વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સોનલ પરીખ

1241- બા : મહાત્માનાં અર્ધાંગીની .. લેખક- અરુણ ગાંધી અનુવાદ : સોનલ પરીખ … પુસ્તક પરિચય

મહાત્મા ગાંધીજી વિષે ઘણું લખાયું છે અને હજુ પણ ઘણું લખાતું રહેશે. પરંતુ એમનાં જીવન સાથી અને અર્ધાંગીની કસ્તુરબા વિષે લખાએલું બહુ ઓછું જાણવા મળે છે.ગાંધીજીના જીવનમાં કસ્તુરબા પતિના પડછાયાની જેમ જીવ્યાં હતાં.એમની અંગત મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓને અવગણી એક ત્યાગમૂર્તિની જેમ બાપુને બધી રીતે સાથ આપ્યો હતો.

ગાંધીજી પોરબંદરના એક વણિક મોહનદાસ ગાંધીમાંથી વિશ્વવંદ્ય મહાત્મા ગાંધી બન્યા એ માટે ઘણાં કારણો હશે પરંતુ એમાં બાનો ફાળો ખુબ મહત્વનો રહ્યો છે.

અનજાણ પ્રતિભાવાન વ્યક્તિ કસ્તુર બા વિષે એમના પુત્ર મણીલાલના પુત્ર શ્રી અરુણ ગાંધીએ ખંતથી વિગતો એકઠી કરીને લખેલ એક દસ્તાવેજી પુસ્તક ”મહાત્માનાં અર્ધાંગીની ”મારફતે  એક પૌત્ર તરીકેની એમણે સુંદર ફરજ બજાવી છે.

આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કસ્તુરબાનાં પ્રપૌત્રી સોનલ પરીખએ કર્યો છે.આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.

આ બન્ને ગાંધી કુળનાં સંતાનોને આ પુસ્તક માટે જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. 

આ પુસ્તકની જાણવા જેવી વિગતો જાણીતા બ્લોગ સંડે-ઈ-મહેફિલના સંપાદક શ્રી ઉત્તમ ગજ્જર એ એમના બ્લોગમાં અને ફેસબુક પર પોસ્ટ કરેલ છે જે એમના આભાર સાથે આજની આ પોસ્ટમાં પ્રસ્તુત છે… વિનોદ પટેલ 

સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ..સન્ડે-ઈ-મહેફિલ/ફેસ બુક 

 

હમણાં એક સુંદર પુસ્તક વાંચવાનું થયું. તેનું નામ છે: ‘બા : મહાત્માનાં અર્ધાંગીની.’ શીર્ષક સુચવે છે તેમ, તેમાં ભારતની એક માતૃમુર્તી કસ્તુરબાની જીવનકથા છે. આ પુસ્તકને ‘ગુજરાત સાહીત્ય અકાદમી’ તરફથી વર્ષ 2016ના શ્રેષ્ઠ અનુવાદ તરીકે ઘોષીત કરવામાં આવ્યું છે.

કસ્તુરબા વીશે મોટા ભાગના લોકોની છાપ એવી છે કે તેઓ આદર્શ ભારતીય નારી હતાં. પતીના પગલાંમાં પગ મુકીને ચાલનારા હતાં. પ્રેમાળ માતા હતાં. એથી વીશેષ કોઈ પ્રતીભા એમનામાં હતી નહીં.

પણ તેમ ન હતું. તેઓ એક મહાત્માનાં અર્ધાંગીની હતાં જરુર; અંધ અનુગામીની નહીં, સમજદાર સંગીની હતાં. મહાત્માનાં અર્ધાંગીની બનવાની સાધનાએ તેમનામાં રહેલી સ્ત્રીને અને માતાને અનેક નવાં પરીમાણો આપ્યાં હતાં. તેમનામાં રહેલી સહજ સુઝ અને દૃઢતાએ મહાત્માને પણ અનેકવાર દોર્યા હતા. તેથી જ બાપુ બાને પોતાનું ‘શુભતર અર્ધાંગ’ કહેતા.

‘બા : મહાત્માનાં અર્ધાંગીની’ પુસ્તકની વીશેષતા એ છે કે તેને મુળ અંગ્રેજીમાં લખનાર અરુણ ગાંધી કસ્તુરબાના પૌત્ર છે અને તેનો અનુવાદ કરનાર સોનલ પરીખ કસ્તુરબાનાં પૌત્રીનાં પૌત્રી છે.

અહીં હું આ બન્નેનો થોડો પરીચય તેમ જ પુસ્તક પર કામ કરતી વખતના તેમના મનોભાવોના અંશો આપું છું :

ડૉ. અરુણ મણીલાલ ગાંધી કસ્તુરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ 14 એપ્રીલ, 1934માં દક્ષીણ આફ્રીકાના ફીનીક્સ આશ્રમમાં થયો હતો. માતા–પીતા સુશીલા અને મણીલાલે પોતાનાં સન્તાનોને બાપુ–ચીંધ્યા માર્ગે ઉછેર્યાં હતાં

બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહીના તેમણે બા–બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષીણ આફ્રીકાનો રંગભેદ અને ત્યાંનું હીંસાથી ખદબદતું વાતાવરણ જોઈ, અરુણનું યુવાન લોહી ઉકળી ઉઠતું. બાએ તેને, તેના આક્રોશને વીધ્વંસક માર્ગે ન લઈ જતાં, પરીવર્તન માટેની શક્તી બનાવતાં શીખવ્યું હતું.

