વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: મિત્ર પરિચય

1271 -ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી ગણપતભાઈ પટેલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત …અભિનંદન

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારતના પ્રેસીડન્ટ શ્રી રામનાથ કોવિંદ એ દેશની જે પ્રમુખ હસ્તિઓને પદ્મશ્રી પુરસ્કારોથી સન્માનિત કરવાની જાહેરાત કરી એની યાદીમાં  ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને પેટ્રન-ઇન-ચિફ શ્રી ગણપતભાઇ પટેલનો પણ સમાવેશ થાય છે.

ધર્મપત્ની મંજુલાબેન સાથે પદ્મશ્રી ગણપતભાઈ પટેલ

‘’વિદ્યાર્થીના જીવનમાં પરિવર્તન એ જ સાર્થકતા છે’’ ગણપતભાઇ

ગૌરવવંતી ગુજરાતી પ્રતિભા શ્રી ગણપતભાઈ પટેલને પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરવા બદલ અમારા જાણીતા સ્નેહી મિત્ર સમા શ્રી ગણપતભાઈને વિનોદ વિહાર ગૌરવ અને આનંદ સાથે અભિનંદન પાઠવે છે.  

પદ્મશ્રી ઉપરાંત અગાઉ ગણપતભાઈને નીચેના પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે.

૧.2018માં તેમને અમેરિકાની કાલ પોલિ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્ની એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે

૨.2014માં તેમને સેલ્યુટ ઈન્ડિયા એન.આર.આઈ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

૩.આ ઉપરાંત તેમને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ દ્વ્રારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો છે.આ એવોર્ડ ઘણો પ્રતિષ્ઠિત ગણાય છે.

૪.2005થી ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઓફ ચીફ તરીકે માનભર્યો હોદો સંભાળતા ગણપતભાઈને જ્વેલ ઓફ ભારત અને જ્વેલ ઓફ ગુજરાતના એવોર્ડ મળી ચૂક્યા છે.આ ઉપરાંત અન્ય એવોર્ડ પણ તેમને મળ્યા છે. 

શ્રી ગણપતભાઈને પદ્મશ્રી એવોર્ડ મળ્યાના સમાચારથી મને વિશેષ આનંદ એટલા માટે થાય છે કે શ્રી ગણપતભાઈ પટેલ અને એમનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેનને હું વર્ષોથી ઓળખું છું.કોઈવાર સામાજિક પ્રસંગોમાં એમને રૂબરૂ મળવાનું થયું છે.આટલી સિદ્ધિ અને સમૃદ્ધિ મળી હોવા છતાં એમનું વ્યક્તિત્વ સાદું,નિરાભિમાની,ખુબ સરળ છે.તેઓ મળતાવડો રમુજી સ્વભાવ ધરાવે છે.ફેબ્રુઆરી ૨૦૦૭માં મારા પુ.પિતાશ્રી રેવાભાઈનું અવસાન થયું ત્યારે એમની શોક સભા અને ફ્યુનરલમાં મંજુલાબેન સાથે તેઓ લોસ એન્જેલસથી સાન ડીએગો સુધી ડ્રાઈવ કરીને હાજરી આપી હતી.  

ગણપતભાઈ અને મંજુલાબેનના વિદ્યા યજ્ઞના સદકાર્યોમાં એમની ત્રણેય દીકરીઓ આશાબહેન, રીટાબહેન અને અનિતાબહેનનો પૂરો સહકાર અને ટેકો હોય છે.

ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ સંભાળ્યા પછી વડા પ્રધાન તરીકે ચૂંટાઈને શ્રી નરેન્દ્ર મોદી દિલ્હી ગયા ત્યારે એમને મળીને અભિનદન આપવા શ્રી ગણપતભાઈ એમનાં ધર્મપત્ની મંજુલાબેન સાથે દિલ્હી ગયા હતા એ પ્રસંગની આ બે તસ્વીરો  શ્રી ગણપતભાઈએ મને ઈ-મેલમાં મોકલી હતી. 

ગણપતભાઇનો જન્મ 12 જાન્યુઆરી 1945 ના રોજ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ભૂણાવ ગામમાં થયો હતો.તેઓ વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં,લોસ એન્જલસમાં સ્થાયી થયેલા છે.એમના પિતા ઈશ્વરભાઈ ખેડૂત હતા.ગણપભાઈ 1965માં અમેરિકા વધુ અભ્યાસાર્થે ગયા હતા.ત્યાં એન્જીનીયરીંગની ડીગ્રી લઇ થોડો સમય વ્યવસાય સાથે જોડાયા.અમેરિકામાં સ્થાયી થયા બાદ સફળ ઉદ્યોગ સ્થાપી સારી કમાણી કરી.અમેરિકામાં રહીને તેઓ એમના મૂળ વતનને ભૂલ્યા ન હતા.તેઓએ અને એમના મિત્ર અનીલભાઈએ મળીને  એપ્રિલ 2005માં ગણપત યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. 

