વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 489 ) નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ મુલાકાત ……..શ્રી શ્રી રવિશંકરજી

 

Sri Sri Ravishankarji discussing a point  with PM Narendra Modi

Sri Sri Ravishankarji discussing a point with PM Narendra Modi

આર્ટ ઓફ લીવીંગ સંસ્થા ના પ્રણેતા વિશ્વ વિખ્યાત શાંતિના દૂત શ્રી શ્રી રવિશંકરજી ના એક બ્લોગમાં વિહાર કરી રહ્યો હતો ત્યારે મારી નજરે એમાં પોસ્ટ થયેલો શ્રી શ્રી  રવિશંકર લિખિત લેખ    MY FIRST MEETING WITH NARENDRA MODI મારી નજરે પડ્યો .

આ લેખ ખુબ રસથી વાચ્યા પછી મને થયું વી.વી, ના વાચકો માટે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને એક પોસ્ટમાં પ્રગટ કર્યો હોય તો કેવું,

આ વિચારની પરીપુરતી રૂપે આ લેખનું ગુજરાતીમાં ભાષાંતર કરીને નીચે પ્રસ્તુત કરેલ છે .

આ લેખમાં આજથી ૧૪ વર્ષ પહેલાં મિલેનિયમ વર્ષ ૨૦૦૦ માં શ્રી શ્રી અને નરેન્દ્ર મોદીનો સૌથી પ્રથમ મેળાપ કેવી રીતે થયો એનું રસસ્પદ વર્ણન તેઓએ કર્યું છે .

આ લેખના છેલ્લા પ્રેરેગ્રાફ્માં શ્રી મોદી હજુ વડા પ્રધાન તરીકે ચૂંટાયા પણ ન હતા એ સમયે શ્રી શ્રી ગુરુજીએ એમનો દ્રઢ વિશ્વાસ પ્રગટ કર્યો હતો કે જે દેશમાં મોદી વર્ષો સુધી આવકાર્ય ગણાયા ન હતા એ દેશ અમેરિકામાં એક દીવસે મોદીને એક મોટા લોકશાહી દેશના વડા તરીકે માનપૂર્વક આવકારાશે .

શ્રી શ્રી રવિશંકરજીની આ આગાહી કેટલી સાચી પડી છે ! આ સપ્ટેમ્બર ૨૦૧૪ના આખરમાં  અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના આમન્ત્રણથી ભારતના વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદી અમેરિકા આવી રહ્યા છે જ્યાં એમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે .

સમય સમય બળવાન છે ……..

વિનોદ પટેલ 

==================

નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ મુલાકાત ……..શ્રી શ્રી રવિશંકરજી

જ્યારે નવું મિલેનિયમ વર્ષ નજીક આવી રહ્યું હતું ત્યારે પશ્ચિમના દેશોમાં જાણે કે મોટી આપત્તિ આવવાની હોય અને પૃથ્વીનો અંત આવી જવાનો હોય એવી ભીતિ સેવાઈ રહી હતી. માણસો આવી ભયજનક માનસિક અવસ્થામાં એમના ઘર વેચી રહ્યા હતા અને ખાવા પીવાની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા હતા. આવા વખતે હું એક કાંઠેથી બીજા કાંઠે મુસાફરી કરી રહ્યો હતો અને સૌને વિશ્વાસ આપતો હતો કે આવું કશું બનવાનું નથી . પ્રભુનો પાડ માનો કે પૃથ્વીનો કોઈ વિનાશ ના થયો અને પહેલાંની જેમ બધો વ્યવહાર રાબેતા મુજબ ચાલતો રહ્યો .

ઓગસ્ટ,૨૦૦૦માં યુ.એન. દ્વારા બોલાવાયેલ મિલેનિયમ વિશ્વ શાંતિ શિખર પરિષદને સંબોધવા માટે હું ન્યુયોર્ક શહેરમાં હતો.આ સભાની શરૂઆતમાં એ વખતના યુ.એન.સેક્રેટરી જનરલ કોફી આનનએ સંબોધન કર્યું હતું.

ભારતમાંથી મોટી સંખ્યામાં આવેલ પ્રતિનિધિઓ એમાં હાજર હતા .કદાચ પહેલી જ વખત કેશરી વસ્ત્રો ધારણ કરેલ સ્વામીઓ આટલી મોટી સંખ્યામાં યુ.એન. ની આવી પરીષદમાં હાજર રહ્યા હશે .