કેટલોક સમય ભારતમાં ગ્રામીણો માટે કામ કર્યા બાદ, અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા, શાન્તી અને અહીંસાની વાત વીશ્વફલક પર મુકવાનું સ્વપ્ન લઈ અમેરીકામાં સ્થીર થયાં. 2007માં સુનંદાએ ચીરવીદાય લીધી.

શાન્તી અને અહીંસાનાં બીજ દુર દુર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતાં અરુણ ગાંધી, પોતાને ‘શાન્તીખેડુત’(પીસ ફાર્મર) ગણાવે છે અને એક દીવસ શાન્તીનાં આ બીજ, હરીયાળો પાક બની, માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે..

સોનલ પરીખના પીતા ડૉ. પ્રબોધ પારેખનાં મા રામીબહેન, મહાત્મા ગાંધીના મોટા પુત્ર હરીલાલનાં પુત્રી. માતા–પીતા માધવી અને પ્રબોધે પોતાનાં સંતાનોને મહાત્માના વંશજ હોવાની સભાનતા આપ્યા વીના, સાદાઈ અને સહજતાથી ઉછેર્યાં છે.

પત્રકારત્વ અને સર્જનાત્મક લેખનને પોતાની કારકીર્દી બનાવનાર સોનલ પરીખે, મુમ્બઈના ભારતીય વીદ્યાભવન, ગાંધી સ્મારકનીધી(મણીભવન) તેમ જ મુમ્બઈ સર્વોદય મંડળ જેવી સંસ્થાઓમાં લેખન, સંશોધન અને વહીવટી કાર્યોનો અનુભવ લીધો છે અને ‘જન્મભુમી’નાં તંત્રીવીભાગમાં કામ કર્યું છે. હાલ બેંગલોર રહી ‘જન્મભુમી’, ‘જન્મભુમી પ્રવાસી’, ‘પ્રબુદ્ધ જીવન’, ‘નવચેતન’, ‘કવીતા’, ‘વીચારવલોણું’માં કૉલમો લખવા ઉપરાંત અનુવાદો કરે છે અને સ્વતંત્ર પુસ્તકો લખે છે.

હવે આ બન્ને, કસ્તુરબા વીશે લખવા કેમ પ્રેરાયાં? એમના જ શબ્દોમાં જોઈએ :

લેખક અરુણ ગાંધી કહે છે :

‘મોહનદાસ કરમચંદ ગાંધી’નું વ્યક્તીત્વ એવું વીરાટ હતું કે તેની નજીકનું બીજું કોઈ દેખાય નહીં. મારાં દાદી કસ્તુરબા અને મારા પીતા મણીલાલ–આ બન્નેએ મારા દાદા મહાત્મા ગાંધીના વીચારો અને વ્યક્તીત્વમાં પોતાને ઓગાળી દીધાં હતાં.

આધુનીક, પશ્ચીમી મુલ્યોમાં માનનારાઓ મોહનદાસ પર આરોપ પણ મુકે છે કે એમની છાયામાં બીજા બધાંનો વીકાસ રુંધાઈ ગયો. પણ બાપુ પાસે મહાન ધ્યેય હતું, આદર્શો હતા, તેમની એક દૃષ્ટી હતી, વ્યક્તીને પરીવર્તીત કરવાની શક્તી પણ હતી. તેનાં પરીણામે કસ્તુરબા અને મણીલાલે અને બીજા અનેકે પોતાની વ્યક્તીગત પ્રાપ્તી વીશે વીચારવા કરતાં પોતાનાં જીવન બાપુને સમર્પીત કરવાનું વધુ પસંદ કર્યું હતું.

જેમણે કસ્તુરબાને જોયાં છે તેમને ‘બા’ શબ્દનો, માતૃત્વનો સાચો અર્થ સમજાયો છે. મને હમેશાં એક પસ્તાવો રહ્યો કે હું બાને પુરાં જાણી ન શક્યો. મેં છેલ્લે તેમને જોયાં ત્યારે હું પાંચ વરસનો હતો. 1939ની એ સાલ હતી. મારા પીતા મણીલાલે ત્યારે દક્ષીણ આફ્રીકામાં રહી બાપુએ 1873માં શરુ કરેલા આંદોલનને આગળ ધપાવતાં અહીંસક માર્ગે સામાજીક અને રાજકીય પરીવર્તનોની દીશામાં કામ ઉપાડેલું હતું. દર ચાર વર્ષે એક વાર તેઓ ભારત આવીને પરીવારને મળતા. દાદા–દાદીનું હુંફભર્યું, સતત વરસતું હેત મારી બાલ્યવયની સ્મૃતીઓનું ધન છે.