1978માં ગણપતભાઈએ લોસ એન્જેલસમાં ચેરોકી ઈન્ટરનેશનલનામની પોતાની કંપની સ્થાપી એમાં એમની સૂઝ,આવડત અને  પુરુષાર્થથી સારી કમાણી કરી.આ કમ્પનીમાં હજારો લોકોને રોજગારી આપી.ગુજરાતમાંથી અમેરિકા ભણવા જતા કે નોકરી-ધંધો કરવા જતા અનેક લોકો માટે ગણપતભાઈની ચેરોકી કંપની આશીર્વાદ રૂપ બનતી.ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમની કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ મળી જતી જેનાથી એમને અમેરિકામાં સેટ થવા માટે ચેરોકી પહેલો વિસામો બનતી હતી એ મેં નજરે જોયું છે.

ગણપત પટેલના ખાસ મિત્ર, એક વારના ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી અને એપોલો ગ્રુપના માલિક સ્વ.અનીલ પટેલ અને ગણપત પટેલએ સાથે મળીને મારા વતનના ગામ ડાંગરવા નજીકના જ ગામ ખેરવા ગામ વિસ્તારમાં ગણપત વિદ્યા નગર અને ગણપત  યૂનિવર્સિટીની સ્થાપના કરી.ગણપતભાઈએ આ યુનિવર્સિટીની સ્થાપના અને વિકાસમાં અત્યાર સુધી રૂ.૪૦ કરોડ જેટલું માતબર દાન કરી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં કેળવણી ક્ષેત્રે એક અનન્ય અને વિરલ કાર્ય કર્યું છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર માટે એમના આવા ઉમદા કાર્યો માટે તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ બિલકુલ યોગ્ય પસંદગી છે.આ એવોર્ડ માટે ભારત સરકારને અને ગુજરાત સરકારને ધન્યવાદ ઘટે છે.  

વિનોદ પટેલ

ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરમાં શ્રી રમેશ તન્નાનો એક સુંદર લેખ –

વરિષ્ઠ પત્રકાર ,લેખક અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય શ્રી રમેશ તન્નાએ શ્રી ગણપતભાઈ વિષે દિવ્ય ભાસ્કરની રસધારકોલમમાં એમની રસાળ શૈલીમાં વિગતવાર એક સુંદર લેખ લખ્યો છે.

વાત ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલની

ગણપતભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું અમેરિકામાં ભણતો હતો ત્યારે કે પ્રારંભમાં મારો વિકટ સમય હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા, તો ક્યારેક મેં કોઈની પાસેથી ઉછીના પૈસા નહોતા માગ્યા કારણ કે મારાં માતાએ મને મેનેજમેન્ટ શીખવ્યું હતું. મારી માએ સીમિત આવકમાં અગિયાર સંતાનોનો ઉછેર કર્યો હતો. આજે જે એમબીએમાં ભણાવાય છે કે સ્રોતનો મહત્તમ ઉપયોગ કરો અને બગાડ ઓછો કરો એ સજ્જતામાં મારી માએ મને બાળપણમાં જ આપી દીધી હતી. હું અમેરિકા આવ્યો ત્યારે મારી માતા મેનાબા પાસે એમબીએ થઈને આવ્યો હતો.

શ્રી રમેશ તન્નાનો આ આખો લેખ 

અહીં આ લીંક પર ક્લિક કરીને વાંચો. 

ગુજરાતનું ગૌરવ ગણપતભાઈ પટેલ વિડીયોમાં ..

  ૧.આ વિડીયોમાં પદ્મશ્રી પ્રાપ્ત કર્યા પછી એમનું ટૂંકું વ્યક્તવ્ય આપતા ગણપતભાઈને નિહાળી શકાશે.

સમાજને જો ઉંચો લાવવો હોય તો વિદ્યાથી કોઈ બીજું સાધન નથી”

Padmshri Award Winner Ganpatbhai Patel Ganpat University

 

૨. ગણપત યુનીવર્સીટીના પ્રથમ પ્રેસીડન્ટ અનિલભાઈ પટેલના દુખદ  અવસાન બાદ માર્ચ ૨૦૧૮ માં ગણપતભાઈ પટેલએ યુની. ના બીજા પ્રેસીડન્ટ તરીકે બાગડોર સંભાળી એ પ્રસંગે સ્વીકૃતિ વક્તવ્ય આપતા ગણપતભાઈને આ વિડીયોમાં જોઈ શકાશે.  

Presidential Speech of Shri Ganpatbhai Patel during the Installation of Shri Ganpatbhai Patel as the University’s second President on the occasion of the Vidya Shilpi Divas.

ગણપત યુનિવર્સિટી -વિશેષ માહિતી સંદર્ભ ..

ગણપત યુનીવર્સીટી (વિકિપીડિયા ) ગુજરાતીમાં 

Ganpat University ..web site 

 

1168 – નટવર ગાંધી,  Natwar Gandhi/ ” એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના ખુબ વાંચતા બ્લોગ ”ગુજરાતી પ્રતિભા પરિચય” માં શ્રી નટવર ગાંધી વિષે ખુબ માહિતી સાથે સુંદર પરિચય કરાવ્યો છે.આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકો માટે એને સાભાર અત્રે રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

” એક અજાણ્યા ગાંધીની આત્મકથા”

શ્રી નટવરભાઈ ગાંધીના જીવનની વાતો ખરેખર પ્રેરક છે.ભારતમાં શરૂઆતના જીવનમાં ઘણી મુશ્કેલીઓને વટાવી ખુબ પુરુષાર્થ કરીને તેઓ અમેરિકા આવ્યા.અહી આવી તેઓ કેવી રીતે પ્રગતી સાધીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી વિખ્યાત બન્યા એની વાતો ખુબ રસીક અને પ્રેરક વાચન પૂરું પાડશે એવી મને આશા છે.

