ગુજરાતી બ્લોગ વિશ્વમાં ત્રણ વર્ષની યાદગાર મજલ કાપીને વિનોદ વિહાર સપ્ટેમ્બર, ૧ ૨૦૧૪ ના રોજ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે .
આજથી બરાબર ત્રણ વર્ષ પહેલાં ,૧ લી સપ્ટેમબર ૨૦૧૧ ની પહેલી પોસ્ટ મારો ગુજરાતી બ્લોગ વિનોદ વિહાર માં કહેલા શબ્દો સાથે, મારા જીવનના અમૃત પર્વે,એટલેકે ૭૫મા વરસે બ્લોગ ગુર્જરીની ફળદ્રુપ માટીમાં વિનોદ વિહાર નામના એક નાનકડા બીજનું વાવેતર કર્યું હતું .
એ વખતે મનમાં ડર હતો કે બી તો વાવ્યું છે પણ વાડીનાં બીજાં મોટાં શાખાઓ વિસ્તારીને ઉભેલાં વૃક્ષો વચ્ચે ઉગી રહેલ આ એકલ દોકલ નાના છોડ ઉપર કોણ દ્રષ્ટિ કરવાનું છે .
ત્રણ વર્ષની આ બ્લોગની સફરના અંતે નીચેના પ્રગતિ સૂચક આંકડાઓ જોયા પછી હું એ કહેવાની સ્થિતિમાં છું કે મારો એ ડર કેટલો અસ્થાને હતો .
============================================================
ત્રણ વરસની સફરને અંતે વિનોદ વિહાર
પ્રગતી સૂચક આંકડાઓ .
=======================
2014 2013 2011-12
1. મુલાકાતીઓનીસંખ્યા ….. …. 174320 97200 2300
2 બ્લોગ પોસ્ટની સંખ્યા … 518 301 85
3. બ્લોગમાં મુકાતી દરેક પોસ્ટને
નિયમિત ફોલો કરતા બ્લોગર
અને અન્ય સ્નેહી મિત્રો ………. 251 198 57
વાચક મિત્રોએ આજદિન સુધી આપેલ
પ્રતિભાવોની સંખ્યા ( મારા પ્રત્યુત્તર નહિવત હોવા છતાં ) .. 3084
એક જ દિવસે વધુમાં વધુ મુલાકાતીઓ -Beat ever – ……667
===============================================================
વિનોદ વિહાર – દુનિયાના ફલક ઉપર
કુલ વાચકો ૧૭૪૩૨૦ છે એમાંથી ક્યા ક્યા દેશમાં અને કેટલી સંખ્યામાં એ પથરાયેલા છે
એની માહિતી જુઓ આ નકશામાં
જે દેશમાં ૨૦ થી વધુ લાકાતીઓ છે એવા દેશો અને મુલાકાતીઓની સંખ્યા આ પ્રમાણે છે.
અને ૨૦થી નીચે મુલાકાતીઓ વાળા દેશો તો ઘણા બધા છે!
ઈન્ટરનેટ વિશ્વની આ કેવી કમાલ કહેવાય કે સાન ડીયેગો, કેલીફોર્નીયાના ઘરના એક રૂમના એકાંતમાં જે શબ્દો એના બ્લોગમાં મુકાયા એ શબ્દો અને ચિત્રો થોડી સેકન્ડોમાં જ વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા ભાષા પ્રેમી દેશ બાંધવો સુધી પહોંચી ગયા !
વિનોદ વિહારના આ ઉછરતા વૃક્ષની પ્રગતિમાં એના ઉપર નજર રાખી રોજે રોજની માવજત કરનાર આ લખનાર માળીનું શ્રેય તો ખરું જ પરંતુ વખતો વખત આ ઉછરતા છોડની લગભગ પોણા બે લાખ જેટલા સાહિત્ય રસિક વાચક મિત્રોએ મુલાકાત લીધી અને અનેક મિત્રોએ એમના ભાવસભર પ્રતિભાવો અને પ્રોત્સાહિત શબ્દો રૂપી ખાતર અને પાણીનો આ છોડ ઉપર છંટકાવ જો ના કર્યો હોત તો ખુબ આશાઓ સાથે વાવેલ આ સાહિત્યનો છોડ કદાચ ઉગતો જ મુરઝાઈ ગયો હોત.