બા પ્રત્યેના પ્રેમ ઉપરાંત બીજી એક વાતે પણ મને બા વીશે જાણવા પ્રેર્યો. તે એ કે બાને જે થોડા લોકો ઓળખે છે તે સીવાય બાકીના મોટા ભાગના લોકો એવું માને છે કે બા એક અલ્પશીક્ષીત, સાધારણ અને સુશીલ સન્નારી હતાં. પતીને અનુસરતાં; પણ પતી જે વીરાટ કાર્યો કરતા તેના વીશે ભાગ્યે જ કંઈ સમજતાં.

હું આવું માનવા તૈયાર ન હતો. મારા અને મારાં માતાપીતાના અનુભવો જુદું કહેતા હતા. બાએ ઔપચારીક શીક્ષણ ખુબ ઓછું લીધું હોવા છતાં; તેઓ અજ્ઞાન કે અલ્પમતી ન હતાં. ઈતીહાસ મારાં દાદીને અવગણે તે હું સાંખી ન શકું. ઘણી જહેમતોને અન્તે અમે એ નીષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં બાની એક અગત્યની ભુમીકા હતી. બાપુને મહાત્મા બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. બાનું સમર્પણ, તેમની પોતાની એ પ્રતીતીને લીધે પણ હતું કે આ જ રસ્તો સાચો છે. ગુલામી કે અંધ અનુકરણ કદી બાના સ્વભાવમાં ન હતું.

‘સત્યના પ્રયોગો’માં બાપુએ લખ્યું છે કે અહીંસાની મુળભુત તાલીમ તેઓ બા પાસેથી પામ્યા છે. બા નીષ્ક્રીય ન હતાં. આક્રમક પણ ન હતાં. તેમને જે સાચું લાગતું, યોગ્ય લાગતું, તે મક્કમતાથી કરતાં. પતીની કોઈ વાત ગળે ન ઉતરે ત્યારે બા દલીલો ન કરતાં; પણ શાન્તીથી મક્કમતાથી તેને યોગ્ય માર્ગે વાળતાં, સત્ય તરફ પ્રેરતાં, અહીંસાના તત્ત્વજ્ઞાનનો આ જ અર્ક છે તેમ બાપુ હમ્મેશાં કહેતા.

પણ બા વીશે જાણવાનું બહુ જ મુશ્કેલ હતું. તેમણે પોતે કશું લખ્યું નથી અને તેમના જીવનના સન્દર્ભો ખોવાઈ ગયા છે. પોરબન્દરના પુરમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ ધોવાઈ ગયા છે. બાનાં માતાપીતા અને ભાઈઓ વહેલી વયે મૃત્યુ પામ્યાં. બાપુએ પોતાનાં લખાણોમાં આપેલા સન્દર્ભો સીવાય બાના પરીવારના ઈતીહાસ વીશે જાણવાનો કોઈ આધાર નથી.

એટલે મારા અને મારાં પત્ની સુનન્દાના સંશોધનનો મુખ્ત સ્રોત રહ્યો, મૌખીક ઈતીહાસ. આ ઈતીહાસ આપનારા તમામની દૃષ્ટી બાપુની પ્રેરક સ્મૃતીઓથી અંજાયેલી હતી. બાને કેન્દ્રમાં રાખી વાતો કઢાવવામાં અમારે ધીરજ અને ખંતની ભરપુર જરુર પડતી. 1960થી અમે મુલાકાતો લેવા માંડી, રેકૉર્ડીંગ કરવા માંડ્યાં. બાની સાથે થોડુંયે રહ્યા હોય તેવા લોકોને અમે શોધતા રહેતાં.

છેવટે પુસ્તક તો તૈયાર થયું; પણ યુરોપ–અમેરીકાના કોઈ પ્રકાશક તેને છાપવા તૈયાર નહીં ! ‘કસ્તુરબામાં કોને રસ પડે? તમે તમારા દાદા મહાત્મા ગાંધી વીશે કેમ નથી લખતા ?’ – એવા પ્રતીભાવ મળતા.

અમને આશ્ચર્ય થતું. મહીલાઓના અધીકાર માટે અમે જાગ્રત, તેથી બાનાં જીવન અને કાર્યો વીશે ઉતરતો મત સ્વીકારીએ નહીં. સહેલાઈથી હાર માનીએ નહીં. છેવટે 1979માં એક જર્મન પ્રકાશક વેલાખ હીન્દા ઉન્દ દીલ્માએ તેની જર્મન આવૃત્તી પ્રગટ કરી. 1983માં મેક્સીકો યુનીવર્સીટીએ તેનું સ્પૅનીશ ભાષાન્તર પ્રગટ કર્યું.