આ ખુબ જાણીતા પણ ” અજાણ્યા ગાંધી ”શ્રી નટવર ગાંધીને અભિનંદન સાથે વંદન.

વિનોદ પટેલ

ગુજરાતી પ્રતિભા પરિચય

ng11‘નાણાંકીય બાબતોના જાદૂગર કવિ’

  • તમારે હર્મ્યે ના હતી કશી કમી કલ્પતરુની,
    હતાં માતાપિતા, સુખવતી હતી પત્ની પ્રમદા,
    હતાં દૈવે દીધા દયિત સુત, ઐશ્વર્ય જગનું,
    અકસ્માતે જોયાં દુઃખ જગતનાં, વૃદ્ધ વયનાં.
    પીડા, વ્યાધી જોયાં, શબ વિરૂપ, ભિખારી ભમતાં,
    લલાટે આવું જે જીવન લખ્યું તે કેમ જીવવું ?
    ત્યજી પત્ની સૂતી, વિત્ત ત્યજી ચાલી નીકળ્યા,
    તપશ્ચર્યા વેઠી, કરુણ નયને બુદ્ધ પ્રગટ્યા !
  • ચડાવી સૂટ, બૂટ ટાઈ ફરતા ઘણા તોરથી,
    ગીચોગીચ વસે અસંખ્ય જન બાપડા ચાલીમાં,
    વસે ઝૂંપડપટ્ટી, કૈંક ફૂટપાથ લાંબા થતા,
    લગાવી લિપસ્ટિક કૈંક ગણિકા ફરે, નોતરે,
    અહીં ઊઘડી આંખ, પાંખ પ્રસરી ઊડ્યો આભ હું,
    મહાનગર આ, ભણ્યો જીવનના પાઠ હું.
  • ‘ઓપિનિયન’ પર તેમની આત્મકથા વિશે
  • પરિચય લેખો
    –     ૧     – –     ૨    –

——————————————————-

જન્મ

  • ૪, ઓક્ટોબર – ૧૯૪૦; સાવરકુંડલા, જિ. અમરેલી

કુટુમ્બ

  • માતા– શાંતા બહેન; પિતા – મોહનલાલ
  • પત્ની – ૧) સ્વ. નલીની ૨) પન્ના નાયક ;  પુત્ર  – અપૂર્વ ; દીકરી – સોનલ

શિક્ષણ

  • પ્રાથમિક…

View original post 292 more words

1082- મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ …પરિચય

ફ્રીમોન્ટ,કેલીફોર્નિયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાની પરિચય શ્રેણી ‘મળવા જેવા માણસ’ લેખ માળાના ૫૧મા મણકા તરીકે એમણે ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતાં ‘નીરવ રવે ‘ બ્લોગનાં બ્લોગર મારાં આદરણીય સહૃદયી મિત્ર શ્રીમતી પ્રજ્ઞા વ્યાસનો સચિત્ર પરિચય કરાવ્યો છે.

શ્રી દાવડાજીના બ્લોગ “દાવડાનું આંગણું” માં તેઓએ આ પરિચય લેખ પોસ્ટ કર્યો છે.શ્રી દાવડાજી  તરફથી ઈ-મેલમાં મળેલ આ પરિચય લેખને વિનોદ વિહારમાં આજની પોસ્ટમાં વાચકો માટે પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

 

મળવા જેવા માણસ ….શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ

પરિચયકાર … શ્રી પી.કે.દાવડા  

Mr.and Mrs Pragna Ju. Vyasa

પ્રજ્ઞાબહેનનો જન્મ ૧૯૩૯ માં સુરતમાં થયો હતો. પિતા શ્રી કુમુદચંદ્ર મુંબઈની પ્રખ્યાત એંજીનીઅરીંગ કોલેજ V.J.T.I. માં મિકેનીકલ એંજીનીયરીંગનો અભ્યાસ કરી, રેલ્વેમાં નોકરી કરતા હતા. માતા ઇશ્વરીબહેન સાતમા ધોરણ સુધી ભણેલા હતા. આર્થિક રીતે આ સુખી કુટુંબમાં સંગીતમય અને ધાર્મિક વાતાવરણ હતું.                 

પ્રજ્ઞાબહેનનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ફ્રીલેન્ડગંજની રેલ્વેની શાળામાં ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી થયો હતો.

                                     (શાળાના સમયે)

અહીં અભ્યાસ દરમ્યાન સંગીત ને નાટ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ભાવનગરની માજીરાજ ગર્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૫૫ માં S.S.C. ની પરીક્ષા પસાર કરી હતી. હાઈસ્કૂલના શિક્ષણ માટે એમને ક્યારેક ટ્રેનમાં તો ક્યારેક સાઈકલ ઉપર શાળામાં જવું પડતું. રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેધાણીનાં પુત્રી પદ્મલા પ્રજ્ઞાબહેનના વર્ગમાં હતા.

