વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: બોધ કથાઓ

( 1017 ) આજની બે બોધદાયક અને પ્રેરક વાતો …

જીવનની ગુમાવેલી અને બચાવેલી સેકન્ડો …

જીવનમાં નાની નાની બાબતો પર સમય ગુમાવવા માટે આપણી આ જિંદગી ઘણી ટૂંકી છે.આ માટે એક વિચારકે સરસ ઉદાહરણ આપ્યું હતું એ યાદ આવે છે. 


save-timeધારી લો કે તમારા બેંકના ખાતામાં
86,400 ડોલર જમા પડ્યા છે.એમાંથી કોઈ ગઠીયો ચાલાકી કરીને 10 ડોલરની ઉચાપત કરી જાય છે.આ ચોરીથી તમે ઘણા અપસેટ થઇ જાઓ છો.આ સંજોગોમાં તમે એ ચોરને પકડવા પાછળ તમારું બેન્કનું બાકીનું $86,390 નું બેલેન્સ વાપરી નાખશો કે ચોરાએલી $10 ની નજીવી રકમને ભૂલી જઈને તમારું રોજનું જીવન જીવતા હોય એમ જીવશો.? તમે $10 ને ભૂલી જશો બરાબર ને !
 

હવે જુઓ, આપણે રોજ સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે એ દિવસે આપણા જીવનના બેન્કના ખાતામાં ૨૪ કલાક એટલે કે 86,400 સેકંડ (24x60x60=86,400) ની મૂડી જમા થઇ જાય છે.ધારો કે એ દિવસ દરમ્યાન કોઈ માણસ તમારા પ્રત્યે ૧૦ સેકન્ડ માટે એવું નકારાત્મક વર્તન કરે કે છે કે જેનાથી તમારી લાગણી દુભાય છે,તમને ખોટું લાગે છે,મગજ ગરમ થઇ જાય છે .આ સંજોગોમાં એ નકારાત્મક 10 સેકન્ડ પાછળ તમારી એ દિવસની બાકીની જમા પડેલી 86,390 સેકન્ડને ખોટા વિચારો કરીને વેડફી નાખવાની જરૂર છે ખરી ? એનો સાચો જવાબ એ છે કે એ 10 સેકન્ડને ભૂલી જઈને અને બાકીની 86,390 સેકન્ડને સાચવી લઈ એ દિવસનાં કરવાનાં સકારાત્મક કામો પાછળ લાગી જવામાં જ જીવનનું હિત સમાએલું છે.ખરું ને !

નાની નાની ભૂલી જવા જેવી નકારાત્મક બાબતો પાછળ આ મહામુલી જિંદગીનો સમય વેડફી નાખવા માટે આપણી આ જિંદગી ઘણી ટૂંકી છે.જીવનમાં ખોટી સેકન્ડો ને ભૂલીને સાચી સેકન્ડોને જાળવીને સકારાત્મક કામમાં લાગી જઈએ .

 

સ્વામી વિવેકાનંદ અને વાંદરાઓની એક પ્રેરક વાત  

Swami Vivekananda -Secret of Religion

સ્વામી વિવેકાનંદ સન્યાસીના રૂપમાં સમગ્ર ભારતમાં પગપાળા પ્રવાસ કરતા હતા.આ એ સમય હતો જ્યારે સ્વામીજીને કોઈ ઓળખતું નહોતું.એમની રોજની પરિક્રમા દરમ્યાન સ્વામીજી એક વાર ફરતા ફરતા બનારસમાં આવ્યા. 

બનારસના વાંદરાઓ બહુ જ ખતરનાક હોય છે.કેટલાક વાંદરાઓએ સાથે મળીને સ્વામીજીનો પીછો કર્યો.સ્વામીજી વાંદરાઓથી બચવા માટે ભાગી રહ્યા હતા.આગળ સ્વામીજી અને પાછળ વાંદરાઓ.સામેથી એક વૃદ્ધ સાધુ આવતા હતા.સ્વામીજીને ભાગતા જોઈ ને એ બોલ્યા, “બાબાજી, ભાગો નહિ,દુષ્ટોનો સામનો કરો.” 

