• Home
  • અનુક્રમણિકા
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ
  • મનપસંદ વિભાગો
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ

વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મુખ્ય પૃષ્ઠ

Tag Archives: કૃષ્ણકાંત ઉનડકટ

1316 – પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ…ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

Leave a comment Posted by વિનોદ આર પટેલ on જુલાઇ 18, 2019

પ્રિય વ્યક્તિની આંખ ભીની કર્યાનો આનંદ

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
દોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે, 
લાગણીનું સરનામું હું શું લખું? આંખ પણ સાલી ભરાઈ જાય છે.
 – શૈલેશ પંડયા ‘ભીનાશ‘
જિંદગીની કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. થોડીક ઘટનાઓ એવી હોય છે જે યાદ આવે ત્યારે આંખોના ખૂણામાં ભીનાશ બાઝી જાય છે. આંખો ભીની હોય છતાં દિલને ટાઢક થાય એવી ઘટનાઓ જીવનની સાચી મૂડી હોય છે. જિંદગીની ઘણી ખુશી એવી હોય છે જે બયાન કરવા માટે આપણને શબ્દો જડતાં નથી, શબ્દો જડી જાય તો પણ વ્યક્ત થઈ શકાતું નથી. આવા સમયે આ શબ્દો આંખોમાં ઉભરી આવે છે. જે ક્ષણની રાહ જોતાં હોઈએ એ ક્ષણ જ્યારે સામે આવી જાય ત્યારે સમય પણ એક અલૌકિક અવતાર ધારણ કરી લેતો હોય છે. આ ક્ષણ સાક્ષાત્કારની હોય છે,આ ક્ષણ ચમત્કાર જેવી હોય છે. માણસને એવું ફિલ થાય છે કે બધું જ મળી ગયું, જિંદગીમાં હવે કોઈ અપેક્ષા નથી, એવી લાગણી જિંદગીમાં બહુ ઓછી વખત આવતી હોય છે.
તમે યાદ કરો કે તમારી જિંદગીની બેસ્ટ ક્ષણ કઈ છે? આપણે વર્સ્ટ ઘટનાને વાગોળતા રહીએ છીએ. જિંદગીને સુંદર બનાવવી હોય તો જે સારું બન્યું છે તેની યાદો જીવંત રાખો.
વીતી ગયેલી જિંદગીનાં પાનાંઓમાંથી કેટલાંક પાનાં ફાડીને ફેંકી દેવા જેવાં હોય છે, એને સંઘરી ના રખાય. અગાઉના સમયમાં કોઈ સ્વજનનું અવસાન થાય ત્યારે અશુભ લખેલાં પોસ્ટકાર્ડ આવતાં. આ પોસ્ટકાર્ડ વાંચીને તરત ફાડી નાખવાની એક માન્યતા લોકોમાં હતી, આ પત્રને સાચવીને કોઈ ન રાખે. જિંદગીનાં અમુક અશુભ પાનાંઓને પણ આ જ રીતે ડિસ્ટ્રોય કરી દેવાં જોઈએ.
એટલું જ જરૂરી એ પણ છે કે સારાં પાનાંને દિલમાં મઢી લઈને જીવંત રાખવાં. એક સપનું કે એક સફળતા સાકાર થયા પછી તેનું રિપિટેશન થવું જોઈએ. તમે એક વાર સફળ થાવ તો સંતોષ ન માની લેવો, કારણ કે જો તમે બીજી વાર નિષ્ફળ જશો તો લોકો એવું જ માનશે કે તમને પહેલી સફળતા ફ્લુકલી જ મળી હતી. એ તો એનાં નસીબ કે એક વાર મેળ ખાઈ ગયો એવું લોકો માનશે. પહેલી વાર સફળતા મળે ત્યારે લોકો એવું માને છે કે તે નસીબદાર છે, જ્યારે તમે સતત સફળતા મેળવો ત્યારે જ લોકો સ્વીકારે છે કે તમે ખરેખર મહેનતુ છો.
પહેલી વખતે મળેલી સફળતાની ઘટનાને યાદ કરો, કેવી ખુશી થઈ હતી? લોકો અભિનંદન આપતા હતા ત્યારે છાતી કેવી ગજ ગજ ફૂલતી હતી? નક્કી કરો કે આ ઘટનાને મારે વારંવાર જીવવી છે. સાથે એ પણ યાદ રાખો કે તમારી સફળતાથી કોની આંખો ભીની થઈ ગઈ હતી? તમારી સફળતા માત્ર તમારી નથી હોતી, તમારી સફળતાનો સંતોષ બીજે ક્યાંક પણ છલકતો હોય છે. મા-બાપ, ભાઈ બહેન, દોસ્ત કે પ્રેમી જ્યારે એમ કહે કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ ત્યારે તમારા સપનાની સાથે એ લોકોનું સપનું પણ પૂરું થતું હોય છે.
તમારી સફળતાનો આનંદ જ્યારે તમારી પ્રિય વ્યક્તિના ચહેરા પર ઝળકે ત્યારે એક અનુપમ દૃશ્ય ખડું થાય છે. તમે તમારી પ્રિય વ્યક્તિને ખુશ જોવા ઇચ્છો છો તો તમારી એ સફળતાને સાકાર કરો જેનું સપનું તમારી પ્રિય વ્યક્તિ તમારી માટે સેવે છે. ઘણી વખત આપણી પ્રેરણા જ આપણી પ્રિય વ્યક્તિની ઇચ્છા હોય છે. તમારા માટે કોઈએ સપનું સેવ્યું હોય તો માનજો કે તમે નસીબદાર છો, કારણ કે કોઈ વ્યક્તિ એવી ઘડીની રાહ જોતી હોય છે જ્યારે તમને જોઈને એને પોતાની જિંદગી સાર્થક લાગે.
એક વ્યક્તિની આ વાત છે. યુવાન હતા ત્યારે તેનું એક સપનું હતું કે હું પીએચડી કરીશ. ડોક્ટરેટ થવાની મહેચ્છા એણે જિંદગીભર દિલમાં સેવી હતી. પોતાના નામની આગળ ડોક્ટર લગાવીને તેણે ઘણી વખત નામ છેકી નાખ્યું હતું. પણ સતત એક ઇચ્છા સળવળતી હતી કે એક દિવસ મારા નામની આગળ ડોક્ટર લાગેલું હશે. અલબત્ત, આપણી દરેક ઇચ્છા ઘણી વખત કુદરતને મંજૂર હોતી નથી. એ માણસના સંજોગો જ એવા થયા કે એ ડોક્ટરેટનું ભણી ન શક્યા. એક અધૂરા સપનાનો વસવસો તેના દિલમાં કાયમ તરફડતો રહેતો હતો. કેટલીક વેદનાઓ એવી હોય છે કે જેને આપણે લાખ પ્રયત્નો છતાં દબાવી, મિટાવી કે ભુલાવી શકતા નથી. જેને યાદ ન કરવું હોય એ જ ભુલાતું હોતું નથી. દિલમાં સપનાની ઘણી કબરો એવી હોય છે કે જેના ઉપર ફૂલ ચડાવવા સિવાય આપણે કંઈ જ કરી શકતા નથી. એક સપના ઉપર એ માણસે ચોકડી મૂકી દીધી અને જીવવાનું ચાલુ રાખ્યું.
નોકરી હતી, ઘર હતું, પત્ની અને બે બાળકો હતાં, આમ તો સુખ કહી શકાય એવું બધું જ તેની પાસે હતું પણ અધૂરા રહી ગયેલા સપનાનું દુઃખ ક્યારેક તરવરી ઊઠતું. સંતાનોને પણ તેમણે પોતાના આ અધૂરા સપનાની વાત કરી હતી. સંવેદનશીલ દીકરી પિતાની આ વેદનાને સારી રીતે સમજી શકતી હતી. એવામાં પપ્પાનો બર્થ ડે આવ્યો . પપ્પાની બાજુમાં બેસીને તેણે પપ્પાનો હાથ પકડયો અને કહ્યું કે આજે મારે તમને બર્થ ડે ગિફ્ટ આપવી છે. પણ હું એ ગિફ્ટ આજે આપી શકું તેમ નથી, એટલે મારે તમને પ્રોમિસ આપવું છે કે હું જે ઇચ્છું છું એ ગિફ્ટ હું તમને એક દિવસ ચોક્કસ આપીશ. આટલું બોલીને તેણે પપ્પાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે પપ્પા હું તમારું અધૂરું સપનું સાકાર કરીશ. હું ડોક્ટરેટ કરીશ, આઈ પ્રોમિસ યુ... પપ્પાની આંખના બંને ખૂણામાં ધીમે ધીમે ચોમાસું બેસી ગયું. ઘરની છત સામે જોઈને આંખમાં ઉભરી આવેલા આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો, દીકરી આંસુ ન જોઈ જાય એટલે તેને ગળી વળગાડી લીધી, પિતાની આંખમાંથી ખરેલું ટીપું દીકરીના ખભા પર પડયું અને દીકરીએ સંકલ્પ કર્યો કે ડોક્ટરેટ ન થાઉં ત્યાં સુધી પિતાના આ આંસુની ભીનાશ હું મારામાં જીવતી રાખીશ.
એ દિવસથી તેણે પિતાનું સપનું પોતાની આંખમાં આંજી લીધું. પપ્પાની ભીની આંખોનું એ દ્રશ્ય તે તેના દિલમાં રોજ સજીવન કરતી. તેને થતું કે પિતાને માત્ર ડોક્ટરેટની વાત કરી તો આવું થયું, જ્યારે હું તેના હાથમાં ડિગ્રી મૂકીશ ત્યારે એને કેવો આનંદ થશે?
વર્ષો વીતતાં ગયાં. દીકરીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. જોકે તેણે ડોક્ટરેટ થવાનું તેનું સપનું ઝાંખું થવા દીધું ન હતું. બન્યું એવું કે દીકરી માટે એક સરસ માગું આવ્યું. છોકરો પરિવાર બધું જ એકદમ યોગ્ય હતું. દીકરીએ પિતાને લગ્નની ના પાડી અને કહ્યું કે ડોક્ટરેટ થઈશ પછી જ લગ્ન કરીશ. આ વાત તેના મંગેતરને ખબર પડી. તેને તેની ભાવિ પત્ની માટે ગર્વ થયો. તેણે કહ્યું કે આપણાં લગ્ન તારા સપનાની આડે નહીં આવે. ઊલટું એમ સમજજે કે તારું સપનું હવે મારું પણ સપનું છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં. ઘરની જવાબદારીમાં દીકરી થોડી ગૂંચવાઈ ગઈ, જોકે પિતાનું સપનું પૂરું કરવા તે મક્કમ હતી. આમ છતાં ઘણો સમય પસાર થઈ ગયો.
પપ્પાની તબિયત નરમ થતી જતી હતી, તેમને વારંવાર દવાખાને એડમિટ કરવા પડતા હતા. દીકરીએ એક વખત ડોક્ટર પાસે જઈને કહ્યું કે જ્યાં સુધી મારું પીએચડી પૂરું ન થાય ત્યાં સુધી પપ્પાને કંઈ થવા ન દેતા, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. દીકરીએ થિસીસ ફાઈલ કરી. વાઇવા પણ સરસ ગયો. બરાબર એ જ સમયે પપ્પા સીરિયસ થઈ ગયા. દવાખાને એડમિટ હતા, દીકરી દરરોજ ભગવાનને પ્રાર્થના કરે કે જલદી રિઝલ્ટ મળી જાય. અંતે તેને સમાચાર મળ્યા કે તમે પાસ છો, નાઉ યુ આર ડોક્ટર. દીકરી ડિગ્રી લઈને દોડીને પિતા પાસે ગઈ. દવાખાનાના બિછાને પપ્પાનો હાથ પકડીને કહ્યું કે ડેડી, માય ગિફ્ટ… આ વખતે પપ્પા આંસુ છુપાવી ન શક્યા અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા. એક શબ્દ બોલી શકાય એવી સ્થિતિ ન હતી, આંખો જ્યારે બોલતી હોય છે ત્યારે વાચા હણાઈ જતી હોય છે, કારણ કે આંખોની ભાષા પાસે શબ્દો પણ વામણા થઈ જતા હોય છે. થોડા સ્વસ્થ થયા પછી પિતા બોલ્યા કે હવે મરી જાઉં તો પણ કોઈ અફસોસ નથી પણ દીકરીને ખબર હતી કે આ ખુશી જ પિતાને જિવાડી દેશે.
કોઈના સપનાને પોતાનું સપનું બનાવી લેવાનું કામ સહેલું નથી પણ જો પ્રેમ હોય તો આવું સપનું અઘરું પણ લાગતું નથી. તમારા વર્તનથી છેલ્લે તમારી વ્યક્તિની આંખો ક્યારે ભીની થઈ હતી? આપણે આપણી વ્યક્તિને રડાવવાનું જ જાણીએ છીએ પણ ક્યારેક આ રીતે પણ તેની આંખો ભીની થવા દો અને પછી જુઓ કે પ્રિય વ્યક્તિની આંખમાં બાઝેલી ભીનાશ તમને કેવી ટાઢક આપે છે.
છેલ્લો સીન :
જે માણસ પોતાની જિંદગીને અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે એ માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે.
–આઇન્સ્ટાઇન
kkantu@gmail.com

