વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(334 )માણસની સૌથી કીમતી મૂડી – તેનું શરીર ……. (કેલિડોસ્કોપ) – મોહમ્મદ માંકડ

Body of man

માણસનું શરીર એક અસામાન્ય યંત્ર છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ ટોચના ડોક્ટરો કહે છે કે, શરીર વિશેનું એમનું જ્ઞાન ઘણું ઓછું છે. હજી ઘણું જાણવાનું, શીખવાનું બાકી છે

માણસ સમજે કે ન સમજે એનું શરીર એની સાચી મૂડી અને આ દુનિયાની સૌથી કીમતી વસ્તુ છે. માણસનો દેહ ઢળી પડે એટલે સંસાર સાથેનો એનો તંતુ તૂટી પડે છે અને સંસાર સાથેની બધી જ વસ્તુઓનો એના માટે અંત આવી જાય છે. વ્યક્તિ ગમે તેટલી મહાન કે મોટી હોય, કાંતિભાઈ, મોહનભાઈ, રહીમભાઈ, અબ્દુલભાઈ, કાનજીભાઈ, શાંતાબહેન કે શારદાબહેનનો અંત આવી જાય છે. આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી જ છે જ્યાં સુધી એનો દેહ છે એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાના દેહને જાળવવો, પોતાના શરીરને સ્વસ્થ રાખવું એ એની પહેલી જરૂરિયાત છે.

અને, સામાન્ય માણસ માટે તો સુખ માણવા માટેનું સાધન પણ એનું શરીર જ છે. અસામાન્ય વ્યક્તિ કેટલાક માનસિક વ્યાપારો દ્વારા સુખનો અનુભવ કરી શકે છે, છતાં અસ્વસ્થ શરીર કોઈ પણ વ્યક્તિના સુખમાં બાધારૂપ બની શકે છે.

જે રીતે સુખ મેળવવા માટે સ્વસ્થ શરીર જરૂરી છે એ જ રીતે ધર્મસાધના માટે પણ સ્વસ્થ શરીર જરૂરી છે. ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ ।’ સુખી થવા ઇચ્છતી દરેક વ્યક્તિએ શરીરને સ્વસ્થ રાખવું એ એનું પ્રથમ કર્તવ્ય છે. માલિક પોતાના વફાદાર નોકરને સાચવે એ રીતે માણસે પોતાના શરીરને સાચવવું જોઇએ.

માણસ શરીર નામના પોતાના યંત્રને તંદુરસ્ત રાખીને જ પોતાની જિંદગી માણી શકે છે અને પોતાના જીવનપ્રવાસને લંબાવી શકે છે.

પરંતુ, આધુનિક માનવી જીવનની સામાન્ય જરૂરિયાત મેળવવા માટે જે દોડ શરૂ કરે છે એ દોડ વધુ ને વધુ મેળવવાની લાલસામાં ક્યારે પલટાઈ જાય છે એની એને પોતાને પણ ખબર જ નથી પડતી અને જ્યારે ખબર પડે છે ત્યારે તો એ પોતાની સૌથી મોંઘી વસ્તુ પોતાનું સ્વાસ્થ્ય ગુમાવી બેઠો હોય છે.

હવે, માણસના શરીર વિષે થોડો વિચાર કરીએ.

માણસનું શરીર એક અસામાન્ય યંત્ર છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ ટોચના ડોક્ટરો કહે છે કે, શરીર વિષેનું એમનું જ્ઞાન ઘણું ઓછું છે. હજી ઘણું જાણવાનું, શીખવાનું બાકી છે.

શરીર એક એવું યંત્ર છે કે એની કેટલીક ક્રિયાઓ આપમેળે થયા જ કરે છે. હૃદય ધબક્યા કરે છે, ખોરાકનું પાચન થયા જ કરે છે, જરૂર પ્રમાણે શરીરની અગત્યની ગ્રંથિઓમાંથી રસો ઝરવા માંડે છે. કિડની, લિવર, ફેફસાં, આંતરડાં, લોહીની નસો કામ કર્યા જ કરે છે.

આ ઉપરાંત શરીર પોતે જ શરીરમાં ઊભી થયેલી કેટલીક ખરાબીને સુધારી શકે છે. રોગનો પ્રતિકાર કરી શકે છે. જાતે જ નીરોગી બની શકે છે.

અહીં આપણે એક ખાસ નોંધ લેવી જોઇએ કે શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતા પાછળ એનું મન બહુ મોટો ભાગ ભજવે છે. મનની સ્વસ્થતા વિના શરીર સ્વસ્થ, તંદુરસ્ત રહી શકતું નથી, પરંતુ મન અને શરીરના સંબંધ વિષે લાંબું લખવાનું અહીં હું ટાળું છું.

