Tag Archives: મારા લેખો કાવ્યો વાર્તાઓ

પ્રેમની પહેચાન !
મીણબત્તી વચ્ચેનો સળગતો ધાગો,
પૂછી રહ્યો ઓગળી રહેલા મીણને ,
અરે ભાઈ, સળગી રહી છું હું અને,
તું શાને ઓગળે, જાણે રડે ભાઈ !
ઓગળી રહેલી મીણબત્તી બોલી,
મારા શરીર વચ્ચે તને સ્થાન આપ્યું ,
તારો મારો જીવનભરનો સાથ થયો,
એટલે તારું દુખ એ મારું દુખ થયું ,
તું સળગે અને હું શું માત્ર જોયા કરું !
તો તો આપણો સથવારો લજવાય !
પ્રેમની પાવક જ્વાળામાં તું અને હું,
સાથે બળીને પોતાનું બલીદાન આપી,
ખુશીથી પ્રકાશ આપી સૌને ખુશ કરીએ ,
એ જ તો છે અન્યોન્ય પ્રેમની પહેચાન !
વિનોદ પટેલ …૧૧-૧૭-૨૦૧૮
એ નામે એક અછાંદસ કાવ્ય પ્રકાશિત કર્યું હતું એને નીચે ફરી પ્રસ્તુત છે.
”હું છું એક મીણબત્તી”
મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,
ઋજુતા ,સુંદરતા છે મારી એક પહેચાન,
બાળી જાતને પ્રસરાવું બધે મારો પ્રકાશ ,
ગર્વ થાય જ્યારે આપું હું મારું બલિદાન.
પ્રભુ સંગાથે મારો છે નિવાસ ચર્ચમાં,
મારી સેવાની જ્યોત બુઝાય એ પહેલાં,
સાથી મીણબત્તીમાં જલાવું હું મારી જ્યોત,
મનુષ્ય જીવન બનાવો મીણબત્તી સમાન,
જીવન મીણબત્તી બુઝાઈ જાય એ પહેલાં,
પ્રકાશિત રાખો, અન્યમાં સેવાની જ્યોત,
જાતને ઓગાળો, પ્રકાશ ફેલાવો મારી જેમ ,
એ છે મારો હું બુઝાઉં એ પહેલાંનો આ સંદેશ.
મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,
પ્રકાશ માટે બલીદાન, એ મારી પહેચાન.
વિનોદ પટેલ

ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ખુબ જ અગત્યનું કામ ખુબ જ ઉત્સાહથી કરી નિસ્વાર્થ સેવા બજાવી રહેલ સંસ્થા પ્રતિલિપિએ તાંજેતરમાં મારી બે કાવ્ય રચનાઓ પ્રગટ કરી છે .
અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ નંબર ( 608 ) અને પોસ્ટ નંબર (612) એમ બે પોસ્ટમાં પ્રતિલિપિનો પરિચય કરાવવામાં આવ્યો છે .
વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે મારી આ બે કાવ્ય રચનાઓને પ્રતિલિપિના આભાર સાથે આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
==============================
મધમાખીનો સંદેશ ….અછાંદસ કાવ્ય …… વિનોદ પટેલ

કાવ્ય વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરશો.
તો સારું … કાવ્ય…. વિનોદ પટેલ

દરેક વર્ષની જેમ સન ૨૦૧૪ નું વર્ષ પણ દેશ અને દુનિયામાં અવનવા ગમતા -અણગમતા બનાવોની યાદો પાછળ છોડીને પુરું થવા આવ્યું .
આવી પહોંચ્યા વર્ષના અંતે આવતી ક્રિસમસની ઉજવણી અને નવા વર્ષ ૨૦૧૫ નું નવી આશાઓ અને નવા ઉમંગો સાથે એનું સ્વાગત કરવા.
આજની આ પોસ્ટમાં મારી એક પ્રસંગોચિત કાવ્ય રચના અને પ્રતિલિપિ માં પ્રગટ મારી બે ક્રિસમસ વાર્તાઓ(૧) કૃતિકાનો ભાઈ અને (૨ ) ક્રિસમસની અણમોલ ભેટ પ્રસ્તુત કરેલ છે.
