વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: રજનીકુમાર પંડ્યા

1230- કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧) …. રજનીકુમાર પંડ્યા

જાણીતા બ્લોગ ” વેબ ગુર્જરી”માં ” લ્યો, આ ચીંધી આંગળી” વિભાગમાં મારા સહાધ્યાયી હમઉમ્ર મિત્ર શ્રી રજનીકુમાર પંડ્યા એમની આગવી આકર્ષક શૈલીમાં એમના જીવનના અનુભવો પર આધારિત સત્ય કથાઓ રજુ કરતા રહે છે એ વાંચવા જેવી હોય છે.

શ્રી રજનીકુમાર પંડ્યાએ એમના ઈ-મેલમાં મોકલેલ એક લેખ ”કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧)”માં એમણે એમના લેખક મિત્રને ભાવભરી શ્રધાંજલિ આપી છે. એમના આભાર સાથે આ લેખને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.આ લેખ મને ગમ્યો એમ આપને પણ જરૂર ગમશે.

વિનોદ પટેલ

કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧) …. રજનીકુમાર પંડ્યા

(ગુણવત્તાને લક્ષમાં લો તો ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કોટીના સાહિત્યકારોમાં જેમની ગણના કરવી પડે એવા સત્વશીલ સર્જનો આપનારા નાનાભાઇ જેબલીયા સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ આપવા છતાં 75 ની વયે અવસાન પામ્યા. પણ ત્યાં લગી ઉન્નતભ્રુ સાહિત્યકારો–વિવેચકો માટે તો માત્ર ‘લોકપ્રિય’ લેખકોના વર્ગમાં આવતા એક એવરેજ લેખક જ રહ્યા. જીવનભર પ્રાથમિક શાળાના શિક્ષક જ રહ્યા. એના અન્ય અનેક કારણોમાં એ સૌરાષ્ટ્રના એક ખૂણામાં જીવ્યા કર્યા એ પણ એક કારણ છે. અને એમાં કોઇનો દોષ નથી, સિવાય કે કિસ્મતની શતરંજની એવી બિછાત. બીજાં અનેક માનવીય કારણોની ભરમાર છે, પણ એની ચર્ચા કરવાની આ જગ્યા નથી.


(નાનાભાઈ જેબલિયા)

આ લખનાર ઉપરાંત સાહિત્યકારો રતિલાલ બોરિસાગર, રમેશ પારેખ કે કિરીટ દૂધાત જેવા એમના મિત્રો એમને આજીવન ચાહતા રહ્યા એનાથી એમનો આત્મા બહુ તૃપ્ત રહેતો હતો એના કરતાં અમને એમની નિર્ભેળ, નિરપેક્ષ મૈત્રીથી બહુ સભરતાનો અનુભવ થતો હતો. પૂ મોરારીબાપુ જેવાએ એમની બહુ જ સંભાળ રાખી હતી અને એમને કાર સુધ્ધાં લઇ આપી હતી. વળી સંતાનો પણ બહુ ગરવા નિવડ્યા. અને પુત્રવધુઓ તો પુત્રોથી પણ સવાઇ ચડિયાતી સાબિત થઇ. પોતાના પછીની બીજી પેઢીનું સુખ પણ એમને પારાવાર મળ્યું.

એ બધાનું સરવૈયું માંડતા સ્વ.નાનાભાઇ જેબલીયા, છેલ્લા થોડાં વર્ષોની પથારીવશતાને બાદ કરતાં સુખેથી જીવ્યા, સુખ પામીને ગયા એમ કહેવું વધારે ઠીક રહેશે.

સાવ ઉગતી યુવાનીથી અમારી મૈત્રી જામી હતી એટલે અધિકૃતતાપૂર્વક એમની થોડી વાત અહિં માંડું છું.)

સરકસના ખેલ જેવું હતું. હળવી બીડી કે વજનદાર બાચકું એમાંથી એકે ય હેઠે ના પડી જવું જોઇએ (બીડી બે ફદિયાની પણ બાજરો તો કેવા મોંઘા પાડનો,બાપ!) બાજરો જમીન પર વેરાઇ ના જવો જોવે અને અને બીડી બી ઠરી ના જવી જોઇએ. ને વાજોવાજ સલામો પણ ઝીલાતી જવી જોઇએ. વળી આ બધું કરતાં ગતિભંગ પણ ના થવો જોવે. અમારી હારોહાર રહેવું જોવે. આ દૃશ્ય જોઈને અમને અમારી નહીં પણ વિશેષણોની દયા આવી ગઈ હતી.”

આખો લેખ ‘વેબ ગુર્જરી’ પર અહીં ક્લિક કરીને વાંચો. 

(વેબ ગુર્જરીમાં પ્રકાશિત અગાઉના લેખો વાંચવા માટે આ લેખને છેડે આપેલી પેનલમાં લેખકના નામ પર ક્લિક કરો)

RAJNIKUMAR PANDYA

My Blog link:

http://zabkar9.blogspot.com/

http://rajnikumarpandya.wordpress.co

E Mial સંપર્ક
rajnikumarp@gmail.com

1216- ” જુઠાભાઈની ઠાઠડી !” …. લેખક … શ્રી રજનીકુમાર પંડ્યા

શ્રી રજનીકુમાર પંડ્યા

શ્રી રજનીકુમાર પંડ્યા એટલે વાર્તા કળાના સર્વ માન્ય કલાકાર. વાર્તાના પાત્ર વિષે ઊંડાણથી મેળવેલ માહિતીને તેઓ એમની આગવી શૈલીમાં એવી નજાકતથી રજુ કરે છે કે અંત સુધી બસ વાંચ્યા જ કરો.

સામાજિક સત્ય ઘટનાઓ અને પાત્રોનું સંશોધન કરી એને અદભુત વાર્તા રસથી આલેખન કરી તેઓ વાચકોને ખુશ કરી દે છે .એમનો લેખ વાંચ્યા બાદ વાચક તૃપ્તિની લાગણી અનુભવીને બોલી ઉઠે છે ” મજા આવી ગઈ !”

જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી” માં ”લ્યો,આ ચીંધી આંગળી ‘ અંતર્ગત એમના પાત્રો આધારિત રસાળ લેખો નિયમિત પ્રગટ થાય છે.

રજનીકુમાર પંડ્યા તરફથી ઇ-મેલમાં મળેલ આવો એક રસ સ્પદ લેખ એમની મંજુરીથી વિનોદ વિહારની આજની પોસ્ટમાં સહર્ષ પ્રસ્તુત કરેલ છે.

વિનોદ પટેલ

”લ્યો, આ ચીંધી આંગળી, જુઠાભાઈની ઠાઠડી !” …. શ્રી રજનીકુમાર પંડ્યા

અંધશ્રદ્ધા સામે જંગ માંડનાર એક અનોખી વ્યક્તિનો પરિચય-આલેખ

Mithabhai
“અખતરાની આગલી રાતે પેટ્રોમેક્સના અજવાળામાં મોટાવડાની ખળાવાડમાં ગોળાઈમાં થાંભલા ખોડીને સ્વયંસેવકોએ ચોક ઊભો કર્યો. ઉતારે એક મંડપ બાંધ્યો. મીઠાભાઈ અને તેમના સાથીઓ માટે. દક્ષિણમાં પચાસ ફૂટ જ દૂર બીજો મંડપ બાંધ્યો. મેલી વિદ્યા લઈને આવનાર મોંઘેરા મહેમાનો માટે ! અને વચ્ચે ચોકમાં મીઠાભાઈની ઠાઠડી રચી ! કારણ કે નેવું ટકાને ખાતરી હતી કે મીઠાભાઈનું ભવન ફર્યું છે. ડોશીઓ બોલવા માંડી કે મીઠોભાઇ હવે ઘડી-બે ઘડીનો મહેમાન છે. ફાટી પડવાનો થયો છે, મૂવો.’”

