આજે ૨૩ મી એપ્રિલ ,૨૦૧૪ વિશ્વભરમાં ૧૦૦ કરતાં ય વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિન –
World Book Day તરીકે ઉજવાઈ રહ્યો છે .
મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયરનો જન્મ ૨૩ મી એપ્રિલે થયો હતો અને
એ જ દિવસે તેઓ અવસાન પામ્યા હતા .
આથી યુનેસ્કો દ્વારા ૧૯૨૫ થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે .
આજના દિવસને સાથો સાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઉજવાય છે .
માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,
અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.
સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે, અને લેખકો
પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે.
ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.
આજે ટી.વી. , કોપ્યુટર , ડીવીડી તેમ જ ઇન્ટર જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને
વાંચવાની વૃતિ જો કે ઘટી હોય એમ જણાય છે . એમ છતાં પુસ્તકોની અગત્યતા તો સદા રહેવાની જ છે .
આજે પુસ્તકોનાં મોટા પ્રમાણમાં પ્રકાશનો થતાં રહે છે અને આજે પણ ઘણા પુસ્તક લેખકોનાં પુસ્તકો બેસ્ટ
સેલર તરીકે પોંખાય છે , નોબેલ તેમ જ પુલિત્ઝર જેવાં વિશ્વ માન્ય પુરસ્કારોથી
લેખકોનું સન્માન કરવામાં આવે છે .
જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે પણ આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્ર પત્રોમાં સચવાયો છે .
ગુજરાતમાં ગુજરાતી ભાષાના લેખકોની આગેવાની નીચે ” વાંચે ગુજરાત ” નામે પુસ્તકોના પ્રચાર
માટેની ઝુંબેશ ચલાવવામાં આવી હતી એનું સ્મરણ થાય છે .
એ વખતે ડૉ . ગુણવંત શાહે એક સુંદર સુચન કર્યું હતું કે કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી જેવા પ્રત્યેક
નાના-મોટા પ્રસંગે આપને જે ભેટસોગાદ આપીએ છીએ એને બદલે કોઈ સારું મનગમતું પુસ્તક ભેટમાં
આપવાની પ્રથા ચાલુ થાય એ ખુબ જરૂરી છે .
આજના પુસ્તક દિને પુસ્તકોનો મહિમા રજુ કરતી મારી આ રચના પ્રસ્તુત છે .
પુસ્તક મહિમા
પુસ્તક સાહિત્યનો પ્રાણ છે , એનાથી અંતરનો વિકાસ છે
જ્ઞાન પીપાષુઓ માટે પુસ્તકો અખૂટ ને અમુલ્ય ભંડાર છે
પુસ્તકો આપણી એક ધાર્મિક વિરાસત છે,જ્ઞાન ભંડાર છે
પુસ્તક એક પ્રેરણા છે, વિચારોના વહન માટેનું સાધન છે
ગાગરમાં સાગર સમાવતો એક પ્રેરક ને સાચો મિત્ર છે
જીવન જીવવા માટેની સારું પુસ્તક અમોલ જડીબુટ્ટી છે
શરીર માટે જેમ ખોરાક એમ મનનો ખોરાક પુસ્તક છે
પાર વગરનો જ્ઞાન ભંડાર ગ્રંથાલયોમાં સચવાયો છે
ચાલો, વિશ્વ પુસ્તક દિને પુસ્તકોનો મહિમા સૌ ગાઈએ
પુસ્તકોનો પ્રચાર પ્રસાર કરીને, જ્ઞાન ગંગા વહાવીએ.
વિનોદ પટેલ
——————————————-
શેક્સપિયરનું વિશ્વનું સૌથી નાનું પુસ્તક અમદાવાદના એક શિક્ષક પાસે
પુસ્તક પ્રેમીઓ માટે કોઇ સારું પુસ્તક ખજાનાથી કમ નથી હોતું .
