વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: હરનીશ જાની

1190 – વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ …. હાસ્ય લેખ …હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી ૭૭ વર્ષીય સન્મિત્ર શ્રી હરનીશ જાની એક નીવડેલ હાસ્ય લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ખુબ જાણીતા છે.તાંજેતરમાં એમની તીરછી નજરમાંથી જોએલા અમેરિકા અને ભારતના અનુભવોના તારણમાંથી નિપજેલા હાસ્ય લેખોનું એમનું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’” પ્રકાશિત થયું છે.

શ્રી હરનીશભાઈના હાસ્ય લેખોનાં પ્રથમ બે પુસ્તકો ” સુધન ” અને શુશીલા”વાચકોમાં ખુબ વખણાયાં છે.આ બન્ને પુસ્તકોને ગુજરાત સરકારની સાહિત્ય અકાદમી,ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર/એવોર્ડ વિજેતા થયાં છે.એમનું આ નવું પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’”પણ એવોર્ડ વિજેતા બને એવી આશા રાખીએ.

હરનીશભાઈ હજુ આવાં વધુ પુસ્તકો આપતા રહે અને સૌને હળવા બનાવતા રહે એવી શુભેચ્છાઓ.

વિનોદ પટેલ

શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખોના નવા પુસ્તક ‘તીરછી નજરે અમેરિકા’ માંથી લીધેલો એક લેખ” વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્” નીચે વાંચો.

વ્હેમીલા અમેરિકન પ્રેસિડન્ટસ્ ….. હરનિશ જાની

જ્યારે પણ આપણે ત્યાં લોકોની અંધશ્રધ્ધાની વાત નિકળે ત્યારે આપણે પશ્ચિમના દેશો અને વિજ્ઞાનની વાતો કરીએ છીએ. પરંતુ ધ્યાનથી જુઓ તો અમેરિકામાં પણ વ્હેમ અને અંધશ્રધ્ધાનો રાફડો ફાટ્યો છે. અમેરિકનો તો અમેરિકનો, તેમના પ્રેસિડન્ટ અને પોલિટીશીયનો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. હવે આ પ્રેસિડન્ટ પણ અંધશ્રધ્ધા અને વ્હેમોમાં માનતા હોય તો પછી રહ્યું જ શું?

સામાન્ય લોકોની વાત કરીએ , હું જે કલર કંપનીમાં કામ કરતો હતો. તેના પ્રેસિડન્ટ બોબ ઝેલર , કંપનીની બોર્ડ મિટીંગ હોય તો લાલ ટાય પહેરીને વર્ક પર આવે તેમને પોતાની લાલ ટાય શુકનિયાળ લાગતી.. બીજી બાજુ મારા જેવી વ્યક્તિ એ જાતના વ્હેમમાંથી છુટીને અમેરિકન રહેણી કરણી અને અમેરિકન વિચાર પધ્ધતિ અપનાવતી હતી. જ્યારે અમેરિકનોમાં એવા લોકો જોવા મળ્યા જે કાળી બિલાડી આડી ઉતરે તો અપશુકન માને . સામાન્ય નાગરિકની વાત છોડો. અમેરિકન પ્રેસિડન્ટ પણ વ્હેમીલા હોય છે.

પ્રેસિડન્ટ ઓબામા તો ગજવામાં જાત જાતના લટકણિયાવાળી લકી ચેઈન રાખતા. જેમાં દોઢ ,બે ઈંચની હનુમાનજીની મૂર્તિ પણ હતી. એમના પિતા ઈસ્લામ ધર્મમાં માનતા હતા. તેમનો ઉછેર પણ ઈસ્લામની છાયામાં થયો હતો. ઈસ્લામમાં તો વ્હેમનો પાર નથી. ઈસ્લામ જ કેમ? બધાં ધર્મોમાં અંધશ્રધ્ધાનો પાર નથી. ખરેખર તો એકની અંધશ્રધ્ધા તે બીજાની શ્રધ્ધા હોય છે.

જગત આખું ચમત્કાર પાછળ દોડે છે. જો કોઈ પથ્થર કે કોઈ ઝાડની ડાળીથી કોઈનો રોગ મટી જાય તો તે જગ્યા તિર્થસ્થાન બની જાય. ફ્રાન્સના લોર્ડસ્ ગામમા સામાન્ય છોકરી બર્નાડેટે (૧૮૪૪) એક ટેકરીની પાછળ મધર મેરીના દર્શન કર્યા અને તે લેડીના કહેવાથી આંગળીથી જમીન ખોતરી તો તેમાંથી ઝરણું ફૂટ્યું.પાછળથી એ ઝરણું , વ્હેળો બની ગયો. તેના પાણીથી લોકોના રોગ મટવા લાગ્યા. આજે પણ તે વ્હેળો છે ને લાખો લોકો ત્યાં રોગો મટાડવા આવે છે. રોગો કદાચ બીજા કારણે પણ મટતા હોય.પરંતુ લોકોના મનમાં તે વિષેની શ્રધ્ધા બેસી ગઈ છે. રોમન કેથોલિક ચર્ચે સિસ્ટર બર્નાડેટને સેંન્ટ (સંત)નો દરજ્જો આપ્યો. હવે તો કહેવાય છે કે એમના સ્મરણથી જ રોગો મટે છે.

બીજા એવા સેંટ લુઈસા ઓફ ફાતિમા થઈ ગયા. પોર્ટુગલના વિલેજ ફાતિમાની સીમમાં એક ટેકરી પર લુઈસા નામની એક ભરવાડની છોકરીને તેના બે પિતરાઈ ભાઈ બ્હેન સાથે ઘેટાં ચરાવતાં વર્જિન મેરીએ (૧૯૧૭માં) દર્શન દીધા હતા. તે ટેકરી આજે તો મોટી ચર્ચ બની ગઈ છે. અને ત્યાં લોકો પોતાના રોગો મટાડવા આવે છે. તો ક્રિશ્ચીયાનીટી તો આવી વાતોથી ભરી પડેલી છે. તો આ બધા ક્રિશ્ચીયન પ્રેસિડન્ટ તેમાં ન માનતા હોય તો જ નવાઈ.

પ્રેસિડન્ટ વિલીયમ મકેન્લિને શ્રધ્ધા કાર્નેશન નામના ફ્લાવર્સમાં હતી. તે પોતાના કોટમાં ખોસેલું રાખતા. જ્યારે ન્યૂ યોર્ક રાજ્યના બફેલો શહેરમાં ૧૯૦૨ના સપ્ટેમ્બરમા તેમનું લેક્ચર હતુ.તે માટે મંચ પર બોલવા માટે જતા હતા ત્યારે ઓડિયન્સમાં નાની છોકરીને પોતાનું કાર્નેશન આપી દીધું અને સ્ટેજ પર ગયા,ત્યાં જ તેમનું ખૂન થયું હતું . હવે આને શું કહેવાય ! જ્યારે નાના પ્રેસિડન્ટ બુશને વ્હાઇટ હાઉસના લિંકન બેડરુમમાં ભૂત દેખાતા હતા. તે અનુભવ તેમની દીકરી જેનાનો પણ હતો. અને સેકન્ડ વર્લ્ડ વોર વખતે લિંકન બેડરૂમમાં વિન્સ્ટન ચર્ચિલ રહ્યા હતા.ત્યાં તેમને લિંકનનું ભૂત દેખાયું હતું. પ્રેસિડન્ટ બુશ(નાના) ખૂબ ધાર્મિક હતા,તેમના સ્ટાફે તેમને ઓફિસમાં ઘણીવાર જિસસના ફોટા પાસે રડતા જોયા હતા. અને ઈરાક સામે વોરની શરુઆત તેમના ફાધર ( જિસસ)ના હુકમથી ચાલુ થઈ હતી.

એક મઝાની વાત.૧૮૪૦ના પ્રેસિડન્ટ હેરી હેરીસનને રેડ ઈન્ડિયનો સાથેની વોરમાં તેમનો નાશ કર્યો હતો ત્યારે રેડ ઈન્ડિયન ચીફે હેરી હેરીસનને શ્રાપ આપ્યો હતો કે દર વીસ વરસે અમેરિકન પ્રેસિડન્ટ ચાલુ ટર્મમાં જ મરશે .તો આ શ્રાપને ‘ટિતેકનો” કહેવાય છે. તો હેરી હેરીસન ૧૮૪૦માં ,૧૮૬૦માં ચૂંટાયલા પ્રે. લિંકન. મકેન્લિ૧૯૦૦માં, ,૧૯૬૦ માં જ્હોન કેનેડી અને ૧૯૮૦માં ચૂંટાયલા રેગન સાહેબ પર પણ ગોળી છુટી. હવે વાત એમ થઈ કે રેગનસાહેબના પત્નીએ પછી સાત વરસ સુધી રેગનસાહેબની કુંડળી જોન ક્વિગલી નામની મહિલા પાસે વંચાવડાવી છે.તે મહિલા દર અઠવાડિયે વ્હાઈટ હાઉસમાં આવતા. અને પ્રેસિડન્ટની બધી મિટીંગો એ જ્યોતિષી મહિલાના કહેવા પ્રમાણે ગોઠવાતી હતી.. અને એ મહિલા કહે તો જ રેગન સાહેબે વ્હાઇટ હાઉસની બ્હાર પગ મુકવાનો, અને કહેવાય દુનિયાના શક્તિશાળી દેશના લિડર.

