વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: વિનોદ પટેલ

( 1014 ) ઢાઈ અક્ષર પ્રેમકા,પઢે સો પંડિત હોય …

૧૪ મી ફેબ્રુઆરીવેલેન્ટાઈન ડેતરીકે ઉજવાય છે.વેલેન્ટાઈન ડેએટલે પ્રેમીઓનો પ્રેમનો ઇજહાર કરવાનો ઉત્સવ.

વસંત અને વેલેન્ટાઈન ડે બંને ફેબ્રુઆરીમાં આવે એટલે વેલેન્ટાઈન ડે  વસંત પંચમીનું એક બીજું સ્વરૂપ છે. વસંત એટલે સૃષ્ટિનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત

પ્રેમ વિષે સંત કબીર શું કહે છે ?

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા કોય

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

પ્રેમ બાડી ઉપજે , પ્રેમ હાટ બિકાય

રાજાપરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.

કબી

વેલેન્ટાઇનપ્રેમોત્સવને અનુરૂપ મારી કેટલીક સાહિત્ય રચનાઓ

વેલેન્ટાઇન ડે પરની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત એક અછાંદસ રચના નીચેની લીંક પર  ક્લિક કરીને વાંચો.

love-vellentine-day

વેલેન્ટાઇન ડે …અછાંદસ કાવ્ય… 

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

વેલેન્ટાઈન ડેની એક પ્રેમ કથા

(અગાઉ પોસ્ટ કરેલ સત્ય ઘટના પર આધારિત વાર્તાને થોડી મઠારીને અહી પ્રસ્તુત કરેલ છે.)

tim-place-3

અમેરિકાના ન્યુ મેક્ષિકો સ્ટેટના મુખ્ય શહેર આલ્બુકર્કમાં રહેતા યુવાન ટીમ હેરીસ Tim Harris ની અને ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતીની સત્ય ઘટના પર આધારિત આ પ્રેમ કથા જાણવા જેવી છે અને વેલેન્ટાઈન ડે ને અનુરૂપ છે.આ બન્ને પ્રેમી પંખીડાં ડાઉન સિન્ડ્રોમ રોનો ભોગ બનેલાં વિકલાંગ હોવા છતાં એમના વચ્ચેના પ્રેમ વચ્ચે એમની આ શારીરિક અને માનસિક પરિસ્થિતિ કોઈ રીતે નડતર રૂપ બની નહોતી.

આલ્બુકર્કમાં રેસ્ટોરંટનું કુશળતા પૂર્વક સંચાલન કરતો ટીમ હેરીસ Tim Harris  આખા અમેરિકામાં ડાઉન સિન્ડ્રોમ સાથે કોઈ રેસ્ટોરંટનો માલિક હોય તો એ એકલો જ હતો.એના નામ પરથી એણે એની રેસ્ટોરંટનું  નામ Tim’s Place રાખ્યું હતું.સતત પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી એના આ ધંધામાં એના પ્રાણ રેડીને એણે એના ધંધાને સધ્ધર કર્યો હતો.ટીમ એના ગ્રાહકોમાં ઘણો પ્રિય હતો.

એક દિવસે એકાએક જ એના રેગ્યુલર ગ્રાહકો સમક્ષ એણે જાહેર કર્યું કે એ ટૂંક સમયમાં જ રેસ્ટોરંટ બંધ કરે છે અને બીજા સ્ટેટમાં ડેનવર શહેરમાં મુવ થાય છે. એના ગ્રાહકોને આ સમાચાર જાણીને ખુબ નવાઈ લાગી કે ટીમ એનો આવો જામેલો ધંધો કેમ બંધ કરતો હશે .

રેસ્ટોરન્ટના ગ્રાહકોએ જ્યારે એનું કારણ  જાણ્યું ત્યારે એમને એથી ય વધુ નવાઈ લાગી.

tims-place

ટીમના આ નિર્ણય પાછળનું કારણ એ હતું કે ડાઉન સિન્ડ્રોમ લોકોની એક કન્વેન્શનમાં ટીમ ભાગ લેવા ગયો હતો. આ કન્વેન્શનમાં એને ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતી સાથે પરિચય થયો. આ પરિચય પાંગરીને પ્રેમમાં પરિણમ્યો.ટીફની કહે છે “ ટીમને જોતાં જ જાણે મને પ્રેમના ભમરાએ ડંખ માર્યો ના હોય એવી અનુભૂતિ થઇ !“

આ બાજુ ટીમની પણ ટીફની જેવી જ માનસિક સ્થિતિ હતી.એ પણ પ્રેમમાં પરવશ બની ગયો હતો.ટીમે એક દિવસ ટીફની આગળ ઘૂંટણીએ પડીને એના વેલેન્ટાઇન થવાની ઓફર કરી. ટીફ્નીએ એ ઓફરને ખુશીથી સ્વીકારી લીધી . ટીમને તો એ જ જોઈતું હતું.પરંતુ એક મુશ્કેલી એ હતી કે ટીમ રહેતો હતો આલ્બુકર્ક શહેરમાં તો ટીફની એનાથી દુર ડેનવરમાં રહેતી હતી.કેટલાક સંજોગોને લીધે એ ટીમ સાથે રહેવા આલ્બુકર્ક આવી શકે એમ નહોતી.