પુસ્તકની અંગ્રેજી આવૃત્તીના પ્રકાશનમાં હજુ વીઘ્નો આવ્યાં જ કરતાં હતાં. તેની વાત ન કરીએ તેટલું જ સારું. અમે આશા છોડી દેવાની તૈયારીમાં જ હતાં, એ વખતે ઓઝાર્ક માઉન્ટન નામે એક પ્રકાશકે છેવટે પુસ્તક છાપ્યું

બા–બાપુ અભીન્ન છે એટલે એક રીતે આ બા–બાપુની સહીયારી જીવનકથા છે. બાની કહાણી, બાપુના જીવન જેવી નાટ્યાત્મક નથી; પણ છતાં એ કહાણી અલગ છે, અજોડ છે, પ્રેરક છે. મને આશા છે કે પ્રેમપુર્વક કરેલો અમારો આ પરીશ્રમ સાર્થક થશે.
–અરુણ ગાંધી

અને પ્રાસ્તાવીક ‘કિંચીત્’માં અનુવાદીકા સોનલ પરીખ લખે છે :

‘કસ્તુરબા મારાં દાદીનાં દાદી.’

લોહીનો આ સમ્બન્ધ ન હોત તો પણ કસ્તુરબાને સમજવાની ઝંખના, એક સ્ત્રી તરીકે, એક સર્જક તરીકે, મારામાં જાગી જ હોત એમ હું ચોક્કસ માનું છું.
તેર વરસની ઉમ્મરે પોતાનાથી થોડા મહીના નાના મોહનદાસ સાથે તેમનાં લગ્ન થયાં. બાસઠ વર્ષના દામ્પત્ય દરમીયાન મોહનદાસ મહાત્મા બન્યા, અંગત અને જાહેરજીવનનાં શીખરો સર કરતા ગયા, સત્યાગ્રહની અત્યન્ત મૌલીક પદ્ધતી શોધી, દક્ષીણ આફ્રીકામાં અને હીન્દમાં વીરાટ કાર્યો કર્યાં, દેશને બ્રીટીશ શાસનથી મુક્ત કર્યો, સમગ્ર વીશ્વની ગરીબ, શોષીત માનવજાતને પાંખમાં લેવા ધાર્યું. આવા નીત્ય પરીવર્તનશીલ અને સત્યશોધક, આદર્શો અને સીદ્ધાન્તો માટે મોટા ભોગ આપવા અને અપાવવા કટીબદ્ધ મહાત્માનાં અર્ધાંગીની બનવું એ બહુ કપરું, ગજું માંગી લે તેવું કામ છે.

બાપુનાં જીવનકાર્યો અને દેશના ઈતીહાસનાં મહાપરીવર્તનો સાથે, બાનું જીવન અભીન્નપણે વણાયેલું છે. બાપુની પડખે રહી, બાએ પણ વીરાટ ઐતીહાસીક ઘટનાઓનાં મુળમાં, પોતાની પ્રાણશક્તી સીંચી છે. કાઠીયાવાડની એક સંસ્કારી પણ નીરક્ષર કન્યામાંથી રાષ્ટ્રમાતા બનતાં સુધીની બાની યાત્રાના વળાંકો અને પડાવો કેવા હશે? તેમણે કેવાં સમાધાનો કર્યાં હશે, શું છોડ્યું હશે, શું અપનાવ્યું હશે, પોતાને કેવી રીતે સજ્જ કરતાં રહ્યાં હશે, તેની કલ્પના કરું, ત્યારે મારા મનમાં જે રોમાંચ જાગે છે, જે ઉથલપાથલ થાય છે, તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.

ડૉ. અરુણ ગાંધી–મારા અરુણમામા–નું પુસ્તક ‘ધ ફરગોટન વુમન’ વાંચ્યું ત્યારે એક પૌત્ર તરીકે કસ્તુરબાને સમજવાની અને તેમના વ્યક્તીત્વને વીશ્વ સમક્ષ રજુ કરવાની અરુણમામાની તાલાવેલી મને ઉંડે સુધી સ્પર્શી ગઈ. તેમણે અને સુનંદામામીએ બાના જીવનચરીત્રના આલેખન માટે પુષ્કળ જહેમત ઉઠાવી છે અને ઉપલબ્ધ માહીતી સાથે કલ્પનાનું સંયમીત સંતુલન સાધતા જઈ, અત્યન્ત સુન્દર રીતે, પ્રેમપુર્ણ નજાકત સાથે, બાનું અનોખું જીવન શબ્દબદ્ધ કર્યું છે. પુસ્તકમાંથી પસાર થતાં આપણે જાણવા પામીએ છીએ કે બા અંધ અનુગામીની ન હતાં, સમજદાર અને પ્રેમાળ જીવનસંગીની હતાં. તેમનું માતૃત્વ તેમનાં સન્તાનો અને સન્તાનોનાં સન્તાનોથી વીસ્તરી હજારો–લાખો દેશવાસીઓ સુધી પહોંચ્યું હતું.

