વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: રીબ્લોગ

1303 – તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

મિત્રો,

અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.

આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી  ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.

મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.

વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ,

નાઇલને કિનારેથી....

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…

View original post 227 more words

1300 .. એકતા અને અખંડિતતાના હિમાયતી:ભારત રત્ન ડો બી.આર આંબેડકર

ભારત રતન ડો.બી.આર.આંબેડકરના જન્મ દિવસે સ્મરણાંજલિ

(૧૪ એપ્રિલ ૧૮૯૧ ૬ ડિસેમ્બર ૧૯૫૬)

એકતા અને અખંડિતતાના હિમાયતી:ડો બી.આર આંબેડકર

14મી એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા અને દેશના પ્રથમ કાયદા પ્રધાન, દેશની એકતા અને અખંડિતતાના સાચા હિમાયતી એવા મહાન ક્રાંતિકારી, ભારત રત્ન ડો. બી.આર. આબેડકરની જન્મ જયંતી છે.

ભારતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ લીધો છે. એમનુ જીવન એ જ માનવજાતને એમનો અમૂલ્ય સંદેશ હોય છે. આવા મહાન પુરૂષોમાંના એક ડો. બી.આર. આબેડકરનુ જીવન પણ ભારતના દબાયેલા, કચડાયેલા વર્ગને સ્વમાનભેર જીવવાનો જીવનમંત્ર આપે છે.

અસ્પૃશ્ય ગણાતી એવી મહાન જાતિમાં એમનો જન્મ થયો હતો. એ કારણે એમને અભ્યાસકાળથી જ આર્થિક ભીંસ, કૌટુબિક મુશ્કેલી અને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો હતો. સ્નાતક થયા પછી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત થઈ શકે તેવી સ્થિતિ ન હતી. એ સમયે તેમની ઉજ્જવળ કારકીર્દીને નજર સમક્ષ રાખીને વડોદરાના શિક્ષણ પ્રેમી રાજવી સયાજીરાવ ગાયકવાડની આર્થિક સહાયથી ઉચ્ચ શિક્ષણાર્થે અમેરિકા જઈ ત્યાંની કોલંબિયા યુનિવર્સિટીમાં બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય પર મહાનિંબંધ રજૂ કરી પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. આવી જવલંત વિદ્યાકીય કારકીર્દી હોવા છતાં પણ હિન્દુ સમાજ તરફથી અપમાનના કડવા ઘૂંટ જ મળ્યા.

વડોદરા સરકારે સંરક્ષણ મંત્રીનો હોદ્દો આપ્યો, આવા સ્થાને પણ તેમને તિરસ્કાર, અપમાન અને અસ્પૃશ્યતાનો જ અનુભવ થયો હતો. વડોદરા છોડી મુંબઈ આવી સિડનહોમ કોલેજમાં નોકરી સ્વીકારી. જાતિભેદના કડવા અનુભવ થયા પછી તેઓ પ્રતિજ્ઞા કરી કે જે સમાજમાં હુ જન્મયો છુ તે સમાજ ઉપરના અમાનવીય, અન્યાયીએ, ધૃણાજનક, ગુલામી મુક્ત અત્યાચારો દૂર કરીને જ જંપીશ અને એ અત્યાચારો દૂર કરવામાં હુ નિષ્ફળ નીવડીશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત આણીશ.

ડો. આબેડકરની દલિત હકો માટેની ચાલનારી આજીવન સંઘર્ષયાત્રા અહીંથી શરૂ થઈ હતી. એમની રાહબરી હેઠળ મહાડનો જળ સત્યાગ્રહ થયો. જે સદીઓથી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાતા અંત્યજનોને માણસ સાથે માણસની જેમ વર્તવાની પ્રેરણારૂપ છે. પછાત જાતિઓનો ઉપહાસ કરનાર ઘર્મગ્રંથ મનુસ્મૃતિની જાહેરમાં હોળી કરી અને મૂક નાયકમરાઠી છાપુ શરૂ કરી દલિત સમાજની સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રારંભ કર્યો હતો.

નાસિક પાસે એક નાના ગામમાં મહારાષ્ટ્રના અંત્યજોને હિન્દુ મંદિરમાં પ્રવેશ મેળવવાના એમના અધિકાર માટે તેમણે પાંચ વર્ષ સત્યાગ્રહ કર્યો. એ સ્થળે ડો. આંબેડકરે ઘોષણા કરી કે હુ જન્મ્યો છુ હિન્દુ, પણ હિન્દુ તરીકે મરીશ નહી‘.

ડો. બાબાસાહેબ માનતા હતા કે અંગ્રેજો જ્યા સુધી દેશ નહી છોડે ત્યાં સુધી પોતાના અધિકાર સલામત નથી. જો અંગ્રેજો જતા રહેશે તો બહુજન સમાજનુ ભવિષ્ય યુરોપના શોષિતો કરતા પણ વધુ ભયાનક બની જશે. સ્વરાજ માંગનારની ઝાટકણી કાઢતા લખ્યુ કે પોતાના ઘરની ગંદકી કાઢવા હજુ જે લોકો તૈયાર નથી તેમને સ્વરાજ માંગવાનો નૈતિક અધિકાર નથી. તેઓ એવુ પણ માનતા હતા કે આઝાદી થોડી મોડી મળશે તો ચાલશે પણ અસ્પૃશ્યોના મહાકાય પ્રશ્નો પહેલા ઉકેલવા જોઈએ. સામાજિક, આર્થિક સ્વતંત્રતા વગરની રાજકીય સ્વતંત્રતાનુ કોઈ મૂલ્ય નથી. જે બાબતે ગાંઘીજી સાથે પણ વૈચારિક સંઘર્ષ થયો હતો જેનુ પરિણામ પૂનાનો ઐતિહાસિક કરાર હતો.

