આજે સવારની ચા પીધા પછી ઈ-મેલ જોતાં શ્રી પી.કે.દાવડાના ઈ-મેલમાં એમના આત્મા
સાથેના એક સંવાદનું નીચેનું લખાણ વાંચવામાં આવ્યું .
“આત્મા સાથે સંવાદ
આ દિવાળીએ મેં મારા આત્મા સાથે સંવાદ કર્યો.
મેં પુછ્યું, “અત્યાર સુધી કેટલી દિવાળી ગઈ?”
આત્માએ જવાબ આપ્યો, “૭૭”
મેં પૂછ્યું, “આ ગાળા દરમ્યાન સમાજે તને શું આપ્યું?”
આત્માએ કહ્યું, “ઘણું બધું.”
મેં પૂછ્યું, “તેં સમાજને શું આપ્યું?”
આત્મા ચૂપ થઈ ગયો. કદાચ સાચો જવાબ આપવામાં એને શરમ આવી હશે.”
-પી.કે . દાવડા”
ઉપરનું લખાણ વાંચીને મારું મન વિચારોમાં ગૂંથાઈ ગયું .
આ મન બહું વિચિત્ર બલા છે . મન યા બુદ્ધિ યા મગજમાં વિચારો ઉપર વિચારો ચાલ્યા જ કરે
જેનો કોઈ અંત જ ન આવે . વાંદરાની માફક એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર કુદકા
માર્યા કરે !
મારા મનમાં થયું કે માણસની સાથે જે વાતો કરે છે એ આત્મા શું ચીજ છે ?
માણસના શરીરની અંદર જે વાસ કરે છે એ આત્માને સમજવો કઠિન છે .
એક મત એવો છે કે આ આત્માનું નિવાસસ્થાન માણસનું શરીર છે એટલે શરીરના મૃત્યુની
સાથે આત્મા પણ નાશ પામે છે.
આની સામે ગીતામાં કહેવામાં આવ્યું છે એમ આપણું આ શરીર નાશવંત છે પરંતુ આત્મા
અમર છે .શરીરના નાશ સાથે આત્મા નાશ પામતો નથી.આત્મા ફક્ત ઘર બદલે છે .
માણસમાં વાસ કરતા આ આત્માનો અવાજ માણસને ખોટું કરતાં રોકતો હોય છે .
જે માણસ એના આત્માના અવાજનો અનાદર કરે છે એ એનાં માઠા ફળ ભોગવે છે .
આત્માના અવાજ અંગે મેં એક ઉદાહરણ વાંચેલું એ યાદ આવે છે .
લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતાં એક પતિ-પત્ની બંને ભગવાનનાં પરમ ભક્ત
હતાં. એક વાર બંને લાકડાના ભારા લઈને વગડાના રસ્તે ચાલ્યા આવતા હતા ત્યારે
રસ્તામાં પતિએ એક સોનાનો કીમતી દાગીનો નીચે પડેલો જોયો .પતિએ જોતાં વેંત જ એના
ઉપર માટી ઢાંકી દીધી.
એની પાછળ આવતી એની પત્નીનું આ દાગીનો જોઈને કદાચ મન ન બગડે એ માટે પતિએ
આ દાગીનો જોતાં વેંત એના ઉપર માટી ઢાંકી દીધી.
એની પત્નીએ જોયું કે મારો પતિ કંઈ ઢાંકી રહ્યો છે. પત્ની નજીક આવી તો એને પણ થોડું
સોનું દેખાયું એટલે એણે પણ સોના ઉપર માટી નાખી.
પતિ કહે તેં મેં નાખેલી માટી ઉપર માટી કેમ નાખી?
પત્નીએ જવાબ આપ્યો કે મારો આત્મા પણ કહે છે કે સોનું માટી સમાન છે એટલે મેં માટી
ઉપર માટી નાખી .મારા આત્માના અવાજને હું શું કામ છેતરું ?”