આ સંજોગોમાં ટીફની સાથે રહી શકાય એ માટે ટીમે એની જામી ગયેલી રેસ્ટોરન્ટ બંધ કરીને ડેનવર મુવ થવાનો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો. ડેનવરમાં જઈને નવેસરથી ત્યાં ધંધો કરે અને એ જામે કે ના જામે એની એણે પરવા કરી નહિ.ટીફની માટેના એના પ્રેમ ખાતર એણે એક મોટું જોખમ માથે વહોરી લીધું.માત્ર એના પ્રિય પાત્ર ટીફની પ્રત્યેના હૃદયના પ્રેમ ખાતર અને એની સાથે રહી શકાય એ માટે એના ચાલુ ધંધાને બંધ કરીને મોટો ભોગ આપવાનો મનથી પાક્કો નિર્ણય લઇ લીધો.

આલ્બુકર્કમાં એના ગ્રાહકોને ટીમ ખુબ પ્રિય બની ગયો હતો. રેસ્ટોરન્ટ બંધ કરવાના ટીમના નિર્ણયથી એના ઘણા ગ્રાહકો તો એને બાથમાં લઈને રડવા લાગ્યા હતા.ટીફની પ્રત્યેના પ્રેમને ખાતર ટીમ આટલો મોટો ત્યાગ કરવા તૈયાર થઇ ગયો હતો એ એમને સમજાતું નહોતું.

ટીમ એના ગ્રાહક મિત્રોને એની સ્થિતિ સમજાવતાં કહેતો હતો કે “ જ્યારે જ્યારે હું નિરાશ થઇ જાઉં છું ત્યારે મારી પ્રિયતમા ટીફનીનો સાથ અને સંગાથ મળશે એ ખ્યાલ જ મને સુખની અનુભૂતિ કરાવે છે. હું ટીફનીની આંખોમાં જ્યારે જોઉં છું ત્યારે મને એમાં માત્ર પ્રેમનાં જ દર્શન થાય છે.એમાં હું જિંદગી માટેનું સુખ જોઉં છું.હું એની આંખોમાં  એ પણ જોઉં છું કે મારું ભવિષ્ય મારી પ્રિયતમા ટીફની સાથે જ લખાઈ ગયું છે.”ગ્રાહક મિત્રો ટીમના આ શબ્દોથી અચંબામાં પડી જતા કે આ પ્રેમી પંખીડાંનો પ્રેમ કેટલો મહાન છે !

ટીમના પિતા કહે છે કે “ ટીમ એનો જામેલો ધંધો સમેટી લઈને આલ્બુકર્કથી ડેનવર મુવ થઇ રહ્યો છે એ વિચારથી હું મનથી દુખી તો છું પણ એની પ્રિયતમા ટીફની સાથે રહેવા માટે જવાનું થશે એ ખ્યાલથી એને આવો ઉત્તેજિત અને ઉત્સાહી થતો મેં એને કદી ય જોયો નથી.ટીમના આવા પ્રેમને હું કેમ અવગણી શકું. તેઓ બન્ને જ્યાં જાય ત્યાં તેઓ પ્રેમથી રહે અને સુખી થાય એવા મારા આશીર્વાદ આપું છું.”

આ બે અજનબી પ્રેમી પંખીડાંની પ્રેમ કથા વાંચી તમને પણ થશે કે પ્રેમ એ ખરેખર શું ચીજ છે! પ્રેમ નામનું રસાયણ પ્રેમથી ધબકતાં બે હૃદયોને એક રૂપ કરે છે.પ્રેમ માણસના શરીરને નહી પણ એમાં ધબકતા હૃદયને જ ઓળખે છે.

–વિનોદ પટેલ

પ્રેમ શું ચીજ છે વિશેની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક અછાંદસ રચના નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

પ્રેમ શું છે ?…. અછાંદસ 

 

પ્રેમ અને વાસના

પ્રેમને અને વાસનાથી જુદી પાડતી લીટી બહુ નાજુક છે.ઘણા દાખલાઓમાં બે વ્યક્તિઓ વચ્ચેનું આકર્ષક બળ પ્રેમ નહિ પણ વાસના હોય છે. મોટાભાગે ફિલ્મોમાં બતાવાતો પ્રેમ વાસનાથી દોરવાએલો હોય છે.પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી વાર્તાયુવાની,પ્રેમ અને વાસનામાં વાત કહેવાઈ છે.નીચેની લીંક પર ક્લિક કરીને વાર્તા વાંચી શકાશે.

