સદીઓથી કરોડો ભાવિક જનો પૂર્ણ પુરુષોત્તમ રામ અને યોગેશ્વર શ્રી કૃષ્ણનું હૃદયની ઊંડી ભક્તિ અને આસ્થાથી પૂજન અને અર્ચન કરે છે.
તારીખ ૨૫મીઓગસ્ટ ૨૦૧૬ ના રોજ વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસ જન્માષ્ટમી અથવા ગોકુલાસ્ટમી તરીકે દેશ ને વિદેશમાં ભક્તિપૂર્વક ઉજવાયો.
આ દિવસને અનુરૂપ શ્રી કૃષ્ણની સ્તુતિ કરતી એક હિન્દી રચના મારા એક રેખાચિત્ર સાથેની નીચે પ્રસ્તુત છે.
સંદેશ.કોમમાં પ્રસિદ્ધ શ્રી મનોજ શુક્લ લિખિત શ્રી કૃષ્ણ વિશે એમના મૌલિક વિચારો વ્યક્ત કરતો મને ગમેલો લેખ એમના નીચે મુક્યો છે .આપને પણ એ જરૂર ગમશે .
વિનોદ પટેલ
મિત્ર-દેવ કૃષ્ણની સળંગ જીવન કથા નથી!
ખુલ્લી વાત ખૂલીને : મનોજ શુક્લ
આવતી કાલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ છે.હિંદુ ધર્મ સતત પરિવર્તનશીલ રહ્યો છે,એટલે એના દેવી-દેવતા બદલાતાં રહ્યાં છે. પણ, તેમાં એક ચક્રી શાસન કરનાર ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણ છે. આમાં કૃષ્ણ લોક દેવતા છે. મનુષ્યમાત્ર એવું માને કે રામને વંદન કરી શકાય જ્યારે કૃષ્ણને તો ભેટી શકાય.
છેલ્લાં ૨-૩ હજાર વર્ષથી કૃષ્ણ કથા કહેવાતી રહી છે. કૃષ્ણને કેન્દ્રમાં રાખીને ગીતો, પદો ગવાયાં છે, નાટકો ભજવાયાં છે, ચિત્રો દોરાયાં છે, શિલ્પો ઘડાયાં છે,નૃત્યો થયાં છે. ભારતમાં ધર્મગ્રંથોમાંથી કૃષ્ણને બાદ કરવામાં આવે તો પછી ખાસ કશું બચે નહીં.
કૃષ્ણ મનુષ્યની બાજુમાં ચાલીને દેવત્વ પ્રાપ્ત કરનાર ઈશ્વર છે. પણ કૃષ્ણની કમનસીબી તો જુઓ કે એની કથા આપણી પાસે સળંગ નથી.વાલ્મીકિ જેવા મહાસમર્થ આદિ કવિએ રામાયણ સળંગ લખી છે પણ, કૃષ્ણને કોઈ વાલ્મીકિ મળ્યા નથી એટલે કૃષ્ણની કથા છૂટી-છવાઈ લખાઈ છે અને ઉંધેથી લખાઈ છે. સૌથી પ્રાચીન ગ્રંથ મહાભારતમાં કૃષ્ણ જીવનની આધેડ વયથી અવસાન સુધીની કથા છે.હરિવંશમાં બાળપણથી આધેડ વય સુધી કહેવાયું છે.
વિષ્ણુપુરાણમાં કૃષ્ણની જીવનકથાનાં થોડાં-થોડાં પ્રસંગો છે. ભાગવતમાં બાળજીવનનો વિસ્તાર છે.એ રીતે જોઈએ તો કૃષ્ણચરિત્રની કથા આખે-આખી વાંચવી કે લખવી હોય તો ઠેરઠેરથી ટુકડાઓ વીણવા પડે. જે કામ આજ દિન સુધી કોઈ વિદ્વાને કર્યું નથી.
