ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મારી ૭૯ મી જન્મ જયંતી પ્રસંગની પોસ્ટ ની કોમેન્ટ બોક્ષમાં અને ઈ-મેલથી મારા અનેક મિત્રો/ વી.વી. ના ચાહકોએ મને જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી છે .
સ્નેહી બ્લોગર મિત્રો- શ્રી રમેશભાઈ(આકાશદીપ), શ્રી ગોવિંદભાઈ (પરાર્થે સમર્પણ),સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ( નિરવ રવે) અને સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા (શબ્દોનું સર્જન)એ તો મારા જન્મ દિન નિમિત્તે એમના બ્લોગમાં આખી પોસ્ટ પ્રકાશિત કરી પદ્ય અને ગદ્યમાં એમના હૃદયના સ્નેહ્ભાવોને વ્યક્ત કર્યા .
૯૩ વર્ષના મારા આદરણીય શુભેચ્છક પ્રિય મિત્ર આતાજીએ એમના ઈ-મેલમાં નીચેની આ કાવ્ય પંક્તિઓમાં મને આશીર્વાદ પાઠવ્યા છે એને હું મારા જન્મ દિનની એક અમુલ્ય ભેટ માનું છું.
ખુબ ખુબ જીવો આનંદ કરો, જમાવો વિનોદ વિહાર ,
પડકાર કરી આતા બોલાવે, વિનોદનો જય જય કાર.
આ સૌ મિત્રોની મારા પ્રત્યેની આ અભિવ્યક્તિઓ અને મારા પ્રત્યેની શુભ લાગણી અને સ્નેહના ભારથી એક મીઠી મુંઝવણ અનુભવી રહ્યો છું કે ખરેખર હું આવા માનને લાયક છું કે કેમ !
આ શુભેચ્છા સંદેશાઓના પ્રત્યુત્તરમાં કોમેન્ટ બોક્ષમાં અને ઈ-મેલથી સૌ મિત્રોનો આભાર માનવાની મેં કોશિશ કરી છે.એમ છતાં આ પોસ્ટ મારફતે સૌ મિત્રોની શુભ લાગણીઓનો આ ભાર સૌ નો ફરી ફરી હાર્દિક આભાર માની હળવો કરું છું.
ચાર સાહિત્ય રસિક મિત્રોનું ફરી સ્નેહ મિલન

ચિત્રમાં ડાબેથી, રમેશભાઈ ,આનંદરાવ, વિનોદભાઈ અને ગોવિંદભાઈ
હાલ હું ક્રિસમસ ૨૦૧૪થી મારી દીકરીને ત્યાં એનેહેમ ,લોસ એન્જેલસમાં આવ્યો છું .લોસ એન્જેલસ આવું ત્યારે સ્થાનિક મિત્રોને રૂબરૂ મળવાની મનમાં ઈચ્છા થતી હોય છે.ફોનથી સંપર્ક તો થાય જ છે.
શનિવાર તારીખ ૧૭ મી જાન્યુઆરી,૨૦૧૫ ના રોજ સ્થાનિક લોસ એન્જેલસ વિસ્તારમાં રહેતા બ્લોગર મિત્રો ,શ્રી રમેશભાઈ (આકાશદીપ ),શ્રી ગોવિંદભાઈ (“પરાર્થે સમર્પણ “ અને “ગોદડીયો ચોરો “), શ્રી ચન્દ્રવદન મિસ્ત્રી (ચંદ્ર પુકાર ),શ્રી નરેન્દ્ર ફણસે (જીપ્સીની ડાયરી),શ્રી આનંદરાવ લિંગાયત ( ગુંજન સામયિકના તંત્રી અને વાર્તા લેખક ) ને મારા જન્મ દિવસ નિમિત્તે શહેરની પાયોનીયર ( લીટલ ગુજરાત) વિસ્તારમાં આવેલી જય ભારત રેસ્ટોરંટમાં સહ-ભોજન સાથે સ્નેહ મિલન માટે મેં આમંત્રિત કર્યા હતા .શ્રી ચંદ્રવદનભાઈ અને શ્રી નરેન્દ્રભાઈએ ફોનથી શુભેચ્છાઓ પાઠવતાં ખબર આપી કે તેઓ સંજોગોવશાત હાજર રહી નહી શકે , એટલો અફસોસ રહી ગયો.
મારી દીકરી,જમાઈ અને એમના પેરેન્ટસ અને અમે ચાર સાહિત્ય રસિક મિત્રો સાથે મળી સહ ભોજન સાથે અલક મલકની વાતો સાથે આનંદિત વાતાવરણમાં જે રીતે આખો પ્રસંગ ઉજવાયો એ મારા આ જન્મ દિવસનું એક યાદગાર સંભારણું બની ગયો .
મિત્ર શ્રી ગોવીંદભાઈએ તો રેસ્ટોરંટમાંથી ઘેર જઈને તરત જ એમની આગવી કાવ્યમય સ્ટાઈલમાં આ સ્નેહ મિલનનો ત્વરિત અહેવાલ એમના બ્લોગ “પરાર્થે સમર્પણની એક બીજી પોસ્ટ “જય ભારતે જામ્યો વિનોદ વિહાર દરબાર “ માં રજુ કરી દીધો. મેં ઘેર આવીને એમની આ પોસ્ટનો ઈ-મેલ જોતાં મને ખુબ આશ્ચર્ય થયું હતું ! ગોવીંદભાઈની કલ્પના શક્તિ અને આવી ત્વરિત કાવ્ય સર્જનની શક્તિને સલામ !