યુવાની,પ્રેમ અને વાસના …ટૂંકી વાર્તા …

 

just-want-to-say-i-love-my-friends-animation

 

 

( 1001 ) અમદાવાદની ઉત્તરાણ /વાસી ઉતરાણ – જન્મ દિવસનાં સંસ્મરણો

૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ મારો ૮૧ મો જન્મ દિવસ છે.આ દિવસે મારી જીવન યાત્રાનાં ૮૦ વર્ષ પૂરાં કરીને હું ૮૧ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.સમય સમયનું કામ કર્યે જાય છે. દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે .જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.

૧૪ મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉતરાણ એટલે કે પતંગોત્સવનો દિવસ.૧૫મી જાન્યુઆરીએ વાસી ઉતરાણ અને સાથે મારો જન્મ દિવસ .આ બન્ને દિવસોએ ભૂતકાળમાં માદરે વતન અમદાવાદમાં માણેલ પતંગોત્સવ અને જન્મોત્સવના બેવડા આનંદની એ મધુર યાદો આજે તાજી થઇ જાય છે.

આ બન્ને દિવસોએ સવારથી સાંજ સુધી બંગલાના ધાબા પર પતંગ ચગાવવા,કાપવા તથાકતા કાટા હૈ ની બુમો પાડી આનંદ વ્યક્ત કરવો એ અને ધાબા પર જ ઊંધિયુ,જલેબી,બોર,જામફળ,તલના લાડુ,દાળ વડા અને મગફળીની ચીકીની એ સમૂહમાં કરેલી જયાફત .. વાહ …એ બધી કરેલી મજા કેમ ભૂલાય !એવો આનંદ અહીં અમેરિકામાં કેટલો મિસ થાય છે!

જાન્યુઆરી ૨૦૦૮ માં હું મારા પ્રિય વતન અમદાવાદમાં હતો . એ વખતે ઉતરાયણ અને વાસી ઉતરાણ પર ધાબા ઉપર ચડીને સ્નેહીજનો સાથે પતંગ ચગાવવાની મજા મન ભરીને માણી હતી.એ પ્રસંગની કેટલીક યાદગાર તસ્વીરો .

ગયા વરસે મારા ૮૦ મા જન્મ દિવસે ૨૧ વાર્તાઓ અને ૨૧ ચિંતન લેખોના બે ઈ-પુસ્તકોનું વિમોચન કરી એક નવું પ્રસ્થાન કરેલ એ અંગેની પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

એવી જ રીતે મારા ૭૯મા જન્મ દિવસે મારા ગત જીવન-ફલક પર એક નજર કરી થોડું આત્મ મંથન અને ચિંતન કરેલું એ પોસ્ટને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

મારું સમગ્ર કુટુંબ-બે પુત્ર ,પુત્રીના પરિવાર સાથેનો ફોટો

maro-varso 

મારી આજ સુધીની ૮૦ વર્ષની જીવન યાત્રા દરમ્યાન આ સોનેરી કાળને સ-રસ અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.

 

તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૭ ,

૮૧ મો જન્મ દિવસ …. વિનોદ પટેલ, સાન ડિયેગો.

vrp-utran-2

 

( 967 ) દિલમાં દીવો કરવાનું પર્વ …. દીપોત્સવી પર્વ ….

વાઘ બારશ ,ધનતેરશ, કાળી ચૌદસ , દિવાળી , બેસતું -નવું વર્ષ, ભાઈ બીજ,લાભ પાંચમ સુધીના દિવસો સુધી ચાલતો લોક ઉત્સવ અને આનંદનું પર્વ એટલે દીપોત્સવી પર્વ.અમાસના અંધકારમાં શરુ થતું દીપોત્સવી પર્વ એ તિમિરથી તેજ તરફ ગતી કરવાનું પર્વ છે .

અજ્ઞાનનો અંધકાર દુર કરી અંતરમાં જ્ઞાનનો દીપક પ્રગટાવીએ નહી ત્યાં સુધી દિવાળીમાં ફક્ત દીવા પ્રગટાવીને ખુશ થવાથી કામ નથી પતી જતું નથી.

દીપોત્સવી પર્વમાં અનેક મિત્રો તરફથી ઈ-મેલ, સ્માર્ટ ફોન અને વોટ્સએપ મારફતે ઘણા સરસ વિચારવા જેવા ચિત્રાંકિત દિવાળી સંદેશાઓ મળતા હોય છે. એવા મને ગમેલા કેટલાક સંદેશાઓ આ પોસ્ટમાં રજુ કર્યા છે.

વિનોદ વિહારના આજના દીપોત્સવી અંકમાં દિવાળી તથા નુતન વર્ષ અંગેની આવી નીચેની ચિત્રાંકિત સાહિત્ય સામગ્રી માણો. 