રામ અને કૃષ્ણની સરખામણી કરી શકાય તેમ નથી. તેમ છતાં જો વિહંગાલોકન કરીએ તો રામનું જીવન અતિ સરળ અને સુખમય છે. રાજકુળમાં જન્મ્યા, ઉછળ્યા, ભણ્યા , પરણ્યા અને ૧૪ વર્ષ વનમાં ગયાં. તેમાં તેર વર્ષ તો રંગે ચંગે પસાર થઈ ગયાં. છેલ્લું વર્ષ આફ્તનું રહ્યું.ફરી પાછા અયોધ્યા આવીને રાજપાટ સંભાળી લીધું. રામાયણમાં સીતા દુઃખી થયાં છે.રામને ભાગે બહુ લાંબુ દુઃખ આવ્યું નથી. જ્યારે કૃષ્ણ તો યાદવ કુળમાં જન્મ્યા. ‘તું યાદવ કુળનો માણસ. તું ધર્મમાં શું સમજે?’ એવા મહેણાં કૃષ્ણએ મહાભારતમાં અનેકવાર સાંભળ્યા છે. સામે પક્ષે પોતાની બુદ્ધિ પ્રતિભા અને પરાક્રમોના કારણે ભીષ્મ પાસેથી ‘મહાપ્રજ્ઞા ’ નું બિરુદ પણ મેળવ્યું છે. કૃષ્ણની જીવનયાત્રા સતત કાંટાળી રહી છે. કેદખાનામાં જન્મ થયો અને માતાનું ધાવણ પામે એ પહેલાં તો ભાગવું પડયું. ગોપ જેવી જાતિમાં અને ગરીબ ઘરમાં ઉછેર થયો. ઢોર ચારવા જેવું અતિ કષ્ટદાયી કામ તેમને કરવું પડયું. બાળપણ પણ લાંબુ ન ટક્યું. ભાગવત પ્રમાણે ૧૧ વર્ષે અને હરિવંશ પ્રમાણે ૧૮ વર્ષે મથુરા આવીને પોતાનાં મામા જોડે જીવલેણ સંઘર્ષ કર્યો. મથુરાના લોકોને કંસના જુલ્મી શાસનમાંથી છોડાવ્યાં.પરિણામે લોકોમાં લાડકા થયા. પણ એ જમાનાનો ભારતનો મહાપ્રતાપી સમ્રાટ જરાસંઘ કંસનો સસરો થાય. જમાઈનું વેર લેવા એ કૃષ્ણ સામે યુધ્ધે ચઢયો. લાંબી ચાલેલી એ લડાઈમાં કંટાળેલા મથુરાવાસીઓએ ઉપકાર ભુલીને કૃષ્ણ અને બળરામને કાઢી મુક્યાં. બન્ને ભાઈઓ જીવ બચાવતાં છેક કોંકણમાં આવેલાં, અઘોર જંગલ વચ્ચે પરશુરામ ટેકરી પર જઈને રહ્યાં. થોડાં વર્ષ આ ટેકરી ઉપર વીતાવ્યાં ત્યાં તો જરાસંઘની વિરાટ સેના પગેરું દબાવતી આવી ચડી અને બંને ભાઈઓને જીવતા સળગાવવા આખી ટેકરી ફરતી આગ લગાડી. નસીબ જોગે બે-ચાર દિવસ પછી વરસાદ પડયો ત્યારે ધુમાડાનો લાભ લઈ બંને ભાઈઓ ભાગી ગયા. રખડતાં-ભટકતાં માંડ મથુરા પહોંચ્યા પણ જરાસંઘથી ગભરાતાં મથુરા વાસીઓએ તેમને સંઘરવાની ના પાડી એટલે પોતાના સાથીઓ અને સગાં-વહાલાંઓને એકઠા કરીને સૌરાષ્ટ્રના ટાપુમાં કૃષ્ણએ દ્વારકા વસાવ્યું.