બે વર્ષ માટે ભાવનગરની S.N.D.T. કોલેજમાં આર્ટસ વિભાગમાં અભ્યાસ કર્યા બાદ, ૧૯૫૭ માં લગ્ન થઈ જતાં અભ્યાસ અધુરો મૂકવો પડ્યો હતો. પ્રજ્ઞાબહેનના પતિ શ્રી પ્રફુલ્લચંદ્ર વ્યવસાયે તબીબ છે.

                                   (લગ્ન પછી)

પ્રજ્ઞાબહેને સ્વેચ્છાએ ગૃહીણીનો રોલ સ્વીકારી, એક દિકરા અને ચાર દીકરીઓની સુખાકારી અને શિક્ષણની જવાબદારી નીભાવી. પાંચે સંતાનો સારું શિક્ષણ પ્રાત્પ કરી જીવનમાં સ્થાયી થયા છે. આ સમય દરમ્યાન એમણે સામાજીક સંસ્થાઓમાં કામ કરી પોતાનો ફાળો નોંધાવ્યો. બારડોલી સાર્વજનિક મહિલા મંડળ અને જાયન્ટસ કલબ જેવી સંસ્થાઓનું પ્રમુખપદ પણ શોભાવ્યું. આસપાસના ગામોમાં જઈ સમાજ સેવાની પ્રવૃતિઓ કરી, એમણે એમની માનવીય ફરજ નીભાવી.

૧૯૯૬ માં એમની અમેરિકા સ્થિત દિકરી રોમાએ એમનું ગ્રીનકાર્ડ સ્પોન્સોર કર્યું, અને એ મંજૂર થતા પ્રજ્ઞાબહેન એમના પતિ સાથે અમેરિકા આવ્યા. હાલમાં તેઓ અમેરિકન નાગરિક છે.

૨૦૦૬ માં એમને ગુજરાતી બ્લોગ્સની જાણ થઈ અને એમણે એમાં રસ લેવાનું શરૂ કર્યુ. એમણે અનેક બ્લોગ્સમાં મૂકાયલી કૃતિો વિષે પ્રતિભાવ આપવાના શરૂ કર્યા. એમના વિદ્વતાભરેલા પ્રતિભાવો ઉપર અનેક વાંચકો અને બ્લોગ્સના સંચાલકોનું ધ્યાન દોરાયું, અને અનેક સર્જકો એમના સંપર્કમાં આવ્યા. ૨૦૦૮ માં એમણે “નીરવ રવે” નામનો પોતાનો બ્લોગ શરૂ કર્યો.

“નીરવ રવે”માં પ્રજ્ઞાબહેને પોતાના સર્જન ઉપરાંત એમના સંતાનોના સર્જન અને અન્ય મિત્રોના સર્જન મૂકવાનું શરૂ કર્યું. ગુજરાતી બ્લોગ્સમાં ઊંચું સ્થાન ધરાવતા બ્લોગ “વેબ ગુર્જરી” ના સંપાદક મંડળના એમને પ્રમુખ બનાવવામાં આવ્યા.

એમની ખાસ ખાસિયત એ રહી કે એ પ્રત્યેક વ્યક્તિના પ્રત્યેક ઈ-મેઈલનો જવાબ આપે છે, અનેક બ્લોગ્સમાં કૃતિઓ વાંચી એમાં મનનીય પ્રતિભાવ લખે છે. જે વિષય ઉપર પ્રતિભાવ લખે છે, એ વિષય ઉપરનું સાહિત્ય ઉપલબ્ધ કરાવે છે. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ઉર્દુ ભાષાઓ ઉપર પણ એમની સારી પકડ છે.

લેક્ષિકોનમાં પ્રજ્ઞા શબ્દના ઘણાં અર્થ આપેલા છે. પ્રજ્ઞા એટલે બુધ્ધી, મેધા, મતિ, સમજશક્તિ, એકાગ્રતા, વિશેષ જાણીકારીવાળી, પરિપક્વ બુધ્ધિવાળી, સમજણશક્તિ, ડહાપણ, અને સંવેદના. આ પ્રજ્ઞાબહેન માટે તો આ બધા અર્થ એક સાથે લાગુ પડે છે, કદાચ બધાનો સરવાળો કરી એક નવો અર્થકારક શબ્દ બનાવવો પડે. ખૂબ જ મિલનસાર અને પ્રેમાળ સ્વભાવના બહેન પ્રજ્ઞા વ્યાસે એક દાયકામાં મિત્રો અને ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કરી લીધો છે.

બ્લોગ જગતની ખૂબ જ જાણીતી અને સન્માનનીય વ્યક્તિઓના અભિપ્રાયોનું સંકલન કરીને કહું તો બહેન પ્રજ્ઞા વ્યાસ એક મેઘાવી વ્યક્તિ છે. વિશાળ વાંચન એમની મૂડી છે. એમના હાસ્યમાં પણ એમનું ગાંભીર્ય છે. એમની સહાનુભુતિમાં કરૂણા છે. કોઈ પણ વીષય કેમ ન હોય, તેઓ કોણ જાણે કયા ખજાનામાંથી માહીતી ફંફોળી લાવે છે. ને તેય પાછી અત્યંત ઉંચી કક્ષાની અને સાંદર્ભીક. જાણે કે એમની પાસે કોઈ અદભુત વીકીપીડીયા ન હોય?

