આ અગાઉની પોસ્ટ નંબર ( 597 ) માં મારો એક લેખ +કાવ્ય “મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે .” તમે વાંચ્યું.આ પોસ્ટમાં મેં મારા બ્લોગર તરીકેના ત્રણ વર્ષના અનુભવોનું તારણ એમાં રજુ કર્યું છે.
એના અનુસંધાનમાં આજની પોસ્ટમાં શ્રી પી.કે.દાવડા એ મોકલેલ લેખ “બ્લોગ્સની આજકાલ “ એમના આભાર સહીત પ્રસ્તુત છે.
શ્રી દાવડાનો પોતાનો કોઈ બ્લોગ નથી પણ તેઓ વર્ષોથી ઘણા બ્લોગમાં એમના લેખો /કાવ્યો મોકલતા હોય છે. ઘણા બ્લોગર મિત્રો સાથે એમને નજીકનો સંબંધ છે. એમના આ લેખમાં બ્લોગ અને બ્લોગરો સાથેના એમના વર્ષોના અનુભવનું તારણ પ્રસ્તુત કર્યું છે .તમને એ જરૂર વાંચવું ગમશે.
એમનો આ ટૂંકો પણ મનનીય લેખ વાંચ્યા પછી તમે શ્રી દાવડાજીને ઓડિયો અને વિડીયોમાં એમની વિવિધ કૃતિઓને રજુ કરતા સાંભળી/જોઈ શકશો.
વિનોદ પટેલ
===================================
બ્લોગ્સની આજકાલ -શ્રી પી.કે.દાવડા

P.K.DAVDA
૨૦૦૫ની આસપાસ ગુજરાતી બ્લોગ્સની શરૂઆત થઈ.જોતજોતામાં બ્લોગ્સ લોકપ્રિય થઈ ગયા. ૨૦૧૨ સુધીમાં તો બ્લોગ્સ લોકપ્રિયતાની પરાકાષ્ટાએ પહોંચી ગયા. Inverted Parabola ની આ ટોચ હતી. અહીંથી એની લોકપ્રિયતામાં ઓટ આવવા લાગી.
આજની હકીકત કંઈક આવી છે.
બ્લોગના સંચાલકો અને લેખકો ઈ–મેઈલથી વાચકોને આમંત્રણ મોકલે છે કે મારા બ્લોગ ઉપર પધારો. આમત્રંણને માન આપી કેટલાક લોકો બ્લોગમાં જઈ ચાંદલાના રૂપમાં કંઈપણ વાંચ્યા વગર ‘Like’ નું બટન દબાવી આવે છે.એનાથી ‘મોટો ચાંદલો’ કરવો હોય તો ‘સરસ’, ‘બહુ સરસ’ કે કંઈક આવું પ્રતિભાવ રૂપે લખી આવે છે, એક પણ શબ્દ વાંચ્યા વગર. કેટલાક આમંત્રણ આપનારા ચાંદલો ન આપનારાને ફરી ફરી આમંત્રણના ઈ–મેઈલ મોકલ્યા કરે છે.
આવું કેમ છે ? ‘ફેસબુક’, ‘ટ્વીટર’ અને ‘વોટ્સએપ’,‘રીયલ ટાઈમ’ જાણવા જેવું બધું જ, અતિ ટુંકાણમાં જણાવી દે છે. આને લીધે વાંચકોની લાંબા લખાણ વાંચવાની આદતમાં ફેરફાર થવા લાગ્યા છે. Sweet & Short ના જમાનાએ પકડ જમાવવાની શરૂઆત કરી દીધી છે. સાહિત્ય કરતાં માહિતીનું મહત્ત્વ વધવા લાગ્યું છે. મોબાઈલના નાનકડા સક્રીન પર લાંબા લખાણ વાંચવા સગવડભર્યા પણ નથી. ડેસ્કટોપ અને લેપટટોપ કરતાં મોબાઈલ ઉપર સરફીંગ કરવાવાળાની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે. આજે સિનીયરો પણ સ્માર્ટ ફોન વાપરતા થઈ ગયા છે, એટલે તેઓ પણ પહેલાંની જેમ લેપટોપ લઈ લાંબાં લખાણો વાંચતા નથી.
બીજું એક કારણ એ પણ હોઈ શકે, કે અસલી (જુનું ) હતું તે બધું પીરસાઈ ચૂક્યું છે, નવામાં જુના જેવો સ્વાદ નથી, અને તેથી લોકો એના ઉપર નજર કરી લે છે; પણ ફરી ફરીને માણતા નથી, કે અન્ય લોકો સાથે એની ચર્ચા પણ કરતા નથી. બ્લોગ્સની સંખ્યા એટલી વધારે છે કે શું વાચવું, ક્યાં વાંચવું વગેરેમાં સમય વપરાઈ જાય છે અને પરિણામે વાંચવાનું જ રહી જાય છે.
હજી પણ કેટલીક જગ્યાએ ઈંટરનેટનો ચાર્જ ડાઉનલોડના વોલ્યુમ પ્રમાણે (per MB) લેવામાં આવે છે. સારું શોધવામાં જ એટલા બધા પૈસા ખર્ચાઈ જાય છે કે પછી લાંબું વાંચવું પોષાતું નથી.
હજી પણ જે મુદ્દાસર ટુંકમાં લખે છે, તેમનાં લખાણ વંચાય છે.
–પી. કે. દાવડા,ફ્રીમોન્ટ,
-CA-USA
============================
ઓડિયો -વિડીયો પર શ્રી પી.કે.દાવડા
નીચેની લીંક ઉપર ક્લિક કરી તમે દાવડાજી ના “કવિતા” વિષય ઉપર પાંચ ઓડિયો સાંભળી શકશો. આ સાંભળીને ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકોની જૂની યાદો તાજી થશે.
વાચકોના પ્રતિભાવ