સ્વામીજીએ વિચાર્યું કે આ અદભૂત જ્ઞાન છે, મારે ભાગવાને બદલે વાંદરાઓનો સામનો કરવો જોઈએ.સ્વામીજી ત્યાં જ ઉભા રહી ગયા અને પાછળ આવતા વાંદરાઓ સામે ક્રોધ ભરી દ્રષ્ટિથી જોયું.વાંદરાઓ તરત જ સ્વામીજીનો પીછો કરવાનું છોડીને પાછા ભાગી ગયા. 

આપણા જીવનમાં પણ બનારસના આ વાંદરાઓની જેમ અનેક સમસ્યાઓ અને દુર્ગુણો આપણો પીછો કરતી હોય છે. એવા સમયે આપણે એનાથી ગભરાઈને ભાગીએ છીએ.સ્વામી વિવેકાનંદજીએ કર્યું એમ જો મુશ્કેલીઓથી ભાગવાનું બંધ કરીએ અને એનો સાહસ અને હિંમતથી સામનો કરીએ તો સમસ્યાઓ-મુશ્કેલીઓ પીછો કરવાનું છોડી દે છે.

 

વિનોદ પટેલ,૨-૧૮-૨૦૧૭ 

( 999 ) ૧.પ્રેમ ચેપી હોય છે !……૨.ધન અને મનનો રણકાર…. બે બોધ કથાઓ

એક નેટ મિત્ર શ્રી પરેશ પટેલના ઇ-મેલમાં હિન્દીમાં એક સરસ બોધ કથા વાંચી જે મનને ગમી ગઈ.આ કથાનો ગુજરાતીમાં અનુવાદ કરીને વાચકો માટે નીચે પ્રસ્તુત છે.

૧.પ્રેમ ચેપી હોય છે !

શહેરના એક નાનકડા બજારમાં સંતરાં વેચતી એક ઘરડી સ્ત્રી પાસેથી એક યુવાન હમેશાં સંતરાં ખરીદતો હતો.સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો “ડોશીમા,જુઓ આજે આ સંતરું ઓછું મીઠું છે “.

ઘરડી ડોશી એક પેસી ચાખતી અને સામી દલીલ કરતાં કહેતી ,”ના બાબા,સંતરું આટલું મીઠું તો છે ” .થોડું છોલેલા સંતરાને એ ઘરડી ડોશી પાસે છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને થેલી હલાવતો આગળ ચાલ્યો જતો.

આ યુવાન એની પત્ની સાથે જ સંતરાં ખરીદવા આવતો હતો.એક દિવસ એની પત્નીએ આશ્ચર્ય સાથે એના પતિને પૂછ્યું:” આ ડોશીમાનાં સંતરાં હંમેશાં મીઠાં જ હોય છે તો દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો એ મને નથી સમજાતું ?”

પતિએ મુખ પર સ્મિત સાથે એનું રહસ્ય પત્નીને જણાવતાં કહ્યું:” એ સાચું છે કે ડોશીમા હમેશાં મીઠાં સંતરાં જ વેચે છે,પણ પોતે એ સંતરાં ખાતી હોય એમ મને લાગતું નથી.આ રીતે હું એને એક સંતરું રોજ ખવડાવું છું એ મને ગમે છે .”

આ સંતરાં વેચતી ડોશીમાની બાજુમાં જ શાકભાજી વેચતી સ્ત્રી જે આ દ્રશ્ય જોતી હતી એણે એક વાર એને પૂછ્યું:” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજ ચાખ ચાખ કરે છે અને તું સંતરાં તોલે છે ત્યારે હું તારા ત્રાજવાને જોઉં છું તો તું હમેશાં એને એક બે સંતરાં જેટલું નમતું તોલીને આપે છે,એમ કેમ કરે છે ?”

ડોશીમાએ બાજુમાં શાકભાજી વેચતી એ સ્ત્રીને એનો જવાબ આપતાં કહ્યું :” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખે છે અને મુકીને જાય છે એ મને સંતરું ખવડાવવા માટે જ એમ કરે છે. એ સમજે છે કે હું એ સમજતી નથી.હું મારા માટેના એના પ્રેમને ઓળખી ગઈ છું.એના આ પ્રેમના લીધે જ એક મા ની માફક આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે.!

કહેવાય છે કે પ્રેમ ચેપી હોય છે . હંમેશાં પ્રેમ આપવાથી પ્રેમ મળતો હોય છે.!

૨.ધન અને મનનો રણકાર

નીચેની બોધ કથા એક મિત્રના ફેસ બુક પેજ ઉપરથી સાભાર પ્રસ્તુત છે.