આટલા સંદર્ભો અને આટલા વીષયો પરની આટલી ઉંચી કોમેન્ટ્સ મેં તો બીજે ક્યાંય જોઈ નથી. પ્રજ્ઞાબેનનું ગુજરાતી, અંગ્રેજી, હિંદી, અને સંસ્કૃત ઉપર્ પ્રભુત્વ તો છે જ, પરંતુ તેઓ ઉર્દુ ભાષા અને સાહિત્યમાં પણ એટલાં જ અભ્યાસુ છે. એમના પ્રતિભાવોમાં સંસ્કૃત શ્ર્લોકો હોય તો વળી ઉર્દુની શેર-શાયરીઓ પણ હોય! શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ સૌથી મોખરે હોય. કેટલીકવાર તો મૂળ કૃતિ કરતાં પણ પ્રજ્ઞાબહેનની કોમેંટ વધુ રસદાયક હોય છે. કવિતાનો રસાસ્વાદ તેઓ અદભુત રીતે કરે છે,

                       

                                 (નિવૃતિનો સમય)

                 

                                       (સહ કુટુંબ)

તેઓ કહે છે, “મને ભજન ગાવાં વધુ ગમે છે; કારણ ગાતી વેળાએ એમાં રહેલ ભાવ સાથે મારું સહજ સંધાન થઈ એમાં તાદાત્મય સધાતાં ભજનના ભાવમાં ભીંજાવાનું સહજ બને છે.”

પ્રજ્ઞાબહેન માને છે કે માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, પણ આખી જીંદગી માણસ તરીકે જીવે, અને માણસાઈ સાથે જીવે એ ખૂબ અગત્યનું છે. ઈન્સાનિયત એ  જ અગત્યની બાબત છે.આજકાલની દોડધામવાળી જીંદગીમાં કોઈને બીજા માટે સમય નથી, આ પરિસ્થિતીમાં બદલાવની તાતી જરૂરત છે.

પ્રજ્ઞાબહેન કહે છે, ‘સદા સંતવાણી યાદ રાખો, વર્તમાનમાં રહો, સ્નેહ રાખો , કટુ  વિચાર- વચન ત્યાગો, ગુણદર્શન કરો અને સદા માનો આપને તો નિમિત્ત માત્ર !’

-પી. કે. દાવડા

(ફ્રીમોન્ટ, કેલિફોર્નિયા, ૨૦ જુલાઈ, ૨૦૧૭)

====================

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫માં જન્મ દિવસે અગાઉ વિનોદ વિહારમાં પ્રસિધ્ધ અભિનંદન / પરિચય લેખ

નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

(330) સહૃદયી સાહિત્ય મિત્ર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસના ૭૫ મા વર્ષમાં પ્રવેશ
વેળાએ અભિનંદન / એમનો પરિચય

( 1036 ) શ્રી હરીશ દવે અને એમના સાહિત્ય સર્જનનો પરિચય

જીવનના સાતમા દશકને માણતા સિનિયર સીટીઝન લેખક અમદાવાદ નિવાસી શ્રી હરીશ દવે (Harish Dave) વર્ષ 2005થી વિવિધ વિષયો પર વેબસાઇટ્સ/બ્લૉગ્સ પબ્લિશ કરી ઈન્ટરનેટ પર પ્રવૃત્ત રહી ગુજરાતી ભાષાની સારી સેવા કરી રહ્યા છે.નેટમાં રસ લેતા ગુજરાતીઓ માટે એમનું નામ હવે અજાણ્યું નથી.

શ્રી હરીશભાઈ દવે ગુજરાતી ભાષામાં અલગ અલગ વિષયના નીચે જણાવ્યા પ્રમાણે ઘણા બ્લૉગ નિયમિતપણે એકલા હાથે ચલાવે છે એ એક ગૌરવ લેવા જેવી બાબત છે.

શ્રી હરીશ દવે અને એમના વિવિધ બ્લોગોનો પરિચય

શ્રી હરીશભાઈ દવે એ એમના બ્લોગ મધુસંચયની આ લીંક પર  એમના સંક્ષિપ્ત પરિચય સાથે એમના વિવિધ ગુજરાતી વર્ડ પ્રેસ બ્લોગ (1) મધુસંચય (2) અનામિકા (3) અનુપમા (4) અનુભવિકા (5) અનન્યા (6) મુક્તપંચિકા અને લઘુલિકા અને (6) મુક્તપંચિકા અને લઘુલિકા તથા બ્લૉગસ્પૉટ પર(7) મુક્તપંચિકા તથા કવિતા (8) આત્મકથન / સંસ્મરણો તથા બે અંગ્રેજી બ્લોગ Indian Philosophy Simplified અને Ancient Indian Scriptures ની લીંક આપી છે.એ બધી લીંક પર ક્લિક કરીને એમના વિવિધ સાહિત્ય સર્જનનો આસ્વાદ લઇ શકાશે.