સૌજન્ય…http://chintannipale.com/2012/08/06/07/59/1898

 

Krishnakant Unadkat

ચિંતન એટલે પોતાની સાથે નિરાંતે વાત કરવી તે!
કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ

1120 – નવા વર્ષમાં ‘નવું’ લાગે એવું કંઈક તો કરીએ ….. ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ  

5 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on ઓક્ટોબર 18, 2017

નવા વર્ષમાં ‘નવું’ લાગે એવું કંઈક તો કરીએ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આંખોથી પાછી ફરતી’તી, અટકાવી છે,

કાલે રાતે નીંદરને ધમકાવી છે,

કેવી સજ્જડ ચોંટી ગઈ છે મારા મનમાં,

તારી યાદો તેં શેનાથી ચીપકાવી છે?

-જિતેન્દ્ર પ્રજાપતિ

‘સુબહ હોતી હૈ, શામ હોતી હૈ, જિંદગી યૂં હી તમામ હોતી હૈ.’ પ્રેમ ધવને લખેલા આ ગીતની જેમ જ દરરોજ જિંદગીનો એક દિવસ ખતમ થાય છે. દિવસો જાય છે, એની તો પ્રકૃતિ જ જવાની છે. આપણી નજરની સામે ઘડિયાળના કાંટા ફરતા રહે છે અને તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે. કંઈ રોકી શકવાની આપણી તાકાત નથી. અલબત્ત, આપણામાં એક બીજી તાકાત તો છે જ. જિંદગીને જીવી લેવાની તાકાત. થોડા થોડા હસતા રહેવાની તાકાત. થોડા થોડા ખીલતા રહેવાની તાકાત.

સમયની સાથે આપણે ખીલતા હોઈએ છીએ કે મૂરઝાતા હોઈએ છીએ? છોડને ઉછેરવા માટે પાણી સીંચતા રહેવું પડે, જિંદગીને માણવા રોજ થોડુંક વધુ જીવતા રહેવું પડે છે. તહેવારોની મોસમ પુરબહારમાં ખીલી છે. કાલે દિવાળી છે. સદીઓથી ચાલ્યા આવતા કેલેન્ડરમાં પરમ દિવસે નવી કૂંપળ ફૂટવાની છે. આસ્તેકથી કશુંક ઊઘડશે. થોડાક દિવસમાં બધું રાબેતા મુજબની થઈ જશે. એ જ બધાં શિડ્યુલ્સ, એપોઇન્ટમેન્ટ્સ, કામ, ગોલ, ટાર્ગેટ, જવાબદારી, ફરજો, પરંપરાઓ, વ્યવહારો, ચિંતા, ઉપાધિ, નારાજગી, ઉદાસી, ફરિયાદો વળી પાછા આપણા ખભે લદાઈ જશે. નવું હોય એને આપણે કેટલી ઝડપથી જૂનું કરી દેતા હોઈએ છીએ! આપણે બહુ ફાસ્ટ થઈ ગયા છીએ. ઘડીકમાં રૂટિનમાં ગોઠવાઈ જઈએ છીએ. ગોઠવાવું તો પડે જ ને! રોજ કંઈ થોડા તહેવારો હોય છે? રોજ કંઈ થોડી રજા હોય છે? હા, એ રોજ નથી હોતા, પણ જિંદગી તો રોજ હોય છેને? સવાર તો રોજ નવી હોય છેને? રોજ કંઈક તો નવું હોય જ છે! આપણે એ નવા તરફ નજર જ ક્યાં નાખીએ છીએ? આપણે તો જૂનાને જ પકડી રાખીએ છીએ! આદત પડી ગઈ હોય છે, આપણને રોજેરોજ એકસરખું જીવવાની! નવું આપણને ઝાઝું સદતું નથી! આપણામાંથી રોમાંચ ધીમે ધીમે ઓસરતો જાય છે. બધી ખબર છે હવે, સમજીએ છીએ બધું, કંઈ બદલાતું નથી. ખરેખર કંઈ બદલાતું હોતું નથી? ના, બદલાતું હોય છે. સતત બદલતું રહે છે. દુનિયા તો રોજ નવી થાય છે. આપણે બદલતા નથી એટલે આપણને કંઈ બદલતું લાગતું નથી.

એક માણસ હતો. દરરોજ ડાયરી લખે. જે કંઈ બન્યું હોય એ બધું જ લખે. એક વર્ષ પૂરું થયું. તેને થયું કે લાવ તો ખરા, જરાક ચેક કરું. આખાં વર્ષમાં શું થયું છે? શું બદલ્યું છે? તે આખા વર્ષનાં પાનાં ફેરવી ગયો. થોડાક વિચાર પછી તેને થયું કે, સારું તો થયું છે, ખરાબ પણ થયું છે છતાં જિંદગી બદલાયેલી કેમ નથી લાગતી? આ તો જાણે એવું થઈ ગયું છે કે, તારીખિયાનું એક પાનું ખરે છે અને ડાયરીનું એક પાનું ભરાય છે! આ જ જિંદગી છે? જિંદગીને નવેસરથી લખી શકાય? નવા વર્ષની ડાયરીના પહેલા પાને તેણે લખ્યું કે હવે હું જિંદગીને નવેસરથી લખીશ! તેને વિચાર આવ્યો કે જિંદગીને નવેસરથી લખવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલું કામ તો એ કરવું જોઈએ કે, થોડુંક ભૂસવું જોઈએ. ડાયરીમાં લખાઈ ગયું છે એ ભલે ત્યાં જ રહ્યું, પણ એને દિલમાં ભરી રાખવાની શું જરૂર છે? સારા દેખાવવા માટે રોજ ઊગતી દાઢીને તો આપણે બ્લેડથી ઘસી ઘસીને હટાવી દઈએ છીએ! આફ્ટર સેવ લગાડીએ ત્યારે થોડુંક બળે પણ છે. એમ ને એમ થોડું કંઈ ભૂંસાતું હોય છે? ભલે થોડીક બળતરા થાય, પણ જિંદગીને કદરૂપી બનાવે તેવું થોડુંક ભૂંસી તો નાખવું જ છે. મેકઅપથી ઊજળા દેખાવવામાં કંઈ વાંધો નથી. હોય એના કરતાં થોડાક વધુ સારા દેખાવવાનો દરેકને અધિકાર છે. ચહેરાથી ભલે થોડાક વધુ સુંદર દેખાવ, પણ મેકઅપ કરતી વખતે માત્ર એટલું વિચારો કે હું અંદરથી પણ વધુ સુંદર થઈશ. અંદરથી સારા દેખાવાનો મેકઅપ હોય? હા હોય, પણ એ બજારમાં મળતો નથી. એને બનાવવો પડે છે. પોતાના હાથે, પોતાના વિચારોથી, પોતાના સ્વભાવથી અને પોતાની જાતથી. લાગણી થોડીક વધુ ખીલી શકે. કરુણા થોડીક વધુ પ્રગટી શકે, પ્રેમ તો તમે ધારો એટલો વધી શકે. સવાલ માત્ર આપણી દાનતનો હોય છે. સારા થવાની તમારી દાનત છે? સારા દેખાવવા માટે હજારોનો ખર્ચ કરતો માણસ સારા થવા માટે કેટલા પ્રયાસો કરતો હોય છે? એ તો સાવ મફતમાં છે. હળવા રહેવું આપણા હાથની વાત છે. આપણા હાથમાં હોય એટલું આપણે કરી શકીએ તો સુખ કંઈ છેટું હોતું નથી.