મેં તો અકેલા ચલા થા ,
જાનીબે મંઝિલ મગર …
લોગ સાથ આતે ગયે .
ઔર કારવાં બનતા ગયા !
આ ત્રણ વર્ષો દરમ્યાન મારી અલ્પબુદ્ધિ પ્રમાણે આ બ્લોગમાં મારા સ્વ-રચિત કે પછી વાચનમાંથી મને ગમ્યું હોય એવું મારી પસંદગીનું પ્રેરણાદાયી સત્વશીલ અને જીવન પોષક સાહિત્ય પીરસીને આપણી ગરવી ગુજરાતી ભાષામાં ગદ્ય-પદ્ય સર્જનની રસમય આનંદ યાત્રા કરાવી સૌને સંતોષવાનો, શારીરિક મર્યાદાઓ વચ્ચે પણ ,શક્ય એટલો બધો મેં પ્રયત્ન કર્યો છે .
સ્વામી શિવાનંદજીનું એક સરસ અવતરણ છે ;
Put your heart, mind, and soul into even your smallest acts. This is the secret of success.
Swami Sivananda
આ બ્લોગ અંગેના મારા પ્રયત્નોમાં હું કેટલો સફળ રહ્યો છું ,એ તો આ બ્લોગના સુજ્ઞ વાચકો જ કહી શકે .વરને વરની મા વખાણે એ શું કામનું. ગામના લોકો કહે કે ના ખરેખર આ લાડો પોંખવા જેવો છે , તો જ ખરું.
આ ચાર આગેવાન “ ગામ લોકો” આ અંગે શું કહે છે એ નીચે વાચો.
“ મળવા જેવા માણસો “ નો પરિચય કરાવનાર ,જેમને રૂબરૂ મળ્યો નથી પણ ફોન ઉપર અવારનવાર મળીએ છીએ એવા મારા અને મારા જેવા ઘણા બ્લોગર મિત્રોના સહૃદયી મિત્ર શ્રી પી.કે. દાવડાજી એ આ પ્રસંગે એમનો શુભેચ્છા સંદેશ મોકલ્યો છે. એમના આભાર સાથે એ નીચે પ્રસ્તુત છે.
વિનોદ વિહારને શુભકામના…….પી .કે. દાવડા
P.K.DAVDA
વિનોદ વિહાર એટલે આનંદથી વિહરવાનું સ્થાન. વિનોદ વિહાર એ ખરેખર Blog Surfing કરનારાઓ માટે આનંદ મળે એવું સ્થાન છે.
આ બ્લોગમાં અનેક સર્જકોની માણવા જેવી રચનાઓ ઉપરાંત એના સંપાદક શ્રી વિનોદભાઈ પટેલના પોતાના લખાણો પણ ખૂબ જ ઉત્તમ કોટીના હોય છે. સાહિત્યના લગભગ બધા જ પ્રકાર, કવિતા, નિબંધ, લેખ, વાર્તા, રમૂજ, ધાર્મિક લખાણો, રાજકારણ, ઉત્સવો વિષેના લખાણ, રાજકારણ, શું શું નથી વિનોદ વિહારમાં?
પ્રત્યેક રચનાની રજૂઆત પહેલાં સર્જકનો ટુંકો પરિચય અને રચના વિષે યોગ્ય ટીપ્પણી એ વિનોદ વિહારની આગવી ખાસિયત.
બ્લોગ જગતમાં માત્ર ત્રણ વર્ષમાં માનભર્યું સ્થાન મેળવાનારા બ્લોગ્સમાં વિનોદ વિહારનો પણ સમાવેશ થઈ જાય છે. વિનોદ વિહાર જ્યારે એના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે એ પ્રસંગે હું સંપાદક શ્રી વિનોદભાઈને અભિનંદન આપું છું અને વિનોદ વિહાર હજી પણ વધારે ઊંચાઈઓ સર કરે એવી શુભેચ્છા પાઠવું છું.
-પી. કે. દાવડા
હ્યુસ્ટનથી મારા સ્નેહી વડીલ ભાઈ ચીમનભાઈ “ચમન “એ પ્રસંગોચિત નીચેની ભાવ સભર કાવ્ય રચના લખી મોકલી છે .એમની આ રચના અને શુભેચ્છા બદલ એમનો આભારી છું .