‘મુક્તપંચિકા’ નામે તાન્કા જેવો ભાસતો કાવ્યપ્રકાર એમણે પ્રચલિત કરવાની કોશિશ કરી છે.એમના એક ‘મુક્તપંચિકા’( ૫-૫-૭-૫-૫) નું ઉદાહરણ આ રહ્યું :

સમંદરને
મુઠ્ઠીમાં બાંધું
હું એવો – પલભર
બનાવું ઝીણું
અમથું બિંદુ!

ગુજરાતી નેટ જગતમાં મલ્ટિબ્લૉગર તરીકેનું  બહુમાન ધરાવનાર શ્રી હરીશભાઈનો એક લેખ“ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર “આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી સૌ પ્રથમવાર એમનો અને એમના બ્લોગ સાહિત્યનો  વિનોદ વિહારના વાચકોને પરિચય કરાવતાં આનંદ થાય છે.

શ્રી હરીશભાઈ દવેનું વિનોદ વિહારને આંગણે હાર્દિક સ્વાગત છે.

વિનોદ પટેલ

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર. …. શ્રી હરીશ દવે
ગુજરાતી નેટ જગતની એક ઝલક

ગુજરાતી નેટ જગત આજે વાચકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે. ગુજરાતી બ્લૉગર્સ આજે આત્મવિશ્વાસથી ગુજરાતી બ્લૉગિંગને દિશાસૂચન કરી રહ્યાં છે. અભિનંદન, ગુજરાતી બ્લૉગર મિત્રો! આપના પ્રયત્નોથી આજે ગુજરાતી બ્લૉગ જગત (ગુજરાતી બ્લોગ જગત) નવી ઊંચાઈ પર પહોંચ્યું છે.

ગુજરાતી બ્લૉગિંગની આ રોમાંચક સફરનાં આરંભનાં વર્ષો પર નજર નાખવાની કેવી મઝા આવે! મેં આપ સૌ વાચકોને વાંચવામાં રસ પડે તેવો લેખ તૈયાર કર્યો છે.

આ રસપ્રદ પોસ્ટ મેં મારા બ્લૉગ “અનુપમા” પર મૂકી છે. તેમાં ગુજરાતી બ્લૉગ જગતનો ઇતિહાસ નથી, પણ વિહંગાવલોકન છે. આ પોસ્ટ ગુજરાતી નેટ જગતને યોગ્ય દિશા અને ગતિ આપવામાં આપના સહયોગને પ્રોત્સાહિત કરશે.

નીચેની લિંક પર ક્લિક કરી તે જરૂર વાંચશો. મારા બ્લૉગ “અનુપમા” પરની આ રસપ્રદ પોસ્ટ છે:

ગુજરાતી બ્લૉગિંગ પર એક ઊડતી નજર… 

– હરીશ દવે
સંપર્ક: thinklife11 (at) gmail (dot) com

શ્રી હરીશભાઈ જેવા જ મલ્ટી બ્લોગર મારા મિત્ર શ્રી સુરેશભાઈ  જાનીએ એમના ખુબ જાણીતા ગુજરાતી બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં શ્રી હરીશભાઈ અને એમના કાર્યનો કરાવેલ પરિચય નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

મળવા જેવા માણસ શ્રી હરીશ દવે  

 

( 938 ) સર્જક જયશ્રી વિનુ મરચંટ … એમના સર્જનનો પરિચય …રજૂઆત ….. પી.કે.દાવડા

મિત્ર શ્રી પી.કે.દાવડા એમની સર્જક અને સર્જન ઈ-મેલ શ્રેણીમાં એમના જાણીતા ઘણા સાહિત્ય સર્જક મિત્રો અને એમના એમને ગમેલા ચૂંટેલા સર્જનોનો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.

આ શ્રેણીમાં છેલ્લે એમણે કેલીફોર્નીયાના બે એરિયામાં એમની નજીકમાં જ રહેતાં પરિચિત સુ.શ્રી જયશ્રી વિનુ મરચંટ અને એમનાં કેટલાંક કાવ્ય સર્જનનો પરિચય કરાવ્યો છે .

આ બન્ને સાહિત્ય રસિકોના આભાર સાથે આજની પોસ્ટમાં એને રજુ કરતાં આનંદ થાય છે……  વિ.પ.

સર્જક જયશ્રી વિનુ મરચંટ…. એક પરિચય

Jayshree Merchant ,Panna Naik and Mahendra Mehta

 Jayshree Merchant ,Panna Naik and          Mahendra Mehta

જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલ યુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલ પેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે. હાલમાં જ તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.

એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રી પન્ના નાયક પાસેથી મળી હતી. પન્ના નાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનને અર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અને અછાંદસ લખ્યા છે. જાણીતા વિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રી બહેનની રચનાઓને આપ્યું છે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસ ‘ભગ્ન’ રાખ્યું છે.

જયશ્રી બહેન એમના નિવૃતિના સમયમાં બે એરીયાની સાહિત્ય પ્રવૃતિઓમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે .

જયશ્રીબહેનની કેટલીક ગઝલો ….

૧. આવે છે!