આપણે વિચારીએ તો વાત કેટલી વાહિયાત લાગે છે. પણ આ હકિકત છે. પ્રેસિડન્ટ રેગન આ વાત પ્રેસમાં નકારી કાઢતા હતા. ઓબામાની સામે ઈલેક્શન લડનારા સેનેટર મકેઈન પણ ગજવામાં ઘસાયેલી પેની, નિકલ વિ. રાખે છે.જ્યારે પ્રેસિડન્ટ જિમી કાર્ટર યુ.એફ, ઓ. માં માનતા.તેમણે આકાશમાં ઉડતી રકાબી જોઈ હતી. ત્યારથી માને છે કે કોઈ બીજા પ્લેનેટ પર લોકો વસે છે. સારું થયું કે નાસાના વૈજ્ઞાનિકોને તે શોધવા ન મોકલ્યા. સેકન્ડ વર્લ્ડ વોર વખતના પ્રેસિડન્ટ રોઝવેલ્ટ ૧૩ના આંકડાથી ગભરાતા હતા. તો પ્રેસિડન્ટ ટૃમેન ગુડ લક ચાર્મ તરીકે ઘોડાના પગની નાળ–હોર્સ શુ –પોતાની વ્હાઈટ હાઉસની આફિસના બારણે લટકાવતા હતા.

હવે આપણે રાહ જોવાની કે ટ્રમ્પ સાહેબને કઈ શુકનિયાળ વસ્તુનો વ્હેમ છે. મારું માનવું છે કે ભગવાન અને ભક્તિની વાત કરતાં આપણે ચમત્કારો પાછળ દોડીએ છીએ. પછી જે આપણું કામ કરે તે આપણો ભગવાન. મુંબઈના હાજી અલીની દરગાહના ચમત્કાર માટે દરેક ધર્મના લોકો ધક્કામુક્કી કરતા જોવા મળે છે.

છેલ્લી વાત–

ભગવાનના એક ભક્તની કાર ખીણમાં પડી ગઈ.કાર પડતી હતી ત્યારે જ તેણે વચ્ચે ઉગેલા ઝાડની ડાળી પકડી લીધી .કાર પડી ખીણમાં અને ભક્તભાઈ લટકતા રહ્યા ડાળી પર. પછી રડતા અવાજે બોલ્યા,”હે પ્રભૂ, મદદ કરો.ઉપર કોઈ મારો અવાજ સાંભળે છે?” ત્યાં ગેબી અવાજ આવ્યો.”બેટા ડાળી છોડી દે. હું તને બચાવીશ મારા પર ભરોસો રાખ.” ભક્તને નીચે ખીણ દેખાઈ.અને ભક્તભાઈ બોલ્યા,” અરે,ઉપર કોઈ બીજુ છે?”

-હરનીશ જાની 

પુસ્તક પ્રાપ્તીસ્થાન :

ગુર્જર સાહીત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ.પીન કોડ : 380 001

ફોન : (079) 221449660/22144663  

ઈ.મેઈલ : goorjar@yahoo.com

વેબ : gurjarbooksonline.com 

In USA… E mail. harnishjani5@ gmail.com

 

 હરનિશ જાની, Harnish Jani-પરિચય 

“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી ! ” 

Harnis Jani-3

સૌજન્ય- ગુજરાતી પ્રતિભા પરિચય 

1092- ઈમિગ્રેશન અને અમેરિકા…… શ્રી હરનિશ જાની

ગુજરાત મિત્ર,સુરત અખબારના તારીખ ૧૬મી ઓગસ્ટ ૨૦૧૭ ના અંકમાં ” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમમાં પ્રસિદ્ધ શ્રી હરનીશ જાનીનો લેખ,સાભાર પ્રસ્તુત છે .

ઈમિગ્રેશન અને અમેરિકા..હરનીશ જાની 

‘ટ્રમ્પસાહેબ ઈમીગ્રેશન ઓછું કરવાના મુડમાં કેમ છે?’

ટ્રમ્પ સાહેબ જે વાત ઈલેક્શન પહેલાં કરતા હતા .તે વાત હવે અમલમાં મુકવાના છે. વાત છે ઈમિગ્રેશન ઓછું કરવાની. અમેરિકનો ખુશ છે. તેમના જોબ તેમનાથી વધુ હોશિયાર ઈમિગ્રન્ટસ્ લઈ લેતા હતા. તે હવે તેમના માટે રહેશે. હાલ દર વરસે દસ લાખ ઈમિગ્રંટસ્ આખી દુનિયામાંથી અમેરિકા આવે છે. હવે પછીના દસ વરસમાં ધીમે ધીમે તે સંખ્યા ઘટીને પાંચ લાખ થશે. અને આ પાંચ લાખમાં ભણેલા અને કોઈ હુન્નર જાણકાર લોકોને જ લેવામાં આવશે. અભણ અને સિનીયોરોને નહીં, જે ગવર્મેંટના વેલફેર ચેક ,કોઈ પણ જાતનુ કામ કર્યા સિવાય, લેતા થઈ જાય છે. 

૧૯૬૫ પછી ઈમિગ્રેશનની નીતિ હતી. તેમાં ભણેલા કે અભણ ઈમિગ્રંટસ્ કાયદાઓ પ્રમાણે આવતા હતા. આમાં ભારતીયોએ ચિંતા કરવા જેવું નથી. જો તમારા લોહી– સંબંધવાળા સગા અમેરિકામાં રહેતા હોય તેને માટે કોઈ બંધી નથી. એટલે કે ભારતીય મૂળના અમેરિકન સિટીઝન પોતાના મા બાપ, બાળકો અને ભાઈ બ્હેનને સ્પોન્સર કરીને ગ્રિન કાર્ડ અપાવી શકે છે. તે ચાલુ રહેશે. પણ નવા ઈમિગ્રંટસ્ ને બરાબર ચકાસીને લેવામાં આવશે. મતલબ કે અમેરિકાને મજૂરોની જરૂર નથી કે નથી જરુર એવા લોકોની કે જે કામ કર્યા સિવાય વેલફેરના ચેક લેવા માંડે. એટલે ભવિષ્યમાં એવું બની શકે કે જે વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા આવવું હોય તેને માટે દરવાજા ખુલી ગયા છે. કારણ કે ભારતનો કોટા ઓછો થઈ ગયો પણ અભણ અને સિનીયરોને લેવામાં નહીં આવે તો એમાં યંગ છોકરા છોકરીઓને તે લાભ મળશે. 

ટ્રમ્પસાહેબની વાતમાં વજુદ છે. સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં અમેરિકામાં યુરોપના ગોરા લોકો ઈમિગ્રન્ટ તરીકે આવતા હતા. તેમનો રંગ ગોરો હતો. અને ધર્મ અમેરિકનોના જેવો જ હતો. અને તે લોકોને ઈંગ્લિશ નહોતુ આવડતું પણ ધીમે ધીમે તેમણે ભાષા શીખી લીધી. કોઈએ પણ અમેરિકનોને ઈંગ્લિશની સાથે ઈટાલિયન કે ફ્રેંચમાં એરપોર્ટના સાઈન બોર્ડ કે ગવર્મેંટના ફોર્મ બનાવવાની ઝુંબેશ નથી ઉપાડી, અને તે અમેરિકન કલ્ચરમાં ભળી ગયા.આથી અમેરિકાને “મેલ્ટીંગ પોટ” કહેવાય છે. આજે સ્પેનિશ બોલતા મેક્સિકન અને બીજા લેટિન અમેરિકાના દેશોએ અમેરિકામાં ફરજિયાત સ્પેનિશ ઘુસાડ્યું છે. સ્કુલોમાં બધા વિષય સ્પનિશમાં શિખવાઠવાની માંગણી છે. એટલું ઓછું હોય તેમ એડિસન ન્યૂ જર્સીની સ્કુલોમાં ગુજરાતી શિખવાડોની ઝુંબેશ ચાલુ થઈ છે. પછી બંગાળી અને તામિલની વાતો થશે, પછી અમેરિકનોને ઈમિગ્રંટસ્ ગમે ખરા? આપણું કલ્ચર ? જ્યાં ત્યાં પાન ખાઈને થુંકવાનું અને મોટે મોટેથી વાતો કરી ઘોંઘાટ કરવાનું.