આખો લેખ ‘વેબગુર્જરી’ પર અહીં:

http://webgurjari.in/2018/07/ 30/mithbhai-parsana/

(શ્રી રજનીકુમાર પંડ્યાના આવા અગાઉના કોઇ પણ લેખ વાંચવા માટે આ લેખને અંતે આપેલી પેનલમાં લેખકના નામ પર ક્લિક કરશો. ખૂલેલી ઇંડેક્સમાં જોઇતા લેખ પર ક્લિક કરી એને વાંચી શકશો.)

1169- મારા જીવનનો વળાંક …..લેખક- શ્રી રજનીકુમાર પંડ્યા

મારા માટે શ્રી રજનીકુમાર પંડ્યાની ઓળખાણ નવી નથી કેમ કે હું એમને  છેક ૧૯૫૭ થી ઓળખું છું જ્યારે તેઓ કોમર્સ કોલેજમાં મારા સહાધ્યાયી હતા.

1955 માં હું કડીની જાણીતી હાઈસ્કુલ સર્વ વિદ્યાલયમાંથી એસ.એસ.સી. પાસ કરીને એ વખતે અમદાવાદની એક માત્ર કોમર્સ કોલેજ-એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં દાખલ થયો હતો અને ત્યાંથી જ ૧૯૫૯માં બી.કોમ.થયો હતો.

આજે પોસ્ટ કરેલ લેખના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા પણ ૧૯૫૭ થી ૧૯૫૯ દરમ્યાન આ જ કોલેજમાં મારા સહાધ્યાયી હતા અને એક જ વર્ગમાં હતા .તેઓ પણ આ જ  કોલેજમાંથી ૧૯૫૯ માં બી.કોમ. થયા હતા.

અભ્યાસ દરમ્યાન તેઓ કોલેજ ની સામે જ આવેલી હોસ્ટેલમાં રહેતા હતા.એ વખતે તેઓ હૉસ્ટેલ મૅગેઝિન ‘પગદંડી’ અને કૉલેજ મૅગેઝિન ‘મિસેલીની’નું સંપાદન કરતા હતા. કોલેજ મેગેઝીનમાં મારું એક અંગ્રેજી કાવ્ય પણ છપાયું હતું એ મને યાદ આવે છે. આ મેગેજીનોના સંચાલક શ્રી રજનીકુમાર એ વખતથી જ સાહિત્યમાં રસ લેતા હતા અને વાર્તાઓ ,કાવ્યો  વી. લખતા હતા. 

જ્યારે મારા ઈ-મેલમાં મેં એમને ૧૯૫૮માં તેઓ જેનું સંપાદન કરતા હતા એ ” પગદંડી” મેગેઝીન વિષે એમને યાદ કરાવ્યું ત્યારે એના ઉત્તરમાં એમણે 60 વર્ષ પહેલાંના હોસ્ટેલ મેગેઝિન ‘પગદંડી”નાં એમણે સંઘરી રાખેલાં પાનાંઓમાંથી ૧૩ પાનાં  યાદગીરી તરીકે મને જોવા માટે મોકલ્યાં જેમાં એમની એક ઇનામી વાર્તા,કવિતા વી.સાહિત્ય રચનાઓ છે.

આ મેગેજીનો કેવી રીતે ચલાવતા હતા એ અંગે જૂની યાદ તાજી કરતાં એમણે ઈ-મેલમાં લખ્યું હતું કે ‘પગદંડી” ના ટાઈટલ તથા લેટર્સની ડિઝાઇન એમણે જ કરી હતી.આ મેગેઝિનની છપાઇ માટે તેઓ હોસ્ટેલના પ્યુન સેંધાની  સાઈકલ લઈને લેખક જયંતી દલાલની માલિકીના વસંત પ્રિંટિંગ પ્રેસમાં જતા હતા અને પ્રૂફ જોતી વખતે ”પ્રિન્ટીંગના પુરા જ્ઞાન વિના ” જયંતિ દલાલ સાથે રકઝક થતી હતી !

‘ પગદંડી ” ના એક પાનામાં શ્રી રજનીકુમાર પંડ્યાની ૧૯૫૮ માં  પ્રકાશિત એક કવિતા આ રહી…

         ”પગદંડી ” મેગેજીનનું પાનું.-૧૯૫૮(સૌજન્ય- શ્રી રજનીકુમાર પંડ્યા )

આમ ”પગદંડી” માં પ્રગટ થયેલ એમની સાહિત્ય રચનાઓ પરથી જ ખ્યાલ આવે છે કે કોલેજ કાળથી જ શ્રી રજનીકુમાર પંડ્યાને સાહિત્ય લેખનના ભમરાએ ડંખ માર્યો હતો.

બેંકની  જોબ અને જીવન સંઘર્ષના દિવસો દરમ્યાન એમનું લખવાનું ઓછું થઈ ગયું.ત્યારબાદ કેવા સંજોગોએ એમને બેંક મેનેજરની જોબ છોડાવી ને પૂર્ણ સમયના લેખક બનવા માટે પ્રેર્યા એ ઘટનાઓને વર્ણવતો એક લેખ ‘‘ મારા જીવનનો વળાંક”  એમના બ્લોગ ઝબકારમાં એમણે પ્રગટ કર્યો છે.

શ્રી રજનીકુમાર પંડ્યાની સંમતિથી આ લેખને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.મને ગમતા એમના કોઈ પણ લેખને રી-બ્લોગ કરવાની મને ઈ-મેલથી સંમતી આપવા માટે હું ગુજરાતી ભાષાના આ સુવિખ્યાત લેખક અને મારા કોલેજ કાળના સહાધ્યાયી શ્રી રજનીકુમાર પંડ્યાનો અંતરથી આભાર માનું છું.

વિનોદ પટેલ

  મારા જીવનનો વળાંક​ ” … લેખક-

શ્રી રજનીકુમાર પંડ્યા  

    Rajnikumar Pandya

(ત્રણ દાયકાથી જેમાં વસતા હોઈએ એ નિવાસસ્થાન છોડીને બીજે રહેવા જતાં એક ક્યારીમાંથી ઉખડીને બીજી ક્યારીમાં રોપાવા જેવી લાગણી થાય છે. આ મામલા(સિન્ડ્રોમ) વિષે અનેક કવિઓને હૃદયદ્રાવક કાવ્યો પણ લખ્યાં છે. મારા કિસ્સે એવું હૃદયદ્રાવક તો કંઈ બન્યું નથી, પરંતુ જૂના ફોટોગ્રાફ્સની પેટી હાથમાં આવતાં અનેક અનેક ઘટનાની ફિલ્મો ‘રિ-રન’ થઈ.એમાંની એક ઘટના તે ‘સંદેશ’માં મારા ‘ઝબકાર’  શિર્ષકથી થયેલા કટાર લેખનનો 1980ના ઑક્ટોબરની 26 મીએ થયેલો આરંભ. એ કટારને સાંપડેલી અભૂતપૂર્વ લોકચાહનાએ આગળ જતાં મારી જીંદગીનો રાહ જ સમૂળો બદલી નાખ્યો. અને મને નોકરી છોડાવીને પૂર્ણ સમયનો લેખક બનવા ભણી ધકેલ્યો.

