શ્રીમતી માયાબેન રાયચુરા
મુંબઈ , બોરીવલીમાં સપરિવાર રહેતાં એક ગૃહિણી માયાબેન રાયચુરાએ પોરબંદરમાં રહેતા એમના પૂજ્ય સસરાજી વિષે સરસ પરિચય લેખ “પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા” મોકલ્યો છે .આ લેખને એમના આભાર સાથે આજની પોસ્ટમાં રજુ કરતાં આનંદ થાય છે.
માયાબેનનો જન્મ અમદાવાદમાં થયો છે .કોલેજનો અભ્યાસ એમણે એચ.એ. કોમર્સ કોલેજમાં કરેલ છે.લગ્ન પછી તેઓ એક ગૃહિણીની ફરજો બજાવતાં બજાવતાં એમના બ્લોગ stop.co.in મારફતે એમના સાહિત્યના શોખને પોષી રહ્યાં છે . માયાબેનને શાયરીનો પણ શોખ છે .આ રહ્યો એનો એક નમુનો :
કોઈ પૂછે કેમ છો ?
કોઈ પૂછે કેમ છો ?તો મજામાં કહેવું પડે છે ,
દર્દ ને દિલ માં છુપાવી ખુશ રહેવું પડે છે ,
નયનોની ભીનાશ ને કાજળ નું કારણ માનવું પડે છે ,
છતાંય કોઈ પૂછે તો હર્ષાશ્રુ છે એમ કહેવું પડે છે .
એમના સસરાજીનું આખું નામ તો રસીકભાઈ ગોરધનદાસ રાયચુરા છે પરંતુ ભાવનગર અને આજુબાજુના ગામોમાં તેઓ રસીકબાપા રોટલાવાળા તરીકે ઓળખાય છે.એમની સેવાનો લાભ અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધારે લોકો લઈ ચુકયા છે.
મને માયાબેનનો અને એમની મારફતે એમના પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા નો પરિચય આકસ્મિક રીતે જ થયો હતો .
૭૫ વર્ષની ઉંમરે મેં વિનોદ વિહાર બ્લોગ સપ્ટેમ્બર ૨૦૧૧માં શરુ કર્યો એની એક પોસ્ટ વાંચીને માયાબેને એમના પ્રતિભાવમાં લખ્યું ;
‘નિવૃત્તિના સમય નો સદ ઉપયોગ .સુંદર કાર્ય . આપ વડીલ છો તેથી વંદન સહીત આપને શુભેચ્છાઓ પાઠવું છું .
મારા સસરા પણ આપની ઉમરના છે અને દર્દીઓ ને જમાડવાનું સેવા નું કાર્ય પોરબંદરમાં કરે છે . મને આપની પ્રવૃત્તિ ખુબ ગમી . જય શ્રી કૃષ્ણ”
મને એમના સસરા વિષે જાણવાનું કુતુહલ થતાં મેં માયાબેનને લખ્યું :
‘આપના સસરા આ ઉમરે પણ કાર્યશીલ છે અને પોરબંદરમાં દર્દીઓને જમાડવાનું પુણ્ય કામ કરી રહ્યા છે એ બદલ એમને મારા અભિનંદન અને એમની નિરામય જિંદગી માટે મારી શુભેચ્છાઓ અને જય શ્રી કૃષ્ણ એમને પહોંચાડશો.આપના સસરા વિષે વધુ જાણવાની ઈચ્છા છે.તો ફુરસદે જણાવવા વિનંતી છે.”
એના જવાબમાં માયાબેને એમના બ્લોગમાં જુન, ૧૧,૨૦૧૧ ના રોજ ફાધર્સ ડે ના નિમિતે પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા ના હેડિંગથી લેખ લખ્યો હતો એની લીંક મોકલી હતી .
ત્યારબાદ મારાથી આ વાત ભુલાઈ ગઈ હતી . તાંજેતરમાં તેઓ ફેસબુક મિત્ર બનતાં મને એમના સસરા રોટલાવાળા બાપા વાળી વાતનું સ્મરણ થતાં એમને ફરી એમના લેખની લીંક મોકલવા વિનંતી કરી .