સુરતના મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મોકલેલ આ ચિત્રમાં દિવાળી ખરેખર શું છે એ સરસ રીતે સમજાવ્યું છે.

diwali-chiman

આ ચિત્રમાંનો દિવાળીનો સદેશ ગાંઠે બાંધવા જેવો છે.દિવાળી આવે એટલે સાપ ગયા અને લીસોટા રહ્યા એ કથન મુજબ ચીલા ચાલુ રીતે એને ઉજવીએ એ પુરતું નથી.દિવાળીમાં ઓછા નશીબદાર માણસો પ્રત્યે જો તમારા હમદર્દી ,લાગણી કે સંવેદના અને પ્રેમ જો જાગે તો એ સાચી દિવાળીની ઉજવણી કહેવાય.

જે લોકો એમના જીવનની  સફરમાં એકલા પડી ગયા છે એમને મળો, એમની સાથે પ્રેમથી વાત કરો,એમની આંખોની ઉદાસી  દુર કરી એમની આંખોમાં ખુશીની ચમક ભરો,જે લોકો એમના હૃદયમાં વરસો જુના ઘાવ લઈને ફરે છે એમને અહમને દુર કરીને મળીને એમને શેની પીડા સતાવે છે એ સમજી લઈને દિવાળી –બેસતા વર્ષના આ તહેવારોમાં એમની સાથેની કોઈ પણ પ્રકારની ગેર સમજ હોય તો દુર કરવા પ્રયત્ન કરો.

જેમણે તમને એમની જાતથી વધુ ચાહ્યા છે એવાં મા-બાપ કે અન્ય વડીલોને નમન કરી એમનો ચરણ સ્પર્શ કરી દિવાળીમાં એમના આશીર્વાદ પામો તો ખરી દિવાળી-નવું વર્ષ  ઉજવ્યું કહેવાય .

સૌથી વધુ તો દિવાળીમાં બહાર અનેક દીવડાઓ પ્રગટાવી એનો પ્રકાશ જોઇને તમે રાજી થાઓ એ પુરતું નથી.તમારા અંતરમાં પડેલું અજ્ઞાનનું અંધારું દુર કરી ત્યાં જ્ઞાનનો દીપક  જલાવી એના સાત્વિક પ્રકાશથી તમે ભીતરમાં ના ઝળહળો ત્યાં સુધી ખરી દિવાળી ઉજવી ના કહેવાય. 

નીચેના બે ચિત્રોમાં પણ બે મહાન આધ્યાત્મિક આત્માઓ- ઓશો અને આર્ટ ઓફ લીવીંગ ના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ પણ સૌને   ભીતરમાં અજવાળું કરવાની શીખ આપી છે .

diwali-osho

 (ચિત્ર સૌજન્ય- શ્રી શરદ શાહ ,અમદાવાદ)

ગુજરાતીમાં અનુવાદ

દિવાળીનો દીપક 
અને એનો બહારનો પ્રકાશ
કેટલો મનોહર લાગે છે !
પરંતુ 
મનુષ્યની અંદર પડેલું અંધારું 
એ દુર કરી શકતો નથી !
ભીતરમાં ધ્યાનની
રોશની જો પ્રગટે તો 
જિંદગીનો હરેક દિવસ 
દિવાળી, દિવાળી જ છે.

ઓશો

અનુવાદ વિનોદ પટેલ

શ્રી શ્રી રવિશંકરજી નો ચિત્ર-સંદેશ

diwali-quote-sri-sri

ગુજરાતીમાં અનુવાદ

દિવાળી આવે એટલે

માત્ર દિવાઓ પ્રગટાવ્યા

એટલે દિવાળી ઉજવાઈ ગઈ

એમ રખે માનતા !

મુદ્દાની વાત તો એ છે કે

તમારી ભીતર જ્ઞાનના

દીપકના પ્રકાશથી

તમે જાતે પ્રકાશિત થવા જોઈએ

કે જેથી તમે જીંદગીમાં

બીજા ઘણા માણસોના

જીવન માર્ગમાં

પ્રકાશ પાથરી શકો.

 

શ્રી શ્રી રવિશંકરજી

(આર્ટ ઓફ લાઈફ ના પ્રણેતા)

sri-sri-ravishankar-jpg

 

નવું વિક્રમ સંવત વર્ષ ૨૦૭૩  

ન્યુ જર્સીના શ્રી વિપુલ દેસાઈ એ મોકલેલ નીચેના ચિત્ર પર ક્લિક કરી દિવાળી-નવા વર્ષ અંગેના વિવિધ ચિત્ર- સંદેશ માણો.

diwali-sal-mubaarak-vipul

નવા વર્ષ વિશેની મારી એક કાવ્ય રચના

નવા વરસે ….

new-year

 

દિવાળીમાં ગૃહ-ગાયત્રી પૂજનનું ચિત્ર  

gayatri-chiman

ऊँ भू:  भुव :स्व: तत् सवितु वरेण्यं

भर्ग: देवस्य धियो यो : प्रचोदयात् 

અર્થ- તે પ્રાણ સ્વરૂપ, દુખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવસ્વરૂપ પરમાત્માને અમે અન્તરાત્મામાં ધારણ કરીએ છીએ. ઇશ્વર અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરે.