આ સભામાં જે વ્યક્તવ્યો અપાતા હતા એનો તરત જ વિવિધ ભાષાઓમાં તરજુમો કરવામાં આવતો હતો પરંતુ એમાં હિન્દી ભાષાનો જ અપવાદ હતો . આને લીધે ત્યાં હાજર ઘણા ભારતીય સ્વામીઓ અને આચાર્યોને સભાની કાર્યવાહી અને અપાતા પ્રવચનોની ભાગ્યે જ ખબર પડી હશે . એ વખતે મને લાગ્યું હતું કે આવા મોટા પ્રસંગો માટે જરૂરી વધુ સારી વ્યવસ્થા શક્તિ અને કાર્યક્ષમતા આપણે બતાવી શક્યા હોત .

દરેક વક્તાને બોલવા માટે પાંચ મીનીટનો સમય ફાળવવામાં આવ્યો હતો . મેં મારું પ્રવચન આ મુકરર સમયમાં પૂરું કર્યું હતું. મારા પછી શ્રી સત્યનારાયણ ગોએન્કાને બોલવાનો વારો હતો .એમણે આ નિયત સમય પછી પણ બોલવાનું ચાલું જ રાખ્યું. એમને બેસી જવા માટે એક બે અને ત્રણ વખત સભા પ્રમુખે ઘંટડી વગાડી ચેતવણી આપી પણ એની દરકાર કર્યા વગર એમણે બોલે રાખ્યું.પરિણામે એમને અટકાવીને મંચ ઉપરથી ઉતારી દેતાં ભારતીય પ્રતિનિધિ મંડળ માટે શરમજનક અને દુખદ પરિસ્થિતિ સર્જાઈ ગઈ !

આ સભા પૂરી થતાં અમે બધા પ્રતિનિધિઓ લોબીમાં બેઠા હતા . મારી બિલકુલ સામેની બાજુ વાદળી રંગનો સફારી શૂટ પરિધાન કરેલ એક ભાઈ બેઠા હતા.ગોયેન્કાજી એ ભાઈની બાજુમાં બેસીને ફરિયાદ કરી રહ્યા હતા કે ૧૮ કલાકની મુસાફરી કરીને ભારતથી આટલે દુર આવ્યા અને અડધો કલાક પણ બોલવા માટે ના આપવામાં આવે એ કેવું કહેવાય ! થોડા સમય પછી, આ મિલેનિયમ વિશ્વ શાંતિની શિખર પરિષદ માટે ભારતીય પ્રતિનિધિ મંડળના કો-ઓર્ડીનેટર ડો. બી.કે.મોદીએ વાદળી રંગનો સફારી શૂટ પહેરેલા ભાઈની મને ઓળખાણ કરાવતાં કહ્યું ‘ આ આર.એસ.એસ.ના પ્રચારક શ્રી નરેન્દ્ર મોદી છે .’

નરેન્દ્ર મોદીએ મારું અભિવાદન કરતાં કહ્યું ‘તમારું પ્રવચન ટૂંકું અને બિલકુલ મુદ્દાસરનું હતું. બધા લોકોએ એની પ્રસંશા કરી હતી .’ મને મનમાં થયું ,આમ કહીને તેઓ મને અભિનંદન આપી રહ્યા હતા કે સભામાં ગોયેન્કાજી બાબતે જે કાંઈ બન્યું એ વિષે કોઈ ગુઢ સંદેશ આપી રહ્યા હતા એ બાબતે હું ચોક્કસ ન હતો .

જવાબમાં મેં ફક્ત મુખ ઉપર સ્મિત કર્યું અને ત્યાંથી થોડો દુર ખસી ગયો. આ રીતે થઇ હતી મારી નરેન્દ્ર મોદી સાથેની સૌથી પ્રથમ મુલાકાત અને અન્યોન્ય વાતચીત .

મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એના થોડા મહિનાઓ બાદ ડીસેમ્બર ૨૦૦૧ માં અમદાવાદ ખાતેના અમારા એક કોઓરડીનેટર ભાઈ મેહુલે મને ફોન કર્યો . આ ફોનમાં એણે જણાવ્યું કે વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી એને ખબર પડી છે કે નવી બનેલી મોદી સરકારને મુશ્કેલીમાં મુકવા માટે તોફાનો કરાવવાની યોજના ઘડાઈ રહી છે .ફેબ્રુઆરી ૨૦૦૨માં હુલ્લડો ફાટી નીકળ્યા જેની અસરથી આખો દેશ શોક, દુખ અને અવિશ્વાસના માહોલમાં ઘેરાઈ ગયો.