અનુવાદમાં ‘જીવ’ આવે તે અનુવાદની પહેલી શરત છે. સુરેશ દલાલ ‘અનુવાદ’ માટે ‘અનુસર્જન’ શબ્દ વાપરતા. પુસ્તક સાથે સર્જનાત્મક રીતે સંકળાઈ શકાય તો જ અનુસર્જન બની શકે. મેં પુરી મહેનત કરી છે, મહીનાઓ સુધી બા સાથે તદાકાર બની છું, તેમના સમયમાં–તેમના ફલક પર જીવી છું તેમની સાથે વલોવાઈ પણ છું. આશા છે કે અમારાં, આપણાં સૌનાં બાની આ રસપુર્ણ અને પ્રેરક જીવનકથા ગુજરાતીવાચકોની નવી પેઢીને પણ ગમશે.
–સોનલ પરીખ

(લેખક અને અનુવાદીકાનાં લખાણો સહેસાજ સાભાર ટુંકાવીને..)

તો આમ વાત છે. અવકાશે પુસ્તકના અંશ પણ આપવા ધારીએ છીએ.
(કારણ કે આમાં ‘કસ્તુરબા’ વીશે પુસ્તકમાંનું કશું જ મુકી શકાયું નથી!)
– ઉત્તમ ગજ્જર અને સમ્પાદકો..

પુસ્તક પ્રાપ્તિની માહિતી ….

(પુસ્તકના લેખક : અરુણ ગાંધી; અનુવાદ –સોનલ પરીખ : sonalparikh1000@gmail.com

મુલ્ય : બસો રુપીયા; પાન સંખ્યા–270; પ્રથમ આવૃત્તી : ઓક્ટોબર, 2016;

પ્રકાશક અને મુદ્રક : વીવેક જીતેન્દ્ર દેસાઈ, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ–380 014; ફોન : 079-2754 0635 અને 079-2754 2634;

eMail : sales@navajivantrust.org Website : http://www.navajivantrust.org

‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 411 –October 14, 2018
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Source- https://www.facebook.com/uttam.gajjar.92/posts/2034840676566140

 

Kasturba is seen washing feet of her husband Gandhiji . Sardar Patel is also seen looking at this memorable scene of love between this great couple !

ગાંધીજી,કસ્તુરબા અને પ્રેમ પત્રો

અગાઉ વિનોદ વિહારની પોસ્ટમાં પ્રસિદ્ધ કરેલ શ્રી તેજસ વૈદ્ય લિખિત નીચેનો લેખ આજની આ પોસ્ટની પૂર્તિ કરે છે.ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે પ્રેમનું કેવું અતુટ બંધન હતું એ બાપુના બાને લખેલ પ્રેમ પત્રોમાંથી જણાઈ આવે છે.

 ગાંધીજીના કસ્તુર બા ને લખાએલ લવ લેટર્સ !…તેજસ વૈદ્ય

( 1008 ) મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ …… સોનલ પરીખ

૩૦મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિને  દેશ અને પરદેશમાં પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી .

આજથી ૬૯ વર્ષ અગાઉ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધીએ પોતાના જીવનની આહુતિ આપી હતી .ગાંધી દેશ માટે જીવ્યા હતા અને દેશ માટે શહીદ બની એમનાં કાર્યોથી વિશ્વમાં અમર બની ગયા.

વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર બર્નાડ શો એ મહાત્મા ગાંધી વિષે કહ્યું હતું કે –

“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

મારી નીચેની અછાંદસ રચનાથી પૂજ્ય બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું.

ગાંધી અને આઝાદી …અછાંદસ રચના

Gandhi Sketch- Vinod Patel

પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ એ ભારત બન્યો આઝાદ,

ખુશી ફરી વળી, સમગ્ર દેશે ખુબ જશન મનાવ્યો,

દિલ્હીમાં દેશ નેતાઓ ઉજવણીમાં હતા મગ્ન ,

પણ આઝાદીની લડતમાં આગેવાની લેનાર,

દેશ માટે જીવન ખપાવનાર દુખી રાષ્ટ્રપિતા ,

અલિપ્ત રહ્યા, ગેરહાજર રહ્યા એ ઉજવણીમાં,

ક્યાં હતા એ જશન ટાણે, અને શું કરતા હતા ?

કોમી દંગાઓથી દુખી આ દેશનેતા, એ વખતે,

દિલ્હીની ઉજવણીની ખાણી પીણીથી ઘણે દુર ,

બંગાળના નાના ગામમાં અનશન  ઉપર  હતા !

 નિસ્પૃહી હતા આ દીન દુખિયા મહાત્મા ગાંધી !

કેવી કરુણતા કે ,આઝાદીના માત્ર છ માસ પછી ,

એક ખૂનીના હાથે, દેશ માટે તેઓ શહીદ થયા .

દેશ માટે જીવનાર અને મરનાર આ રાષ્ટ્રપિતાને,

શહીદીની ૬૯મી સંવત્સરીએ દિલી સ્મરણાંજલિ. 