વર્ષ બદલાતું હોય ત્યારે આપણે થોડુંક એવું વિચારતા હોઈએ છીએ કે, હવે તો હું આમ કરીશ. રિઝોલ્યુશન લાંબું ટકતા નથી. કદાચ એનું કારણ એ છે કે આપણે વર્ષમાં એકાદ વખત જ આવું વિચારીએ છીએ. બદલવા માટે કોઈ મોકાની, કોઈ તકની, કોઈ તારીખની કે કોઈ તહેવારની જરૂર હોતી નથી. બસ, નક્કી કરવાનું હોય છે. જ્યારે કંઈક નક્કી કરીએ ત્યારે એ નવું જ હોય છે. નવું લાગવું જોઈએ. નવું ફીલ થવું જોઈએ. જ્યારે તમે તમારી નજીક આવો ત્યારે એ નવું જ હોય છે. આપણે કહીએ છીએ કે દુનિયા હાઇટેક થઈ ગઈ છે. આજ સુધીમાં કેટલી બધી શોધ થઈ છે? હજુ નવી નવી શોધો થતી જ રહે છે. છતાં સદીઓથી એક શોધ ચાલી આવે છે જે પૂરી થઈ જ નથી! એ છે સુખની શોધ! ખુશી, આનંદ, ઉત્સાહની શોધ! માણસ જાતનું અસ્તિત્વ થયું ત્યારથી સુખની શોધ ચાલતી રહી છે. ક્યારેક એવું લાગે છે કે આપણે સુખને શોધી લીધું છે. સુખ હાથવગું લાગે છે. પાછું એ છટકી જાય છે! કોઈ સુખ લાંબું ટકતું નથી!

દુ:ખ છેને, દરિયામાં રહેતી મોટી માછલીઓ અને મગરમચ્છ જેવું છે! પેલી વાર્તા તમે સાંભળી છે? દરિયામાં રહેતી નાની-નાની માછળીઓ એક વખત ભગવાન પાસે ગઈ! બધી માછલીઓએ કહ્યું કે, ભગવાન તમે અમને કેટલી સુંદર બનાવી છે! અમને જીવવાની બહુ મજા આવે છે. તકલીફ માત્ર એક જ છે. દરિયામાં જે મોટી મોટી માછલીઓ છેને એ અમને ખાઈ જાય છે. તમે બસ દરિયામાંથી એને બહાર કાઢી નાખોને! ભગવાન હસવા લાગ્યા! તેણે કહ્યું, એ તો હું ન કરી શકું. હા, તમને એટલું કહી શકું કે તમે એનાથી બચજો. તેનાથી બચવા માટેના રસ્તા તમને બતાવી શકું. બચવું તો તમારે જ પડે! આવું જ જિંદગીનું છે. દુ:ખ, પીડા, વેદના અને બીજી તકલીફો આપણી સાથે મોટી માછલીઓની જેમ રહેવાની જ છે, તમારે એનાથી બચતા રહેવું પડે. એને નજીક નહીં આવવા દેવાની! બચવાની વાત તો દૂર રહી, આપણે તો એને આમંત્રણ આપતા રહીએ છીએ! વેદનાને વાગોળતા રહીએ છીએ, દુ:ખને પંપાળતા રહીએ છીએ!

એવું નથી કે જિંદગીમાં બધું ખરાબ જ થાય છે. ખરાબ થાય છે એ તો સાવ થોડુંક જ હોય છે. સારું વધારે જ થયું હોય છે. આપણી તકલીફ એ હોય છે કે આપણે ખરાબને જ યાદ રાખીએ છીએ. દુ:ખી થવાની અને દુ:ખી રહેવાની આપણને એટલી બધી આદત પડી ગઈ છે કે આપણે સુખને ભૂલી ગયા છીએ. આપણને તરત જ વાંધા પડે છે. અપેક્ષાઓ આભ જેવડી થઈ ગઈ છે. આપણને બધું જ જોઈએ છે અને બહુ ઝડપથી જોઈએ છે અને એની પાછળ દોડવામાં જે છે એને જોઈ જ શકતા નથી. થોડુંક એ વિચારીએ કે આપણે કઈ તરફ જઈએ છીએ? જે તરફ જઈએ છીએ એ દિશા સાચી તો છેને? આપણે ચારે તરફ જઈએ છીએ, ફક્ત પોતાના તરફ જઈ શકતા નથી. પોતાનાથી તો દૂર ને દૂર જ જતા હોઈએ છીએ. આપણે ક્યાંય પણ પહોંચવું હોય તો પહેલાં તો પોતાના સુધી પહોંચવું પડશે. દુનિયાને એ જ ઓળખી શકે જે પોતાને ઓળખે છે.

લખી રાખજો, નવા વર્ષમાં કંઈ બદલવાનું નથી. બધું એમ ને એમ જ રહેવાનું છે. આપણે કંઈ બદલી શકવાના નથી. હા, આપણે ધારશું તો આપણે ચોક્કસ બદલી શકીશું. તમારી તમને બદલવાની તૈયારી છે? આપણે બદલશું તો બધું જ બદલાયેલું લાગશે. આપણે નવા બનશું તો બધું જ નવું લાગશે. અંધ હોય એને ચક્ષુદાનથી મળેલી કોઈની આંખો આપી શકાય, પણ દૃષ્ટિ તો એણે પોતે જ કેળવવી પડી. આપણે ‘આઈ’ આપી શકીએ, ‘વિઝન’ નહીં! એવી જ રીતે બદલવું તો આપણે જ પડે!

જિંદગી સુંદર છે. આખી દુનિયા સારી છે. સવાલ માત્ર એટલો જ હોય છે કે તમારે શું જોવું છે? તમારે કેવી રીતે જીવવું છે? બીજું કંઈ નહીં તો આપણે એટલું તો નક્કી કરી જ શકીએ કે હું આખા વર્ષના બધા જ દિવસોને પૂરેપૂરા જીવીશ! યાદ રાખવા જેવું ન હોય એને ભૂલતા શીખીશ! જિંદગી તો દરરોજ આપણામાં એક પાઠ ઉમેરે છે, આપણે બસ એને સારી રીતે શીખવાના હોય છે. ઘણું બધું ‘અનલર્ન’ પણ કરવાનું હોય છે! તમારી જિંદગીનો કંટ્રોલ તમારા હાથમાં રાખો. સ્ટિયરિંગ કોઈના હાથમાં હોય તો પછી ગાડી આપણે ધારીએ એ તરફ ક્યાંથી ચાલવાની?’

છેલ્લો સીન :

ભૂલી જવા જેવું ભૂલી જતા શીખો,

યાદ રાખવા જેવું આપોઆપ યાદ રહેશે. -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18 ઓકટોબર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

સૌજન્ય- http://chintannipale.com/2017/10/18/10/21/4628

 

કૃષ્ણકાંત ઉનડકટ, રીબ્લોગ કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ

( 1031 ) સારા વિચારોને પણ સતત વાગોળતા રહેવું પડે છે… ચિંતનની પળે : શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

1 ટીકા Posted by વિનોદ આર પટેલ on માર્ચ 16, 2017

(બીજા પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે એક મુખ્ય ફર્ક એ છે કે મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. દરેક ક્રિયાની પાછળ વિચાર હોય છે.જાણીતા ચિંતક અને લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો વિચાર વિષે નો વિચારવા જેવો લેખ એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.એમના પ્રેરક લેખોને વિનોદ વિહારમાં પ્રગટ કરવાની સંમતિ આપવા માટે હું શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો આભારી છું.–વિ.પ. )

વિચારો નબળા પડી જાય છે તેનું એક કારણ એ હોય છે કે આપણે આપણા વિચારો વિશે પૂરતો વિચાર જ નથી કરતા! -કેયુ

 

સારા વિચારોને પણ સતત વાગોળતા રહેવું પડે છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી,

ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી,

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,

હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

-મનોજ ખંડેરિયા.


વિચાર એ શ્વાસની જેમ જ સતત ચાલતી પ્રક્રિયા છે. વિચાર અટકતા નથી. એક પછી એક વિચાર ચાલતા જ રહે છે. વિચાર આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. વિચાર ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. કોઈ વિચાર આપણામાં ઉત્સાહ ભરી દે છે તો કોઈ વિચાર આપણને હતાશા તરફ ખેંચી જાય છે. માણસની માનસિક સ્વસ્થતા સોએ સો ટકા વિચાર પર આધારિત હોય છે. વિચાર જ માણસને બનાવે છે અને વિચાર જ માણસને બગાડે છે. સાચો યોગી કે સાધક એ જ છે જે પોતાના વિચારો પર નિયંત્રણ રાખી શકે છે. વિચારની લગામ હાથમાં ન હોય તો કમાન છટકી જાય છે અને માણસ ભટકી જાય છે.

માણસને તમામ પ્રકારના વિચારો આવતા હોય છે. કોઈ એમ કહે કે મને માત્ર સારા વિચારો જ આવે છે તો એ એક નંબરનો જુઠ્ઠો છે. ખરાબ વિચારો પણ આવવાના જ છે. આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ તેનો આધાર આપણે કેવા વિચારોને વાગોળીએ છીએ તેના પર રહેલો છે. આપણે સતત જે વિચાર કરીએ છીએ એ આપણા પર હાવિ રહે છે.

કોને ખબર નથી કે જિંદગી સુંદર રીતે જીવવી જોઈએ? પોતાના માટે થોડો સમય કાઢવો જોઈએ. ફેમિલી પણ ખૂબ જ મહત્ત્વની છે. સફળ થવું હોય તો સખત મહેનત કરવી પડે. આ અને આવી અનેક વાતો બધાને ખબર છે. જોકે, એવું થતું નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે આપણે જે નિર્ણયો કર્યા હોય છે એને આપણે વળગી રહેતા નથી. બીજાં એવાં અનેક પ્રલોભનો હોય છે જે આપણને નિર્ણય પર મક્કમ રહેવા દેતાં નથી. આપણે આપણા વિચારોમાં બાંધછોડ કરતા રહીએ છીએ. પછી કરીશું, હજુ તો ઘણો સમય છે. આપણે ટાળતા રહીએ છીએ. આપણે જે ટાળતા રહીએ એ ધીમે ધીમે આપણા હાથમાંથી સરકી જાય છે. સરવાળે હાથ ખાલીના ખાલી રહે છે.

