સુરત નિવાસી મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ઈ-મેલથી જાણીને દુખ થયું કે ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને લોકપ્રિય લેખક શ્રી રજનીકુમાર પંડ્યાનાં ધર્મ પત્ની તરુલતાબેન દવેનું ૮૦ વર્ષની વયે તારીખ ૨૭-૪-૨૦૧૬ ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે.

પાછલી ઉમરે તરુબેન અને રજનીકુમાર પંડ્યાની તસવીર
સ્વ.તરૂબેનનો ટૂંક પરિચય- રજનીકુમાર પંડ્યા
“અમારાં પ્રેમ લગ્ન 15-8-1970 ના રોજ સંપન્ન થયાં હતાં.સદગત એક સુપ્રસિધ્ધ વાર્તાલેખિકા અને લઘુ કથા લેખિકા હતાં. ‘કોઇ ને કોઇ રીતે’ તેમનો મહત્વનો વાર્તાસંગ્રહ છે.જેને વલ્લભદાસ હેમચંદ એવૉર્ડ એનાયત થયો હતો.
પૂ મોટાનું જીવનચરિત્ર તેમણે ‘મહાજ્યોત મોટા:’ શિર્ષકથી પ્રગટ કરેલું હતું,
આકાશવાણી અને ટેલિવિઝન પરથી તેમની અનેક કૃતિઓ પ્રસારિત થઇ હતી.
RAJNIKUMAR PANDYA
My Blog link:
AS I HAVE SHIFTED TO NEW RESIDENCE,PLEASE NOTE THE CHANGE IN MY ADDRESS:
Rajnikumar Pandya
B-3/GF-11,AkankshaFlats,JaymaalaChowk,
Maninagar-Isanpur Road,AHMEDABAD-380050
Gujarat.INDIA.
Contact: +91 79 253 237 11(R)
+91 98980 15545 (M) / WhatsApp- 095580 62711
PLEASE AVOID CALLING FROM 2 TO 4.30 PM
તારીખ એપ્રિલ ૨૭ ૧૦૧૬ ના રોજ શ્રી ઉત્તમભાઈ ગજ્જરે શ્રી રજનીકુમાર પંડ્યાને લખેલ દીલાસાનો ઈ-મેલ
આદરણીય સ્વજન રજનીભાઈ,
તરુલતાબહેનના અવસાનના દુ:ખદ સમાચારથી અમે વ્યથીત છીએ..
હા, કબુલ કે, આપણ સૌએ મોડા વહેલા તરુબહેન જ્યાં ગયાં ત્યાં જવાનું જ છે..
આપણુંયે રીઝર્વેશન થઈ જ ગયું છે; પણ વેઈટીંગ લીસ્ટમાં આપણ સૌનું નામ છે.
કન્ફર્મ થતાં સૌએ અંતીમ મુસાફરીએ ઉપડવાનું જ છે..
પણ આ વયે, ‘બેકલતા’માંથી ‘એકલતા’ જીરવવી વસમી હોય છે..
તમે તો, બહુશ્રુત છો, વીદ્વાન છો, વળી, ઉત્તમ સર્જક છો..
મારી પાસે તમને આશ્વાસન આપવા માટે કોઈ શબ્દ નથી..
આશા કે તમે સ્વસ્થ હશો અને કુદરતદીધી સર્જકતાને સહારે વધુ સ્વસ્થ થશો..
આ સપ્તાહે ‘સ.મ.’માં મોકલાતી બક્ષીસાહેબની કલમપ્રસાદી મોકલું છું..
તમારા સ્વાસ્થ્ય અને સ્વસ્થતા માટે પ્રાર્થના..
આપનાં,
..ઉત્તમ.મધુ ગજ્જરના પ્રણામ..
તારીખ ૨૮-૪-૨૦૧૬ ના રોજ શ્રી રજનીકુમારભાઈને લખેલ મારો ઈ-મેલ…..
પ્રિય રજનીકુમારભાઈ,
મારા મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજજરના ઈ-મેલ દ્વારા આપનાં ધર્મપત્ની તરૂબેનના અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ થયું.