આ રીતે આત્માનો પ્રકાશ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ વાત છે . મનુષ્ય તેના આત્માના
અવાજને સાચી અને સારી રીતે સાંભળે તો જીવનના આધ્યાત્મિક માર્ગ પર આગળ
વધી શકે છે .
આપણા આધ્યાત્મિક સાહિત્યમાં પણ કહેવાયું છે કે મનુષ્યના શરીરમાં રહેલો આ આત્મા એજ
પરમાત્મા છે . જીવ એ જ શિવ છે .
એમ કહેવાય છે કે ભગવાનની ભક્તિ અને ભજન કિર્તન આત્માનો ખોરાક છે . આત્માના ઉત્કર્ષ
અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ભક્તિ અને ભજન એ એક રામબાણ ઈલાજ છે .
વિનોદ પટેલ
_______________________________________________
ઉપરના લેખના અનુસંધાનમાં બ્લોગ દાદીમાની પોટલીમાં પ્રગટ આત્મા વિષેનો નીચેનો લેખ
વાંચવો ઉચિત રહેશે .
(૧) આત્મા …
માણસ પોતે જ પોતાના આત્મા વડે ઉદ્ધાર કરે છે. આત્મા-આત્માનો બંઘુ પણ છે અને શત્રુ પણ છે. શરીર કે મનથી કંઈ દોષ થાય તો તે આત્માને સહન કરવું પડે છે. ગુનો કરે જીભ અને લાફો ખાય ગાલ. ખાવા પીવામાં સંયમ ન રહે એટલે જીભ ખાય. પછી પેટમાં ગડબડ ઊભી થાય. આત્માને જ સહન કરવું પડ્યું ને? આપણે મહાન પુરુષો પાસે રહીએ અને પાપ કરીએ તો કોણ બચાવે? ખરાબ કામ કરીએ તો લોકો નિંદા કરે અને પવિત્ર કામ કરીએ તો લોકો પગે લાગે. છીએ ને આપણે જ આપણા શત્રુ અને મિત્ર? આપણે જાતે જ આપણો ઉદ્ધાર કરીએ છીએ અને જાતે જ ડૂબીએ છીએ. દરેક મનુષ્યે બહુ સમજીને કર્મ કરવા જોઈએ. જીભ ગાળ બોલે – તમાચો ગાલ ઉપર પડે. માર કોણે ખાધો?
જેણે પોતાના આત્માને જીત્યો છે એ જ એનો પરમ મિત્ર છે એમ માનવું. …
શ્રીરામકૃષ્ણ પરમહંસ પૈસાને કદી પણ અડકતા નહીં. એક દિવસ રામકૃષ્ણદેવ ની પથારી નીચે પૈસા મુક્યા. ઠાકુર પોતાની પથારી પર સુવા ગયા તો તેમને કંઈક ખુંચવા માંડ્યું. તપાસ કરી તો પૈસા જોયા શ્રીરામકૃષ્ણ પરમહંસે તે પૈસા બહાર ફેંકી દીધા અને પછી શાંતિથી ઊંઘી શકયા.
એક પતિ-પત્ની બંને ભગવાનના ભક્ત હતા. લાકડા કાપીને બંને પોતાનું ગુજરાન ચલાવતા. એક વાર બંને લાકડાના ભારા લઈને આવતા હતા. રસ્તામાં પતિએ સોનું પડેલું જોયું. એમણે તો એના ઉપર માટી ઢાંકી દીધી. પાછળ આવતી એની પત્નીનું કદાચ મન બગડે તો? પત્નીએ જોયું કે મારો પતિ કંઈ ઢાંકી રહ્યો છે. પત્ની નજીક આવી તો તેને પણ થોડું સોનું દેખાયું એટલે એમણે પણ સોના ઉપર માટી નાખી. પતિ કહે તેં માટી ઉપર માટી કેમ નાખી? બંનેને સોનું માટી સમાન લાગ્યું.