તમે વિચારો કે તમારી સફળતાની આડે શું આવે છે? જે આડે આવે છે એને કેવી રીતે મેનેજ કરી શકાય? આપણને સહુને ખબર છે કે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા આપણો સમય ખાઈ જાય છે. કોઈને પણ વાત કરો તો કહેશે કે યાર આ મોબાઇલ માથાનો દુખાવો છે. નવરા જ પડવા દેતો નથી. ના, એવું નથી હોતું. આપણે તેને મૂકતા નથી. ફોનનું બિપર અને ટોન વાગ્યા રાખે છે અને આપણે તેના ઇશારે નાચતા રહીએ છીએ. પાંચ મિનિટ જોઈ લઉં એવું વિચારીને ફોન હાથમાં લઈએ છીએ અને કલાક ક્યારે થઈ જાય છે એની ખબર જ પડતી નથી. તમે તમારા કામ વખતે મોબાઇલનો ડેટા ઓફ કરી શકો છો? આખા દિવસમાં આટલો જ સમય સોશિયલ મીડિયા પર રહીશ એવું નક્કી કરી શકો છો? જો હા તો કોઈ જ પ્રોબ્લેમ નથી. સીધો હિસાબ છે, કાં તો તમે એને કંટ્રોલ કરો અને કાં તો તમારા પર એને કંટ્રોલ જમાવવા દો. ફરિયાદો ન કરો, કારણ કે નિર્ણય તો તમારે જ કરવાનો છે. સફળ તો તમારે જ થવાનું છે. હવેનાં વ્યસનો માત્ર તમાકુ કે આલ્કાહોલ પૂરતાં જ મર્યાદિત નથી, ટેક્નોલોજીએ બીજાં ઘણાં વ્યસનો ખડકી દીધાં છે. એના ઉપર કોઈ સ્ટેચ્યુટરી વોર્નિંગ હોતી નથી. અમુક ચેતવણીઓ તો આપણે જાતે નક્કી કરવી પડે તેમ છે.

એક યુવાન નિયમિત રીતે ફિલોસોફરને મળવા જાય. તેની વાતો સાંભળે. એને બહુ જ સારું લાગે. જિંદગીના પાઠ શીખવા મળતા હોય એવો અહેસાસ થાય. દરરોજ એ જિંદગીને ભરપૂર રીતે જીવી લેવાનો નિર્ણય કરે, પણ એવું થાય નહીં. એક વખત તેણે ફિલોસોફરને પ્રશ્ન પૂછ્યો, તમે જે વાત કરો છો એ છટકી કેમ જાય છે? ફિલોસોફરે કહ્યું કે, તમે જ્યારે મારી સાથે હોવ છો, મારી વાત સાંભળો છો ત્યારે એ તમને સાચી લાગે છે. મારાથી છૂટા પડો એટલે બધી જ વાત વિસરાઈ જાય છે. વિચાર એ કંઈ દવા નથી કે એક વાર ખાઈ લીધી એટલે એ પોતાની મેળે અસર કરી દે. વિચારોને તો સેવવા પડે છે, પાકવા દેવા પડે છે, ફળ મેળવવા માટે ધીરજ રાખવી પડે છે. આપણે સફળ કે મહાન લોકોથી ઇમ્પ્રેસ થઈએ છીએ, પણ ક્યારેય એ વિચારીએ છીએ કે સફળતા તેને કેવી રીતે મળી? એ પોતાના વિચારોને કઈ હદ સુધી વળગી રહ્યા હશે? માણસ જે સ્થાને હોય એ સ્થાને પહોંચવા માટે તેણે મહેનત કરી હોય છે, કોઈ એમને એમ ક્યારેય ક્યાંય પહોંચતું નથી. સાધના માત્ર સાધુએ જ કરવાની નથી હોતી, દરેક વ્યક્તિએ પોતાનું સપનું સાકાર કરવા સાધના કરવી પડતી હોય છે.

સફળ થવા માટે પ્રયાસો કરશો તો કદાચ નિષ્ફળતા મળશે, પણ પ્રયાસ વગર તો કંઈ જ મળવાનું નથી. હું જે ઇચ્છતો હતો એ કરી શક્યો નહીં એવું જો આપણને લાગતું હોય તો સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ કે એ કરવા માટે મેં કેટલા પ્રયાસો કર્યા હતા? જે ન કરવું જોઈએ એ છૂટતું નથી એટલે જે કરવું હોય છે એ ટકતું નથી. આપણે ધાર્યું કરી ન શકીએ એટલે આપણે દોષનો ટોપલો ઢોળવા માટે કંઈક શોધી કાઢીએ છીએ. કંઈ ન મળે તો છેલ્લે નસીબ તો છે જ!

જે લોકો મોબાઇલના એડિક્ટ છે એણે એક પ્રયોગ કરવા જેવો છે. તમારા મોબાઇલનો ડેટા કલાક-બે કલાક ઓફ કરી દો. બે કલાક પછી ડેટા ચાલુ કરીને મેસેજીસ અને બીજું બધું ચેક કરો. બધું જોયા પછી વિચારો કે આમાં એવું કેટલું હતું જેના વગર તમને ન ચાલે? મોટાભાગના મેસેજમાંથી કંઈ જ કામનું હોતું નથી. જે લોકો અંગત છે એને કહી દો કે ઇમરજન્સી હોય ત્યારે વોટ્સએપ કે બીજા પર મેસેજ ન કરો, એસએમએસ અથવા તો ફોન જ કરી લો. સાવ બંધ કરવાનું કોઈ કહેતું નથી. બધું જ વાપરો. તમારી અનુકૂળતાએ અને તમારા સમયે. બધાને જવાબ આપો, બધા સાથે ક્નેક્ટેડ રહો, તમને ગમતું હોય એ અપડેટ પણ કરો, કંઈ જ ખોટું કે ખરાબ નથી, પણ કેટલો સમય શેના પાછળ વાપરવો છે એ નક્કી કરી લો. સૌથી પહેલાં એ નક્કી કરો કે તમારે સફળ થવા માટે કે તમારું કામ પૂર્ણ કરવા માટે કેટલો સમય આપવો જરૂરી છે. એ સમય સૌથી પહેલાં પોતાને ફાળવી દો. બાકીના સમયમાં બીજું બધું મોજથી કરો.

અલબત્ત, આ બધું કરવા માટે વિચારોની મક્કમતા જરૂરી છે. મોટિવેશન, પ્રેરણા, બોધ, શીખ કે કોઈ ઉમદા વિચાર તમને બહારથી મળે એ પણ માત્ર બીજનું કામ કરે છે. એ બી તમારે વાવવું પડે. તેને ઉછેરવું પડે. મોટું થવા દેવું પડે. એક ખેડૂતે કહેલી આ વાત છે કે વાવેતર કરી દીધા પછી જ ખરી મહેનત શરૂ થતી હોય છે. કેટલું પાણી પાવું, ક્યારે પાણી પાવું, કેટલું ખાતર નાખવું અને કેટલી કાળજી રાખવી એ ખબર ન હોય તો પાક મળે નહીં. જિંદગીને પણ આ નિયમ જ લાગું પડે છે.

સારું શું અને ખરાબ શું, સાચું શું અને ખોટું શું, ફાયદાકારક શું અને નુકસાનદાયક શું, એ બધી બધાને ખબર જ હોય છે. ઘણા લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે યાર ખબર તો બધી જ છે, પણ થતું નથી. કરવું તો બધું જ છે, પણ થઈ શકતું નથી. નિર્ણય પણ કરીએ છીએ પણ ટકી શકતું નથી. વજન ઘટાડવું છે પણ ખવાઈ જાય છે, કસરત કરવી છે પણ ઉઠાતું નથી, વાંચવું છે પણ સમય મળતો નથી, લખવું છે પણ મેળ ખાતો નથી, શીખવું છે પણ રિયાઝ થઈ શકતો નથી, આવા જવાબો મળતા રહે છે. આખરે બધો સમય જાય છે ક્યાં? આપણા હાથમાંથી જ એ સરકે છે, આપણે જ એને સરકવા દઈએ છીએ.

યાદ કરો, તમારે જે કરવું હોય એ કરો તો તમને ક્યારેય સમય ગયાનો અફસોસ નહીં થાય. અફસોસ એનો જ થતો હોય છે જે સમય વેડફાતો હોય છે. તમારે તમારા કલાક બચાવવા છે તો તમારી ક્ષણોને સાચવી લો, તમારે તમારો દિવસ સુધારવો છે તો કલાકોને સંભાળી લો અને તમારી જિંદગી સુધારવી છે તો તમારા સમય ઉપર નજર રાખો અને તમારા વિચારોને વળગી રહો.

કંઈક કરવા માટે નિર્ણય અને વિચારને સતત વાગોળતા રહેવું પડે છે. દીવાલ પર લખી રાખવું પડે છે કે મારે આ કરવાનું છે અને એ કરવા માટે મારે આટલું કરવાનું નથી. ખૂબ કામ કર્યું હશે તો આરામ કરવાની મજા આવશે, પણ જો બહુ આરામ કર્યો હશે તો કામ કરવાનો કંટાળો જ આવવાનો છે. આરામ માટે પણ નિશ્ચિત સમય હોવો જોઈએ. આનાથી વધુ નહીં. નક્કી કરીએ તો બધા માટે સમય મળી રહે છે, સવાલ એ જ હોય છે કે આપણે શું નક્કી કરીએ છીએ અને નક્કી કર્યા પછી તેને કેટલા વળગી રહીએ છીએ.