એ ઘટનાને વર્ણવતો એક લેખ ‘મારા જીવનનો  વળાંક’ મેં નિમંત્રણથી એક સંપાદન માટે લખેલો. એમાં આખી કથા વિસ્તૃત રીતે વર્ણવી હતી. ‘ઝબકાર’માં પ્રગટ થયેલો મારો પહેલો લેખ મુલાકાત આધારિત હતો, અને એ મુલાકાત વેળા કોઈએ અમારી તસ્વીરો પણ ખેંચી હતી. એ પહેલો લેખ બિલકુલ પત્રકારી અંદાજમાં લખાયેલો હતો. એમાં કોઈ સાહિત્યિક બૂ નહોતી. (જે આગળ જતાં આવી અને મારા નામે જ એસ્ટાબ્લીશ્ડ થઇ).

હમણાં જૂનું ઘર બદલતાં એ તસ્વીરો પણ હાથવગી થઈ અને પાંત્રીસ વર્ષ પહેલાંનો એ લેખ પણ. ‘મારા જીવનનો વળાંક’ લેખ સાથે એ સામગ્રી પણ મુકી છે.-રજનીકુમાર)

હું પૂર્ણ સમયનો લેખક કેવી રીતે થયો ? હું તો કોમર્સ ગ્રેજ્યુએટ છું.

હા. મારી બાના વાચનશોખે મને પણ વાચનશોખ ભણી સાવ શિશુવયથી વાળ્યો હતો. મુનશી, મેઘાણી, ર.વ.દેસાઈ, ધૂમકેતુ – એ બધાં નામો મારાં માટે છેક મારી સાતઆઠ વરસની વયથી પરિચિત હતાં.રા પિતા એક જમાનામાં અમરેલીમાં મેઘાણીના સહપાઠી હતા એટલે સાહિત્યકાર તરીકે એમનો ગૌરવભેર ઉલ્લેખ કરતા.મારા વતન જેતપુરમાં ધૂમકેતુ જે દુકાનેથી કરિયાણું ખરીદતા તે દુકાનનો ઉલ્લેખ એમની આત્મકથામાં છે. તે જ દુકાનેથી અમારે ઘેર કરિયાણું આવતું.મકરન્દ દવેના બનેવી બાબુબાઈ વૈદ્ય લેખક હતા અને મારા પિતાના મિત્ર હતા.

આ બધી વાતોએ સાહિત્યકારની ગ્લેમર વૅલ્યુ મારા મનમાં પ્રગટાવી હતી. વાંચવાનું આવડતાંની સાથે જ બાળસાહિત્યનાં પુસ્તકો વાંચવાનો નાદ લાગ્યો. એમાં થોડો ફાળો મારા મોટા ભાઈનો પણ અવશ્ય.મફત મળતી દરેક વસ્તુ માટે એ લાલાયિત રહેતા. મફત મળતાં સૂચિપત્રોના પણ લીલી શાહીમાં છપાઈને આવતા બાલજીવન કાર્યાલય, બાજવાડા, વડોદરાનાં સૂચિપત્રો એ જોઈને મૂકી દેતા. ને હું એ પુસ્તકો મગાવવાની પેરવી કરતો – પુસ્તકો વી.પી.થી આવતાં, પણ મારા પિતા મારા સંગીરના નામે મગાવી દેવાની મારી હઠ પોસતા. પુસ્તકો પૅક થઈને આવે અને ત્યારે પટાવાળાને બદલે જાતે કાતરથી દોરી કાપીને ખોલવામાં મને રોમાંચ થતો. પુસ્તકો અઠવાડિયામાં જ હું ‘પી’ જતો – જરા મોટો થયો એટલે ‘ગાંડીવ’, ‘રમકડું’, ‘બાલમિત્ર’ વગેરે વાંચતો થયો. શાળામાં આવ્યો એટલે જીવરામ જોશીનો પાત્રો મિયાં ફૂસકી, બકોર પટેલ, તભા ભટ્ટ, અડકોદડકો મારા સ્વજનો બની રહ્યાં. ‘બાલસંદેશ’ પૂરા કદનું મોટા છાપાના કદનું સાપ્તાહિક કોઈ પુખ્ત વયનો માણસ બે હાથમાં ફેલાવીને રસથી વાંચી જાય તે અદાથી વાંચવામાં મને હુંય મોટો થઈ ગયો હોવાનો અહેસાસ થતો.

એથી મોટો થયો એટલે પછી પહેલવહેલી વાંચી બાબુભાઈ વૈદ્યની નવલકથા ‘ઉપમા’, જે એમણે મારા પિતાને ભેટ આપી હતી – પછી મેઘાણીની ‘સૌરાષ્ટ્રની રસધાર’ આકંઠ પી ગયો. ‘સોરઠ તારાં વહેતાં પાણી’ પણ એકડિયા – બગડિયાથી શરૂ થયેલી વાચનયાત્રામાં લેખનનો રંગ ભળ્યો.

મારા શાળાજીવનમાં – ‘પંકજ’ નામના હસ્તલિખિત અંકનું સંપાદન – લેખન મને સોંપાયું, કારણ કે એ દિવસોમાં ‘અખંડ આનંદ’ ની ઘાટીમાં પ્રગટ થતા અને એનાથી નીચેની ગુણવત્તા ધરાવતા માસિક ‘વિશ્વવિજ્ઞાન’ માં મારાં એકબે મુક્તકો અને ‘જોયેલું ને જાણેલું’ છપાયાં હતાં. મને “મને સાહિત્યનું ગુલાબ ઉગાડનારો  કુદરતી બક્ષિસવાળો છોકરો” ગણવામાં આવતો મને એનાથી પોરસ ચડતો. વધુ લખવાનું ઉત્તેજન મળતું.

‘કુદરતી બક્ષિસ’વાળા છોકરાની કુદરતી બક્ષિસનું પછીથી શું થયું ? ’કશું નહીં.

ગુલાબનો છોડ ઠુંઠું જ રહ્યો. સારા અનુકુળ ખાતર પાણી છતાં એ છોડ પર એ વખતે ગુલાબનું ફૂલ ના બેઠું.

1955 માં એસ.એસ.સી. પાસ થયો ત્યારે આગળની લાઈન લેવડાવતી વખતે ‘કુદરતી બક્ષિસ’ને કોઈ ગણનામાં લેવામાં ના આવી. નહીં તો જિંદગીમાં ખરેખરા વળાંકની આ જગ્યા હતી. કોઈ મારો ‘એપ્ટિટ્યૂડ’ રસ-રુચિ પૂછનાર નહોતું. જિંદગીભરનો ‘દાળરોટલો’ (આ મારા પિતાના શબ્દો) શામાં સિક્યૉર્ડ ? જવાબ મળ્યો : ‘કૉમર્સ લાઈનમાં ! તરત સરકારી નોકરી મળે.