એના જવાબમાં સપ્ટેમ્બર ૧૩, ૨૦૧૪ ના ઈ-મેલમાં માયાબેને લખ્યું ;
‘‘પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપાના લેખની લીંક મોકલી છે .અને એક દુખદ સમાચાર છે કે અમારા વહાલા બાપુજી (સસરાજી) ૧૩-૩-૨૦૧૪ માં શ્રીજી ચરણ પામ્યા છે .પણ એમણે વાવેલા સેવા ના વટવૃક્ષ ના ફળ હજુ લોકો ને મળી રહ્યા છે . વડીલ ,આપ શ્રી ને વંદન સહીત જય શ્રી કૃષ્ણ.
ફાધર્સ ડે નિમિત્તે ૧૪મી જુન ૨૦૧૧ ના રોજ એમના સસરાજી વિષે એમણે લખેલ નીચેના લેખમાં એમના બાપુજી (સસરાજી) પ્રત્યેનો આ કુટુંબ વત્સલ માયાબેનનો પ્રેમ વર્તાઈ આવે છે .
પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા ……માયા રાયચુરા
ફાધર્સ ડેના નિમિત્તે હું એક એવી વ્યક્તિ ની વાત કરું છું જે ફક્ત એમના સંતાનોના જ નહી પણ આખા પોરબંદર માં અને આજુબાજુના ગામડાઓ માં રોટલા વાળા બાપા તરીકે ઓળખાય છે
અન્નપૂર્ણા માતાજી લોકોના જઠરાગ્નિ ઠરાવતાં હોય તેવું માનવામાં આવે છે અને ભુખ્યાને અન્ન આપીને તેને સંતોષ થાય છે ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં ૮૨ વર્ષના એક વૃધ્ધ અન્નપૂર્ણાની અનોખી ભૂમિકા છેલ્લા ૨૫ વર્ષથી ભજવી રહ્યા છે.
તા.૨૫.૪.૧૯૮૭થી એમણે પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ તથા તેના સગાવ્હાલાઓને ભોજન શોધવા જવું પડે નહી તે માટે હોસ્પિટલની અંદર જ સવાર સાંજ બંને ટાઈમ ભોજન પુરું પાડવાનો મહાયજ્ઞ એમણે આરંભ્યો હતો.
માથે ટોપી , હાથ માં માળા અને સાદા વસ્ત્રો . આંખો માં જિંદગી નો અનુભવ અને ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે ૨૫ વરસ થી કાંઈ પણ બદલા ની આશા વીના રોજ સવારે વહેલા ઉઠી રસોઈ બનાવી પોરબંદર ના સરકારી દવાખાના માં દર્દી ઓ ને અને તેમની સાથે રહેતી વ્યક્તિ ને જમાડે . જરૂરિયાત વાળા ને દવા ની પણ મદદ કરે . રસીકબાપા દરરોજ સવારે સાડાત્રણ વાગ્યે ઉઠી જાય છે અને ૮૨ વર્ષની ઉંમરે પણ દોઢ કલાક ચોપાટી ઉપર મોર્નિંગવોક કરે છે. ત્યારબાદ સરકારી હોસ્પિટલની સામેના કવાર્ટરને જ નિવાસસ્થાન બનાવીને રહેતા આ સજ્જન રસોઈ બનાવવાની શરૃઆત કરી દે છે. સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ સુધી હોસ્પિટલની અંદર જ તૈયાર થયેલી રસોઈ લાવીને દર્દીઓને પોતાના હાથેથી જ જેટલી માત્રામાં ભોજન જોતું હોય તેટલી માત્રામાં આપે છે. તેમના આ યજ્ઞ માં આહુતિ આપવા અનેક કાર્યકરો પણ જોડાયા છે. જેનું કોઈ ન હોય તેવી મૃત વ્યક્તિ ના અંતિમ સંસ્કાર પણ જાતે કરે . દીલમાં દયા નો દરિયો વહે .કોઈ ના પણ માટે કાંઈ પણ મદદ કરવા હંમેશા તૈયાર .સેવાના ભેખધારી આ જીવતા બાપા ને નાના મોટા બધા જ ઓળખે .
કોઈ ની પાસે ક્યારેય ન માંગવું એ એમનો નિયમ . કોઈ પણ કપરા સંજોગોમાં એમણે સેવા છોડી નહી.ટાઢ , તાપ કે વરસાદ ની ઋતુ માં પણ ખુલ્લા પગે સેવા કરતા રહે .કંટાળો કે થાક નું નામ નહી.દવાખાનામાં લીમડા ના ઝાડ નીચે એમની બેઠક .બધા ત્યાં મળવા આવે .દરેક ની તકલીફ દુર કરે .