આપણે આપણા વિચારોનું ધ્યાન ન રાખીએ તો વિચાર આપણને સાચો રસ્તો ભુલવાડી દે છે. તમારાથી તમે કરેલો નિર્ણય ભુલાઈ જાય છે? તમારા વિચાર પર મક્કમ નથી રહેવાતું? તો એક કામ કરવા જેવું છે! રોજ સવારે ઊઠીને બ્રશ કરતી વખતે આપણે અરીસામાં જોતા હોઈએ છીએ. દરરોજ એ સમયે તમારા નિર્ણયને તમારી સામે જ દોહરાવો. મારે આમ કરવાનું છે, મારે આમ નથી કરવાનું, હું મારો સમય નહીં બગાડું. જે થઈ ગયું છે એની ચિંતા ન કરો. બેટર લેઇટ ધેન નેવર. એટલું મોડું કંઈ જ નથી હોતું કે કંઈ પ્રારંભ ન થઈ શકે.

ડિપ્રેશન, હતાશા, નિરાશા, ભય, ચિંતા, ગભરામણ એ નબળા વિચારોનું જ પરિણામ હોય છે. મને નબળો પાડે એવા વિચારો મારે આવવા દેવા નથી. સારા વિચારોને સતત વાગોળો. દરરોજ, દરેક સમયે તમારા વિચારોને મમળાવો. ન કરવું હોય એવું સામે આવે ત્યારે થોડીક વધુ દૃઢતા કેળવીને વિચાર કરો કે આ મારે નથી કરવું, આ મને રોકે છે, આ મારા માર્ગની અડચણ છે, મારે તેનાથી દૂર રહેવાનું છે. વિચારોમાં જબરજસ્ત તાકાત છે. યાદ રાખજો, અંતે તમે એ જ બનશો જેવા વિચારો તમે કરશો. સપનાં સાકાર કરતા વિચારોને વળગી રહેવું જરૂરી છે. નક્કી કરો કે શું કરવું છે અને શું નથી કરવું, એના વિશે મક્કમ નિર્ણય કરો અને તેના વિશે વિચાર કરતા રહો. સફળ થતા તમને કોઈ રોકી નહીં શકે!

છેલ્લો સીન :

વિચારો નબળા પડી જાય છે તેનું એક કારણ એ હોય છે કે આપણે આપણા વિચારો વિશે પૂરતો વિચાર જ નથી કરતા! -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 15 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

kkantu@gmail.com

સૌજન્ય-ચિંતનની પળે બ્લોગ 

કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ, રીબ્લોગ, સંકલન કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ

( 957 ) મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી !…ચિંતનની પળે ….. કૃષ્ણકાંત ઉનડકટ

5 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on સપ્ટેમ્બર 25, 2016

મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

જેટલી અહીં ધારણા દેખાય છે,
એટલી ક્યાં શક્યતા દેખાય છે.
પારદર્શક હોય ફુગ્ગો તે છતાં,
ક્યાં આ ભીતરની હવા દેખાય છે.

-કિરણસિંહ ચૌહાણ

જિંદગી ફેસબુક કે વોટ્સએપમાં લખી નાખેલ સ્ટેટસ મુજબ નથી ચાલતી. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, આઈ એમ વોટ આઈ એમ અને બીજું ઘણું બધું સ્ટેટસમાં લખાતું હોય છે. આવા સ્ટેટસમાં ફક્ત ‘હું’ હોય એ પૂરતું નથી. એમાં ‘તું’ પણ હોવું જોઈએ અને એમાં ‘આપણે’ પણ હોવું જોઈએ. ગ્રૂપ જેટલું આસાનીથી બની જાય છે એટલી સહજતાથી સંબંધો નભતા નથી. સંબંધોના સત્યને પામવું હોય તો સ્નેહ અને સંવેદનાને સીંચતા રહેવું પડે છે.

એક યુવાન સંત પાસે ગયો. તેણે પૂછ્યું, પ્રેમ શું છે? પ્રેમ કરવાની ચીજ છે? પ્રેમ આપવાની ચીજ છે કે પછી પ્રેમ પામવાની ચીજ છે? સંતે કહ્યું કે, પ્રેમ અનુભવવાની ચીજ છે. પ્રેમમાં આપ-લે ન હોય. પ્રેમ માપી કે જોખીને કરી શકાતો નથી. તું કરીશ એટલો જ હું કરીશ એવું પણ નથી હોતું. હા, એટલું જરૂરી છે કે પ્રેમ બંને બાજુથી વહેવો જોઈએ. નદીની જેમ બંને કિનારા ભીના રહેવા જોઈએ. શરીર પારદર્શક હોતું નથી, પણ પ્રેમ હોય તો એકબીજાનાં દિલમાં જોઈ શકાય છે.

જિંદગીની જેમ પ્રેમ પણ ક્યારેય એકધારો નથી રહેતો. તેમાં પણ અપ-ડાઉન આવે છે, વધ-ઘટ થાય છે. મૂડ અને મસ્તી દરેક સમયે સરખાં નથી રહેતાં. મજામાં હોય ત્યારે માણસને પ્રેમની વધુ જરૂર હોય છે કે મજામાં ન હોય ત્યારે? એક યુવાનની વાત છે. ઓફિસમાં કામ બરાબર ન થયું. બોસનો ઠપકો મળ્યો. ખૂબ દિલથી મહેનત કરી હતી, પણ પરિણામ ન આવ્યું. એ ડિસ્ટર્બ થયો. મજા નહોતી આવતી. તેની એક ફ્રેન્ડને મેસેજ કર્યો કે મને મળવા આવી શકે? આવો મેસેજ એ ભાગ્યે જ કરતો. મેસેજનો જવાબ આવ્યો, ઓ.કે. આવું છું. બંને દરિયાકિનારે બેઠાં. છોકરાએ કહ્યું, કંઈ વાત નથી કરવી. તું બસ બેસ. બંને ચૂપચાપ બેઠાં રહ્યાં. લાગણી શબ્દોથી જ વ્યક્ત થાય એવું જરૂરી નથી. થોડી વાર પછી કહ્યું કે, ચલ હવે જઈએ. છોકરીએ પૂછ્યું, હવે ઓ.કે. છે? યુવાને જવાબ આપ્યો, હા. બંને હગ કરીને જુદાં પડ્યાં. ઘણા સંબંધો સંવાદ વગરના પણ હોય છે જે મૌનથી જીવાતા હોય છે.

બે વ્યક્તિ વચ્ચે મૌન હોય એ એક વાત છે અને બે વ્યક્તિ વચ્ચે સન્નાટો હોય એ બીજી વાત છે. સન્નાટો દરેક વખતે શાંત નથી હોતો. સન્નાટાના પણ વિસ્ફોટ હોય છે. સન્નાટો ગરજતો રહે છે અને તેની ધાક દિલને હચમચાવી નાખતી હોય છે. સન્નાટો જાગે ત્યારે આપણી ઊંઘ હરામ થઈ જતી હોય છે.

જિંદગીમાં ઇચ્છાઓ હોય એ સ્વાભાવિક છે. સંબંધ હોય ત્યાં અપેક્ષાઓ રહેવાની જ છે. હા, શરતો ન હોવી જોઈએ. શરતમાં હાર-જીત હોય છે. શરતમાં સહજતા નથી હોતી. હું આમ કરીશ અને તારે આમ કરવાનું એવી શરતો પર રચાતા સંબંધોની બુનિયાદ તકલાદી હોય છે. શરતમાં સમજણ નથી હોતી. શરતમાં સ્વાર્થ હોય છે. મને ગમે એવું હું કરીશ અને તને ગમે એવું તું કરજે એના કરતાં તને ગમે એવું હું કરીશ અને મને ગમે એવું તું કરજે હોય તો સંબંધમાં મોકળાશ રહે છે.

એક કપલની વાત છે. બંનેએ મેરેજ પહેલાં એવું નક્કી કર્યું હતું કે આપણે બંને પોતપોતાની કરિયરમાં કોઈ બાંધછોડ નહીં કરીએ. કામની વાત હોય ત્યારે એકબીજામાં દખલ નહીં કરીએ. લગ્ન થયાં, બાળક થયું. છોકરાનાં મા-બાપ બાળકોનું ધ્યાન રાખતાં હતાં, બધું બરાબર ચાલતું હતું. જોકે, કોઈ સ્થિતિ કાયમ માટે એકસરખી રહેતી નથી. સંજોગો પલટાયા. મોટી ઉંમરનાં સાસુ-સસરા બીમાર થઈ ગયાં. સ્કૂલે જતાં બાળકોને સંભાળવાનો સવાલ થયો. પત્નીએ એક દિવસ પતિને કહ્યું કે તને લાગે છે કે મારે જોબ મૂકી દેવી જોઈએ? પતિએ કહ્યું, આપણે નક્કી કર્યું હતું કે કરિયરની બાબતમાં દખલ નહીં કરીએ, તને યોગ્ય લાગે એ નિર્ણય લે. પત્નીએ જોબ છોડી દીધી. ઘરનું ધ્યાન રાખવા માંડી. એક દિવસ પતિએ કહ્યું કે તારા નિર્ણયનો મને ગર્વ છે. સાચું કહું, એક તબક્કે મને પણ જોબ છોડીને ઘરનું ધ્યાન રાખવાનો વિચાર આવ્યો હતો. એમ થતું હતું કે તારી સેલરીમાંથી પૂરું થઈ જ જશે. જોકે, મને ડર એ હતો કે હું તારા જેટલી સારી રીતે ઘર નહીં સંભાળી શકું. આજે હું શાંતિથી જોબ કરી શકું છું તો એ તને આભારી છે. તેં બધું સંભાળી લીધું. પત્નીએ કહ્યું, મને પણ એ જ થયું કે તારા પગારથી ઘર સારી રીતે ચાલી જશે. જોકે, એનાથી પણ વધુ વિચાર તો એ આવ્યો કે આખરે આ બધું હું શા માટે અને કોના માટે કરું છું? એ પછી મેં જોબ છોડવાનો નિર્ણય કર્યો.

શરતમાં ઘણી વાર સમાધાન કરવું પડતું હોય છે અને સમયની સાથે સમાધાન કરવું પણ જોઈએ. આવું સમાધાન પણ સ્વેચ્છાએ થવું જોઈએ. જોકે, બધામાં આટલી સમજણ હોય એ જરૂરી નથી. શરત સાથે જ્યારે જીદ ભળે ત્યારે સ્થિતિ સ્ફોટક બને છે. ક્યારેક એવું થઈ આવે છે કે ઇનફ ઇઝ ઇનફ. દીવામાં તેલ ખૂટે ત્યારે તેણે બુઝાવાનું હોય છે. જિંદગીમાં પ્રેમ ખૂટે ત્યારે સંબંધમાં મૂરઝાવાનું હોય છે. દરેક હાથ કાયમ માટે હાથમાં જ રહે એવું બનતું નથી. સાથ છૂટતાં હોય છે અને દિલ પણ તૂટતાં હોય છે.

