વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 363 ) જગતને બદલવા માગો છો ?.. શરૂઆત તમારાથી કરો…(મારી નોંધપોથીમાથી- ભાગ-3 )

અમેરિકાના ૧૬મા પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટનાં પત્ની એલેનોર રુઝવેલ્ટનું એક સુંદર અંગ્રેજી અવતરણ હમણાં વાંચવામાં આવ્યું –

” IT IS NOT FAIR TO ASK OF OTHERS WHAT YOU ARE UNWILLING TO DO YOUR SELF ” – Eleanor Roosevelt .

આ વિચાર પ્રેરક અવતરણ વાંચીને મારા મનમાં જાગેલા વિચાર મંથનો આ પ્રમાણે છે .

આ અંગ્રેજી વાક્યનો ગુજરાતીમાં અર્થ એ છે કે તમે પોતે જે કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા નથી એ કરવા માટે બીજાને કહેવું કે સલાહ આપવી એ અયોગ્ય છે .

આ એક વાક્યમાં મનુષ્યની એક મૂળભૂત આંતરિક નબળાઈની રજૂઆત કરવામાં આવી છે .

ઘણી વખત આપણે જે કામ કરવા માગતા ન હોઈએ એ કામ કરવા માટે બીજાને ખુબ જ સરળતાથી સલાહ આપી દઈએ છીએ પણ આવી બોદી સલાહની બહું અસર પડતી નથી .

કોઈ રાજકીય નેતા સિગારેટનો દમ લેતાં લેતાં બધાને સલાહ આપે કે સિગારેટ પીવી એ સ્વાસ્થ્યને હાનીકારક છે તો એ સલાહની  બીજાઓ ઉપર કેવી અને કેટલી અસર પડે !

એક મહાત્માને એના શિષ્યે એના કોઈ દર્દ માટે એમની સલાહ માગી , મહાત્માએ શિષ્યને કહ્યું કે એક અઠવાડિયા પછી તું મને મળજે હું તને સલાહ આપીશ . એક અઠવાડિયા પછી મહાત્માએ એને કહ્યું કે તું આજથી ગોળ ખાવાનું બંધ કર. ” શિષ્યે નવાઈથી ગુરુજીને કહ્યું ” ગુરુજી આ તો તમે અઠવાડિયા પહેલાં પણ કહી શક્યા હોત “

મહાત્માએ કહ્યું :” તને ગોળ ખાવાનું બંધ કરવાનું કહું એ પહેલાં હું ગોળ ખાવાનું બંધ કરીને જાતે અનુભવ લેવા માગતો હતો . હું ગોળ ખાઉં અને તને ન ખાવાની શિખામણ આપું એની કેટલી અસર પડે !”   

ઉપરના અંગ્રેજી અવતરણને બરાબર લાગુ થાય એવો એક વૃદ્ધના જીવનનો અનુભવ વાંચેલો એ યાદ આવે છે .

એક વૃદ્ધ એની કેફિયત કહેતાં કહે છે કે હું જ્યારે નવ જુવાન હતો ત્યારે મારી કલ્પના શક્તિને કોઈ હદ ન હતી . હું દુનિયાને બદલી નાખવાનાં સ્વપ્નાંઓ જોતો હતો .

પરંતુ જેમ જેમ હું ઉંમરમાં મોટો થતો ગયો એમ  મને  અનુભવથી વધુ ડહાપણ આવતું ગયું અને મને પ્રતીતિ થઇ કે હું ધારું છું એમ દુનિયાને બદલી શકાતી નથી .

હવે હું બિલકુલ વૃદ્ધ થઇ ગયો છું અને મૃત્યુંની નજીક આવી ગયો છું ત્યારે મને અનુભવથી જ્ઞાન લાધ્યું છે કે જો મેં સૌથી પ્રથમ મારી જાતને બદલવાનો પ્રયત્ન કર્યો હોત તો મારી અસરથી મારા કુટુંબીજનોમાં બદલાવ લાવી શક્યો હોત,  એમની પ્રેરણાથી મારા ગામ ,મારા સમાજ અને છેવટે દેશને બદલવા માટે જોઈતી અસર ઉભી કરી શક્યો હોત . આ પ્રમાણે યુવાનીમાં જે મારી મૂળ કલ્પના હતી એમ દેશ અને દુનિયામાં બદલાવ લાવવામાં કદાચ સફળ પણ થયો હોત !

Be the chang -Gandhiઆપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પણ એક જાણીતું અવતરણ છે કે –

” BE THE CHANGE , YOU WANT TO SEE IN THE WORLD “

એટલે કે તમે જગતમાં જે  બદલાવ લાવવા ઈચ્છો છો એની શરૂઆત તમારાથી કરો . ગુજરાતીમાં પણ એક કહેવત છે ” આપ મુવા વિના સ્વર્ગે ન જવાય !” 