સ્વચ્છ હવા અને પાણી ઉપરાંત પૌષ્ટિક ખોરાક શરીર માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે. ખોરાકથી જ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ આવે છે અને શરીર તંદુરસ્ત બને છે. અસ્વચ્છ પાણી પીનારા અને અપૂરતો ખોરાક લેનારાઓ શરીરે કૃશ અને નબળા રહે છે. બીમારીઓ વારંવાર મહેમાનગતિ માણવા માટે એમના શરીરની મુલાકાતો લેતી રહે છે. એ જ રીતે બેઠાડુ જીવન જીવનારાઓ વધુ પડતા સ્થૂળ થઈ જાય છે.

અમેરિકા અને બીજા વિકસિત દેશોમાં લોકોને શુદ્ધ ખોરાક કે પાણીની કોઈ કમી નથી, પરંતુ ત્યાં લોકોને દૂબળાપણું નહીં, જાડાપણું સતાવે છે.

અગાઉના વખતમાં ચાલવું, દોડવું, શ્રમ કરવો એ એક રોજિંદી, સામાન્ય બાબત હતી. માણસ શરીર પાસેથી એટલું બધું કામ લેતો હતો કે એ વખતે એને કોઈ ખાસ પ્રકારની કસરત કરવાની જરૂર નહોતી. આજની બેઠાડુ અનિયમિત, કૃત્રિમ જિંદગી માટે ચોક્કસ પ્રકારની કસરત ખૂબ જરૂરી બની ગઈ છે. શરીરના દરેક અંગને કસરત મળી રહે એ માટે યોગનાં આસનો કરવાં જોઈએ. ખાસ કસરતો કરવા માટે નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટની મદદ પણ લઈ શકાય. અનુભવી અને નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટની મદદથી અનેક દર્દીઓનાં લકવાગ્રસ્ત અંગો ફરીથી ચેતનવંતાં બન્યાં હોવાના દાખલાઓ આજે બને છે. મોટરકારમાં પડી રહેલી બેટરીને જે રીતે રિચાર્જ કરીને ફરીથી કામ કરતી કરી શકાય છે એ જ રીતે શરીરનાં અંગોને યોગ્ય કસરતથી ફરી કામ કરતાં કરી શકાય છે.

શ્રમ એ શરીરની સૌ પ્રથમ જરૂરિયાત છે. કોઈ પણ ક્રિયા શ્રમ વિના શરૂ થઈ શકતી નથી. શરીરને ટકાવી રાખતી હવા શરીરને ત્યારે જ મળે છે જ્યારે ફેફસાં બરાબર કામ કરતાં હોય. જો ફેફસાં બરાબર કામ ન કરે તો શરીર નિશ્ચેતન થઈ જાય, આમ શ્રમ એ પાયાની જરૂરિયાત છે.

આમ છતાં, એક વાત એ યાદ રાખવા જેવી છે કે કોઈ વ્યક્તિનું શરીર સંપૂર્ણ ‘નીરોગી’ હોઈ શકતું નથી. માછલી જેમ પાણીમાં જીવે છે, એમ માણસ એના ઉપર સતત હુમલો કરનાર જંતુઓ, વિષાણુઓ, ઝેરી પદાર્થો વચ્ચે જ જીવે છે. એનાં ખોરાક-પાણી સાથે, હવા સાથે લાખો કરોડો નહીં પણ અબજો જંતુઓ અને ઝેરી પદાર્થો એના શરીરમાં દાખલ થઈ જાય છે. ‘નીરોગી’ શરીરનો અર્થ આપણા માટે રોગને કારણે સાવ અટકી ન પડે એવું શરીર એટલો જ થાય છે. જે શરીર જરૂરી કામ આપી શકે, શક્ય એટલા પ્રમાણમાં સફળ જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે, એ શરીર આપણા માટે ‘નીરોગી’ ગણાય.

શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે સારાં હવા-પાણી-ખોરાક અને શ્રમ જેટલી જ જરૂરી વસ્તુ ઊંઘ છે. ઊંઘ શરીરમાં ડેમેજ કંટ્રોલનું કામ કરે છે. શરીરમાં જ્યાં બગાડો થયો હોય ત્યાં ઊંઘથી રીપેરિંગ થઈ જાય છે એટલે જ જ્યારે રોગની કોઈ દવાઓ નહોતી કે આજે પણ જે રોગની દવા નથી, ઇલાજ નથી એવા રોગમાં ડોક્ટર આરામ કરવાનું કહે છે.

માણસને જ્યાં સુધી એનું શરીર બગડતું નથી ત્યાં સુધી એની ખરી કિંમત સમજાતી નથી. બોલવામાં તો આપણે બોલીએ જ છીએ કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ પરંતુ જાતની નરવાઈ માટે આપણે કેટલા સભાન હોઈએ છીએ? આપણે તો માની લીધેલ સુખદાયક વસ્તુ મેળવવા દોડયા જ કરીએ છીએ. ઝડપથી અને ઘણું બધું મેળવી લેવાની દોડમાં આપણાં આરોગ્યની ખેવના આપણને રહેતી નથી.

