઓબામાએ પણ મંડેલાના નિધનના સમાચાર અંગે યાદગાર શબ્દોમાં દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
નેલ્સન મંડેલા 1990માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતાં પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ ઉપરાંત ભારત તરફથી રાષ્ટ્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’થી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે તેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા.આ ઉપરાંત વિશ્વ ભરમાંથી મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયાં હતાં.
આપણા રાષ્ટ્રપિતા ગાંધીના પગલે ચાલીને ૯૫ વર્ષનું લાંબુ કાર્યશીલ જીવનજીવીને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતાનું માન મેળવનાર દક્ષિણ આફ્રિકાના પ્રથમ બિનગોરા પ્રમુખ સ્વ. નેલ્સન મંડેલાને સાદર પ્રણામ અને ભાવભરી હાર્દીક શ્રધાંજલિ .
જીવનભર સંઘર્ષ કરી દક્ષિણ આફ્રિકાના એક નાના ગામમાં ઘેટાં ચરાવનાર બાળકથી શરુ કરી દેશના પ્રમુખ પદ સુધીની ..
આજે ૮મી માર્ચ ૨૦૧૮ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.
મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવા માટે સયુંક્ત રાષ્ટ્રસંઘ-યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં ૮ મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.
સમગ્ર વિશ્વમાં પુરુષ અને સ્ત્રીઓની જન સંખ્યા લગભગ સરખી છે પણ એમનો સામાજિક અને આર્થિક દરજ્જો એક સરખો છે ખરો ? આ એક મહત્વના સવાલનો જવાબ મેળવવાનો હજુ બાકી છે.
શિક્ષણ,રાજકારણ, વેપાર ઉદ્યોગ,આવશ્યક સેવાઓ કે અવકાશ વિજ્ઞાન જેવાં અનેક ક્ષેત્રે મહિલાઓ પુરુષ સમોવડી બની છે એની ના નહિ પણ હજુ પણ એમના સર્વાંગી ઉત્કર્ષ માટે ઘણું કરવાનું બાકી છે એને પણ નકારી શકાય એમ નથી.
મધ્યસ્થ અને રાજ્યની સરકારોને હજુ સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, “બેટી બચાઓ , બેટી પઢાઓ” જેવાં અભિયાન દ્વારા લોક જાગૃતિ માટેનું અભિયાન શરુ કરવું પડે એ બતાવે છે કે મહિલાઓને થતો અન્યાય હજુ દુર થયો નથી. એમના પ્રશ્નોનું નિવારણ હજુ પૂરેપૂરું થયું નથી.
નારી શક્તિને બિરદાવતા સ્વામી વિવેકાનંદના શબ્દો આ રહ્યા …
‘નારીશક્તિ એ બીજું કંઇ નહીં, પરંતુ શક્તિ સ્વરૂપે દેવીમાતાનો અવતાર છે. એકવાર આપણી પર તેની કૃપાદ્રષ્ટિ થાય તો આપણી શક્તિઓમાં અનેકગણો વધારો થઇ જશે!“
”મા ભગવતીના સાક્ષાત સ્વરૂપ સમાન નારીશક્તિનો ઉદ્ધાર કર્યા વિના તમારો ઉદ્ધાર થશે એમ જો તમે માનતા હોવ તો તમે ભૂલો છો’’
દીકરી સાથે અમિતાભ બચ્ચન
સુપર સ્ટાર અમિતાભ બચ્ચન “બીગ બી” એ એમના બ્લોગમાં દીકરીઓ વિષે બહુ સુંદર વાત લખી છે કે –
“દીકરીઓ ટેન્શન નથી આપતી, બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે.દીકરીઓ ખાસ હોય છે, કારણ કે તે અણમોલ હોય છે. તમે તમારી દીકરીને હંમેશાં દીકરો-બેટા કહીને બોલાવી શકો છો, પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી. એ જ કારણ છે કે દીકરીઓ હંમેશાં ખાસ હોય છે.”
