નરેન્દ્ર મોદી G-20 શિખર સંમેલન તથા દ્વિપક્ષી મુલાકાત માટે ૧૫ નવેંબરે ઓસ્ટ્રેલિયા જવાના છે.
ઓસ્ટ્રેલીયામાં પણ મોદી જવર
ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન મોદીના ૧૫ નવેમ્બર થી ૧૮ નવેમ્બરના રોકાણ દરમ્યાન યોજાએલ કાર્યક્રમો વિષે ચિત્રલેખામાં પ્રગટ નીચેના સમાચાર ઉપરથી આ મોદી મેજિકની ઝલક મળી રહેશે.
Narendra Modi & Australia’s Prime Minister
મેલબોર્નથી સિડની વચ્ચે દોડાવાશે ‘મોદી એક્સપ્રેસ’
મેલબોર્ન – ‘મોદી મેજિક’નો પ્રસાર હવે ઓસ્ટ્રેલિયામાં પણ પહોંચ્યો છે. મેલબોર્ન શહેર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે આતુર બન્યું છે. મોદી G-20 શિખર સંમેલન તથા દ્વિપક્ષી મુલાકાત માટે ૧૫ નવેંબરે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે.
મોદીના સ્વાગત માટે નક્કી કરાયેલા કાર્યક્રમોમાંનો એક છે,સ્પેશિયલ ટ્રેનની સવારી. તે વિશેષ ટ્રેનને નામ આપવામાં આવ્યું છે, ‘મોદી એક્સપ્રેસ’. આ ટ્રેન મેલબોર્નથી સિડની વચ્ચે દોડાવવામાં આવશે. તદુપરાંત, સિડનીના ઓલફોન્સ અરીનામાં ભારતીય સમુદાય ભવ્ય સમારંભનું આયોજન કરનાર છે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સત્તાવાર ભોજન સમારંભ યોજવામાં આવશે જ્યારે કેનબેરામાં સંયુક્ત સંસદીય સત્રને મોદી સંબોધન કરશે. મોદીની મુલાકાત નિમિત્તે નવી ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ અહીં રિલીઝ પણ કરવામાં આવનાર છે.
મોદી ચાર દિવસના રોકાણ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોની મુલાકાત લેશે.
છેલ્લે, ૧૯૮૬માં રાજીવ ગાંધી ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવેલા અંતિમ ભારતીય વડા પ્રધાન હતા.
મોદી મ્યાનમારના પાટનગર ને પાઈ તોઉથી સીધા બ્રિસ્બેન પહોંચશે જ્યાં G-20 શિખર સંમેલન યોજાવાનું છે. તે સંમેલનમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટોની એબટ ઉપરાંત બ્રિટનના વડા પ્રધાન ડેવીડ કેમરન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઈસ હોલાંદ, યુએસ પ્રમુખ બરાક ઓબામા, ચીનના પ્રમુખ સી જિનપિંગ પણ હાજર રહેશે.
નવેંબરની ૧૫-૧૬ તારીખે G-20 સંમેલનમાં હાજરી આપ્યા બાદ મોદી ૧૭મીએ સિડની જશે. ત્યાં ઈન્ડોર સ્ટેડિયમ ઓલફોન્સ અરીનામાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
મેલબોર્નથી સિડની વચ્ચે દોડાવનાર છે તે મોદી એક્સપ્રેસ ટ્રેનની સફર ૮૭૦ કિ.મી.ની હશે. આ ટ્રેન સેંકડો ભારતીયોને સિડની પહોંચાડશે. આ ટ્રેન ૧૬ નવેંબરે રાત્રે ૮.૩૦ વાગ્યે મેલબોર્નના સધર્ન ક્રોસ સ્ટેશનેથી રવાના થશે.
૧૮ નવેંબરની સાંજે એબટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મોદીના માનમાં સત્તાવાર ભોજન સમારંભનું આયોજન કરાશે. તે સમારંભમાં ઓસ્ટ્રેલિયાની સરકાર લગભગ ૧૦૦૦ લોકોને આમંત્રિત કરવાની છે. મોદી સ્ટેડિયમમાં સંબોધન કરે એવી પણ ધારણા છે.
સોર્સ : http://www.chitralekha.com/breaking-news/modi-mania/
===============================================
કોંગ્રેસની હાલની બેહાલી …
એક નેટ મિત્રને મેં ઉપરના સમાચારની લીંક ફોરવર્ડ કરી હતી એના જવાબમાં એમણે સરસ લખ્યું કે :
” મોદી જ્વર ઉતારે એવો વૈદ કોંગ્રેસ પાસે હાલમાં તો નજરે પડતો નથી. કોંગ્રેસમાં જો કોંગ્રેસત્વ હજુ બાકી રહ્યું હોય તો, બીજો ગાંધી કે લાલ , બાલ, પાલ પેદા કરવો પડશે!”
આ મિત્રનું રાજકીય અવલોકન કેટલું સત્ય છે!કોંગ્રેસ પાસે હાલ નેતા પદ માટે એક શૂન્યાવકાશ પ્રવર્તે છે. જે કોઈ નેતા છે એ મોદીના વિરાટ વ્યક્તિત્વ સામે વામણા દેખાય છે.કોંગ્રેસમાં હજુ પણ નેહરુ વંશની વ્યક્તિઓની જ નેતા પદની મોનોપોલી ચાલુ છે .કોન્ગ્રેસીઓની નહેરુ વંશની વ્યક્તિઓ પ્રત્યેની આંધળી ભક્તિ એની બહારના નેતા માટે કોઈ ખોજ કરવા એમને પ્રેરતું નથી .
અત્રે મને જવાહરલાલ નેહરુની વિદુષી બેન વિજયાલક્ષ્મી પંડિતનું એક સત્ય કથન ક્યાંક વાચેલું એ યાદ આવે છે .ઇન્દિરા ગાંધીને જ્યારે વડા પ્રધાન બનાવાયાં ત્યારે એક વાર એક પત્રકારે વિજયા લક્ષ્મી પંડિતને કહ્યું કે ” નેહરુ વંશે દેશ માટે કેટલો બધો ભોગ આપ્યો છે !” આના જવાબમાં વિજયાલક્ષ્મી પંડિતે કહ્યું :” હા પણ, એ ભોગના બદલામાં એના કરતાં કેટલું બધું વધારે પ્રાપ્ત કરી લીધું છે !”
લોકસભાની છેલ્લી ચુંટણીમાં મોદીની ” મા-બેટે કી સરકાર ” હટાવવાની હાકલને ભારતની જનતાએ સ્વીકારી લઇ ભાજપને વિક્રમી બહુમતીથી જીતાડી અને મોદીને વડા પ્રધાનના સિંહાસને બેસાડ્યા. આમ છતાં હજુ કોંગ્રેસીઓની આંખો ખુલતી નથી . રાહુલ ગાંધી નહી તો પ્રિયંકા ગાંધીને નેતા બનાવો એવી વાતો કોંગ્રેસીઓ હાલ કરી રહ્યા છે પણ એ વર્તુળની બહાર કોઈ નેતા એમને હજુ જડતો નથી .કોંગ્રેસીઓની આ એક કમનશીબી છે . કોંગ્રેસીઓની હાલની એ બેહાલી છે . મોદીને પડકારી શકે એવો નેતા કોંગ્રેસને ક્યારે મળશે ? એ તો સમય જ કહેશે !
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