ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
1124 – માણસ કેમ મેનિપ્યુલેટિવ બને છે? …… રઈશ મણિયાર
સૌજન્ય …સંદેશ.કોમ
માણસ કેમ મેનિપ્યુલેટિવ બને છે?
અરસપરસ એકેડમીઃ રઈશ મણિયાર
અજણભાઈ અને કાનાભાઈ વચ્ચે રસપ્રદ ચર્ચા ચાલી રહી હતી.
અરજણભાઈ કહેવા લાગ્યા, “સાચું કહેજો, ‘સત્યમેવ જયતે’ અને ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું ગાણું ગાવાવાળા આપણા ભારત દેશના અમુક માણસો કદાચ વિશ્વમાં સૌથી વધુ મેનિપ્યુલેટિવ છે.”
“એવો કોઈ સર્વે થયો નથી..” કાનાભાઈ હસીને બોલ્યા.
“તમારો અનુભવ શું કહે છે? જોડતોડ કરીને પોતાનું કામ કઢાવનારા, સીધી સ્પષ્ટ વાત કરવાને બદલે પોતાના ફયદા માટે હકીકતને ટ્વિસ્ટ કરનારા અને ગોળગોળ વાત કરનારાઓ આ દેશમાં ચોરે અને ચૌટે જોવા મળે છે. સાવ ચોથા વર્ગના કર્મચારીથી લઈને વકીલ સી.એ. કે ડોક્ટરો પણ આમાંથી બાકાત નથી. પોતાનો લાગ આવે ત્યારે સહુ કોઈ ખેલ ખેલી લે છે અને જાહેરમાં ડાહ્યા બનીને ફ્રવામાં આપણા દેશવાસીઓને કોઈ ન પહોંચે. હું ખોટો હોઉં તો મને કહો.”
કાનાભાઈએ સમર્થન આપતાં કહ્યું, “પહેલી નજરે તમારી વાત સાથે અસહમત થવાય એવું નથી.”
અરજણભાઈ બોલ્યા, “એ તો મને ખ્યાલ છે જ કે આ વાતમાં કોઈ ભારતીય અસહમત ન થાય. દરેકને કોઈને કોઈ આવો માથાનો, રોજ ને રોજ મળી જ જાય. આપણા દેશમાં સરકારી અધિકારી નેતાને ટપે, વેપારી સરકારને ટપે, ઘરાક વેપારીને ટપે. સહુ એકબીજા સાથે શતરંજ રમે. મારો સવાલ એ છે કે એવું કેમ છે?”
કાનાભાઈ હસીને બોલ્યા, “કારણ કે શતરંજની શોધ ભારતમાં થઈ હતી!”
અરજણભાઈ નારાજ થતાં બોલ્યા, “આમ મજાકમાં વાત ન ઉડાવો!”
કાનાભાઈએ કહ્યું, “દરેક યુગમાં પ્રજા તત્કાલીન પરિસ્થિતિ અનુસાર વિચાર અને વ્યવહાર ઘડતી હશે. જો તમે આ વાત આજના સરેરાશ ભારતીય માટે કહી રહ્યા હો તો હું એમ વિચારું છું કે અતિવિકસિત અને અવિકસિત એ બે પ્રકારની પ્રજાના વ્યવહારો સરળ હોય છે. કેમ કે પહેલા વિકલ્પની વાત કરીએ તો સુખી સંપન્ન લોકો હોય, સુવ્યવસ્થિત તંત્ર હોય ત્યાં મેનિપ્યુલેશન કરવાની જરૂર ન પડે. એવું કરવા જઈએ અને સામી વ્યક્તિની ખબર પડી જાય તો તમારી ક્રેડિબિલિટી ડાઉન થાય, તેથી વિકસિત અને બૌદ્ધિક સમાજમાં સહુ કોઈ પોતાની ટેલેન્ટ સીધા માર્ગે જ બતાવે.”
“અને અવિકસિત પ્રજા?” અરજણભાઈએ ઇંતેજારી દાખવી.