કારસેવકોને ગાડીના ડબ્બામાં જીવતા જલાવી દીધાના કમનશીબ બનાવ પછી જે પ્રમાણમાં હિસા ફાટી નીકળી એનો કોઈનાથી બચાવ થઇ શકે એમ નથી અને કરવો પણ ના જોઈએ .

હુલ્લડો બાદ થોડા સમયમાં જ આર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સ્વયંસેવકો એ પીડિતોની સારવાર અને રાહત કેન્દ્રોની પ્રવૃતિનું કામ શરુ કરી દીધું.મેં શાહ આલમ કેમ્પ સહીત અમદાવાદમાં શરુ કરેલ બીજા રાહત કેન્દ્રોની જાતે ફરીને મુલાકાત લીધી.હિંદુ તેમ જ મુસ્લિમ એમ બન્ને કોમોના આ તોફાનોનો ભોગ બનેલા માણસોના દુખ દર્દોને સાંભળ્યા .એમની વાતોની સંવેદનશીલતા એક   હોરર સ્ટોરીને મળતી આવે એવી હતી .હું મુખ્ય મંત્રીને મળ્યા સિવાય બેંગ્લોર પરત આવી ગયો અને અમદાવાદનાં અમારાં રાહત કેન્દ્રોનું કામકાજ ઘણા મહિનાઓ સુધી ચાલતું રહ્યું હતું.    

બન્ને કોમની જાણીતી વ્યક્તિઓને હું મળ્યો જેથી એમની વચ્ચે સંવાદ જળવાઈ રહે .કેટલાક માણસોએ એવો આરોપ પણ મુક્યો કે સંઘ પરિવારે જ લઘુમતી કોમ પર હુમલો કરી શકાય એ હેતુથી ટ્રેનને આગ ચોપી હતી. પરંતુ હું એમની સાથે સંમત ન હતો

આવી ગંભીર પરિસ્થિતિના માહોલમાં મારે નરેન્દ્ર મોદીને બીજી વખત મળવાનું થયું.૨૦૦૪ માં ફરીથી મેં ગુજરાતની મુલાકાત લીધી .ત્યાં સુધીમાં તો મોદીની વિરુદ્ધમાં યુદ્ધની રેખાઓ ખેંચાઈ ચુકી હતી . મોદીને ઉતારી પાડી ટીકાઓ કરવાની જાણે કે એક ફેશન થઇ ગઈ હતી. આવા માહોલમાં મોદીને માટે જરા પણ સારું બોલે એના ઉપર કોમવાદી કે આર.એસ.એસ. કે વિશ્વ હિંદુ પરિષદનો સિક્કો લાગી જતો હતો .

મેં મોદીને મળી આ બાબતમાં એ શું વિચારે છે એ જાણવાનું નક્કી કર્યું. અમારી બેઠક શરુ થતાં જ મેં મોદીની આંખમાં આંખ પરોવીને પૂછ્યું ‘ મુખ્ય મંત્રી તરીકેની તમારી સત્તાઓનો ઉપયોગ કરીને તમે આ હુલ્લડોને રોકવા માટે તમારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા ખરા ?’

મારા આવા સીધા સવાલથી તેઓ અચંબામાં પડી ગયા .તરત જ પોતાની જાતને સંભાળી લઇ આંખમાં આંસુની ભીનાશ સાથે મોદીએ જવાબ આપ્યો ;’ગુરુજી મારા વિરુદ્ધ થઇ રહેલા પ્રચારને તમે પણ શું સાચો માની લીધો ! ‘

એ પછી અમારે આગળ વધુ વાત કરવાની ના રહી . મને ખબર હતી જ કે મોદીએ આ હુલ્લડોમાં કોઈ ભાગ ભજવ્યો ના જ હોય . એક મુખ્ય પ્રધાન કેવી રીતે એની જાતે એનું મુખ કાળું કરે કે એની આબરૂનો નાશ કરે . એવું બની જ ના શકે

થોડી મીનીટો અમે શાંતિથી બેસી રહ્યા. મેં મોદીને હૈયા ધારણ આપી કે સત્ય એમના પડખે છે અને એક દિવસ આખો દેશ એમની સાચી ઓળખ કરશે .’