‘વિનોદ વિહાર’ ચોથા વર્ષમાં!
ત્રણજ વર્ષમાં,
વિનોદે કરી છે કમાલ!
એકલા એકલા,
એક જ હાથે,
ટાઈપ કરી કરી,
વહેંચી વાનગીઓ વિવિધ
‘વિનોદ વિહાર’ના બધા વાંચકોને!
ત્રણજ
વર્ષમાં વધ્યા વાંચકો,
વધ્યા મિત્રો ને વધ્યા વેબ વિચારો
વેબનો એમનો આ વેલો
ફેલાયો છે
હવે તો ચોમેર!
ચોથા વર્ષે, સૌ વતી, કરે છે-
‘ચમન’ પ્રભુને પ્રાર્થના;
આપે આયુષ્ય લાંબુ અવિનાશ એમને.
***********
(ચીમન પટેલ ‘ચમન’/૨૩ઓગષ્ટ’૧૪)
===============================
મારા Friend ,Philosopher and Guide અને સહતંત્રી શ્રી સુરેશભાઈ જાનીએ વિનોદ વિહારની ત્રીજી વર્ષ ગાંઠ પ્રસંગે મોકલેલ પ્રેરક સંદેશ, એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.
સુરેશ જાની
વિનોદભાઈનો માનસ બાબલો ‘વિનોદ વિહાર’ હવે ત્રણ વર્ષનો થયો . હવે તો એ થોડોક જ ભાંખોડિયાં ભરે? એ તો હવે દોડતો જ હોય ને?
આવડતનો ગ્રાફ તો દોરી શકાતો નથી હોતો; પણ ‘વિપ’ના પહેલા લેખ અને આજના છેલ્લા લેખને સરખાવી જોઈએ તો બ્લોગિંગમાં થયેલી એમની પ્રગતિ આંખે ઊડીને વળગી જાય. લેખના સુઘડ દેખાવ અને સુશોભન માટેનો એમનો આગ્રહ કાબિલે દાદ છે. એ જ રીતે કોમેન્ટોના જથ્થાઓને પણ સરખાવી, એ સત્ય આત્મસાત્ કરી શકાય.
પણ એ બધી વિગતો અને બહારી નજારાની ભીતર ધબકી રહેલા ‘માણસ’ કહેવાય એવા માણસને આ પ્રસંગે પોંખવો છે. ફોન પરની વાતચીતમાં પણ એમનો ધબકતો, નિર્વ્યાજ પ્રેમ છલકાયા કર્યો છે.
એક જ સાદો દાખલો – આ જુલાઈ ’૧૪ ના મહિનામાં ‘વિપ’ સાન ડીયેગોથી એલ.એ.માં એમની દીકરીને ઘેર એક મહિનો રહેવા ગયા ત્યારે તેમણે એલ.એ. મળવા આવવા માટે આ લખનારને પ્રેમ સભર ઈજન આપેલું. એમના મનની ઈચ્છા હતી કે હું આવી શકું તો એલ. એ.માં રહેતા અન્ય બ્લોગરો, ગોવીંદ પટેલ , રમેશ પટેલ,ચન્દ્રવદન મિસ્ત્રી ,કેપ્ટન નરેન્દ્રભાઈ, આનંદરાવ લિંગાયત, વી.પ.અને અન્ય સાહિત્ય પ્રેમીઓનું મારી હાજરીમાં એક યાદગાર સ્નેહ સમ્મેલન થઇ જાય.સાન ફ્રાંસીસ્કોથી શ્રીદાવડા અને પ્રજ્ઞાબેન દાદભાવાળા એ પણ એલ.એ. આવવા ઇચ્છા બતાવેલી .
સંજોગવશાત એ મુલાકાત શક્ય ન થઈ. પણ એમણે દર્શાવેલ પ્રેમભાવ સદા યાદ રહેશે.
છેવટે વિનોદ વિહાર બ્લોગ દિન પ્રતિ દિન પ્રગતિ કરતો રહે અને સૌ વાચક મિત્રોને વિનોદ કરાવતો રહે એવી શુભેચ્છા.