૧૯૮૬માં એડિસનના ઓક ટ્રી રોડ પર તુટી ગયેલા મકાનો સાથે ભેંકાર સ્લમ એરિયા હતો. ઈમિગ્રંટસ્ નો આભાર કે આજે ત્યાં સેંકડો સ્ટોર્સનું બજાર થઈ ગયું છે. ઈમિગ્રંટસ્ જોબ લાવ્યા અને ઈકોનોમીને બચાવી. જ્યારે અભણ મેક્સિકનો અને બીજી પ્રજા રેસ્ટોરાં અને હોસ્પિટલોમાં મજુરીના કામ કરવા લાગી. શરુઆતમાં અમેરિકન લોકોને ગ્રિનકાર્ડની ખબર જ નહોતી. તમારી પાસે સોશિયલ સિક્યુરીટી નંબર હોય તો નોકરી મળી જતી. અને સોશિયલ સિક્યુરીટીની આફિસમાં જાવ તો ત્યાં તે નંબર મળી જતો. ૭૦ના દાયકાના પાછળના ભાગમાં અમેરિકન લોકો ગ્રિનકાર્ડ ચેક કરતા થયા. અને સોશિયલ સિક્યુરીટીવાળા પણ વિઝા ચેક કરતા થયા.

૧૯૬૫ના કાયદાથી દુનિયા આખીના લોકો અમેરિકા આવતા ગયા છે. જો ભારતીય ઈમિગ્રંટસ્ ની વાત કરું તો શરુઆતના વરસોમાં સ્ટુડન્ટસ્ આવતા હતા. તેમને માન મળતું હતું. ૧૯૬૯ના વરસે વિલીયમ્સબર્ગ ,વર્જિનીયાની કોલેજમાં હતો ત્યારે થેન્કસ્ ગિવીંગને દિવસે મને અને બીજા સ્ટુડન્ટ ગાંધીને ડિનરના બે બે ત્રણ ત્રણ આમંત્રણ આવ્યા હતા. લોકો ડિનરમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ્ હોય તો સારું. એમ માનતા હતા.લોકો ફોરેન સ્ટુડન્ટને માન આપતા.

આજે ન્યૂ જર્સીની રટગર્સ યુનિ.ને હું પ્રેમથી ગુજરાત યુનિ. કહું છું. ત્યારે સાડી પહેરેલ ભારતીય સ્ત્રીને અને ફેંટાવાળા સરદાજીને જો કોઈ અમેરિકન જોતા તો તેમને રસ્તામાં જ ઉભા રાખી તેમના ફોટા પાડતા. આજે અમેરિકનો સરદારજીઓને ગોળી મારે છે. તેમને ખબર જ નથી કે તાલિબાન કોણ અને સરદારજી કોણ. આજે એક નહીં પણ સેંકડો સાડી પહેરેલ સ્ત્રીઓ શેરી ગરબા ગાય છે. મોડી રાત સુધી અવાજ કરી અને સામાન્ય અમેરિકનને સુવા નથી દેતા. તે તેમને ક્યાંથી ગમે? 

ગોરા કે કાળા અમેરિકનોમાં હાલ બેકારી પ્રવર્તે છે. ઈમિગ્રેશનના આ નવા કાયદા મુખ્યત્વે મેક્સિકનોને આવતા અટકાવવા માટે બન્યા છે. મુસ્લીમોને અટકાવવાના બધા પ્રયત્નો સુપ્રિમ કોર્ટની મહેરબાનીથી નિષ્ફળ ગયા છે. હવે વાત મુશ્લીમની કરો તો અમેરિકનો મુશ્લીમ અને ઈન્ડિયન વચ્ચેનો ભેદ ક્યાંથી સમજવાના છે? અને આમ જોઈએ તો જરાય ભેદ નથી. માનવું અઘરું છે પણ એવા મેક્સિકનો છે જે રહે છે મેક્સિકોમાં પણ જોબ કરવા અપડાઉન કરે છે. મતલબ કે છુપી રીતે આવે જાય છે.  અમેરિકનો બોર્ડર પર વોલ બાંધે તો મેક્સિકનો ટનલો બાંધશે.

જે ભારતીયો વરસોથી ટેક્ષ ભરીને અહીં જીવે છે . તેઓને પણ, કદી કામ ન કર્યું હોય અને મફતમાં વેલફેરના લાભ લેતા હોય એવા ઈમિગ્રંટસ્ ક્યાંથી ગમે?

છેલ્લી વાત–

મારી બાયપાસ સર્જરી પછી મને રૂમમાં લાવવામાં આવ્યો. ત્યાં મેં જોયું કે ટેબલ પર એક ફૂલદાનીમાં મોટો ગુલદસ્તો મુક્યો હતો. જોઈને આશ્ચર્ય થયું, મેં નર્સને કહ્યું કે, મારા માટે ફુલ? મારા ગુજરાતી મિત્ર તો ન મોકલે. તો નર્સ બોલી , “હોસ્પિટલની બાજુમાં આવેલા ફ્યુનરલ હોમવાળા હ્રદય રોગના દર્દીઓને ગુડ લક માટે મોકલે છે. સાથે એમનું બિઝનેસ કાર્ડ પણ મુક્યું છે.”

-Harnish Jani
E mail- harnishjani5@gmail.com

Image may contain: 1 person, standing

Photo Guj Sahitya Parishad

Source- http://gujaratmitra.in/Portals/6/Supplements/drp12.pdf

 

1079 – ગાંધીજી વિષે અવનવું …… શ્રી હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા એવોર્ડ વિજેતા હાસ્ય લેખક મિત્ર શ્રી હરનીશ જાની ના લેખો સુરતના અખબાર ‘ગુજરાત મિત્ર’ માં દર બુધવારે કોલમ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ માં નિયમિત પ્રગટ થતા હોય છે.

ગુજરાત મિત્રની આ કોલમમાં તારીખ  ૧૨મી જુલાઈ ૨૦૧૭ ના રોજ શ્રી  હરનીશભાઈનો લેખ ‘ગાંધીજી વિષે અવનવું ‘ પ્રસિદ્ધ થયો છે એ મને ગમી ગયો.

આ લેખમાં ગાંધીજી વિષે અગાઉ વાંચી કે સાંભળી નહોતી એવી કેટલીક વાતો તેઓએ રજુ કરી છે.એમાં તેઓએ ગાંધીજીને મહાત્મા બનાવનાર કેટલાક મૂળભૂત ગુણોનું સરસ વિશ્લેષણ કર્યું છે.

ગાંધીજી એમના જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે કેવી રીતે દોડાવતા હતા એની હરનીશભાઈએ એમની આગવી રીતે રજુ કરેલ રસિક વાતો વિનોદ વિહારના વાચકોને મારી જેમ જરૂર ગમશે.

વિનોદ પટેલ

‘ગાંધીજી વિષે અવનવું ‘ …. શ્રી હરનીશ જાની ‘

અમેરિકન ટી.વી. પર ભારતની વાત સાંભળી. તેમાં પણ ગાંધી બાપુ વિષેની વાત સાંભળી,જે મેં અગાઉ કદી સાંભળી નહોતી . બની શકે કે ઘણાને આ લેખથી તે જાણવા મળે. ૧૯૦૩માં સાઉથઆફ્રિકા( આફ્રિકાના એક દેશનું નામ) માં ગાંધીજી ફુટબોલ ( અમેરિકામાં જેને સૉકર કહેવામાં આવે છે.) રમતા હતા. અને ફુટબોલના કોચ–ટ્રેનર હતા. તેમણે જુદા જુદા ત્રણ શહેરમાં તો ફુટબોલ ક્લબની સ્થાપના કરી હતી. ડરબનમાં, પ્રિટોરીયામાં અને જોહાનિસબર્ગમાં. આ ત્રણેના નામ અહિંસક સત્યાગ્રહ ફુટબોલ ક્લબ (પેસીવ રેસિસ્ટર ફુટબોલ ક્લબ) રાખ્યા હતા. અને ગાંધી જેનું નામ– ફુટબોલની મેચના હાફ ટાઈમમાં ટીમને અહિંસા વિષે સમજાવતા. એટલું ઓછું હોય તેમ દર્શકોને સત્ય અહિંસાના પાઠ ભણાવતા. કાગળિયાં–પેમ્ફલેટ વહેંચતા. આ વાતનો પુરાવો પ્રિટોરિયાના ઓલ્ડ કોર્ટ હાઉસના મ્યુઝિયમના ફોટાઓ પુરો પાડે છે. જેમાં યંગ ગાંધીજી દર્શકોને સંબોધતા દેખાય છે.

