જો તમે જીવવાનો વિચાર ન છોડો તો
હાર પણ તમારી નજીક ફરકતાં વિચારશે.
આ શબ્દો 
છે મોતના દરવાજેથી પોતાના આત્મબળે પાછી આવનાર નિધી ચાફેકરના.
નિધી ચાફેકર…નામ જાણીતુ લાગે છે? કદાચ એ નામ પરિચિત ના પણ લાગે પણ ૨૦૧૬ ની ૨૨મી માર્ચે બ્રસેલ્સના ઝેવેન્ટેમ એરેપોર્ટ પરના આતંકી હુમલાથી તો આપણે માહિત છીએ જ. એ સમયે થયેલા આતંકી હુમલામાં ૩૨ વ્યક્તિઓએ જાન ગુમાવી અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા. નિધી ચાફેકર બ્રસેલ્સથી ઇન્ડીયા પરત થતી જેટ ઍરવેઝની ઇનફ્લાઇટ મેનેજર હતી.
એક બોમ્બ બ્લાસ્ટથી ચોતરફ વેરાયેલા વિનાશ અને ઍરપોર્ટના ભેંકાર ખંડીયેર વચ્ચે બીજા એક વધુ બોમ્બ બ્લાસ્ટના લીધે ફૂટબોલની જેમ ફંગોળાયેલી નિધીનું શરીર ધડાકાના લીધે દાઝીને કાળુ પડી ગયું હતું. શરીર પણ ઉભા થવા સાથ નહોતું આપતું. નિધીના શરીરમાં લોખંડના ૪૭ જેટલા ટુકડા તો પ્રથમ સર્જરી સમયે જ કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજી બારેક સર્જરીમાં લોખંડની ઝીણી ઝીણી અસંખ્ય કરચો કાઢવામાં આવી. પચ્ચીસ ટકાથી પણ વધુ જેટલા બળી ગયેલા શરીર પર સ્કિન ગ્રાફ્ટીંગ સર્જરી પણ થઈ. કાનમાં બોમ્બના ટુકડા ઘૂસી ગયા હોવાથી કાનનો પડદો ફાટી ગયો હતો. ભાનમાં આવે ત્યારે યાદદાસ્ત પણ સાથ આપતી ન હતી. સર્જરી દરમ્યાન અનેક વાર થયેલા ઇન્ફેક્શનના લીધે કદાચ સૌએ એના જીવવાની આશા છોડી દીધી હતી.
એવા સંજોગોમાં પણ ડોક્ટરોના પ્રયાસો અને અર્ધ ચેતનાવસ્થામાં પણ સતત હકારાત્મક અભિગમ અને લડી લેવાના દ્રઢ મનોબળથી નિધીએ મોતના આ જંગ સામે વિજય પ્રાપ્ત કર્યો. આજે પણ એની એક આંખમાંથી લોખંડનો ટુકડો નિકળ્યો નથી. જ્યારે સંપૂર્ણ હોશો-હવાસ મેળવ્યા ત્યારે નિધી આપમેળે ચાલી પણ શકતી નહોતી. ગગનમાં ઊંચી ઊડાન ભરનાર નિધી વૉકરના સહારે આવી ગઈ હતી.
એ પોતાના અનુભવને આધારે કહે છે કે,
‘આપણને ઉભા કરવા માટે દવાઓ માત્ર ૨૦ ટકા અને ૮૦ ટકા આત્મબળ–વ્યક્તિનો પોતાનો હકારાત્મક અભિગમ જરૂરી છે. જીવવાની જિજીવિષામાંથી જીતવાની જિજીવિષા ઉત્પન્ન થાય છે.’ ‘There is no gain without pain”. આ વિશ્વમાં હું એકલી જ નથી.
વાચકોના પ્રતિભાવ