—-સુરેશ જાની
=====================
Last but not least ,
શ્રી આનંદરાવ લિંગાયત
લોસ એન્જેલસમાં રહેતા જાણીતા સાહિત્યકાર, વાર્તા લેખક અને ગુંજન સામાયિક ના તંત્રી, ૮૩ વર્ષના મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત અંગ્રેજીમાં જણાવ્યું છે .
July, 31, 2014
Vinodbhai,
Now you are transforming yourself into an ”Editor”
… you are a honey-bee …
I don’t know where you find this energy … !!
”Kahat Kabir Suno Bhai Mody” posted by you is circulating like a
whirl wind in the inter net. All over.
Wishing you all well,
– Anand Rao
====================
વી.વી.ની પોસ્ટને અંતે આપેલા આવા બીજા ઘણા મિત્રોના પ્રેરક પ્રતિભાવો જગ્યાને અભાવે અહીં આપવા શક્ય નથી. આ બધા જ મિત્રોનો પણ હું આભારી છું.
અંતે સમાપનમાં ……નિવેદન અને આભાર દર્શન
મિત્રો,
૭૮ વર્ષની વયે, શારીરિક દ્રષ્ટીએ થોડો સંઘર્ષ કરી રહ્યો છું છતાં મનમાં સદાનો હું ખુબ
આશાવાદી છું. આશા અમર છે.
જીવન અને સંઘર્ષ અંગે હિન્દીમાં વાંચેલી કાવ્ય ક્ન્ડીકાઓનો કરેલો મારો ભાવાનુવાદ આ છે કે —
જિંદગી જીવવી કદી એમ સહેલી નથી
વિના સંઘર્શે કોઈ મહાન બન્યું નથી
હથોડાના પ્રહારો ખમે નહી ત્યાં સુધી
પથ્થર ભગવાન બની પૂજાતો નથી
માણસ રોજ નવું નવું શીખતો જ રહે છે.સર્વ દિશાઓથી પ્રાપ્ત થતી એની
જ્ઞાનયાત્રા સતત ચાલતી જ રહે છે.
નવી આશાઓ લઈને ઉગતી જીવનની દરેક સવારનું સ્વાગત કરી દિવસ દરમ્યાન
બ્લોગીંગથી મળતા આનંદનો ગુલાલ સૌ ઉપર છાંટતાં મારું મન પણ ગુલાલમય
બની ખુશીથી ઉભરાતું હોય છે.
મારે મન બ્લોગીંગ પણ એક કળા છે .કૈક સર્જન કર્યાનો આનંદ સૌમાં વહેંચવો એ સમયની પાબંદી વગરના મુક્ત નિવૃત્ત જીવનમાં લેવા જેવો અનેરો લ્હાવો છે .બ્લોગીંગમાં જ્યારે ધ્યાન પરોવાય છે ત્યારે બધું વિસરાઈ જાય છે અને એક પ્રકારનું મેડીટેશન બની જાય છે . માંહલો મલકી ઉઠે છે . મિત્રોનો અને સ્નેહી જનોનો સાથ,સહકાર, પ્રેમ અને ઉષ્માભર્યો સહકાર અને ભાવ-પ્રતિભાવ મને લખવા અને પોસ્ટ તૈયાર કરવા માટેની પ્રેરણા બને છે.
વિનોદ વિહારની એની ત્રણ વર્ષની સફરમાં જે મિત્રોએ બ્લોગની મુલાકાત લઈને ,પ્રતિભાવોથી યા અન્ય કોઈ રૂપે આ આનંદયાત્રામાં મને સાથ આપ્યો છે એ તમામ ભાષા પ્રેમી મિત્રો અને સ્નેહીજનોનો મનમાં ખુબ જ આનંદ અને સંતોષની મિશ્ર લાગણી સાથે હું હાર્દિક આભાર માનું છું .
મને આશા છે કે આવતા દિવસોમાં પણ આપ્યો છે એથી પણ વિશેષ એમનો સહકાર મળતો રહેશે.
“માઈલોના માઈલોનું અંતર ખરી પડે
જ્યાં અંતરના પ્રેમનો સેતુ નિરંતર.”
સપ્રેમ, સાદર ,
વિનોદ પટેલ
=========================================================
મૌલિકા દેરાસરી
બ્લોગ ભ્રમણની વાટે …વિનોદ વિહારનો પરિચય….મૌલિકા દેરાસરી
વાચકોના પ્રતિભાવ