વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

મરણનું સ્મરણ — એક ચિંતન લેખ

આના પહેલાંની તારીખ ૮મી સપ્ટેમ્બરની મારા બ્લોગની શ્રધાંજલિ નામની મારી પોસ્ટના અનુસંધાનમાં આજે “ મરણનું સ્મરણ “ શિર્ષક હેઠળ એક ગંભીર વિષય પરનો પણ મનનીય ચિંતન નિબંધ આજની પોસ્ટમાં મુક્યો છે .આ લેખ સૌ પ્રથમ વાર મારા આ બ્લોગમાં પ્રગટ થાય છે. આશા છે આપને એ ગમશે.

મરણનું સ્મરણ

મનુષ્યના જન્મથી જ શરુ થતી અને એના મૃત્યુથી અટકી જતી એની જીવન સફરના મુખ્ય સાત પડાવ છે:જન્મ, બચપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અંતે મરણ .માણસ જન્મે છે ત્યારે જ તે મૃત્યુની ટીકીટ કપાવીને જીવન રૂપી રેલગાડીની સફર શરુ કરે છે.આ સફર દરમ્યાન જો કોઈ અણધાર્યો અકસ્માત નડે નહિ તો અંતે રેલગાડી મૃત્યુના અંતિમ સ્ટેશને આવીને વિરામ લે છે .દરેકનું ઘડપણમાં જ મરણ થશે એ નક્કી નથી .કોઈ પણ ઉંમરે એ આવીને ઉભું રહે છે. કમળની પાંખડીઓ ઉપર નૃત્ય કરતા પાણીના બુંદ જેવી આ જિંદગી તરલ અને ચંચલ છે.” જે ઉગ્યું તે આથમે, ખીલ્યું તે કરમાય ,એ નિયમ છે અવિનાશનો ,જે જાયુ તે જાય .” માણસના જીવનનો દરેક સૂર્યોદય એના નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામે છે .જોશ મલીદાબાદીનો એક શેર છે:” જીતની બઢતી,,ઉતની ઘટતી, જિંદગી આપ હી આપ કટતી હૈ “

લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.” ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથી
આવી ન જ ટાળી શકાય એવી બાબતનો શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાં કહેવાયું છે કે જેવી રીતે કપડાં જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ,તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા જેવું શું છે?

ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ. સાગરનું ટીપું સાગર સાથે મળી જઈને તેનું સામર્થ્ય તથા તેનું ગૌરવ પ્રાપ્ત કરવાને માટે તેની સાથે પાછું મળી જાય છે તે પ્રમાણે ચાલ્યો ગયેલો આત્મા સર્વશક્તિમાન સાથે એકરૂપ થતા પહેલાં કેવળ પોતાનો પુરુષાર્થ કરવાને જ આ દુનિયામાં આવે છે”

સ્વ. કાકાસાહેબ કાલેલકરે મૃત્યુને પરમ સખા એટલે કે એક મિત્ર તરીકે ગણાવ્યું છે. એમના કહેવા પ્રમાણે ખરેખર તો મરણમાં દુખ નથી .જેને આપણે દુખ માનીએ છીએ તે સાચી રીતે તો કષ્ટ વેઠીને જીવવાનું દુખ છે. એ દુખ જ્યારે અસહ્ય બને છે ત્યારે મિત્રની માફક મરણ આવીને માણસનો એ દુઃખમાંથી છુટકારો કરે છે.દુખ જીવન-કર્તુક છે, મરણ-કર્તુક નથી. શરીર માટે ઊઘ જેટલી પૌષ્ટીક છે તેટલું જ પ્રાણ માટે મૃત્યુ પૌષ્ટીક છે .જીવનથી થાકેલા માંદા માણસોને યોગ્ય સમયે મૃત્યુ આવે તે ઈષ્ટ છે. પાકેલું ફળ પોતે જ નીચે પડી જ્મીનમાં દટાઇ જઈને નવો પ્રવાસ શરુ કરવા માટે વૃક્ષ-માતાનો સંબંધ છોડી દે છે તે પ્રમાણે માણસે પોતાનું જીવન પુરું કરીને તે પછી અનાસક્ત ભાવે તેનો ત્યાગ કરવાનું શીખવું જોઈએ અને નવી તક માટે પરવાના રૂપ થનાર મરણનું સ્વાગત કરવું જોઈએ. એકાદ પ્રિય વ્યકિતનું મૃત્યુ થતાં આપણને દુઃખ થાય તે સ્વભાવિક છે ,કારણકે આપણે તેની સાથે મમતાની લાગણીથી જોડાએલા અને તેનો સહવાસ ગુમાવીએ છીએ. કયારેક એવું મૃત્યું આપણી દૃષ્ટિએ અનિષ્ટ હોવા છતાં મરનારની દ્રષ્ટિએ તે ઇષ્ટ અને હિતાવહ હોઈ શકે છે. એવે વખતે આપણે આપણું દુખ ગળી જવું જોઈએ..માણસ પાસે પ્રસન્નતા હોય તો તેને જેવી રીતે ઉત્સાહપૂર્વક જીવતાં આવડે ,તેવી જ રીતે શાંતિ અને શોભાથી તેને જીવન પુરું કરતાં પણ આવડવું જોઈએ. જેઓ દીર્ઘાયુ હોય છે તેમનું એક દુખ એ છે કે તેમને ઘણાનાં મરણના સમાચાર સાંભળવા પડે છે.દુનિયા છે જ નાશવંત ,એમાં લોકો જેમ જન્મે છે તેમ મરે પણ છે.એનું દુખ તે શું કરવાનું?