– મોહનભાઈ બોઘરા
(૨ ) આત્માનો પ્રકાશ …
મર્હિષ યાજ્ઞાવલ્ક્ય અને રાજા જનક હંમેશાં જીવનના ગૂઢ પ્રશ્નો પર વિચાર કરતા રહેતા. જનક તેમની સમક્ષ પોતાના મનની જિજ્ઞાસા જણાવતા અને મર્હિષ તેમના પ્રશ્નોનું સમાધાન કરતા. એક દિવસ જ્યારે બંને બેઠા હતા ત્યારે રાજા જનકે સવાલ કર્યો કે, ‘મર્હિષ, મારા મનમાં એક શંકા છે, આપણે જે જોઈએ છીએ તે કઈ જ્યોતિથી જોઈએ છીએ?’ મર્હિષએ કહ્યું, ‘રાજન, તમે તો બાળકો જેવી વાત કરી રહ્યાં છે. દરેક વ્યક્તિ જાણે છે કે આપણે સૂર્યના પ્રકાશને કારણે જોઈ શકીએ છીએ.’ જનક રાજાએ ફરીથી પૂછયું, ‘જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય છે ત્યારે આપણે કયા પ્રકાશથી જોઈએ છીએ?’
મર્હિષ બોલ્યા, ‘ચંદ્રમાના પ્રકાશમાં’ પછી જનકે ફરીથી સવાલ કર્યો, ‘જ્યારે ચંદ્રમા પણ ન હોય, નક્ષત્ર પણ ન હોય, અમાસનાં કાળાં વાદળોથી ભરેલી કાળી રાત હોય ત્યારે?’ મર્હિષએ જવાબ આપ્યો, ‘ત્યારે આપણે શબ્દની જ્યોતિથી જોઈ શકીએ. વિશાળ વન છે. ચારે બાજુ અંધારું છે. પથિક માર્ગ ભૂલી ગયો છે. તે બૂમ પાડે છે, મને માર્ગ બતાવો. ત્યારે બીજી વ્યક્તિ કહે છે કે, અહીં આવો. હું માર્ગ પર ઊભો છું અને તે વ્યક્તિ શબ્દોના પ્રકાશથી એ માર્ગ પર પહોંચી જાય છે.’ રાજા જનકે ફરીથી પૂછયું કે, ‘પરંતુ મર્હિષ, જ્યારે શબ્દ પણ ન હોય ત્યારે આપણે કઈ જ્યોતિથી જોઈ શકીએ છીએ?’
આ સાંભળી મર્હિષએ જવાબ આપ્યો કે, ‘ત્યારે આપણે આત્માની જ્યોતિથી જોઈ શકીએ છીએ. આત્માના પ્રકાશમાં જ બધાં કામ થાય છે.’ મર્હિષનો આ ઉત્તર સાંભળીને રાજા જનક સંતુષ્ટ થઈ ગયા. તેમણે કહ્યું, ‘હા, ગુરુદેવ, તમે બહુ સાચું કહ્યું. આત્માનો પ્રકાશ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ છે. મનુષ્ય તેની મદદથી જ જીવનના માર્ગ પર આગળ વધે છે.’
સૌજન્ય- બ્લોગ દાદીમાની પોટલી
____________________________________________________
આભાર – શ્રી વિજય ચૌહાણ
આત્મા એ જ પરમાત્મા – આત્મા અને એના અવાજ ઉપર એક આત્મ ચિંતન પર ગૂઢ ચિંતન સંકલન માણ્યું વારં વાર આ અંગે મનન કરતા સમજાશે
LikeLike
મારા એક નાનકડા ઈ-મેલની આસપાસ એક ગહન વિષયની ચર્ચા કરતો લેખ ગુંથી એની બહુ સરસ રજૂઆત કરી છે, એક શિલ્પીની જેમ.
LikeLike