**** ***** ****

‘કુદરતી બક્ષિસ’ કૉમર્સ કૉલેજમાં પણ ક્યારેક ક્યારેક માથું કાઢતી હતી. કૉલેજ ભીંતપત્રોમાં છંદોબદ્ધ કાવ્યો માટે પાંચદસ રૂપિયાનાં ઈનામો – હૉસ્ટેલ મૅગેઝિન ‘પગદંડી’ અને કૉલેજ મૅગેઝિન ‘મિસેલીની’નું સંપાદન, કૉલેજની વાર્તાસ્પર્ધામાં મને તો ઈનામ ખરું જ, પણ મિત્રોના નામે આપેલી મારી બીજી વાર્તાઓને પણ ઇનામો….. ‘કુદરતી બક્ષિસ’ના કરમાતા છોડના મૂળમાં પાણી સીંચવામાં ના આવતું; હા, એના ઉપર પાણી અવશ્ય છાંટવામાં આવતું, જેથી ધૂળ ચડેલાં પર્ણો થોડી વાર માટે પણ ચમકીલાં બની રહેતાં.

હોસ્ટેલ મેગેઝીન ‘પગદંડી’ના સંપાદક તરીકે

1959 માં બી.કૉમ. થઈ ગયા પછી તરત જ નોકરી મળી ગઈ. અને ‘કુદરતી બક્ષિસ’ને બે બાજુથી દટાવાનો યુગ શરૂ થયો. શરૂમાં છ મહિના ખેતીવિકાસ બૅન્કની નોકરી, જે કરી હોત તો કરતાં કરતાં ઍક્સટર્નલ બી.એ. કરવાની થોડી ગણતરી હતી, પણ પિતાની ઇચ્છા ‘પેન્શનેબલ’ નોકરી લેવડાવવાની હતી. જે માત્ર સરકારી નોકરીમાં જ શક્ય હતું. એટલે તરત જ સરકારી ઑડિટરની ગામેગામ ભટકવાની નોકરી લીધી.

બીજી તરફ ગાંડી છોકરી સાથેના છેતરપિંડીથી થયેલા લગ્નમાં માત્ર દસ દિવસનો ઘરવાસ અને દસ વરસના કોર્ટ કેસે માનસિક, આર્થિક અને ભાવજગતની બેહાલી નોતરી દેતા કાળા બોગદાની શરૂઆત. ઉંમર બાવીસથી બત્રીસ વચ્ચેનો ઉડાન ભરવાનો ગાળો, જમીન સાથે તરફડાટ ભરેલી અવસ્થામાં જડી રાખનારો ગાળો બની રહ્યો. આ બધામાં પેલી કુદરતી બક્ષિસ ડચકાં ખાતી ખાતી બસ માત્ર જીવતી જ રહી.

જીવતી રાખવામાં માત્ર એને ‘ઑક્સિજન’ પૂરો પાડતા રહેવાની કાર્યવાહીઓ જ જવાબદાર – એ કારવાઇઓમાં એક તે જ્યારે ઑડિટ માટે ગામેગામ ભટકતો ફરતો હોઉં ત્યારે તે તે ગામમાં સાહિત્યના શોખીનોને શોધી શોધીને તેમની સોબત મેળવવી તે, બીજું ‘ચાંદની’, ‘આરામ’, ‘નવચેતન’, ‘સમર્પણ’, ‘નવનીત’ જેવામાં પ્રસંગોપાત લખતા રહેવું તે આ બેમાંથી પહેલીને કારણે મને મોહમ્મદ માંકડ જેવા ગુરુ બોટાદમાં મળ્યા – રમેશ પારેખ જેવો મારી જેમ દિશા પકડવા ફાંફાં મારતો મિત્ર અમેરલીમાં મળ્યો. સાવરકુંડલા – ઊનામાં રતિલાલ બોરીસાગર મળ્યા. તો ગોંડલમાં મકરન્દ દવે મળ્યા. વિનોદ ભટ્ટ (અમદાવાદ), મહેશ દવે (સાબરમતી) જેવાં સાથે થોડો પત્રવ્યવહાર – રાજકોટમાં હસમુખ રાવળ, અને પ્ર.રા. નથવાણી મળ્યા. ગિજુભાઈ વ્યાસ મળ્યા. જે મને રેડિયો ઉપર લઈ ગયા.

‘વારસદાર’ ફિલ્મના હીરો હસમુખ કીકાણી, ઉપરાંત ઇંદુલાલ ગાંધી (કવિ) મારી પાસે રેડિયો નાટકો લખાવવા જેટલા નજીક આવ્યા. પણ આ બધા અલગ અલગ ગામોમાં રહેતા, કવચિત્ મળતા મિત્રો હતા. વાતાવરણનું સાતત્ય જળવાતું નહોતું. મારી બીજી કારવાઈ લખતા રહેવાની. તેના પરિણામે ‘સવિતા’ વાર્તા હરીફાઈમાં બે વાર ગોલ્ડમેડલ મળ્યા. ‘નવચેતન’માં ‘ધૂમકેતુ પારિતોષિક’ મળ્યું. ‘ગુંજન વાર્તા હરીફાઈ’માં ઈનામ મળ્યું – પણ આ બધું દસ બાર વર્ષના લાંબા પટ્ટામાં વેરાયેલું. આ લખતી વેળા વાંચનારને બહુ સઘન અને નક્કર લાગશે. પણ એ બધું અફાટ રેતીમાં ભેળાઈ ગયેલા થોડા અન્નના કણો જેવું અને એ રીતે પ્રાપ્ત થતું હોય તેવું હતું. લેખક તરીકે મારામાં કોઈ હુંકાર પ્રગટાવનારું નહોતું – એ અજવાસ મારા જીવન સંગ્રામના ગાઢા અંધકારના પ્રમાણમાં ક્ષીણ જ ગણાય તેવો હતો.

આમાંથી છટકવા, સાહિત્યક્ષેત્રમાં સક્રિય રીતે પ્રવેશવા અને ગુલાબના છોડને પૂરેપૂરો વિકસવાને માટે મોકળું મેદાન આપવા એક મરણિયો છેલ્લો પ્રયત્ન આ જ ગાળામાં કર્યો, તે ઍક્સટર્નલ એમ.એ. કરવાનો – એ કરી શકું તો આ આંકડાની શુષ્ક જાળમાંથી છૂટું ને અધ્યાપકની નોકરી લઈને વાચન લેખન માટે પુષ્કળ સમય અને વાતાવરણ મેળવી શકું. પણ એક વર્ષ એમ.એ. નું કરી લીધા પછી બીજા વરસે રાજકોટથી બદલી થઈ ગઈ ને એ વાત ‘ભૂલ્યો ઘા છત્રીસ જોજન’ બની ગઈ. નહીંતર મારો પ્રયત્ન ‘હોલહાર્ટેડ’ હતો – ઑડિટર તરીકે નોકરી છોડીને મેં થોડા ઓછા પગારની એક કૉ. ઑપરેટિવ બૅન્કની નોકરી માત્ર એટલા માટે જ 1966 માં લીધી હતી કે રાજકોટ સ્થાયી રહી શકાય ને એમ.એ. નું કરી શકાય. એ માટે મેં બી.એ. વિથ ઇંગ્લિશ પણ ફર્સ્ટ ક્લાસમાં પાસ કર્યું હતું.