ભારતના બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે ભારતીય નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોની ભેટ આપી. એમના શબ્દો આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલાજ પ્રસ્તુત લાગે છે.

જો આપણે લોકોની લોકો માટેની અને લોકો વડેની સરકારના સિધ્ધાંતોને વરેલુ બંધારણ સાચવી રાખવુ હોય તો આપણા પથમાં વેરાયેલા અનિષ્ટોને ઓળખવામાં ઢીલ ન દાખવીએ

એમણે એક ચેતવણી એ પણ આપી હતી કે જો આપણે બે બાબતો તરફ વિશેષ ધ્યાન નહી આપીએ તો આ લોકશાહી પરંપરા તૂટી જશે. એક તો એ કે સમાનતા સામાજિક સ્તરે થવી જોઈએ અને બીજુ એ કે આર્થિક અસમાનતા દૂર કરવી જોઈએ. આપણો સમાજ સ્તરીય, અસમાનતા ઉપર આધારિત છે. એટલેકે એકને ઉપર ને ઉપર લઈ જવા અને બીજા સ્તરને નીચેની નીચે તરફ લઈ જવા.

ડો. આંબેડકરની આ ચેતવણી આજે પણ સાચી પડી છે. આઝાદી પછીના પાંચ દાયકાનો વિકાસ સાવ ઉલટી દિશામાં થયો છે.અસમાનતાની ખાઈ વધુને વધુ પહોળી થઈ ગઈ છે, થતી જાય છે.

સમગ્ર દલિત વર્ગના રાહબર બનેલા ડો. બી.આર. આંબેડકર માત્ર આપણા મુક્તિદાતા જ ન હતા પરંતુ પ્રેરણા સ્ત્રોત પણ હતા. ભારતના ઈતિહાસમાં ડો. આંબેડકરે એમના તેજસ્વી વ્યક્તિત્વ, મૂલ્યનિષ્ઠા અને સેવા દ્વારા ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જ્યા સુધી માનવજાતના ઈતિહાસમાં અસમાનતા,શોષણ, દમન, અત્યાચાર અને અનાચાર રહેશે અને તેની સામેનો સંઘર્ષ ચાલુ રહેશે ત્યાં સુધી ડો. બી.આર. આંબેડકરનુ નામ અમર રહેશે.

આજે આપણે ડો. આંબેડકરના આદર્શ જીવનમંત્રને આત્મસાત કરીએ એજ એમને આપેલી આપણી સાચી અંજલી હશે.

 -ડો. રાજે શ મકવાણા

સૌજન્ય —

http://gujarati.webdunia.com/article/gujarati-stories/dr-b-r-ambedkar-109041400037_1.html

 

 

‘ભારતીય બંધારણના ઘડવૈયા’ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષે વધુ માહિતી આ લીંક પર…

ડો.બાબા સાહેબ  આંબેડકર …વિકિપીડિયા

1288 – અત્યંત ગરીબ છોકરીએ દેશનું નામ રોશન કર્યું! …….આશુ પટેલ

અત્યંત ગરીબ છોકરીએ દેશનું નામ રોશન કર્યું!
સુખનો પાસવર્ડ-આશુ પટેલ

રમતગમતક્ષેત્રે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનારી હિમા દાસની અનોખી જીવનકથા વાચકો સાથે શેર કરવી છે.

૯ જાન્યુઆરી, ૨૦૦૦ના દિવસે આસામના નાગાવ જિલ્લાના ઢિંગ શહેરની નજીકના કંધુલીમારી નામનાં નાનકડાં ગામમાં રંજિત અને જોનાલી દાસના ઘરે જન્મેલી હિમા દાસ તેના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેનાં માતા-પિતા ખેતી કરતાં હતાં. હિમાનું કુટુંબ અત્યંત ગરીબ હતું અને માટી અને ઈંટોથી બનાવેલા ઘરમાં રહેતું હતું. તે માત્ર ૧૨ વર્ષની હતી ત્યારથી જ તેના પિતાને ખેતરના કામમાં મદદરૂપ બનવા લાગી હતી. તે તેના પિતાની સાથે ખેતરમાં જતી હતી અને ખેતરમાં બધાં પ્રકારનાં કામ કરતી હતી. તે ઘણી વખત તેના પિતાને કહેતી કે તમે આરામ કરો. હું ખેતરનું કામ સંભાળું છું. તો ખેતરમાં ચોખાનું ઉત્પાદન થાય એને ઘરે પહોંચાડવા માટે પણ તે તનતોડ મહેનત કરતી હતી. ખેતરમાં તૈયાર થયેલા ચોખા ઘરે લઈ જવા માટે તેના કુટુંબ પાસે કોઈ વાહન નહોતું એટલે તે ચોખાની ગુણીઓ સાઈકલ પર લઈ જઈને ઘર સુધી પહોંચાડતી હતી.