આવો, ઉત્સાહ અને ઉલ્લાસથી ક્રિસમસની ઉજવણીમાં ભાગ લઇ હળવા બનીએ અને નવી આશાઓ અને નવા સંકલ્પોની ભાવનાઓ સાથે નવા વર્ષ ૨૦૧૫ નું સ્વાગત કરીએ .
વર્ષના આ સુંદરત્તમ સમય ક્રિસમસ પ્રસંગે વિનોદ વિહાર
સૌ સ્નેહીજનો/વાચક મિત્રોને ઉલ્લાસમય અને આનંદમય
ક્રિસમસ માટે તથા સુખદ નવા વર્ષ ૨૦૧૫ માટેની
અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે .
વિનોદ પટેલ
========================
૨૦૧૫ના વર્ષનું સ્વાગત
પસાર થઇ ગયું એક ઓર જુનું વરસ
ગમતી, અણગમતી યાદોને પાછળ મૂકી
આવી ઉભા એક નવા જ વર્ષને પગથાર.
નવા વરસે નવલા બનીએ, નવેસરથી,
કરુણા,પ્રેમની શુભેચ્છાઓ આપીએ,લઈએ
જિંદગી આપણી છે એક ફળદાઈ ખેતર
જુના વરસના ઘાસ નીદામણ દુર કરી
નવા વરસે જીવનનો નવો પાક ઉગાડીએ
નુતન વર્ષે નવી આશાનો દીપ જલાવી
૨૦૧૫ના નવા વર્ષનું હર્ષથી સ્વાગત કરીએ.
ચાલો , સૌ કરીએ દિલથી પ્રાર્થના કે-
ગત વર્ષો કરતાં આ નવલું ૨૦૧૫નું વર્ષ
સૌને માટે સુખ શાંતિ અને આરોગ્ય સહીત
સર્વ રીતે સર્વોત્તમ વર્ષ બનાવજે ,હે પ્રભુ .
વિનોદ પટેલ
===============================
હવે વાંચો પ્રસંગોચિત મારી બે ક્રિસમસ વાર્તાઓ.
ક્રિસમસ વાર્તા -૧
“કૃતિકાનો ભાઈ !”…લેખક-વિનોદ પટેલ

ક્રિસમસ પ્રસંગે ચાર વર્ષની ગલગોટા જેવી નમણી બાલિકા કૃતિકા સંતાક્લોઝ પાસે કોઈ રમકડાની ભેટ નથી માગતી પણ કદી કોઈએ સાંતા પાસે માગી હોય ના હોય એવી એક અવનવી ભેટ માગે છે .
કૃતિકા એ માગેલી ભેટ કઈ છે એ જાણવા પ્રતિલિપિમાં પ્રકાશિત ક્રિસમસ પ્રસંગે ખાસ લખેલી નીચેની મારી એક તરોતાજા ટૂંકી વાર્તા વાચો …..

ગલગોટા જેવી ચાર વર્ષની ભગવાનની એક અદ્ભુત કૃતિ સમી નમણી બાલિકા કૃતિકા ક્રિસમસ આવે એટલી ખુશ થઇ જાય કે કઈ કહેવાની વાત નહિ.
દર વર્ષની જેમ ક્રિસમસ ટ્રી ખરીદવા માટે એના પપ્પા જાય ત્યારે એમની સાથે રડીને પણ જતી.
ક્રિસમસ ટ્રીને અવનવી ચીજો,નાનાં રમકડાં તથા વીજળીના નાના રંગબેરંગી બલ્બના તોરણોથી ઘર શણગારાતું ત્યારે એનો ઝગમગાટ જોઈ કૃતિકા ખુશ ખુશ થઇ જતી અને એની ખુશી જોઈ પપ્પા-મમ્મી પણ ખુશ થઇ જતાં .
કૃતીકાનું ક્રિસમસનું બીજું આકર્ષણ એટલે દાઢી વાળા,મોટી ફાંદવાળા માથે મોટી લાલ ટોપી અને કોથળા જેવા લગર વગર લાલ પોશાકમાં સજ્જ સદા હસતા અને હસાવતા રહેતા પેલા સંતા ક્લોઝ.