આ દિવસે નીચેની કેટલીક પ્રસંગોચિત હાઈકુ રચનાઓ દ્વારા દેશ વિદેશમાં ઉભરતી જતી નારી શક્તિને બિરદાવી એનું ગૌરવ કરીએ.
તારીખ ૨૧ મી જાન્યુઆરી ૨૦૧૮ એટલે કે માધ (મહા) સુદ પાંચમના રોજ આ વર્ષે વસંત પંચમીનું આગમન થયું છે.
વર્ષની ઋતુઓમાં વસંત ઋતુ એક લોકપ્રિય ઋતુ છે એટલે જ એ ઋતુરાજ વસંત કહેવાય છે.
સામાન્ય રીતે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે નજીક નજીકમાં જ આવે છે એ કેટલો સુંદર સંયોગ છે !વસંત એટલે પ્રકૃતીનું યૌવન અને વેલેન્ટાઇન ડે એટલે યુવાનોમાં ખીલેલી વસંત.
કાકા કાલેલકરે વસંત વિષે સુંદર અવલોકન કર્યું છે કે …
“જેની રહેણી કુદરતથી વિખૂટી થઈ નથી,કુદરતને રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. નદીના ક્ષીણ પ્રવાહમાં એકાએક ઘોડાપૂર આવેલું જેમ આપણે જોઈએ છીએ તેમ આપણે વસંતને પણ આવતો બરાબર જોઈ શકીએ છીએ.’’ –કાકા કાલેલકર
વસંત ઋતુ આવતાં પ્રકૃતિમાં અને માનવ મનમાં અવનવા ફેરફારો નજરે પડે છે.વસંત ઋતુ આવ્યાની કઈ મુખ્ય નિશાનીઓ છે એ મારી નીચેની અછાંદસ કાવ્ય રચના ”ઋતુરાજ વસંતનાં એંધાણ ” માં જણાવી છે.
ઋતુરાજ વસંતનાં એંધાણ
વાહ કેવી ઉગે રોજ ખુશનુમા સવાર, વાસંતી વાયરા વાય સવારથી સાંજ, વૃક્ષની ડાળે લીલી કુંપળોનો દરબાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કેસુડાના વૃક્ષે જામ્યો છે કેસરિયો રંગ, આમ્ર વૃક્ષે કેવા મ્હોરી ઉઠ્યા છે મોર, ફેલાઈ જાય છે રંગીન ફૂલોની ફોરમ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત તો છે પ્રકૃતીમાં આવેલું યૌવન, યુવાની હોય છે જેમ જીવનની વસંત, વાગે ઢોલ,ગવાઈ રહ્યા ફાગણના ફાગ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
ગુંજી ઉઠતો કોકિલ પંખીનો કલરવ, ઝૂમી ઉઠે છે વૃક્ષ લતાઓ વને વન, સર્જાઈ જાય રમ્ય ફૂલોનો શણગાર, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
કુહૂ કુહૂ બોલે ટહુકી રહી પેલી કોકિલા, પ્રેમીજનો ઝંખે પિયા મિલનની આશ, વેલેન્ટાઈન લાવે પ્રેમીઓમાં થનગનાટ, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વસંત પંચમીએ ઋતુરાજનું આગમન, આ દિવસે થયું મા સરસ્વતીનું પ્રાગટ્ય, કવિઓ ગાય વસંત-વિદ્યાદેવીનાં ગાન, સૌને વ્હાલી વસંતનાં છે આ એંધાણ.
વિનોદ પટેલ,૧-૨૨-૨૦૧૮ વસંત પંચમી
વધુમાં, કવિ રાજેન્દ્ર શુક્લ રચિત નીચેની સુંદર ગઝલથી વસંતની પધરામણીને આવકારીએ.જાણીતા ગાયક અને સંગીતકાર અમર ભટ્ટ એ શાસ્ત્રીય રાગ વસંતમાં આ ગુજરાતી ગઝલ નું ગાન કર્યું છે.નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં એ સાંભળીને તમે જરૂર કશીશ અનુભવશો.
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી, ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા, અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!
વાચકોના પ્રતિભાવ