હિમાનાં માતા-પિતાને પણ સ્પોર્ટ્સ પ્રત્યે લગાવ હતો એટલે તેઓ તે નાની હતી ત્યારથી જ તેને રમતગમતક્ષેત્રમાં રસ લેવા પ્રેરણા આપતાં હતાં. હિમાને સ્કૂલનાં શરૂઆતનાં વર્ષોમાં ફૂટબોલ પ્રત્યે આકર્ષણ હતું. તે તેની સ્કૂલમાં છોકરાઓ સાથે ફૂટબોલ રમતી હતી. તે ફૂટબોલ પ્લેયર તરીકે કરીઅર બનાવવા ઈચ્છતી હતી, પરંતુ તે થોડી મોટી થઈ એ પછી તેને લાગ્યું કે ભારતમાં મહિલાઓ માટે ફૂટબોલની રમતમાં અવકાશ નથી. એ દરમિયાન તેને એક ટીચરે સલાહ આપી કે તું દોડવાની પ્રેક્ટિસ કર. તું દોડની સ્પર્ધામાં ઊતરીશ તો તું ઘણી આગળ નીકળી શકશે. એટલે તેણે દોડવીર બનવાનું નક્કી કર્યું.

હિમાએ દોડવીર બનવાનું નક્કી કર્યું એ પછી તે રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને તેના પિતાની સાથે દોડવા જતી હતી. જો કે પછી એક સમય એવો આવ્યો કે ક્યારેક તેના પિતા ચાર વાગે ઊઠે તે અગાઉ જ દોડવા માટે જતી રહી હોય! હિમા તેના પિતા સાથે વહેલી સવારે ઊઠીને દોડવા જતી ત્યારે સ્વાભાવિક રીતે તેના નાનકડા ગામમાં દોડવા માટે ટ્રેકની સુવિધા નહોતી. તેઓ ગામની બહારની ઊબડખાબડ જમીન ઉપર કે ખેતરોમાં દોડતાં હતાં. જોકે એવી સ્થિતિમાં પણ હિમાનો ઉત્સાહ ઓછો થયો ન હતો.

હિમા કિશોરાવસ્થાથી જ બીજી છોકરીઓ કરતાં જુદી પડવા લાગી હતી. તે જ્યારે નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના એક સહાધ્યાયીની તબિયત લથડી હતી એ વખતે તે તેને ઊંચકીને સ્કૂલથી હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી. તેણે તેના ગામમાં દેશી દારૂ વેચાતો બંધ કરવા માટે દેશી દારૂનાં પીઠાઓ વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. તેણે અન્ય મહિલાઓ સાથે મળીને દારૂનો ધંધો કરતા ખેપાનીઓને ગામમાં દારૂ વેચવાનું બંધ કરી દેવા ચેતવણી આપી હતી. પરંતુ દારૂ વેચવાનો ધંધો કરનારાઓએ તેની વાત માની નહોતી. એ પછી જ્યારે તેને ખબર પડતી કે તેના ગામના અમુક માણસો દારૂ વેચી રહ્યા છે ત્યારે તે મહિલાઓની ટુકડી લઈને એ જગ્યાએ પહોંચી જતી. દારૂનું વેચાણ બંધ ન થયું એટલે હિમા ગામની છોકરીઓ અને મહિલાઓને ભેગી કરીને જ્યાં દારૂનું ઉત્પાદન થતું હતું એ દારૂની ભઠ્ઠી પર ધસી ગઈ હતી અને તેની

મહિલાસેનાએ દારૂની એ ભઠ્ઠી અને ત્યાં પડેલા દારૂના જથ્થાનો નાશ કરી દીધો હતો!

હિમા જ્યારે ઢિંગ નવોદય વિદ્યાલયમાં ભણવા માટે ગઈ ત્યારે સમસુલ હક નામના તેના એક શિક્ષકે તેને સલાહ આપી હતી કે તું નાગાવ જઈને ત્યાં સ્પોર્ટ્સ ટીચર ગૌરીશંકર રોયને મળ. હિમા તેના પિતા સાથે નાગાવ જઈને ગૌરી શંકર રોયને મળી હતી. તે તેના પિતા સાથે નાગાવનાં સ્ટેડિયમમાં જઈને રોયને મળી ત્યારે તેમણે તેને કહ્યું હતું કે મને દોડીને બતાવ. હિમાની દોડવાની ગતિ અને સ્ફૂર્તિ જોઈને તેમણે તેની ડિસ્ટ્રિક્ટ ઍથ્લેટ ટીમ માટે પસંદગી કરી હતી. એ પછી હિમા દાસે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને માત્ર માત્ર તેર વર્ષની ઉંમરે પ્રથમ ગોલ્ડમેડલ જીતી લીધો હતો.

એ પછી તો હિમા ઝડપથી આગળ વધતી ગઈ. તે ટૂંક સમયમાં નેશનલ લેવલ પર રમવા લાગી હતી. નેશનલ લેવલ પર ઝળક્યા બાદ બહુ ટૂંકા સમયમાં તે ઈન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરવાની તેને તક મળવા લાગી.

હિમાએ એપ્રિલ, ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો અને તે ફાઈનલમાં પહોંચી હતી જેમાં તેણે ૫૧.૩૨ મિનિટમાં ૪૦૦ મીટરની દોડ પૂરી કરી હતી. તે માત્ર ૧.૧૮ સેક્ધડના તફાવતથી ગોલ્ડ મેડલ ચૂકી ગઈ હતી. એ વખતે તેની અને ગોલ્ડ મેડલ વિજેતા બનેલી બોટ્સવાનાની અમાન્તલે મોન્ટ્શો વચ્ચે માત્ર એક પોઈન્ટ સત્તર સેક્ધડનો તફાવત હતો. જો કે થોડા મહિનાઓ બાદ ફિનલેન્ડના ટેમ્પેરમાં ૧૨ જુલાઈ, ૨૦૧૮ના દિવસે યોજાયેલી વર્લ્ડ અન્ડર ટ્વેેન્ટી ચેમ્પિયનશિપમાં તેણે ૪૦૦ મીટર દોડ સ્પર્ધા ૫૧.૪૬ સેક્ધડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. એ સાથે તે ભારતની પ્રથમ દોડવીર બની હતી જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હોય!