પણ કુદરતને એ મંજૂર નહોતું કે હું શબ્દને સર્વથા સમર્પિત થવાની મારી કામના સંતોષું. એણે મને એટલી હદે એક પછી એક જંજાળોમાં, લડાઈઓમાં, નોકરીની જવાબદારીઓમાં, સ્થળાંતરોમાં ગૂંચવાતો અને પીડાતાં પીડાતાં આથડતો રાખ્યો કે પેલી ‘કુદરતી બક્ષિસ’ને હું સાવ ભોંયરામાં ભંડારીને માથે પલાંઠી મારીને બેસી ગયો. વચ્ચે એકાદી વાર્તા, કોઈ પરાણે લખાવતું તો લખાતી. 1976 માં મિત્ર ભગવતીકુમાર શર્માએ વારંવારની ઉઘરાણી, પછી છેવટે તાર કરીને ‘ગુજરાત મિત્ર’ ના દિવાળી અંક માટે વાર્તા મારી પાસે લખાવડાવી, તે ‘ચંદ્રદાહ’ (જે આગળ જતાં મારું ઓળખચિહ્ન બની ગઈ, પણ તે વાત જુદી છે.)

એ પછી થોડા જ સમયમાં મોહમ્મદ માંકડે નવી સ્થપાયેલી ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખની હેસિયતથી મને એમાં સભ્ય તરીકે લેવા ચાહ્યો ત્યારે મેં એમને લખ્યું કે, ‘રહેવા દો મને કોઈ ઓળખતું નથી. તમારી ટીકા અને મારી હાંસી થશે. મારા કરતાં રમેશ પારેખને લો.’

મારી વાત એમને સાચી લાગી હતી. એમણે એમ જ કર્યું હતું.

જિંદગીનાં ચાળીસ વર્ષ થવા આવ્યાં હતાં. પગાર, પ્રમોશન, બૅન્ક ડિપૉઝિટો મેળવવાની રેસ – એમાં મળી શકતાં ઈનામ – અકરામો મેળવવાની લાલસા – એમાં ખરા દિલથી પડી ગયો. 

મિત્ર વિનોદ ભટ્ટ એક વાર્તાકાર તરીકે મને ચાહતો હતો. એટલે એણે જીદ કરીને, પ્રકાશકને નવસો રૂપિયા સામેથી અપાવડાવીને મારો એક વાર્તા સંગ્રહ ‘ખલેલ’ બહાર પડાવ્યો હતો. એને ગુજરાત રાજ્યના ક્યૂરેટર ઑફ લાઇબ્રેરીઝ તરફથી બીજા ક્રમનું ત્રણસો રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું. પણ એ વસ્તુએ પણ મારામાં કોઈ ખાસ સંચાર જગાવ્યો નહોતો. હું તો એમ માનતો હતો કે મારામાં કોઈ લાયકાત નહોતી ને વિનોદ ભટ્ટે લગભગ લગાડીને એ ઇનામ અપાવ્યું હશે. જોકે એમ હતું નહીં.

રાષ્ટ્રીયકૃત બૅન્કમાં મૅનેજરના હોદ્દા ઉપર હતો – હવે શું ગુલાબ ખીલે ?

**** **** ****

1980 ની સાલમાં ઑગસ્ટની તેવીસમીએ હું જૂનાગઢથી અમદાવાદ બૅન્કમૅનેજરની મિટિંગમાં આવ્યો હતો. મોહમ્મદ માંકડ એ વખતે મોટા ‘સંદેશ’માં મળતા. તંત્રી ચીમનભાઈ પટેલના એ સલાહકાર હતા.સંદેશમાં એમને મળવા ગયો ત્યારે લાગલા જ એમણે કહ્યું : ‘સંદેશ’ માટે એક કૉલમ આપો ને !’

હું ઘા ખાઈ ગયો. મને તે વળી કૉલમ લખતાં આવડતું હશે ? મેં હસીને કહ્યું : ‘તમે 1961 માં મને ‘ફૂલછાબ’ માં એક કૉલમ ‘વ્યંગવિનોદ’ અપાવી હતી. બોલો, હું નિયમિત લખી શક્યો હતો ? રહેવા દો, મારું એ કામ નથી. એમાં તો ઘણી અથવા ઘણામાંથી એક આવડત જોઈએ. હાસ્ય, જ્યોતિષશાસ્ત્ર, ગણિતગમ્મત, ક્રિકેટ, આરોગ્ય, ફિલાટેલી, ઇતિહાસ, પ્રવાસ, જનરલ નૉલેજ, વાનગી, સજ્જા – બોલો મારી તો આમાંથી એકેયમાં ચાંચ બૂડે તેમ નથી. “મને એક જ ‘મુષ્ઠી’ નું જ્ઞાન” છે-વાર્તાનું. એય હવે તો કટાઈ ગયું છે ને તેમ છતાંય અઠવાડિયે અઠવાડિયે વાર્તા ના લખાય ને અઠવાડિયે અઠવાડિયે લખાય તે વાર્તા ના હોય, રહેવા દો.’

એ સહેજ ચિડાયા, ‘દુનિયા આખી કૉલમ મેળવવા મારી પાસે લાઈન લગાડે છે, ને એક તમે છો કે સામેથી આપું છું તો કપાળ ધોવા જાઓ છો ! કેવા માણસ છો તમે !’

‘વાર્તાતત્ત્વ’વાળા લખાણની માંગણી કરતું મહંમદ માંકડનું પોસ્ટકાર્ડ

એમને મારામાં પડેલા ‘કુદરતી બક્ષિસ’વાળા વાર્તાકાર પરત્વે વર્ષોથી પ્રેમ હતો – એ વહેમ હતો એમ હું માનતો હતો. પણ એમણે જક કરી ને મારી પાસે કબૂલ કરાવ્યું કે હું કૉલમ લખીશ. એમણે નામ પણ પાડી આપ્યું ‘ઝબકાર’ – ‘એક ફ્લૅશ થાય ને ફોટો ઝડપાઈ જાય, એમ તમે આ કૉલમમાં એવા પીસ આપો કે જેમાં એક ફ્લૅશમાં જીવનની છબી રજૂ થાય. તમે વાર્તાના જીવ છો, કરી શકશો. ના કેમ કરો ?’ એવું એ બોલ્યા હતા.

પાસ ના થાય એવો ચેક કોઈ પાર્ટીને લખી આપીને મંદી ઘેર્યો વેપારી દુકાને પાછો ફરે તેમ હું જૂનાગઢ ઉદાસ પાછો ફર્યો. ને બેમનથી મારી ચૅમ્બરમાં ગોઠવાયો. કેટલાયે વખતથી કાગળમાં અક્ષરેય પાડ્યો નહોતો. મગજ સાવ ખાલીખમ હતું. મોહમ્મદ માંકડે દસ દિવસની મહેતલ આપી હતી. પણ મને તો દસ મહિના લગી અક્ષરેય સૂઝે તેમ નહોતો.