એક યુવતીના મેરેજ થયા. થોડો સમય બધું બરાબર ચાલ્યું. સમયની સાથે પતિ શરતો ઉપર શરતો લાદવા લાગ્યો. આવી જ રીતે રહેવાનું, આવું જ કરવાનું, આમ નહીં જ કરવાનું! પતિની શરતો સાથે પત્નીએ થયું એટલું સમાધાન કર્યું. આખરે તેને થયું કે હું મારી શરતો ઉપર ન જીવી શકું તો કંઈ નહીં, પણ હું માત્ર એની શરતો પર જ જીવું એ વાત વાજબી નથી. મારી જિંદગી કોઈની શરતો પર જીવવા માટે નથી. પિતાના ઘરે જઈને તેણે બધી વાત કરી. પિતાને કહ્યું કે, જે સંબંધમાં સત્વ ન હોય એને ક્યાં સુધી સહેતાં રહેવાનું. લીલા છોડને સીંચીએ તો એ ઊગે, પણ સુકાઈ ગયેલા છોડમાં ગમે એટલું પાણી પીવડાવીએ તો પણ એ ઉગવાનો નથી જ.

પિતાએ કહ્યું કે, તું જે નિર્ણય કરીશ એનું હું સ્વાગત કરીશ. સ્થિતિને સમજીને સ્વીકારવી એ પણ મોટી સમજણ છે. આપણે ઘણી વખત સમજતા હોઈએ છીએ, પણ સ્વીકારતા હોતા નથી. આપણે દુનિયાનો વિચાર કરીએ છીએ, પણ આપણા લોકોનો વિચાર કરતા નથી. દીકરીએ ડિવોર્સની વાત કરી. પિતાએ કહ્યું કે, તારા સુખથી વધારે કંઈ નથી. અમે હંમેશાં તારા સુખનો વિચાર કર્યો છે. મોટા હોય એણે માત્ર પોતાના લોકોના સુખનો નહીં, પણ દુ:ખનોયે વિચાર કરવો જોઈએ.

પિતાએ પછી જે વાત કરી તે વધુ મહત્ત્વની છે. દીકરીને કહ્યું કે, તું ડિવોર્સ લે એનો વાંધો નથી, પણ તારો ગ્રેસ ન ગુમાવતી. જુદાં પડ્યાં પછી એ વાતને મનમાંથી કાઢી નાખજે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે તૂટી ગયેલા સંબંધ સાથે પણ છેડછાડ કરતા રહીએ છીએ. આપણને દેખાડી દેવાનું કે જોઈ લેવાનું મન થાય છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે તૂટેલા કાચને રમાડવા જતાં તેની ધાર આપણને જ વાગતી હોય છે.

જિંદગીમાં ઘણી વખત ખોટી વ્યક્તિ આવી જતી હોય છે. બધા પ્રયત્નો છતાં પણ એવું લાગે કે હવે વધુ શક્ય બને તેમ નથી, ત્યારે પેઇનફુલ્લી કનેક્ટેડ રહેવા કરતાં ગ્રેસફુલ્લી ડિસક્નેક્ટ થવાનું યોગ્ય હોય છે. જોકે, એવું બહુ ઓછું બનતું હોય છે. આપણે જુદા પડવાની ઘટનાને દુશ્મનીમાં બદલી નાખીએ છીએ. એકબીજાને વધુ ને વધુ પીડા આપવાનો પ્રયાસ કરીએ છીએ. એ ક્યાંયનો ન રહે કે એ ક્યાંયની ન રહે એવી દાનત રાખીએ છીએ. આપણે એ નથી વિચારતા કે આપણે ‘ક્યાં’ છીએ? આપણે આવું કરવા જઈએ ત્યારે ત્યાં ને ત્યાં જ હોઈએ છીએ.

એક પતિ-પત્નીની વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. મેરેજ પછી બંનેને એવું લાગવા માંડ્યું કે આપણી વચ્ચે બધું બરાબર નથી. ધીમે ધીમે ડિસ્ટન્સ વધવા લાગ્યું. બંને સમજુ હતાં. ઝઘડતાં ન હતાં. બંનેને ખબર હતી કે આપણે બરાબર રહેતાં નથી. એક દિવસ પત્નીએ કહ્યું કે, આપણે આ રીતે ધરાર સાથે રહીએ એ બરાબર નથી. તને જો યોગ્ય લાગે તો આપણે બંને બહુ પ્રેમથી જુદાં પડી જઈએ. પતિને પણ આ વાત વાજબી લાગી. બંનેએ ડિવોર્સ લીધા. એકબીજાને સોરી પણ કહ્યું અને થેંક્યૂ પણ કહ્યું. સોરી એટલા માટે કે એકબીજાની સાથે રહી ન શક્યાં અને થેંક્યૂ એટલા માટે કે બંને છૂટા પડવાના મુદ્દે પણ એકબીજાને સમજી શક્યાં.

છૂટા પડ્યાં પછી બંને પોતપોતાનામાં વ્યસ્ત થઈ ગયાં. બંનેએ યોગ્ય વ્યક્તિ શોધીને મેરેજ કર્યા. થોડો સમય ગયો પછી અચાનક એક વખત બંને મળી ગયાં. કોફી શોપમાં ગયાં. વાતો કરી. હાઉ ઇઝ લાઇફ? બધું બરાબર છેને? યુવતીએ કહ્યું હા, બધું બરાબર છે. હું ખુશ છું. હસબન્ડ સારો માણસ છે. અમે પ્રેમથી રહીએ છીએ. યુવકે પણ કહ્યું કે હું પણ ફાઇન છું. પત્ની સાથે સારું બને છે. કોઈ પ્રોબ્લેમ નથી. જૂની પત્નીએ પછી પ્રેમથી કહ્યું કે, તને મળીને ખુશી થઈ અને તું ખુશ છે એ જાણીને વધુ ખુશી થઈ. હું સદાયે એવું જ ઇચ્છતી હતી કે તું ખુશ હોય. તારી જિંદગીમાં કોઈ ગમ ન હોય. જૂના પતિએ પણ એવું જ કહ્યું કે, તારો વિચાર આવી જતો ત્યારે એમ જ થતું કે તું મજામાં હોય તો સારું. મારી પ્રાર્થનામાં પણ તારી ખુશીનું જ રટણ હતું. જતી વખતે બંનેએ કહ્યું કે, આજે મળ્યાં પછી એવું લાગ્યું કે આપણા બંનેનું છૂટા પડવાનું ડિસીઝન સાચું હતું. હસતાં ચહેરે બંને છૂટાં પડ્યાં.

આપણાં દુ:ખનું એક કારણ એ પણ હોય છે કે આપણે શાંતિ અને પ્રેમથી છૂટાં પડી શકતાં નથી. જુદાં પડી ગયા પછી પણ આપણને ક્યાં શાંતિ હોય છે. એકબીજા પર દોષારોપણ કરતા રહીએ છીએ. વાંક મારો ન હતો અને તેના કારણે જ આવું થયું એવું સાબિત કરવા મથતાં રહીએ છીએ. સરવાળે અજંપા સિવાય કંઈ મળતું નથી. ગ્રેસ ગુમાવ્યા પછી જે શેષ બચે છે એ માત્ર ને માત્ર સ્ટ્રેસ હોય છે. મુક્ત થયા પછી મુક્તિનો જે અહેસાસ ન કરી શકે એ સદાય બંધનમાં જ રહે છે. કોઈના બંધનમાંથી મુક્ત થઈ એ પોતાના જ બંધનમાં જકડાઈ જાય છે. કોઈનાથી મુક્ત થઈને આપણે આપણાથી પણ મુક્ત થઈ જિંદગીમાં આગળ વધી જવાનું હોય છે.

છેલ્લો સીન:

આપણે કેવી રીતે મળીએ છીએ એના કરતાં વધુ આપણે કેવી રીતે છૂટા પડીએ છીએ એમાં આપણી સમજણ છતી થતી હોય છે. –કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.21 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

સૌજન્ય- ચિંતનની પળે

Krishnkant Unadkat,
Magazine Editor,
Divya Bhaskar,
Ahmedabad.
Cell :09825061787.
e-mail: kkantu@gmail.com
Blog:  www.krishnkantunadkat. blogspot.com

કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખો, રીબ્લોગ, સંકલન કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ, રી-બ્લોગ

( 933 ) બુઢ્ઢા રાજકારણીઓ ….દૂરબીન….કૃષ્ણકાંત ઉનડકટ

2 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on જુલાઇ 13, 2016

બુઢ્ઢા રાજકારણીઓ : ઘરડાં ગાડાં વાળે
કે ગાડાને ગોથાં ખવડાવે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

KK ARTICLE

રાજકારણીઓ માટે રિટાયર થવાની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? ચાલી શકતા ન હોય એ દેશ શું ચલાવવાના! નેતાઓના રિટાયરમેન્ટ વિશે સ્પષ્ટ નિયમો બનાવવાની જરુર નથી લાગતી?
-0-0-0-0-0-0-0-0-0-0-0-

સાઠે બુદ્ધિ નાઠે એવી એક કહેવત ગુજરાતીમાં બહુ જાણીતી છે. આ વાત શું સાચી છે? એનો જવાબ છે, ના. દરેક કહેવત દરેકના કિસ્સામાં સાચી હોય એવું જરૂરી નથી. એમ તો એવું પણ કહેવાય છે કે, ઘરડાં ગાડાં વાળે. હવે જો સાઠે બુદ્ધિ નાઠી જતી હોય તો ઘરડાં ગાડાં ક્યાંથી પાછાં વાળે? અનુભવી માણસ અભ્યાસુ કરતાં વધુ હોશિયાર હોય છે. બુઢ્ઢા બુદ્ધિ વગરના હોય છે એવું કહેવું વડીલોનું અક્ષમ્ય અપમાન છે. જે સમાજમાં વડીલોનું સન્માન થાય છે એ સમાજ જ સુસંસ્કૃત છે.