તંદુરસ્તી જીવનની પહેલી જરૂરિયાત હોવા છતાં અહીં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, આખો દિવસ તંદુરસ્તીની જ ચિંતા કર્યા કરવી અને જીવનનો બધો સમય એની પાછળ જ ખર્ચી નાખવો અને બીજું કશું જ કરવું નહીં એ પણ નિરર્થક છે.

જેમ જિંદગીનો બધો જ સમય પૈસા કમાવામાં, કીર્તિ મેળવવામાં, વેપાર-ધંધો કરવામાં કે રાંધી-ખાવામાં ખર્ચી ન શકાય, એ જ રીતે માત્ર આરોગ્યની ચિંતામાં પણ ન ખર્ચી શકાય. માણસનું ડહાપણ એમાં છે કે, દરેક બાબતમાં અતિરેકથી બચે અને પ્રમાણભાન જાળવે. સમતોલ અને સુખી જિંદગી જીવવા માટે એ ખૂબ જ આવશ્યક છે. નહીં તો બીજા કોઈ કામ માટે કે જિંદગી માણવા માટે સમય રહેશે જ નહીં.

 

_______________________________________
સૌજન્ય- સંદેશ .કોમ

3 responses to “(334 )માણસની સૌથી કીમતી મૂડી – તેનું શરીર ……. (કેલિડોસ્કોપ) – મોહમ્મદ માંકડ

  1. nabhakashdeep ઓક્ટોબર 20, 2013 પર 5:56 પી એમ(PM)

    શ્રમ એ શરીરની સૌ પ્રથમ જરૂરિયાત છે. કોઈ પણ ક્રિયા શ્રમ વિના શરૂ થઈ શકતી નથી. શરીરને ટકાવી રાખતી હવા શરીરને ત્યારે જ મળે છે જ્યારે ફેફસાં બરાબર કામ કરતાં હોય. જો ફેફસાં બરાબર કામ ન કરે તો શરીર નિશ્ચેતન થઈ જાય, આમ શ્રમ એ પાયાની જરૂરિયાત છે.
    શરીરને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે સારાં હવા-પાણી-ખોરાક અને શ્રમ જેટલી જ જરૂરી વસ્તુ ઊંઘ છે. ઊંઘ શરીરમાં ડેમેજ કંટ્રોલનું કામ કરે છે. શરીરમાં જ્યાં બગાડો થયો હોય ત્યાં ઊંઘથી રીપેરિંગ થઈ જાય છે એટલે જ જ્યારે રોગની કોઈ દવાઓ નહોતી કે આજે પણ જે રોગની દવા નથી, ઇલાજ નથી એવા રોગમાં ડોક્ટર આરામ કરવાનું કહે છે.

    Thanks for sharing a nice writeup.

    Ramesh Patel(Aakashdeep)

    Like

  2. pragnaju ઓક્ટોબર 21, 2013 પર 12:57 એ એમ (AM)

    शरीरमाद्यं खलु धर्मसाधनम
    જે રીતે સુખ મેળવવા માટે સ્વસ્થ શરીર જરૂરી છે એ જ રીતે ધર્મસાધના માટે પણ સ્વસ્થ શરીર જરૂરી છે. ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ ।’ સુખી થવા ઇચ્છતી દરેક વ્યક્તિએ શરીરને સ્વસ્થ રાખવું
    આને માટે ઘણા સૂચનો થયા
    અમને આ વિચાર અનુભૂત લાગ્યો છે

    ૧ ઓક્સીજન માટે પ્રાણાયામ કરવા.
    ૨ શરીરની શક્તી પ્રમાણે વ્યાયામ કરવો
    ૩ ખોરાક-પાણીની કાળજી કરવી
    સામાન્યતયા આ વાત સહજ સમજાય તેવી છે પણ શરીર નબળું હોય,વ્યાધીગ્રસ્ત હોય તો જાણકારની દોરવણી લેવી
    સાથે મન સ્થિર,શુધ્ધ રાખવાની સાધના થાય તે વધુ સારા પરીણામ આપે

    Like

  3. Hemant ઓક્ટોબર 21, 2013 પર 1:42 એ એમ (AM)

    Balance the life , as per my experience : Morning Meditation , Pranyaam or exercise , eight hours devote to work or business , evening praying ( adjust as per north america life style ) , before sleep thank god for the wonderful day. The most important thing is eating habits , specially we Gujarati adopted very unhealthy life style , most our eatables contain fat , oil , and very little intact of vegetables , fruits and milk , though we identify ourselves as vegetarian but in reality we ate mostly of three dangerous white which is flower ( Lot ), Sugar and Salt . to remain healthy everyone must have to eat vegetables , drink milk , almond and nuts , accept more natural remedies to cure any diseases instead of pills . Control the stress level is also key source to remain healthy and happiness . worry and jealously harm the healthy body cells . try to keep the habit of sweating which release toxic chemical inside the body and feel freshness ……..remember health is wealth .

    Thank you ,

    Hemant Bhavsar

    ( Winnipeg )

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.