diwali-taramandal-new

આપણી આ જિંદગી એક સતત લખાતું પુસ્તક છે.હિંદુ કેલેન્ડર-પંચાંગ મુજબ સંવત વર્ષ  ૨૦૭૩ના પહેલા દિવસે આ પુસ્તકના પ્રથમ પ્રકરણનું પ્રથમ કોરું પાનું ખુલે છે. આ શુભ દિવસે એમાં વર્ષભર સારું કાર્ય કરવાના મનોભાવની નોધ લખીને એની શુભ શરૂઆત કરીએ કે જેથી વર્ષાન્તે જ્યારે પુસ્તક પૂરું થાય ત્યારે સંતોષની અનુભૂતિ થાય.

આપની જીવન નવલકથાના બાકીના બધાં જ પ્રકરણો આકર્ષક અને સંતોષપૂર્ણ,સુંદર અને પ્રેરક બને એવી શુભ કામનાઓ.

વિનોદ વિહારના સૌ વાચક મિત્રો, સ્નેહી જનોને સંવત ૨૦૭૩નું નવું વર્ષ સર્વ પ્રકારે સુખ-શાંતિ-સમૃદ્ધિ સભર અને નિરામય નીવડે એવી મારી હાર્દિક શુભ ભાવનાઓ.

ૐ સર્વે ભવન્તુ સુખિન:।

સર્વે સન્તુ નિરામયા:।

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।

મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।

શાંતીમંત્ર

ॐ सहनाववतु,
सह नौ भुनक्तु ,
सहवीर्यम् करवावहै
तेजस्विना वधितमस्तु,
मा विद्विषावहै!

 ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ:।।

 

( 914 ) ગામડાનો ઉનાળો…. ( મારાં સંસ્મરણો ) / બે ગ્રીષ્મ કાવ્યો

હાલ ભારત અને ગુજરાતમાં લોકો કાળઝાળ ઉનાળાના તાપથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.ઉનાળો તેનો પ્રકોપ બતાવી રહ્યો છે.

ગરમીની આવી પશ્ચાદભુમિકા માં વેબ ગુજરાતીના સૌ પ્રથમ ઈ-બુક પ્રકાશન “ગ્રીષ્મવંદના ” માં પ્રગટ મારો એક લેખ “ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) “આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યો છે.આ લેખમાં ગામડાના ઉનાળાનાં મારાં સંસ્મરણો મેં પ્રસ્તુત કર્યા છે. જેઓ ગામડામાં મોટા થયા હશે એમને આ લેખ એમનો ભૂતકાળ ની યાદોને તાજી કદાચ કરાવશે.

“ગ્રીષ્મ વંદના” ઈ-બુક માં ગ્રીષ્મ ઋતુ વિશે અન્ય લેખકોના લેખો/કાવ્યો  આ લીંક પર ક્લિક કરીને વાંચવા ભલામણ છે.ઉનાળાના તાપમાં આ લેખો થોડી માનસિક ઠંડક આપે  એવી આશા .

મારા લેખ નીચે શ્રી ચીમન પટેલ”ચમન” અને શ્રી અનીલ ચાવડાની કાળઝાળ ઉનાળાની કવિતાઓ એમના આભાર સાથે પ્રસ્તુત છે.

વિનોદ પટેલ

ગામડાનો ઉનાળો( મારાં સંસ્મરણો ) …. વિનોદ પટેલ 

મારી જીવન સંધ્યાના નીવૃતીકાળ વખતે અહીં અમેરિકામાં બેઠાં બેઠાં જ્યારે મારી સ્મૃતિને ૭૦ -૭૫ વર્ષ પાછળ લઇ જઈને વિચારું છું ત્યારે મારા વતનના ગામ ડાંગરવામાં વીતાવેલાં મારાં બાળપણ અને શૈશવ કાળનાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણે ઋતુઓમાંથી પસાર થયેલાં  વર્ષો અને એની સાથે જોડાયેલી કેટલીક યાદો મારા સ્મૃતિ પટ ઉપર આજે ઉપસી આવે છે.

છાપરા જેવી બેઠા ઘાટની વિલાયતી નળીયાં વાળી ગામની પ્રાથમિક શાળાના મકાનની બહાર ઉનાળામાં વિશાળ લીમડાની છાયામાં ખુરશી ઉપર બિરાજેલા મોહનલાલ શુકલ સાહેબ અને એમની સામે ધૂળમાં લાઈન બંધ બેઠેલા મારા જેવા નાના ખેડૂત પુત્રો-વિદ્યાર્થીઓનું ચિત્ર મારા માનસપટ ઉપર તાજું થાય છે .વૃદ્ધ ઉંમરના અમારા આ શુક્લ શાહેબ એમની છીકણીની ડબીમાંથી એક ચપટી ભરી નાકમાં ઊંડે સુધી ખેંચીને તાજા માજા થઈને આપણા આદ્ય કવિ દલપતરામની શિયાળો,ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓ ઉપરનું જાણીતું કાવ્ય સંભળાવતા હતા એ યાદ આવે છે.આ કાવ્યમાં કવિ દલપતરામે ઉનાળા વિષે બહું જ સુંદર વર્ણન આ રીતે કર્યું છે .