વાત એમ છે કે ઈંગ્લેંડમાં લૉ કોલેજમાં ભણતા ભણતા તેમને ક્રિકેટમાં અને ફુટબોલમાં ખૂબ રસ જાગ્યો હતો. ખાસ કરીને ઓછા સાધનોવાળી ફુટબોલની રમત ગમતી. તેમને તેમાં એક સ્ટાર પ્લેયર કરતાં આખી ટીમના સહકારથી જીતતી ટીમનો સિધ્ધાંત ગમતો. આ ફુટબોલ બીજા યુવાનોને પોતાના તરફ આકર્ષવા પુરતો હતો. અને તેમનો આ ગૂણ તેમણે ભારત આવ્યા ત્યારે ઉપયોગમાં લીધો અને બીજા બધા નેતાઓને ભેગા કરી અને તેમની ટીમ બનાવી. જે તેમને બ્રિટન સામે લડવામાં કામ લાગી. મૂળે તો તેમને આ “રંગદ્વેષી‘ સાઉથઆફ્રિકાની સરકારનો વિરોધ કરવો હતો.

ગાંધીજીના ઘણા ગુણ મને ગમે છે પણ તે જીવનની ગાડી સત્ય અને અહિંસાના પાટે દોડાવતા હતા. તે ખરેખર અદભૂત ગુણ હતો. સામાન્ય રીતે દરેકના જીવનમાં જીવન બદલી નાખતા ટર્નીંગ પોઈન્ટ આવતા હોય છે.પરંતુ ગાંધી બાપુના જીવનમાં અસંખ્ય ટર્નીંગ પોઈન્ટ આવ્યા. તેઓ દરેક વખતે સત્ય અને અહિંસાના પાલનને કારણે સફળ રહ્યા. અને પોતાની ઈચ્છા પ્રમાણે ટર્ન લેતા હતા. અથવા કહી શકાય કે તેમની ઈચ્છા પ્રમાણે રસ્તા ટર્ન લેતા હતા.

તેમનો બહુ ચર્ચીત પ્રસંગ ૧૮૯૩માં બન્યો ફર્સ્ટક્લાસ ની ટિકીટ લઈ અને ડરબનથી પ્રિટોરીયા જવા રાતની ટ્રેનમાં બેઠા હતા જે ગોરા લોકો માટે રિઝર્વ હતો. અને ટિકીટ ચેકરે તેમને થર્ડ કલાસમાં જવાનું કહ્યું અને ગાંધીજીએ તેમ કરવાની ના પાડી. હવે આ વાતને હું તેમનું ઉત્તમ ચારિત્ર ગણું છું. મારા જેવો સામાન્ય માણસ તો કહે કે અડધી રાતે અજાણ્યા સ્ટેશને ઠંડીમાં ઉતરવા કરતાં થર્ડ ક્લાસમાં જઈ શાંતિથી ઊંઘી જાવ. બીજે દિવસે તો સવારે કોર્ટમાં શેઠ અબ્દુલ્લાનો કેસ લડવાનો છે. જેને માટે ખાસ મુંબઈથી ,આફ્રિકા આવ્યા હતા.અને માટે આ ટિકીટ ચેકર સાથે માથાકુટ કરવાની છોડી દો. પણ એમણે તેમ ન કરતાં પિટરમારીઝબર્ગના સ્ટેશને ફેંકાય જવાનું પસંદ કર્યું અને પછીની રાત ઠંડીમાં પડી રહ્યા. એટલું ઓછું હોય તેમ બીજે દિવસે સિગરામમાં કોચવાનના પગ પાસે ન બેસતાં માર ખાધો. પણ પોતાના સિધ્ધાંતને વળગી રહ્યા. અને પોતાની જાત બીજા ગોરાઓની જાત કરતાં જરાય ઉતરતી નથી. એ સિધ્ધાંત તેમણે હિન્દીઓને આપ્યો. જે આજે સો વરસ પછી દરેક જાતીઓમાં વ્યાપ્યો છે.

અમેરિકામાં વસતા ભારતીયો અને પાકિસ્તાનીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ ગોરા લોકો કરતાં ઉતરતા નથી. પરંતુ મુઠ્ઠી ઊંચેરા છે.આમ છતાં મારી દ્રષ્ટિએ, બીજો એક ઓછો જાણીતો પ્રસંગ ખૂબ અગત્યનો છે. કારણ કે ગાંધીજીની જ્ગ્યાએ બીજી કોઈપણ વ્યક્તિ જુદી રીતે વર્તી હોત.

ગાંધીજી શેઠ અબ્દુલ્લાના કેસમાં સમાધાન કરાવી વરસને અંતે ભારત પાછા ફરવાના હતા. બીજે દિવસે આફ્રિકા છોડવાના હતા. તેને આગલે દિવસે તેમના માનમાં વિદાય સમારંભ હતો. જ્યાં ગાંધીભાઈને હારતોરા પહેરાવાના હતા. અને તેમનું ભાષણ સાંભળવાનું હતું. તેમાં ગાંધીજીની નજર ત્યાં પડેલા ન્યૂઝ પેપરના ખૂણે છપાયેલા ન્યૂઝ પર પડી કે નાતાલ (સાઉથઆફ્રિકા દેશનો એક પ્રદેશ) ધારાસભા હિન્દીઓને મતાધિકાર ન મળે એ વિષય પર બિલ પાસ કરવાના હતા. તો ગાંધીજીએ પોતાનું પ્રવચન બાજુએ મુકી દીધુ અને આ ધારાસભાના બિલ પર વાત કરી. તેમણે જણાવ્યું કે જો આ બિલ પાસ થશે તો હિન્દીઓને કોઈ હક્ક નહીં મળે. એટલું જ નહીં પણ તેમનું અસ્તિત્વની પણ સરકાર નોંધ નહીં લે. જો તમારે ધંધો કરવો હોય તો દેશના નાગરિક થવું જરૂરી હતું. એ આ નવા કાયદો અમલમાં આવશે તો દેશ છોડવો પડશે. તેમણે તે સમારંભમાં જ હારતોરા બાજુએ મુકી અને ઘેરેઘેર આ વાતનો પ્રચાર કરનારા સ્વયંસેવકો તૈયાર કરવા માંડ્યા. શેઠ અબદુલ્લાની વિનંતીથી એક વરસ રહી જવાનું પણ નક્કી કર્યું. હવે તમે જ વિચાર કરો. આપણામાંથી કેટલા આવા ત્વરીત નિર્ણય લઈ શકે?

જગતમાં કોઈપણ જાતની પરિસ્થિતિ હોય પણ તે પોતાના સત્ય અહિંસાના ક્ષેત્રમાં પડતી હોય તો એ પોતાની થઈ ગઈ. બીજી રીતે કહેવાય કે મુસીબતો વ્હોરી લેવાની તેમની આદત હતી.

કેટલાને ખબર હશે કે આફ્રિકાના “ એન્ગલો–બોર વોર”માં સત્ય અહિંસાવાળા ગાંધીજી જોડાયા હતા. તે પણ બ્રિટીશરોના પક્ષમાં રહીને, ૧૮૯૯ થી ૧૯૦૨ સુધીની વોરમાં ગાંધીજી એમ્બ્યુલન્સ સ્કવોડના લિડર હતા. અને તેમના સ્વયંસેવકોના ગ્રુપે અંગ્રેજો અને બોર લોકોના બન્ને પક્ષના ઘવાયેલા સૈનિકોને સેવા આપી હતી. તેમાં તેમને રાણી વિક્ટોરિયા તરફથી મેડલ પણ મળ્યો હતો.

ગાંધીજીને સમજવા બહુ અઘરા પણ હતા. અંગ્રેજો આપણા દુશ્મન પણ માનવતાના કાર્યમાં તે ન જોવાય. ગાંધીજીનું આ ચારિત્ર સુભાષચંદ્ર બોઝ જોઈ શક્યા નહોતા. સુભાષબાબુ અગ્રેજોને દુશ્મન જ ગણતા. સેકન્ડ વર્લ્ડ વોર વખતે ગાંધીજી ,જર્મની સાથે લડતા બ્રિટનનો ગેરલાભ નહોતા લેવા માંગતા. જ્યારે સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવવા માંગતા હતા.સુભાષબાબુનો પ્લાન હતો કે જર્મનીએ બ્રિટનના કેદી તરીકે પકડેલા ભારતીય સૈનિકોને છોડાવી ,પોતાની આઝાદ હિંદ ફોજમાં ભરતી કરાવવા. હવે તે ફોજ હિન્દમાં ભારતીય સૈનિકોની બનેલી ફોજ સામે લડે. તો સામાન્ય રીતે ભારતીય  ફોજ પોતાના ભાંડુઓની બનેલી ફોજ સામે બંદૂક ન ઊઠાવે. હવે તેમના આ પ્લાનમાં થોડી ખામીઓ હતી. હિટલરે બ્રિટનના (પ્રિઝનર ઓફ વોર) પકડાયેલા કેદીઓ સુભાષબાબુને ન આપ્યા. સુભાષબાબુ જાપાન જોડે હાથ મિલાવવા ગયા. અને જ્યારે બર્મા –ઈમ્ફાલને રસ્તે આઝાદ હિંદ ફોજ આસામમાં પ્રવેશતી હતી ત્યારે ભારતીય જવાનોથી બનેલી બ્રિટીશ ફોજે તેમનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો.