આ સંતા ક્લોઝ દર વર્ષે ક્રિસમસ વખતે મોલમાં નિયમિત હાજર થઇ જતા અને ઘંટડી વગાડતા મોલમાં ફરીને સૌનું અને ખાસ કરીને નાનાં ભુલકાંઓનું મનોરંજન કરતા અને એમની સાથે ફોટો ખીંચાવતા.બધાંના એ મિત્ર બની ગયેલા .
કૃતિકાના બાળ માનસમાં એ કોતરાઈ ગયેલું કે સંતા ક્લોઝ બાળકોને એમને જોઈએ એવી અવનવી ભેટ એના કોથળામાંથી આપે છે .
એના મમ્મી-પપ્પા ચાર વર્ષની કૃતિકાને લઈને એને સંતા ક્લોઝ બતાવવા શહેરના મોલમાં લઇ ગયા .ત્યાં સંતાના ખોળામાં બેસાડી એના પપ્પા એ ખુશખુશાલ કૃતિકાની સરસ યાદગાર તસ્વીર લીધી.
ત્યારબાદ બાદ સંતાએ કૃતિકાને વ્હાલથી માથે હાથ ફેરવતાં ફેરવતાં પૂછ્યું :“બોલ બેટા, તારે શું ભેટ જોઈએ છે ,તું કહે એ રમકડું આ કોથળામાંથી તને આપું,”
કૃતિકાના મમ્મી-પપ્પા અને સંતા એ શું માગે છે એ સાંભળવા આતુર નયને એની સામે જોઈ રહ્યા.
કૃતિકાને મનમાં એ ઠસી ગયેલું કે હું જે માગીશ એ જરૂર સંતા કોથળામાંથી હાથ નાખીને આપશે.
વિચાર કરીને કૃતિકાએ છેવટે એના મનની ઈચ્છા સંતાને કહી દીધી :
” સંતા, મને એક નાનકડો ભાઈ જોઈએ છે !”
આવી અજબ માગણીથી સંતા અને મમી-પપ્પા વિચારમાં પડી ગયા .
છેવટે સંતા કહે “ બેટા ,આજે તો તારા ભાઈનું આ નાનું રમકડું લઇ જા ,આવતે વરસે તને એક નાનકડો ભાઈ જરૂર મળશે ”
માતા-પિતા અને સંતા એકબીજા સામે જોઈને ખુબ હસી પડ્યાં !
ક્રિસમસ બાદ પણ કૃતિકા સંતાએ આપેલા પેલા નાનકડા ભાઈને વ્હાલ કરતાં અને એની સાથે રમતાં થાકતી જ નથી !
ક્રિસમસ વાર્તા -૨
“ક્રિસમસની અણમોલ ભેટ “… વિનોદ પટેલ
પ્રતિલિપિ માં પ્રગટ મારી બીજી એક ક્રિસમસ વાર્તા “ક્રિસમસની અણમોલ ભેટ ” વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી પ્રતિલિપિ ના મંચ ઉપર પહોંચી જાઓ .
આશા છે આપને આ બે વાર્તાઓમાં, માનવ સહજ લાગણીઓ ,સંબંધોના તંતુઓના તાણાવાણા અને એમાંનો સંદેશ ગમ્યો હશે.
આપનો પ્રતિભાવ જરૂર લખશો.
વિનોદ પટેલ
પ્રતિલિપિ શું છે ?

- LOGO OF PRATILIPI
પ્રતિલિપિની સૌ પ્રથમ જાણ મને એના એક સ્થાપક મેમ્બર સુ.શ્રી સહૃદયી મોદી (શૈલી)ના તારીખ ૨૨મી ઓગસ્ટ ૨૦૧૪ તથા સપ્ટેમ્બર ૭,૨૦૧૪ના નીચેના ઈ-મેલથી થઇ.
આ ઈ-મેલમાંથી પ્રતિલિપિ શું છે એની પ્રાથમિક માહિતી મળશે.
From- Sahradayi Modi To Vinod Patel
Aug 22 2014
પ્રિય વિનોદભાઇ,
તમારા જેવા સફળ વ્યક્તિઓ ના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અમે યુવા હૈયાઓએ (Belong to BITS PILANI & FMS ) અમારો પ્રથમ ગુજરાતી બ્લોગ ચાલુ કરેલ છે. જેના માધ્યમ થી અમે પ્રતિલિપિ ના શુભારંભ સુધી ની દરેક નાની નાની માહિતી લોકો સુધી પહોચાડીશુ.