ઘણા વર્ષો પછી બે મિત્રો રસ્તામાં મળી ગયા. ધનવાન મિત્રએ તેની આલીશાન ગાડી પાર્ક કરી અને ગરીબ મિત્રને કહ્યું:”ચાલ આ ગાર્ડનમાં થોડી વાર બેસીએ.”

ચાલતાં ચાલતાં ધનવાન મિત્રએ ગરીબ મિત્રને કહ્યું:”તારા અને મારામાં ઘણો ફર્ક રહી ગયો. હું અને તું સાથે જ ભણ્યા, મોટા થયા પણ હું ક્યાં પહોચ્યો અને તું ત્યાં જ રહી ગયો.”

ચાલતાં ચાલતાં ગરીબ મિત્ર અચાનક ઉભો રહી ગયો. ધનવાન મિત્રએ પૂછ્યું :” શું થયું ? ગરીબ મિત્રએ કહ્યું તેં કોઈ અવાજ સાંભળ્યો ?”

ધનવાન મિત્રએ પાછળ ફરીને જોયું અને પાંચનો સિક્કો ઉઠાવ્યો ને બોલ્યો:”આ તો મારા ખિસ્સામાંથી પડેલા પાંચના સિક્કાનો રણકાર હતો’

ગરીબ મિત્ર બાજુના એક કાંટાળા નાના છોડ તરફ ગયો, જેમાં એક પતંગિયું ફસાયું હતું જે બહાર નીકળવા પાંખો ફફડાવતું હતું.ગરીબ મિત્રએ તેને હળવેથી બહાર કાઢ્યું અને આકાશમાં મુકત કરી દીધું .

ધનવાન મિત્રએ આતુરતાથી પૂછ્યું:”તને પતંગિયાનો અવાજ કેવી રીતે સંભળાયો ?”

ગરીબ મિત્રએ નમ્રતાથી કહ્યું:”તારામાં અને મારામાં આજ ફર્ક રહી ગયો,તને ‘ધન’નો રણકાર સંભળાય છે અને મને ‘મન’નો રણકાર સંભળાય છે.”

Source: net

હાસ્યેન સમાપયેત …

ha-ha-ha-humour-2

ફોઈબા !

પત્નીએ પતિને ફોન કર્યો.
પત્ની: “શું કરો છો?”
પતિ: “ઓફિસમાં છું, બહુ બીઝી છું ,તું શું કરે છે ?”
પત્ની :” મેકડોનાલ્ડ રેસ્ટોરંટમાં તમારી પાછળના ટેબલ પર બાળકો સાથે બેઠી છું.બાળકો મને પૂછી રહ્યાં છે કે પપ્પાની સાથે કયાં ફોઈબા બેઠાં છે ?”

( મિત્રના વોટ્સ એપ મેસેજમાંથી સાભાર …)

( 922 ) ચાર બોધ કથાઓ …..

જાણીતા બ્લોગ સન્ડે-ઈ-મહેફિલ ના સંપાદક ,સુરત નિવાસી મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં કેટલીક સરસ બોધ કથાઓ વાંચવા માટે મોકલી હતી,એમાંથી મને ગમેલ ચાર બોધ કથાઓને આજની પોસ્ટમાં એમના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે પ્રસ્તુત કરેલ છે.વિ.પ.

૧.બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ

૧૩ વર્ષની ઉંમરની એક વિદ્યાર્થીનીથી શાળાના બધા શિક્ષકો કંટાળી ગયા હતા કારણ કે આ છોકરી વર્ગમાં પગ વાળીને બેસતી જ નહોતી. વર્ગમાં બેઠા બેઠા સતત પોતાના પગ હલાવ્યા કરે અને પાંચ મીનીટ ન થાય ત્યાં પોતાની જગ્યાએથી ઉભી થઇને વર્ગમાં આંટો મારે. શિક્ષકો ગમે તેવી સજા કરે તો પણ એની કોઇ અસર આ છોકરી પર થતી નહોતી.