જય ભારત રેસ્ટોરંટમાં જાતે કાર ચલાવીને આવેલ ૮૪ વર્ષના બુઝર્ગ સાહિત્યકાર મિત્ર, ગુંજન સામયિકના તંત્રી શ્રી આનંદરાવ લિંગાયતએ આ પ્રસંગે ગુંજનના અંકો અને એમનાં લિખિત ત્રણ પ્રકાશિત પુસ્તકો- શીવ પુરાણ , કબીર દોહા અને એમનો વાર્તા સંગ્રહ –”થવા કાળ”,બુકમાં એમનો શુભેચ્છા સંદેશ લખીને, જન્મ દિવસની ભેટ તરીકે મને આપવા બદલ અને અગવડ વેઠીને પણ હાજર રહી પ્રેમભાવ બતાવવા બદલ આનંદરાવભાઈનો હું ખુબ જ આભારી છું.
શ્રી રમેશભાઈ અને શ્રી ગોવિંદભાઈ પણ એમની બીજી વ્યસ્તતા હોવા છતાં મારા આમંત્રણને માન આપી સમય કાઢીને હાજર રહી હંમેશના જેવી સ્નેહની લાગણી દર્શાવવા બદલ એમનો પણ ખુબ આભારી છું.
સૌ મિત્રોને .. થેંક યુ ….આભાર ….થેંક્સ એ લોટ ……
આજે સવારે “થેંક્યું “ની આજની પોસ્ટ માટે લખી રહ્યો હતો ત્યારે વચ્ચે શ્રી આનંદરાવ લિંગાયતએ ભેટ આપેલ ગુંજન સામયિકના અંકનાં પાનાં ઉપર નજર ફેરવી રહ્યો હતો . પ્રથમ પાન ઉપર જ “વાત વાતમાં થેંક્યું ?”નામની એમની એક સરસ ટચુકડી વાર્તા મને ગમી ગઈ . તમને પણ એ રસ્સ્પદ લાગશે .
થેંક્યું શીર્ષકની આજની પોસ્ટના અંતે એમની આ વાર્તાને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત કરું છું.
વાત વાતમાં થેંક્યું ? .. ( ટચુકડી વાર્તા )
લેખક- આનંદરાવ લિંગાયત
વડોદરામાં રહેતા, સહેજ મોટી ઉંમરના એક સજ્જને ઓટો રીક્ષા ભાડે કરી.૪૦ મિનીટ જેટલો લાંબો રસ્તો હતો.રીક્ષા ડ્રાઈવરે એ સજ્જને આપેલા સરનામાં પ્રમાણે રીક્ષા એમના ઘર પાસે લાવીને ઉભી રાખી.
“ થેંક્યું ભાઈ, લે આ તારાં ભાડાના પૈસા “
“એમાં થેંક્યું શેનું કાકા ? તમે પૈસા આપ્યા , હું તમને ઘેર લઇ આવ્યો. આ તો સીધો વહેવાર છે .એમાં થેંક્યું ક્યાં આવ્યું ? કાકા, તમે અમેરિકામાંથી આવ્યા છો ?”
પૈસા ગણતાં ગણતાં રીક્ષા ડ્રાઈવર બોલ્યો.
“નાં, ભાઈ , કેમ ?”
“એટલા માટે કે આ અમેરિકાવાળા કોઈક વાર મારી રીક્ષામાં બેસે છે ત્યારે અમથા અમથા, વાત વાતમાં થેંક્યું ..થેંક્યું ..કરતા સાંભળ્યા છે .”
“ ભાઈ, મેં તો તને સાચા દિલથી થેંક્યું કહ્યું છે.અને ટે એટલા માટે કે આટલી ગીર્દી અને ટ્રાફિકમાં પણ તું બહુ સાચવીને રીક્ષા ચલાવતો હતો .બેદરકારીથી જો ક્યાંક એક્સીડન્ટ કરી નાખ્યો હોત અને મારાં હાડકાં જો તૂટ્યાં હોત તો આ ઉંમરે રુઝાત નહિ .ભાઈ એ ૪૦ મિનીટ માટે મારી જિંદગી તારાં હાથમાં હતી .રોજ ઘણા વૃદ્ધોની,સ્ત્રીઓની અને બાળકોની જિંદગી તારાં હાથમાં હોય છે .અત્યારે તેં બરાબર સાચવીને મને સલામત રીતે ઘરે ઉતાર્યો … માટે થેંક્યું કહ્યું .”
રીક્ષાવાળો સુનમુન થઈને વિચારમાં પડી ગયો.
“કાકા, લોકોની જિંદગી મારા હાથમાં હોય છે એ તો મેં કડી વિચાર્યું જ નહોતું.સાચું કહું ? કોઈક વાર રાત્રે દારુ પી ને પણ હું રીક્ષા ચલાવતો હોઉં છું.હવે કદી એવું નહિ કરું, કાકા.મારે લોકોને મારવા નથી.”
“ બહુ આનંદની વાત છે, ભાઈ “
સજ્જન ધીમે ધીમે પોતાના ઘરનાં પગથીયાં ચઢવા લાગ્યા.રીક્ષાવાળાએ રીક્ષા ચાલુ કરી .કાકા હજુ તો ઘરમાં પગ મુકે તે પહેલાં ભરરરર કરતો રીક્ષાવાળો પાછો આવ્યો …..મોટેથી બુમ પાડીને બોલ્યો .
“ કાકા, હું આજથી દારુ જ છોડી દેવાનો છું “
બન્ને જણા આનંદથી હસી પડ્યા અને એકી સાથે સામ સામે બોલી ઉઠ્યા ……થેંક્યું ..!
— આનંદરાવ લિંગાયત
શ્રી આનંદરાવ લિંગાયતનો પરિચય અને એમની અન્ય વાર્તાઓનો

વાચકોના પ્રતિભાવ