દિવસ એ ખિન્નતામાં જ પસાર થયો. બૅન્કની કામગીરી આટોપી ઘેર જવાની તૈયારી કરતો હતો ત્યાં જ મરચાં મસાલાના વેપારી શિવલાલ તન્ના, ઊંચા, પડછંદ, એક હાથમાં ચાલુ બીડી ને બીજા હાથમાં છુટ્ટો રૂમાલ લટકાવીને ઝભ્ભાલેંઘામાં અંદર પ્રવેશ્યા : ‘સાહેબ, આજ તો મારી દુકાને પધારો !’

શ્રમજીવીવર્ગની વસાહતને નાકે આવેલી છૂટક મરચાં મસાલાની દુકાને ‘પધારી’ને શું મને કોઈ આહ્લાદક વિષયવસ્તુ મળવાનું હતું ! કુદરતનો ખેલેય મજાકભર્યો હતો. એ મેં જોયું – પણ કાંઈક એમના આગ્રહને વશ થઈને, ને કાંઈક પલાયન વૃત્તિનો માર્યો, હું ત્યાં ‘પધાર્યો’ ! પણ મન વધારે ગમગીન થઈ ગયું. શ્રમજીવીઓ દુકાનને બારણે ભીડ લગાવીને બે આનાનું મીઠું, બે આનાનું મરચું-હળદર-તેલ લેવા ઊભા હતા. સ્ત્રીઓની આંગળીએ નાગોડિયાં બાળકો હતાં – આમાં મને લખવાની શી સામગ્રી મળવાની હતી ! અધૂરામાં પૂરું મરચાંમસાલાની ધૂણીથી મને છીંકાછીંક થઈ પડી – એ ઓછું હોય તેમ સેકેરીનવાળી ‘હોમમેઈડ’ પીળી ફૅન્ટા પીવાથી ગળામાં બળતાર ઊપડી.

પણ એ પછી જે બન્યું તેણે મારી જિંદગીનો રાહ પલટી નાખ્યો-

દુકાનમાં બેઠાં પછી નજર ચોતરફ ખડકેલી સૂકાલીલાં મરચાંની ગૂણીઓ સાથે અથડાઈને પાછી ફરતી હતી ત્યાં મેં એક નવતર દૃશ્ય જોયું. ખડકેલી ગૂણીઓની વચ્ચે એક પીળી ચમકતી વસ્તુ દેખાતી હતી ! શું હશે એ ? કુતૂહલ પેદા થયું એટલે મેં એ પ્રશ્ન શિવલાલ તન્નાને પૂછ્યો – જવાબમાં એમણે કહ્યું, ‘એ તો મારું ગૂમડું છે !’ આવો વિચિત્ર જવાબ ? પણ પછી એમણે જે ખુલાસો કર્યો તે અનોખો હતો.

મરચાંની ગુણીઓ વચ્ચે બેસીને એવોર્ડ બતાવતા શિવલાલ તન્ના સાથે મારી (રજનીકુમારની) વાતચીત

હા, ખરેખર એમનું ગૂમડું જ હતું. મતલબ કે જખમ ! મરચાં મસાલાના બાપદાદાની વારીના આ ધંધાના આ માલિકને 1968 માં ફિલ્મના જબરદસ્ત શોખે કરીને ગુજરાતી ફિલ્મ બનાવવાનો ચસકો ઊપડ્યો હતો ને એણે પત્નીના દાગીના ગિરવે મૂકીને સોળ હજાર ઊભા કર્યા, બાકીના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનની લોનમાંથી ! પાછી એને બનાવવી હતી કોઈ નોંધપાત્ર ફિલ્મ. એણે ભવાઈ કલાની આજુબાજુ ગૂંથાતી વાતો પ્રાગજી ડોસા પાસે લખાવી. જયરાજ, વિજ્યાલક્ષ્મી, જયંત (અમજદખાનના પિતાઃ સત્યેન કપ્પુ જેવા હિંદી પડદાના કલાકારો લીધા. ઉપરાંત ઉમાકાન્ત દેસાઈ જેવા પીઢ અભિનેતા લીધા. અજિત મર્ચન્ટનું સંગીત લીધું. અત્યારે મશહૂર છે. એવા ગઝલ ગાયક જગજિતસિંહ પાસે ગુજરાતી ભજન ગવડાવ્યું. વીસનગરના અસલીમાં અસલી ભવાઈ કલાકારો પાસેનો ખજાનો એમાં ઠાલવ્યો. ચિત્ર અફલાતૂન બન્યું, પણ એનએફડીસીનું કર્જ હતું એટલે પ્રિન્ટ એમના કબજામાં ગઈ. માત્ર એક દિવસના પ્રીમિયર માટે રિલીઝ કરાવી, ફિલ્મ ‘બહુરૂપી’ ગુજરાતના સાહિત્ય અને કલા જગતના ધુરંધરોને બતાવી અને ભરપૂર પ્રશંસા મેળવી, પણ ટિકિટબારી પર એ ફિલ્મ કદી ના ચાલી. શિવલાલ દેવાની ગર્તામાં ડૂબી ગયા. અને ફરી આ દુકાનના થડે બેસી ગયા. પાછળથી એ ફિલ્મને ગુજરાત રાજ્યના નવ જેટલા ઍવોર્ડ મળ્યા. જેમાંનો એક નિર્માતા તરીકેનો શિવલાલને મળેલો. જે ભીંતે લગાડેલો ને મરચાંની ગૂણીઓ વચ્ચે દટાઈ ગયો. તેની ઉપર મારું ધ્યાન પડ્યું હતું.

….એ વાતચીતમાંથી આરંભ થયો લેખનસફરનો

એની આ એક વાતના ફ્લેશમાં જીવનની અંધારી ખીણ જેવી અકળતા મારા ચિત્તમાં અંકાઈ ગઈ. મને કમસે કમ કૉલમના પહેલા પીસ માટે મસાલો તો મળી જ ગયો. એ પછી શિવલાલ તન્ના જ મારી પાસે બીજા એક બેહાલ થઈ ગયેલા જાદુગરને લઈને આવ્યા.

મેં એમની કથા પણ કૉલમમાં લખી. મારામાં રહેલો ‘કુદરતી બક્ષિસ’વાળો વાર્તાકાર જાગી ગયો. આલેખન સત્ય ઘટનાનું – કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યૂ પર આધારિત,પણ એનું લેખન વાર્તાના ઢાંચામાં, માત્ર બાહ્ય ઢાંચો જ વાર્તાનો નહીં, પણ ઘટનામાં જે સૂક્ષ્મ વાર્તાબિંદુ હોય, તેને પણ એમાં અવતારવાનું. આ કાર્ય મારા માટે સહજ સાધ્ય હતું, કારણ કે મૂળભૂત રીતે જ હું વાર્તાનો જીવ હતો.

૨૬-૧૦-૮૦ના ”સંદેશ” માં છપાયેલો ”ઝબકાર” નો સૌ પ્રથમ લેખ, જેના થકી…શરૂ થઈ ખરેખરી લેખન સફર.

‘ઝબકાર’ કટાર સંદેશમાં એટલી બધી લોકપ્રિય, વિવેચકપ્રિય અને તંત્રી પ્રિય બની કે એના લેખને મને એક ચોક્કસ દિશામાં ગતિ પકડાવી દીધી.