એ પછી બીજા જ મહિને હિમાએ ઍશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૨૬ ઓગસ્ટ, ૨૦૧૮ના દિવસે ૪૦૦ મીટરની દોડ ૫૦.૭૯ સેક્ધડમાં પૂરી કરીને નવો ઈન્ડિયન નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. એ સાથે તેણે સિલ્વર મેડલ જીતી લીધો હતો.

તેણે જુલાઈ, ૨૦૧૩માં યોજાયેલી અંડર-ટ્વેેન્ટી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપ્યા હતા. આ ઉપરાંત આસામ સરકારે તેને આસામની પ્રથમ બ્રાન્ડ ઍમ્બેસેડર ફોર સ્પોર્ટ્સ બનાવવાની જાહેરાત કરી હતી.

હિમાએ ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ કર્યો એ સાથે તેના આર્થિક સંઘર્ષનો પણ અંત આવી ગયો હતો. તેના પર ઈનામોની વર્ષા થઈ હતી. અને જગવિખ્યાત બ્રાન્ડ અડિડાસે એની જાહેરાતોમાં મોડેલ બનવા માટે હિમા સાથે તગડી રકમનો કોન્ટ્રેક્ટ કર્યો હતો.

જો કે જ્યારે હિમા વિશ્ર્વવિક્રમ કરી રહી હતી ત્યારે તેના કુટુંબે પાડોશીના ઘરે જઈને તેને સ્પર્ધામાં ભાગ લેતા જોવી પડી હતી કારણ કે તેના ઘરમાં ટીવી નહોતું! હિમાનાં વતન એવા ખોબા જેવડા કંધુલિમારી ગામમાં માંડ સો જેટલાં કુટુંબો જ રહે છે. એ ગામ વિશે દેશમાં કોઈને ખબર નહોતી, પરંતુ હિમાએ વર્લ્ડ રેકોર્ડ કર્યો એ સાથે તેનાં ગામમાં કેટલાય રાજકારણીઓ, પત્રકારો અને અન્ય ઘણા લોકો હિમાને મળવા માટે ધસી ગયા હતા. હિમા વર્લ્ડ રેકોર્ડ કરીને ગામ પાછી આવી ત્યારે ગામના લોકોએ એન્ટ્રી પોઈન્ટ પર બેનર સાથે ઊભા રહીને તેનું સ્વાગત કર્યું હતું.

હિમાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડમેડલ મેળવ્યો એ પછી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના દિવસે આપણા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હાથે પ્રતિષ્ઠિત અર્જુન એવૉર્ડ આપીને તેને સન્માનિત કરાઈ હતી. તો ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના દિવસે યુનિસેફ દ્વારા તેને ભારતની સૌ પ્રથમ યુથ ઍમ્બેસેડર જાહેર કરાઈ હતી.

હિમાએ ‘મોન જય’ નામનું એક ગ્રુપ બનાવ્યું છે, જે લોકોને મદદરૂપ બનવા માટે આતુર રહે છે. જેનો અર્થ થાય છે કે ‘હું કરવા ઈચ્છું છું’ ૨૦૧૩માં ગામના છ ફ્રેન્ડની મદદથી તેણે આ ગ્રુપ શરૂ કર્યું હતું. ૨૦૧૬થી આ ગ્રુપની પ્રવૃત્તિઓ વેગીલી બની હતી. આ ગ્રુપ ઘણાં સામાજિક કાર્યો કરે છે. હિમા ઈન્ટરનેશનલ સ્તરે ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજી આસામીઝ ઍથ્લેટ છે. તેની અગાઉ માત્ર એક આસામીઝ ઍથ્લેટ ભોગેશ્ર્વર બરુઆએ ઈન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ એવૉર્ડ તેમણે બેંગકોકમાં ૧૯૬૬માં યોજાયેલી ઍશિયન ગેમ્સમાં મેળવ્યો હતો.

હિમાની નજર હવે ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતવા પર મંડાયેલી છે. હિમાની નાની બહેન રિન્તી પણ હિમાની જેમ દોડવીર બનવા માગે છે

‘ઢિંગ એક્સપ્રેસ’નાં હુલામણા નામથી મશહૂર બની ગયેલી ઍથ્લેટ હિમા દાસ દેશની સંખ્યાબંધ કિશોરીઓ અને યુવતીઓ માટે રોલ મોડેલ અને પ્રેરણાસ્ત્રોત સમી બની ગઈ છે. વ્યક્તિ નિશ્ર્ચય કરી લે તો અત્યંત વિષમ સ્થિતિમાં પણ પોતાનો રસ્તો કાઢીને અકલ્પ્ય સિદ્ધિ મેળવી શકે છે એનો પુરાવો હિમા દાસ છે.

SOource….

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=471955

 

HIMA DAS 400M HISTORIC RACE!!!

Hima Das Lifestyle, Net worth, Family, House, Biography

1287 – બે ગમતીલી ગુજરાતી ગઝલો અને એનું રસસ્પદ ગઝલાવલોકન … સુરેશ જાની

Suresh Jani

બ્લોગ વિશ્વમાં જાણીતા મારા સહૃદયી મિત્ર અને આ બ્લોગના સહ સંપાદક શ્રી સુરેશ જાનીની પસંદગીની બે ગઝલ રચનાઓ અને એનું સુંદર ગઝલાવલોકન જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી”ની બે પોસ્ટમાં પ્રકાશિત થયું છે .મને એ વાંચતાં જ ગમી ગયું.

