ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
( 754 ) શ્રી પી.કે.દાવડાજીના અવલોકન /અનુભવની કથા …….
P.K.DAVDA
કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘશ્યું.
અખાના છપ્પાની એક પંક્તિ છે, “કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘશ્યું.” ઘણીવાર સાહિત્યમાં લખનારા અને વાંચનારાની સમજમાં બહુ ફરક હોય છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેલી વાતોનું અર્થઘટન બાબાઓ, બાપુઓ અને બાપજીઓ પોત પોતાની સમજ પ્રમાણે કરતા હોય છે.
એક સાદો દાખલો લઈયે. બાળક કાનો ગોપિયોની મટકીઓને કાંકરી મારી ફોડી નાખતો. હવે એની એક સાદી સમજુતી એ હોય કે મનુષ્ય દેહ ધારણ કરીએ આવ્યા હોવાથી વિષ્ણુને મનુષ્યની જેમ વર્તવું જરૂરી હતું, એટલે સામાન્ય બાળકની જેમ અટકચાળું કરી, એ ગોપિયોની મટકી ફોડી નાખતો. એક વિદ્વાને કહ્યું છે કે કાનો બધી ગોપીઓની મટકી નહોતો ફોડતો, માત્ર જે ગોપીયો ગોકુલના દુધ, દહીં, માખણ વેંચવા મથુરાના માર્ગે જતી તેની જ મટકી ફોડતો. કાનો માનતો કે ગોકુલના દુધ, દહીં, માખણ પર ગોકુલના બાળકોનો હક્ક છે. મને વળી એક તુક્કો સુજ્યો કે ગોકુલનો ગરીબ એક કુંભાર પ્રભુભકત હતો, કાનો જો માટલી ફોડે તો કુંભારનું ગુજરાન ચાલે, એટલે મેં મારી એક કવિતામાં લખ્યું,
“ગરીબ ગામનો કુંભાર, એના છોરાં હતાં ચાર,
કાનો એક મટકી ફોડે, કુંભાર ચાર પૈસા જોડે,
તારી લીલા આ અજાણી, ભક્ત દાવડાએ જાણી.”
મને એકવાર જાણીતા બ્લોગર કેપ્ટન નરેન્દ્ર ફણસેએ કહ્યું હતું કે મોટાભાગના લખનારા, વાંચનારાઓને પોતાના માનસિક સ્તરના હોવાનું માનીને લખતા હોય છે. આધુનિક સાહિત્યમાં એમની વાતના અનેક પુરાવા મળી આવે છે, પણ આપણું આઝાદી પહેલાનું સાહિત્ય, અને તેમાંપણ કવિતાઓ બહુ સરળ ભાષામાં લખાયલી છે, જેથી બધા વાંચનારાની સમજ એક સરખી જ હોય છે.
આજથી આ આખું અઠવાડીયું રોજ એક સરળ શબ્દોવાળી કવિતા મોકલીશ. મને ખાત્રી છે કે તમને ગમશે.
વાંઢાની પત્નીઝંખના
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;
જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ.
મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;
હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત.
અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;
પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી.
ઢેઢ ચમાર ગમાર ઘણા, પણ પરણેલા ઘરબારી;
એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી.
રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;
મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું.
મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;
દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું.
વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;
અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે?
ચૌટેથી ચિતમાં હરખાતો, ચાલ્યો ચાલ્યો આવે;
બાળક કાલું કાલું બોલી, બાપા કહિ બોલાવે.
પુત્ર પુત્રીને પરણાવે, વ્રત ઉદ્યાપન વેળા;
હોમ કરે જોડે બેસીને, ભાળે જન થઈ ભેળા.
અરે એવા પુરુષોએ મોટાં, પુણ્ય કર્યા હશે કેવા;
મેં શાં મોટાં પાપ કર્યા હશે, મળ્યા નહી સુખ એવાં?
મૂરખ જેવાનાં મંદિરમાં, નિરખી બે બે નારી;
અરે વિધાત્રી અભાગણી, આતે શી બુધ્ધિ તારી?
અહો મિત્ર મારા સંકટની, શી કહું વાતો ઝાઝી;
વિશ્વ વિષે પુરુષોના વૈભવ, દેખી મરૂ છું દાઝી.
– દલપતરામ
‘પોત પોતાની સમજ પ્રમાણે કરતા હોય છે.’
દલપતરામ વિષે પણ ઘણી ગેરસમજુતી થતી
ખાસ કરીને જ્યારે તેમણે લખ્યુ કે
દેખ બીચારી બકરીનો પણ કોઇ ન જાતા ઝાલે કાન ! અને એમને દેશદ્રોહી બ્રીટીશરાજનો ચમચો માનતા અને નર્મદને પરમદેશ ભક્ત…સમય જતા બન્નેના માથા પર સફેદ ધજા ફરકી ત્યારે બન્ને ભેટ્યા આનદ અશ્રુઓ સાથે
અમે પણ ભણતા ત્યારે માનતા કે
ડાહ્યો ડાહ્યા લાલનો ડાહ્યો દલપતરામ
નફ્ફટ પાક્યો નાનકો બોળ્યું બાપનું નામ…એ પણ ગેરસમજ હતી
અરે ! ઉમાશંકરજી,સુંદરમ,સ્નેહરશ્મી જેવાને એકબીજાના વખાણ ને વાડકીવ્યવહાર ગણતા પણ સમજાતા પ્રતિક્રમણ…
તમારા લખાણ વિષે પણ ગેરસમજુતી થાય તો સમજાવશો
હાં વાંઢાનીની વાત અવાંઢા શું સમજે ?☺
LikeLike
કહું એક વાત વાંઢાજી સાચી
લગ્ન એતો ભાઈ લક્કડ લાડું
જોતરશે એ ઘાણીએ રાતદિન
બળદ બની તું હાંકશે આ ગાડું
હોય જો હાથમાં પૈસા…
ગર્લ ફ્રેન્ડ રાખવા પધાર તું અમેરિકા
થઈ ખાખી બંગાળી રટજે વાંઢા લીલા
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
Pingback: ( 758 ) કહ્યું કશું ને સમજ્યા કશું ……શ્રી પી.કે.દાવડાની સંગ્રહિત કવિતા પ્રસાદી | વિનોદ વિહાર