ગાંધીજીની સત્ય અહિંસાની વાતોમાં કાંઈક વજુદ હતું. નહેરુ સરદાર પટેલ, મૌલાના, ક્રિપ્લાની જેવા કેટલા ય મહારથીઓ તેમની ફૂટબોલના સિધ્ધાંત પર રચાયેલી ટીમમાં જોડાઈને દેશને આઝાદ કર્યો.

છેલ્લી વાત–

એક વખતે પંડિત નહેરુ એક માનસિક રોગોની હોસ્પિટલની વિઝિટે ગયા હતા. ડોક્ટોરો જોડે અંદર ફરતા હતા. ત્યાં તેમની પાસે એક બોળકા માથાવાળો દર્દી આવ્યો. તેણે પંડિતજીને પૂછ્યું કે “ભાઈ તમે કોણ છો?” પંડિતજી બોલ્યા કે “ હું પંડિત નહેરુ છું.” તો તે દર્દી બોલ્યો, “ ચિંતા ન કરો. તમે પણ સારા થઈ જશો. હું અહીં આવ્યો ત્યારે મહાત્મા ગાંધી હતો.”

===========================

શ્રી હરનીશ જાનીનો તારીખ ૧૯ મી જુલાઈએ ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો એક બીજો લેખ ‘ગદ્દાર બને તે ખૂંખાર પણ બને ‘વાંચવા માટે નીચેની લીંક પર કલીક કરો.

http://gujaratmitra.in/Portals/6/Supplements/drp12.pdf

Image may contain: 3 people, people smiling, people standing

  હરનીશ જાની 

સંપર્ક –

E Mail-harnishjani5@gmail.com

( 1041 ) હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીની 76 મા જન્મ દિવસની ભેટ …”સુધન” ઈ-પુસ્તક

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
-મરીઝ સાહેબ

ગુજરાતી સાહિત્યમાં જાણીતા હાસ્ય લેખક ન્યુ જર્સી નિવાસી શ્રી હરનીશ જાનીના હાસ્ય લેખ સંગ્રહનાં જે બે પુસ્તકો પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત થયાં એ ખુબ જ પ્રચલિત છે.એમનો પહેલો વાર્તા સંગ્રહ “સુધન” (સુધન એમના પિતાજીનું નામ ) ને સાહિત્ય એકેડેમીનું બીજું ઈનામ મળ્યું. ત્યારબાદ એમનાં બા ના નામ ઉપરથી “સુશીલા” નામે હાસ્ય નિબંધ સંગ્રહ બહાર પડ્યો જેને સાહિત્ય એકેડેમીનું શ્રેષ્ઠ હાસ્ય પુસ્તકનું પ્રથમ ઈનામ અને સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે પારિતોષીક મળ્યાં છે.

હરનીશભાઈના એવોર્ડ વિજેતા પ્રથમ પુસ્તક ” સુધન” વિષે ” સુરત નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે હરનીશભાઈના પ્રસંશકોને ખુશ કરે એવા સમાચાર ફેસ બુક દીવાલ ઉપર મુક્યા છે જે નીચે મુજબ છે:

તેઓ જણાવે છે :

ભાઈ હરનીશભાઈ નો પ્રથમ ‘હાસ્યવાર્તાઓ’નો સંગ્રહ તો છેક 2003માં પ્રકાશીત થયેલો .. પ્રકાશક હતાં : સુનીતા ચૌધરી, રંગદ્વાર પ્રકાશન અને મુદ્રક હતા જાણીતા ‘ચંદ્રીકા પ્રીન્ટરી’.

આજે લાંબા સમયથી એ પુસ્તક લગભગ અપ્રાપ્ય અવસ્થામાં હતું .. એની ઈ.બુક બનાવવાનું સુઝ્યું ને અનેકોના સહકારથી તે બની..

આજે તા. 05-04-2017નો રામનવમીનો દીવસ એ હરનીશભાઈનો જન્મદીવસ છે.તે ટાણે આ ઈ.બુક આપ સૌ રસજ્ઞોને ભેટ ધરતાં બહુ આનંદ થાય છે.

કોઈ પણ પાનું ખોલો, કોઈ પણ (હાસ્ય)વાર્તા વાંચવી શરુ કરો, ને તે પુરી વાંચ્યા વીના તમે ન રહી શકો તેની ખાતરી..વધારે વીગતો તો આ ઈ.બુકમાં જ છે.

આ ઈ.બુક હૃદયસ્થ રતીલાલ ચંદરયા કૃત વિશ્વપ્રસીદ્ધ વેબસાઈટ ગુજરાતી લેક્ક્ષિકોન પર મુકાઈ છે.સુજ્ઞ વાચકો ઈચ્છે ત્યારે નીચેની લીંક

http://www.gujaratilexicon.com/ebooks/category/3/humour-

પરથી તેની પીડીએફ અને ઈ.પબ બન્ને ડાઉનલોડ કરી શકશે..
સૌનો ખુબ આભાર..વીશ યુ હેપી રીડીંગ..

− ઉત્તમ ગજ્જર

વિનોદ વિહારના વાચકો ” સુધન -ઈ બુક “ના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ અપ્રાપ્ય પુસ્તકના બધા જ લેખો વાંચી શકશે.

સહૃદયી હરનીશભાઈની ૭૬ મી વર્ષ ગાંઠ નિમિત્તે વાચકોને એમના હાસ્ય લેખોનું આ ઈ-પુસ્તક વિના મુલ્ય પ્રાપ્ય કરાવવા માટે લેખકનો અને ગુજરાતી લેક્ષિકોન વતી શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો ખુબ આભાર .

        Shri Harnish Jani with family

શ્રી હરનીશભાઈ ને એમની ૭૬ મા જન્મ દિવસ માટે અભિનંદન.પ્રભુ એમને આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે અને ગુજરાતી સાહિત્યને એમના લેખોથી સમૃદ્ધ કરતા રહે એવી હાર્દિક શુભેચ્છાઓ .

સુરતના અખબાર ‘ગુજરાતમીત્ર’ દૈનીકની બુધવારીય પુર્તી ‘દર્પણ’માં ન્યુ હરનીશ જાનીની કૉલમ ‘ફીર ભી દીલ હૈ હીન્દુસ્તાની’માં દર બુધવારે એમના હાસ્ય લેખો નિયમિત પ્રગટ થતા રહે છે.

મને ગમેલા એમના ઘણા હાસ્ય લેખો અને “ફેર ભી દિલ હૈ હિન્દુસ્તાની “કોલમના ગમેલા લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ બધા લેખો આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

હરનીશભાઈ નો સંપર્ક
Harnish Jani
4, Pleasant Drive, Yardville, NJ08620
Email harnishjani5@gmail.com.
Phone 609-585-0861

( 1000 ) અમેરિકન બોલી–અમેરિકામાં…….. હરનિશ જાની

ન્યુ જર્સી નિવાસી જાણીતા હાસ્ય લેખક શ્રી હરનીશ જાનીના હાસ્ય-કટાક્ષ મિશ્રિત લેખો સુરતના અખબાર ગુજરાત મિત્રમાં દર બુધવારે” ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની” કોલમમાં નિયમિત પ્રકાશિત થાય છે.મોટા ભાગના એમના લેખો અમેરિકાના જન જીવન ઉપર આધારિત હોય છે.

ગુજરાત મિત્રના તારીખ ૧૧મી જાન્યુઆરી ૨૦૧૭ ના અંકમાં પ્રગટ થયેલો શ્રી હરનીશભાઈનો એક લેખ “અમેરિકન બોલી–અમેરિકામાં” એમના અને ગુજરાત મિત્રના આભાર સાથે વિનોદ વિહારની આજની ૧૦૦૦ મી પોસ્ટમાં મુક્યો છે.

હરનીશભાઈ લગભગ ચાર દશકાથી અમેરિકામાં વસે છે એટલે અમરીકન જન જીવનનો એમને સુંદર જાત અનુભવ છે.એમના આ લેખમાં અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષા વિષે એમણે પ્રકાશ પાડ્યો છે.

જેમ ગુજરાતી ભાષા વિષે કહેવાય છે કે બાર ગાઉ બોલી બદલાય એમ અમેરિકામાં પણ જુદા જુદા રાજ્યોમાં અંગ્રેજી ભાષાના ઉચ્ચારની લઢણમાં થોડો થોડો ફેર જણાતો હોય છે.અમેરીકા આવતા ભારતીયોને શરૂઆતમાં અહી બોલાતી ઈંગ્લીશ ભાષા સારી રીતે સમજવામાં થોડો સમય લાગે છે પણ પછી વાંધો નથી આવતો.હરનીશભાઈએ એમની આગવી હળવી શૈલીમાં લખેલ એમના આ લેખમાં અમેરિકામાં બોલાતી અંગ્રેજી ભાષાની ઉપયોગી માહિતી આપી છે એ જરૂર વાંચવી ગમશે.