–વિનોદ પટેલ

=========

રીડ ગુજરાતી.કોમના સૌજન્યથી ગાંધી ઉપરનો મને ગમેલો એક લેખ મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ “ એનાં લેખિકા સાહિત્યકાર સુશ્રી સોનલ પરીખના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ…..સોનલ પરીખ

મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ અત્યંત સીધુંસાદું હતું,સાથે અનેક પરિમાણીય અને માપનનાં કોઈ ધોરણોમાં બંધ ન બેસે તેવું વિરાટ હતું. તેઓ વિજ્ઞાન અને ટેકનોલૉજીના પ્રખર વિરોધી હતા એવી એક વ્યાપક માન્યતા છે. સાથે અનેક બુદ્ધિજીવીઓ ગાંધીજી આજે હયાત હોત તો કૉમ્પ્યુટર અને ઈન્ટરનેટનો માનવીય નિસબત અને માનવ વિકાસના સંદર્ભે સારામાં સારો ઉપયોગ કરતા હોત તેવું પણ માને છે.

તાજેતરમાં એક દળદાર અંગ્રેજી પુસ્તક પ્રકાશિત થયું છે : ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ’ – જેમાં રેંટિયા જેવા સાદા યંત્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને આત્મનિર્ભરતાનું પ્રતીક બનાવનાર મહાત્મા ગાંધીના ઈન્ટરનેટ યુગ સાથેનાં જોડાણની એક શક્યતા વર્ણવાઈ છે. પ્રસ્તુત છે વાચકો માટે એ પુસ્તકની થોડી રોચક વાતો….

વર્ષ 1931ના ડિસેમ્બર મહિનામાં મહાત્મા ગાંધી અને યુરોપના નૉબલ પ્રાઈઝ વિજેતા ચિંતક રોમા રોલાં – આ બે સુપ્રસિદ્ધ મહાપુરુષો વચ્ચે એક વાર્તાલાપ થયો હતો. આજે પણ એને વાંચીને મન પ્રકાશિત થઈ ઊઠે. તેનો એક અંશ જોઈએ.

રોમા રોલાં : તમે સત્યને ઈશ્વર શા માટે કહો છો ?

મહાત્મા ગાંધી : હિંદુઓમાં ઈશ્વરનાં હજારો નામ છે, પણ તેમાંનું એક પણ નામ ઈશ્વરની વિભૂતિને સર્વથા વ્યક્ત કરતું નથી. ઈશ્વર તેનાં સર્વ સર્જનોમાં- દરેક જીવમાં રહેલો છે. તેથી તેનું કોઈ એક નામ ન હોઈ શકે તેમ પણ આપણે કહીએ છીએ. પણ મારે માટે ઈશ્વરને વ્યક્ત કરી શકે તેવો જો કોઈ એક શબ્દ હોય તો તે સત્ય છે. પહેલાં હું કહેતો, ઈશ્વર સત્ય છે. પણ હવે હું માનું છું કે સત્ય ઈશ્વર છે.

રોમા રોલાં : પણ સત્ય એટલે શું ?

મહાત્મા ગાંધી : પ્રશ્ન અઘરો છે, પણ મેં મારા પૂરતું શોધી કાઢ્યું છે કે મારા અંતરાત્માનો અવાજ તે જ મારું સત્ય.

રોમા રોલાં : સત્ય એ જ ઈશ્વર હોય તો હું માનું છું કે ઈશ્વર એટલે પૂર્ણ આનંદ. સાચી કલા, નિરામય સૌંદર્ય, સૌજન્ય, સહજ આનંદ – આ ઈશ્વરનાં રૂપો છે.

મહાત્મા ગાંધી : હિંદુ ધર્મમાં ‘સચ્ચિદાનંદ’ શબ્દ છે. એનો અર્થ પણ આ જ છે. સત્ય આનંદવિહોણું ન હોઈ શકે. તેની શોધમાં હતાશા, યાતના, થાક બધું નથી આવતું તેમ નથી, પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે નિર્ભેળ આનંદ જ હોય છે.

આ અંશ એક દળદાર પુસ્તક ‘મ્યુઝિક ઑફ ધ સ્પિનિંગ વ્હીલ : મહાત્મા ગાંધીઝ મેનિફેસ્ટો ફોર ધ ઈન્ટરનેટ એજ’ ના એક પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે.

સત્ય, સત્ય પ્રાપ્તિનો નિર્ભેળ આનંદ અને સામાન્ય માનવીને પોતાનામાં રહેલાં સત્ય અને સત્વથી પરિચિત કરાવવો તે હતું મહાત્મા ગાંધીનું જીવન ધ્યેય. એક ગુલામ દેશનો હડધૂત થતો ગરીબ ગ્રામજન પણ પોતાની જાતને નિરુપયોગી કે અસહાય ન મહેસૂસ કરે તે માટે તેમણે તેના હાથમાં ચરખો મૂક્યો. ચરખાએ એ યુગમાં એવી ક્રાંતિ સર્જી કે ભારતનું નિર્માલ્ય પ્રજાજીવન એક વિરાટ ચૈતન્ય બની પોતાને જકડી રાખનાર સાંકળોને તોડી શક્યું.આ સંદર્ભે આ પુસ્તકના લેખક સુધીન્દ્ર કુલકર્ણી જે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ  બિહારી વાજપાઈના અંગત સહાયક હતા, તેમણે એક રસપ્રદ વાત કરી છે કે જે ક્રાંતિ ચરખાએ ગાંધીયુગમાં કરી હતી એ ક્રાંતિ-સામાન્ય માનવીના સશક્તીકરણની- આજે ઈન્ટરનેટે કરી બતાવી છે.