વેબ ગુર્જરી અને અવલોકનકાર સુરેશભાઈના આભાર સાથે એને વિ.વિ.ના વાચકો માટે અત્રે પુનઃ પ્રગટ કરેલ છે.

આમે ય શ્રી સુરેશભાઈ આંખો ઉઘાડી રાખી અવલોકન કરવાનો કુદરતી શોખ ધરાવનાર જાગૃત વ્યક્તિ છે એ એમની  ”મારાં અવલોકનો ” ની ઈ-બુકો  ના લેખો વાંચવાથી સહેજે ખ્યાલ આવી  જશે.

વિનોદ પટેલ

બે ગમતીલી ગઝલો અને એનું સુંદર ગઝલાવલોકન … સુરેશ જાની

સૌજન્ય/સાભાર … વેબ ગુર્જરી …

ગઝલાવલોકન – ૧ : 

ગઝલ ..”ગમતાંનો કરીએ ગુલાલ”….  મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય
આ તો વરસે ગગનભરી વ્હાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી
સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી
આવે તે આપ કરી પળમાં પસંદગી
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને
વેર્યે ફોરમનો ફાલ
ગમતાંનો કરીએ ગુલાલ

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં
રણકી ઊઠે કરતાલ
ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ

–મકરંદ દવે

આગળ રસાસ્વાદ …. 

”વેબ ગુર્જરી ”બ્લોગની આ લિંક પર ક્લિક કરીને વાચો.

ગઝલાવલોકન – ૨ :

ગઝલ – ”મોહતાજ ના કશાનો હતો.” ..– ‘રૂસવા’

મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
મારો ય એક જમાનો હતો, કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો, કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન–મરણ,
ઝગડો એ હા ને ના નો હતો, કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

‘રૂસવા’ કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?
– ‘રૂસવા’
(પરિચય અહીં) 

‘રૂસવા’ની( ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ) આ બહુ જાણીતી ગઝલ છે.

આગળ રસાસ્વાદ ”વેબ ગુર્જરી” બ્લોગની આ લીંક પર ક્લિક કરીને વાચો.

અગાઉ વિનોદ વિહારમાં પણ સુરેશભાઈને ગમતી અન્ય ઘણી ગઝલોનું રસાસ્વાદ કરાવતા લેખો પ્રસિદ્ધ થયા છે .આ બધા લેખો નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

સુરેશ જાનીનાં ગઝલાવલોકનો 

1266 હૈયામાં હામ હોય તો હેમ મળે!… મુકેશ પંડ્યા

સૌજન્ય- મુંબઈ સમાચાર

દિવ્યાંગ ચંદીપસિંહ ની પ્રેરક કથા  

હૈયામાં હામ હોય તો હેમ મળે! ….કવર સ્ટોરી-મુકેશ પંડ્યા

ફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
– બરકત વિરાણી ‘બેફામ’

ઘણા લોકોને પોતાના નસીબને કોસવાની આદત હોય છે, ફલાણાએ સાથ ન આપ્યો એટલે હું નિષ્ફળ ગયો- આ એમનું પેટન્ટ વાક્ય હોય છે. ઘણા એવા હોય છે જે એમ વિચારતા હોય છે કે કોઇનો સાથ નથી તો શું થયું? મને ભગવાને બે હાથ તો આપ્યા જ છે ને. આવા લોકો કોઇના પણ સહકાર વિના પોતાના હાથને જ જગન્નાથ માનીને હસ્તરેખાઓને પણ બદલી નાખવામાં પાવરધા હોય છે. જોકે, ઘણા એવાય હોય છે જેની પાસેથી ભગવાને બે હાથ પણ છીનવી લીધા હોય છે, છતાંય આ લોકો એવું કામ કરી જાય છે કે હાથવાળાય પોતાના હાથ ઘસતા રહી જાય અને આ લોકો મેડલ લઇ જાય અને એ પણ પાછો હેમ એટલે કે સોનાનો. આનો અર્થ એવો થયો કે સફળતા મેળવવા કોઇના સાથ કે હાથની નહીં,પણ હૈયે હામ અને દિલમાં લગન હોવી જરૂરી છે. આજે આપણે પણ એવા એક પુરુષની વાત કરવી છે જેને હાથ નથી છતાંય બેઉ હાથે (સોરી. બેઉ પગે) સોનું (મેડલ) ઉલેચી રહ્યો છે.

જી… હાં, ચંદીપસિંહ સુદાન નામનો એક હસતો રમતો છોકરો ૧૧ વર્ષની ઉંમરે જ બે હાથ ગુમાવી બેઠો. જમ્મુમાં એના ઘરની ઉપરથી પસાર થતાં ખુલ્લા વાયરને ભૂલથી અડી બેઠો. લગભગ ૧૧,૦૦૦ વોલ્ટ જેવા હાઇવોલ્ટેજ કરંટ ધરાવતા વાયરને અડવું એટલે મોતને આમંત્રણ. જોકે તે આ પ્રચંડ વીજપ્રવાહના ખોફ છતાંય બચી તો ગયો, પણ અંગે અંગમાં બળતરા વ્યાપી ગઇ હતી. તબીબી ભાષામાં જેને ફોર્થ ડીગ્રી બર્ન કહેવાય એ રીતે એ દાઝ્યો હતો એટલે તેના બે હાથમાં ઘણો ચેપ ફેલાયો હતો.