પ્રતિલિપિ ઍક બેંગ્લોર સ્થિત સોશિયલ નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે, જે ફક્ત ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપે છે. અમે શરૂઆતી તબક્કામાં ગુજરાતી, તમિલ , હિન્દી અને અંગ્રેજી ભાષા સાહિત્ય સાથે પગરણ માંડીશું .
આપની સલાહ અને સૂચન ઘણા જ આવકાર્ય છે.
મહેરબાની કરી આપશ્રી આ બ્લોગ ને આપના મિત્ર વર્તુળ માં શેર કરશોજી.
સાથે સવિનય જણાવાનુ કે, આપ શ્રી www.pratilipi.com પર નિઃશુલ્ક સબસ્ક્રાઇબ કરીને સાહિત્યનો વિનામુલ્યે આનંદ માણી શકો છો.
Sept 7, 2014 ના ઈ મેલમાં તેઓએ લખ્યું …….
પ્રતિલિપિ તરફથી રજાના દિવસની આરામદાયી સુપ્રભાત. આપ સહુના સહયોગ સાથે 14મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસના મંગલ દિને પ્રતિલિપિની વેબસાઈટનું લૌંચ નિર્ધાર્યું છે.
પ્રાથમિક તબક્કે અમે દરેક ભાષાભિન્ન સાહીત્યકારો નો ટૂંક પરિચય અને તેઓની પ્રતિલિપિ સાથેની પ્રથમ રચના (વાર્તા, કવિતા, કવિતા સંગ્રહ , લઘુકથા , વાર્તા સમૂહ, લેખ , લેખ સંગ્રહ , ગઝલ, પુસ્તક ) નિઃશુલ્ક પ્રકાશિત કરી રહ્યાં છીએ. આપને વિનંતી છે કે ભારતીય ભાષા સાહિત્યકારોને (નવોદિત તેમજ દિગ્ગજ ) એક મંચ પર લાવવાના અમારા આ પ્રયત્નમાં આપ જોડાઓ અને અમારા દુનિયાભરના વાંચક વર્ગ સુધી દરેક સાહિત્યકારને પહોચાડવાના આ કાર્યમાં ભાગીદાર બનો.
આપશ્રીને વિનંતી છે કે આપનો એક ટૂંક -પરિચય, એક ફોટો તેમજ કોઈ પણ એક રચના જે આપ પ્રતિલિપિના મંચ પર વાંચક વર્ગને સહુ પ્રથમ વખત પીરસવા માંગો છો તે અમને જેટલું થઇ શકે એટલું જલ્દી મોકલી આપવા વિનંતી.
આપના સહકાર અને સહયોગની આશામાં,
આપની શૈલી,
પ્રતિલિપિ તરફથી,
આના જવાબમાં સપ્ટેમ્બર ૮ ૨૦૧૪ના રોજ મારી પ્રથમ કાવ્ય રચના અન્ય વિગતો સાથે એમને મોકલી આપી હતી.ત્યારબાદ એમના પ્રોત્સાહનથી એમની સાથેનો ઈ-મેલ સંપર્ક અને મારી સાહિત્ય કૃતિઓને પ્રતિલિપિ માટે મોકલવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.
સુ.શ્રી શૈલી અને આખી પ્રતિલિપિ ટીમનો ઉત્સાહ અને જુદી જુદી ભાષાઓના પસંદગીના સાહિત્યને લોકો સુધી પહોંચાડીને એમને વાંચતા કરવાની સેવા અને સગવડ જે વિના મુલ્ય આપે છે એ અભિનંદનીય અને ધન્યવાદને પાત્ર છે .પ્રતિલિપિ ની શરૂઆતના કાળમાં મારાથી શક્ય એટલો સહકાર અપાયો એનો મને આનંદ છે.
પ્રતિલિપિની વેબ સાઈટની About Pratilipi લીંક ઉપર ક્લિક કરી એના ધ્યેય અને બીજી માહિતી જેવી કે Team Pratilipi તથા એમાં આજ સુધી પ્રકાશિત હિન્દી તથા ગુજરાતી ભાષાના પુસ્તકો,લેખો, કાવ્યો ,વાર્તાઓ વી. ની પુષ્કળ માહિતી જોવા અને વાંચવા મળી શકશે.