શ્રી હરનીશભાઈના ગુજરાત મિત્રમાં અને અન્યત્ર પ્રગટ ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયા છે એને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

વિનોદ પટેલ

અમેરિકન બોલી–અમેરિકામાં ….. હરનિશ જાની

મારા સસરાજીના એક મિત્રના જમાઈ અમેરિકા આવવાના હતા. ત્યારે તેઓ બન્નેને ચિંતા હતી કે જમાઈનું અમેરિકામાં શું થશે? જમાઈએ તો ગુજરાતી વિષયમાં આર્ટસની ડિગ્રી લીધી હતી. તેમને અંગ્રેજી જરાયે આવડતું નહોતું પણ મોટા ભાઈની સિટીઝનશીપ પર તેમને અમેરિકન વીઝા મળ્યો હતો. ત્યારે હું ભારત ફરવા ગયો હતો. બન્ને મુરબ્બીઓએ મને અમેરિકામાં બોલાતા ઈંગલીશ માટે સવાલો પૂછ્યા. મેં તેમને સમજાવ્યું કે જમાઈએ કયા પ્રકારની નોકરી કરવી છે. તેના પર આધાર રાખે છે. લેબર જોબ કરવો હોય તો જીભ ન ચાલતી હોય તો ય કામ ચાલશે. પરંતુ ગવર્મેન્ટ જોબ કે કોઇ શૈક્ષણીક સંસ્થામાં નોકરી કરવી હોય તો સાચું અને ચોખ્ખું અંગ્રેજી બોલવું પડે. આજકાલ તો ભારતીયોના સ્ટોર અને બિઝનેસીસ એટલા બધા છે કે અંગ્રેજીનો શબ્દ પણ ન આવડતો હોય તોય પૈસા કામાવાય. છેવટે કશું ન આવડતું હોય તો પણ કોઈ હિન્દુ મંદિરમાં ભગવાનને શરણે ગોઠવાઈ જાય તોય ઉધ્ધાર થઈ જાય. ભગવાન તો અંતર્યામી છે. એ તો કોઈપણ ભાષા બોલ્યા સિવાય મનની વાત જાણી લે છે. અહીંના કેટલાય ઈમિગ્રંટસ્ અમેરિકન ને ‘હી ડોન્ટ નો નથીંગ ‘ બોલતા સાંભળ્યા છે. ત્યારે મને મારી વાત સાચી લાગી છે.

એક જમાનો હતો કે અમેરિકા આવતા સ્ટુડન્ટે પોતાને ઈંગ્લીશ ભાષા આવડે છે તે સાબિત કરવા ટોફેલનો જુદો ટેસ્ટ આપવો પડતો હતો. તે ટેસ્ટના માર્ક્સને આધારિત તેમને અહીંની કોલેજોમાં એડમિશન મળતું. હું ૧૯૬૯માં સ્ટુડન્ટ હતો. મેં ટોફેલની પરિક્ષા તો આપી હતી. એટલું જ નહીં પણ અમેરિકનોની દિનચર્યા પર યુનાઈટેડ સ્ટેટસ ઈન્ફર્મેશન સર્વિસીસમાં ફિલ્મ પણ જોઈ હતી. અને અહીં મ્હોં ખોલ્યા સિવાય ફોર્ક–નાઈફથી કેવી રીતે ખાવું તે પણ બતાવવામાં આવ્યું હતું. આ એક જાતની અમેરિકા આવતાં પહેલાંની તૈયારી જરુરી હતી. એક જાતનો કોર્ષ હતો.

સૌ પહેલાં આવતા સ્ટુડન્ટસ્ ને માટે કોઈ ગેરેન્ટી નહોતી એટલે આ બધાં ટેસ્ટ હતા. અરે, અમારે મેડિકલ એક્ષામ આપવી પડતી હતી અને એક્ષ રે પણ લેવડાવવો પડતો હતો. આજે કાયદા તેના તે રહ્યા છે. અને પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સિટીઝનના સગાં વહાલાં ટોફેલ બોફેલ વિના આવી શકે છે. યુનિ.માં ભણવું છે કોને? હવે આપણા લોકોનું કલ્ચર પણ બદલાઈ રહ્યું છે.

શરુઆતમાં આવતા સ્ટુડન્ટસ્ અમેરિકન કલ્ચર જાણતા હતા અને અમેરિકન સોસાયટીમાં ભળવા માંગતા હતા. અને બાળકોને પણ ઈંગ્લીશ આવડે તો સારું. એમ સમજીને તેમની સાથે ઈંગ્લીશમાં બોલતા. હવે ભારતીયો વધી ગયા છે. જે અદરો અંદર ગુજરાતી, હિન્દી, પંજાબીમાં કામ ચલાવે છે. એટલું જ નહીં પણ આપણું કલ્ચર બધે પ્રસરાવે છે. જેવું કે–પાન ખાઈને જ્યાં ત્યાં થુંકવું, જાહેર જગ્યાએ મોટે મોટેથી વાતો કરવી. દરેક વાતમાં ભાવ તાલ કરવા. વિ. વિ. એટલે અમેરિકન ઈંગ્લીશ પણ ભારતીય લઢણમાં બોલે છે.

હવે અમેરિકા દેશ ખૂબ મોટો છે. તેમાં દુનિયા આખીના લોકો વસે છે. વસે છે એટલું જ નહીં દરેક જણ સાથે પોત પોતાનું કલ્ચર લાવે છે. અને તેને લીધે અમેરિકન કલ્ચર વધુને વધુ વિકસે છે– ખીલે છે. બીજા કશાની વાત ન કરીએ અને ફક્ત ન્યૂ યોર્ક શહેરની જ વાત કરીએ તો ન્યૂ યોર્કમાં લિટલ ઈટાલી નામનો લત્તો છે.ન્યૂ યોર્કમાં જ વેસ્ટ ઈન્ડિઝના કરેબિયન આઈલેન્ડઝ્ના લોકો, પોલેન્ડના લોકો, આઈરીશ નેબરહુડ (લત્તો) પણ છે.આવા દરેક જુદા જુદા એરીયા મળે. ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડ પર લિટલ ઈન્ડિયા છે. જ્યાં તમને સાડી અને ધોતિયાં દેખાય. અને ધ્યાનથી સાંભળો તો ચરોતરી બોલતા મંગરા માસી પણ સંભળાય.

ન્યૂ યોર્કના ક્વીન્સ એરિયામાં સેન્ટ્રલ અમેરિકાના સ્પેનિશ બોલતા લોકો રહે છે. હવે આ બધી પ્રજા પોતાની લઢણમાં ઈંગ્લીશ બોલે છે. જે તેઓને અંદરો અંદર સમજાય છે. બીજી પ્રજાને તેમાં ગરબડ થાય છે. મારા પોલેન્ડના મિત્રો ઘરમાં પોલિસ ભાષા બોલે છે. ઈટાલીયનો ઘરમાં ઈટાલિયન ભાષા બોલે છે અને યુરોપમાં રમાતી ફૂટબોલની મેચો જુએ છે. તો સવાલ થાય કે અમેરિકન ઈંગ્લીશ કેવું? અને કોણ બોલે છે?

કોઈ પણ નેશનાલિટી હોય પણ તેમની ચોથી પાંચમી પેઢી પછી તેમની ભાષા અને ખરું અમેરિકન રૂપ લે છે. અને ખરા અમેરિકન બને છે. પરંતુ ભાષા પાછળ બીજા પરિબળો કામ કરે છે. તેમાંનું એક તે આ વિશાળ દેશની ભૂગોળ– જો દરેક સ્ટેટની વાત ન કરીએ અને ફક્ત દિશા પ્રમાણે જોઈએ તો સાઉથના અમેરિકનો વાતો કરતા હોય તો આપણને તે ગાતા હોય એમ લાગે, દક્ષિણના રાજ્યો ધાર્મિક બહુ. ઘણી બધી ચર્ચો ત્યાં છે. તે રાજ્યોને બાયબલ બેલ્ટ કહેવાય છે. એટલે તેમના અવાજમાં લ્હેકા હોય છે. ન્યૂ યોર્કમાં ત્રીસ વરસ રહ્યા પછી , હું વર્જિનીયામાં રહ્યો છું. ત્યાંના લોકો મારા ન્યૂ યોર્કના ઉચ્ચારો પકડી પાડતા. શરુઆતમાં મને અમેરિકન ગાયનો નહોતા ગમતા પણ પછી દક્ષિણના ગાયકો–જ્હોની કેસ– કેની રોજર્સ–ગ્લેન કેમ્બલ–ડોલિ પાર્ટનના ગીતો ગમવા માંડ્યા. તેમના ગીતોમાં મને હિન્દી ગાયનો સંભળાતા. પછી મેં બીજીઝ– જેક્શન ફાઈવ(માયકલ જેક્શન)ના સંગીત વસાવ્યા. અને મારી જેમ બોલિવુડના બીજા મ્યુઝિક ડાયરેક્ટરો બપ્પી લહેરી અને અન્નુ મલિક જેવાને પણ સંભળાવા લાગ્યા.