આવી પરિસ્થિતિમાં તેનો જીવ બચાવવા ડૉક્ટરો પાસે તેના બેઉ હાથ કાપી લેવા સિવાય બીજો કોઇ વિકલ્પ બચ્યો ન હતો. ૨૦૧૧ની બનેલી આ ઘટનાને વાગોળતા તેના પિતા સુરિન્દર સિંહ જણાવે છે કે, ‘ચંદીપે હોસ્પિટલના બિછાને ઓપરેશન થઇ ગયા પછી મને કહ્યું હતું કે ડૉક્ટરને કહો કે મારી આંગળીઓ પર સખત દબાણ આવી રહ્યું છે, હાથે બાંધેલો પાટો થોડો ઢીલો કરે. પણ એને ક્યાં ખબર હતી કે તેના બેઉ હાથ કાપી નાખવામાં આવ્યા છે’

ખરેખર જ્યારે ચંદીપને ખબર પડી કે તેણે બે હાથ ગુમાવ્યા છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો હતો. એ ખૂબ રોયો હતો. એ દિવસો હતાં જ્યારે ચંદીપ શાળામાં ખેલકૂદ ક્ષેત્રે પણ સફળતાપૂર્વક આગેકૂચ કરી રહ્યો હતો. દોડ-સ્પર્ધા, ફૂટબોલ અને સ્કેટિંગમાં તેને ખૂબ રસ હતો. જોકે, તેને તેના કુટુંબ અને મિત્રોનો ખૂબ સહકાર મળ્યો. તેના મા-બાપ અને સગાવહાલાં તેને હંમેશાં કહેતાં રહેતાં કે જે બની ગયું છે એના વિશે ક્યારેય વિચારવું નહીં. ભૂતકાળ ભૂલીને હવે જે પરિસ્થિતિ છે એનો સહજતાથી સ્વીકાર કરીને આગળ વધવું જોઇએ. અમે સતત તારી સાથે છીએ.

ચંદીપના માબાપે તેને કંઇ પણ કરવાની છૂટ આપી હતી. તે જે પણ કાર્ય કરવા માગતો એમાં તેમનો પૂરો સહકાર રહેતો. ચંદીપ કહે છે કે તેને તેના મિત્રોનો પણ ઘણો સાથ-સહકાર મળ્યો. ઘણા એવા હોય છે કે દાઝ્યા પર ડામ દે, પણ તેના મિત્રોએ તેને ક્યારેય એવી લાગણી થવા જ ન દીધી કે તેણે બે હાથ ગુમાવ્યા છે.

દરેકના સાથ સહકારથી ચંદીપે તેની જિંદગીનો બીજો અધ્યાય શરૂ કર્યો. ચંદીપના જ શબ્દોમાં કહીએ તો, ‘મારા કુટુંબીઓ અને મિત્રોએ મારા માટે એટલું બધું કર્યુ હતું કે મને પણ વિચાર આવતો કે મારે પણ બદલામાં એવું કાંઇક કરવું જોઇએ જેથી આ બધા લોકો મારા માટે ગર્વ અનુભવે. હું શું કરી શકું એવું વિચારતો હતો અને એક દિવસ મને સ્કેટિંગ ક્ષેત્રે આગળ વધવાનો વિચાર આવ્યો. ઘણા લોકો એમ કહેતા કે સ્કેટિંગ કરવામાં શરીરની સમતુલા જાળવવી ઘણી જરૂરી છે અને બે હાથ વગર આ સમતુલા જાળવી શકાય નહીં. જોકે, મેં આ વાતને એક ચેલેન્જ તરીકે સ્વીકારી અને સ્ક્ેટિંગ ક્ષેત્રે કંઇક કરી બતાવવાનું નક્કી કર્યું.

સાચે જ, ચંદીપે સ્કેટિંગ ક્ષેત્રે ઘણું કરી બતાવ્યું. તેના હાથ ભલે ન હતાં, હૈયૈમાં હામ તો હતી જ. એ હિંમત અને લગનથી આગળ વધ્યો ને, રાષ્ટ્રીય સ્તરનો ખેલાડી બની ગયો. અત્યારે તો એ ૧૦૦ મીટરની પેરા-સ્કેટિંગ સ્પર્ધા માત્ર ૧૩.૯૫ સેક્ધડમાં પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ૨૦૧૫માં ચંદીપને ઉત્તરાખંડમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક મળ્યો. અરે થોભો, આશ્ર્ચર્યની વાત તો એ છે કે આમાં સધળા સ્પર્ધકો તેના જેવા વિકલાંગ નહીં , પણ બે હાથવાળા ધરાવતા સામાન્ય લોકો હતાં.

જોકે સંદિપ માત્ર સ્કેટિંગમાં જ નહીં અન્ય રમતોમાં પણ ખૂબ આગળ વધ્યો. ટાએકવૉન્ડો જેવી માર્શલ આર્ટ ધરાવતી રમત એ ધગશથી શીખ્યો. આ રમતમાં પગને સામેવાળાના માથા સુધી ઉછાળીને, હવામાં ફંગોળાઇને અને પોતાની જાતને સમતુલિત રાખીને સામેવાળાને મહાત કરવાનો હોય છે. પણ ચંદીપ જેનું નામ. એણે તો આ રમતને પણ પડકાર સમજીને સ્વીકારી લીધી. સ્વીકારી લીધી તો ભલે સ્વીકારી લીધી, પણ તેમાં બબ્બે સુવર્ણ પદક પણ જીતી બતાવ્યા. હાં.. જી એણે તાજેતરમાં જ સાઉથ કોરિયા ખાતે

યોજાયેલી કિમયોન્ગ ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં બબ્બે સુવર્ણ ચંદ્રક મેળવીને જાણે નવા વર્ષની સોનેરી શરૂઆત કરી હતી. આટલું જ નહીં આની પહેલાં વિયેટનામમાં યોજાયેલી એશિયન ટાએકવૉન્ડો ચેમ્પિયનશીપમાં અને નેપાળ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રિય ટાએકવૉન્ડો ચેમ્પિયનમાં પણ એ સુવર્ણ ચંદ્રકો જીતી ચૂક્યો છે. લ્યો બોલો, હાથેથી ચીજ-વસ્તુઓને ઉલેચતા ઘણા લોકોને તમે જોયા હશે, પણ આપણો આ વીરલો જાણે પગેથી સોનું ઉલેચી રહ્યો છે.

