પ્રવૃત્તિ જ જ્યારે ધ્યાન બની જાય…. આશુ પટેલ
એક ઝેન ગુરુએ એક દિવસ તેમના એક શિષ્યને કહ્યું, ‘તું મારી પાસેથી ઘણું શીખ્યો છે. હવે ધ્યાનના અંતિમ તબક્કાની સાધના માટે તું મારા એક મિત્ર પાસે જા.’
તે ઝેન ગુરુએ શિષ્યને બીજા એક ઝેન ગુરુ પાસે મોકલ્યો. શિષ્ય નવા ઝેન ગુરુ પાસે ગયો. તે મોડી સાંજે તેમની પાસે પહોંચ્યો. તેણે તેમને મળીને કહ્યું કે મારા ગુરુએ મને ધ્યાનના અંતિમ તબક્કાની સાધના માટે તમારી પાસે મોકલ્યો છે.
બીજા ઝેન ગુરુએ કહ્યું, ‘તારા ગુરુ એ જાણે જ છે, પરંતુ તેમણે તને અહીં મોકલ્યો છે તો ચોક્કસ કોઈ કારણ હશે. તું અહીં રોકાઈ શકે છે.’
તે શિષ્યને હતું કે અહીં આ ઝેન ગુરુ અને તેમના શિષ્યો રોજ ધ્યાન કરતા હશે. તે આતુરતાથી બીજા દિવસની સવાર પડવાની રાહ જોવા લાગ્યો, પરંતુ બીજા દિવસે તે નિરાશ થયો. તેણે જોયું કે આખા દિવસ દરમિયાન ઝેન ગુરુ કે તેમના શિષ્યોએ ધ્યાન કર્યું જ નહીં કે એ વિષે કશી જ વાત પણ કરી નહીં.
આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા. હવે આગંતુક શિષ્યની ધીરજ ખૂટવા લાગી હતી. તેણે એક દિવસ ઝેન ગુરુ પાસે જઈને પૂછી લીધું, ‘મારા ગુરુએ મને ધ્યાનના અંતિમ તબક્કાની સાધના વિશે જાણવા અહીં મોકલ્યો છે. મને એ જ્ઞાન ક્યારે મળશે?’
ઝેનએ પૂછ્યું, ‘તો અત્યાર સુધી તેં અહીં શું જોયું?’
શિષ્ય ગૂંચવાઈ ગયો, ‘પણ અહીં તો કોઈ ધ્યાનમાં બેસતું જ નથી!’
ઝેન ગુરુ હસ્યા. તેમણે કહ્યું, ‘અહીં રોજ સૌ ધ્યાનમાં જ હોય છે. હું પણ બધો સમય ધ્યાનમાં જ હોઉં છું.’
શિષ્યએ કહ્યું, ‘મને સમજાયું નહીં. કૃપા કરીને સમજાવશો?’
ઝેન ગુરુએ કહ્યું, ‘જીવન દરમિયાન પ્રવૃત્તિ તો કરવી જ પડે એટલે અમે અહીં બધી પ્રવૃત્તિ કરીએ છીએ, પરંતુ અમે ધ્યાનમાં રહીને જ પ્રવૃત્તિ કરતાં રહીએ છીએ. ધ્યાન જીવનથી જુદું નથી. જીવન છે એટલે પ્રવૃત્તિ કરવી પડે અને અમે ધ્યાનમાં રહીને પ્રવૃત્તિ કરીએ છીએ, ધ્યાનમાં રહીને જ જીવીએ છીએ. મઠમાં બધી પ્રવૃત્તિઓ કરતા કરતા અમે ધ્યાનમાં જ હોઈએ છીએ.’
પ્રવૃત્તિને જ ધ્યાન બનાવી દેવાનું કામ સામાન્ય માણસો માટે તો અશક્ય બની રહે, પણ પ્રવૃત્તિઓ દિલ દઈને કરીએ તો પ્રવૃત્તિનો ભાર કે થાક ન લાગે અને જીવન જીવવાની પણ મજા આવે.
એક લાઈબ્રેરિયને તેની આખી જિંદગી ગરીબ લોકોની સેવા પાછળ વિતાવી દીધી
આશુ પટેલ
વાચકોના પ્રતિભાવ