કૃષ્ણએ દ્વારકામાં પોતાનું બળ જમાવ્યું. અનેક લડાઈઓ લડીને કૃષ્ણએ પોતાનો પ્રભાવ ઊભો કર્યો પણ રાજગાદી સ્વીકારી નહીં. કૃષ્ણ માટે દ્વારકાધીશ વિશેષણ વપરાય છે, પણ કૃષ્ણ ક્યારેય પણ દ્વારકાનાં રાજા બન્યા જ નથી. મહાભારતમાં પાંડવોએ યજ્ઞ કર્યો ત્યારે સર્વ પ્રથમ પૂજા કૃષ્ણની કરી હતી. પરંતુ શિશુપાલે કૃષ્ણ રાજા નથી તો પછી તેમની પહેલી પૂજા શા માટે કરી? તેવો પ્રશ્ન ઊઠાવ્યો હતો અને કૃષ્ણને ગાળો આપીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બધું વાંચીએ એટલે સમજાય કે નાસભાગ, ચડ-ઊતર, હાર-જીતને કારણે કૃષ્ણનું જીવન સમતોલ નથી રહ્યું. છતાંય આશ્વર્યની વાત એ છે કે કૃષ્ણએ પોતાની માનસિક સમતુલા કદી ગુમાવી નથી. કોઈને વખોડયાં નથી અને પોતાના કટ્ટર દુશ્મનોને પણ કલ્યાણકારી સલાહ આપી છે.
કૃષ્ણને ઓળખવા બહુ અઘરા છે. સાચા અર્થમાં એ વિરાટ પુરૂષ છે. એમના દુશ્મનો પણ એમની શક્તિનો સ્વીકાર કરે છે. શ્રી કૃષ્ણ અત્યંત વ્યવહારુ અને ચતુર પુરૂષ છે. મહાભારતનાં યુધ્ધમાં પોતે શસ્ત્ર નહીં ઉપાડે એવી પ્રતિજ્ઞાા કરી હતી. પણ ભીષ્મ પિતામહ જ્યારે કાળો કેર વર્તાવતા હતા, ત્યારે તેમને અટકાવવા અને પાંડવોને બચાવવા તેમણે રથનું પૈડું સુદર્શન ચક્રની જેમ ઉપાડીને વિંઝવાનો દેખાવ કર્યો હતો. આવો વ્યવહારુ ઉપાય યુધ્ધનાં મેદાનમાં પણ વ્યક્તિને સુઝે એ એમની ત્વરીત નિર્ણય શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિનો પ્રત્યક્ષ દાખલો છે.કૃષ્ણએ કુરૂવંશના રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો અને પોતાની ફોઈના દીકરા પાંડવોને આજીવન રક્ષણ આપ્યું.
કૃષ્ણના જીવનનો પ્રારંભ પણ દુઃખમાં થયો અને અંત પણ દુઃખમાં જ આવ્યો. મહાભારતનાં યુધ્ધ પછી પાછા ફરેલા કૃષ્ણ યાદવોની વ્યસનપરસ્તી અને આંતરિક ઝઘડાથી વ્યથીત હતા. એમણે દ્વારકામાં દારૂબંધી દાખલ કરી હતી. પણ કોઈએ સ્વીકારી ન હતી. મહાભારતમાં કૃષ્ણએ નારદ પાસે પોતાનું હૈયું ઠાલવ્યું છે. યાદવોના બે જુથો સતત બાખડતાં રહે છે. અને બન્ને જુથના લોકો મને પોતાની બાજુ ખેંચવા પ્રયત્ન કરે છે. મારી દશા કફેડી છે. આટલું કહીને ઉમેરે છે કે બે દીકરા એકબીજાનો જીવ લેવા તરસતા હોય ત્યારે તેમની મા શું કરે? એક દીકરો જીતે તે ગમે પણ બીજો દીકરો હારે તે પસંદ ન પડે. આવી વેદના સાથે થાકેલા કૃષ્ણ એક શિકારીના બાણથી મરણ પામ્યા. આવું એકલવાયું મૃત્યુ આપણે સંસારી તરીકે તો કલ્પી પણ ન શકીએ. કૃષ્ણના જીવન પાસે ઊભા રહો એટલે તમને સતત આશ્વાસન મળ્યાં કરે એવું એમનું જીવન છે.
વાચકોના પ્રતિભાવ