આ દુનિયા એ એક વિશાળ અરીસો છે .આ અરીસામાં તમે જેવા છો એવું પ્રતિબિંબ દેખાય છે .જો તમે પ્રેમાળ છો, બીજાને મદદ કરવાની ભાવના ધરાવો છો ,મૈત્રીની ભાવના વાળા છો તો  અરીસામાં તમારું એવું જ પ્રતિબિંબ પડશે . તમે જે અને જેવા છો એ જ આ દુનિયા છે .

 

6 responses to “( 363 ) જગતને બદલવા માગો છો ?.. શરૂઆત તમારાથી કરો…(મારી નોંધપોથીમાથી- ભાગ-3 )

  1. pravinshastri ડિસેમ્બર 20, 2013 પર 7:37 એ એમ (AM)

    જો શાંતીથી જીવવું હોય તો વગર માંગ્યે કોઈને સલાહ આપવી નહીં. ખંજવાળ આવતી હોય અને ન ખંજવાળીએ તો કેવા રધવાયા થઈ જઈએ? માનવ સ્વભાવમાં આવી જ એક “ઈચ” છે. પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરી માંગ્યા વગરની સલાહ આપવાની કુટેવ ઘણાંમાં હોય છે. મારામાં પણ કેટલેક છે જ. આપણે સાંપ્રત સમયમાં બ્લોગગુરુ કે ફેસબુક ગુરુ બની જઈને “ઈચ”ને સંતોષીએ છીએ. આપણે આખી દુનિયાને આપણાં ગમા-અણગમા પ્રમાણે બદલવા માંગીયે છીએ. શા માટે એવા હટાગ્રહી ગુરુ થવું જોઈએ?
    (અરે! મુર્ખમાનવ શાસ્ત્રી અત્યારે તું કોને સલાહ આપે છે?)
    I am sorry.)

    Like

  2. Vinod R. Patel ડિસેમ્બર 20, 2013 પર 7:51 એ એમ (AM)

    ઓ મારા ગુરુ શાસ્ત્રીજી ,
    તમારા નામ પ્રમાણે તમે ખરેખર પ્રવીણ છો . હસતા હસતા ઘણી વાત કહી દેવાની તમારી પ્રવીણતા તમારા
    બ્લોગની વાર્તાઓમાં પણ દેખાય છે .એક સલાહ આપું .. . તમારો જે રમુજી સ્વભાવ છે
    એને એવો ને એવો ટકાવી રાખજો . હાસ્ય એ ચેપી છે . જુઓ મને પણ તમારો ચેપ લાગી ગયો !

    Like

  3. સુરેશ જાની ડિસેમ્બર 21, 2013 પર 3:44 એ એમ (AM)

    લેખથી પણ ચઢિયાતી કોમેન્ટો લાગી !!

    Like

  4. pravina Avinash ડિસેમ્બર 22, 2013 પર 11:57 પી એમ(PM)

    સલાહ તો બાજુ એ રહી જરૂર ન હોય ત્યાં શબ્દો પણ બોલવા નહી!. જગતને ખુલ્લી આંખે જોઈશું તો, જે જોવું છે તેનું સ્વમાં આરોપણ એ સરળ રસ્તો છે. ‘;સ્વને તો બદલી શક્તા નથી પરની ક્યાં વાત કરવી?’
    ખૂબ મોડું થાય તે પહેલાં શરૂઆત કરવામાં માલ છે.

    Like

  5. nabhakashdeep ડિસેમ્બર 25, 2013 પર 6:18 પી એમ(PM)

    સુધારનારા બીચારા થાકી ગયા. ઘણા ખત્તા ખાઈ સુધરી ગયા. પણ વિચારકો જો ધંધો છોડી દે..એ કેમ બને શ્રી પ્રવિણભાઈ? ..સરસ લેખ ને સાચી વાતો આપ સૌની. જ્ઞાનીસે જ્ઞાની મીલે ..કરે જ્ઞાનકી બાત. ગધાસે ગધામીલે કરે લાતમ લાત…કોઈએ આવી વાત અમને કહેલી એ યાદ આવી ગઈ. સૌની ક્ષમા સાથે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. pushpa1959 ફેબ્રુવારી 16, 2014 પર 6:29 પી એમ(PM)

    Aaje mane aanad thay che ke salah deva karta levi mushkel che pan bharat deshma jo koi samje ,der hai lekin andher nhi to deshni pragti ane safalata dur nthi, aa kam mujthi sharu thay ema koi shanka hoy j nhi

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.