વડીલો વિશે એમ પણ કહેવાય છે કે શાણો સજ્જન સમય આવ્યે એની જવાબદારી નેક્સ્ટ જનરેશનને સોંપી દે છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે વડીલોથી કંઇ છૂટે નહીં. એક પગ કબરમાં હોય તોપણ એનો કકળાટ ખતમ થતો નથી. સત્તા એવી ચીજ છે કે એક વખત એનો સ્વાદ ચખાઇ જાય પછી ડ્રગ્સ કરતાં પણ તેનું ખતરનાક વ્યસન થઇ જાય છે. એ લોકોને કદી એવું થતું નથી કે હવે નાના અને નવા લોકોનો વારો આવવા દઇએ.

આપણા દેશમાં રાજકારણીઓ માટે નિવૃત્તિની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? તેના વિશે ચર્ચાઓ તો આઝાદી મળી ત્યારથી ચાલી આવે છે, પણ તેના વિશે કોઇ નિર્ણય લેવાતો નથી. ક્યાંથી લેવાય? જેમણે નિર્ણય લેવાનો છે એ બધા જ મોટી ઉંમરના છે! કંઇ નક્કી કરે તો ઘરે બેસવાનો પહેલો વારો એનો પોતાનો આવે. પ્રાચીન સમયમાં જવાબદારીઓ પૂરી થાય પછી વાનપ્રસ્થાશ્રમનો કન્સેપ્ટ હતો. હવે તો ડૉક્ટર છોડવાનું કહે તોપણ આપણા વડીલો કંઇ છોડતા નથી.

સરકારી અને ખાનગી નોકરીમાં જો નિવૃત્તિ વય હોય તો પછી રાજકારણમાં શા માટે નહીં? આપણા દેશની વાત નીકળે ત્યારે બધા છાતી ઠોકીને કહે છે કે, ઇન્ડિયા યંગસ્ટર્સનો દેશ છે. આખી દુનિયાના દેશોની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આ યંગ પીપલ જ આપણા દેશને સુપરપાવર બનાવશે. વાત સાચી પણ તમે એ લોકોનો વારો તો આવવા દો, એ લોકોને એ પોઝિશન પર તો મૂકો જ્યાં એ ડિસિઝનમેકર હોય. સત્તામાં તો યુવાનોને સરખા ભાગીદાર બનાવો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે એવા અણસાર આપ્યા હતા કે હવે નવા અને તાજા લોહીને તક મળશે. 88 વર્ષના લાલકૃષ્ણ અડવાણી, 82 વર્ષના મુરલી મનોહર જોશી, 83 વર્ષના યશવંત સિંહા, 81 વર્ષના શાંતાકુમાર, 81 વર્ષના બી.સી. ખંડુરી સહિત મોટી ઉંમરના નેતાઓને એમણે સત્તાથી દૂર રાખ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે પ્રધાનમંડળમાં બીજી વખત પરિવર્તન કર્યું. આ ઘટના અગાઉ જ મધ્યપ્રદેશ રાજ્ય સરકારના બે વયોવૃદ્ધ મંત્રીઓ 86 વર્ષના બાબુલાલ ગૌર અને 76 વર્ષના સરતાજ સિંઘનાં રાજીનામાં લઇ લેવાયાં હતાં. કારણ એવું અપાયું હતું કે ઉંમર થઇ ગઇ હોવાથી તેમને આરામ અપાયો છે. સાથોસાથ એવી વાત પણ વહેતી થયેલી કે, આ ભાજપ પક્ષનો નિર્ણય લાગે છે અને હવે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પણ આવું જ કરશે. બે કેન્દ્રીય પ્રધાનો 76 વર્ષના નઝમા હેપતુલ્લા અને 75 વર્ષના કલરાજ મિશ્રને પણ પાણીચું આપી દેવાશે એવી વાતો પણ જોરશોરથી ચાલી. મોદીએ પાંચને પાણીચું આપ્યું પણ એમાં આ બેનાં નામ ન હતાં. જેની હકાલપટ્ટી કરાઇ તેઓને પણ ઉંમરને કારણે નહીં પરંતુ તેનાં પરફોર્મન્સના કારણે દૂર કરાયા હતા. મતલબ કે એજ ફેક્ટરે કામ કર્યું નથી.

ખેર હશે, જે થયું તે. અલબત એ સવાલ તો ઊભો જ છે કે રાજકારણીઓને એક નિશ્ચિત ઉંમરે નિવૃત્ત કરી દેવા જોઇએ કે નહી? અમેરિકામાં પ્રેસિડેન્ટ બે ટર્મથી વધુ રહી શકતા નથી. ત્યાં ટર્મ પણ ચાર વર્ષની જ હોય છે. બરાક ઓબામા 54 વર્ષના છે. આ વર્ષે ઇલેક્શન પછી તેઓ નિવૃત્ત થઇ જશે. તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે 46 વર્ષના હતા. જોકે અત્યારે જે ચૂંટણીના મેદાનમાં છે એ બંનેમાં હિલેરી ક્લિન્ટન 68 વર્ષનાં અને ડોનાલ્ડ ટ્રમ્પ 70 વર્ષના છે. એ રીતે જુઓ તો બંને કંઇ નાનાં નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિન 63 વર્ષના છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમરોન 49 વર્ષના છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 65 વર્ષના છે અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તો 80 વર્ષના છે. આપણાં સીએમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 74 વર્ષનાં છે.

આપણે ત્યાં જે યુવા નેતાઓ થઇ ગયા કે અત્યારે છે એ પણ મોટાભાગે તેના પરિવારના કારણે છે, જો તેના બાપા કે બીજા કોઇ વડીલ રાજકારણમાં ન હોત તો તેનો મેળ પડત કે કેમ એ સવાલ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જ્યારે સત્તા સંભાળી ત્યારે યંગેસ્ટ સીએમ તરીકે બહુ ગાજ્યા હતા. અખિલેશ આજે 43 વર્ષના જ છે. સીએમ બન્યા ત્યારે તો 39 વર્ષના જ હતા. જોકે તેની બધી જ ક્રેડિટ તેના પિતા મુલાયમસિંહ યાદવને જાય છે. તેઓ દીકરાને એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા. ફારુક અબ્દુલ્લાએ પણ ઓમારને સીએમ બનાવ્યા હતા. અરે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ માતાના કારણે જ એ પદ મળ્યું હતું. બીજા યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા (45 વર્ષ), મિલિન્દ દેવરા (39 વર્ષ), પ્રિયા દત (49 વર્ષ), સચિન પાઇલટ (38 વર્ષ), અગાથા સંગ્મા (35 વર્ષ)ને પણ તક તો એના સ્વર્ગસ્થ પિતાના રાજકારણને કારણે જ મળી હતી. બાકી તો બુઢિયા નેતાઓ કોઇનો વારો જ આવવા દેતા નથી. નરેન્દ્ર મોદીએ યંગ નેતાઓ પર વધુ વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધી સૌથી નાની વયના મિનિસ્ટર સ્મૃતિ ઇરાની (40 વર્ષ) હતાં. હમણાં મંત્રી બનનાર અનુપ્રિયા પટેલ તો માત્ર 35 વર્ષની જ છે.

આપણે ત્યાં મહિલાઓને રાજકારણમાં 33 ટકા અનામત આપવાની વાત ઘણા સમયથી થતી આવી છે. સાથોસાથ હવે અમુક ટકા તો યંગસ્ટર્સ હોવા જ જોઇએ એવું પણ નક્કી કરવાની જરૂર છે. નાનાઓને આખરે અનુભવ તો ત્યારે જ મળશેને જ્યારે તેને નાની ઉંમરે ચાન્સ આપવામાં આવે. રાજકારણીઓની નિવૃત્તિ માટે ઉંમરનો કોઇ ચોક્કસ અને બંધારણીય નિયમ બનાવવાની જરૂર છે, એવું નહીં થાય તો અમુક નેતાઓ તો ગુજરી નહીં જાય ત્યાં સુધી ખુરશીને ચીપકેલા જ રહેશે.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 10 જુલાઇ 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

krishnkant Unadkat

krishnkant Unadkat

Krishnkant Unadkat,
Magazine Editor,
Divya Bhaskar,
Ahmedabad.
Cell :09825061787.
e-mail : kkantu@gmail.com

Blog  http://www.chintannipale.com/

કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ, રાજકારણ, રી-બ્લોગ કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ, રી-બ્લોગ

( 896 ) કશું જ પરમેનન્ટ નથી,બધું જ સતત બદલતું રહેવાનું છે….ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

6 ટિપ્પણીઓ Posted by વિનોદ આર પટેલ on એપ્રિલ 17, 2016

 દિવ્ય ભાસ્કરની કળશપૂર્તિમાં પ્રકાશિત ‘ચિંતનની પળે’ કૉલમના એમના ચિંતન લેખોમાં શ્રી કૃષ્ણકાંતભાઈની કલમની કમાલ જોવા મળે છે.મને એમના પ્રેરક લેખો ગમે છે કેમ કે આ ચિંતન લેખોમાં એમના વિશાળ વાચન અને જિંદગીનો અનુભવ જોવા મળે છે. 

અગાઉ વિનોદ વિહારમાં મારી પસંદના એમના ઘણા ચિંતન લેખો પ્રકાશિત કરવામાં આવ્યા છે જે આ લીંક પર વાંચવા મળશે.

મને ગમતા એમના લેખો વિનોદ વિહારમાં મુકવા માટે ઈ-મેઈલથી સંમતિ આપવા માટે મેં શ્રી કૃષ્ણકાંતભાઈને વિનંતી કરી હતી .

એના જવાબમાં તેઓએ નીચે મુજબના ઈ મેલથી સંમતી આપવા માટે હું એમનો આભારી છું.  

