ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા ,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી અને ગુજરાતીમાં ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં છે.
આ વર્ષે તારીખ ૧૯મી સપ્ટેમબર,૨૦૧૨ના દિવસે ગણેશ ચતુર્થીનું પર્વ શરુ થાય છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પુરો થાય છે. આ દિવસોમા ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે.ગણેશોત્સવ પ્રસંગે ખાસ કરીને સમગ્ર મુંબાઈ ગણપતી બાપા મોરિયાના નાદથી ગાજી ઉઠે છે.
આ પર્વ ઉપર ભારત અને વિદેશોમાં ધાર્મિક હિંદુ લોકો પોતાના નિવાસ સ્થાનમાં ભગવાન ગણેશની પ્રતિમાને સ્થાપિત કરી એના ઉપર સિંદુર ચઢાવી ગણેશ મન્ત્ર ऊँ गं गणपतयै नम: નું રટણ કરે છે. શ્રીગણેશની સોળશોપચારે પૂજન-આરતી કરે છે. ચતુર્થી તિથિ નિમિત્તે ભગવાન શ્રીગણેશ માટેજે વ્રત કરવામાં આવે છે, તેને ગણેશ ચતુર્થી વ્રત કહે છે.
ગણપતિને રિધ્ધિસિધ્ધીના દેવ તરીકે લોકો ભાવ પૂર્વક ભજે છે.મુંબઈમાં સિદ્ધિ વિનાયકના મંદિરે ફિલ્મના સુપર સ્ટારથી માંડીને આમ આદમી સુધી ભાવિક જનોની અહીં શ્રી ગણેશના દર્શન કરી એમની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટી ભીડ જામે છે એ મેં નજરે નિહાળ્યું છે.કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમોને એક બાજુ રિધ્ધિસિધ્ધીના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ તમને અચૂક જોવા મળશે.
લગ્નનો પ્રસંગ હોય,નવા ઘરે કુંભ મૂકવાનો હોય,કોઈ સંસ્થાનો શિલારોપણવિધિ,લક્ષ્મીપૂજન,સત્યનારાયણ કથા જેવા કોઈપણ શુભ પ્રસંગે સૌ પ્રથમ શ્રી ગણપતિનું સ્થાપન કરી એમનું ભાવપૂર્વક પુજન કરવામાં આવે છે.
શ્રી ગણેશજીને અનેક નામે ભજવામાં આવે છે.એમને એમના શરીરની આકૃતિ ઉપરથી વક્રતુંડ,લંબોદર,મહાકાય,લંબકર્ણ અને એમને હાથીનું મસ્તક હોઈ ગજાનન પણ કહેવાય છે.
વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય
લંબોદરાય સકલાય જગદ્વિતાય
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુતાય
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે
એમના શિરે હાથીનું મસ્તક કેમ છે એની પૌરાણિક કથા ખુબ પ્રચલિત છે.પોતાનું તપ પૂર્ણ કરીને પરત આવેલ મહાદેવને ગણેશજી માતાના હુકમને માન આપી ગૃહપ્રવેશ કરતા અટકાવે છે. ક્રોધે ભરાયેલા મહાદેવના હાથે અજાણતાં જ ગણેશનું મસ્તક કપાઈ જાય છે.પોતાના પુત્રનું મસ્તક મહાદેવે કાપી નાખ્યાના સમાચાર મળતાં માતા પાર્વતી ભયંકર રૂદન કરે છે. શંકર ગણપતિને સજીવન કરવાનું વચન આપે છે અને પોતાના ગણને આદેશ આપે છે કે રસ્તામાં જે સૌ પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવો.એ પ્રમાણે ગણના લોકો રસ્તામાં પ્રથમ દેખાયેલ હાથીનું મસ્તક લઈ આવે છે અને એ રીતે હાથીના માથાવાળા ગણપતિ સજીવન થાય છે.ત્યારથી તેઓ ગજાનન તરીકે ઓળખાય છે.
શ્રી ગણપતિના દરેક અંગો આપણને આપણા જીવનના ઉત્કર્ષ માટે અનોખો સંદેશ આપે છે.શ્રી ગણેશજીના શરીરની તમામ લાક્ષણિકતાઓમાં છુપાયેલ કોઈને કોઈ શુભ મર્મને કોઈ અજ્ઞાત કલાકારે બનાવેલ એમની નીચેની કલાકૃતિમાં બાખુબી રીતે રજુ કર્યું છે.
Ganesha Symbolism-
WHAT YOU SHOULD LEARN FROM GANESH
આવા સર્વ ગુણ સંપન્ન રિદ્ધિ સિદ્ધિના દેવ શ્રી ગણેશજીના જન્મ દિવસ ગણેશ ચતુર્થીના પુણ્ય પર્વને પ્રસંગે આ મંગલમૂર્તિ દેવ ગજાનનને યાદ કરી એમની ભક્તિપૂર્વક પૂજન-આરતી કરી ભક્તિરસમાં તરબોળ થઈએ.
શ્રી ગણેશ ભગવાનની આરતી
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
સૂરશામ શરણ આયે સફલ કીજે સેવા ।
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
ઉપરની આરતીને સુંદર સુર-સંગીતથી મઢેલ નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં, શ્રી ગણેશજીની જુદી જુદી મુદ્રામાં મૂર્તિદર્શન કરતાં કરતાં ગાઓ અને ભક્તિ રસમાં તરબોળ થાઓ.
શ્રી ગણેશજીની આરતી–(વિડીયોમાં)
Jai Ganesh Jai Ganesh Jai Ganesh Deva”- Lord Ganesh Aarti
વાચકોના પ્રતિભાવ