એમની આ ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે જ, પણ જોવાનું એ છે કે ઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે? મત્લાથી માંડીને મક્તા સુધી આ જ વાત સમજાવવાની કોશીશ કરી છે, અને એ પણ બધા જ ચોટદાર શેર દ્વારા.

આવે છે!

લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!
જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!
જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,
હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!
રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!
જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

“ભગ્ન” માફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!
કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?

૨. ને પછી….. અછાંદસ 

આ અછાંદસમાં જયશ્રીબહેને ખૂબ જ ગંભીર વાત કલામય રીતે રજૂ કરી છે. આખી કવિતામાં એક્પણ શબ્દ વગર પ્રયોજન નો નથી. ‘ને પછી’ ‘ને પછી’ ફરી ફરી વાપરીને રચનાકારે બે વસ્તુ દર્શાવી છે, એક તો Continuity, અને બીજું, એક પત્યા પછી બીજું અને બે વચ્ચેનો સમયગાળો દર્શાવ્યો છે. અટકળ કેવી રીતે અફવા બની જાય છે, અને અફવાને કેટલીકવાર સત્ય તરીકે કેવી રીતે રજૂ કરવામાં આવે છે, એ એમણે ખૂબ જ કલાત્મક રીતે દર્શાવ્યું છે. ક્યારેક સત્ય કેવી રીતે અટકળોનો અને અફવાઓનો ગુલામ બની જાય છે, એ એમની કવિતાનો Master Stroke છે.

ને પછી…..

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી,
અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી
એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી,
ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી,
અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી,
ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી,
ઊડી ઊડીને અફવા થાકે, ને પછી,
ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી,
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી,
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી, અફવ નથી,” ને પછી,
છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું!”, ને પછી,
કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી,
ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!

૩. મળશે તો?

શોધવા નીકળીશ રાહબર અને ખુદ ખુદા મળશે તો?

વિધીના લેખ રૂપે, સાંગોપાંગ, વીધાતા જ મળશે તો?

સેજ, મેડી, બારી, બારસાખ બધાં અવાચક થઈ જશે,

બનીને ચાંદ, દુલ્હન રૂપે મારી પડખે તું જો મળશે તો.

એક અડપલું અમથું નજરનું કર્યું, ત્યાં હતી શી ખબર?

મારા હાથમાં મહેંદીના વનનાં વન પછી મળશે તો.

કસુંબલ આંખોનો કેફ કરતાં પછી મને બીવડાવો નહીં,

વીદાય, વ્યથા અને વેદનાનાં વમળ મને જો મળશે તો?

જેને અક્ષરરૂપે પામવા, જીવનભર બસ ઝુર્યા કર્યું,

‘ભગ્ન’ કબર પર પછી એના જ હસ્તાક્ષર મળશે તો?

૪.જિંદગી ગઈ સરી…!

નામ લઈ એમનું લ્યો, જુઓ, શું ય હું ગઈ કરી!

ઝાંઝવાના હતા સાગરો એ બધાય હું ગઈ તરી!

હું જ છું પ્રતિબિંબો મહીં કે કોઈક બીજું જ છે?

શોધતાં આ જવાબો સૌ અહીં જિંદગી ગઈ સરી!

બાવરી રાધા લ્યો એકલી જ થઈ બદનામ પણ!

શ્યામની બાંસુરી મન જ રાધાનું હતી ગઈ હરી!

છે અહીં ક્યાં એવુંયે કશું જેનાથી હુંય જાઉં ડરી?

પણ જોયો આયનો ઓચિંતો, હું ય લ્યો ગઈ ડરી!

બાગમાં તો કશું કોઈનું ય બગડ્યું જ છે ક્યાં?

ભર વસંતે કળી એક ખીલ્યા વિણ જ ગઈ ખરી!

સર્જક …જયશ્રી વિનુ મરચંટ

રજૂઆતઃ પી. કે. દાવડા

( 777 ) શિક્ષક દિવસે એક આદર્શ શિક્ષક ડો. કિશોરભાઈ એમ.પટેલ નો પરિચય અને એમની સિધ્ધિઓ માટે અભિનંદન

વિનોદ વિહારના પાંચમા વર્ષની શુભ શરુઆતની પ્રથમ પોસ્ટમાં શિક્ષક દિવસે ગુજરાતના અને હવે તો દેશના આદર્શ શિક્ષક ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલના આજીવન સેવામય જીવન આધારિત સન્માનનીય સિધ્ધિઓ માટે ધન્યવાદ અને અભિનંદન આપતાં ખુબ હર્ષ થાય છે.

એક શિક્ષકની રાષ્ટ્રીય ગરીમાનું ગૌરવ કરનાર અને પોતાને એક આજીવન શિક્ષક તરીકે ગણાવનાર મહાન તત્ત્વવિદ અને ફિલસૂફ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધા કૃષ્ણનના જન્મ દિવસને એટલે કે ૫મી સપ્ટેમ્બરને છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.

આ દિવસે દેશમાંથી શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરતા ચૂંટેલા શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.