પ્રિય વિનોદભાઇ,
તમે મારા આર્ટિકલ મૂકી શકો છો.
શુભકામનાઓ.
Krishnkant Unadkat,
Magazine Editor,
Divya Bhaskar,
Ahmedabad.
Cell :09825061787.
e-mail : kkantu@gmail.com
Blog : http://www.chintannipale.com/

 

જિંદગી સાવ સરળ નથી જ રહેવાની  

ચિંતનની પળે …શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે

Nothing Permenant -kanDKT

થાય છે આશ્ચર્ય એવું જોઇને કોઇની મહેનત ફળે છે કોઇને
કોઇના દિન જાય છે મીઠી નીંદમાં કોઇની રાતો વીતે છે રોઇને.
– શયદા

માર્ક ટ્વેઇન અને વિલિયમ ડીન હોવેલ્સ એક પ્રાર્થનાસભા પતાવીને બહાર નિકળ્યા. જોયું તો બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. હોવેલ્સે અમસ્તા જ માર્ક ટ્વેઇનને પૂછયું, શું લાગે છે, વરસાદ બંધ થશે? આજ સુધી તો કાયમ એવું જ બન્યું છે! માર્ક ટ્વેઇને હસીને જવાબ આપ્યો.

માર્ક ટ્વેઇનની વાતમાં જીવનનો મર્મ મળે છે. કશું જ પરમેનન્ટ નથી અને બધું જ સતત બદલતું રહેવાનું છે. સુખ અને દુ:ખનું પણ એવું જ છે. કોઇ વરસાદ કાયમ વરસતો નથી. એક સમયે તો વરસાદને અટકવાનું જ છે. ખરા બપોરે ગમે તેટલો તાપ હોય તો પણ સાંજે ટાઢક થવાની જ છે. સવાલ એટલો જ હોય છે કે માણસ સમયને બદલવાની રાહ જુએ.

એક ગામમાં પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઇ ગયાં. એક ભાઇ પાણીથી બચવા પોતાના પરિવારને લઇ અગાશીએ ચાલ્યા ગયા. પાણીની સપાટી જોઇને ડરી ગયેલા બાળકે પિતાને પૂછ્યું, પપ્પા હવે શું થશે? પિતાએ દીકરાને બાજુમાં લીધો. દીકરાના વિખરાયેલા વાળ પર હાથ પસવારીને બહુ જ સલુકાઇથી કહ્યું, બેટા હવે પાણી ઓસરશે. આવું બધું થોડો સમય જ હોય છે. આવે છે અને ચાલ્યું જાય છે.

જિંદગીમાં બધું જ સેટ થયેલું લાગે અને ગાડી અચાનક સ્લિપ થઇને રસ્તાની બાજુમાં ઉતરી જાય છે. ગાડી સરળતાથી ચાલતી હોય ત્યારે માણસને બધું ઇઝી લાગે છે. ગાડી સાઇડમાં ઉતરી જાય પછી પાછી રસ્તા પર લાવવામાં મહેનત કરવી પડે છે. આપણને બધાને કોઇ ને કોઇ વાહન ચલાવવાનો અનુભવ છે. આપણને બધાને ખબર છે કે એક ને એક સ્પીડ કયારેય મેન્ટેન થતી નથી. કયારેક વાહન ધીમું તો કયારેક સ્પીડમાં ચલાવીએ છીએ. ખાડા આવે તો બ્રેક મારવાની અને સપાટ રસ્તો આવે તો સ્પીડ વધારવાની. જિંદગીમાં માણસ કેમ આ વાત સમજતો નથી? જિંદગીની રફતાર પણ હંમેશાં એકસરખી રહેવાની નથી.

અમેરિકાથી હમણાં એક મિત્ર આવ્યા. અમેરિકામાં મંદીનો માહોલ છે. ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. ધંધા સાવ મંદા થઇ ગયા છે. મિત્રે કહ્યું કે, લોકો રડે છે. બધી જ ગણતરીઓ ઊધી પડી ગઇ. તેણે કહ્યું કે ગણતરીઓ એટલા માટે ઊધી પડી ગઇ કારણ કે તમારી ગણતરી જ ખોટી હતી. તકલીફ કયારેક આવવાની જ છે એવી ગણતરી કયારેય તમે કરી જ નહોતી. એ મિત્રે કહ્યું કે ઇન્ડિયન્સને કંઇ વાંધો નથી આવવાનો. બધા એક જ વાત કરે છે કે, આપણે બચત શા માટે કરી છે ? આવા સમયમાં કામ લાગે એટલા માટે જ સ્તો! થોડીક બચત વાપરીશું. સારો સમય આવશે એટલે પાછા કમાશું અને પાછી થોડીક બચત કરીશું.

મિત્રે કહ્યું કે, ધોળિયાવ અપસેટ થઇ ગયા છે. એ લોકો ડિસ્ર્ટબ છે, કારણ કે તેમણે કયારેય વિચાર જ નહોતો કર્યોકે ખરાબ દિવસો આવશે. ઇન્ડિયનો ડાહ્યા સાબિત થયા છે. ડહાપણ એટલે શું? ડહાપણ એટલે એવી સમજ કે એકસરખી સ્થિતિ કયારેય રહેવાની નથી. સુખ હોય તો પણ અને દુ:ખ હોય તો પણ, સફળતા હોય તો પણ અને નિષ્ફળતાં હોય તો પણ. માણસ દરેક સ્થિતિમાં કેટલો સ્વસ્થ રહે છે, કેટલો ટકી જાય છે તેના પર જ તેની સમજદારીનું માપ નીકળે છે.

એક પાર્ટી ચાલતી હતી. બધા જ લોકો ખાવા-પીવા અને નાચ-ગાનમાં મસ્ત હતા. જેના ઘરે પાર્ટી હતી એ યુવતી પણ બધા સાથે મોજ-મસ્તી કરતી હતી. પાર્ટીમાં આવેલી બીજી યુવતી તેની પાસે ગઇ. તેણે પૂછ્યું, હમણાં પાર્ટી પૂરી થઇ જશે. બધા લોકો ચાલ્યા જશે. તું એકલી થઇ જઇશ. તને એવું નથી થતું કે પાર્ટી પૂરી થશે પછી અવ્યવસ્થિત થઇ ગયેલું આખું ઘર તારે પાછું વ્યવસ્થિત કરવું પડશે, કામમાં તારો દમ નીકળી જશે.

યુવતીએ હસીને કહ્યું કે, માય ડીયર ફ્રેન્ડ મને બધી જ ખબર છે. અત્યારે એન્જોય કર. મને એ પણ ખબર છે કે આ સમય પણ ચાલ્યો જવાનો છે પણ અત્યારનો સમય એન્જોય કરવાનો છે. કામ કરવાનું આવશે ત્યારે કરી લઇશ. મારો અત્યારનો સમય એ ચિંતામાં શા માટે વેડફું? અને કામ કરવાનું આવશે ત્યારે પણ હું એવું જ વિચારીશ કે બધા લોકોએ કેટલી સરસ રીતે એન્જોય કર્યું!

દરેક સ્થિતિમાં ખુશ રહી શકાય. નિર્ણય કરો, હું દરેક સ્થિતિમાં ખુશ રહીશ, હું દરેક સંજોગોમાં સ્વસ્થ રહીશ. મારે રોદણાં રડવાં નથી. મારે બિચ્ચારા થવું નથી. સુખ કાયમી નથી તો દુ:ખ પણ કયાં પરમેનન્ટ છે? સૂરજ ઉગવાની સાથે જ અંધારું અલોપ થઇ જાય છે. અંધારાથી ડરવાનું કોઇ કારણ નથી, સવાર પડવાની જ છે. દરેક હાલતમાં હું મજામાં રહીશ એવું નક્કી કરો, કોઇ હાલત તમને હેરાન નહીં કરી શકે.‘

છેલ્લો સીન

આપણે કયારેય એટલા સુખી નથી હોતા અને કયારેય એટલા દુ:ખી નથી હોતા, જેટલા આપણે સમજતાં હોઇએ છીએ.- લા રોશ ફૂંકો.

 

કરુણાનું વર્ષ – નવા વર્ષનો સંદેશ …વિડીયો 

શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખો, વિડીયો, સંકલન કૃષ્ણકાંત ઉનડકટ, ચિંતન લેખ, વિડીયો

← Older posts

RSS feed

RSS આજનો સુવિચાર

  • Richard Wright
    "Men can starve from a lack of self-realization as much as they can from a lack of bread."
  • H. Jackson Brown, Jr.
    "Find a job you like and you add five days to every week."
  • George Washington
    "Happiness and moral duty are inseparably connected."

જનની – જનકને પ્રણામ

સ્વ. ધર્મપત્નીની યાદમાં ઈ-પુસ્તક

ફેસબુક પર વિનોદ પટેલ !

ઈ-વિદ્યાલય

ગુજરાતી ભાષાને નવલું નજરાણું

‘બની આઝાદ’ – ઈ બુક

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..

  • 1,340,913 મુલાકાતીઓ

નવી વાચન પ્રસાદી ..

  • વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
  • ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
  • સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
  • જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
  • ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
  • સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
  • Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
  • 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020

વાચકોના પ્રતિભાવ

અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે….
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે….
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ…
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ …
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા

વિભાગો

Follow by Email

Email address...
Submit

Join 376 other subscribers

પ્રકીર્ણ

  • રજિસ્ટર
  • લોગ ઇન
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

પૃષ્ઠો

  • અનુક્રમણિકા
  • ગુજરાતી બ્લૉગ્સ/સાઈટ્સઃ
  • ગુજરાતી ભાષાનાં પ્રચલિત પુસ્તકોની લીંક …
  • પ્રતિલિપિ પર મારી રચનાઓ
  • મનપસંદ વિભાગો
  • મારા વિશે
  • મારી ઈ-બુકો (ડાઉન લોડ)
  • મિત્રોની અને અન્ય ગમતી ઈ-બુક ડાઉનલોડ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers

મહિનાવાર પોસ્ટ સંગ્રહ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
જાન્યુઆરી 2023
રવિ સોમ મંગળ બુધ ગુરુ F શનિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
« જાન્યુઆરી    

અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 376 other subscribers
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com
Follow વિનોદ વિહાર on WordPress.com

Follow Us

↑ Top Blog at WordPress.com.
  • Follow Following
    • વિનોદ વિહાર
    • Join 376 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • વિનોદ વિહાર
    • કસ્ટમાઇઝ
    • Follow Following
    • Sign up
    • લોગ ઇન
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
 

Loading Comments...