છેલ્લા ઉપાય તરીકે આ છોકરીની મમ્મીને શાળાએ બોલાવવામાં આવી. શિક્ષકે એમને કહ્યુ કે ” આ છોકરી ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતી. એ શાંતીથી વર્ગમાં બેસી પણ શકતી નથી. આ છોકરીને અમે આ શાળામાં રાખી શકીએ તેમ નથી કારણકે એનામાં કંઇક ખામી હોય એવુ અમને લાગે છે તમે ખામીવાળા બાળકોને અભ્યાસ કરાવતી હોય એવી કોઇ શાળામાં એને પ્રવેશ અપાવો.”

વાત સાંભળીને છોકરીની મમ્મી પડી ભાંગી. પોતાની દિકરીના ભવિષ્યની ચિંતા માતાને સતાવી રહી હતી. દિકરીમાં શું ખામી છે એ તપાસવા માટે એણે એક મનોવૈજ્ઞાનિક ડોકટરની મુલાકાત લીધી. ડોકટરે નાની છોકરીની બધી વાતો ધ્યાનથી સાંભળી અને એનું નિરિક્ષણ કર્યુ. છોકરી શાંત બેસી રહેવાને બદલે એના પગ હલાવતી હતી અને વારે વારે ઉભી થતી હતી. ડોકટરે એની ચેમ્બરમાં રહેલો રેડીયો ચાલુ કર્યો અને છોકરીને ડાન્સ કરવા માટે પ્રત્સાહિત કરી. થોડી જ વારમાં 13 વર્ષની ઉંમરની આ છોકરી કોઇપણ જાતની તાલીમ વગર અદભૂત ડાન્સ કરવા લાગી.

ડોકટરે છોકરીની માતાને કહ્યુ, ” તમે કોઇ ચિંતા ન કરો. તમારી દિકરી ખામીવાળી નહી પણ ખુબીવાળી છે. ભગવાને એનામાં નૃત્યકળા ઠાંસીઠાંસીને ભરી છે. આને તમે કોઇ સારી સંગિત અને નૃત્યની શાળામાં મોકલો. ડોકટરના આદેશ પ્રમાણે એ છોકરીને એક સારી નૃત્યશાળામાં મુકવામાં આવી અને યોગ્ય તાલીમના કારણે આ છોકરી ન કેવળ પોતાના શહેરમાં પરંતું સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ બની ગઇ.

શિક્ષકોએ જેને ખામીવાળી છોકરી સમજીને શાળામાંથી કાઢી મુકેલી એ છોકરી એટલે વિશ્વની શ્રેષ્ઠ ડાન્સર, કોરીયોગ્રાફર, અભિનેત્રી અને ડાયરેકટર ગિલીયન લીની.

બોધ પાઠ : ઘણીવખત આપણે બાળકોની ખુબીઓને ખામીઓ સમજવાની ભૂલ કરતા હોઇએ છીએ. બાળકોના વર્તન પરથી એની ટેલેન્ટને સમજીએ અને બીજા બાળકો સાથે એની સરખામણી કરવાનું બંધ કરીએ.

૨.વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , ” તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? “

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , ” અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી.”

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , ” હવે આ ચશ્મા પહેરો “. પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.

બોધ પાઠ :

આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

૩.નાના માણસોની મોટી ભેટ

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.

એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ” ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા.” નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

બોધ પાઠ:

મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

કવિ ઉમાશંકર જોશી રચિત આ પંક્તિઓ યાદ આવી ગઈ

મોટાની અલ્પતા જોઈ થાક્યો

નાનાની મોટાઈ જોઇ જીવું છું.  

૪.જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે

એક વેપારી પોતાના ઘરાકને મધ આપતો હતો. અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું. જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપર ઉપરથી લઇ શકાય એટલું મધ લઇ લીધુ બીજુ જમીન પર જ પડી રહ્યુ.

મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઇ. મીઠું મીઠું મધ એમને ખુબ જ ભાવતું હતું આથી એ મધ ચાટવા લાગી. મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઇ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો. મધથી પુરે પુરુ પેટ ભરાઇ ગયુ અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી.

પોતાની જાતને બચાવવા ખુબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઇ બેઠી. અરે આશ્વર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે જુની માખીઓની દુર્દશા જોતી જ હતી આમ છતા પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી.

બોધ પાઠ:

જીવનમાં સંયમ ખુબ જ અગત્યનો છે. ક્યાં અટકવું એનું પ્રમાણભાન ન હોય તો જીવન બરબાદ થતા બીલકુલ વાર ન લાગે.