ત્યાર પછીનાં વર્ષો દરમ્યાન , જ્યારે જ્યારે હું ગુજરાતની મુલાકાત લેતો હતો ત્યારે તેઓ આવતા અને મારી સાથે મેડીટેશનમાં થોડી મીનીટો બેસતા.ઘણીવાર તેઓએ ગ્રામ વિસ્તારો માટે શું કામ કર્યું છે એની મને માહિતી આપતા.તેઓ જાણે છે કે ગ્રામ્ય વિકાસ એ મારો ગમતો વિષય છે . કોઈવાર તેઓ અમારા સત્સંગના કાર્યક્રમમાં પણ ભાગ લેતા હતા .મોદી મા દુર્ગાને ચુસ્ત રીતે માને છે અને તેઓ જે પ્રકારનો મજબુત આધ્યામિક રસ ધરાવે છે એનાથી ઘણા ઓછા લોકો વાકેફ હશે .

છેલ્લા ઘણા વર્ષોથી જે દેશમાં મોદીની હાજરી આવકાર્ય ન હતી એ અમેરિકા દેશમાં જ હું એમને પ્રથમ વખત મળ્યો હતો. છેલ્લે તેઓ ૨૦૦૦ના વર્ષમાં અમેરિકા ગયા હતા ત્યારે એક નિષ્ઠાવાન કટિબદ્ધ સામાજિક કાર્યકર તરીકે ગયા હતા . છેલ્લા ૧૪ વર્ષોમાં સમયના પુલ નીચેથી ઘણું પાણી વહી ગયું છે . હવે પછીની શ્રી મોદીની અમેરિકાની મુલાકાત દુનિયાની મોટામાં મોટી લોકશાહી દેશ ભારતના એક વડા તરીકેની હશે એમ મને લાગે છે .

——————————————–

 આ લેખને અંગ્રેજીમાં વાચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો .

Thanks–http://srisriravishankar.org/my-first-meeting-with-narendra-modi/

===============================================

ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૦ માં શ્રી શ્રી રવિશંકર અને શ્રી મોદીનો પ્રથમ મેળાપ થયો ત્યારબાદ બન્ને વચ્ચે ગુરુ-શિષ્ય સંબંધ બળવત્તર થતો ગયો છે .

૨૬મી મેં ૨૦૧૪ન રોજ શ્રી નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શપથ લીધા એ રંગારંગ સમારંભમાં શ્રી મોદીના આમન્ત્રણથી તેઓનું આગલી હરોળમાં સન્માન કરી આવકાર આપવામાં આવ્યો હતો અને એમના આશીર્વાદ મેળવ્યા હતા .

શ્રી નરેન્દ્ર મોદીના પુસ્તક સાક્ષીભાવ નું લોકાર્પણ એમના આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં શુક્રવાર તા. ૭ મી માર્ચ ર૦૧૪ના રોજ યોજાએલ સમારંભમાં કરવામાં આવ્યું હતું .

નરેન્દ્ર મોદીને પ્રજાએ હંમેશાં રાજનેતા તરીકે જોયા છે, પરંતુ તેમનું આધ્યાત્મિક વલણ બહુ ઓછા લોકો સમક્ષ આવ્યું છે  આ પુસ્તકમાં સ્પષ્ટપણે નિરૃપણ કરાયું છે.

શ્રી શ્રી રવિશંકરજીએ શ્રી મોદીના સાક્ષીભાવ પુસ્તકના વિમોચન સમારંભમા પ્રવચન કરતાં કહ્યું હતું કે “હાલ આશા ગુમાવી બેઠેલા દેશના હજ્જારો યુવાનોમાં આ પુસ્તકથી આશાનો સંચાર થશે.દેશના કમળને એક શેરની જરૂર હતી, તે તો મળી ગયો. હવે આ શેરમાં પણ એક કમળ ખીલ્યું છે.”-શ્રી શ્રી રવિશંકરજી.

આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકરજી એ આપેલ પ્રેરક સંદેશનો વિડીયો નીચે પ્રસ્તુત છે .