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;

 પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.

 સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;

 બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ. 

ગામનું લોકજીવન ત્રણેય ઋતુઓને અનુકુળ થઈને પોતાની પ્રવૃતિઓમાં રત થઇ  જતું .ઉનાળો એના  નામ પ્રમાણે ગરમી અને લુ વરસાવતી ઋતુ. ધૂળની ડમરીઓ ઉરાડતી ઋતુ .આ ઋતુમાં સ્વાભાવીક રીતે જ લોકોની કાર્ય શક્તિ ઘટી જાય છે અને લોકો આળસુ થઇ જાય છે.ઝાડ  નીચે છાયડામાં ખાટલામાં ઉંઘ ખેંચતા ઘણા  માણસો તમને ઠેર ઠેર જોવા મળે .

ચાર માસનું ચોમાસું શરુ થાય એ પહેલાં ખેડૂતો ગામની ભાગોળે પોતાના ઢોરનાં છાણના ઉકરડામાંથી બળદ ગાડામાં ખાતરને પોતાનાં ખેતરોમાં લઇ જઈને  પાથરી દેતા .આ વખતે ગાડામાં ખાતર ઉપર બેસી ખેતર સુધી જઈને ખાલી ગાડામાં પાછા આવવાની ફ્રી રાઈડ મળતાં કુટુમ્બનાં બાળકોને ખુબ મજા આવી જતી .

ગામના ઉનાળાનું  બીજું દ્રશ્ય લગ્નોનું છે .ઉનાળો એટલે લગ્નસરાની સીઝન.ગામમાં ઢોલ ઉપર ડંકો પડે એ સાથે કોની છોકરી કે છોકરો પરણે છે એની જાહેરાત થઇ જતી.જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ હોય એને ગામ લોકો તરફથી પુરો સહકાર મળતો.કોઈ પણ લગ્ન પ્રસંગનું મોટું આકર્ષણ હોય તો એ એના જમણવારનું .ખેડૂત વર્ગ સામાન્ય રીતે વર્ષ દરમ્યાન રોજ બાજરી કે ઘઉંના રોટલા, ખીચડી,દૂધ ,ઘી જેવું સાદું ભોજન કરે પણ લગ્ન વખતે લાડુ,લાવ્સી,ચુરમું કે અન્ય મીઠાઈ,રસોઈયાએ ખાસ ઉકાળેલી જમણના મસાલેદાર દાળ,શાક વી.નું પાકું જમણ જમવાનો આનંદ અનેરો રહેતો.ઢોલ અને શરણાઈના સુરો અને લગ્ન ગીતોથી ઉનાળામાં આવતા આ લગ્ન ગાળામાં આખાયે ગામનો માહોલ ખુશીમાં બદલાઈ જતો .મોટાઓ અને બાળકો આનંદથી ઝૂમી ઉઠતાં.

ઉનાળો એટલે શાળાઓમાં લાંબી ઉનાળાની રજાઓનો સમય.આ રજાઓ પડતાં ગામના નિશાળીયાઓ  રાજીના રેડ થઇ જાય. ગામમાં , વગડામાં ,મામા કે માસીને ઘેર જઈને પૂરી સ્વતંત્રતાથી ભેરુઓ સાથે રમવાના ,તોફાનો કરવાના, ઝાડ ઉપર ચડીને કેરીઓ ,રાયણ વિગેરે પાડીને ખાવાના એમ આનંદથી  રજાઓ ગાળવાના આ દિવસો. મોટી ઉંમરના વિદ્યાર્થીઓને વેકેશનમાં એમના પિતા અને વડીલો ખેતીવાડીના કામકાજમાં પલોટી દેતા.એક ઇન્ટર્ન ખેડૂત તરીકે !

ઉનાળાના દિવસોમાં ગામમાં નાટક મંડળી ,તુરી અને ભવાઈ મંડળીઓ  આવતી અને રાત્રે ધૂળમાં બેસીને ખુલ્લા આકાશ નીચે મોડી રાત સુધી એમના ખેલો જોવાની બહું મજા આવતી. ગાયનો કટ કરવાની હરીફાઈ જામતી.ઉનાળાની રજાઓનું આ મોટું મનોરંજન બની રહેતું.ગામમાંથી નાટક મંડળી જતી રહે એ પછી એમનામાંથી પ્રેરણા લઈને બાળકો ઘણા દિવસો સુધી એમની નકલ કરીને કોઈની સાડી કે ધોતીયાના પડદા કરી રાજા હરીશ્ચંદ્ર ,રાણા પ્રતાપ વગેરે ખેલો પાડતા એ યાદ આવતાં આજે હસવું આવે છે.