થોડા જ વખતમાં ચં.ચી.મહેતા જેવા દુરારાધ્યોના મારા પર પત્રો આવવા શરૂ થયા, જે એમાંના કોઈ કોઈ પરથી રેડિયો નાટ્ય રૂપાંતર કરવા માંગતા હતા અને કર્યું પણ ખરું. કૃષ્ણવીર દીક્ષિત, સરોજ પાઠક, હીરાલાલ ફોફળિયા જેવાઓના પત્રો આવવા શરૂ થયા અને બહુ જલદી આર.આર.શેઠના માલિક ભગતભાઈ શેઠ મને મળવા નવસારી આવ્યા અને મારા ‘ઝબકાર’ નાં પુસ્તકો છાપવાનો કરાર કરી ગયા.

‘ઝબકાર’ માં બહુ લંબાણથી જીવનચિત્રો આલેખાવા માંડ્યાં. અને ઘણી વાર વ્યક્તિની મિષે સેવાકીય સંસ્થાઓનાં ચિત્રો પણ હું આલેખવા માંડ્યો. તેણે તો ચમત્કાર જ સર્જ્યા. શ્રમમંદિર જેવી સંસ્થાઓને મારા છ લેખની શ્રેણીથી ચાળીસ લાખનું દાન મળ્યું. બીજા અનેક અનેક… 1985 માં મને આના જ કારણે ફ્રાન્સ જવાનું નિમંત્રણ મળ્યું. 1989 માં એના જ કારણે મને રાષ્ટ્રીય કક્ષાનો ‘સ્ટેટસમેન’ ઍવોર્ડ કલકત્તામાં મળ્યો.

‘ઝબકાર’ દ્વારા મારા લેખનમાં નવો પ્રાણ ફૂંકાયો. હું વર્ષે એકાદ વાર્તા માંડ લખી શકતો હતો તે અઠવાડિયાના બબ્બે પીસ લખવા માંડ્યો – તંત્રી મારી પાસે નવલકથા માગતા થયા, ને એના કારણે ‘કુંતી’, ‘પુષ્પદાહ’, ‘ફરેબ’ જેવી નવલકથાઓ હું સર્જી શક્યો.

નવલકથાલેખનમાં ‘ઝબકાર’ નો શો ફાળો ? હા, મજબૂત ફાળો – ‘ઝબકાર’ને કારણે હું અનેકોના જીવનનું બહુ નિકટનું દર્શન પામ્યો. ને તેમાંથી જ મેં નવલકથાઓનું સર્જન કર્યું – મનુભાઈ પંચોળી ‘દર્શક’ દ્વારા જેની પ્રશંસા કરવામાં આવી છે તે સત્ય ઘટનાત્મક નવલકથા હકીકતે જીવન ચરિત્રાત્મક છે. એનું નામ ‘પરભવના પિતરાઈ.’

એ પછી વધુ વાતો લખવા માટે આ પ્લૅટફોર્મ નથી. વળાંક આપનારી ઘટના (અને એનું નિમિત્ત બનનાર મોહમ્મદ માંકડ) ની વાત અહીં પૂરી થાય છે. માત્ર એટલું ઉમેરું કે કટાર લેખનના અનુષંગે થયેલા બીજા અનેક પ્રકારના, અને વિપુલ લેખને છેવટે 1989 માં મને રાષ્ટ્રીયકૃત બૅન્કની ઉચ્ચ કક્ષાના મૅનેજર તરીકેની નોકરી છોડી દેવા મજબૂર કર્યો (યા એટલો સક્ષમ કર્યો, કે હું માત્ર લેખન પર જીવી શકું) મારાથી બે ઘોડે ચઢાય તેમ નહોતું. છેવટે મેં મારી એકાવન વર્ષની વયે એમાંથી રાજીનામું આપી દીધું. અને એ રીતે મને અણગમતા નીરસ કામમાંથી મેં છુટકારો મેળવ્યો.

વળાંકની શરૂઆત 1980 માં કૉલમ લેખનથી થઈ. 1989 માં એ વળાંકની તીવ્રતા આવી. હું કલમ નિર્ભર બન્યો. જે વખતે વી.આર.એસ. કે પેન્શન કાંઈ જ નહોતું, તે વખતે ભારે પગારની નોકરી છોડી દેવાનું સાહસ કરી શક્યો.

ગુલાબના છોડ પર એસ. એસ.સી .પાસ કર્યા પછી છેક ચોંત્રીસ વર્ષે ગુલાબની માત્ર એક કળી ફૂટી ! અને હવે જેવું છે તેવું મારુ ગુલાબનું આ પૂરું સિત્તેર ઉપરાંતના પુસ્તકો અને સર્જનોનું આખું ઉપવન છે.

Thursday, February 12, 2015

શ્રી રજનીકુમાર પંડ્યા … ઝબકાર … બ્લોગમાંથી સાભાર  

Rajanikumar Pandya’s blog links:

http://zabkar9.blogspot.com/

http://rajnikumarpandya.wordpress.com

શ્રી રજનીકુમાર પંડ્યાના લેખ જાણીતા બ્લોગ  ‘વેબગુર્જરી’ ઉપર પણ નિયમિત પ્રકાશિત થાય છે જેને આ લીંક પર વાંચી શકાશે.

http://webgurjari.in/2018/03/12/k-lal_1/

 શ્રી રજનીકુમાર પંડ્યા … એક પરિચય લેખ 

રજનીકુમાર પંડ્યા- ગુજરાતી સાહિત્યના મેધાવી સર્જક

(સૌજન્ય- ગુજરાતી સાહિત્ય સંગમ )

 

શ્રી રજનીકુમાર પંડ્યાનાં ધર્મપત્ની તરુલતાબેન દવેના દુખદ અવસાન પ્રસંગે શ્રધાંજલિ લેખ

વિનોદ વિહાર — પોસ્ટ નમ્બર 898

( 898 ) સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનાં ધર્મપત્ની તરુલતાબેન દવેનું દુખદ અવસાન- એક શ્રધાંજલિ

સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ઈ-મેલથી જાણીને દુખ થયું કે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને લોકપ્રિય લેખક શ્રી રજનીકુમાર પંડ્યાનાં ધર્મ પત્ની તરુલતાબેન દવેનું ૮૦ વર્ષની વયે તારીખ ૨૭-૪-૨૦૧૬ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે.

પાછલી ઉમરે તરુબેન અને રજનીકુમાર પંડ્યાની તસવીર

પાછલી ઉમરે તરુબેન અને રજનીકુમાર પંડ્યાની તસવીર

સ્વ.તરૂબેનનો ટૂંક પરિચય- રજનીકુમાર પંડ્યા 

“અમારાં પ્રેમ લગ્ન 15-8-1970 ના રોજ સંપન્ન થયાં હતાં.સદગત એક સુપ્રસિધ્ધ વાર્તાલેખિકા અને લઘુ કથા લેખિકા હતાં. ‘કોઇ ને કોઇ રીતે’ તેમનો મહત્વનો વાર્તાસંગ્રહ છે.જેને વલ્લભદાસ હેમચંદ એવૉર્ડ એનાયત થયો હતો.