Speech of Sri Sri Ravishankar ji at Narendra Modi’s book release function

CLICK ON THIS LINK TO SEE VIDEO

http://www.youtube.com/watch?v=XJBGKnQpvJk

5 responses to “( 489 ) નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ મુલાકાત ……..શ્રી શ્રી રવિશંકરજી

  1. સુરેશ જુલાઇ 18, 2014 પર 12:27 પી એમ(PM)

    બહુ જ સરસ અનુવાદ. ગમ્યો.
    —————–
    ત્રણ વર્ષથી ‘આર્ટ ઓફ લિવિન્ગ’ના ફાયદા અનુભવ્યા બાદ એ વાતની પ્રતીતિ થઈ છે કે, બધી જ સામાજિક સમસ્યાઓ અને દૂષણોના મૂળમાં માનવ મનની પડી ગયેલી રઢણો છે. જ્યાં સુધી વ્યક્તિગત ધોરણે જાગૃતિ નહીં આવે – અને ‘ક્રિટિકલ માસ’ (આશરે ૩૦ થી ૪૦ % ) સુધી તેનો પ્રસાર અને વિસ્તાર નહીં થાય ત્યાં સુધી કોઈ સમસ્યા કાયમી ધોરણે ઉકેલાવાની નથી
    આના બહુ જ સરસ રાજકીય દાખલા – બ્રિટનનો ‘મેગ્ના કાર્ટા; ફાન્સની ક્રાન્તિ, જાપાનનું નવા યુગમાં ઉથાન , અમેરિકી સ્વાતંત્ર્ય સંગ્રામ અને સિવિલ વોર….
    અને ….
    ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ.
    છેલ્લાની વાત કરીએ તો ; એ જમાનામાં ભારત ગરીબી અને અજ્ઞાનના કાદવમાં સબડતું હતું. કદાચ ૧૦ % જેટલું જ શિક્ષણ હતું. અને સાવ હાડપિંજર જેવી સુવિધાઓ – અને છતાં પાશવી તાકાતવાળા બ્રિટનને પૂંછડી દબાવી ભાગી જવું પડ્યું.

    આ બધા; સામાજિક જાગૃતિનાં ઉદાહરણ છે- ક્રિટિકલ માસની વ્યક્તિઓ જાગૃત બને તો જ આમ બની શકતું હોય છે.

    આપણે જો સામાજિક સુધારના સ્વપ્ન સેવતા હોઈએ તો……
    વ્યક્તિગત ધોરણે જાગૃતિ અને એ રસ્તે ચાલતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

    ચેરિટી બિગિન્સ એટ હોમ.

    Like

  2. chandravadan જુલાઇ 19, 2014 પર 6:23 પી એમ(PM)

    શ્રી શ્રી રવિશંકરજીએ શ્રી મોદીના સાક્ષીભાવ પુસ્તકના વિમોચન સમારંભમા પ્રવચન કરતાં કહ્યું હતું કે “હાલ આશા ગુમાવી બેઠેલા દેશના હજ્જારો યુવાનોમાં આ પુસ્તકથી આશાનો સંચાર થશે.દેશના કમળને એક શેરની જરૂર હતી, તે તો મળી ગયો. હવે આ શેરમાં પણ એક કમળ ખીલ્યું છે.”-શ્રી શ્રી રવિશંકરજી.
    Saras Post !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ chandrapukar !

    Like

  3. aataawaani જુલાઇ 20, 2014 પર 4:25 એ એમ (AM)

    પ્રિય વિનોદભાઈ
    મહાપુરુષોની આગાહી ઘણી વખત સાચી પડતી હોય છે એનો દાખલો શ્રી શ્રી રવિશંકર મહારાજ
    એક સમય એવો હતો કે નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં પ્રવેશ બંધી હતી એજ અમેરિકા હવે નરેન્દ્ર મોદીને અમેરિકા પધારવા આમંત્રણ આપે છે .
    रंग बदल जाते है जज्बात (आकर्षण )बदल जाते है
    वक्त पे इन्सानके खयालात बदल जाते है

    Like

  4. pragnaju જુલાઇ 20, 2014 પર 2:14 પી એમ(PM)

    સંતવાણી
    ‘શ્રી શ્રી રવિશંકરજીની આ આગાહી કેટલી સાચી પડી છે ! આ સપ્ટેમ્બર ૨૦૧૪ના આખરમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના આમન્ત્રણથી ભારતના વડા પ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદી અમેરિકા આવી રહ્યા છે જ્યાં એમનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવશે’
    સંત આશીસને પાત્ર થવાય તેવી પ્રભુ પ્રાર્થના

    Like

  5. chaman જુલાઇ 21, 2014 પર 4:33 એ એમ (AM)

    Good to know all these facts. Thanks for taking time to educate people like me.

    Vhiman Patel “chaman”

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.