ગામમાં ઉનાળાનું એક બીજું મોટું આકર્ષણ એટલે કેરીઓ ચૂસવાની અને એનો રસ કાઢીને ખાવાની સીઝન.ગામના નાના બઝારમાં,વખારમાં કે બહાર ખુલ્લામાં ઢગલા કરી  કેરીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાતી.અમારા  ખેતરમાં પણ કેરીઓના વૃક્ષો હતાં એ વાઘરી લોકોને સાચવવા અને વેડવા માટે આપીએ એટલે ઘરના આંબાની કેરીઓ ખાવા મળતી.

કિશોર અવસ્થા પછી શાળા કોલેજમાં વધુ અભ્યાસ અને નોકરી માટે ગામ છોડીને કડી શહેરમાં અને અમદાવાદ જવાનું થયું અને નિવૃત્તિ કાળમાં અહીં અમેરિકા આવવાનું થયું.દરેક જગાઓએ ઉનાળાની જુદી જુદી અસરો નિહાળી છે પણ એ સૌમાં ગામના ઉનાળાના એ દિવસોની તોલે કોઈ પણ ન આવે .

અહીં અમેરિકામાં તો ઋતુઓ અને હવામાનની તો વાત જ કોઈ ઓર છે. અહીં દરરોજ ટી.વી. ઉપર હવામાનના સમાચાર જોઈએ તો દરેક જગાઓએ જુદી જુદી ઋતુઓ. કોઈ જગાએ ઉનાળો તો કોઈ જગાએ બારે માસ ચોમાસું .કોઈ જગાએ બરફ અને સખ્ત ઠંડી .અમેરિકામાં રોજે રોજ હવામાનના સમાચાર જોઈને લોકો જીવતા હોય છે . ભારતમાં લોકોને હવામાનના સમાચાર જોવાની બહુ જરૂર જ નથી પડતી. શિયાળો ,ઉનાળો અને ચોમાસું એમ લગભગ વરસો વરસ નિયમિત રીતે ચાલ્યા કરે ,કોઈક  વખત કમોસમી માવઠાના અપવાદ સિવાય.  

કહેવાય છે ને કે બફા એટલા નફા .ઉનાળાની ગરમી અને લુ સહન કરીએ તો જ ચોમાસાની ઠંડક અને ખેતરોમાં જીવન ઉપયોગી પાકો લણી શકીએ.એવું જ જીવનમાં પણ,દુઃખનો તાપ સહન કરીએ તો જ સુખના ચોમાસાની ઠંડકનો અનુભવ ભોગવી શકાય .

ત્રણ ઋતુઓનું ચક્ર એ પરમ કૃપાલુ પરમાત્માએ માનવોને આપેલી પર્યાવરણની એક અમુલ્ય ભેટ છે એ સમજી લઈએ અને એને સારી રીતે ભોગવવા માટે લાયક બનીએ.

======================

             ઉકળાટ …..….. ચીમન પટેલ ‘ચમન’

ગરમી!! ગ્રીષ્મની ગરમી સૌને ગૂંગળાવી રહી છે. વરસાદની ચીંતા સહુને સતાવી રહી છે. એમાંયે ‘યાર્ડ’ની કે ખેતરની ખેતી કરતા ખેડુતોનું દયાન આકાશ તરફ જાણે –અજાણે જાય છે. ઍમાયે જ્યારે વાદળો દેખાય છે ત્યારે વરસાદ આજે તો આવશેની આશામાં મન થોડું હળવું થાય છે. જ્યારે વાદળો વાયરા સાથે વિખરાઇ જાય છે ત્યારે મન નિરાશામાં નિચોવાઇ જાય છે.

‘એરકંડીશન’વાળા આલિશાન ઘરમાં,પોતાના પતિ (કે પત્ની) વગર રહેતી વ્યક્તિ,આવા સમયે એ, બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરતી હોય છે.

૧૯૬૫માં, ભાવનગરની ભૂમીપર,  આવા એક ઉનાળાના દિવસે હું  બાહ્ય અને આંતરિક ગરમીનો અહેસાસ કરી રહ્યો હતો, ત્યારે આ કાવ્ય રચાયું હતું અને ‘સૌરાષ્ટ સમાચાર’ દૈનિકે એને છાપીને મને પ્રોત્સાહિત કર્યો હતો.

ઉકળાટ

ક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.

ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!

કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.

પશુ,  પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!

વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!

*ચીમન પટેલ ‘ચમન’ (૦૪ઓગષ્ટ’૧૩)

(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦જુલાઇ’૬૫ ના અંક્માં પ્રગટ)

ઉનાળો આવ્યો!

ઉનાળાનું ગીત …… કવિ શ્રી અનીલ ચાવડા 

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

તગતગતા તડકાનાં ઊગ્યાં છે ફૂલ એને અડીએ તો અંગઅંગ દાઝીએ,
આવા આ ધખધખતાં ફૂલો પર ઝાકળની જેમ અમે કેમ કરી બાઝીએ?
કોણે આ સૂરજની મટકી છે ફોડી કે ધોમધોમ લાવા ઢોળાય છે?
ઉનાળો કાળઝાળ થાય છે.