ટેક્ષાસમાં વળી જુદા ઉચ્ચાર. આફ્રિકન અમેરિકનોના જુદા ઉચ્ચારોવાળું ઈંગ્લીશ. ૮૦ના દાયકામાં તેમણે ગોરા અમેરિકનોથી જુદા પડવા ફોનીક્ષ –જુદા ઉચ્ચારોવાળું ઈંગ્લીશ ચાલું કર્યું હતું પરંતુ બિલ કોસ્બી–જેસી જેક્સનઅને બીજા બધા કાળા લિડરોએ સમજાવ્યું કે આપણે જો ગોરા અમેરિકનોની સાથે બિઝનેસ કરવો હોય તો તેમના જેવું ઈંગ્લીશ બોલો. અને ભણો. આજે ગોરા કાળાના ભેદભાવ વિના સૌ અમેરિકનો છે. તેમ છતાં આજે અમેરિકામાં સેંકડો ઉચ્ચારોવાળું ઈલીશ બોલાય છે.

હા, એક વાત કહેવી પડશે કે બ્રોડકાસ્ટિંગના–રેડિયો અને ટી.વી.ના એનાઉન્સરોના ઉચ્ચારો સીધા એક સરખા હોય છે. તેમ છતાં કેટલાક અપવાદો જરૂર હોય છે. હું તેને સાચું અમેરિકન ઈગ્લીશ ગણું છું. પછી તે ટીવી એનાઉન્સર જાપાનીઝ હોય, ભારતીય હોય કે આફ્રીકન અમેરિકન હોય. પરંતુ સૌ સરખા ઉચ્ચારોવાળું અમેરિકન ઈંગ્લીશ બોલે છે.

છેલ્લી વાત–

એક નાના શહેરમાં એક દાનેશ્વરી એ ગાંડાની હોસ્પીટલમાં સ્વીમીંગ પુલ બનાવવા માટે દાન કર્યું .દર્દીભાઈઓના મનોરંજન માટે તેની જરૂર હતી. વરસ પછી તે દાનેશ્વરીએ હોસ્પીટલના ડાયરેક્ટરને ફોન કર્યો કે “સ્વીમીંગ પુલનું કામ કેટલે આવ્યું? ‘ ડાયરેક્ટરે જણાવ્યું પુલ બની ગયો છે. અને દર્દીભાઈઓ એનો લાભ ઊઠાવે છે. તો દાનેશ્વરીએ ગભરાઈને પૂછયું કે‘ કોઈ ડૂબી જશે એવો તમને ડર નથી લાગતો?‘ તો ,ડાયરેક્ટરે શાંતિથી જવાબ આપ્યો કે “ના અમને એવો ડર નથી. સ્વિમીંગ પુલમાં હજુ પાણી જ નથી ભર્યું.!”

-હરનીશ જાની 

સંપર્ક :

Harnish Jani

4, Pleasant Drive, Yardville, NJ08620

Email harnishjani5@gmail.com.

Phone 609-585-0861

પરિચય 

Harnish Jani-3

 હરનીશ જાની …..સૌજન્ય….ગુજરાતી  પ્રતિભા  પરિચય

( 858 ) સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ …./ સીનીયરનામા… બે હાસ્ય લેખો….. શ્રી હરનિશ જાની.

Mr.Harnish Jani-Mrs.Hansa Jani

Mr.Harnish Jani-Mrs.Hansa Jani

આજે ગુજરાતી ભાષામાં જે ગણ્યા ગાંઠ્યા હાસ્ય લેખકો છે એમાં ન્યુ જર્સી નિવાસી મારા મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશ  જાનીનું નામ એક એવોર્ડ વિજેતા સુપ્રસિદ્ધ હાસ્ય લેખક તરીકે જાણીતું છે.એમના હાસ્ય લેખો અને ગુજરાત મિત્ર અખબારમાં એમની નિયમીત કોલમ ” “ફેર ભી દિલ હૈ હિન્દુસ્તાની “માં પ્રગટ એમના મને ગમેલા ઘણા હાસ્ય લેખો અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરવામાં આવ્યા છે.

સીનીયર સિટીઝનોની ખાસિયતો ઉપર હાસ્ય વેરતા એમની આગવી રમુજી શૈલીમાં  લખાયેલા  શ્રી હરનીશભાઈના બે લેખો  ….

(૧)સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ ...અને (૨) સીનીયરનામા શ્રી હરનીશભાઈ ના આભાર સાથે  આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.

સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ હાસ્ય લેખ જાન્યુઆરી ૨૦૧૬ના નવનીત-સમર્પણ માસિકમાં પણ પ્રસિધ્ધ થયેલ છે .

આ બે હાસ્ય લેખો ખાસ કરીને મારા જેવા અનેક સીનીયર સિટીઝનોના મુખ પર સ્મિત અને હાસ્ય લાવી દેશે અને મને ગમ્યા એમ એમને પણ ગમશે એની મને ખાતરી છે .

વિનોદ પટેલ  

સિનીયરોનું –દામ્પત્ય મંગલમ્ …. હાસ્ય લેખ …..

લેખક- શ્રી હરનિશ જાની.

ઘણા સિનીયરોને (ડોસાઓને),યાદ જ નથી હોતું કે તેઓ પરણેલા છે. અને આનંદની વાત એ છે કે તેમને તે યાદ કરાવવા તેમની પત્ની ત્યાં હાજર હોય છે. અને સિનીયરોને તેઓ પરણ્યા કેમ ? એમ પૂછો તો તેમણે વિચારવું પડે કે તેઓ કેમ પરણ્યા છે?  સ્ત્રીઓને પૂછો તો કહેશે કે અમારે જીવનમાં સેટલ થવું હતું. પરણીને પુરુષ સેટલ નથી થતો. સરન્ડર થાય છે. જ્યારે સારી નોકરી મળે ત્યારે પરુષ સેટલ થયો ગણાય. એટલે પુરુષોની એ દલીલ પણ ધોવાઈ ગઈ. અને પ્રશ્ન તો ઊભો રહે જ છે. કે પરણ્યા કેમ?  જુની હિન્દી ફિલ્મોમાં  જ્હોની વોકર કહેતો કે “પાગલ કુત્તેને કાટા થા ઈસી લિયે શાદી કી.”

મારા બાલુકાકાને એ જ સવાલ પૂછયો તો કહે ” કે ભાઈ, મને વરઘોડાનો શોખ હતો. લોકોના જેટલા વરઘોડા જોતો ત્યારે એમ જ થતું કે આપણો વરઘોડો ક્યારે નિકળશે? મેં આ વાત દાદાને કરી .અને તેમણે ધામધુમથી વરઘોડો કાઢીને પરણાવ્યો. પછી બધા તો છુટી ગયા. અને મારે તારી કાકી સાથે રહેવાનું થયું. અમે તો લગ્ન પહેલાં કદી માળ્યા નહોતા. મને ખબર નહોતી કે એને મારી કોઈ વાત ન ગમે તો ગુસ્સે થઈ,વસ્તુઓને મારા તરફ ફેંકવાનું ગમે છે.”અને મને મારો જવાબ મળી ગયો.

પુરુષને વરઘોડો–લગ્ન સમારંભ અને લગ્નનો દિવસ ગમે છે. લગ્નમાં મહાલવા માટે એક દિનકા સુલતાન બનવા લગ્ન કરવા ગમે છે. અને લોકોએ પણ એને ચઢાવ્યો અને રાજાનું સંબોધન કર્યું. અને વાંદરને દારૂ પીવડાવ્યો. લગ્નદિન એટલે જાણે લગ્નજીવનના પુસ્તકનું કવર. તેના પરથી પુસ્તક પસંદ કરવા જેવું, અંદર શું છે તે સરપ્રાઈઝ છે. અને મોટે ભાગે એ સરપ્રાઈઝ જ નિકળે છે. વાત એમ કે લગ્ન જુવાનીમાં થાય છે. જુવાનીની કાંઈ ઓર ખુમારી હોય છે. જુવાનીમાં બીજા પરણેલાઓને જોવા જેટલી પણ બુધ્ધિ હોતી નથી. જગતમાં કોઈ જુવાન પુરૂષ ને પોતાના જેવું કોઈ હોશિયાર લાગતું જ નથી એ કદી મૂર્ખાઈ કરતો જ નથી.