જાણીતા લેખક એચ.જી.વેલ્સનું એક સુંદર કથન છે કે :”મૃત્યું નામની નર્સ આવીને માણસને કહે છે કે હે મારા પ્રિય બાળક !તારાં બધાં રમકડાં એમની જગ્યાએ ગોઠવી દે, હવે તારો સુવાનો સમય થયો છે.”

પોતાના ખુબ જ ટૂંકા જીવન દરમ્યાન દેશ પરદેશમાં બોધ વચનો તેમજ ધર્મિક સાહિત્યથી હિંદુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી,, જિંદગીને ભરપુર પ્રેમ કરી, આધ્યત્મિક જીવનનો અમર વારસો પાછળ મૂકી જનાર સ્વામી વિવેકાનંદનાજીવનનો એક પ્રસંગ મરણનું સ્મરણ શા માટે સતત રાખવું જોઈએ એની સ્પષ્ટતા કરે છે.

પોતાની અમેરિકાની મુલાકાત દરમ્યાન શિકાગોમાં એમનું ધાર્મિક પ્રવચન પુરું કર્યા પછી સ્વામીજી એમના સ્થાને બેઠા ત્યારે એક ઉત્સુક શ્રોતાજને ઉભા થઇને સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો” સ્વામીજી ,એવી કઈ બાબત છે જેને માણસે આખા જીવન દરમ્યાન સતત યાદ રાખવી જોઈએ ? ઘણા સભાજનોએ મનમાં ધારણા કરી હશે કે તેઓશ્રી ‮‬‬માણસે પોતાના આરોગ્યને કે ભગવાનને હમેશાં‬ યાદ રાખવા જોઈએ એમ કહેશે. પરંતુ બધાંના આશ્ચર્ય વચ્ચે સ્વામીજીએ સસ્મિત ફક્ત એક જ શબ્દમાં જવાબ આપ્યોકે “મૃત્યું “. પોતાના આ જવાબની સ્પષ્ટતા કરતાં એમણે આગળ કહ્યું કે”મૃત્યુને હમેશાં એટલા માટે યાદ રાખવું જોઈએ કેમકે એથી આપણાં કાર્યોથી કોઈને દુખ નહી પહોંચે, આપણે હમેશાં સત્ય બોલીશું ,આપણે મનુષ્ય જાત પ્રત્યે વધુ પ્રેમ દાખવીશું. આ જીવન નાશવંત છે એનું હંમેશા સ્મરણ થયા કરશે. આ જિંદગી સતત બદલાતી રહે છે.બીજાઓને મ્હાત કરવા કે છેતરવા માટે આ જિન્દગી નથી. કોઈ પણ વસ્તુનો ગર્વ કરવાનો કોઈ અર્થ નથી. જો કોઈ પણ ચીજ તમારા જીવનના અંત પછી તમારી સાથે આવવાની ન હોય તો પછી એની શું કિંમત છે ?એટલા માટે મૃત્યુનું હંમેશાં સ્મરણ રાખવાથી આ બધું સ્પષ્ટ સમજાતું જશે અને વર્તમાનમાં તમને વધુ નમ્ર બનાવશે અને તમને પાપો કરતાં અટકાવશે. મરણ સામું દેખાતું હોય ત્યારે પાપ કરવાની હિંમત ચાલતી નથી.”