પૂ મોટાનું જીવનચરિત્ર તેમણે ‘મહાજ્યોત મોટા:’ શિર્ષકથી પ્રગટ કરેલું હતું,

આકાશવાણી અને ટેલિવિઝન પરથી તેમની અનેક કૃતિઓ પ્રસારિત થઇ હતી. 

RAJNIKUMAR PANDYA  

My Blog link:

http://zabkar9.blogspot.com/

http://rajnikumarpandya.wordpress.co 

AS I HAVE SHIFTED TO NEW RESIDENCE,PLEASE NOTE THE CHANGE IN MY ADDRESS:

Rajnikumar Pandya
B-3/GF-11,AkankshaFlats,JaymaalaChowk,

Maninagar-Isanpur Road,AHMEDABAD-380050
Gujarat.INDIA.
Contact: +91 79 253 237 11(R)  
             +91 98980 15545 (M) /  WhatsApp- 095580 62711

Mial-rajnikumarp@gmail.com

PLEASE AVOID CALLING FROM 2  TO 4.30 PM    

ગુજરાત પ્રતિભા પરિચયમાં  તરુબેન દવેનો પરિચય.સાભાર- શ્રી સુરેશ જાની 

તારીખ એપ્રિલ ૨૭ ૧૦૧૬ ના રોજ શ્રી ઉત્તમભાઈ ગજ્જરે શ્રી રજનીકુમાર પંડ્યાને લખેલ દીલાસાનો ઈ-મેલ 

આદરણીય સ્વજન રજનીભાઈ, 

તરુલતાબહેનના અવસાનના દુ:ખદ સમાચારથી અમે વ્યથીત છીએ..

હા, કબુલ કે, આપણ સૌએ મોડા વહેલા તરુબહેન જ્યાં ગયાં ત્યાં જવાનું જ છે..

આપણુંયે રીઝર્વેશન થઈ જ ગયું છે; પણ વેઈટીંગ લીસ્ટમાં આપણ સૌનું નામ છે.

કન્ફર્મ થતાં સૌએ અંતીમ મુસાફરીએ ઉપડવાનું જ છે..

પણ આ વયે, ‘બેકલતા’માંથી ‘એકલતા’ જીરવવી વસમી હોય છે..

તમે તો, બહુશ્રુત છો, વીદ્વાન છો, વળી, ઉત્તમ સર્જક છો..

મારી પાસે તમને આશ્વાસન આપવા માટે કોઈ શબ્દ નથી..

આશા કે તમે સ્વસ્થ હશો અને કુદરતદીધી સર્જકતાને સહારે વધુ સ્વસ્થ થશો..

આ સપ્તાહે ‘સ.મ.’માં મોકલાતી બક્ષીસાહેબની કલમપ્રસાદી મોકલું છું.. 

તમારા સ્વાસ્થ્ય અને સ્વસ્થતા માટે પ્રાર્થના.. 

આપનાં, 

..ઉત્તમ.મધુ ગજ્જરના પ્રણામ.. 

તારીખ ૨૮-૪-૨૦૧૬ ના રોજ શ્રી રજનીકુમારભાઈને લખેલ મારો ઈ-મેલ…..

પ્રિય રજનીકુમારભાઈ, 

મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ઈ-મેલ દ્વારા આપનાં ધર્મપત્ની તરૂબેનના અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ થયું. 

પતિ-પત્નીનો સંસાર એક બીજાની હૂંફથી ચાલતો હોય છે.પત્નીને અર્ધાંગની કહેવામાં આવે છે એટલે એ જ્યારે વિદાય લઇ લે છે ત્યારે પતિનું અર્ધું અંગ જાણે કે ચાલ્યું ગયું હોય એવી અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.ઉત્તમભાઈએ જે એકલતાનો નિર્દેશ કર્યો એનો મને ૧૯૯૨ થી અનુભવ છે.મારી હાર્દિક હમદર્દી સ્વીકારશો. 

આપને હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે આજથી ૧૫ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યો હતો ત્યારે ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારી સંપાદિત આપના વિશેનું પુસ્તક “રજનીકુમાર -આપણા સૌના તારીખ ૧૨-૯-૨૦૦૦ ના રોજ આપના અક્ષરે લખેલી નોટ સાથે મને ભેટ મોકલાવેલું આપનું પુસ્તક મારા હાથમાં છે.આ પુસ્તકમાં આપના કુટુંબીજનો,મિત્રો અને સ્નેહીઓએ આપની સાથેના એમના અનુભવો શેર કરીને એમનો સ્નેહ બતાવ્યો છે. 

આ પુસ્તમાં તરૂબેનએ ત્વમેવ માતા ચ બંધુ ત્વમેવ નો આખો શ્લોક ટાંકીને એમના “ત્વમેવ સર્વમ” શીર્ષક સાથેના પ્રેમ નીતરતા લેખના અંતે આપના વિષે લખ્યું છે :

“મારા માટે એ બધું જ છે.બધાં જ સ્વરૂપોનાં દર્શન એમનામાં મેં કર્યા છે ….. છીંક આવે તો હથેળી ધરીને ઉભા રહે …. મને કે તર્જનીને કશું થાય ત્યારે એમની ચિંતાનો પાર રહેતો નથી.કહે “મને ભલે ગમે તે થાય, પણ તમને બે ને તો કશું  જ થવું ના જોઈએ .” 

” હું ઘણી વાર હસતાં હસતાં કહું પણ ખરી,” હાર્ટની દર્દી છું.વહેલી મરી પણ જાઉં “એ અકળાઈને બોલી ઉઠે :”એવું ન બોલ,તારા વગરના જીવનની હું કલ્પના કરી શકતો નથી.” …… બસ એક સ્ત્રીને જીવનમાં આથી વિશેષ જોઈએ પણ શું ?”

“રજનીકુમાર આપણા સૌના ” કહેવા જેટલી ઉદારતા કેળવવી એ શું ઓછું છે ?” 

—શ્રીમતી તરુલતા દવે

 

આવાં પ્રેમાળ પત્ની સાથે એક બીજાનાં પુરક બની જીવન જીવ્યા પછી પત્નીની વિદાય માનસિક રીતે એક શૂન્યાવકાશ મૂકી જાય છે.  

તરુબેન  ૮૦  વર્ષનું ભરપુર જીવન જીવીને ગયાં છે.પ્રભુ એમના આત્માને ચીર શાંતિ બક્ષે અને આપને તથા આપનાં સૌ  કુટુંબીજનોને એમની વિદાયથી પડેલ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રત્યે મારી હાર્દિક પ્રાર્થના છે.  

ઉપરોક્ત પુસ્તક “રજનીકુમાર-આપણા સૌના”માં તરુબેન અને અન્ય કુટુંબીજનો,સ્નેહી જનો સાથેના આપના ઘણા ફોટાઓ મુકવામાં આવ્યા છે.એમાંથી તરૂબેન સાથેના યુવાન વયના આપના આ બે ફોટાઓ સાથે સ્વ.તરુબેનને હાર્દિક શ્રધાંજલિ આપું છું.

પ્રથમ ફોટામાં નાની બાળક વયની એમની પ્રિય પુત્રી તર્જની સાથે ખુશ ખુશાલ દંપતી દેખાય છે.

 

 વિનોદ પટેલ,સાન ડીએગો