ઈન્ટરનેટ વાપરતો વૃદ્ધ કે અશક્ત માનવી દુનિયાના એક ખૂણામાં બેસીને માહિતી, જ્ઞાન ને મનોરંજન મેળવી શકે છે. સમય બદલાતો જાય તેમ સાધનો બદલાતાં જાય : ત્યારે ચરખો હતો, આજે ઈન્ટરનેટ છે. પણ ધ્યેય બન્નેનું એક જ છે – અને તો પછી ઈન્ટરનેટ એક સાચા માનવપ્રેમી મહાત્મા ગાંધીની વૈચારિક ક્રાંતિનો જ એક ચહેરો કેમ ન હોઈ શકે ? સુધીન્દ્ર કુલકર્ણી ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની કોલમમાં પણ આ વાત વારંવાર કહેતા.

મહાત્મા ગાંધીનો જન્મ 1869માં થયો. ઈન્ટરનેટનો જન્મ તેનાgandhi-internet બરાબર સો વર્ષ પછી એટલે કે 1969માં થયો. ઈન્ટરનેટ યુગનું એક સીમાચિહ્ન એટલે સ્ટીવ જૉબ્સ.

સ્ટીવ જૉબ્સે 1990ના દાયકામાં એપલનું મશહૂર ‘થીંક ડિફરન્ટ’ એડવર્ટાઈઝિંગ કૅમ્પેન શરૂ કર્યું ત્યારે તેણે મહાત્મા ગાંધીનો ચરખા સાથેનો ફોટોગ્રાફ પસંદ કર્યો હતો, જેના પર ‘થીંક ડિફરન્ટ’ ઉપરાંત ‘બી ધ ચૅન્જ યુ વીશ ટુ સી ઈન ધ વર્લ્ડ’ એવું મહાત્મા ગાંધીનું અવતરણ હતું.

ડિજિટલ ટેકનૉલૉજીના અનેક ચહેરા છે, પણ તેના સંશોધન સાથે ઊંડી સામાજિક નિસબત જોડાયેલી છે. ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડાયેલા તમામ ‘જેન્યુઈન’ સંશોધકોનું ધ્યેય ધન નહીં, પણ માનવજાતની સેવા અને સર્જનાત્મકતાનો આવિષ્કાર છે. આ સંશોધકો કહે છે કે ડિજિટલ ક્રાંતિ ખરેખર તો પ્રકૃતિના ઉત્ક્રાંતિના નિયમને અનુસરે છે.

પ્રકૃતિમાં વિકાસ છે, પણ સંઘર્ષ નથી, સહકાર છે. ગાંધીએ પણ આ સિદ્ધાંત માનવવિકાસના પાયામાં જોયો છે. જોકે, ઈન્ટરનેટ વ્યાવસાયિકતાને રાજકારણની સાંકડી સીમાઓથી નિયંત્રિત થાય તો તે માનવવિકાસને બાધક નીવડે છે, જેમ માનવીનું મગજ નૈતિક મૂલ્યોવિહોણી બુદ્ધિથી ગેરમાર્ગે દોરવાય અને વિકાસને બદલે પતન લાવે તેમ.

સ્ટીવ જૉબ્સ કહે છે, ‘માનવીનું મન અત્યંત ઉધમાતિયું છે, જેમ તમે તેને શાંત પાડવા જાઓ તેમ તે વધુ ધાંધલ કરે છે, પણ એકવાર જો તે શાંત થાય તો એક સાચી ક્ષણમાં રહેલી અપરંપાર શક્યતાઓને જોઈ શકે છે.’ ‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે, ‘મન અશાંત પક્ષી જેવું છે. જેમજેમ તેને વધુ પ્રાપ્તિ થાય તેમતેમ તેની ઝંખના વધતી જાય છે. તેના અસંતોષનો કોઈ અંત નથી.’ ‘પ્રાર્થના, ઉપવાસ, મૌન અને કાંતણ વડે તે શાંત થાય છે અને ચરખાના મધુર ગુંજારાવ જેવો પોતાના આત્માનો અવાજ પછી તે સાંભળી શકે છે.’

સ્ટીવ જૉબ્સે ભારતમાં આવ્યા બાદ પોતાનું નિરીક્ષણ આ શબ્દોમાં નોંધ્યું છે : ‘અમેરિકા અને ભારત વચ્ચે અત્યંત વિરાટ સાંસ્કૃતિક તફાવત છે. ભારતની ગ્રામીણ પ્રજા અમેરિકાના લોકોની જેમ બુદ્ધિના આધારે નથી જીવતી. આ પ્રજા પોતાની સહજ સ્ફુરણાના આધારે જીવે છે અને આ તેમની આ શક્તિ વિશ્વની અન્ય પ્રજાઓ કરતાં અનેક ગણી વધુ વિકસિત છે. હું માનું છું કે ઈન્ટ્યુઝન ઈઝ મોર પાવરફુલ ધેન ઈન્ટલેક્ટ. મારા જીવન પર આ બાબતની બહુ મોટી અસર છે.’