જેમ નદી અને સમુદ્ર એક જ છે તેમ જીવન અને મૃત્યું પણ એક જ છે. એટલા માટે માણસે મનમાં મરણની જરા પણ ચિંતા કે ડર રાખ્યા સિવાય કોઈ પણ જાતની શરત વિના ભગવાનની મહામુલી ભેટ એવા જીવનને ભરપુર પ્રેમ કરવો જોઈએ..જીવનનો એક છેડો મરણને અડકતો હોઈ એની અનિશ્ચિતતા અને અનિવાર્યતાને સ્મરણમાં રાખતા રહી છેવટની ઘડી અત્યંત પાવન , પુણ્યમય અને મધુર કેવી રીતે થાય એ માટે જીવન દરમ્યાન અભ્યાસપુર્વક કાર્ય કરતા રહીશું તો આપણે જીવન તેમજ મરણના સ્વામી થઈને રહીશું. જીવનનો દાખલો આપણે એવી રીતે ગણવો જોઈએ જેથી મરણનો જવાબ સાચો આવે. જેનો અંત સારો એનું સઘળું સારું.માણસ એક સદગૃહસ્થ કુટુંબમાં જન્મે એ એક અકસ્માત છે પણ એક સદગૃહસ્થ તરીકે મરણ પામે એ એના જીવનની એક સિદ્ધિ છે.આપણે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પરંતુ તમારી રહેણી કરણીથી બીજાઓના હૃદયમાં કેવું અને કેટલું જીવ્યા,તમારા જીવનના લોખંડમાંથી પ્રેમના પારસમણી વડે કેટલું સોનું નીપજાવ્યું એ જ મહત્વનું છે.કોઈ લેખકે સાચું કહ્યું છે કે મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નહી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાની છે. જિંદગી લાંબી હોય કે ટૂંકી જેને સારી રીતે જીવતાં આવડ્યું છે એવી વ્યકિત મરણનો કોઈ ડર મનમાં રાખ્યા સિવાય હસતા મુખે એક ઘેર આવેલા મહેમાનની જેમ એનો સત્કાર કરે છે અને મૃત્યું પછી પણ એના જીવનની સુગંધનો પમરાટ જગમાં મુકતો જાય છે. આ લેખના અંતે જાણીતા ભજનિક અનુપ જલોટાના મધુર કંઠે ગવાતા સંત કબીરના દુહાના આ શબ્દો થોડામાં ઘણું કહી જાય છે:
” જબ તુમ જગમે આયા ,જગ હસા તુમ રોય ,ઐસી કરની કર ચલો ,તુમ હસો જગ રોય .”

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ઉપરના મારા ચિંતન નિબંધના વિષયને અનુરૂપ મારી એક કાવ્ય રચના “ યાદ રાખ,દેહની અંતે થઇ જશે રાખ “ ન્યૂયોર્કથી પ્રકાશિત ગુજરાત ટાઈમ્સના તારીખ ૭મી ઓગસ્ટ,૨૦૦૯ના અંકમાં પ્રગટ થઇ હતી એ અહીં થોડા જ ફેરફાર સાથે મારા આ બ્લોગમાં રજુ કરું છું.

યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !

માનવી કદી અમર ન હતો કે ન છે છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે, સ્મશાને બધું પાછળ છોડીને.

ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.

ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.

સાન ડિયાગો                                    વિનોદ આર. પટેલ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

હવે, શ્રધાંજલિ પુસ્તિકામાંનાં ભજનોમાંથી એક મને ગમતું કબીરનું ભજન નીચે મુકું છું. મને યાદ છે કે મારા વિદ્યાર્થી કાળમાં પાટીદાર આશ્રમ-છાત્રાલય, કડીમાં લગભગ ચારસો છાત્રો અને બધા જ ગૃહપતિઓ અને શિક્ષકોની સાંજની પ્રાર્થના સભામાં હું આ ભજન સંગીત શિક્ષકની સાથે સ્ટેજ ઉપર બેસીને હાર્મોનિયમના સથવારે ગાતો અને ગવડાવતો હતો.

રહના નહીં દેસ બિરાના હૈ

રહના નહીં દેસ બિરાના હૈ
યહ સંસાર કાગદકી પુડિયા ,
બુંદ પડે ધુલ જાના હૈ .
યહ સંસાર કાંટેકી બાડી,
ઉલઝ ઉલઝ મરિ જાના હૈ.
યહ સંસાર ઝાડ ઔર ઝાંખર,
આગ લગે બરી જાના હૈ.
કહત કબીરા સુનો ભાઈ સાધો,
સત્ગુરૂ નામ ઠિકાના હૈ .

જીવન એજ પારસમણી

તમે તમારી સ્વ- અગત્યતા વધારી ન દેતા ,ધન –કીર્તિનો ઢગલો ન કર્યા કરતા. કોઈવાર અંતરંગમાં નીતાંત ખાલી થઇ જાઓ .તમારી સંપતિ ,વૈભવ,હોદ્દો ,મોભો, પત્ની ,સંતાન ,મિત્રો કશું ય તમારું નથી.સાફ્લ્યના મૃગજળ પાછળ દોડ્યા ન કરતા.બધો અહંનો પ્રસાર-પ્રચાર માત્ર છે. સ્વ-કેન્દ્રિત પ્રવૃતિની સાંકડી શેરી છે.