“અત્યંત અવિકસિત ગરીબ પ્રજા મહેનત કરીને રળી ખાતી હોય એને બહુ સમૃદ્ધિ મેળવવાની, ઝડપથી એકઠું કરવાની ઈચ્છા ન હોય, એવી સમજ પણ ન હોય તેથી એ પ્રજાના વ્યવહારો સીધા હોય.”
“તો પછી ત્રીજો કયો વર્ગ બચ્યો?”
“જે દેશો સંપૂર્ણ વિકસિત અને સંપૂર્ણ અવિકસિતની વચ્ચેની દશામાં હોય, જેને માટે વિકાસશીલ એવો સારો શબ્દ વાપરી શકાય એવા દેશો જેમાં કે ભારત, ઈરાન, મલેશિયા, બ્રાઝિલ જેવા દેશોમાં તમને આવો માનવી જોવા મળે. સ્પર્ધાત્મકતાનું ઝનૂન, પાછળ પડી જઈશું એવો ડર વગેરેને કારણે આ લોકોને અપ્રમાણિકતાનો છોછ ઓછો રહે છે.”
અરજણભાઈ બોલ્યા, “વાહ, જરા સંતોષ થયો. મને એમ કે આપણું ભારતીય માનસ દૂષિત છે. હવે ખ્યાલ આવ્યો કે ઝડપથી હાંસલ કરી લેવાની વૃત્તિને કારણે માણસ બહાવરો બની આમ કરે છે. પરંતુ સાચા અર્થમાં પૂરા વિકસિત થવાની પૂર્વશરત એ છે કે જીવન શૈલી અને જીવનની ગુણવત્તા ઊંચી આવવી જોઈએ અને એ માટે આખરે તો આ ગોલમાલ કરવાનો સ્વભાવ છોડવો જ પડે. એ વગર સારો સમાજ અને સારી જીવનવ્યવસ્થા શક્ય નથી. ખરુંને?
કાનાભાઈએ કહ્યું, “બહુ ટૂંકમાં કહું તો સારા સમાજની રચના કરવી એ આપણો સ્વાર્થ છે. એમાં આપણી આવનારી પેઢી ઉછરવાની છે. તેથી વ્યક્તિગત વધુ લાભને બદલે વધુ વ્યક્તિને લાભ થાય એ રીતે વિચારતા શીખીએ એ વધુ જરૂરી છે. કેમ કે અવ્યવસ્થાવાળા દેશમાં પૈસાદાર બનીને જીવવા કરતાં વ્યવસ્થાવાળા દેશમાં મધ્યમવર્ગી બની જીવવું વધુ આરામદાયક છે.”
અરજણભાઈએ સંતોષના શ્વાસ સાથે કહ્યું, “મને જો એક ભારતીય તરીકે આ વાતમાં વિશ્વાસ હોય, એક પિતાને કે એક શિક્ષકને આ વાતમાં વિશ્વાસ હોય તો એ ઘરમાં અને શાળામાં એવું જ વાતાવરણ ઊભું કરે જેથી બાળકોની આ મૂલ્યોમાં શ્રદ્ધા વધે. બાળપણથી બાળકો આ બાબતે સભાન રહે તો કેવું રૂડું?”
“સાચી વાત છે, ઓનેસ્ટી અને સરળતા જ્યાં બાઘાઈમાં ખપી જાય, એવા પરિવારો, એવી શેરીઓ અને એવી શાળાઓ જયાં સુધી અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી સરેરાશ ભારતવાસી ગરબડીયો જ રહેવાનો..”
આમ કહી કાનાભાઈએ એક શાયરી કહી વિરામ લીધો.
અગર છોડીએ ખટપટોનું ચલણ
થશે મોકળું થોડું વાતાવરણ
નવી બારીઓ ખૂલશે જીવનતણી
સરળતાનું લઈએ જો સઘળાં શરણ
Abhinanda to Vinodbhai.. For lekh
LikeLike
અગર છોડીએ ખટપટોનું ચલણ
થશે મોકળું થોડું વાતાવરણ
નવી બારીઓ ખૂલશે જીવનતણી
સરળતાનું લઈએ જો સઘળાં શરણ
LikeLike