14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળતાથી લૌંચ કરવામાં આવ્યું એના ફક્ત ૫૦ દિવસોમાં જ એણે કેટલી ભવ્ય પ્રગતિ સાધી છે એનો રીપોર્ટ બ્લોગમાં રજુ કરવામાં આવ્યો છે એમાં જણાવ્યું છે કે-
This effort is not without rewards though. In 50 days we have around 8,000 readers and 220 authors with us, we are selected as one of the semi-finalists in IIT Mumbai global B-Plan event Eureka,
we have been invited to present our work and our vision at various places, one of our books is being adapted into a movie, we are growing at a double digit rate every single week, we have published interviews with 24 authors and most importantly we have been showered with much love(and much scrutiny) from our readers all over the world(About 25% of our readers are from outside India).
સુ.શ્રી સહૃદયી મોદી (શૈલી)

- Sahradayi Modi -ShallyCourtesy Face Book
મારાં ફેસ બુક મિત્ર સુ.શ્રી સહૃદયી મોદી (શૈલી) પ્રતિલિપિમાં લેખકો અને વાચકો સાથે સંપર્ક જાળવી રાખવાનું તથા સાહિત્ય કૃતિઓને પસંદ કરી ગ્રાફિક માં સજાવી રજુ કરવાનું કામ જે ઉત્સાહ અને ખંતથી કરે છે એ કાબિલે દાદ છે.તેઓ મૂળ વડોદરાના વતની છે અને હાલ બેંગ્લોરમાં રહે છે.
ફેસ બુક ઉપર એમનો પરિચય અંગ્રેજીમાં આ પ્રમાણે આપેલ છે.
Sahradayi Modi-Shally Modi
SP University, M.Sc., M.B.A., double gold medalist, loves preparing chai 😀
Co – Founder & Author Relations Head at Pratilipi
Past: Vodafone India and All India Institute of Medical Sciences Delhi
Studied Master’s Degree at ARIBAS
Past: Sardar Patel University and Ghpibm
Lives in Bangalore, India
From Baroda, Gujarat, India
એમનો વિગતે પરિચય એક જુદી પોસ્ટમાં થોડા સમયમાં પ્રસ્તુત કરવામાં આવશે.
પ્રતિલિપિમાં પ્રકાશિત મારી કૃતિઓ….મારો ઈન્ટરવ્યું
પ્રતિલિપિમાં મારો પરિચય તથા આજ સુધીમાં એમાં પ્રકાશિત થયેલ ૧૪ કાવ્યો, ૬ વાર્તાઓ તથા એક ચિંતન લેખ તથા પ્રતિલિપિ સાથેનો મારો ઈન્ટરવ્યું Sahradayi Modi-Shally ના નીચેના ઈ-મેલમાં આપેલ બે લીંકો ઉપર ક્લિક કરીને વાંચશો એવી આશા છે.
On Tuesday, December 9, 2014, Sahradayi Modi <shally@pratilipi.com> wrote:
Respected Vinod bhai,
mentioned below is a link of your author account :
below mentioned is your interview with Pratilipi :
If you like our work than share it in your network as well.
Along with this , if you want us to publish more of your content send me on the same mail ID.
Thanking you,
Warm regards,
Shally
Team Pratilipi
+919979880776
P.S. Really nice interview 🙂
આજે સવારે આજની પોસ્ટનો વિચાર કરતાં કરતાં મારી નોધપોથીનાં પાનાં ફેરવી રહ્યો હતો ત્યારે તારીખ ૮મી સપ્ટેમ્બર ,૨૦૧૧ ના રોજ એમાં નોધેલું “ મીણબત્તી “ ઉપરનું કાવ્ય મારી નજરે પડ્યું.
મને બરાબર યાદ છે ઓગસ્ટ /સપ્ટેમ્બર ૨૦૧૧ માં બે મહિના મારી દીકરીને ત્યાં લોસ એન્જેલસ, એનેહેઈમમાં હતો. એ વખતે મારા જમાઈએ મારા લેપટોપમાં ગુજરાતીમાં કેમ લખાય એ શીખવ્યું હતું અને ગુગલ ગુજરાતીમાં લખવાની સીસ્ટમ કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી આપી હતી. ત્યારબાદ ૧ લી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ ત્યાંથી જ મેં વિનોદ વિહાર બ્લોગની શરૂઆત કરી હતી.