જગવિખ્યાત વિલિયમ્સ સેક્સપિયરની કે જેની આજે ૨૩ મી એપ્રિલે જન્મ તથા મૃત્ય તિથી છે એમના
જગપ્રસિધ્ધ નાટક મેકબેથ ના પુસ્તકની 388 વર્ષ જૂની પ્રત અમદાવાદના ઓઢવ
વિસ્તારમાં રહેતા નિવૃત શિક્ષક રતિલાલ પાસે છે .
વિશ્વનું આ સૌથી નાનું 315 પાનાનું પુસ્તક 1975માં રતિલાલે ગુર્જરી બજારમાંથી ફક્ત
50 રુપિયામાં પુસ્તક ખરીદ્યુ હતું .આજે તેની અલભ્ય પુસ્તકમાં ગણના થાય છે .
આ પુસ્તકને ૨૦૧૦ માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ તથા ૨૦૧૧ માં ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું.
( આ પુસ્તક વિષે ચિત્રો સાથે વધુ જાણવા અહીં ક્લિક કરીને વાંચો . )
————————————————
પુસ્તકો અંગે આ વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકારો શુ કહે છે .
“પુસ્તકોનો પ્રચાર જો ઓછો થતો હોય, તો તેનું કારણ એ નથી કે વિશાળ જનસમુદાય પુસ્તક વાંચતો નથી; એનું કારણ એ છે કે પ્રજા પાસે જે પુસ્તકો આવે છે તે “લખાયેલાં” નથી હોતાં, પણ માત્ર “છપાયેલાં” જ હોય છે. કોઈ પણ પુસ્તક વંચાય તે માટે પ્રથમ તો એ ખરેખર “લખાયેલું” હોવું જોઈએ. પુસ્તક વિચારાયું પણ હોવું જોઈએ, એનું સાચેસાચ સર્જન થયું હોવું જોઈએ. પુસ્તકનું ભાવિ તેના લેખનની કાવ્યમયતા સાથે, આલેખનશક્તિ અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલું છે. પુસ્તક “લખવા”માં જો આપણે સફળ થઈશું, તો તેનું ભાવિ નિશ્ચિત છે; પણ જો તેને માત્ર છાપીને જ આપણે સંતોષ માનશું, તો એ નાશ પામશે.”
– આલ્બેર્ટો મોરાવીયા
——————–
” હું એ દિવસની રાહ જોઉં છું જ્યારે દીવાન ખાનામાં ફર્નીચર જેટલી જ સત્વશીલ સાહિત્યની જરૂર ગણાશે .
મારે મન સાહિત્ય એ વ્યક્તિના સાચા સંસ્કારનો માપદંડ છે . વિનય, વિવેક ,પ્રફુલ્લતા , નિષ્ઠા આ
બધાનું મુલ્ય છે જ પણ આ ગુણોના વર્ધનમાં સત્ સાહિત્ય જેટલું ઉપકારક પરિબળ બીજું નથી .
જે લોકો શબ્દની શક્તિ પ્રમાણે છે એમના માટે સારાં પુસ્તકો એક મહત્વની મૂડી બની જાય છે .”
— બર્નાર્ડ રસેલ
——————-
” જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી “
(” સુખમય સ્વપ્ન ‘ માંથી ” —– કલાપી
—————————-
આ પોસ્ટનું સમાપન પુસ્તક અંગેની જ એક હળવી રમુજથી કરીએ તો કેવું !
સૌથી સારી બુક !
એકવાર એક પતિ-પત્ની વેકેશનમાં કોઈ સારું સ્થળ પસંદ કરી ત્યાં ફરવા જવા
માટેનું આયોજન કરતાં બેઠાં હતાં .
પત્ની કહે :” આ શિયાળામાં કઈ જગાએ જવા જેવું છે એનું માર્ગ દર્શન આપતું કોઈ
પુસ્તક-બુક આપણી પાસે હોત તો કેવું સારું થાત .
પતિ કહે :” ક્યાં જવાય અને ક્યાં ન જવાય એ નક્કી કરતી આપણી પાસે એક
બુક તો છે અને એ છે આપણી ચેક બુક અને પાસ બુક !”
—————————–
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે સૌ સાહિત્ય પ્રેમી મિત્રોને વિનોદ વિહાર તરફથી અનેક શુભકામનાઓ
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