અહીં ,અમેરિકન આર્મીમાં હાઈસ્કુલના છોકરાઓ વધુ જોડાય છે. આર્મીમાં આલ્કોહોલ અને સિગારેટ  મફત મળે. અને ઘેર માબાપ પીવાની ના પાડે. તેમને  યાદ નથી રહેતું કે સિગારેટ પીધા પછી સાચી ગોળીઓ ખાવાની  હોય છે. લગ્નમાં વરઘોડા દેખાય છે. પણ પાછળ યુધ્ધ પણ હોય છે. પરંતુ બધા જુવાનો, અર્જુન જેવા હોય છે. તેમને માછલી જ દેખાય છે. એ  માછલી પાછળની સ્ત્રી નથી દેખાતી. કૌરવો હોશિયાર હતા. તે પણ ધનુર્વિદ્યામાં પ્રવિણ હતા. પણ એમને જેવી ખબર પડી કે જો માછલીની આખ વિંધીશું તો દ્રૌપદીને પરણવું પડશે કે દુર્યોધને બધાંને જણાવી દીધું કે બેસી જ રહેજો.                                 

અને કૌરવોએ માછલીની આંખ વિંધવાનું માંડી વાળ્યું. જો પછી શું થયું ? મહાભારત થયું.  દુર્યોધન સાચો પડ્યો ને!

આજકાલ સાઠવરસની ઉંમર સિનીયરમાં નથી ગણાતી.તેમ જ આધેડ વય પણ ન ગણાય.કારણ કે મારા એક સાઠ વરસના મિત્ર પોતાને આધેડ વયના ગણાવે છે. તો મારે કહેવું પડ્યું કે ‘ જો તમે કોઈ એક સો વીસ વરસના ડોસાને જોયો છે? અને હવે દવાઓ એટલી બધી શોધાય છે ને કે  પહેલેના જમાનામાં સાઠ વરસે આવતો હ્દય રોગ તો આજે લગભગ કંટ્રોલમાં આવી ગયો છે.

પહેલાંના જેવી બિડીઓ પણ પીવાતી નથી. એટલે કાંઈક અંશે લંગ્સ કેન્સર ઓછા થઈ ગયા છે. એટલે સિત્તેરના સિનીયર તો તમને સામાન્ય રીતે મળી રહે. હું અને મારા પત્ની બન્ને સિત્તેરના થયા.અત્યાર સુધી તે પચાસની હતી. અને એકાએક તેણે નક્કી કર્યું કે હવે ઉંમર ખેંચાય તેમ નથી. તો લોકોને કહે કે હું પંચોતેરની છું તો  બીજી સ્ત્રીઓ કહે કે,” ના હોય, મને તો તમે સાઠના લાગો છો. તો એ તેને ગમે છે.

એક દિવસે  તે ટી.વી. પર હિન્દી ચેનલ જોતી હતી. મેં જોયું તો સાઉન્ડ ઓફ હતો..મેં કારણ પૂછ્યું તો કહે કહે કે “મને બહુ અવાજ નથી ગમતો”

‘ તો પછી ટીવી બંધ કરીને બેસને .‘                                                           ૪

‘ના તો પછી એકલું લાગે છે. અને તું જો સાથે બેઠો હોય તો તું તો સોફામાં બેઠો બેઠો ઊંઘે છે.‘

મારા પત્નીજીને હિન્દી સિરીયલો ગમે છે. તે પણ સાઉન્ડ ઓફ કરીને જુએ છે. કારણં?  હિન્દી સિરીયલોમાં ડાયલોગ જેવું કાંઈ હોતું નથી. ફક્ત સ્ત્રીઓના લેટેસ્ટ ફેશનના ડ્રેસિસ જોવા ગમે છે. કોઈના લગ્ન વખતે એમના જેવી સાડી પહેરવાની કામ લાગે. બીજું તો કાંઈ નહીં  પણ હિન્દી સિરીયલોની, પત્નીજી પર એટલી અસર થઈ છે કે તે હવે બેડરૂમમાં સુવા આવે છે. ત્યારે કોઈના લગ્નમાં તૈયાર થઈને જતી હોય એમ મેક અપ સાથે આવે છે.

રિટાયર્ડ થયા પછી  એક મ્યાનમાં કદાચ બે તલવાર રહી શકે.પરંતુ પતિ,પત્ની બન્ને ,એક સાથે સોફા પર ન બેસી શકે. ખરેખર તો મને એવું લાગે કે અમે બન્ને કારમાં બેઠા છીએ. અને કારની ટેવ મુજબ,.રીમોટ કંટ્રોલ મારા હાથમાં હોય પણ મિનીટે મિનીટે ચેનલ બદલવાનું એ કહે છે.

જો કોઈ દવાની કમર્શિયલ આવે તો તે મારા સામું જોયા કરશે. પછી હું આશ્ચર્યથી એના સામું જોઉં અને પૂછું ‘શું છે મને ટગર ટગર જોયા કેમ કરે છે?‘

‘ના એ તો જોઉં છું કે તને બેઠા બેઠા હાંફ ચઢે છે કે નહીં? આ લોકો જે દવા બતાવે છે .તે લઈએ તો હાંફ બંધ થઈ જાય.‘  દરેક દવા મારે લેવી જોઈએ એ એમ માને છે. એક વખતે સોફામાં  બેઠા બેઠા મારા પગ લાંબા ટૂંકા કરાવતી હતી. અને મારી નજર ટીવી પર ગઈ તો અંદર કમર્શિયલ ચાલતી હતી, પગના મસલ્સ મજબુત કરવા કેલ્શિયમની ગોળીઓની. પછી હું સમજી ગયો કે  મારા પત્નીને મારી હેલ્થની બહુ ચિંતા રહે છે. એટલી હદે કે રાતે બેડમાં ઊંઘતો હોઉં તો ય ઊઠાડશે. ‘તારા નશ્કોરાં નહોતા બોલતા અટલે ચેક કરતી હતીએ બધું બરાબર છે ને!  

પેલા ભરતભાઈને  ઊંઘમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. અને પછી બિચારા માલતીબેનને લોકો કેવું સંભળાવતા હતા? ‘ અને તારી ચિંતામાંને ચિંતામાં મને ઊંઘ નહોતી આવતી. ચાલ હવે નિરાંત થઈ. હવે સુઈ જવાશે.‘ 

 “પણ  તેં મને ઊઠાડી દીધો .હવે મને ઊંઘ નહીં આવે.”

“ધેટ ઈઝ યોર પ્રોબ્લેમ, કાલે તારા માટે ટીવી પરથી કોઈ દવા શોધી કાઢીશ.મને સુવા દે.” 

વસ્તુ એ છે કે સિનીયર અવસ્થામાં સ્ત્રી અને પરુષ બન્નેને સાથે સુવાનું કારણ જ નથી હોતું  સિવાય કે એકમેકને ઊંઘ આવે છે કે નહીં તે ચેક કરવાનું , અને સાથે સુતા હોય તો અડકવાનું નહીં કારણ કે અડધી રાતે કોઈ અડકે તો ઝબકીને જાગી જવાય છે.                                   

પુરુષોને લગ્ન કરવાનો શોખ હોય તો પત્ની તો દેખાવડી શોધે નાક આશા પારેખ જેવું અને આંખો હેમા માલિનીના જેવી .પરંતુ તેમને ખબર નથી હોતી કે આંખ અને નાક કરતાં જીભ અગત્યની છે.  મતલબ કે રૂપ રંગ જુવાનીના ચાર દિવસના અને સિનીયરનો  

સ્વભાવ અંત સુધી રહેવાનો. એ વાતની  કોઈ પણ પુરુષને ખબર નથી. હિન્દી ફિલ્મોમાં શમ્મીકપુર અને આશા પારેખ સાથે તેમના મા બાપના રોલમાં ઓમ પ્રકાશ અને તેની ભાગ્યવાન પત્ની લલિતા પવાર પણ હોય છે. તે સિનીયર જોડી કાયમ લડતી ઝગડતી હોય છે. જુવાનોએ નજર આશા પારેખ કરતાં લલિતા પવાર પર રાખવી જોઈએ. તો ખબર પડે કે બધી લલિતા પવારો જુવાનીમાં આશા પારેખો જ હતી.

મોટા ભાગના જુવાનીયાઓ  લગ્ન કરે છે. ત્યારે ધાર્મિક નથી હોતા.

અને સિનીયર વરસોમાં વરરાજા સાધુ બની જવાના વિચાર કર્યા કરે છે. અને તે ક્યારે સાધુ થાય છે.એની રાહ જોતી વહુરાણી બેઠી હોય છે. કુર્યાત્ સદા મંગલમ્.

સીનીયર નામા -હાસ્ય લેખ – હરનીશ જાની

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.

-મરીઝ સાહેબ

 Senior citizen

નીચેની લીંક પર ક્લિક કરી આખો હાસ્ય લેખ વાંચો.

સૌજન્ય- શ્રી ઉત્તમ ગજ્જર ,સન્ડે-ઈ-મહેફિલ 

 સીનીયરનામા -હરનીશ જાની

 

સંપર્ક 

       Harnish Jani

4, Pleasant Drive, Yardville,  NJ08620

Email harnishjani5@gmail.com.

Phone 609-585-0861