આભ મહીં કોક જોડે બગડ્યું તો ગુસ્સો તું ધરતીની ઉપર કેમ ઠાલવે?
જ્વાળાનું ઠાઠમાઠ રજવાડું સાચવતા રાજાને આવું તે પાલવે?
સૂરજિયા! તારે ત્યાં અવસર કોઈ આવ્યો છે? આભ આખું ગીત તારાં ગાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.

– અનિલ ચાવડા
http://www.anilchavda.com/archives/1647#comment-13228

( 913 ) સ્માર્ટ ફોન ! … માઇક્રોફિક્શન વાર્તા …વિનોદ પટેલ

Smart Phone

શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.

છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.

પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ હની શું થયું? કેમ રડે છે ?”

કુમુદિની:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.

રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”

કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”

રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”

જવાબમાં કુમુદિનીએ કહ્યું:

” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.

“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.

મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.

જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.

મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.

તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.

એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”

કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.

ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”

આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :

“આપણો પુત્ર યશ !”

( કથા બીજ – મિત્રનો અગ્રેજી ઈ-મેલ )

( 909 ) વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા …. વિનોદ પટેલ

Wheel Chair

વ્હીલ ચેર ! ….માઈક્રોફિક્શન વાર્તા

રવિવારના રજાના દિવસે ઘણા દિવસે રમેશભાઈ અને એમનાં પત્ની દેવિકાબેનએ એમના આઠ વર્ષના પુત્ર અનીશ સાથે શહેરના જાણીતા મ્યુઝીયમ જોવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.આ કુટુંબમાં બ્યાસી વર્ષના રમેશભાઈના વૃદ્ધ પિતા કિશોરભાઈ પણ રહેતા હતા.

દાદાના હાથે મોટો થયેલો અનીશ એમનો બચપણથી જ બડી બની ગયો હતો.દાદાને પણ અનીશ મૂડીના વ્યાજથી એ અધિક વ્હાલો હતો.

દાદાએ અમેરિકા આવીને મ્યુઝીયમ જોયું ન હતું એટલે અનીશ ઈચ્છતો હતો કે દાદા પણ બધાં સાથે મ્યુઝીયમ જોવા માટે આવે તો ઘણું સારું.

નીકળતા પહેલાં અનીશએ એના ડેડીને કહ્યું “ડેડી, દાદાને પણ આપણે સાથે મ્યુઝીયમ જોવા લઇ જઈએ.ઘરમાં એકલા ઘેર બેસી રહેશે તો બોર થઇ જશે .”

અનિશની મમ્મીએ કહ્યું :”ના બેટા,દાદાને પગે બરાબર ચલાતું નથી ક્યાંક પડી જશે તો તકલીફ થશે.આ ઉંમરે એમને ના ફાવે “

દાદાને મનમાં મ્યુઝીયમ જોવાની તો ખુબ ઇચ્છા હતી છતાં એ છુપાવતાં એમણે કહ્યું :

‘અનીશ બેટા,તારી મમ્મી બરાબર કહે છે.તમ તમારે ખુશીથી જાઓ, મારી ચીંતા ના કરશો.પુસ્તક વાચન અને કોમ્યુટર પરના મારા રોજના ક્રમમાં મારો સમય તો આમ પસાર થઇ જશે.”

અનીશના મગજમાં એકાએક એક વિચાર ચમકી ગયો.અનીશે એના પપ્પા રમેશભાઈને કહ્યું :

“પપ્પા,આજે રવિવાર છે,મ્યુઝીયમમાં દરેક જગાએ બહુ જ લાંબી લાઈનો હશે.એ લાઈનોમાં ઉભા રહી રહીને થાકી અને કંટાળી જઈશું.જો દાદાને વ્હીલચેરમાં લઇ જઈએ તો એમના લીધે આપણને લાઈનમાં સૌથી આગળ ઉભા રહેવાનું મળશે અને મ્યુઝીયમ જોઇને જલ્દી ઘેર પાછા આવી જઈશું.”

રમેશભાઈ અને દેવીકાને અનિશની આ વાત શીરાની જેમ એકદમ ગળે ઉતરી ગઈ !

દાદા અને એમની વ્હીલચેર સાથે આખું કુટુંબ મ્યુઝીયમ જોવા માટે ગાડીમાં બેસીને ઉપડી ગયું.

ગાડીમાં પાછલી સીટમાં દાદા સાથે બેઠેલા અનીશે દાદાનો હાથ વ્હાલથી દબાવી મો પર સ્મિત સાથે,આંખ મીંચકારી,ડેડી અને મમ્મી સાંભળે નહિ એમ ધીમા અવાજે કહ્યું “દાદા,વ્હીલ ચેર !”