પંદર ઓરડાના બંગલામાં તમારે એકમાં જ સુવાનું છે, પચ્ચીસ જોડ કપડાંમાંથી એક જ પહેરવાની છે,અનાજના કોઠારમાંથી મુઠી ધાન ખાવાનું છે અને નોટોના બંડલમાંથી છેવટે તમે ઈશ્વર પાસે શું લઇ જશો ? તમારે જોઈએ તેના કરતાં વધારે સંગ્રહ કરીને તમે તમારાં અનેક ભાઈ ભાંડુને ભૂખે રઝળાવો છો. તમારી દંભી મંઝિલ અહમની લોભની છે. ઈશ્વરે આપેલા જીવન-પારસમણીને દંભ ,બનાવટ ,અનીતિ આચરી તમે પોતે ઘસી વટાવી નાખો છો. જીવનને સુવર્ણ બનાવવાને બદલે તમે એક ભંગારનું પતરું બનાવી નાંખો છો.

(શ્રધાંજલિ પુસ્તીકામાંથી )                                                                            જે .કૃષ્ણમૂર્તિ
                                                                                                       (જીવન દર્શન માંથી )

છેલ્લે, સુવાક્ય સંગ્રહમાંથી કેટલાંક મનપસંદ સુવાક્યો/અવતરણો .

૧. આ અદભુત પૃથ્વી, જે આટલી બધી ભરી ભરી છે, એટલી સુંદર છે , એ પૃથ્વી ઉપર હું જીવવા ઈચ્છું છું …આ જગતમાં આપણે જીવવાનું છે તે જીવનની એક માત્ર અનિવાર્ય વાસ્તવિકતા છે.– જે. કૃષ્ણમૂર્તિ

૨. પોતાનું કામ કરવું તે આસક્તિ ,બીજાનું કામ કરવું તે સંસ્કૃતિ ,ભગવાનનું કામ કરવું તે ભક્તિ અને કર્મો કરીને પણ અલિપ્ત રહેવું તે વિરક્તિ. —- શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી

૩. બિચારાં ફોતરાં પુરની સપાટી ઉપર તરે છે ,મોતી નીચે ઉતરીને તળીએ બેસી જાય છે .જગતમાં મનુષ્યો ઉંચે કે નીચે, તેઓ કેવા હોય છે તેને કારણે હોય છે, ક્યાં છે તેને કારણે નહીં. —–રમણ મહર્ષિ

૪. સાજ સજાવવામાં અને સુર મેળવવામાં જ મારો બધો સમય વીતી ગયો, જેથી જે જીવન સંગીત હું ગાવા માટે આવેલો તે તો વણ ગાયુ જ રહી ગયું . ——– રવીન્દ્રનાથ ટાગોર

૫. આત્મા એ રથમાં બેસનાર રથી છે, બુદ્ધિ સારથી છે , મન એ ઘોડાની લગામ છે ,ઇન્દ્રિયો એ રથના ઘોડા છે ,અને ઇન્દ્રિયોના વિષયો એટલે કે ભોગો એ ઘોડાને દોડવાનું ક્ષેત્ર છે, — કઠોપનિષદમાં આપેલું રથરૂપક
*********************************************
તારીખ – ૯મી સપ્ટેમ્બર, ૨૦૧૧ વિનોદ આર.પટેલ

4 responses to “મરણનું સ્મરણ — એક ચિંતન લેખ

  1. Pingback: ફ્યુનરલ …હળવો લેખ…શ્રી નવીન બેન્કર /શાસ્ત્રીની શોકસભા ….શ્રી પ્રવીણ શાસ્ત્રી | વિનોદ વિહાર

  2. Pingback: ( 851 ) અંતિમ પર્વ ….. સંપાદક: રમેશ સંઘવી/ મરણનું સ્મરણ …. વિનોદ પટેલ | વિનોદ વિહાર

  3. Anila Patel નવેમ્બર 8, 2016 પર 2:02 પી એમ(PM)

    Adabhoot lekh “Marannu smaran” -rakhine jivan-ne sucharu rite jivavani kalano amoolya sandesh.
    Saras ane zat gale utari jay eva drashtanto, ane antma mahapurushona suvakyo ane avataroe aa chintan lekhne manava layak utsav jevo banavi didho chhe.
    Meto aa lekhni 6print mara mitro jeo Internetno upayog nathi karta emane vahechva mate kadhavava mokli aapyo.
    Ava saras lekh mate khoob khoob dhanyawad.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.