૮મી સપ્ટેમ્બર, ૨૦૧૧ ના રોજ સવારના ચા-નાસ્તો પતાવી બેક યાર્ડમાં રાખેલા હીંચકા ઉપર વિચાર કરતો બેઠો હતો.પૂર્વ દિશામાં હમણાં જ બહાર આવેલા સૂર્યનાં બાળ કિરણો પીઠ પાછળથી શરીરને ગરમ કરતાં લોન અને ફૂલ ઝાડ ઉપર પથરાઈ રહેલાં એ જોઈ રહ્યો હતો.વાતાવરણમાં દિલને ખુશ કરી દે એવી આહલાદક ઠંડક હતી.

દીકરી અને જમાઈ જોબ ઉપર જવા નીકળી ગયાં હતાં. બે દોહિત્રો પણ એમની સ્કુલમાં જવા નીકળી ગયા હતા.વાતાવરણમાં સવારના કોલાહલ વિનાની શાંતિમાં એકલો હીંચકા ઉપર બેઠો બેઠો વિચારોમાં ખોવાયો હતો . એ વિચાર વલોણામાંથી નીપજેલ માખણ એટલે જ આજની પોસ્ટમાં પ્રસ્તુત મીણબત્તી અને જીવન વિશેની કાવ્ય રચના.
એકલતામાં જ્યારે અંદરનો અને બહારનો કોલાહલ શાંત થઇ જાય ત્યારે એવા શાંત સરોવરના પાણી જેવા સ્થિર અને શાંત મનના શૂન્યાવકાશમાંથી કોઈ નવું સર્જન શક્ય બનતું હોય છે.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાજ પુરુષ હોવા ઉપરાંત એક સારા કવિ ,લેખક અને ચિંતક પણ છે.એકાંતમાં સર્જકની લેખનની પળનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ એમણે નીચેના શબ્દોમાં સુંદર રીતે રજુ કર્યું છે. પદ્યમય ગદ્યનો એક સરસ નમુનો !
“કલ્પનાના અશ્વ ઉપર શબ્દનો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે.મન મેદાનની મોકળાશ કૃતિને કાગળ પર થનગનતું રૂપ આપી જાય છે ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રિયેશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખું ને આખું આકાશ,રૂપ રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય ,ઉઘાડી આંખ પણ બહાર નહીં ,અંદર હોય, શબ્દની શોધ નહિ ,અક્ષરોનો મેળાવડો નહિ,હૃદય રડતું હોય,તીવ્રતા સ્પર્શતી હોય -જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે : પણ નજર હૈયાને સ્પર્શે તો ? ભવસાગર અંદર જ સમાઈ જાય ….. શબ્દોની નાવ હલેસાં વગર હિલોળા લેવા માંડે !!!”
-નરેન્દ્ર મોદી
મીણબત્તી અને જીવન…… (મારી નોંધપોથીમાથી)
મીણબત્તી અને જીવન વિષે એ દિવસના એકાંતના વિચારોમાંથી જે સર્જન થયું અને નોધપોથીમાં ટપકાવી લીધું એને અપડેટ કરી આજે નીચે પ્રસ્તુત કરુ છું.
મીણબત્તી અને મનુષ્યનું જીવન ઘણી રીતે મળતું આવે છે.
એક મીણબત્તીથી ત્રણ વસ્તુ કરી શકાય છે.
કેટલીક મીણબત્તીને આપણે એ પૂરી બળી રહે એ પહેલાં એને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ . કોઈ મીણબત્તીને આપણે પૂરી બળવા દઈએ છીએ અને કોઈ મીણબત્તી પૂરી બળી જાય અને ઓલવાઈ જાય એ પહેલાં એનાથી બીજી મીણબત્તી સળગાવીને એની જ્યોતના પ્રકાશને ચાલું રાખીએ છીએ.
આ પ્રમાણે આપણી જિંદગીની મીણબત્તીની જ્યોત ઓલવાઈ જાય એ પહેલાં એ જ્યોતથી બીજી અનેક મીણબત્તીઓમાં જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવતા રહેવામાં જ જિંદગીની સાર્થકતા રહેલી છે.