ચંદીપ સિંહ પોતાના રોજિંદા કામો પણ પગેથી ખૂબ સારી રીતે કરી રહ્યો છે . એટલું જ નહીં એ લેપટોપ અને મોબાઇલ પણ પગેથી ખૂબ સારી રીતે ઓપરેટ કરી શકે છે. આંતરરાષ્ટ્રિય દોડવીર મિલ્ખાસિંહે પણ તેના વખાણ કરતાં કહ્યું હતું કે, ‘ જ્યારે ચંદીપ મારી ઓફિસમાં આવ્યો. ત્યાં મે એને લેપટોપ અને મોબાઇલ પગેથી ચલાવતા જોયો, હું તો આશ્ર્ચર્ય ચકિત થઇ ગયો.’

ઉલ્લેખનીય છે કે મિલ્ખાસિંહ, મિલ્ખા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને ચંદીપને બે કૃત્રિમ હાથ બેસાડી આપવાની દિશામાં આગળ વધી રહ્યા છે એ સંદર્ભમાં ચંદીપ જોડે મળવાનું થાય છે.

મિલ્ખાસિંહ કહે છે કે, ‘અમે તેને આવા હાથ બેસાડી આપવા તત્પર છીએ જેથી તેની આગામી જિંદગી થોડી સરળતાથી પસાર થાય. આ હાથ બેસાડવાનો ખર્ચ ૪૦થી ૫૦ લાખ છે. અમે અમારાથી બનતા પ્રયત્નો તો કરીએ જ છીએ, સાથે આમ લોકોને પણ બનતી મદદ કરવાની અપીલ કરી છે.’

ચંદીપ અત્યારે ૧૯ વર્ષનો છે. મતદાન કરવાની ઉંમરે પહોંચેલા ઘણા યુવાનો કોઇ હસ્તરેખાશાસ્ત્રી પાસે પોતાનું ભવિષ્ય કેવું છે એ જાણવા હથેળી બતાવતાં હોય છે, જ્યારે ચંદીપે આ જ ઉંમરમાં આપણા લોકપ્રિય શાયર બરકત વિરાણી ‘બેફામ’ની લોકપ્રિય શાયરીની એક લાઇન, કે ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ ને ખરેખર સાર્થક કરીને એ સિદ્ધ કરી બતાવ્યું કે જીવનની સફળતા એ કોઇ હાથ કે તેની હસ્તરેખાઓની મોહતાજ નથી હોતી.

ચંદીપને આ નવા વર્ષમાં બે કૃત્રિમ હાથ જલદીથી મળી જાય એવી શુભેચ્છા.

સૌજન્ય… મુંબઈ સમાચાર .કોમ 

ચંદીપસિંહની પ્રેરક કથા વિડીયોમાં …

Asian championship Gold medal ..Taekwondo/international/Indian team player/india vs koera

Chandeep Singh – Official full documentary”

Chandeep Singh વિશેના અન્ય વિડીયો અહીં ક્લિક કરીને જુઓ 

1264 નાનું નામ, મોટાં કામ ….- ડો. મૌલિક શાહ

સૌજન્ય .. ઈ-વિદ્યાલય

નાનું નામ, મોટાં કામ ….- ડો. મૌલિક શાહ

અબ્દુલના માતાપિતા નાના ગામમાં શાકભાજી વહેંચતા પણ સંતોષપૂર્ણ જીવન જીવતા. ગામના બીજા બાળકોની માફક અબ્દુલને પણ ગામમાં ચાલતી આંગણવાડીમાં મૂકવામાં આવ્યો. નાના ગામમાં ચાલતી આંગણવાડી મોટા શહેરોની પ્લેસ્કૂલ અને કિંડર ગાર્ડન ની ગરજ સારે છે! માતા-પિતા અહીં બાળકોને મૂકી સવારના ભાગે કામે નિશ્ચિંત બની જઈ શકે છે.

     આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટિક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે, વિટામિન સી અને આયર્ન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે. બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ બાલભોગ નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે; જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે. આવી વાનગી મેં ખુદ ચાખેલી છે અને તેની ગુણવત્તા ખરેખર સારી છે.

     આવી એક આંગણવાડી માં અબ્દુલને સવિતા બહેન નામના આંગણવાડી વર્કર બહેન સાચવતાં. સવિતાબહેન અંદાજે ૪૦  વર્ષની વયનાં આનંદી સ્વભાવનાં અને બાળકો પ્રત્યે ખૂબ માયાળુ.  સવિતા બહેન અબ્દુલને સવારે રોજ પ્રાર્થના બોલાવે – સારી રીતભાતો શીખવે અને રોજ અલગ અલગ નાસ્તો ખવડાવે. અબ્દુલ ઘણી વખત કહેતો કે તેને ઘર કરતા પણ વધુ સવિતાબહેનને ત્યાં ગમતું.  સવિતાબેનના આ નાનકડા બાગમાં અલગ અલગ પરિવારો અને ધર્મોના અનેક ફૂલો વિકાસ પામતા હતા.