પતિ-પત્નીનો સંસાર એક બીજાની હૂંફથી ચાલતો હોય છે.પત્નીને અર્ધાંગની કહેવામાં આવે છે એટલે એ જ્યારે વિદાય લઇ લે છે ત્યારે પતિનું અર્ધું અંગ જાણે કે ચાલ્યું ગયું હોય એવી અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.ઉત્તમભાઈએ જે એકલતાનો નિર્દેશ કર્યો એનો મને ૧૯૯૨ થી અનુભવ છે.મારી હાર્દિક હમદર્દી સ્વીકારશો.
આપને હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે આજથી ૧૫ વર્ષ પહેલાં અમદાવાદ આવ્યો હતો ત્યારે ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારી સંપાદિત આપના વિશેનું પુસ્તક “રજનીકુમાર -આપણા સૌના તારીખ ૧૨-૯-૨૦૦૦ ના રોજ આપના અક્ષરે લખેલી નોટ સાથે મને ભેટ મોકલાવેલું આપનું પુસ્તક મારા હાથમાં છે.આ પુસ્તકમાં આપના કુટુંબીજનો,મિત્રો અને સ્નેહીઓએ આપની સાથેના એમના અનુભવો શેર કરીને એમનો સ્નેહ બતાવ્યો છે.
આ પુસ્તમાં તરૂબેનએ ત્વમેવ માતા ચ બંધુ ત્વમેવ નો આખો શ્લોક ટાંકીને એમના “ત્વમેવ સર્વમ” શીર્ષક સાથેના પ્રેમ નીતરતા લેખના અંતે આપના વિષે લખ્યું છે :
“મારા માટે એ બધું જ છે.બધાં જ સ્વરૂપોનાં દર્શન એમનામાં મેં કર્યા છે ….. છીંક આવે તો હથેળી ધરીને ઉભા રહે …. મને કે તર્જનીને કશું થાય ત્યારે એમની ચિંતાનો પાર રહેતો નથી.કહે “મને ભલે ગમે તે થાય, પણ તમને બે ને તો કશું જ થવું ના જોઈએ .”
” હું ઘણી વાર હસતાં હસતાં કહું પણ ખરી,” હાર્ટની દર્દી છું.વહેલી મરી પણ જાઉં “એ અકળાઈને બોલી ઉઠે :”એવું ન બોલ,તારા વગરના જીવનની હું કલ્પના કરી શકતો નથી.” …… બસ એક સ્ત્રીને જીવનમાં આથી વિશેષ જોઈએ પણ શું ?”
“રજનીકુમાર આપણા સૌના ” કહેવા જેટલી ઉદારતા કેળવવી એ શું ઓછું છે ?”
—શ્રીમતી તરુલતા દવે
આવાં પ્રેમાળ પત્ની સાથે એક બીજાનાં પુરક બની જીવન જીવ્યા પછી પત્નીની વિદાય માનસિક રીતે એક શૂન્યાવકાશ મૂકી જાય છે.
તરુબેન ૮૦ વર્ષનું ભરપુર જીવન જીવીને ગયાં છે.પ્રભુ એમના આત્માને ચીર શાંતિ બક્ષે અને આપને તથા આપનાં સૌ કુટુંબીજનોને એમની વિદાયથી પડેલ ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રત્યે મારી હાર્દિક પ્રાર્થના છે.
ઉપરોક્ત પુસ્તક “રજનીકુમાર-આપણા સૌના”માં તરુબેન અને અન્ય કુટુંબીજનો,સ્નેહી જનો સાથેના આપના ઘણા ફોટાઓ મુકવામાં આવ્યા છે.એમાંથી તરૂબેન સાથેના યુવાન વયના આપના આ બે ફોટાઓ સાથે સ્વ.તરુબેનને હાર્દિક શ્રધાંજલિ આપું છું.
પ્રથમ ફોટામાં નાની બાળક વયની એમની પ્રિય પુત્રી તર્જની સાથે ખુશ ખુશાલ દંપતી દેખાય છે.
વિનોદ પટેલ,સાન ડીએગો
વાચકોના પ્રતિભાવ