થોડા વરસો પહેલાં એમના જીવન સાથી શ્રીજી ચરણ પામ્યા .તેમનો પણ આ સેવા યજ્ઞ માં મોટો ફાળો હતો . એમની મા ની સેવા એમણે શ્રવણ ની જેમ કરી . એમના બા બીમાર થયાં , તેમને દવાખાનામાં દાખલ કર્યા ત્યારે બાની સેવા કરતાં કરતાં બીજા દર્દીઓ નું દુઃખ દર્દ જોયા .એમનું હ્રદય દુખી થયું અને મનમાં આ ગરીબ દુખી લોકો ની સેવા કરવાનાં મનમાં બીજ રોપાયાં . થોડા સમય પછી એમની બા ના મૃત્યું પછી સેવા ની શરૂઆત કરી .
ધીરે ધીરે સેવા રૂપી છોડ વિકાસ પામતો ગયો .ઘણી અડચણો સહેવા છતાં યે હિમ્મત થી આગળ વધ્યા . પ્રભુની પણ આ સેવા કાર્યમાં કૃપા છે . આજે એમની આયુ ૮૧ વર્ષ ની છે .હવે ઉમર ના કારણે થોડી તકલીફ પડે એ સ્વાભાવિક છે પણ હવે ગામ ના સેવાભાવી લોકો એમના કામમાં મદદ કરે છે .
પોતાનાં સંતાનો કે પરિવાર જનો ને તો સૌ કોઈ મદદ કરે પણ પારકા ને પણ પોતાનાં ગણી વ્હાલની વર્ષા કરે એવા આ સંત શ્રી રસિકભાઈ રોટલા વાળા બાપાને એમના સેવા કાર્ય માટે અમારાં કોટી કોટી વંદન.
તમને લાગશે કે હું એમને કેવી રીતે ઓળખું તો મારે એ જ કહેવાનું કે બધાના રોટલા વાળા બાપા અમારા વ્હાલા બાપુજી છે . અમને અમારા આ બાપુજી ઉપર ગર્વ છે .
ફાધર્સ ડે ના નિમિત્તે બાપુજી ને કોટી કોટી વંદન .
માતૃ દેવો ભવ . પિતૃ દેવો ભવ .
માયા સુધીર અને કાના ના જય શ્રી કૃષ્ણ.
નોંધ :-
કોઈ લોભ લાલચ કે દ્રવ્ય સહાય ની આશા થી આ પોસ્ટ મેં નથી મૂકી .કોઈ પણ જાત ની ગેર સમજ ન કરવા વિનંતી.
ફક્ત અમારા બાપુજી પ્રત્યે ના પ્રેમ અને ગૌરવે આ પોસ્ટ મુકવા વિવશ બનાવી છે અને તે જ પ્રેમ અને ગૌરવ આપ સર્વે મિત્રો ની સાથે શેર કરવા ચાહું છું.
ચાલો ,આજે ફાધર્સ ડે ના દિવસે મારું પ્રિય ગીત આપ સૌ ની સાથે શેર કરું છું .
યે તો સચ હૈ કી ભગવાન હૈ ,હૈ મગર ફિર ભી અનજાન હૈ , ધરતી પે રૂપ માબાપ કા વિધાતા કી પહેચાન હૈ .
https://www.youtube.com/watch?v=2eJvS_YPnWc
-માયા રાયચુરા
માયાબેનએ ફરી ૧૭મી ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ એક બીજી પોસ્ટમાં એમના પૂજ્ય સસરાજીની ઝુંપડામાં રહેતાં બાળકોના શિક્ષણ અંગેની એક વધુ સેવા વિષે એમના બ્લોગમાં આ પ્રમાણે લખ્યું .
રોટલાવાળા બાપા (પૂ શ્રી રસિકબાપા )
અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપા પૂ. શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે . પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં રહેતા લોકો ના બાળકો ની દશા અને એમનું જીવન જોઈ બાપા નું દિલ દ્રવી ઉઠયું .કોઈ ને ના સુઝ્યું એવું કામ એમણે અંતકરણ ની પ્રેરણા થી શરુ કર્યું .