     એક દિવસ સવારે અબ્દુલ ન આવ્યો.  બીજા દિવસે પણ ન દેખાયો. બસ સવિતાબેન જઈ પહોંચ્યા પોતાના શિષ્યને ત્યાં.  અબ્દુલ પથારીમાં પડ્યો હતો.  માતાએ જણાવ્યુ કે બે દિવસથી શરદી – ઉધરસ થવાથી તે બિમાર છે અને પથારીમાં પડ્યો પડ્યો કણસે છે. સવિતાબેને જઈ અને અબ્દુલને જોયો. અબ્દુલ બીમાર હતો પણ સવિતાબેનને જોઈ તેના મોં પર થોડી ક્ષણો માટે હાસ્ય આવી ગયુ.

     પણ સવિતાબેનના ચહેરા પરથી હાસ્ય ઉડી ગયું. કારણકે, અબ્દુલને શ્વાસ લેવાનો દર ખૂબ વધારે હતો અને શ્વાસ લેવાની સાથે છાતીમાં ખાડા પણ પડતા હતા. સવિતાબેન તેમની આઈ.એમ.એન.સી.આઈ.(Integrated Management of Neonatal & Childhood Illness) નામની સરકાર આયોજિત તાલીમ દરમ્યાન શીખી ચૂક્યા હતા કે, આવા લક્ષણો ગંભીર બિમારી અને ન્યુમોનિયા સૂચવે છે.અને આવા દર્દીને વધુ સારવાર માટે મોટી હોસ્પીટલમાં મોકલવામાં વિલંબ ન થવો જોઈએ.

       પણ હવે મોટુ સંકટ હતુ –  અબ્દુલને શહેર પહોંચાડવાનુ અને તે પહેલા તેના માટે તેના માતાપિતાને સમજાવવાનુ. અનેક પ્રશ્નો ખડા થયા. જેમકે શહેરમાં કોણ હાથ ઝાલે? ગરીબ હોવાથી આવવા જવાનો કે સારવારનો ખર્ચ કેમ કાઢવો? અબ્દુલથી નાના ભાઈ-ભાંડુનું શું ? વિ.વિ.

     પણ સવિતાબેન એમ કાંઈ લડયા વગર હાર માની લે તેમ ન હતા. તેમણે કોઠાસૂઝ કામે લગાડી ગામના સેવાભાવી લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો. એક ભાઈને ટ્રેકટરમાં શહેર સુધી મૂકી જવા વિનંતી કરી, અબ્દુલના નાના ભાઈ ભાંડુને પોતાના ઘેર બીજા હેલ્પર બેન પાસે સંભાળવા મૂકી. ટ્રેકટરમાં નીકળી પડ્યા અબ્દુલ અને તેના માતા પિતાને લઈ. 

     હવે તેમણે પોતાની તાલીમને કામે લગાડી અને અબ્દુલને જીવાણુનાશક દવાનો અને તાવ ઊતારવાની દવાનો પહેલો ડોઝ પણ તેમને અપાયેલા પુસ્તકમાંથી જોઈને આપી દીધો. તાલીમ દરમ્યાન અમે આપેલ હોસ્પીટલના ઈમરજન્સી નંબર પર દર્દી વિષયક જાણ કરી તૈયારી રાખવા વિનંતી કરી. અબ્દુલ ખૂબ સમયસર હોસ્પીટલ પહોંચી ગયો અને તેને પીડીયાટ્રીક આઈ.સી.યુ માં તેની સારવાર થતા તે એકાદ સપ્તાહમાં ઘરે પાછો જવા લાયક પણ થઈ ગયો.

      આ બાળકની જીવનરક્ષાનો તમામ શ્રેય સવિતાબેન જેવા કાર્યકરને જાયછે. સવિતાબેનને હું મળીને તેમનો આભાર ન માની શક્યો કારણકે, તે તો અબ્દુલને ભરતી કરાવી ને વળતી સવારે બસમાં ગામ પરત ફરી ગયાં. ત્યાં પણ બીજા ઘણા અબ્દુલને તેમના રાહબરની જરુર હતી. 

      પણ મને ખૂબ આનંદ છે કે, સવિતાબેન કે જે માત્ર આઠ ચોપડી પાસ છે છતાં તેમણે તેમને આપવામાં આવેલ તાલીમ અને ફરજપરસ્તી નો ઉત્તમ નમૂનો આપ્યો. આવા અનેક સવિતાબેન ગુજરાતના ગામે ગામ કાર્યરત છે અને ગુજરાતનુ ભવિષ્ય તેમના હસ્તે સંભાળપૂર્વકનો ઉછેર પામી રહયુ છે તે માટે તે બધાને મારા શત શત પ્રણામ. આવા પાયાના સૈનિકો ને બાળઆરોગ્યની ચાવી રુપ તાલીમ – આઈ. એમ. એન.સી.આઈ. આપવા માં સામેલ થવાનો મને ગર્વ છે. તાલીમ નો હથિયાર તરીકે ઉપયોગ કરી બાળઆરોગ્યનુ રક્ષણ કરતા આ સૈનિકો આદર ને પાત્ર છે.
(આ ઘટનાના પાત્રોના માત્ર નામ બદલેલા છે.દર્શાવેલી તસ્વીર IMNCI તાલીમાર્થી બહેનો ની છે.)      

ડો. મૌલિક શાહના અન્ય અનુભવો …

અહીં..ઈ-વિદ્યાલય ની આ લીંક પર