મિત્ર શ્રી ગોવિંદભાઈ પટેલે જ્યારે મને ઈ-મેલમાં ખબર આપ્યા ત્યારે મને એ જાણીને ખુશી થઇ કે આ પાંચમી સપ્ટેમ્બર ૨૦૧૫ ને રોજ ” શીક્ષક દીવસે” શ્રી. કીશોરભાઇ પટેલને ‘રાષ્ટ્રીય શ્રેષ્ઠ શીક્ષક’તરીકે નું સન્માન કરવામાં આવશે .આ સમાચારથી એમના અનેક મિત્રોને મારા જેવી જ જરૂર ખુશી થશે.

૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી એ પછી ૨૦૦૬માં પણ એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું હતું. આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કરી સેવા બજાવી રહ્યા છે.

નીચે આપેલ એમનો પરિચય જ્યારે તમે વાંચશો ત્યારે તમને જરૂર ખાત્રી થશે કે આ સન્માનનું ગૌરવ પ્રાપ્ત કરવા માટે ડો.કિશોરભાઈ પુરેપુરા યોગ્ય વ્યક્તિ છે .

ડો. કિશોરભાઈ ખુબ વિનયી છે . આપણી સંસ્કૃત ભાષાની આ ઉક્તિ એમને પૂરી બંધ બેસે છે .વિદ્યા દદાતિ વિનયમ…વિદ્યા વિનયથી શોભે છે.

ગુરૂ: બ્રહ્મા , ગુરૂ: વિષ્ણુ, ગુરૂ: દેવો મહેશ્વર ,

ગુરૂ: સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમ:

ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલ નો પરિચય …

ડો.કિશોરભાઈ એમ.પટેલ

 ડો.કિશોરભાઈ એમ.પટેલ

કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે….

“ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો,

ભગવાન તમારી મદદે જરૂર આવશે.”

ડો. કિશોરભાઈ ના બ્લોગ” શિક્ષણ સરોવર” માં એમણે આપેલ એમનો પરિચય” મારા વિષે “નીચેની લીંક ઉપર વાચો.

https://shikshansarovar.wordpress.com/about/

શ્રી. પી.કે.દાવડાએ એમના પરિચય લેખમાં કરાવેલ

ડૉ. કિશોરભાઈ નો પરિચય

“મળવા જેવા માણસ – ડો. કિશોરભાઈ મોહનભાઈ પટેલ “

સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન, માતૃવંદના અભિયાન, નારી તું નારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન, શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે.

વિદ્યાર્થોઓ વચ્ચે રહી સેવામય જીવન જીવનાર એક આદર્શ શિક્ષક તરીકેની એમની પહેચાન બનાવનાર અને એ માટે રાષ્ટ્રીય શિક્ષકનું ગૌરવ મેળવનાર શ્રી કિશોરભાઈને એમની  સિદ્ધિઓ માટે આ શિક્ષક દિવસે ….

હાર્દિક અભિનંદન .

એમનો ભાવી રાહ પણ સુખ રૂપ અને નિરામય બની

રહે એવી એમને મારી

દિલી શુભેચ્છાઓ ..

દિલ્હીમાં ડો. કિશોરભાઈ પટેલને ઉત્તમ શિક્ષક તરીકેનો ભારત સરકારનો ચન્દ્રક અને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો એ પ્રસંગના કેટલાક ફોટાઓ મિત્ર શ્રી ગોવીંદભાઈ પટેલે ઈ-મેલમાં મોકલ્યા હતા એ નીચે મુકું છું. 

5e2d0c85c7cef5b1d586b072dc532673

==========================================

શિક્ષક દિવસ પર શ્રી નરેન્દ્ર મોદીનો ક્લાસ,

જાણો શુ કહ્યુ મોદીએ વિદ્યાર્થીઓને….

શિક્ષક દિવસના એક દિવસ પહેલા, શુક્રવાર , 4 સપ્ટેમ્બર 2015, ના રોજ પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના માનેક શો સેંટરમાં દેશના વિવિધ રાજ્યોના શાળાના બાળકોના પ્રશ્નોના રસસ્પદ જવાબો આપ્યા હતા અને દેશના બાળકો ને સંબોધિત કર્યા હતા.

આ પ્રશ્નોત્તરી ખુબ જ રસસ્પદ રહી હતી જેમાં મોદીએ એમના જીવનના અનુભવોને પણ વણી લીધા હતા .

આ રસસ્પદ પ્રશ્નોત્તરી નો સાર વાંચવા માટે ગુજરાતી વેબ દુનિયાની વેબ સાઈટ ની નીચેની લીંક પર ક્લિક કરો.

ગુજરાતી વેબ દુનિયા- શ્રી મોદીની બાળકો સાથેની પ્રશ્નોત્તરી નો સાર …

આ આખા પ્રસંગનો યુ-ટ્યુબ વિડીયો ગઈ કાલે રાત્રે મેં મોડા સુધી જાગીને જોયો હતો એ મને ખુબ ગમ્યો હતો. આ આખા પ્રસંગનું સંચાલન જે વિદ્યાર્થીઓએ જ કર્યું હતું એ ખરેખર ધ્યાન ખેંચે એવું હતું. 

PM Modi’s interaction with school children on eve of Teacher’s Day