આ ગરીબ બાળકો ને અક્ષર જ્ઞાન આપવા માટે તેમણે કમર કસી અને અથાગ પ્રયત્નો બાદ શાળા શરુ કરી. આજે તેમાં સો બાળકો શિક્ષણ મેળવે છે .તેમને યુનીફોર્મ , પુસ્તકો ,દફતર જેવી જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે . સેવા ભાવી લોકો નો સાથ સહકાર પણ મળતો રહે છે .સવારે દૂધ અને પોષ્ટિક નાસ્તો પણ આપવા માં આવે છે અને બપોરે જમવા ની પણ સગવડ બાળકો માટે કરેલ છે . થોડા સમય માં તો આ બાળકો ના વાણી વર્તન અને દશા બધુ જ બદલાઈ ગયું છે .મેં મારી નજરે એની પ્રતીતિ કરેલ છે .
નીચે તસ્વીરમાં બાપુજીની સાથે શાળા ના બાળકો નો ફોટો છે . કિલ્લોલ કરતા બાળકોને જોઈને અને કવિતાઓ બોલતાં આ નાનાં ભૂલકાઓ વહાલાં લાગે એવાં છે .
એમના માતા પિતા હવે નિશ્ચિંત મનથી કામ પર જાય છે ,મન માં એક સંતોષ લઇ ને કે હવે અમારા બાળકો રસ્તે રખડશે નહી અને ભણી ગણી એ એમનું જીવન સુંદર બનાવશે .
બાપુજી ને એમના આ સત્કાર્ય માટે અમારાં વારંવાર વંદન.બાપુજી ના પગલે ચાલવાની ઈચ્છા ધરાવતી એમની પુત્ર વધુ અને દીકરા ને પ્રભુ શક્તિ આપે એવા આશીર્વાદ બાપુજી પાસે ઇચ્છતી એમની દીકરી જેવી પુત્ર વધુ માયા ના જય શ્રી કૃષ્ણ .
એક બીજી પોસ્ટમાં એમણે લખ્યું :
૩-૫-૨૦૧૩ ના મારા દીકરા ના લગ્ન હતા .પણ એ પહેલાં ના બે દિવસ એટલેકે તા ૧-૫-૨૦૧૩ ના રોજ મારા સસરાજી નો જન્મ દિવસ હતો .અમે ખુબ ખુશી થી એમનો ૮૩ મો જન્મ દિવસ મનાવ્યો .તેઓ શ્રી પોરબંદર માં ભૂખ્યા જનો ના જઠરાગ્ની ઠારવા ની સેવા આનંદ થી નિસ્વાર્થ ભાવે કરે છે અને તેજ કારણે ૨૭ વરસ થી પોરબંદર ની બહાર ગયા નથી .પણ પૌત્ર ના લગ્ન પ્રસંગે જરૂર આવશે એમ વચન આપેલું જે એમણે નિભાવ્યું .
-માયા રાયચુરા
=============
ઉપર શરૂઆતમાં માયાબેને જણાવ્યું છે એમ એમના વહાલા બાપુજી (સસરાજી) પ્રેરણામૂર્તિ રોટલાવાળા બાપા તારીખ ૧૩-૩-૨૦૧૪ ના રોજ પોરબંદરમાં ૨૭ વર્ષ સુધી મુક રીતે સેવા બજાવી ૮૫ વર્ષની ઉંમરે શ્રીજી ચરણ પામ્યા છે . પરંતું એમણે વાવેલા સેવા ના વટવૃક્ષ ના ફળ હજુ લોકો ને મળી રહ્યાં છે અને મળતાં જ રહેશે .
આજે ઘણે સ્થળે રોટલાવાળા બાપા જેવા માણસાઈના દીવાઓ પ્રસિદ્ધિની કશી જ પરવા કર્યા વિના એમની સેવાની જ્યોતને જલતી રાખી પ્રકાશ ફેલાવી રહ્યા છે જેની કોઈને જાણ પણ હોતી નથી .આવી પ્રેરણામૂતિઓના સેવા કાર્યને બિરદાવવાની એક ફરજ બની રહે છે .
એક સંત જેવું જીવન જીવી ગયેલ પોરબંદરના રોટલાવાળા રસિક બાપા ને
વંદન સાથે હાર્દિક શ્રધાંજલિ .
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