8 એપ્રિલ, 1921માં ભારતભ્રમણ કર્યા બાદ એક વ્યાખ્યાનમાં ગાંધીજીએ કહ્યું હતું, ‘આ પ્રવાસમાં મેં જોયું કે ભારતની ગ્રામીણ સ્ત્રીઓ આપણે તેમને માનીએ છીએ તેવી બુદ્ધિહીન કે અસંસ્કારી નથી. તેઓ પોતાની સહજ સમજના આધારે ભણેલા ભારતીયોના વિચાર વાદળમાં ધૂંધળું જોતી દષ્ટિ કરતાં વધુ સ્પષ્ટ જોઈ શકે છે.’

લેખક કહે છે, ‘ઈન્ટરનેટ અને અન્ય ડિજિટલ ટેકનૉલૉજી મહાત્માના વિચારોનું વહન કરવાનું સામર્થ્ય ચોક્કસ ધરાવે છે.’ ઈન્ટરનેટમાં ગાંધી જેમાં માનતા તેવી વ્યક્તિગત અને વૈશ્વિક જીવનશૈલીનો નવો યુગ નિર્માણ કરવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. એક એવું વિરાટ વિશ્વ, જેની ધરી નૈતિક મૂલ્યોની બનેલી હોય – જેમાં સંવાદિતા અને સાતત્યપૂર્ણ વિકાસ હોય.

‘ઈન્ટરનેટ સત્યાગ્રહીઓ’ ઊભા કરવાની વાત સાથે લેખકે અટલ બિહારી વાજપાઈએ જે ભૌતિક, સાંવેદનિક, રાજકીય, વૈશ્વિક, પડોશી રાષ્ટ્રો વચ્ચેની અને ડિજિટલ ‘કનેક્ટિવિટી’ની વાત કરી હતી તેનો પણ સંદર્ભ આપ્યો છે. ગાંધીજી કહેતા, ‘હું ભારતનો નહીં, સત્યનો સેવક છું.’ તેઓ ક્રાંતિકારી હતા. તેઓ વિજ્ઞાન અને ટેકનૉલોજીના નહીં, માણસ અને માણસાઈનું હનન કરતાં  તેનાં પરિણામોના વિરોધી હતા.

પુરાતન સાદા યંત્ર રેંટિયાથી માંડી તંત્રજ્ઞાનના વિકાસની ચરમસીમા સમા ઈન્ટરનેટ આ બન્ને અંતિમોને વિચારીએ તો લાગે છે કે મહાત્માની શાંતિમય અને અહિંસક વિશ્વકુટુંબ રચવાની ઝંખનાએ જે તાલાવેલીથી ચરખો ચલાવ્યો હતો તે જ નિપુણતાથી ઈન્ટરનેટને પણ આવકાર્યું જ હોત અને કૉમ્પ્યુનિકેશન રિવોલ્યુશનના આ યુગમાં પણ તેઓ અવતાર પુરુષ રહ્યા જ હોત. આ પુસ્તક મહાત્મા ગાંધીનો વૈચારિક ક્રાંતિનો તંતુ ઈન્ટરનેટ વિશ્વ સાથે જોડવાનો એક રસ પડે તેવો ઉપક્રમ લઈને આવ્યું છે. કોઈ ગાંધીજને કે ગાંધીયુગના કોઈ ચિંતકે ગાંધીવિચારોને આ પ્રકારનું પરિમાણ આપ્યું હોવાનું જાણમાં નથી.

-સોનલ પરીખ

સંપર્ક :sonalparikh1000@gmail.com

સૌજન્ય :રીડ ગુજરાતી.કોમ

 

gandhi-sins-2-3

===========

બે એરીયાની જાણીતી સંસ્થા “બેઠક” ઘણી સુંદર સાહિત્ય પ્રવૃતિઓ કરી રહી છે, એમાંની એક પુસ્તક પરબની પ્રવૃત્તિ છે.એમાં સભ્યોને વાંચવા માટે પુસ્તકો અપાય છે.હવે નવા વર્ષથી સારા પુસ્તકો વડીલોને સાંભળવા મળે એ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો -વિડીયો માધ્યમનો ઉપયોગ શરુ કરી સદવિચારો લોકો સુધી પહોંચાડવા ” વાચિકમ” નું અભિનવ પગલું શરુ કર્યું છે. આ માટે આ સંસ્થાને અભિનંદન ઘટે છે.

નીચેના ઓડિયોમાં સુશ્રી.દીપલ પટેલને એક જાણીતા પુસ્તકમાંથી ૩૦મી જાન્યુઆરીના શહીદ દિનને અનુરૂપ ગાંધીજી વિશેના ભાગનું પઠન કરતાં તમે સાંભળી શકશો.

Vachikam-Dipal patel

સૌજન્ય :શબ્દોનું સર્જન – બેઠક