આ જગતમાં મારા વિના બધું અટકી પડશે એમ માનનારાઓથી કબ્રસ્તાન ભરપુર છે.આ જગત ઉપર કોઈના વિના કશું ય અટકી પડ્યું નથી કે પડશે પણ નહિ.ગુલાબો ખીલતાં રહેવાનાં છે,ખરતાં રહેવાનાં છે,પરંતુ ,એક ગુલાબના ફૂલની સાર્થકતા એના સૌન્દર્ય અને એની મહેકમાં છે. ગુલાબ ખરી પડશે, ભુલાઈ જશે પણ એની મહેંક અને સૌન્દર્ય સાથેની એની ગુલાબતા શાશ્વત રહેવાની છે.
મીણબત્તીનું કાવ્ય

હું છું એક મીણબત્તી
મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી,
ઋજુતા ,સુંદરતા છે મારી એક પહેચાન,
બાળી જાતને પ્રસરાવું બધે મારો પ્રકાશ ,
ગર્વ થાય જ્યારે આપું હું મારું બલિદાન.
પ્રભુ સંગાથે મારો છે નિવાસ ચર્ચમાં,
મારી સેવાની જ્યોત બુઝાય એ પહેલાં,
સાથી મીણબત્તીમાં જલાવું હું મારી જ્યોત,
મનુષ્ય જીવન બનાવો મીણબત્તી સમાન,
જીવન મીણબત્તી બુઝાઈ જાય એ પહેલાં,
પ્રકાશિત રાખો, અન્યમાં સેવાની જ્યોત,
જાતને ઓગાળો, પ્રકાશ ફેલાવો મારી જેમ ,
એ છે મારો હું બુઝાઉં એ પહેલાંનો આ સંદેશ.
મૃદુ મીણની બનેલી હું છું એક મીણબત્તી
પ્રકાશ માટે બલીદાન, એ મારી પહેચાન.
વિનોદ પટેલ
૮મી સપ્ટેમ્બર ૨૦૧૧ ના રોજ આ કાવ્યને એ દિવસની પોસ્ટમાં મુકવાનું હતું પણ કોઈ કારણે એ નોટબુકમાં જ રહી ગયું હતું એને આજની પોસ્ટમાં મૂકી શક્યો એનો આનંદ છે.એ વાતને ત્રણ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો !
આભાર દર્શન

૧ લી સપ્ટેમબર, ૨૦૧૧ના રોજ જ્યારે વિનોદ વિહાર બ્લોગની શુભ શરૂઆત કરી હતી એ વખતે મનમાં ડર હતો કે બ્લોગ શરુ તો કર્યો છે પણ એને કેટલા માણસો વાંચવાના છે .
આજે ત્રણ વર્ષ અને બે મહિના વીત્યા બાદ વર્ડ પ્રેસના વાચકો માટેના મીટરનું રીડીંગ બતાવે છે એ પ્રમાણે આજે 191700 + માનવંતા મુલાકાતીઓ વિનોદ વિહારમાં લટાર મારી ચુક્યા છે અને 261 બ્લોગર અને અન્ય મિત્રો આ બ્લોગને નિયમિત ફોલો કરી રહ્યા છે .
વિનોદ વિહારમાં આજ સુધીમાં એકાંતના સર્જન જેવી 607 પોસ્ટ મુકીને વાચકોને રસ પડે એવા સંપાદિત તથા સ્વ-રચિત લેખો , કાવ્યો , વિડીયો વિગેરે મારફતે સૌને જીવન સ્પર્શી ,ચિંતન કરવા પ્રેરે સૌને ગમે એવી ઉપયોગી સાહિત્ય સામગ્રી પીરસવાનો બને એટલી ચીવટ અને જહેમતપૂર્વક પ્રયત્ન કર્યો છે.
મારે મન બ્લોગ અને બ્લોગીંગ શું છે એ અંગે અગાઉની પોસ્ટ નંબર(597) માં મુકેલ અછાંદસ રચનામાં મારા વિચારો રજુ કર્યા છે .
આજદિન સુધી જે મિત્રો/સ્નેહીજનોએ આ બ્લોગની મુલાકાત લઇ અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો છે એ તમામ સાહિત્ય રસિક મિત્રોનો સાનંદ અંત:કરણપૂર્વક આભાર માનું છું .
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